હૈયાને દરબાર
અય મેરે વતન કે લોગોં જરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુએ હૈ ઉનકી જરા યાદ કરો કુરબાની જેવી અમર રચનાના સુવિખ્યાત કવિ પ્રદીપજીના નામથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ એમનાં ધર્મપત્ની ભદ્રા પ્રદીપ, જે હંમેશાં એમનો જીવનાધાર અને પ્રેરણાસ્રોત રહ્યાં છે, એમના વિશે આપણને ઓછી જાણકારી છે. પાંચમી નવેમ્બરે એમનું શતાબ્દી વર્ષ શરૂ થયું એ નિમિત્તે પ્રદીપ દંપતીનાં કલાકાર અને કલાશિક્ષક પુત્રી મિતુલ પ્રદીપ સાથે વાત કરતાં જાણવા મળ્યું કે પ્રદીપજીએ એક સુંદર ગુજરાતી ગીત ગાયું છે. ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ ‘જીવણો જુગારી’માં આ ગીત લેવાયું હતું જેના શબ્દો હતા ; તારી જીવન ગાડી ચાલી રે, પ્રાણી કિયે રે મુકામે…! આ ગીતના ગીતકાર-સંગીતકાર હતા નિનુ મઝુમદાર. નિનુભાઈનો જન્મદિવસ નવમી નવેમ્બરે જ ગયો. એમાં પ્રદીપજીએ ગાયેલું આ ગીત મળ્યું એટલે વિચાર આવ્યો કે ‘હૈયાને દરબાર’માં આ ગીતની નોંધ લેવાવી જ જોઈએ. ગૂગલ સર્ચ કરીને ગીત સાંભળ્યું તો પ્રદીપજીનો એ જ મધુર અવાજ સાંભળવા મળ્યો જે આપણે આઓ બચ્ચોં તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી, ‘પિંજરે કે પંછી રે, દે દી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તૂને કર દિયા કમાલ…’ જેવાં અમર ગીતોમાં સાંભળ્યો હતો.
પ્રદીપજી સાચા અર્થમાં કવિ હતા. શુદ્ધ હિન્દી ભાષામાં કવિતાઓ આપણને પંડિત ભરત વ્યાસ અને પ્રદીપજી પાસેથી જ મળી છે. પરંતુ, પ્રદીપજીને સ્વરચિત ગીતો પોતે જ સ્વરબદ્ધ કરવાની આદત હતી. ગીત લખે સાથે ધૂન પણ બનાવે. હવે ગીત તૈયાર ધૂન સાથે મળે તો આપણું કામ ઓછું એમ માનીને મોટા ભાગના સંગીતકારો તેમના આ શોખનો વિરોધ નહોતા કરતા, એટલું જ નહીં આખું સ્વરાંકન લગભગ યથાવત્ રાખતા. રામચંદ્ર દ્વિવેદી તરીકે એમનો જન્મ અને ઉછેર ભલે મધ્ય પ્રદેશમાં થયો, પણ તેમના પૂવર્જો ગુજરાતી હતા. લગ્ન પણ ગુજરાતી યુવતી ભદ્રાબહેન સાથે થયાં.
હિમાંશુ રોયના સૂચનથી તેઓ મુંબઈ આવ્યા અને બોમ્બે ટોકીઝમાં જોડાયા. તે સમયે બોમ્બે ટોકીઝ ‘કંગન’ નામની ફ્લ્મિ બનાવી રહી હતી. અશોકકુમાર હીરો અને લીલા ચિટનીસ હિરોઈન. આ ફ્લ્મિ માટે કવિ પ્રદીપે ચાર ગીતો લખ્યાં અને દર્શકોએ વધાવી લીધાં.
ભક્તિપ્રધાન અને દેશભક્તિનાં ગીતો લખનાર કવિ પ્રદીપે લખેલા ‘દૂર હટો એ દુનિયાવાલોં’ ગીતે તે જમાનામાં સમગ્ર દેશમાં એવી રાષ્ટ્રભાવના જગાડી હતી કે એક તબક્કે અંગ્રેજ સરકારે આ ગીત પર પ્રતિબંધ મૂકવાનું વિચાર્યું હતું. ગાંધીજીએ આ ગીતને ઉપનિષદના શ્લોક સાથે સરખાવ્યું હતું.
૧૯૬૩ની ૨૬ જાન્યુઆરીએ દિલ્હીના નેશનલ સ્ટેડિયમમાં વિરાટ જનમેદની સામે લતા મંગેશકરે અય મેરે વતન કે લોગોં’ ગીત ગાયું એ સાંભળીને જવાહરલાલ નહેરુનાં આંખોમાં આંસુ આવી ગયાં તે જાણીતી વાત છે. જેમની રગ રગમાં રાષ્ટ્રપ્રેમ છલકતો હતો એ પ્રદીપજીને ૧૯૯૭માં દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મળ્યો હતો.
આવા આ કવિએ ગુજરાતી ગીત કેવી રીતે ગાયું એની સરસ વાત મિતુલ પ્રદીપે કરી.
"મારા બાપુ પ્રદીપજી અને નિનુ મઝુમદાર બન્ને બહુ સારા મિત્રો હતા. બન્ને પાર્લામાં રહે, બન્ને સાહિત્ય-સંગીતના શોખીન. મારાં મમ્મી ભદ્રાબહેન અને નાનીમાનો સંબંધ પણ નિનુભાઈના કુટુંબ સાથે હતો. નિનુભાઈના ભાઈ અને મારાં મમ્મી બનારસમાં સાથે ભણેલાં. એટલો જૂનો સંબંધ. એટલે એક વાર નિનુભાઈએ બાપુને વિનંતી કરી કે તમે મારું એક ગીત ગાઓ. કારણ કે તમારા જેવો અવાજ મને બીજો નહીં મળે. બાપુને તો ગમે જ ગુજરાતી ગીત ગાવું. પણ એમણે કહ્યું કે મને ગુજરાતી ઉચ્ચારો બરાબર શિખવવા પડશે. અને, બાપુએ ખરેખર એવું ગાયું કે કોઈને ખ્યાલ ન આવે કે આ ગીત કોઈ હિન્દીભાષીએ ગાયું છે. બાપુના અવાજનું મારું સૌથી પ્રિય ગીત એ જ છે.
ગીતના શબ્દો, સ્વરાંકન અને ગાયકી આ ત્રણેય રીતે મને એ અણમોલ લાગે છે. સંગીતચાહકોએ એ સાંભળવું જોઈએ. એમનું લખેલું એક ગીત, કાન્હા બજાએ બંસરી ઔર ગ્વાલે બજાએ … એમણે મેંદી તે વાવી માળવે…ની ધૂન પરથી બનાવ્યું હતું. ગુજરાતી ધૂનો એમને પસંદ હતી તથા અવિનાશ વ્યાસ, નિનુભાઈ જેવા સંગીતકારો સાથે સંબંધ પણ સારો એટલે એ એમનું ગુજરાતી કનેક્શન. પોતે પોતાના ટ્યુન પર ગાતા હોવાથી એમનું ગીત હાર્દ-ભાવ બરાબર પકડી શકતું અને શ્રોતાઓને આકર્ષી શકતું હતું. તારી જીવન ગાડી ગીતનો છેલ્લો અંતરા તો ખૂબ સરસ છે. આખું ગીત જાણે તત્ત્વચિંતનથી ભરેલું છે.
બંગાળના બાઉલ સંગીતની અસર ધરાવતા આ ગીતની દરેક પંક્તિમાં જીવનદર્શન વ્યક્ત થયું છે. કવિ કહે છે કે લલાટે લખેલા લેખ મિથ્યા કદી ન થાય. ભવિષ્ય હંમેશાં કુતૂહલનો વિષય રહ્યું છે. કાલની કોઈને ખબર નથી. કાલ ફૂલ લઈને આવે. કાલ કાંટો લઈને પણ આવે. એવું પણ બને કે કાલ કંઈ લઈને ન આવે, કાલ આજ જેવી જ હોય. છતાં, જીવન ગાડી આ જ રીતે ચાલ્યા કરે.
જીવનની યાત્રાને ગાડી સાથે સરખાવવામાં આવે છે કારણકે ટ્રેનની જેમ જ જીવનના પાટા બદલાય, ક્રોસ કનેક્શન થાય, ક્યારેક આશ્ચર્યો જોવા મળે તો ક્યારેક નાના-મોટા અકસ્માત થાય. તો ય ગાડી તો ચાલતી જ રહે છે!
જિંદગીમાં ઘણીવાર એવું થાય જે તમે વિચાર્યું જ ન હોય. જિંદગી ગમે ત્યારે કરવટ બદલતી હોય છે. જિંદગીમાં જે કંઈ ઘટનાઓ બને છે એનો કોઈ મર્મ હોય છે. એમને એમ કંઈ જ નથી થતું. કંઈક એવું હોય છે જે તમને અમુક દિશામાં દોરી જાય છે. ઘણી વખત તો આપણી ઇચ્છા ન હોય તો પણ આપણે ખેંચાઈને ક્યાંક જવું પડે છે. આને તમારે નસીબ કહેવું હોય તો કહી શકો, પણ દરેક સમયે, દરેક સંજોગોમાં અને દરેક ક્ષણે આપણે જાતને સાબિત કરવી પડતી હોય છે. અજાણે પંથે સાથ છૂટે, કોઈ સાથી-સંગી ન હોય, ગેરમાર્ગે દોરવાઈ જવાય, જિંદગીની રફતારમાં ઠેકઠેકાણે ભૂલા પડાય તો ય જિંદગીની ગાડી કંઈ અટકવાની નથી. ગમે એટલી તકલીફો આવે છતાં ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી ઊભાં થતાં આવડે તો જ જીવન ગાડી આગળ ચાલે, નહીં તો અટકી જાય.
પૈસાને જ સર્વસ્વ માનનારો વિશે કેવી સરસ પંક્તિ છે;
ગણેલી રકમ લઈને આવ્યો રે બજારમાં,
ને જિંદગી ગુમાવી એક દાવે …
આ પંક્તિમાં તો કવિ કેટલી મોટી વાત કહી દે છે! નામ-દામ, શોહરત-કીર્તિ બધું એક દાવે ગુમાવી દેવાના સંજોગ પણ મનુષ્ય જીવનમાં આવે છે. બસ, રામ નામે જીવન નૈયા હંકારવાની છે. અત્યારના સંજોગોમાં ય આ વાત પ્રસ્તુત લાગે. વૈશ્વિક મહામારીના સંજોગોમાં રામ રાખે એમ રહીએ … એવી જ સ્થિતિ છે. બસ, આપણે આપણો ધર્મ સંભાળવો.
ધર્મ એટલે રિલિજિયન નહીં, કર્તવ્ય. સદ્કર્મો કરવાં, સ્વાસ્થ્ય જાળવવું, જીવદયા, પ્રેમ, કરુણા જાળવી રાખવાં, કુદરતે બનાવેલાં ઝાડ-પાન, નદી-નાળાં, પર્વત-પર્યાવરણને સ્વચ્છ રાખવાં. તો જીવન ગાડી સરસ રીતે ચાલતી રહેશે એની ગેરંટી. વીતેલાં વર્ષની વિટંબણાઓથી મુક્ત રહી નવાં વર્ષને સ્વસ્થ તન-મન સાથે આવકારવાની તૈયારીમાં લાગી જઈએ. ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકોને શુભ દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 12 નવેમબર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=659304