Opinion Magazine
Number of visits: 9573815
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છઠ્ઠે નોરતે પ્રાર્થના

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|23 October 2020

છઠ્ઠા નોરતે મા આદ્યશક્તિને પ્રાર્થના :

માડી, અમારાં શેરી-રસ્તા-જાહેર જગ્યાઓ તો જાણે કે સફાઈ કામદાર સ્ત્રી-પુરુષો સાફ કરે છે.

ઘણાં ઘરોમાં કચરાં-પોતાં મોટે ભાગે સ્ત્રીઓ જ કરે છે. દિવાળી કે અન્ય અવસરે સાફસફાઈ પણ સ્ત્રીઓ જ કરે છે. બાળકોને પખાળવાનું કામ પણ સ્ત્રીઓનું હોય છે.

અપવાદો બાદ કરતાં ઘરનાં જાજરૂ-બાથરૂમ (જો સેવક ભાઈ કે બહેન) ન ધોતાં હોય તો મોટે ભાગે ઘરની મહિલાઓ જ કરે છે. માડી, ભક્તોને કહેજો કે ખરાબ ન લગાડે, પણ પુરુષોનાં અંતર્વસ્ત્રો ધોવામાં પણ લગભગ આવું જ છે. સ્ત્રીઓનાં અંતર્વસ્ત્રો પુરુષો ધુએ એવી કલ્પના પણ અનકમ્ફર્ટેબલ બનાવનારી લાગે – અહીં આ બધું વધારે પડતું થાય છે એમ થવાનું બધાંને …

એટલે મા, અમને એવી સમજ આપો કે જ્યાં જ્યાં, જ્યારે જ્યારે શક્ય બને ત્યાં ઘરની સ્વચ્છતાનાં કામ ઘરનાં પુરુષો પણ કરે, એને શક્ય બનાવે.

22-10-2020

Loading

સંવેદનાની સફરમાં

કમલેશ ઓઝા|Opinion - Opinion|23 October 2020

મિ. નીરજ પાલ, તમે તમારી નરીમાન પોઇન્ટની ઓફિસમાંથી તમારી લક્સરિયસ ઓડી કારમાં જૂહુ તરફ તમારા ઘર તરફ પ્રયાણ કરો છો. રસ્તામાં તમે તમારા ખૂબ જ નજીકના મિત્ર ગુલાલવાડીના તાંબા પિતળના મશહૂર વેપારી નેમીચંદ જૈનની તબિયતથી ચિંતાતુર છો. જેને તમારા ધંધાકીય કારકિર્દીમાં તમારા આજના ગર્ભશ્રીમંત બનવાના સ્ટેટસ માટેના ટર્નિંગ પોઇન્ટ ગણો છો.

નેમીચંદ જૈન તમારા સંપર્કમાં આવ્યા પછી, તમે એક ત્રીજા વર્ગના સરકારી કર્મચારીમાંથી એક માતબર વેપારીના સ્થાન પર પહોંચ્યા છો. નેમીચંદ જૈન સાથેનો તમારો સંબંધ છેલ્લાં ૫૦ વર્ષથી અતૂટ અને ઉષ્માભર્યો રહ્યો છે. જેણે તમને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાંથી, ઉપાડીને મુંબઇની જાહોજલાલીપૂર્વકની સુખ સાહ્યબીવાળી જિંદગીમાં પ્રવેશ કરાવ્યો હતો. તમારો નેમીચંદ જૈન સાથેનો સંબંધ એટલો ઉષ્માભર્યો હતો કે, તમે બન્ને રાત્રે પોતાના ઘરે જવા માટે જ જુદા પડતા. અને આ ઉષ્માભર્યા સંબંધનાં સીલસીલો તમારા વારસદાર પુત્રો કુટુંબ કબીલાની સાથે પણ જળવાઇ રહેતા તમે નેમીચંદ જૈનના એક કુટુંબના સભ્યનું સ્થાન મેળવી શક્યા હતા. તેમાં મિ. નિરજ પાલ, તમારી નૈતિક મૂલ્યોવાળી ઊંચેરી જિંદગી, પ્રમાણિકતા, સખત મહેનત અને કર્મશીલતાએ અગ્રગણ્ય ભાગ ભજવ્યો હતો. એના કારણે મિ. નિરજ પાલ, તમે નરીમાન પોઇન્ટની એક વ્યવસ્થિત ઓફિસના માલિક તેમ જ બજારના અગ્રગણ્ય વેપારીના સ્થાન પર પહોંચ્યા છો. પણ આજે તમારા આ ખાસ મિત્ર નેમિચંદ જૈન કૃત્રિમ શ્વાસના સહારે જીવનમરણ વચ્ચે ઝોલા ખાય છે. તેની તબીયતની ચિંતા સાથે નાણાવટી હોસ્પિટલ પર, તેમની પાસે પહોંચો છો.

આઇ.સી.યુ.માં નેમિચંદ જૈન તમને, આંખો ફાડીને જોવા મથે છે તમે તેને મળીને જોઇને તેની સ્થિતિ સહન ન કરી શકતા, આઇ.સી.યુ.માંથી બહાર નીકળી બહુ જ ગળગળા થઇ તેના મોટા દીકરા શાશ્વતને ખભા પર હાથ મૂકી કહો છો કે બેટા, હિંમત રાખજે ભગવાનના ઘર પાસે આપણું કશું જ ચાલતું નથી પણ તેમણે આપેલા સંસ્કારના પાયા પર ચડેલી ઇમારત હંમેશાં માટે જિવિત રહેશે. હું સંપર્કમાં રહીશ અને ગમે ત્યારે જરૂર પડે મને બોલાવજે, બેટા. એમ કહી તમે હોસ્પિટલમાંથી ગદ્‍ગદ્‍ હૃદયે બહાર નીકળો છો.

બહાર નીકળતા નાણાવટી હોસ્પિટલના મેઇન ડોર પાસે એક દાન પેટી રાખેલી છે એ પેટીમાં એક ચિંથરેહાલ મજૂર ૧૦૦ રૂા.ની નોટ તેમાં દાન પેટે આપતા તમે જુઓ છો અને ઘડીભર ઊભા રહી તમે પણ તમારી મરજી મુજબનું રકમ દાનપેટીમાં નાખી ડ્રાઇવરને તમારા ઘર તરફ ગાડી ચલાવવાનું કહો છો. આ દાનપેટી, ચિંથરેહાલ મજૂરનું પ્રમાણિક દાન બન્ને વાત સાથે મિ. નિરજ પાલ તમે ૫૦ વર્ષ પહેલાનાં ૧૯૭૦ના દાયકાના ભૂતકાળમાં સરી પડો છો, કે જ્યારે ઉપલેટા જેવા નાના એવા ગામમાં તમે આરોગ્ય ખાતાના એક સામાન્ય કર્મચારી તરીકે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. મિ. નિરજ પાલ, તમારી કામ કરવાની ધગશ, માયાળુ સ્વભાવ, સમાજ તરફી કંઇક કરી છૂટવાની ભાવના અને તમારા મળતાવડા સ્વભાવથી આખા ગામમાં અને હોસ્પિટલનો બધો જ સ્ટાફ તમારાં સહૃદયી સંબંધથી બંધાયેલા. ત્યારે ઉપલેટામાં મહિલાઓની ઉત્થાન માટેની પ્રવૃત્તિમાં પડેલા, મહિલા સંસ્થાના વડા સુમતિબહેન શેઠની સાથે તમારા સંબંધ વધતાં સુમતિબહેનનો સામાજિક કાર્યકર તરીકેનો અગ્રગણ્ય રોલ અને સમાજ સાથેની નિસ્બતથી તમે તેના નજીક આવ્યા અને તમે તેમને એમ કહ્યું કે બહેન, આપણી સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ નથી, તેથી દાઝેલી બહેનોને કોઇપણ ટ્રીટમેન્ટ ન મળતાં તેમનું અકાળે અવસાન થવાના કિસ્સા બહુ જ બને છે. તો બહેન, આપણે આ હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડનું આયોજન કરી, અસંખ્ય બહેનો ભાઇઓને અકાળે અવસાન પામતાં લોકોને મોતના મુખમાંથી બચાવીએ.

આ વાત સાંભળી સુમતિબહેન તો ખૂબ રાજી થયાં, અને તાત્કાલિક અસરથી ગામના ૧૦ પ્રતિષ્ઠિત માણસોનું એક સંગઠન કરી તબીબી સહાયક સંઘ નામની સંસ્થા શરૂ કરી. ઉપલેટા સરકારી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડ તેમ જ અનેકવિધ સુવિધાઓ કરવાનું બીડું ઝડપ્યું. મિ. નિરજ પાલ, તમને આ તબીબી સહાયક સંઘની મુખ્ય જવાબદારી સોંપી તમને આ સંગઠનમાં સામેલ કર્યા.

સમય જતાં જતાં પ્રચાર માધ્યમથી સુમતિબહેનની કામગીરી, પ્રમાણિકતા અને કર્મશીલતાથી આ બર્ન્સ વોર્ડ બનાવવા માટેનો ફાળો શરૂ કર્યો અને જુદી જુદી પત્રિકાઓ દ્વારા ઉપલેટાના કેટલાક મોટા વેપારી જે મુંબઇ સ્થાયી થઇ માતબર રકમ કમાય છે તેનો સંપર્ક સાધ્યો. એવામાં અમદાવાદમાં રહેતા મૂળ ઉપલેટાના વતની સુમનભાઇ શાહનો સુમતિબહેન પર ફોન આવ્યો કે આ બર્ન્સ વોર્ડમાં જેટલા પૈસાની જરૂર હોય તે પૈસા આશરે દસ લાખ રૂપિયાનું દાન કરવાની તેમણે ઇચ્છા વ્યક્ત કરી. તાબડતોબ સુમતિબહેનને અમદાવાદ આવવાનું આમંત્રણ આપ્યું. – સુમતિબહેન તેમના કેટલાક સાથીદારો સાથે સુમનભાઇને મળ્યા, ત્યારે સુમનભાઇએ એક લાખ રૂપિયાનો ચેક એક તબીબી સહાયકના નામનો આપી દાનના શ્રીગણેશ કર્યા. અને બાકીના નવ લાખ ધીરે ધીરે આપવાનું વચન આપી હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની કામગીરી કરવાની શરૂઆત કરવાની સૂચના આપી.

જોતજોતામાં હોસ્પિટલમાં બર્ન્સ વોર્ડની તડામાર થવા લાગી. ચણતર કામ ચાલુ થયું અને સેવાભાવી એન્જીનિયર્સ દિવસરાત મહેનત કરી, બર્ન્સ વોર્ડ બનાવવાની કામગીરીમાં લાગી ગયા.

બન્સ વોર્ડનું કામ પૂરજોશમાં ચાલુ થતાં બાકીના ૯ લાખ રૂપિયાનું દાન સુમનભાઇ શેઠ તરફથી આપવાનું હતું. તેને માટે મોટું આયોજન કરી મોટો કાર્યક્રમ ગોઠવ્યો. ઉપલેટામાં આનંદનો ઉત્સવ શરૂ થયો. મોટા સમિયાણામાં અનેક લોકોની હાજરી વચ્ચે તત્કાલિન આરોગ્ય મંત્રીશ્રીની હાજરીમાં, સુમનભાઇના હાથે તબીબી સહાયક સંઘના નામના ચેકનો વિતરણ સમારંભ ગોઠવાયો અને અાબાલ વૃદ્ધ બધા જ ઉપલેટાના નાગરિકો અનેરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા. આરોગ્ય મંત્રીશ્રીનું ભાષણ શરૂ થયું. સુમનભાઇ સાથે ફોટો સેશન્સ શરૂ થયું અને ઉપલેટાના લોકો અનેરા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા.

આરોગ્ય મંત્રીશ્રી ભાષણ આપી આજે ઉપલેટામાં માનવતાનો મોટો સંચાર થયો છે અને ઉપલેટામાં અનેક બહેનો ભાઇઓ દાઝવાથી, થતાં મૃત્યુના મુખમાંથી બચશે. તેવું ભાષણ કરતાં, એકાએક ઓડિયન્સમાં બેઠેલી મેદનીમાંથી વચ્ચેથી બીડી કામદાર યુનિયનના પ્રમુખ મુસ્તાક અલી બેલીમ જે સામ્યવાદી વિચારધારાને વરેલા હતા, તેઓ એકદમ બૂમબરાડા પાડી કહેવા માંડ્યા કે આ આપેલું દાન અપ્રમાણિક છે. તે કેરાળાનો વતની હોવાથી મોટેથી હિન્દીમાં બોલી કહેવા લાગ્યો કે યે દાન સહી દાન નહીં હૈ કાળા બજારીકા પૈસા હૈ, લાચાર આદમીઓકા પસીના કા પૈસા હૈ, વે ગેહુ તેલ અનાજ વિગેરે કા સંગ્રહખોરી કા પૈસા હૈ, યે સુમનભાઇ બડા કાલાબજારી હૈ ગરીબો કા પસીને સે – ખેડૂતકા પેદાશ કા પૈસા કમ દેકે ઉસને પૂરી માર્કેટમેં માલ સંગ્રહ કરકે બેઇમાની કી હૈ, ઉસકા પૈસા મત લો – આમ જોર જોરથી બોલીને સમારંભમાં મોટો દેકારો કર્યો. સુમતિબહેન, સુમનભાઇ આરોગ્યમંત્રી બધા જ આ વાત પર અવાક બની ગયાં. સમારંભ અટકાવી દેવો પડશે. લોકો શોરબકોર કરી, કોમરેડ બેલીમની વાત સાચી છે, સાચી છે, કરીને બેલીમને સાચી વાત કરવાની શાબાશી આપી બધા જ લોકો વિખરાઇ ગયા, સુમનભાઇ અને આરોગ્યમંત્રીશ્રીની ફજેતી થઇ સુમતિબહેન પણ વિમાસણમાં પડી ગયાં અને અંતે કાર્યક્રમ બંધ કરવો પડ્યો.

બીજે દિવસે સુમતિબહેન તબીબી સહાયક સંઘની તાત્કાલિક મિટીંગ બોલાવી. હવે આપણે આ બર્ન્સ વોર્ડને સારુ પ્રમાણિકપણે મળતું દાન કેવી રીતે લાવવું અને ભવિષ્યનું આયોજન શું કરવું તે બાબતે ચર્ચા કરી. ચર્ચાને અન્તે એમ નક્કી કર્યુ કે આ બન્સ વોર્ડ માત્ર અને માત્ર લોકફાળાથી જ થવો જોઇએ. આ બાબતમાં તે જુદા જુદા મુશાયરા, ડાયરા વગેરે કરી ફંડ મેળવવું, તેવું નક્કી થતાં તે વખતના નામાંકિત ચારણ સાહિત્યકાર ગઢવી લાખાભાઇ ગઢવી અને દીવાળીબહેન ભીલના કાર્યક્રમો કર્યા. ઉપલેટાના લોકો પોતાની ઇચ્છા મુજબ ફાળો આપે, તેવું નક્કી થયું અને હોસ્પિટલની બહાર એક નાનો રૂમ કરી દાન પેટી રાખવામાં આવી. તેમાં ઉપર મોટા અક્ષરે લખ્યું હતું કે અહીં પ્રમાણિકપણે કરેલી કમાણીનું દાન લેવામાં આવે છે અને તબીબી સહાય સંઘે ઠરાવ કરી આ દાનપેટીની બિલકુલ બાજુમાં, બીડી કામદાર આગેવાન કોમરેડ બેલીમનો ફોટો રાખી તેનું સન્માન કરી તબીબી સહાય સંઘને સાચો રસ્તો બતાવી, કાળાબજારની કમાણીમાંથી ઊભો થતો બર્ન્સ વોર્ડ અટકાવી અનેરું કામ કર્યુ.

જોતજોતામાં ઉપલેટાના અસંખ્ય ચિંથરેહાલ લોકો દરરોજ પોતાના ઘરે જતા પહેલાં આ દાનપેટીમાં દાન આપવા લાગ્યા. મજૂરો, ખેત કામદારો, નોકરિયાતો, સમગ્ર સામાન્ય નાગરિકના પ્રચંડ સહકારથી અને લાખાભાઇ ગઢવીના ત્રણ ચાર કાર્યક્રમથી બર્ન્સ વોર્ડ માટેની દસ લાખની માતબર રકમ મેળવવામાં આવી. આ ઘટના ઉપલેટાની પ્રજા માટે એક પ્રેરણાદાયી તવારીખ બની ગઇ અને થોડાક જ વખતમાં પ્રમાણિક પણે આપેલી દાનની રકમમાંથી બર્ન્સ વોર્ડ બનાવી નાની બાલીકાના હસ્તે બર્ન્સ વોર્ડનું ઉદ્ઘાટન થયું. સિવિલ સર્જન ડૉ. મુજપરાના સાનિધ્યમાં નાની બાલિકાએ રિબિન કાપી અને ઉપલેટામાં બર્ન્સ વોર્ડ બનાવી અનેક દાઝેલા લોકોને મોતના મુખમાં જતાં અટકાવી એક માનવતાનો મોટો યજ્ઞ શરૂ કર્યો. ઉપલેટાની સમગ્ર પ્રજાને આ ઘટનાથી આનંદનો અવસર પ્રાપ્ત થયો. અને બર્ન્સ વોર્ડ બનતા અનેક દાઝેલાં લોકોને સમયસર ટ્રીટમેન્ટ આપી તેમને બચાવવાના ભગીરથ પ્રયત્નોના મંગલાચરણ થયા.

આ મહાયજ્ઞના મહાન પ્રણેતા પ્રમાણિક પણે દાન લેવું જોઇએ અને બર્ન્સ વોર્ડ બનાવવો જોઇએ તેવું હિંમત રાખીને સૂચના આપનાર અને અમલ કરાવનાર મિ. બેલીમ, તમને સલામ. સુમતિબહેન શેઠ, તમને પણ સલામ. તમારી કોઠાસૂઝથી ઉપલેટામાં બર્ન્સ વોર્ડના શ્રીગણેશ થયા તેથી તમને પણ સલામ. તમારા તબીબી સહાયક સંઘ બનાવવાની પ્રેરણા આપવા માટે તેમ જ દાઝેલાં લોકોને મોતના મુખમાંથી પાછા બોલાવી અનેક લોકોની જિંદગી બચાવવાના અને સુમતિબહેનને બર્ન્સ વોર્ડ બનાવવાના તમારા સૂચનને સલામ અને તમારી અપીલને સલામ, મિ. નિરજ પાલ, તમને પણ લાખ લાખ સલામ.

તા. ૧૫-૧૦-૨૦૨૦

e.mail : koza7024@gmail.com

Loading

પીડા, ગુસ્સો અને નિઃસહાયતાનું મનમિશ્રણ

ગૌરાંગ જાની|Opinion - Opinion|22 October 2020

'ઓપિનિયન ઓનલાઇન'ના આ મંચે, લોકડાઉન દરમિયાન, સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની કોરોના-ડાયરી, કોરોના-લેખો અને કોરોના-કવિતા પ્રસંગોપાત મુકાતાં રહ્યાં છે. ગૌરાંગભાઈના શબ્દોમાં તેનું "સર્વાંગી સંપાદન" થઈને પુસ્તકરૂપે પ્રકાશિત થઈ ગયું છે. પુસ્તકના સંપાદકને ટાંકીને કહીએ તો, "સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીની આ ડાયરીઓ, લેખો અને કવિતાના વિષયોમાં વૈવિધ્ય ખાસ્સું છે. લોકડાઉનમાં વિવિધ વ્યવસાયી-મથામણ ને માઇગ્રન્ટ્સની અવદશા, ઘરમાં પૂરાઈ રહેવાનાં કારણે જન્મતી મનોવૈજ્ઞાનિક સમસ્યા ને મહામારી સંબંધિત વૈજ્ઞાનિક સંશોધનો, સાહિત્યમાં સામાજિક નિસબત ને આર્થિક અસમાનતાના કારણે શિક્ષણમાં સર્જાતી સમસ્યાઓ, લગ્નજીવનમાં સર્જાતી સમસ્યાઓથી લઈને વિધર્મી-વિ-દેશી લગ્નનાં કારણે તેમનાં સંતાનોને ઝેલવી પડતી મુસીબતો, માનસિક વિકલાંગોની મનોસ્થિતિ અને ચોક્કસ કોમ-જાતિને લઈને સંપૂર્ણ નરવા અંગોવાળાની ‘વિકલાંગદૃષ્ટિ’, … અને આ બધાંના યથાસંભવ ઉકેલરૂપે સરવાળે, સાંપ્રતકાળની સેવાના દાખલાથી લઈને બે સદી પહેલાંના પ્લેગ અને તેમાં લોકમાન્ય ટિળકની આજનાં કોઈ પણ નેતા માટે દાખલારૂપ ભૂમિકા જેવાં અનેક વરખ ખોલી આપે છે."

આ પુસ્તક સાથે પ્રકાશનમાં ય ઝંપલાવતા લેખકને અભિનંદન સાથે, પુસ્તકમાંથી તેમનું નિવેદન સાભાર ….

ભારતની રાજધાનીથી ફરમાન થયું – “ઘર પર હી રહીએ”, “દો ગજ કી દૂરી રખેં” અને રસ્તાઓ સૂના થઈ ગયા. મકાન ઘર બની ગયાં. પક્ષીઓનો કલરવ વાહનોનાં ઘોંઘાટ વિના સોળે કળાએ ખિલી ઊઠ્યો. વૃક્ષોનો છાંયો ખાલીખમ થઈ ગયો … પણ આ સૌની વચ્ચે, રોજ સવારે નવના ટકોરે ડોરબેલ રણકે. એ સિવાય ડોરબેલ પણ સૂનો થઈ ગયો હતો!

ઘરેઘરે ફરી કચરો વીણતી એ બહેનને પણ ઘરે કેમ નહીં રહેવાનું, એવો સ્વાભાવિક પ્રશ્ન થયો. એને પુછવાનું મન થતું, પણ ટી.વી.ના પડદે અને અખબારનાં પાને ‘સામાજિક અંતર’ની સલાહે, પૂછતાં પંડિત થવાય વાળી એ કહેવતનો સાર વિસારે પાડી દીધો. પણ હા, સામાજિક અંતરની સમાજશાસ્ત્રીય મથામણ શરૂ થઈ ચૂકી હતી.

ક્યાં કરું આ ‘મન કી બાત’? સમાજશાસ્ત્રના વર્ગોમાં તો ખૂબ બોલ્યો વિદ્યાર્થીઓ સંગ, પણ હવે તો એ પણ આસપાસ નથી નિવૃત્તિના સંગે. તો શું કરું? લખી નાખું બધું. હા, લખવા જ માંડું. … અને મારી આંગળીઓ મોબાઇલની સ્ક્રીન પર ફરતી થઈ ગઈ. મને મળ્યું મોકળું મેદાન મારા મનની વાત કહેવા માટે …  અને પ્રારંભ થયો સમાજશાસ્ત્રીની કોરોના ડાયરીનો.

ગુજરાતી સાહિત્યમાં ઓછી જાણીતી અને મર્યાદિત ચર્ચિત ડો. સુમંત મહેતાની જેલડાયરીમાં સ્વાતંત્ર્ય આંદોલનના લડવૈયા તરીકેના અનુભવો ગ્રંથસ્થ થયા છે. નાનકડી આ જેલડાયરીમાં ગુજરાત અને ગુજરાત બહાર જુદી જુદી જેલોનાં નિરીક્ષણો તો અંકિત છે જ, સાથે સાથે એ સમયના ગુજરાતી સમાજ અને સંસ્કૃતિનું વિવેચન પણ છે. આમ, જેલડાયરી સમાજની ડાયરી પણ બની રહે છે. આ જ દિશામાં આપના હાથમાં છે એ પુસ્તકમાંની ડાયરી કોરોનાકાળમાં આપણી આસપાસના સમાજમાં ડોકિયું કરવાની અને તેને સમજવાની તક પૂરી પાડે છે.

કોરોના મહામારીએ પ્રત્યેક દિવસે તેના વિસ્તરતા અને ઘાતક પ્રભાવનો પરિચય કરાવ્યો, તેને સમાંતર નાગરિક તરીકે તેનો સામનો કરવામાં આપણે કેવાં કેવાં માનવીય પાસાં ઉપસાવ્યાં એ આજની અને ભાવિ માટેની સમજ અર્થે ભાથું પૂરું પાડી રહ્યાં છે. ફેસબુક પર મુકેલી ‘સમાજશાસ્ત્રીની કોરોના-ડાયરી’ થકી એ પાસાં આ પુસ્તકમાં ઊજાગર થયાં છે.

૨૨મી માર્ચે જનતા કર્ફ્યૂ લગાવવામાં આવ્યો ને એ ખ્યાલ આવી ગયો કે આ તો મહામારી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ પણ ૧૧ માર્ચે જાહેરાત કરી દીધી હતી મહામારીની. ઇતિહાસનાં પાનાં ફંફોસતાં ઓગણીસમી-વીસમી સદીની પ્લેગ મહામારીના દસ્તાવેજોમાં રસ પડ્યો. ભૂતકાળમાં ડોકિયું કરતાં વર્તમાનની ગંભીરતા સમજાવા માંડી અને થયું કે આ તો સમાજનું નવું દર્પણ છે. ‘ફૂલછાબ’માં દર બુધવારે ‘સમાજદર્પણ'ના સથવારે કોરોના વિષ્લેષણ કરવા માંડ્યું. અને એ અઠવાડિક સિલસિલો તંત્રીશ્રી કૌશિકભાઈની સાક્ષીએ કોરોનાનું સમાજશાસ્ત્ર બનતું ચાલ્યું.

કોરોનાનું પ્રતિબિંબ ઝિલતા ક્યારેક પીડા થતી, ક્યારેક ગુસ્સો, તો ક્યારેક નિઃસહાયતા … પણ આ મનમિશ્રણ કેવી રીતે અભિવ્યક્તિમાં ઢાળું? જ્યારે સમાજશાસ્ત્રીની કલમ એ માટે જરૂરી ધાર ન કાઢી શકી ત્યારે અનાયાસે જ એ કવિની કલમ બની ગઈ! કવિ કે વિવેચકમિત્રો કંઈક ઉદાર બને તો કવિતા કહી શકાય એવી રચનાઓ સર્જાવા માંડી ને ફેસબુક પર મુકાવા લાગી. સમાજના રોજેરોજ બદલાતાં રૂપે અને ફેસબુક મિત્રોના પ્રતિભાવે એ વિસ્તરતી ગઈ. “નિરીક્ષકે” તેનો વિસ્તાર અને પ્રચાર વધાર્યા.

જેમ જેમ સમય વીતતો ગયો, એ સમયે જ કોરોનાના સામાજિક વિશ્લેષણને મારો ધર્મ બનાવી દીધો અને ‘સોશિયોલોજિકલ ઇમેજિનશન’ની પાંખે આસપાસ બનતી ઘટનાઓને ઘાટ આપતો રહ્યો. … ‘ઓપિનિયન ઑનલાઇન’, ‘ખેડૂતવાણી’ અને ‘આદિલોક’ થકી પણ લેખો અને ડાયરીઓ પ્રસાર પામ્યાં. એ અરસામાં મારા ઘરમાં કામ કરતા કાળુએ કહ્યું કે તેના વતન રાજસ્થાનના મિત્રો ચાલતાં વતન જઈ રહ્યા છે. કોઈ મદદ નથી કરતું. તેઓ ત્રણ દિવસે પહોંચશે. આ બાબત મેં ફેસબુક પર લખી અને એક વિદ્યાર્થી-પત્રકારે આ વાત પોલીસ સુધી પહોંચાડી.

લોકડાઉનના બે અઠવાડિયા બાદ કાળુના મિત્રો જેવા હજારો શ્રમિકો વતનની વાટે નીકળી પડ્યા હતા … આ ઘટના પૂર્વે સરકારી થાળીઓ વાગી ચૂકી હતી. દીવા પ્રગટી ચુક્યા હતા. પછી તો, પી.પી.ઈ. કિટ્સની જરૂર હતી ત્યાં એને બદલે ફૂલો વરસી ગયાં હતાં. પણ થાળીઓનો અવાજ હવે શમી ગયો હતો. દીવા વિનાના અંધારા ને ‘કાંટાળા’ માર્ગો પર પરિવારો અથડાતાં-કૂટાતાં વતનની વાટે નીકળી પડ્યા હતા. ક્યાંક બળજબરી રોકવામાં આવ્યા તો ક્યાંક પહોંચતા અટકાવવામાં આવ્યા. સોનુ સુદ જેવા એકલવીરોએ કામ કરી સરકારને શરમાવી. શ્રમજીવીઓની ઘરભણીની યાત્રાના આ દિવસો ભવિષ્યના ભારતના ઇતિહાસમાં ઊંડી યાતનાનાં પ્રકરણો બની રહેશે. આ યાતના કે પીડાને લખતાં, પીડા સિવાય બીજો કયો અનુભવ થાય?! આશ્વાસન એટલું કે એ ડાયરી-લેખો-કવિતાઓ થકી વ્યક્ત થઈ શક્યો.

મે સુધીમાં તો ગણ્યાગાંઠ્યા દેશોને બાદ કરતાં ભારત અને લગભગ આખું વિશ્વ કોરાનાના કાળનો ભોગ બની ચુક્યા હતા. પ્લેગના સમયે તો વિદેશીઓ રાજ કરતા હતા, જેઓને એ મહામારીએ સર્જેલા ભેદભાવો મિટાવવામાં રસ ના હોય, પણ કોરોના તો સ્વતંત્ર અને લોકશાહી ભારતમાં પગ પેસારો કરી રહ્યો હતો, છતાં એક પછી એક સંપ્રદાય અને સમુદાયના માથા ઉપર ‘સુપર સ્પ્રેડર’નાં ઠીકરાં ફોડાતાં રહ્યાં. સામાજિક અંતર અને ભેદભાવથી ટેવાયેલા ભારતીય સમાજમાં આ નવા અપમાનનું નક્કર દસ્તાવેજીકરણ થતું ન હતું. ક્યાંક ક્યાંક થયું અને મેં પણ તેને સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુકવાનો પ્રયત્ન કર્યો. કોરોનાએ સર્જેલા નવા સમાજ અને સંબંધો વિશે જુદાં જુદાં માધ્યમોથી લગભગ રોજેરોજ પ્રતિભાવ આપતો હતો.

મારા આ પ્રતિભાવો જાણી મિત્ર કેતન રુપેરાએ પ્રેમપૂર્વક અને ઉત્સાહથી કહ્યું કે “આ પુસ્તક રૂપે આવવું જ જોઈએ.” અને પછી જે સર્જન થયું છે તે આપ સૌ સમક્ષ મુકતા આનંદ અનુભવું છું, તેના ભાગીદાર કેતન પણ છે. પુસ્તકનું સર્વાંગી સંપાદન કરી મારા સર્જન અને સર્જનપ્રક્રિયાને અર્થસભર રીતે ગુંથવામાં કેતનકલાનું અનેરું પ્રદાન છે. મારા અગાઉના પુસ્તક ‘વિદ્યા વધે એવી આશે’ પણ કેતનના સહયોગથી તૈયાર થયું હતું તેનો આનંદ વ્યક્ત કરું છું.

સતત ત્રણ મહિના સુધી ફેસબુક પર ‘સમાજશાસ્ત્રીની કોરોના ડાયરી’ને આવકાર અને પ્રતિભાવ આપનાર સૌ મિત્રોનો આભાર. હું કવિ તો નથી, મારી રચનાઓને પ્રોત્સાહિત કરનાર અનેક નામી-અનામી મિત્રો, સામયિકો, વેબસાઇટ્સ-પોર્ટલ્સનો આભાર. પત્ની હર્ષા અને પુત્ર અણમોલ પણ મારી વિચારયાત્રાના સહયાત્રી રહ્યાં છે. તેમનાં પ્રોત્સાહન વિના આ યાત્રા પુસ્તક સ્વરૂપે પૂર્ણ ન થઈ હોત.

કોરોનાકાળમાં વિશ્વભરમાં ‘કોરોના વોરિયર્સ’ પડઘાયા કરે છે, પણ હું વોરિયર્સના સ્થાને શાંતિદૂતથી સૌને નવાજવા ઇચ્છું છું. સફાઈકામદાર, નર્સ, ડોક્ટર, પોલીસ અને અનેક સ્વયંસેવી વ્યક્તિઓનાં પ્રદાન યુદ્ધભૂમિ પર નથી થયાં. ભારત બુદ્ધ અને ગાંધીની ભૂમિ છે. એટલે યુદ્ધ નહીં પણ બુદ્ધ અર્થાત્‌ પ્રેમ, કરુણા અને સુશ્રૂષા. આ સૌની ભૂમિકામાંથી મને પ્રેરણા મળી છે. અને તેના થકી એ સૌના કામનું દસ્તાવેજીકરણ કરવાની તક મળી એ મારું સૌભાગ્ય છે.

Email: gaurang_jani@hotmail.com

[કોરોના : બિંબ-પ્રતિબિંબ—વાત લોકડાઉનની, લેખક – ગૌરાંગ જાની, સંપાદક – કેતન રુપેરા, પ્રકાશક : અનમોલ પ્રકાશન, પ્રથમ આવૃત્તિ, ઓક્ટોબર 2020, ISBN : 978-93-5416-832-1, નોટબુક સાઇઝ, આર્ટ પેપર, પૃષ્ઠ : 128 (16 + 112), સોફ્ટ બાઉન્ડ કિંમત ₹ 225, હાર્ડ બાઉન્ડ કિંમત ₹ 350, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, 380 009] 

Loading

...102030...2,1152,1162,1172,118...2,1302,1402,150...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved