Opinion Magazine
Number of visits: 9574024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પાંચમા નોરતે પ્રાર્થના

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|22 October 2020

પાંચમા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

ગરબે રમતી નાર એ તો નોરતાનો જીવ કહેવાય.

પણ વર્ષમાં આ નવ દિવસ ગરબા રમવા સિવાય મહિલાઓ કંઈ રમતી હોય એવું મનમાં નથી આવતું, મા !

મેદાનો ક્રિકેટ રમતાં છોકરાઓથી ભરેલાં હોય છે. ક્રિકેટ રમતી છોકરીઓથી ભરેલાં મેદાનો તો જવા દો, પણ ઘણી છોકરીઓ જ્યાં એકદમ છૂટથી રમતી-કૂદતી હોય તેવી જગ્યાઓ માડી, કેટલી દેખાય છે  ?

રમવું તો મન અને શરીર બન્નેનાં આનંદ તેમ જ તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. પણ એ તો જાણે છોકરાઓ માટે જ ! મેદાની રમતોની હરીફાઈઓમાં ભાગ લેતી છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ય ઘણીએ ઓછી.

હે મા ! તમને એવી પ્રાર્થના કે અનેક દેશોમાં એવો માહોલ બને કે જ્યાં શેરી, રસ્તા, કૉમનપ્લૉટ કે મેદાનમાં પોતાની પસંદગી મુજબ મન મૂકીને રમવું એ પ્રવૃત્તિ, છોકરાઓ સાથે જેટલી સહજ રીતે જોડાયેલી છે, એટલી જ છોકરીઓ સાથે પણ જોડાયેલી હો !

21-10-2020

Loading

પીડા, ગુસ્સો અને નિઃસહાયતાનું મનમિશ્રણ

ગૌરાંગ જાની|Opinion - Opinion|22 October 2020

'ઓપિનિયન ઓનલાઇન'ના આ મંચે, લોકડાઉન દરમિયાન, સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની કોરોના-ડાયરી, કોરોના-લેખો અને કોરોના-કવિતા પ્રસંગોપાત મુકાતાં રહ્યાં છે. ગૌરાંગભાઈના શબ્દોમાં તેનું "સર્વાંગી સંપાદન" થઈને પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયું છે. પુસ્તકના સંપાદકને ટાંકીને કહીએ તો, "સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની આ ડાયરીઓ, લેખો અને કવિતાના વિષયોમાં વૈવિધ્ય ખાસ્સું છે. લોકડાઉનમાં વિવિધ વ્યવસાયી-મથામણ ને માઇગ્રન્ટ્સની અવદશા, ઘરમાં પૂરાઈ રહેવાનાં કારણે જન્મતી મનોવૈજ્ઞાનિક સમસ્યા ને મહામારી સંબંધિત વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્યમાં સામાજિક નિસબત ને આર્થિક અસમાનતાના કારણે શિક્ષણમાં સર્જાતી સમસ્યાઓ, લગ્નજીવનમાં સર્જાતી સમસ્યાઓથી લઈને વિધર્મી-વિ-દેશી લગ્નનાં કારણે તેમનાં સંતાનોને ઝેલવી પડતી મુસીબતો, માનસિક વિકલાંગોની મનોસ્થિતિ અને ચોક્કસ કોમ-જાતિને લઈને સંપૂર્ણ નરવા અંગોવાળાની ‘વિકલાંગદૃષ્ટિ’, … અને આ બધાંના યથાસંભવ ઉકેલરૂપે સરવાળે, સાંપ્રતકાળની સેવાના દાખલાથી લઈને બે સદી પહેલાંના પ્લેગ અને તેમાં લોકમાન્ય ટિળકની આજનાં કોઈ પણ નેતા માટે દાખલારૂપ ભૂમિકા જેવાં અનેક વરખ ખોલી આપે છે."

આ પુસ્તક સાથે પ્રકાશનમાં ય ઝંપલાવતા લેખકને અભિનંદન સાથે, પુસ્તકમાંથી તેમનું નિવેદન સાભાર ….

ભારતની રાજધાનીથી ફરમાન થયું – “ઘર પર હી રહીએ”, “દો ગજ કી દૂરી રખેં” અને રસ્તાઓ સૂના થઈ ગયા. મકાન ઘર બની ગયાં. પક્ષીઓનો કલરવ વાહનોનાં ઘોંઘાટ વિના સોળે કળાએ ખિલી ઊઠ્યો. વૃક્ષોનો છાંયો ખાલીખમ થઈ ગયો … પણ આ સૌની વચ્ચે, રોજ સવારે નવના ટકોરે ડોરબેલ રણકે. એ સિવાય ડોરબેલ પણ સૂનો થઈ ગયો હતો!

ઘરેઘરે ફરી કચરો વીણતી એ બહેનને પણ ઘરે કેમ નહીં રહેવાનું, એવો સ્વાભાવિક પ્રશ્ન થયો. એને પુછવાનું મન થતું, પણ ટી.વી.ના પડદે અને અખબારનાં પાને ‘સામાજિક અંતર’ની સલાહે, પૂછતાં પંડિત થવાય વાળી એ કહેવતનો સાર વિસારે પાડી દીધો. પણ હા, સામાજિક અંતરની સમાજશાસ્ત્રીય મથામણ શરૂ થઈ ચૂકી હતી.

ક્યાં કરું આ ‘મન કી બાત’? સમાજશાસ્ત્રના વર્ગોમાં તો ખૂબ બોલ્યો વિદ્યાર્થીઓ સંગ, પણ હવે તો એ પણ આસપાસ નથી નિવૃત્તિના સંગે. તો શું કરું? લખી નાખું બધું. હા, લખવા જ માંડું. … અને મારી આંગળીઓ મોબાઇલની સ્ક્રીન પર ફરતી થઈ ગઈ. મને મળ્યું મોકળું મેદાન મારા મનની વાત કહેવા માટે …  અને પ્રારંભ થયો સમાજશાસ્ત્રીની કોરોના ડાયરીનો.

ગુજરાતી સાહિત્યમાં ઓછી જાણીતી અને મર્યાદિત ચર્ચિત ડો. સુમંત મહેતાની જેલડાયરીમાં સ્વાતંત્ર્ય આંદોલનના લડવૈયા તરીકેના અનુભવો ગ્રંથસ્થ થયા છે. નાનકડી આ જેલડાયરીમાં ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી જેલોનાં નિરીક્ષણો તો અંકિત છે જ, સાથે સાથે એ સમયના ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું વિવેચન પણ છે. આમ, જેલડાયરી સમાજની ડાયરી પણ બની રહે છે. આ જ દિશામાં આપના હાથમાં છે એ પુસ્તકમાંની ડાયરી કોરોનાકાળમાં આપણી આસપાસના સમાજમાં ડોકિયું કરવાની અને તેને સમજવાની તક પૂરી પાડે છે.

કોરોના મહામારીએ પ્રત્યેક દિવસે તેના વિસ્તરતા અને ઘાતક પ્રભાવનો પરિચય કરાવ્યો, તેને સમાંતર નાગરિક તરીકે તેનો સામનો કરવામાં આપણે કેવાં કેવાં માનવીય પાસાં ઉપસાવ્યાં એ આજની અને ભાવિ માટેની સમજ અર્થે ભાથું પૂરું પાડી રહ્યાં છે. ફેસબુક પર મુકેલી ‘સમાજશાસ્ત્રીની કોરોના-ડાયરી’ થકી એ પાસાં આ પુસ્તકમાં ઊજાગર થયાં છે.

૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો ને એ ખ્યાલ આવી ગયો કે આ તો મહામારી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ ૧૧ માર્ચે જાહેરાત કરી દીધી હતી મહામારીની. ઇતિહાસનાં પાનાં ફંફોસતાં ઓગણીસમી-વીસમી સદીની પ્લેગ મહામારીના દસ્તાવેજોમાં રસ પડ્યો. ભૂતકાળમાં ડોકિયું કરતાં વર્તમાનની ગંભીરતા સમજાવા માંડી અને થયું કે આ તો સમાજનું નવું દર્પણ છે. ‘ફૂલછાબ’માં દર બુધવારે ‘સમાજદર્પણ'ના સથવારે કોરોના વિષ્લેષણ કરવા માંડ્યું. અને એ અઠવાડિક સિલસિલો તંત્રીશ્રી કૌશિકભાઈની સાક્ષીએ કોરોનાનું સમાજશાસ્ત્ર બનતું ચાલ્યું.

કોરોનાનું પ્રતિબિંબ ઝિલતા ક્યારેક પીડા થતી, ક્યારેક ગુસ્સો, તો ક્યારેક નિઃસહાયતા … પણ આ મનમિશ્રણ કેવી રીતે અભિવ્યક્તિમાં ઢાળું? જ્યારે સમાજશાસ્ત્રીની કલમ એ માટે જરૂરી ધાર ન કાઢી શકી ત્યારે અનાયાસે જ એ કવિની કલમ બની ગઈ! કવિ કે વિવેચકમિત્રો કંઈક ઉદાર બને તો કવિતા કહી શકાય એવી રચનાઓ સર્જાવા માંડી ને ફેસબુક પર મુકાવા લાગી. સમાજના રોજેરોજ બદલાતાં રૂપે અને ફેસબુક મિત્રોના પ્રતિભાવે એ વિસ્તરતી ગઈ. “નિરીક્ષકે” તેનો વિસ્તાર અને પ્રચાર વધાર્યા.

જેમ જેમ સમય વીતતો ગયો, એ સમયે જ કોરોનાના સામાજિક વિશ્લેષણને મારો ધર્મ બનાવી દીધો અને ‘સોશિયોલોજિકલ ઇમેજિનશન’ની પાંખે આસપાસ બનતી ઘટનાઓને ઘાટ આપતો રહ્યો. … ‘ઓપિનિયન ઑનલાઇન’, ‘ખેડૂતવાણી’ અને ‘આદિલોક’ થકી પણ લેખો અને ડાયરીઓ પ્રસાર પામ્યાં. એ અરસામાં મારા ઘરમાં કામ કરતા કાળુએ કહ્યું કે તેના વતન રાજસ્થાનના મિત્રો ચાલતાં વતન જઈ રહ્યા છે. કોઈ મદદ નથી કરતું. તેઓ ત્રણ દિવસે પહોંચશે. આ બાબત મેં ફેસબુક પર લખી અને એક વિદ્યાર્થી-પત્રકારે આ વાત પોલીસ સુધી પહોંચાડી.

લોકડાઉનના બે અઠવાડિયા બાદ કાળુના મિત્રો જેવા હજારો શ્રમિકો વતનની વાટે નીકળી પડ્યા હતા … આ ઘટના પૂર્વે સરકારી થાળીઓ વાગી ચૂકી હતી. દીવા પ્રગટી ચુક્યા હતા. પછી તો, પી.પી.ઈ. કિટ્સની જરૂર હતી ત્યાં એને બદલે ફૂલો વરસી ગયાં હતાં. પણ થાળીઓનો અવાજ હવે શમી ગયો હતો. દીવા વિનાના અંધારા ને ‘કાંટાળા’ માર્ગો પર પરિવારો અથડાતાં-કૂટાતાં વતનની વાટે નીકળી પડ્યા હતા. ક્યાંક બળજબરી રોકવામાં આવ્યા તો ક્યાંક પહોંચતા અટકાવવામાં આવ્યા. સોનુ સુદ જેવા એકલવીરોએ કામ કરી સરકારને શરમાવી. શ્રમજીવીઓની ઘરભણીની યાત્રાના આ દિવસો ભવિષ્યના ભારતના ઇતિહાસમાં ઊંડી યાતનાનાં પ્રકરણો બની રહેશે. આ યાતના કે પીડાને લખતાં, પીડા સિવાય બીજો કયો અનુભવ થાય?! આશ્વાસન એટલું કે એ ડાયરી-લેખો-કવિતાઓ થકી વ્યક્ત થઈ શક્યો.

મે સુધીમાં તો ગણ્યાગાંઠ્યા દેશોને બાદ કરતાં ભારત અને લગભગ આખું વિશ્વ કોરાનાના કાળનો ભોગ બની ચુક્યા હતા. પ્લેગના સમયે તો વિદેશીઓ રાજ કરતા હતા, જેઓને એ મહામારીએ સર્જેલા ભેદભાવો મિટાવવામાં રસ ના હોય, પણ કોરોના તો સ્વતંત્ર અને લોકશાહી ભારતમાં પગ પેસારો કરી રહ્યો હતો, છતાં એક પછી એક સંપ્રદાય અને સમુદાયના માથા ઉપર ‘સુપર સ્પ્રેડર’નાં ઠીકરાં ફોડાતાં રહ્યાં. સામાજિક અંતર અને ભેદભાવથી ટેવાયેલા ભારતીય સમાજમાં આ નવા અપમાનનું નક્કર દસ્તાવેજીકરણ થતું ન હતું. ક્યાંક ક્યાંક થયું અને મેં પણ તેને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયત્ન કર્યો. કોરોનાએ સર્જેલા નવા સમાજ અને સંબંધો વિશે જુદાં જુદાં માધ્યમોથી લગભગ રોજેરોજ પ્રતિભાવ આપતો હતો.

મારા આ પ્રતિભાવો જાણી મિત્ર કેતન રુપેરાએ પ્રેમપૂર્વક અને ઉત્સાહથી કહ્યું કે “આ પુસ્તક રૂપે આવવું જ જોઈએ.” અને પછી જે સર્જન થયું છે તે આપ સૌ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું, તેના ભાગીદાર કેતન પણ છે. પુસ્તકનું સર્વાંગી સંપાદન કરી મારા સર્જન અને સર્જનપ્રક્રિયાને અર્થસભર રીતે ગુંથવામાં કેતનકલાનું અનેરું પ્રદાન છે. મારા અગાઉના પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પણ કેતનના સહયોગથી તૈયાર થયું હતું તેનો આનંદ વ્યક્ત કરું છું.

સતત ત્રણ મહિના સુધી ફેસબુક પર ‘સમાજશાસ્ત્રીની કોરોના ડાયરી’ને આવકાર અને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. હું કવિ તો નથી, મારી રચનાઓને પ્રોત્સાહિત કરનાર અનેક નામી-અનામી મિત્રો, સામયિકો, વેબસાઇટ્સ-પોર્ટલ્સનો આભાર. પત્ની હર્ષા અને પુત્ર અણમોલ પણ મારી વિચારયાત્રાના સહયાત્રી રહ્યાં છે. તેમનાં પ્રોત્સાહન વિના આ યાત્રા પુસ્તક સ્વરૂપે પૂર્ણ ન થઈ હોત.

કોરોનાકાળમાં વિશ્વભરમાં ‘કોરોના વોરિયર્સ’ પડઘાયા કરે છે, પણ હું વોરિયર્સના સ્થાને શાંતિદૂતથી સૌને નવાજવા ઇચ્છું છું. સફાઈકામદાર, નર્સ, ડોક્ટર, પોલીસ અને અનેક સ્વયંસેવી વ્યક્તિઓનાં પ્રદાન યુદ્ધભૂમિ પર નથી થયાં. ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. એટલે યુદ્ધ નહીં પણ બુદ્ધ અર્થાત્‌ પ્રેમ, કરુણા અને સુશ્રૂષા. આ સૌની ભૂમિકામાંથી મને પ્રેરણા મળી છે. અને તેના થકી એ સૌના કામનું દસ્તાવેજીકરણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે.

Email: gaurang_jani@hotmail.com

[કોરોના : બિંબ-પ્રતિબિંબ—વાત લોકડાઉનની, લેખક – ગૌરાંગ જાની, સંપાદક – કેતન રુપેરા, પ્રકાશક : અનમોલ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર 2020, ISBN : 978-93-5416-832-1, નોટબુક સાઇઝ, આર્ટ પેપર, પૃષ્ઠ : 128 (16 + 112), સોફ્ટ બાઉન્ડ કિંમત ₹ 225, હાર્ડ બાઉન્ડ કિંમત ₹ 350, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009] 

Loading

સાથે મળીને અમે શમણાં ઉછેરશું ખળખળતી નદીઓ થઈ વહેશું રે લોલ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|22 October 2020

હૈયાને દરબાર 

સરખી સાહેલી અમે સાથ સાથ ઘૂમશું
શેરીમાં સાદ કરી કહીશું રે લોલ

કેટલા જમાનાથી વેઠી છે વેદના
આવડો જુલમ નહીં સહેશું રે લોલ

ઘરખૂણે કેદ કર્યાં, ઘરકૂકડી નામ દીધાં
નીકળ્યાં જો બહાર ત્યારે
પળ પળ બદનામ કીધાં
એવાં અપમાન નહીં પીશું રે લોલ.

કુળની મર્યાદા ને ધર્મોની જાળમાં
રૂઢિ-રિવાજ અને ઘરની જંજાળમાં
કેટલા દિવસ હવે રહેશું રે લોલ

આપણાં દુ:ખોને હવે આપણે જ ફેડવાં
ટક્કર ઝીલવી છે હવે આંસુ ના રેડવાં
વજ્જર હૈયાંનાં અમે થઈશું રે લોલ

સાથે મળીને અમે શમણાં ઉછેરશું
સદીઓ પુરાણાં આ બંધનને તોડશું
ખળખળતી નદીઓ થઈ વહેશું રે લોલ

                                        — કવિ : સરૂપ ધ્રુવ

—

નવરાત્રિની નીરવ રાતે માતાજી આ વર્ષે શાંતિથી સૌને નિરખી રહ્યાં છે. ન કોઈ ઘોંઘાટ, ન ધાંધલ-ધમાલ કે ના કાન ફાડી દેનારા બેસૂરા બરાડા.

ચોલી કે પીછે ક્યા હૈ, તુઝે મિરચી લગી તો મૈં ક્યા કરું, કાલાકૌઆ કાટ ખાયેગા સચ બોલ એવા ગરબા ય નવરાત્રિમાં સાંભળ્યા છે. સામે પક્ષે પારંપરિક ગરબાનું હાર્દ પણ ઘણી જગ્યાએ સચવાયું છે. એક સમય હતો જ્યારે ભગિની સમાજના ગરબાનું ખૂબ મહત્ત્વ હતું. એમના ગરબા સુંદર અને પ્રયોગશીલ હતા. અવિનાશ વ્યાસે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો, હવે મંદિરનાં બારણાં, માડી તારા મંદિરીયે ઘંટારવ, માડી તારી સામે કેમ કરી મીટ માંડું જેવા કેટલાક સર્વાંગ સુંદર ક્લાસિક ગરબા આપ્યા. પ્રસિદ્ધ સંગીતકાર નિનુ મઝુમદારે લખેલો ઋતુઓનો, પતંગનો, ચોપાટનો અને રાષ્ટ્રીય એકતાનો ગરબો તદ્દન ભિન્ન પ્રકારના ગરબા હતા. ઉમાશંકર જોશી, રમેશ પારેખ તથા વિનોદ જોશીના આધુનિક ગરબાઓનું સરસ સ્વરનિયોજન ઉદય મઝુમદારે કર્યું હતું.

એ પછી દોર આવ્યો ફિલ્મી ગીતોની ધૂન પર નાચવાનો. આમાં માતાજીની સ્તુતિ ક્યાં આવી? રોજિંદી ઘટમાળના સંઘર્ષમાંથી મુક્તિ મેળવવા જ લોકોને નાચવું હતું. શ્રદ્ધા, ભક્તિ, આસ્થા, પ્રાર્થના, ઉપાસના ક્યાં ય ખોવાઈ ગયાં હતાં. વિશાળ મેદાનોની હકડેઠઠ ભીડમાં માતાજી શોધ્યાં ન જડે એવી સ્થિતિ. લેખિકા મિત્ર એષા દાદાવાળાએ ઉચિત જ લખ્યું કે, "પાર્ટી પ્લોટની ઝાકઝમાળ વચ્ચે આપણે માતાજીનાં ચહેરાને ઝાંખો ને ઝાંખો કરતા ગયા અને એટલે જ ‘પાસ’માં વહેંચાઇ ગયેલા આપણે માતાની ભક્તિમાં ‘નાપાસ’ થઇ ગયા. આપણે જાણી જ નથી શક્યા કે કઇ પળે – કયા દિવસે માતાજી આપણી વચ્ચેથી જતા રહ્યા. ચોરસ-લંબચોરસ પાર્ટી પ્લોટો પર બનાવાયેલા ગરબાનાં વર્તુળો વચ્ચે માતાજીનું કેન્દ્ર ખોવાઇ ગયું. હેલોજન લાઇટોનાં પ્રકાશમાં ઝગારા મારતા આભલાઓ અને આકાશે ઊડવા મથતા ફૂમતાઓ વચ્ચે માતાની ચૂંદડી-ક્યારે-કઇ દિશામાં ઊડી ગઇ એ આપણે જાણી જ ન શક્યા. સત્ય તો એ છે કે – આપણાં ગરબાનાં ગ્રાઉન્ડ પરથી માતાજીએ તો ક્યારની વિદાય લઇ લીધી હતી. ડી.જે.ના પ્રચંડ અવાજમાં આપણી ભક્તિ ક્યારની બહેરી થઇ ગઇ હતી. માતાજી પ્રત્યેની આસ્થાએ પાર્ટી પ્લોટો પર ક્યારે ય પગ જ ન્હોતો મૂક્યો.

આ બધું વિચારીએ તો લાગે કે આપણે તો માતાજીના નામે પૈસા જ સેરવતા હતા, પ્રેમલીલાઓ કરતાં હતાં, અવાજનું પ્રદૂષણ વધારતાં હતાં. આ કપરા સમયે આપણને ઘણું શીખવાડી દીધું છે. યાદ રાખીને બધાં સુધરે તો સારું, નહીં તો હતાં ત્યાંનાં ત્યાં.

ગરબામાં કાળક્રમે સામાજિક અને રાજકીય વિષયો, સામાજિક કથા, વ્યથા, કટાક્ષ, હાસ્ય, મેણાં-ટોણાં, ઠઠ્ઠા-મશ્કરી, મિલન-વિરહ સહિતનું ભાવ – વિશ્વ ગરબાને સતત નવાં નવાં રંગોમાં રંગતું રહ્યું. નારીચેતનાને ઉજાગર કરતો ગરબો વાગ્યો રે ઢોલ … છેલ્લે આપણે ફિલ્મ ‘હેલ્લારો’માં ય સાંભળ્યો. પણ એનાં મૂળ તો એ પહેલાં મંડાઈ ચૂકેલાં હતાં. નારી જાગૃતિના એક અત્યંત જાણીતા ગરબા એક લાલ દરવાજે તંબૂ તાણિયાં રે લોલ..માં અમદાવાદ નગરીનું સુંદર વર્ણન કરીને પછી કવિ કહે છે કે વહુ તમે ના જશો જોવાને ત્યાં બાદશો બડો મિજાજી! આ રીતે લોકગીતો સંદેશનું માધ્યમ બનતાં. અમદાવાદ વસતાં કવયિત્રી સરૂપ ધ્રુવના ગરબામાં વર્ષો પહેલાં ખરા અર્થમાં નારીશક્તિ ઉજાગર થઈ હતી. સરૂપબહેનના લખેલા બે-ત્રણ ગરબા તો બહેનોએ ગામેગામમાં પ્રચલિત કર્યાં હતા. આ ગરબાઓમાં સરખી સાહેલી, અમે ઈડરિયો ગઢ જીતીશું, અચકો મચકો કારેલીના ઢાળ પર ઢાળેલો ગરબો ઈત્યાદિ પરિવર્તનનું નિમિત્ત બન્યા હતા. વડોદરાની ‘સહિયર’ સંસ્થાએ તો સરખી સાહેલીને સંસ્થાના થીમ ગરબા તરીકે લોકપ્રિય બનાવ્યો હતો.

સરૂપબહેન સાંસ્કૃતિક કર્મશીલ છે. તેમણે અનેક સર્જનો કર્યાં છે, જેમાં મારા હાથની વાત’, ‘સળગતી હવા’, ‘હસ્તક્ષેપ’ અને ‘સહિયારા સૂરજની ખોજમાં’ જાણીતા કાવ્ય-ગીતસંગ્રહ છે, તો ઉમ્મીદ હોગી કોઈ’માં ૩૭ વ્યક્તિઓની જીવન પ્રત્યેની આશા અને સંઘર્ષનો દસ્તાવેજ છે. લોકઢાળ પર આધારિત જે તે વિસ્તારની બોલી, રૂપક, પ્રતીકોની પસંદગી દ્વારા મહિલા જાગૃતિનાં ગીતો તેઓ લખે છે. આપણો સમાજ અર્ધશિક્ષિત છે એટલે મૌખિક પરંપરાથી તેમના સમક્ષ પહોંચી શકાતું હોવાથી એમનાં ગીતો-ગરબા સાવ સરળ બાનીમાં હોય છે. નવરાત્રિની સાચી ઉજવણી વિશે પૂછતાં એમણે સચોટ વાત કરી કે, "શાની મસ્તી, શાના ઉત્સવ, રૂંવે રૂંવે લાગ્યો છે દવ! એક બાજુ આપણે શક્તિની પૂજા કરીએ છીએ ને બીજી બાજુ ઘરની લક્ષ્મી, મા-દીકરીઓ પર દમન કરીએ છીએ. સમાજ અને દેશમાં સ્ત્રીઓ સાથે દુર્વ્યવહારની કલંકિત ઘટનાઓ બની રહી છે એ જોતાં આરતીને બદલે આત્મમંથન કરવાની વધુ જરૂર છે. માતાજીની આરતી ઊતારતા હો તો આસપાસની મા-બહેનોનું સન્માન કરો. આત્મમંથન માત્ર પુરુષોએ જ નહીં, સ્ત્રી-પુરુષ બન્નેએ કરવું જરૂરી છે. જીવનરથનાં બન્ને પૈડાં સરખાં હોવાં જોઈએ. કેટલા ય ગરબામાં સ્ત્રીઓને ઊતરતી કે ઉપભોગનું રમકડું બતાવી હોવા છતાં બહેનો કૂદી કૂદીને એ ગીતો-ગરબા ગાય છે. તમે કહ્યાં એવાં બેહૂદાં ગીતો, ચોલી કે પીછે ક્યા હૈ કે તૂ ચીજ બડી હૈ મસ્ત મસ્ત પણ પાર્ટી-પ્લોટના ગરબાઓમાં ગવાય છે. કારણ કે એ ધંધાદારી ગરબા છે. અતિ ભૌતિકવાદમાં અમારા જેવી ઉદ્દામવાદી લેખિકાઓના પ્રયત્નો ઘણીવાર ધોવાઈ જતાં લાગે. પરંતુ, સંગીત એ વિચાર ફેલાવવાનું સબળ માધ્યમ છે. વેદના, સંઘર્ષ, અપમાનની વાતો બહેનો ગાતી થાય તો પરિવર્તન આવે.

જો કે, આ વખતે કેટલાંક વર્ચ્યુઅલ ગરબા સરસ જોવા મળ્યા છે. ગુજરાતી કલાકારો વીડિયો દ્વારા માતાજીના ગરબા દર્શકો સુધી પહોંચાડી રહ્યા છે, એટલે ક્યાંય વરવું પ્રદર્શન નથી દેખાતું. પ્રહર અને સંપદા વોરા દરરોજ સાંજે ગરબો રજૂ કરે છે. હિમાલી વ્યાસે અખંડ ગરબો રજૂ કર્યો છે તો માયા દીપક પણ નવા રચાયેલા ગરબા સ્વરબદ્ધ કરીને રજૂ કરે છે. સુરતનાં યામિની વ્યાસ તેમના નવા ગરબા નવા કલાકારો પાસે ગવડાવીને પ્રોત્સાહન આપે છે. રાધાકૃષ્ણના રાસ તો આરંભકાળથી જ ગરબાનો મુખ્ય સ્રોત રહ્યા છે. પરંતુ જાહન્વી શ્રીમાંકર અને આદિત્ય ગઢવીએ મીરાં ને માધવનો રાસ અદ્ભુત ગાયો છે જેની કોરિયોગ્રાફી અર્શ અને સમીર તન્નાએ કરી છે. સોલી-નિશાએ ગાયેલો અને નયનેશ જાનીએ સ્વરબદ્ધ કરેલો બિરદાળી ખૂબ મધુર ગરબો છે. પ્રતીક મહેતાના સ્વરનિયોજનમાં અંબાની અસવારીના ગરબા કર્ણપ્રિય છે તથા અમદાવાદની બે બહેનો મોસમ-મલકાએ ગાયેલું સપાખરું સાવ અનોખું અને નયનરમ્ય છે.

‘ન્યૂ નોર્મલ’માં દુનિયા આખીમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે ત્યારે નવરાત્રિનું સ્વરૂપ પણ બદલાય એવી આશા રાખીએ.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 22 ઑક્ટોબર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658073   

Loading

...102030...2,1162,1172,1182,119...2,1302,1402,150...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved