Opinion Magazine
Number of visits: 9747559
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બિહારનું ચૂંટણી-પરિણામ : એક વિશ્લેષણ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|16 December 2020

એકીકૃત બિહારની સત્તરમી અને વિભાજિતની પાંચમી વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી એન.ડી.એ. ગઠબંધને ૧૫ બેઠકોની બહુમતીથી સત્તા જાળવી રાખી છે. ૧૧ કરોડની વસ્તી અને ૭.૭૯ કરોડ મતદાર ધરાવતા બિહારમાં દેશની કોરોનાકાળમાં યોજાયેલી આ પ્રથમ ચૂંટણીમાં રાજ્યની આરોગ્યની સ્થિતિ, સરકાર વિરોધી ભાવના, સ્થળાંતરિત મજૂરોનો સવાલ, બેરોજગારી, ગરીબી, શિક્ષણ, પૂર, વિકાસ, રાજ્યની આર્થિક હાલત અને જાતિવાદ જેવા સ્થાનિકથી લઈને સરહદે ચીન સાથે અશાંતિ, અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, નાગરિકતા-સંશોધન કાનૂન, ત્રિપલ તલાક પર પ્રતિબંધ, રામમંદિર, શ્રમ અને કૃષિકાયદા જેવા રાષ્ટ્રીય ચૂંટણી-મુદ્દાઓ પર જનમત વ્યક્ત થાય તેવી આશા હતી.

બિહારમાં ચૂંટણીપૂર્વે જ પાંચ ગઠબંધનો (એન.ડી.એ., મહાગઠબંધન, ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ, પ્રોગ્રેસિવ ડેમોક્રેટિક અલાયન્સ અને યુનાઇટેડ ડેમોક્રેટિક અલાયન્સ) અસ્તિત્વમાં આવ્યા હતા. પરંતુ મુખ્ય મુકાબલો એન.ડી.એ. (જનતાદળ (યુ.), બી.જે.પી., હમ અને વી.આઈ.પી.) અને મહાગઠબંધન (આર.જે.ડી., કૉંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષો) વચ્ચે હતો. ચૂંટણીપૂર્વેનાં અનુમાનોમાં આ ચૂંટણીને  એકતરફી માનવામાં આવતી હતી અને સઘળા ઓપિનિયન પોલ એન.ડી.એ.ની જીત પાકી માનતા હતા. પરંતુ લગભગ બધા જ એક્‌ઝિટ પોલ મહાગઠબંધનના વિજયનું અનુમાન કરતા હતા! એટલે ચૂંટણી-પરિણામો રોમાંચક બની રહ્યાં અને અંતે પરિણામ જનતાદળ(યુ.) -બી.જે.પી.ની તરફેણમાં આવ્યું છે.

વોટશેર અને બેઠકોઃ લાલુ પ્રસાદ યાદવના પ્રાદેશિક પક્ષ રાષ્ટ્રીય જનતાદળે સૌથી વધુ ૭૫ બેઠકો મેળવી છે. કેન્દ્રમાં મજબૂત રાજવટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પર મુસ્તાક ભારતીય જનતાપક્ષને તે પછીના ક્રમે ૭૪ બેઠકો મળી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારના જનતા- દળ (યુ.)ને ૪૩ બેઠકો, કૉંગ્રેસને ૧૯, સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.) એટલે કે ‘માલે’ને ૧૨, અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એ.આઈ.એમ.આઈ.એમ.ને ૫, હમ અને વી.આઈ.પી.ને ૪-૪, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને ૨-૨, તથા એલ.જે.પી., બી.એસ.પી. અને અપક્ષને ૧-૧ બેઠકો મળી છે.

આપણી ચૂંટણીની જે એક વિચિત્રતા છે કે રાજકીય પક્ષોને જે વોટ – શેર મળે છે તેના પ્રમાણમાં બેઠકો મળતી નથી. તે આ ચૂંટણીમાં વધુ એક વાર જોવા મળ્યું. એન.ડી.એ.ને ૩૭.૩ ટકા  અને મહાગઠબંધનને ૩૭.૨ ટકા મત મળ્યા છે. એટલે કે વોટશેરનો તફાવત માત્ર ૦.૧ ટકા કે ૧૨,૭૭૦ વોટનો જ છે. પરંતુ આટલા નજીવા વોટશેર કે મતનો ઘટાડો ૧૫ બેઠકોના વધારાઘટાડામાં પરિણમ્યો છે.

૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીના વોટશેર સાથે ૨૦૨૦ના વોટશેરને સરખાવતાં જણાય છે કે ૨૦૧૫માં બી.જે.પી.નો વોટશેર ૨૪.૧ ટકા હતો, ૨૦૨૦માં તેમાં ૪.૬૪ ટકાનો ઘટાડો થતાં તે ૧૯.૪૬ થયો છે, પરંતુ ૨૦૧૫માં વિધાનસભામાં બી.જે.પી.ની બેઠકો ૫૩ હતી તે ૨૧ વધીને ૭૪ થઈ છે! ૨૦૧૫માં જે.ડી.યુ.નો વોટશેર ૧૪.૪ અને બેઠકો ૭૧ હતી. ૨૦૨૦માં તેનો વોટશેર ૧૫.૩૯ છે, એટલે વોટશેર નજીવો.(૦.૯૯ %) વધવા છતાં આ વખતે તેને ૪૩ જ બેઠકો મળતાં બેઠકોમાં ૨૮ જેટલો મોટો ઘટાડો થયો છે.

આર.જે.ડી.ને ૨૦૧૫માં ૨૧.૫ % વોટ અને ૮૦ બેઠકો મળી હતી. આ વખતે વોટ ૨૩.૧૧ % એટલે કે ગઈ વિધાનસભા કરતાં ૨.૦૬ % વધુ મળ્યા છે, પરંતુ વોટશેરનો વધારો બેઠકોનો  વધારો કરી આપવાને બદલે ૫ બેઠકોનો ઘટાડો કરી આપે છે! કૉંગ્રેસનો વોટશેર ગઈ વિધાનસભા ચૂંટણીમાં ૬.૦ અને બેઠકો ૨૭ હતી. હાલનો ૯.૫%નો  વોટશેર,  બીજા બધા પક્ષો કરતાં મોટો વધારો (૩.૪૮ %) થયો છતાં બેઠકો ઘટીને ૨૭થી ૧૯ થઈ છે !

ઓવૈસીના પક્ષને મત માત્ર ૧.૨૪ % જ મળ્યા, પણ બેઠકો ૫ મળી. એલ.જે.પી.નો વોટશેર ૫.૬૬ % છે, પણ બેઠક એક જ મળી. ‘માલે’નો વોટશેર ૩.૨ % છે અને બેઠકો ૧૨ મળી ! સી.પી.આઈ. (એમ.) અને સી.પી.આઈ.નો વોટ શેર ૧ % કરતાં પણ ઓછો (અનુક્રમે ૦.૮ અને ૦.૭%) જ છે, છતાં બંનેને બે-બે બેઠકો મળી છે. બ.સ.પા.નો વોટશેર ૧.૪૯ % અને બેઠક એક જ મળી છે, તો આર.એલ.એસ.પી.નો વોટશેર ૧.૭૭ % હોવા છતાં એકેય બેઠક મળી નથી.

જે રાજકીય પક્ષો વધુ બેઠકો પર ઉમેદવારી કરે છે, તેનો વોટશેર વધુ હોય છે, પરંતુ વોટશેર બેઠકોમાં પરિવર્તિત થઈ શકતો નથી. જ્યારે ઓછી બેઠકો પર ઉમેદવારી કરીને, ફોકસ રહીને, કેટલાક રાજકીય પક્ષો (જેમ કે ડાબેરી) ઓછા વોટશેરથી વધુ બેઠકો મેળવી શક્યા છે.

સ્ટ્રાઇક-રેટમાં બી.જે.પી. પ્રથમ અને ‘માલે’ બીજા ક્રમે રાજકીય પક્ષોએ કેટલી બેઠકો પર ઉમેદવારી કરી હતી અને તેમાંથી કેટલી બેઠકો મેળવી તેનો વિજયઆંક કે સ્ટ્રાઇક-રેટ જોતાં જણાય છે કે બી.જે.પી. મોખરે છે. બી.જે.પી.ના ૧૧૦ ઉમેદવારોમાંથી ૭૪ જીતતાં તેનો વિજયઆંક ૬૭.૩ ટકા છે. તે પછીના ક્રમે ‘માલે’ કહેતાં સી.પી.આઈ. (એમ.એલ.) (એલ.)ના ૧૯માંથી ૧૨ ઉમેદવારો વિજયી બનતાં તેનો વિજયઆંક ૬૩.૧ ટકા છે. આર.જે.ડી.એ ૧૪૪માંથી ૭૫ બેઠકો મેળવતાં ૫૯.૧ %, ત્રણેય ડાબેરીપક્ષોએ સંયુક્ત રીતે ૨૯માંથી ૧૬ બેઠકો જીતીને ૫૫.૧ %, જીતનરામ માંઝીની ‘હમ’(હિંદુસ્તાની અવામી મોરચા)એ ૭માંથી ૪ બેઠકો જીતી ૫૭.૧ % અને સી.પી.આઈ. (એમ.)એ ૪માંથી ૨ બેઠકો જીતી ૫૦.૦% સ્ટ્રાઇક-રેટ મેળવ્યો છે, જે બે પક્ષોનો વિજયઆંક સૌથી તળિયે છે, તેમાં મુખ્યપ્રધાન પદે આસીન નીતિશ કુમારના જનતાદળ(યુ.)એ ૧૧૫ બેઠકો પર ઉમેદવારી, કરી ૪૩ બેઠકો મેળવતાં ૩૭.૩ % અને કૉંગ્રેસે ૭૦ બેઠકોમાંથી ૧૯ જીતીને ૨૭ %નો સ્ટ્રાઇક-રેટ હાંસલ કર્યો છે. ચિરાગ પાસવાનની એલ.જે.પી.ના ૧૪૭માંથી એક જ ઉમેદવાર જીતતાં તેનો વિજયઆંક ૦.૬ ટકા જ છે.

મોદીની લોકપ્રિયતા અને બી.જે.પી.ની મજબૂતીની કસોટી આ વિધાનસભાની સિંગલ લાર્જેસ્ટ પાર્ટી આર.જે.ડી.થી એક જ બેઠક ઓછી મેળવનાર ભારતીય જનતાપક્ષ બિહારમાં વધુ મજબૂત થયો છે અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા બરકરાર છે, તેવી દલીલને વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સાથે સરખાવવા જેવી છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી બિહારમાં આ ચોથી ચૂંટણી હતી. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં બી.જે.પી.ને ૨૯.૪૦ % વોટ અને ૨૨ બેઠકો મળ્યાં હતાં. પાંચ વરસના કેન્દ્રના મોદીશાસન પછી તેમાં ૫.૮૨ %નો ઘટાડો થયો અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૨૩.૫૮ % વોટ અને ૧૭ બેઠકો મળ્યાં. મોદીના વડાપ્રધાન થયા બાદ ૨૦૧૫માં થયેલી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૪.૧ % મત મળ્યા હતા, જે ૨૦૨૦માં ઘટીને ૧૯.૪૬ % થઈ ગયા છે. એટલે છ વરસમાં બિહારમાં ભા.જ.પ.ના મત ૧૦ ટકા જેટલા ઘટ્યા છે. ૨૦૨૦માં લોકસભા અને વિધાનસભામાં પક્ષની બેઠકો વધી છે તેને બી.જે.પી.ની મજબૂતી અને મોદીની લોકપ્રિયતા ગણાવતાં સમીક્ષકો વોટશેરનો આ ઘટાડો નજરઅંદાજ કરે છે.

૨૦૧૯ની લોકસભા ચૂંટણીના પરિણામ મુજબ એન.ડી.એ.(બી.જે.પી., જે.ડી.યુ. અને એલ.જે.પી.)ને ૨૨૩ વિધાનસભા બેઠકો પર લીડ મળી હતી. એકલી બી.જે.પી.ની લીડ ૯૬ વિધાનસભા બેઠકો પર હતી, પરંતુ એક જ વરસ પછી યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં  એન.ડી.એ.ને ૧૨૫ બેઠકો મળતાં ૯૮ અને બી.જે.પી.ને ૭૪ બેઠકો મળતાં ૨૨ બેઠકો ઓછી મળી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં એન.ડી.એ.ને ૫૩.૨૫ % અને યુ.પી.એ.ને ૩૦.૭૬% મત મળ્યા હતા, ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં એન.ડી.એ.ના વોટમાં ૧૫.૯૫%નો ઘટાડો થયો છે અને ૩૭.૩ % મત મળ્યા છે. જ્યારે યુ.પી.એ. ગઠબંધનના વોટ ૬.૪૪ વધીને ૩૭.૨% થયા છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મતદારો અલગ અલગ રીતે મતદાન કરે છે, એ દલીલ સ્વીકારીએ તો પણ વડા પ્રધાન જ  ચૂંટણીના સ્ટારપ્રચારક હોય અને પક્ષ અને ગઠબંધન તેમને જ વિજયનું શ્રેય આપતો હોય છે, ત્યારે તેમની લોકપ્રિયતા લોકસભા ચૂંટણીમાં અને વિધાનસભા ચૂંટણીમાં કેમ અલગ-અલગ હોય છે, તેનો જવાબ મળતો નથી.

બિહારના નેતા નીતિશ કે તેજસ્વી ? :  ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણી નીતિશ અને લાલુની પાર્ટી સાથે મળીને લડ્યા હતા. આર.જે.ડી. કરતાં જે.ડી.યુ.ને મળેલી બેઠકો ઓછી હોવા છતાં નીતિશ કુમારને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા અને લાલુપુત્ર તેજસ્વી યાદવ તેમના ડેપ્યુટી બન્યા હતા. તેજસ્વી સામેના ભ્રષ્ટાચારના આરોપો પછી નીતિશે આર.જે.ડી.-જે.ડી.યુ.નું ગઠબંધન તોડી બી.જે.પી.નો સાથ મેળવી સત્તા જાળવી રાખી. ‘સુશાસન બાબુ’ તરીકેની નીતિશની સાખ અને કુર્મીવોટ પરના પ્રભુત્વને કારણે ૨૦૧૯ની ચૂંટણીમાં બી.જે.પી.એ ગઠબંધનમાં તેમનું નેતૃત્વ સ્વીકારી મુખ્ય મંત્રીપદનું વચન આપ્યું હતું. સામે પક્ષે તેજસ્વી યાદવના નેતૃત્વમાં મહાગઠબંધન ચૂંટણીમેદાનમાં હતું. કૉંગ્રેસ અને ત્રણ ડાબેરી પક્ષોએ તેજસ્વીનું નેતૃત્વ સ્વીકાર્યું હતું.

એન.ડી.એ. ગઠબંધનને મહાગઠબંધન કરતાં ૧૫ સીટો વધુ મળતાં સરકાર તેમની રચાઈ, નીતિશ કુમાર ફરી મુખ્ય મંત્રીપદ પામ્યા. પરંતુ આ ચૂંટણીના ખરા વિજેતા અને બિહારના નેતા ખરેખર કોણ એવો સવાલ થાય, તો ૩૧ વરસના તેજસ્વી યાદવનું નામ અચૂક લેવું પડે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આર.જે.ડી.ને એક પણ બેઠક મળી નહોતી. તેને માત્ર ૧૫.૩૬ ટકા વોટ સાથે ૯ જ વિધાનસભા બેઠકો પર લીડ મળી હતી. લોકસભા ચૂંટણીમાં મળેલી આ હાર પછી મહિનાઓ સુધી તેજસ્વી યાદવ ગુમ રહ્યા હતા. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણી તેજસ્વીએ પિતા લાલુ પ્રસાદ યાદવની પ્રત્યક્ષ ઉપસ્થિતિ વિના સમગ્ર મહાગઠબંધનનો ભાર પોતાના શિરે ઉઠાવીને લડી હતી. સત્તા મેળવવા જેટલી બહુમતી ન મળી, પરંતુ તેમણે જે રાજકીય પુખ્તતા અને જવાબદારી સાથે શાલીનતાથી ચૂંટણી પ્રચાર કર્યો, તેણે બિહારના નેતા થવા માટેની તેમની ક્ષમતા દર્શાવી આપી. ૨૦ લાખ સરકારી નોકરીઓનાં વચન સાથે તેમણે વિરોધીઓને પોતાના ચૂંટણી એજેન્ડા પર બોલવા મજબૂર કર્યા અને સમગ્ર ચૂંટણીવિમર્શને પોતાના તરફ કરી મૂક્યો. ત્રણ તબક્કાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં મહાગઠબંધનની બઢત પછી વડા પ્રધાને બિહારના ઉચ્ચવર્ણના લોકોને લાલુના જંગલરાજનો ડારો દીધો અને તેજસ્વીને ‘જંગલરાજના યુવરાજ’ ગણાવી ટાર્ગેટ કર્યા. બી.જે.પી.ના શહેરી અને ઉજળિયાત મતદારોનું ધ્રુવીકરણ કરી તેને તેજસ્વી અને મહાગઠબંધનથી વિમુખ કર્યા.

નીતિશ કુમારને બી.જે.પી.એ મુખ્ય મંત્રી તરીકે સ્થાપિત કર્યા છે અને મહારાષ્ટ્રમાં શિવસેના સાથેના વર્તનથી સત્તા ગુમાવવાની ભૂલ કરી નથી. પરંતુ નીતિશ કુમાર માટે પોતાના પક્ષની માંડ ૪૩  બેઠકો સાથે  ૧૧૦ બેઠકો ધરાવતા મજબૂત વિપક્ષનો સામનો કરીને સત્તાસંતુલન જાળવવું મુશ્કેલ બનવાનું છે.

હાલની એન.ડી.એ. સરકાર સમગ્ર બિહારનું ભૌગોલિક પ્રતિનિધિત્વ ધરાવે છે કે કેમ તેવા સવાલનો જવાબ પણ નકારમાં મળે છે. ગંગાનદીના કારણે ઉત્તર બિહાર અને દક્ષિણ બિહાર એમ બે ભૌગોલિક-સામાજિક ભાગમાં બિહાર વિભાજિત છે  દક્ષિણ બિહારના ભોજપુર-મગધ ઇલાકામાં મહાગઠબંધનનું તો ઉત્તર બિહારમાં એન.ડી.એ.નું પ્રભુત્વ જોવા મળ્યું છે. દક્ષિણ બિહાર એકંદરે સમૃદ્ધ મનાય છે, જ્યારે ઉત્તર બિહાર પછાત અને ઉપેક્ષિત મનાય છે. ગંગાના સામા કાંઠે વિકાસ પહોંચ્યો ન હોવા છતાં સીમાંચલ, ચંપારણ, મિથિલા અને કોસી વિસ્તારમાં બી.જે.પી. અને એન.ડી.એ.ને કેમ વધુ બેઠકો મળી છે, તે સમજવું અઘરું છે. 

સીમાંચલ જિલ્લાઓમાં બી.જે.પી.ની જીત થઈ છે, પણ જે.ડી.યુ.ની થઈ નથી. એન.ડી.એ.ને ચંપારણ વિસ્તારમાં વધુ બેઠકો મળી છે. એન.ડી.એ.ને જે જિલ્લાઓમાં વધુ બેઠકો મળી, તેમાં પશ્ચિમ ચંપારણની ૯માંથી ૮, પૂર્વ ચંપારણની ૧૨માંથી ૯, સીતામઢીની ૮માંથી ૬, મધુબનીની ૧૦માંથી ૮, દરભંગાની ૧૦માંથી ૯, સુપૌલની ૫માંથી ૫, જમુઈની ૪માંથી ૩ છે, પરંતુ શેઓહર, કિસનગંજ, બકસર, કૈમુર, રોહતાસ, અરવલ, જેહાનાબાદ, ઔરંગાબાદ એ આઠ  જિલ્લાની ૩૧ બેઠકો પર એન.ડી.એ.નું ખાતું જ ખૂલ્યું નથી. બીજી તરફ મહાગઠબંધનને જે જિલ્લાઓમાં વધુ બેઠકો મળી, તેમાં સિવાનની ૮માંથી ૬, સારણની ૧૦માંથી ૭, બેગુસરાઈની ૭માંથી ૪, પટણાની ૧૪માંથી ૯, ભોજપુરની ૭માંથી ૫, બકસરની ૪માંથી ૪, શેઓહરની ૧માંથી ૧, કૈમુરની ૪માંથી ૩, રોહતાસની ૭માંથી ૭, અરવલની ૨માંથી ૨, જેહાનાબાદની ૩માંથી ૩, ઔરંગાબાદની ૬માંથી ૬ અને નવાદાની ૫માંથી ૪ છે. જમુઈ અને સુપૌલ એ બે જિલ્લાની અનુક્રમે ૪ અને ૫ એમ કુલ ૯ બેઠકોમાંથી એક પણ મહાગઠબંધનને મળી નથી. બિહારના ૩૮ જિલ્લાઓમાંથી મહાગઠબંધનને  બે  જિલ્લામાં અને એન.ડી.એ.ને આઠ જિલ્લામાં એક પણ બેઠક મળી નથી. નીતિશ અને એન.ડી.એ.નું નેતૃત્વ અને પ્રભાવ  બિહારવ્યાપી નથી અને મહાગઠબંધન અને તેજસ્વીનો જનાધાર સમગ્ર રાજ્યમાં છે, તે આ વિગતો પરથી સ્પષ્ટ થાય છે.

રાજ્યમાં પચાસ હજાર કે તેથી વધુ મતોની પ્રથમ ચાર સૌથી મોટી જીતમાં મહાગઠબંધનના ૪ (બે માલે બે આર.જે.ડી.) ઉમેદવારો છે,  બી.જે.પી.નો ક્રમ પાંચમો છે અને તેના ઉમેદવાર ૪૭,૮૬૬ મતથી જીત્યા છે. એ જ રીતે સૌથી ઓછા અર્થાત્ ‌પાંચસો કરતાં ઓછા મતોથી હારેલા પાંચ ઉમેદવારોમાં મહાગઠબંધનના ૩ ઉમેદવારો છે. બીજા બેમાં એક જે.ડી.યુ. અને એક બી.એસ.પી.ના છે. ૫૦૦ કરતાં ઓછી બહુમતીથી જીતનાર પાંચ ઉમેદવારોમાં ૩ જે.ડી.યુ.ના, ૧ લો.જ.પા.નો અને ૧ રા.જ.દ.નો છે. અર્થાત્‌ મહાગઠબંધનના ઉમેદવારો નજીવી લીડથી જીત્યા નથી, પણ નજીવા માર્જિનથી હાર્યા જરૂર છે. ૧૪૪ બેઠકો પર ચૂંટણી લડનાર તેજસ્વીના પક્ષને ૭૫ બેઠકો મળી છે અને ૬૫ બેઠકો પર તેમના ઉમેદવારો બીજા નંબરે આવ્યા છે. એટલે નીતિશ કુમારની ૧૫ બેઠકોની સરસાઈ કેટલી મામૂલી છે અને તેજસ્વીની હારની ઇનિંગ  પણ  ‘મેન ઑફ ધ મૅચ’ની છે તે આ  આંકડાઓના ઉજાસમાં જાણી શકાય છે.

બિહાર હવે કૉંગ્રેસમુક્ત થઈ ગયું છે ? : મોટા ભાગના રાજકીય સમીક્ષકો તેજસ્વીને મુખ્ય મંત્રીની ખુરશીથી વેંત છેટું રહી ગયું તેના માટે કૉંગ્રેસને જવાબદાર માને છે અને હવે કૉંગ્રેસ બિહારમાંથી સાવ ભૂંસાઈ જશે એવી આગાહીઓ કરે છે. મહાગઠબંધનના વડા ભાગિયા તરીકે કૉંગ્રેસે ૭૦ બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેને ૨૦૧૫ની ૨૭ કરતાં આ વખતે ૮ બેઠકો ઓછી (૧૯) મળી છે, તે હકીકતને આગળ ધરે છે, પરંતુ કૉંગ્રેસનો લોકોમાં જનાધાર વિસ્તરી રહ્યો છે, તે હકીકત ગુપચાવી દે છે.

૨૦૧૪ની લોકસભામાં બિહારમાં કૉંગ્રેસને ૮.૪૦% મત અને ૨ બેઠકો મળી હતી. રાજકીય પક્ષોના વોટશેરમાં તે પાંચમા નંબરે (એલ.જે.પી. પછી) હતી. ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ૬ ટકા વોટ અને ૨૭ બેઠકો મેળવી હતી. તેને મળેલા મતોની ટકાવારી ઘટી હતી. પણ વોટશેરમાં તે બિહારમાં પાંચમાથી ચોથા નંબરે આવી ગઈ હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસે ૦.૭ ટકા ઓછા વોટ મેળવ્યા અને તેની લોકસભા બેઠક પણ બેથી ઘટીને એક થઈ ગઈ હતી, પરંતુ ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં તેણે ૯.૪૮ ટકા વોટશેર મેળવ્યા છે. કૉંગ્રેસે વધુ બેઠકો પર ચૂંટણી લડીને તેનો જનાધાર વિસ્તાર્યો છે, તે તેને મળેલા વોટશેર પરથી પુરવાર થાય છે. એક જ વરસમાં કૉંગ્રેસના વોટશેરમાં ૩.૪૮ ટકાનો વધારો થયો છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ તમામ હરીફ પક્ષોમાં વોટશેરના વધારામાં પ્રથમ છે. કૉંગ્રેસે રાજ્યમાં બે પ્રાદેશિક પક્ષો અને બી.જે.પી. પછીનું તેનું ચોથું સ્થાન બેઠકો અને મતોની ટકાવારીમાં જાળવી રાખ્યું છે. ૨૦૨૦ની ચૂંટણીમાં કૉંગ્રેસે ૭૦માંથી જે ૫૧ બેઠકો પર પરાજય મેળવ્યો છે, તે પૈકીની ૪૨ બેઠકો પર બીજું સ્થાન મેળવ્યું છે. એ રીતે પણ તેનો ચૂંટણીદેખાવ કૉગ્રેસમુક્ત બિહારનો કે દસાડા દફતરે નોંધી દેવાય તેવા પક્ષનો નથી.

ડાબેરી ઉભાર : સંસદીય રાજનીતિમાં ડાબેરીઓનાં વળતાં પાણીના માહોલમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમનો વિજય તેઓ હજુ લુપ્ત થઈ ગયા ન હોવાની ગવાહીરૂપ છે. બિહાર વિધાનસભાની ૨૦૨૦ની ચૂંટણીમાં ત્રણ મુખ્ય સામ્યવાદી પક્ષોએ આર.જે.ડી. અને કૉંગ્રેસના મહાગઠબંધનમાં સામેલ થઈ સોળ બેઠકો જીતી છે.

૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે સામ્યવાદી પક્ષો, સી.પી.આઈ. અને સી.પી.આઈ.(એમ.)ને એક પણ બેઠક મળી નહોતી. જ્યારે ‘માલે’ તરીકે જાણીતા ઉગ્ર ડાબેરી પક્ષ સી.પી.આઈ. (એમ.એલ.)(એલ.)ને ૩ બેઠકો મળી હતી. ૨૦૨૦માં આ ત્રણેય સામ્યવાદી પક્ષો ચૂંટણીજોડાણ કરીને ૨૪૩ બેઠકોના ગ્રૃહમાં ૨૯ બેઠકો પર ચૂંટણી લડ્યા હતા. માલેએ ૧૯, સી.પી.આઈ.એ ૬ અને સી.પી.આઈ.એમે. ૪ બેઠકો પર મહાગઠબંધનના ભાગ રૂપે ઉમેદવારી કરી હતી. માલેનો ૧૨ અને બાકીના બે સામ્યવાદી પક્ષોનો બે-બે બેઠકો પર વિજય થયો છે. ૭ બેઠકો પર ‘માલે’ના, ૩ પર સી.પી.આઈ.ના અને ૧ પર સી.પી.આઈ.(એમ.)ના ઉમેદવાર બીજા નંબરે છે. બે જૂના સામ્યવાદી પક્ષો માટે આ વિજય સંજીવની કે પુનરુત્થાન જેવો છે તો ‘માલે’ માટે તે મોટી છલાંગ કે નવઉભાર છે.

‘ન શિક્ષા-રોજગાર, ન ભૂમિસુધાર, બદલો સરકાર, બદલો બિહાર’ના નારા સાથે ચૂંટણી લડેલા ડાબેરીઓ ભલે સરકાર બદલી નથી શક્યા, પણ એન.ડી.એ. ગઠબંધનને સત્તા સુધી પહોંચવું અઘરું જરૂર બનાવી દીધું હતું. માલેએ આ ચૂંટણીમાં બી.જે.પી. પછીના ક્રમનો વિજયઆંક ૬૩.૧% મેળવ્યો, તે સફળતા નોંધપાત્ર છે. સૌથી વધુ મતે જીતેલા પાંચ ઉમેદવારોમાં માલેના બે છે, તો ૧૦૦૦ કરતાં ઓછા મતે હારનારા ૧૦ ઉમેદવારોમાં પણ બે ડાબેરી પક્ષોના છે. એ રીતે પણ ૨૦૨૦ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરીઓનો દેખાવ શાનદાર રહ્યો છે

ચોક્કસ રાજકીય વિચારધારાને વરેલા ડાબેરી પક્ષોના બિહારમાં ચૂંટણીજોડાણો તકવાદ તો નથીને એવો સવાલ થવો સહજ છે. બિહારના બંને પ્રાદેશિક પક્ષો અને કૉંગ્રેસ સાથે ડાબેરીઓ અગાઉ ચૂંટણી-સમજૂતીઓ કરી ચૂક્યા છે. ડાબેરીઓની મુખ્ય ઓળખ તો તેમની આર્થિક-રાજકીય વિચારધારા છે, ત્યારે તેમના કરતાં સાવ સામા છેડાની વિચારધારાના પક્ષો સાથેના તેમના ચૂંટણીજોડાણને સમજવું અઘરું છે. શું ડાબેરીઓ બદલાઈ રહ્યા છે કે તેમણે બદલાવું જોઈએ ? તેવો પણ સવાલ કરી શકાય. અપારદર્શી અને સિદ્ધાંતહીન ગઠબંધનો કદાચ થોડી વધુ બેઠકો મેળવી આપે પણ જે વિચારધારાને તેઓ વરેલા છે તેનું શું ? જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વ-પ્રમુખ સંદીપ સૌરભ ‘માલે’ના ઉમેદવાર તરીકે આર.જે.ડી.ના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનના ઉમેદવાર તરીકે આ વખતે ચૂંટાયા છે, ત્યારે આર.જે.ડી.ના નેતા શહાબુદ્દીન જે.એન.યુ. સ્ટુડન્ટ યુનિયનના પૂર્વપ્રમુખ અને માલે નેતા ચન્દ્રશેખર ઉર્ફે ચંદુની હત્યાના આરોપી છે તે ભૂલી શકાશે ? બિહારમાં ડાબેરીઓનો ઉભાર માત્ર બેઠક વધારો ન બની રહેતાં નવું નેતૃત્વ અને નવા લોકતાંત્રિક સમાજવાદી કાર્યક્રમોનું ટાણું પણ બનવો જોઈએ. ડાબેરી નેતાઓએ આ ચૂંટણીને જનાંદોલન બનાવ્યું હતું. હવે તેને ગંભીર વૈચારિક આયામ આપી આમ આદમીના સવાલોને વાચા આપતા સામાજિક-રાજકીય આંદોલનમાં બદલવાની  જરૂર છે.

અનામત બેઠકો પર હારજીત : ૨૪૩ બેઠકોની બિહાર વિધાનસભામાં અનુસૂચિત જાતિ(દલિત)ની ૩૬ અને અનુસૂચિત જનજાતિ(આદિવાસી)ની ૨ એમ કુલ ૩૮ બેઠકો અનામત છે. મુખ્ય રાજકીય પક્ષો પૈકી બી.જે.પી. અને આર.જે.ડી.એ એક-એક આદિવાસી અનામત બેઠક પર વિજય મેળવ્યો છે. દલિત અનામત બેઠકોમાંથી સૌથી વધુ ૯ બેઠકો પર બી.જે.પી.ના ઉમેદવારો વિજયી થયા છે. જે.ડી.યુ.ને ૮, આર.જે.ડી.ને ૭, કૉંગ્રેસને ૪,.માલે અને હમને ૩-૩ તથા વી.આઈ.પી. અને સી.પી.આઈ.ને ૧-૧ બેઠકો મળી છે. ૩૮ અનામત બેઠકોમાંથી એન.ડી.એ.ને કુલ ૨૨  અને મહાગઠબંધનને ૧૬ બેઠકો મળી છે. દલિતોની બે અન્ય પાર્ટી પાસવાનની લો.જ.પા. અને માયાવતીની બ.સ.પા.ને એક પણ બેઠક મળી નથી. ચન્દ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી અને બહુજનમુક્તિ પાર્ટીને બહુ નગણ્ય વોટ મળ્યા છે.

બિહારની કુલ વસ્તીમાં દલિતોનું પ્રમાણ ૧૮.૫ % છે. પહેલાં કૉંગ્રેસ અને પછી લાલુની તે વોટબેંક મનાતા હતા. નીતિશ કુમારે મહાદલિતકાર્ડ ખેલી બિહારની ૨૨ પેટા જાતિમાંથી પાસવાનોને બાકાત રાખી બાકીની દલિત પેટાજાતિઓને પોતાના તરફ આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. મહાદલિત મુસહર જ્ઞાતિના જીતનરામ માંઝીને મુખ્ય પ્રધાનની ગાદીએ પણ થોડો સમય બેસાડ્યા હતા. જો કે દલિત અનામત બેઠકો પર એન ડી એ ની બહુમતી મહાદલિત મતને કારણે છે કે અન્ય જ્ઞાતિઓના કારણે તે તપાસવું રહ્યું.

મુસ્લિમ મત અને ઓવૈસી : બિહારની આ વખતની ચૂંટણીનું નોંધપાત્ર પાસું રાજ્યની ૧૮ ટકા જેટલી વસ્તી અને ૪૭ બેઠકો પર પ્રભુત્વ ધરાવતા મુસ્લિમોનું વલણ છે. સત્તાધારી ગઠબંધનના ચાર પક્ષોમાંથી માત્ર નીતિશ કુમારની પાર્ટીએ જ ૧૧ મુસ્લિમ ઉમેદવારો ઉતાર્યા હતા. તે તમામ હારી જતાં બિહારના મંત્રીમંડળમાં મંત્રી અને સત્તાધારી ગઠબંધનમાં એક પણ ધારાસભ્ય મુસ્લિમ નથી!

૨૦૧૫ની બિહાર વિધાનસભામાં ૨૪ મુસ્લિમ ધારાસભ્યો હતા, જેમાં આર.જે.ડી.ના ૧૧ અને જે.ડી.યુ.ના ૫ હતા. વર્તમાન વિધાનસભામાં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા ૨૪થી ઘટીને ૧૯ થઈ છે. તેમાં સૌથી વધુ આર.જે.ડી.ના ૮, ઓવૈસીના પક્ષના ૫, કૉંગ્રેસના ૪ અને માલે અને બ.સ.પા.ના એક-એક છે. મહાગઠબંધનમાં ૧૩ મુસ્લિમ ધારાસભ્યો છે અને સત્તાપક્ષ પાસે એકેય નથી. હૈદરાબાદની મુસ્લિમ પાર્ટી ગણાતી એ.આઈ.એમ.આઈ.એમે. કિસનગંજ અને પૂર્ણિયા જિલ્લાની બે-બે અને અરરિયાની એક બેઠક જીતી છે. જો કે તેણે જીતેલી પાંચ બેઠકોમાંથી એક જ બેઠક પર મહાગઠબંધનના ઉમેદવાર હાર્યા છે, જ્યારે અન્ય ચારમાં બે જે.ડી.યુ.ના, એક બી.જે.પી.ના અને એક વી.આઈ.પી.ના ઉમેદવાર છે. હારેલા પાંચમાં ૩ મુસ્લિમ અને ૨ હિંદુ ઉમેદવારો છે. ઓવૈસીના પક્ષના બાકીની બેઠકો પરના મુસ્લિમ ઉમેદવારોને સરેરાશ નવેક હજાર જ મત મળ્યા છે, એટલે મહાગઠબંધનના પરાજયમાં ઓવૈસીની પાર્ટીનો બિહારઉદય કારણભૂત નથી.

કૉંગ્રેસ અને રા.જ.દ.નું મુસ્લિમો પ્રત્યેનું વલણ બદલાઈને પોતાના નેતા અને પોતાના પક્ષ તરીકે ઓવૈસી તરફ ઢળી રહ્યું છે, એમ માનનારે એ હકીકત પણ નોંધવી રહી કે ૭૬ % મુસ્લિમોએ મહાગઠબંધનને અને ૧૧% એ જ ઓવૈસીને મત આપ્યા છે. નીતિશ કુમારનું બી.જે.પી. સાથે જોડાણ અને નાગરિકતાકાનૂન અને  મુસ્લિમોને અસરકર્તા અન્ય મુદ્દાઓ વિષે મૌન કે બી.જે.પી.નું સમર્થન પણ મુસ્લિમોની તેમના પ્રત્યેની નારાજગીનું કારણ છે. નીતિશ કુમારે ન્યૂ કાસ્ટ એલાઇનમેન્ટમાં મહાદલિત અને મહાપછાતની જેમ પસમાંદા કહેતાં દલિત મુસલમાનોનું  રાજકારણ પણ  બિહારમાં ખેલ્યું છે. બિહારની મુસ્લિમ આબાદીમાં ૮૫% દલિત મુસલમાનો છે, પણ તેમની રાજકીય ભાગીદારી ન હોય તે પણ નારાજગીનું કારણ હોઈ શકે છે.

સ્ત્રીમતદારોનું વલણ : વડા પ્રધાને બિહારની જીતનું શ્રેય મહિલામતદારોને આપ્યું છે. નીતિશ કુમારે દારૂબંધી લાદી એ પણ સ્ત્રીમતદારોના એન.ડી.એ. તરફી વલણનું કારણ હોઈ શકે છે. બિહારમાં પુરુષને મતદાનની ટકાવારી ૫૪.૬૮%ના મુકાબલે મહિલા-મતદાન આશરે પાંચેક ટકા વધુ ૫૯.૫૮ % હતું, પરંતુ કુલ ઉમેદવારોમાં મહિલાઉમેદવારો માત્ર ૧૧% જ હતાં. ગત વિધાનસભામાં ૨૮ મહિલા ધારાસભ્યો હતાં. પણ હાલમાં ૨૬ જ જીત્યાં છે.એટલે મહિલામતદાનની ટકાવારીનો વધારો ઉમેદવારોના વધારામાં કે મહિલા ધારાસભ્યોના વધારામાં પરિણમતો નથી. સી એસ ડી એસ -લોકનીતિનું પોસ્ટપોલ સર્વેક્ષણ કેટલીક અતિ પછાત અને મહાદલિત મહિલાઓએ નીતિશનું સમર્થન કર્યાનું જણાવે છે. તો ૮૨% યાદવ અને ૭૪ % મુસ્લિમ મહિલાઓએ મહાગઠબંધનનું સમર્થન કર્યાનું તારણ છે, તે દર્શાવે છે કે મહિલાઓ પણ ધર્મ, જ્ઞાતિ, કોમથી ઉપર ઊઠીને મતદાન કરતી નથી.

બિહારની ચૂંટણીમાં જ્ઞાતિનું તત્ત્વ : દેશનાં અન્ય રાજ્યોની જેમ બિહારની ચૂંટણીમાં પણ જ્ઞાતિનું પ્રભુત્વ રહે છે. કર્પુરી ઠાકુરના જમાનાથી શરૂ થયેલા બિહારની રાજનીતિમાં પછાતવર્ગના પ્રભુત્વને લાલુ પ્રસાદે યાદવીકરણ સુધી પહોંચાડ્યું છે. બિહારના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા કથિત ઉચ્ચ વર્ણો રાજ્યમાં ભા.જ.પ. મજબૂત થતાં પુનઃ સત્તાના કેન્દ્રમાં આવી રહ્યાના સંકેતો આ વખતનાં ચૂંટણી-પરિણામોથી મળે છે. ગઈ વિધાનસભામાં કથિત ઉચ્ચ વર્ણના ધારાસભ્યો ૫૨ હતા, જે આ વખતે વધીને ૬૪ થયા છે, જેમાં સૌથી વધુ એન.ડી.એ.ના ૪૭ અને વિપક્ષના ૧૭ છે. ભા.જ.પ.ના ૭૪ ધારાસભ્યોમાં ૩૫, જ.દ.યૂ.ના ૪૩માં ૯, વી.આઈ.પી.ના ૪માં ૨, ‘હમ’ના ૪માં ૧ ઉચ્ચ વર્ણના છે. વિપક્ષ મહાગઠબંધનના ૧૭ ઉચ્ચ વર્ણના ધારાસભ્યોમાં આર.જે.ડી.ના ૭૫માં ૮, કૉંગ્રેસના ૧૯માં ૮ અને સી.પી.આઈ.ના ૨માં ૧ છે. ‘માલે’એ એક પણ ઉચ્ચ વર્ણની વ્યક્તિને ઉમેદવારી કરાવી નહોતી.

હાલની બિહાર વિધાનસભામાં યાદવો ૫૫, વૈશ્ય ૨૨, રાજપૂત ૧૮, ભૂમિહાર ૧૭, બ્રાહ્મણ ૧૨, કુર્મી ૧૦ અને કાયસ્થ ૩ છે. નીતિશ કુમારના પ્રધાનમંડળમાં ૪ ઉચ્ચ વર્ણ, ૪ પછાત, ૩ અતિ પછાત, ૨ મહાદલિત અને ૧  દલિત છે. ૮૦% કુર્મી મતદારોએ નીતિશ કુમારનું સમર્થન કર્યું છે. એ જ રીતે યાદવ મતદારોએ તેજસ્વીનું સમર્થન કર્યું છે, તો બી.જે.પી.ના સમર્થનમાં મુખ્યત્વે  બ્રાહ્મણ, રાજપૂત, ભૂમિહાર, કાયસ્થ અને વાણિયા રહ્યા છે.નીતિશ મંત્રીમંડળમાં બી.જે.પી. ક્વૉટાના ૭ મંત્રીઓમાં ૪ ઉચ્ચ વર્ણના (બ્રાહ્મણ, ભૂમિહાર, વૈશ્ય અને રાજપૂત) હોવા તેનું પ્રમાણ છે. દલિતો-આદિવાસીઓને તેમની અનામત બેઠકો સિવાયની કોઈ બેઠકો પર પ્રતિનિધિત્વ નથી. આમ, બિહારની ચૂંટણીમાં દેશની જ્ઞાતિવ્યવસ્થાનું બરાબર પ્રતિબિંબ જોવા મળે છે.

અંતે – ‘ચૂંટણીઆસક્ત’ યોગેન્દ્ર યાદવને બિહારનાં ચૂંટણી-પરિણામોમાં સમગ્ર ભારતના મતદારોનો અવાજ જોવા મળતો નથી, તે સાચું જ છે.  વર્તમાન કોરોનાકાળની સમસ્યાઓનું કોઈ પ્રતિબિંબ પણ બિહારના જનાદેશમાં જોવા ન મળ્યાનું સ્વીકારીને બિહારનો જનાદેશ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા હવે એટલી પ્રચંડ રહી નથી, નીતિશ કુમારની સત્તાવાપસી ફિક્કી છે અને તેજસ્વીના નેતૃત્વમાં મહાગઠબંધનની હાર પણ દમદાર છે, એટલા માટે પણ યાદ રહેશે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 04-07

Loading

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર|Gandhiana|16 December 2020

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષ' લાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથ' બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો – ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથ' ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબુક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો. ક. ગાં. કરતાં વ. ઝ. પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભ' સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " … આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજે કશે મળતું નથી …" (પૃ. : ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનું, દાતણ કૂટવાનું, સોડા બનાવવાનું … વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડા' નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  … વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ.ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન'(૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " … મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! … " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ :

Erikson, Erik (1970). Gandhi's Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહેલી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો) (પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

……………………………………………………………………………………………………………..

Email-id: ashwinkumar.phd@gmail.com

Blog-name:  અશ્વિનિયત / Ashwiniyat

Blog-link: http://https://ashwinningstroke.blogspot.com  

Loading

Political Ideology of BJP: Pragya Singh Thakur

Ram Puniyani|English Bazaar Patrika - OPED|15 December 2020

Pragya Singh Thakur is no ordinary member of BJP, the ruling dispensation in the country. She is a MP from Bhopal and was also made the member of defense committee before she was removed from that committee for her statement hailing Nathuram Godse. She first came to lime light after the Malegaon blasts, in which six people were killed. Hemant Karkare, the police officer who was killed in 26/11 (2008) attack was investigating the case and he came across the fact that the motor cycle used in Malegaon blast was previously owned by Thakur. That led to her arrest and unearthing of the plot in which many were arrested. She is currently under bail on medical grounds.

Then she came to prominence as she stated that Karkare had tortured her and it is due to her shap (curse) that Karkare got killed. Under pressure from top, she withdrew this statement. After this she went to state that Nathuram Godse was a nationalist, is a nationalist and will remain a nationalist. Again she was pressurized to withdraw this statement, and Mr. Modi even said he will not be able to forgive Thakur.

Latest in the series of her statement come the one about Varna system. On one hand she stated (on 13 12 2020) that “shudras “feel bad” when they are called shudras due to “ignorance” about the social system. Addressing a gathering of the Kshatriya Mahasabha, Thakur said that society has been divided into four categories in “our dharmashastra (social treatise)”. In the same vein she commented that “Today’s kshatriya  need to understand their duties and produce more and more children to induct them into the Armed Forces so that they can fight for the nation and strengthen its security.”

It is likely that she may be pressurized once again to withdraw these utterances of hers’, but it is not just incidental that what she says is the part of deeper understanding of sectarian nationalists. Despite the meticulous investigation of Karkare, what is being propagated currently that it was the UPA II which wanted to implicate Hindu right wings groups. Two of RSS workers have been in jail for the blasts around that time. Many of those against whom cases were going on, were given bail or exonerated. The reason for this has been that the prosecuting authorities have been told to go soft on these cases. Rohini Salian the Public Prosecutor (PP) in Mumbai court stated this and she refused to budge. Thereby she was removed as PP.

As far statement about Godse is concerned they are so many from the cabal of Thakur who have been openly celebrating Godse, temples in his name are coming up. Even that act of assassination of Gandhi was recreated by Poonam Pandey of Hindu Mahasabha on 30th January 2019.

Caste Varna has been the thorn in the flesh of this sectarian nationalist ideology. While Ambedkar burnt Mausmriti for its prescriptions of Varna and Gender hierarchy, the second Sarsanghchalak of RSS, M.S. Golwalkar praised the laws of Lord Manu and stated that these ancient laws are matter of admiration even today. RSS mouthpiece Organizer criticized the Indian Constitution on the ground that it does not draw from the great laws given in Manu Smiriti and many from Hindu nationalist argued that India does not need a new Constitution as it already has the one, Mausmriti.

The dilemma for this sectarian ideology is to keep talking in the language which should appear to fit into the contemporary times, to keep giving lip service to the Indian Constitution, while doing everything to undermine it in practice. While demonizing Muslims has been the starting point of consolidating Hindus and mobilizing them but keeping dalits in subjugation as a strategy has been more complex.

Ambedkar aimed at caste annihilation, the ideology of Hindu nationalism has floated ‘Samajik Samrasta Manch’ (Social Harmony Forum). The projection here is that in ancient times all castes were equal and living in harmony. It was due to coming of Muslims, who wanted to convert and as natives offered resistance, were displaced leading to castes becoming unequal. Mr. Modi in his book, Karmayog, since withdrawn, tells us that Manual scavengers are not doing so just for the sake of livelihood but for the spiritual pleasure which they derive from that. The process of social engineering, in co-opting the sections of dalits into Hindutva political fold has been very deep, and dalit-Adivasis have even been used as foot soldiers of Hindu nationalist politics.

BJP has also succeeded in incorporating many dalit leaders by luring them with power. What Pragya Singh Thakur says is not out of the sync with what the ruling dispensation and RSS plan. It is a question what to say and what to mean. Closest analogy may be that of Elephant’s teeth, what is seen, shown and what is visible is different from the real one. The biggest challenge for this ideological organization is to take the name of Gandhi while keeping Godse alive in their ideology. Keeping caste-Varna system alive, while mouthing equality, is their aim.

As far as Khstriyas producing more children, it is being heard for the first time in a loud and clear manner. So far different RSS Chiefs have opposed family planning programs on the ground that Muslims don’t follow it, Hindus follow it so the Muslim population will go up. Most of these celibate propagators so far have been advising Hindu women to produce more children. Thakur is bringing forth the Varna, among Hindus and saying that Khstriyas (Warrior group) should produce more children. This is novel. Whether this will also be followed by the recruitment policies of the armed forces will become clear over a period of time.

It is the ilk of Thakur which shows us the deeper agenda of sectarianism, it is not only marginalizing of minorities, it is also aims at putting up the show of Hindu unity, while retaining the caste/Varna hierarchy.

Loading

...102030...2,1212,1222,1232,124...2,1302,1402,150...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved