Opinion Magazine
Number of visits: 9573420
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચોથે નોરતે પ્રાર્થના :


સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 October 2020

ચોથાં નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

માડી, તને તો આ દેશ આદ્યશક્તિ, જગતજનની, ભગવતી, વિશ્વંભરી  અખિલ વિશ્વ જનેતા જેવા ધન્ય શબ્દોથી નવાજે છે.

પણ તારા સ્વરૂપે અરધી લોકસંખ્યામાં વ્યાપેલી મહિલાઓ માટે કેવા શબ્દો સહજ રીતે  વપરાય છે ! – ‘બૈરું, ‘બૈરાં’ અને ‘બાયડી’, અબળા …

દેહવ્યવસાય, વૈધવ્ય  અને પ્રાણીઓ  સાથે સંકળાયેલા  શબ્દો પણ ખરા ! અને ગાળો તો લગભગ દુનિયાભરમાં સ્ત્રીકેન્દ્રી જ હશે !

‘તમે તો બૈરાં’, ‘બૈરાંનાં કામ’, ‘બાયડીઓને નો ફાવે’ એવું ય બહુ કાને પડે. ‘બોડી બામણીનું ખેતર’, ‘રાંડ્યાં પછીનું ડહાપણ’, ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ’ જેવી કહેવતોની યાદી થઈ શકે.

હે મા, તને એવી પ્રાર્થના કે બધા માટેની અમારી ભાષા બધાં માટે નરવી થાઓ : ખાસ તો વંચિતો અને મહિલાઓ તરફની અમારી ભાષા ! 

20-10-2020

Loading

રાજકીય રીતે પ્રભાવશાળી નેતાનો વાસ્તવિક વારસો

અતુલ ચૌરસિયા|Opinion - Opinion|21 October 2020

ભારતમાં મૃત વ્યક્તિનાં ગુણગાન જ ગાવાની પરંપરા છે. તે પણ જાતિ આધારે નક્કી થાય છે. જો મૃત રાજકીય નેતા બિનદલિત અને તેમાં ય બ્રાહ્મણ હોય તો તેના વખાણ અને તેમની સ્મૃતિમાં વ્યક્ત થતી ભાવનાઓમાં ઘણી અતિશયોક્તિ કરાય છે. અગર જો નેતા સામાજિક રીતે નીચલા વર્ણનો હોય તો તેની મજાક ઉડાવાય છે. તાજેતરમાં અવસાન પામેલા રામવિલાસ પાસવાન રાજકીય હવામાનવિજ્ઞાની હોવાની વાત આ દિવસોમાં તેમની સ્મૃતિમાં સતત કહેવાતી રહી છે.

જાહેરજીવનમાં પાંચ દાયકા વિતાવનાર એક રાષ્ટ્રીય સ્તરના નેતાની ઉપલબ્ધિઓ શું આવા નાના માપદંડથી નક્કી કરી શકાય? હું તે સ્વીકારતો નથી. રામવિલાસ પાસવાનના સુદીર્ઘ રાજકીય જીવનને આવા એક જ માપદંડથી મૂલવવું ન જોઈએ. હું કદી રામવિલાસ પાસવાનને મળ્યો નથી કે અમારી વચ્ચે કોઈ સામાન્ય પરિચય પણ કદી થયો નથી. તેમ છતાં હું તેમની રાજકીય નીતિરીતિ અને વાણીવર્તનને કેન્દ્રમાં  રાખીને આ લખું છું. આ ના તો કોઈ કથિત સ્મરણ લેખ છે કે ના તો અંજલિ.

આ લેખ કોઈ મૃત વ્યક્તિના ગુણગાનની પ્રચલિત પરંપરાથી મુક્ત છે. કેમ કે જાહેરજીવનમાં આટલો લાંબો સમય ગાળનાર નેતાનું જીવન પૂર્ણપણે સારું કે પૂર્ણેપણે ખરાબ ન જ હોઈ શકે. તેમનાં કામો, નેતાનાં કાર્યો અને તેમની રાજનીતિએ ક્યા પ્રકારના સમાજને અને કયા પ્રકારની રાજનીતિને આકાર આપ્યો છે. શું તેમની રાજનીતિ સમરસ સમાજની નીતિ હતી કે વિભાજનકારી – આ પ્રકારની તમામ બાબતોથી કોઈ નેતાનું વ્યક્તિત્વ અને વારસો રચાય છે.

રામવિલાસ પાસવાન (૧૯૪૬-૨૦૨૦)

એક નેતા પોતાની પાછળ જે રાજકીય કે વૈચારિક વારસો મૂકી જાય છે, તે તેના મૂલ્યાંકન માટેની સૌથી વધુ મહત્ત્વની બાબત છે. ઉદારીકરણ પછીના ભારતના લગભગ બધા જ દિલ્હી દરબારમાં રામવિલાસ પાસવાન મોજુદ હતા. કૉંગ્રેસની મધ્યમમાર્ગી સરકાર હોય, ડાબેરી સંયુક્ત મોરચા સરકાર હોય કે જમણેરી ભા.જ.પ. સરકાર હોય — લગભગ બધી જ સરકારોનો તેઓ હિસ્સો રહ્યા છે. નરસિંહરાવ અને યુ.પી.એ.-૨ સિવાયની ૧૯૮૯ની વી.પી. સિંઘ સરકાર પછીની દેશની લગભગ તમામ સરકારોમાં તેઓ મંત્રી હતા. આ હકીકત રામવિલાસ પાસવાન રાજનીતિમાં કઈ વિચારધારાને વરેલા હતા તે  સવાલનો જવાબ આપી દે છે.

મૂળત: સમાજવાદી વિચારધારાથી રાજનીતિનો આરંભ કરનાર પાસવાને જીવનના અંતિમ અડધા હિસ્સામાં વૈચારિક રાજનીતિને તિલાંજલિ આપી દીધી હતી. જો તેમની રાજનીતિને વૈચારિક રાજનીતિના કાટલે તોલવામાં આવે તો તેમા માત્ર પ્રબળ તકવાદ અને પરિવારવાદ જોવા મળે છે. પાસવાન સૌની સાથે રહીને પોતાના પરિવારનો વિકાસ કરતા રહ્યા હતા.

પાસવાન દલિત નેતા તરીકે ઉભર્યા હતા. આ તેમની એક માત્ર મોટી રાજકીય ઓળખ હતી.  બિહારના હાજીપુર મતવિસ્તારમાંથી દેશમાં સૌથી વધુ મતે લોકસભા ચૂંટણી જીતવાનો વિક્રમ તેમના નામે બોલે છે. પોતાના મતવિસ્તારમાંથી તે સતત જીતતા રહ્યા હતા, પરંતુ જે દલિત ઓળખ સાથે તેમની રાજકીય ઓળખ જોડાયેલી હતી, તેને પણ તેઓ કોઈ ખાસ લક્ષ્ય સુધી લઈ જઈ શક્યા, તેમ કહી શકાતું નથી.

દલિત કે પછાતોની રાજનીતિમાં તેમનું કદી કર્પુરી ઠાકુર કે કાંશીરામ જેવું સ્થાન રહ્યું નથી. ઉત્તર પ્રદેશમાં દલિત-પછાત રાજનીતિના બે મોટા નેતાઓ તરીકે મુલાયમસિંઘ અને માયાવતી ઉભર્યાં. એ રીતે બિહારની રાજનીતિમાં લાલુ-નીતિશ જેવા સમકક્ષોની તુલનામાં પાસવાન ક્યારે ય ઉત્તર પ્રદેશની રાજનીતિમાં માયાવતીના દલિતનેતા તરીકેના ઉભાર જેવો બિહારની રાજનીતિનો દલિત ચહેરો બની શક્યા નહીં. આ પાસવાનની રાજનીતિની મોટી મર્યાદા હતી.

પાસવાન કદી બિહારના મુખ્યમંત્રી ના બન્યા. પોતાની આ મર્યાદા સમય રહેતાં પાસવાન સારી રીતે સમજી ગયા હતા. નીતિશકુમાર અને લાલુપ્રસાદ યાદવની વચ્ચે તેમની રાજનીતિ અટકી ગઈ હતી. એટલે તેમણે પોતાનો રાજકીય તંબુ પટણામાં નહીં, પણ દિલ્હીમાં તાણ્યો હતો. દિલ્હીની રાજનીતિમાં સોદા માટે જરૂરી રાજનીતિક મૂડી તેમની પાસે પર્યાપ્ત માત્રામાં હતી. તેમની પાસે પોતાનો રાજકીય પક્ષ લોક જનશક્તિ પાર્ટી હતો. અને તેમણે વિક્રમી તફાવતથી જીતેલી હાજીપુર લોકસભા સીટ હતી. 

પરંતુ પાસવાનમાં આ રાજકીય મૂડીને વ્યાપક ફલક પર લઈ જાય તેવાં વિઝન અને રાજકીય ઇચ્છાશક્તિ નહોતાં. તેમનામાં કાંશીરામમાં જેવી સંગઠન ક્ષમતા અને માયાવતી જેવી કડક વહીવટી યોગ્યતાનો પણ અભાવ હતો. ઉત્તર પ્રદેશની સરખામણીએ બિહારમાં વૈકલ્પિક દલિત રાજનીતિની સંભાવનાઓ ઘણી વધારે હતી. પરંતુ પાસવાનની આ મર્યાદાઓને કારણે અનુકૂળ સ્થિતિ – સંજોગો, છતાં લોક જનશક્તિ પાર્ટી બીજા તમામ પ્રાદેશિક પક્ષોની જેમ પાસવાન કુટુંબની પ્રાઇવેટ લિમિટેડ કંપની જ બની શકી. તેમના પુત્ર ચિરાગ પાસવાન હાલ તો પાર્ટીના પ્રમુખ છે અને બિહાર વિધાનસભાની વર્તમાન ચૂંટણીમાં તેમની રાજનીતિક કુશળતાની કસોટી થવી હજુ બાકી છે.

એક સમયે પોતાના બે ભાઈઓને સાંસદ કે ધારાસભ્ય બનાવવાની ચિંતા પાસવાનની રાજનીતિનું કેન્દ્ર હતી. તે પછી દીકરા ચિરાગ પાસવાનની ફિલ્મી કારકિર્દી સ્થગિત થઈ ગઈ, તો તેને રાજનીતિમાં સ્થાપિત કરવાની ચિંતા પ્રબળ બની ગઈ. જમાઈ અને વેવાઈને રાજકારણમાં ઊતારવાની પણ તેમની ચિંતા કંઈ ઓછી નહોતી. પરિવારની બહારના સમાજના કોઈ નેતાને તેમણે આગળ ન કર્યા. પાર્ટીની કોઈ બીજી હરોળ ઊભી ન થઈ શકી અને પાર્ટીનો પ્રભાવ પણ મર્યાદિત જ રહ્યો.

આ દૃષ્ટિએ પાસવાનની દલિત રાજનીતિનું ફલક બહુ સીમિત હતું. તે એક સીમાની આગળ ન વધી શક્યું. તેનું કારણ બિહારની રાજકીય સ્થિતિ પણ છે. ઉત્તર પ્રદેશની તુલનાએ આપણે જો બિહારની લાલુ યાદવ – નીતિશ કુમારની રાજનીતિને જોઈએ તો તેમાં ઘણી હદે પછાતો – દલિતોની સાથે મહાદલિતોને પણ મહત્ત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. મહાદલિતો લાલુપ્રસાદ-નીતિશની રાજનીતિનું મહત્ત્વનું અંગ છે. તેને કારણે પણ પાસવાનની રાજનીતિ વધુ દલિતકેન્દ્રી ન રહી.

એક કૅબિનેટ મંત્રી અને વહીવટકાર તરીકે પાસવાન કેવા હતા? દીર્ઘકાળ સુધી મંત્રી રહેલા પાસવાને સામાન્ય માણસની જિંદગી પર વ્યાપક અસર પડે તેવાં કોઈ નીતિવિષયક કામો કર્યાં છે? બે બાબતોનો ઉલ્લેખ કરવા જેવો છે. ૨૦૦૪થી ૨૦૦૯ દરમિયાન તેઓ કેન્દ્રમાં રસાયણ અને ખાતર મંત્રી હતા ત્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં અનામત નીતિ હોવી જોઈએ, તેવી ચર્ચા ઊભી કરી હતી. જો કે તેઓ તેને ચર્ચાથી આગળ લઈ જઈ શક્યા નહીં. અને થોડા સમય પછી તે ચર્ચા સમાપ્ત થઈ ગઈ. જો આ દિશામાં પાસવાન કંઈ કરી શક્યા હોત તો તેમનું નામ ઇતિહાસમાં નોંધાયું હોત. આ જ સમયે તેમણે જીવનરક્ષક દવાઓની કિંમતોની સીમા નક્કી કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ તેમાં પણ કંઈ ખાસ કરી શક્યા નહીં.

આ તમામ પરિસ્થિતિ અને ઘટનાઓથી પાસવાનનું રાજકીય વ્યક્તિત્વ ઘડાયું છે. પાંચ દસકના લાંબા રાજકીય જીવનમાં તેમની ઉપલબ્ધિઓ હાંસિયામાં પણ સ્થાન પામે એટલી નથી એનું દુ:ખ છે. સામાજિક ન્યાયના મોટા ભાગના રાજકારણીઓ આ જ અભિશાપને વરેલા હોય છે.

(સૌજન્યઃ ન્યૂઝલૉન્ડ્રી-હિંદી, અનુવાદઃ ચંદુ મહેરિયા)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 05-06

Loading

કેવી છે આપણી આર્થિક સ્થિતિ? અને સરકાર શું કરી રહી છે?

કાર્તિકેય ભટ્ટ|Opinion - Opinion|21 October 2020

ફિલ્મઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વતરફી–વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં મદદ મળે! કોરોનાની મહામારીએ આપણી સ્થિતિ વિકટ બનાવી છે. સાથે સાથે દેશનાં સામાજિક આર્થિક માળખાંને નહીં સમજનારા આર્થિક સલાહકારો, સરકારી બાબુઓ પણ આ વિકટ સ્થિતિ માટે જવાબદાર બનવા લાગ્યા છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે સાવ સાદી બાબતો જે આપણને સમજાય છે, તે આ દેશના નીતિ નિર્ધારકો-સત્તાવાળાઓને નહીં સમજાતી હોય?

થોડા સમાચારો યાદ કરો. કોરોના કાળમાં દેશનું અર્થતંત્ર ખાડે ગયું, જી.ડી.પી. માઇનસ થઈ, કરોડો લોકોએ ધંધા-રોજગાર-આવક ગુમાવ્યાં, ત્યારે દેશના થોડાક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અબજો રૂપિયાનો વધારો થયો. સરકારે પહેલાં રૂપિયા વીસ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું અને સુપ્રિમ કોર્ટે લોનના હપ્તા ન ભરનારને વ્યાજ પરના વ્યાજ ચુકવવામાંથી મુક્તિ આપવાનું સુચવ્યું, તો આર.બી.આઇ.એ તેને બોજો વધારનારું ગણાવ્યું. આંતર-રાજ્ય સંસ્થાઓએ ભારતની જી.ડી.પી. ચાલુ વર્ષે ૧૦ ટકા માઇનસ થશે તેવો અંદાજ આપ્યો અને સાથે જ આવતા વર્ષે તે ૮ ટકા વધશે તેવું અનુમાન પણ આપ્યું છે. વળી સરકારે કરેલી છેલ્લી જાહેરાત મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દસ હજાર રૂપિયા એડવાન્સ તહેવારમાં વાપરવા માટે મળશે અને કર્મચારી તેને હજાર રૂપિયાના દસ હપ્તામાં પાછા ભરશે. વળી એલ.ટી.સી.ના સ્લેબ વધાર્યા છે અને વાપરવા માટે કેશ વાઉચર આપવામાં આવશે! આ તમામ સમાચારો ધ્યાનથી જુઓ તો એમાં દેખાય છે, દેશમાં વ્યાપ્ત આર્થિક અસમાનતા અને બીજું દેખાય છે એ કે આ અસમાનતા દિવસે ને દિવસે વધતી જવાની છે.

કોવિડ-૧૯ પછી સર્જાયેલી આર્થિક સ્થિતિ માટે સરકારે લીધેલાં મોટાં ભાગનાં પગલાંઓ ‘ઉછીના આપવા’ જેવાં છે. લોન હોય કે તહેવારમાં વાપરવાના એડવાન્સ, તમારે તે પાછા તો ભરવાના જ છે! બરાબર છે. સરકારે આર્થિક દયાદાન શા માટે કરવું જોઇએ? પણ લોનના આધારે અર્થતંત્રમાં રીકવરીની આશા રાખનારાએ વિચારવું જોઇએ કે અર્થતંત્રમાં રીકવરીની આશા હોય, નફાની અપેક્ષા હોય તો લોકો લોન લે કે લોકો લોન લે પછી રીકવરી આવે? સરકાર રૂપિયા વીસ લાખ કરોડ ઉછીના આપવા તૈયાર છે, પણ આ નિરાશામાં લોકો એ લેવા તૈયાર છે ખરા?

સરકાર કહે છે કે અત્યારે તમામ કર્મચારીને તહેવારમાં વાપરવા રૂપિયા દસ હજાર એડવાન્સ મળશે. પણ તેમણે દર મહિને રૂપિયા એક હજાર પાછા ભરવાના છે. મતલબ આ મહિને દસ વાપરો, પછી આખું વરસ દસ પાછા ભરો. તો કોઇ સમજાવો, ભાઈ, કે વરસના અંતે હિસાબમાં શું ફેર પડે! બીજું, સરકારની હાલની બન્ને જાહેરાત સરકારી અને તે પણ કેન્દ્રના કર્મચારીઓ માટે છે, જે હાલમાં દેશની કુલ રોજગારીનો નાનો હિસ્સો છે. એમની ખરીદશકિત ઑલરેડી સ્થિર છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં સૌથી સલામત અને સ્થિર આવક જો કોઇની રહી હોય તો તે છે સરકારનો પગારદાર વર્ગ! એને તો ઉપરથી લૉક ડાઉનમાં ખર્ચ બચ્યો છે.

હાલ દેશના સામાન્ય વર્ગની ખરીદશકિતમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પહેલાં ત્રણ-મહિના ધંધા રોજગાર બિલકુલ બંધ રહ્યા અને બીજા ત્રણ મહિનામાં તે અંશત: ચાલુ થયા. ખાનગી ક્ષેત્ર એક તો લોકોને પગાર ચૂકવતું નથી. એમાં તે લાંબો સમય બંધ રહ્યું. હવે અડધા પગાર સાથે અડધી નોકરીઓ શરૂ થઇ છે. દેશમાં શહેરી રોજગારીનો મોટો આધાર સેવાક્ષેત્ર-એમાં એન્ટરટેનમેન્ટ આજે પણ બંધ છે. એટલે લોકોની પાસે આવકો નથી. જે મોટા બિઝનેસ ગૃહોની આવકો અબજો રૂપિયા વધી છે, તે દર્શાવે છે કે લૉક ડાઉન અને તે પછીના સમયમાં ઑનલાઇન બિઝનેસ વધ્યો છે, શેરસટ્ટા વધ્યા છે, સોનામાં રોકાણ વધ્યું છે. મતલબ થોડા ધનિકોની આવક વધી છે. કરોડો ગરીબોએ આવક ગુમાવી છે.

દેશના મધ્યમ વર્ગની આવકો સ્થિર અને મર્યાદિત છે. લૉક ડાઉન ખૂલી ગયું એટલે ખર્ચા ખૂલી ગયા છે. શાળાની ફી, વીજળીનાં બિલ, પેટ્રોલ – ડીઝલના ઊંચા ભાવ અને જીવનજરૂરી ચીજોનો ફુગાવો … બધી આવક આમાં જ વપરાઇ જાય છે. ધ્યાનથી જુઓ તો સરકાર પ્રજાને રાહત પૅકેજમાં આપે છે એ શકયતા છે. ઘણી વાર તો કલ્પના છે. પણ ટોલ ટેક્સમાં, પેટ્રોલ ડિઝલના ભાવમાં, ટેક્સમાં લઇ લે છે તે હકીકત છે. હવે પ્રજા પાસે વાપરવા માટે કશું બચતું જ નથી! તો વાપરે શું?

માટે જ આપણે તો સરકારને એટલું જ કહીએ કે આપો નહીં તો કંઈ નહીં … વિવિધ ટેક્સ દ્વારા લઇ તો ના લો!

e.mail : bhattkartikey@yahoo.in

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 07-08

Loading

...102030...2,1192,1202,1212,122...2,1302,1402,150...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved