Opinion Magazine
Number of visits: 9573590
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જગતમાં સત્તાએ શાંતિ રહેવા દીધી નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 October 2020

પૃથ્વી ફરતી થઈ ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે અશાંતિ કદાચ આજના સમયમાં છે. એ ઘટે એવું હાલના સંજોગોમાં જણાતું નથી. જેને આપણે રામરાજય કહીએ છીએ એવું રાજ તો રામના વખતમાં પણ ન હતું. રામ રાજા થવાના હતા એ સમયમાં જ એમને ભાગે વનવાસ આવ્યો. વનમાં પણ ઠરવાનું ઓછું જ બન્યું. રાવણ સીતાનું હરણ કરી ગયો અને પછી તો એની સાથે યુદ્ધ થયું. અયોધ્યા પાછા આવવાનું બન્યું. રામરાજ્યની શરૂઆત થાય ન થાય ત્યાં તો નિર્દોષ સીતાનો ત્યાગ કરવાનું બન્યું. એને નસીબે તો ફરી વનવાસ જ આવ્યો. એ પછી સીતા ધરતીમાં સમાઈ અને રામે સરયૂ નદીમાં જળસમાધિ લીધી. આમાં કેટલું સુખ ભગવાન હોવા છતાં રામને ભાગે આવ્યું તે વિચારવાનું રહે.

મહાભારતમાં પાંડવો વિજયી બન્યા, પણ એ વિજય પાંડવોને ખાસ ફળ્યો નહીં. જે રાજ્ય મેળવવા પાંડવો જીવનભર મથ્યા એ રાજ્ય છેવટે સંતાનોને સોંપીને નીકળી જવું પડ્યું. કૌરવોમાંથી કોઈ બચ્યું નહીં ને ધૃતરાષ્ટ્ર, વિદુર અને ગાંધારીએ પણ છેવટે તો વનને ખોળે જ રહેવાનું આવ્યું. છેવટે તો વન એ જ જીવન થયું. સાચું તો એ છે કે મહાભારતમાં શાંતિપર્વ છે, પણ શાંતિ નથી.

નજીકની સદીમાં જઈએ તો બે વિશ્વયુદ્ધો જગતે જોયાં. સંહાર એ જ આહાર બન્યો. જાપાન ખતમ થયું. બીજા અનેક દેશોએ પાયમાલી વહોરી. યુદ્ધ વગરની નીતિઓનો મહિમા થયો. યુદ્ધનું એવું છે કે જે જીતે છે તે પણ ઘણું ગુમાવે છે. જગતને એ ભાન થયું કે શાંતિ, શસ્ત્રથી શક્ય નથી.

ભારત સ્વતંત્ર થયું તે સાથે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ને એક નવો શત્રુ સ્વતંત્રતાની સાથે જ ઉમેરાયો. ચીન સાથે 1962માં યુદ્ધ થયું. ભારત હાર્યું. પાકિસ્તાન સાથે એકથી વધુ યુદ્ધો થયાં. એમાં જીતેલો પ્રદેશ ગુમાવવા સિવાય બીજી પ્રાપ્તિ ન હતી. એ સાથે જ પાકિસ્તાનની કનડગત આજ પર્યંત ચાલુ જ છે. તેણે ગિલગિટ, બાલ્ટિસ્તાન, જૂનાગઢ વગેરેને પાકિસ્તાનના પ્રદેશો ગણાવ્યા છે, પણ આવાં નાટકો ઝાઝું ટકતાં નથી. પાકિસ્તાનમાં સામાન્ય બુદ્ધિ સિવાય બધું જ છે. તેને સાઉદી ગંભીરતાથી લેતું નથી. તેણે પાકિસ્તાનનો એ વિવાદી નક્શો રદ્દ કર્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઘણી બધી રીતે નાદાન છે એટલે જ જોખમી પણ છે.

બીજી તરફ વિશ્વ કક્ષાએ અમેરિકા ઈરાન, ઈરાક સાથે અગાઉ પણ બાખડતું જ રહ્યું છે. શાંતિના બધા પ્રયત્નો છતાં ચીન, પાકિસ્તાન સાથે ભારતનો ખટરાગ અટકતો નથી. આ ઉપરાંત પણ ક્યાંક યુદ્ધ ચાલે છે અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ છે. અમેરિકા ભારતની પડખે ઊભું રહ્યું છે તેનો પણ ચીને વાંધો ઉઠાવ્યો છે. તાજો જ બનાવ એવો બન્યો છે કે ફ્રાન્સની એક શિક્ષિકાની એક મુસ્લિમ યુવકે હત્યા કરી. કારણ એટલું કે એ શિક્ષિકાએ પયગંબર સાહેબનાં કાર્ટૂન્સ વિદ્યાર્થીઓને બતાવ્યા અને વાત તેમના પેરંટ્સ સુધી પહોંચી. પરિણામ શિક્ષિકાની હત્યામાં આવ્યું. એને ફ્રાન્સના રાષ્ટૃપ્રમુખે આતંકી હુમલા તરીકે ઓળખાવ્યું ને બધા મુસ્લિમ દેશોએ એનો વિરોધ કર્યો તે ત્યાં સુધી કે ફ્રાન્સની કોઈ પણ ચીજવસ્તુઓનો પણ બહિષ્કાર કરવો.

બીજી તરફ અમેરિકામાં પ્રમુખીય ચૂંટણીની ઉત્તેજના છે તો ભારતમાં બિહારની ચૂંટણીને મામલે ભા.જ.પ. અને અન્ય પક્ષોના નેતાઓ વચ્ચે ગરમાટો છે જ. અનેક આર્થિક પછડાટો વચ્ચે ભારત બે છેડા ભેગા કરવા મથે છે ને અત્યારે તો લગભગ તમામ દેશોની ઈકોનોમી ન જોયેલું જુએ છે.

છેલ્લા વર્ષના અંતમાં ચીને જગતને કોરોનાની ભેટ આપી. જગતમાં આને કારણે 12 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. કોઈ પણ યુદ્ધમાં થયેલી ખુવારી જેવો જ ભયંકર આ આંકડો છે. ફેર એટલો જ છે કે અહીં શત્રુ દેખાયો નથી. આટલું ઓછું હોય તેમ યુરોપના દેશોમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે ને સ્થિતિ કાબૂ બહાર જાય તેવું લાગે છે. યુરોપમાં એક જ અઠવાડિયામાં કોરોનાના 13 લાખ અને દુનિયામાં 20 લાખ કેસો નોંધાયા છે. સ્પેન, ઈટાલી, ફ્રાંસ જેવા દેશો ફરી લોકડાઉન અને કરફ્યુમાં સંડોવાય એવી સ્થિતિ ઊભી થઈ છે ને લોકો હવે ફરી ઘરમાં ગોંધાવા રાજી નથી, એ જ કારણે લોકો હિંસક વિરોધ નોંધાવી રહ્યા છે. ભારતની વાત કરીએ તો કોરોનાના 80 લાખથી વધુ કેસો થયા છે ને મૃત્યુ આંક 1.20 લાખ પર પહોંચ્યો છે. દિવાળી પછી સ્કૂલો શરૂ થઈ જાય તો તે વખતની કોરોનાની સ્થિતિની કલ્પના કરવાની રહે. ભારતમાં પણ કોરોનાનું બીજું મોજું આવી શકે એવું નિષ્ણાતોનું કહેવું છે.

કોરોનાને કારણે વૈશ્વિક અર્થકારણ સારું એવું ઘોંચમાં પડ્યું છે. આમ કરવાનું ચીનનું લક્ષ્ય પણ હતું, જેમાં તે મહદંશે સફળ પણ થયું છે. આ ઉપરાંત ધરતીકંપ, વરસાદ, સુનામી, વાવાઝોડા, આગ, જ્વાળામુખી વિસ્ફોટ જેવી કુદરતી આફતો તો માનવો પર તોળાયેલી રહે જ છે ને એ નિમિત્તે અનેક જીવો જોખમમાં પણ મુકાય છે, પણ આ બધું છતાં માણસ બીજા માણસને કનડવામાંથી ઊંચો આવતો નથી તે હકીકત છે.

આગલા અનુભવો અને ઈતિહાસમાંથી માણસ કૈં શીખતો નથી અથવા તો હેરાન થવા કે કરવાનો ઉપદેશ જ તે ગ્રહણ કરે છે એમ માનવાનું રહે. આજનું જગત જોતાં સમજાય છે કે તે અરાજકતાનો શિકાર છે. બોધપાઠ એટલો જ લેવાય છે કે બીજા પર વર્ચસ્વ સ્થાપો ને લોકોને એડી નીચે રાખો.

અસંતોષ આજનો રાજરોગ છે. કેન્સરનો ઈલાજ છે, અસંતોષનો નથી. નાનામાં નાના માણસથી માંડીને મોટાં મોટાં માથાં કેવી રીતે બધું કબજે કરવું ને બીજાના હક મારીને ટકવું એટલું જ જાણે છે.

યુદ્ધ, રોગચાળો, આફતોથી માણસ ડરે નહીં ને સામનો કરે એ અપેક્ષિત છે તે સાથે જ તે વધુ નમ્ર અને શાંતિપ્રિય બનવો જોઈએ, પણ એવું ખાસ જણાતું નથી. માણસ વધારેને વધારે ઉધ્ધત, નિષ્ઠુર અને અસહ્ય બની રહ્યો છે. તે શિક્ષિત હોય તો પણ વધારે ક્રૂર અને જંગલી થયો છે. નાની નાની વાતોમાં તે કોઇની પણ હત્યા કરી નાખતા અચકાતો નથી. દુર્ગુણો એ જ સદ્દગુણો હોય તેમ એ તામસી અને વિવેકહીન થઈ ગયો છે. સિદ્ધાન્ત, સત્ય, આદર્શ હવે પુસ્તકોમાં જ રહી ગયાં હોય એવી સ્થિતિ છે.

ટેકનોલોજીએ સમય અને અંતર ઘટાડી દીધાં છે. માણસની મહેનત ઓછી થઈ છે. સંપર્કો સહેલા થઈ ગયાં છે. આને લીધે માણસને નિરાંત મળવી જોઈએ, પણ એવું થતું નથી. માણસ વધુ વ્યસ્ત અને ત્રસ્ત થયો છે. સોશિયલ મીડિયા આજનું સર્જન છે, પણ તેમાં ઉપયોગ કરતાં દુરુપયોગ વધારે છે. સંપર્કોને કારણે સૌમ્યતા ને સૌજન્ય વધવાં જોઈતાં હતાં, પણ એવું થયું નથી. નગ્નતા ને દેખાડા વધ્યા છે. માધ્યમોના ઉપયોગથી શોષણ અને સંતાપ જ વધ્યાં છે. હત્યા – આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે.

આ બધાં પરથી એટલું સમજાય છે કે દરેક ક્ષેત્રમાં સત્તાનું પ્રાધાન્ય વધ્યું છે. કોઈ પણ રીતે સત્તા મેળવો અને તેના પર મરણિયા થઈને ટકી રહો એ એક માત્ર ઉદ્દેશ જીવનનું રહ્યું હોય એમ લાગે છે. કોઈ પણ યુદ્ધખોર માનસ આની આગળનું ભાગ્યે જ વિચારે છે. એ કોઈ સંસ્થા હોય કે મહાસત્તા હોય, સત્તા તેનું એક માત્ર લક્ષ્ય જણાય છે. એને કારણે મૂલ્યોનું સતત ધોવાણ થતું આવે છે. પ્રમાણિક્તા કે સત્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ દાવ પર લાગે છે. યુનો કે વિશ્વ આરોગ્ય સંસ્થાઓની છેલ્લા થોડા સમયની ગતિવિધિઓ જોઈશું તો તેના નિર્ણયો તટસ્થ ઓછા જ રહ્યા છે. એમની સ્થાપનાના જે હેતુઓ છે તે બદલાયેલા જણાય છે. કોરોના સંદર્ભે જોઈશું તો તેના ફેલાવા અને દવા કે રસી અંગેના ઉપાયો વિશ્વ આરોગ્ય સંસ્થાએ સૂચવ્યા છે તેમાં વિશ્વહિત કરતાં રાજકારણ વધુ જણાય છે.

રાજનીતિ આજે વિશ્વવ્યાપી બની છે અને તેના હેતુઓ ભાગ્યે જ સારા જણાય છે. એવું કેમ લાગે છે કે તમામ દેશો પોતાનું રાષ્ટ્રીય ચરિત્ર ગુમાવી રહ્યા છે અને નબળું જ ગુણવત્તા તરીકે પ્રાધાન્ય ભોગવે છે? આ વૈશ્વિક સ્વસ્થતા માટે સારી નિશાની નથી. આવનારી પેઢીને આપણે શું ભેટ આપવા માંગીએ છીએ? સત્ય, પ્રમાણિક્તા, નિષ્ઠા, સદ્દભાવ, અનુકંપા, સાધન શુદ્ધિ એનું કોઈ મૂલ્ય આપણામાં વસે છે કે આવનારા સમયમાં એની કોઈ કીમત નથી એટલે એનો ત્યાગ કરો એવું આપણે આવનારી પેઢીને શીખવવા માંગીએ છીએ તે નક્કી કરી લેવાનું રહે. અસ્તુ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : “ધબકાર” દૈનિક, 30 ઑક્ટોબર 2020   

Loading

મારા પિતાજીની 95મી જન્મ જયંતીએ પુણ્યસ્મરણ અને પ્રેમાંજલિ :



વિજય ભટ્ટ, 
વિજય ભટ્ટ, વિજય ભટ્ટ|Opinion - Opinion|30 October 2020

ઓક્ટોબર 24,  ડો. જયેન્દ્ર મણિધર ભટ્ટ, ઉર્‌ફે બચુભાઈ, બુલબુલ ભાઈ, બચુદાદા, દાદા તરીકે ઓળખાતા મારા પિતાજીની ૯૫મી જન્મ જયંતી! (1925 – 2008)

બ્યાશી વર્ષના એમના સરળ, સાદા પણ રસપ્રદ, અને પ્રેરણાદાયક જીવન વિષે ઘણું કહી શકાય. પણ ચાલો, આજે  એમને એક પુત્રના કેલિડોસ્કોપમાંથી જોઈએ!

બધાં એમને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના એક સરળ સન્નિષ્ઠ અધ્યાપક તરીકે ઓળખે. એમના જેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા બીજા અનેક અધ્યાપક સાથીઓને પણ આપણે આજે બિરદાવીએ.

ઘર અને પાડોશમાં સૌ એમને બચુભાઈ કહેતા. હા, આબાલવૃદ્ધ સૌ. અને પાછળથી એમને  'દાદા'ની પદવી ઘરના બાળકોએ આપી, તેથી બચુદાદા પણ કહેવાયા! શુદ્ધ ગાંધીમૂલ્યોનું  અનુસરણ કરનારી, પ્રગતિશીલ અને માનવતાવાદી વ્યક્તિ. પરંતુ કદી પોતાનો કોઈ મત કુટુંબીઓ કે બીજા પર ઠોકી ન બેસાડતા એટલે પહેલા ઉદારમતવાદી. સાથે સાથે થોડી માનવ સહજ અવ્યહારુ મર્યાદાઓ પણ ખરી જ. આગળ જોઈશું.

એક વાર એમને એવી મોટી છીંક આવી હતી કે લેંઘાનું નાડું તૂટી ગયું! બધ્ધાની હાજરીમાં. પછી તો જે નિખાલસપણે, સંકોચ વગર, એ હસ્યા અને સાથે અમે સૌ પણ! એમને ગયે વર્ષો થયાં છતાં, આજે જ્યારે પણ ઘરમાં કોઈથી આવી નિર્દોષ કે ભુલકણી રમૂજ થાય ત્યારે અમે મોજથી કહીએ કે "બચુદાદા જેવું!"

એમને નાકમાં વાંકુ હાડકું (સેપ્ટમ) હતું, તેથી સાઈનસનું દર્દ બાળપણથી જ. તેમના લંગોટિયા માણેકલાલનાં દાદીએ છીંકણીં સૂંઘવાનું લફરું લગાડી આપ્યું. બસ પડી ગઈ ટેવ!  ખાદીનાં કપડાં, ખાદીનો રૂમાલ, પણ ગજવામાં છીંકણીંની ડબ્બી! વર્ષો પછી ચાલીસીમાં આ અભદ્ર એવી ગણાતી ટેવ ગઈ ખરી!

કોઈ પણ નાની વસ્તુ પણ રીપેર કરવાની આવે એટલે મોતિયાં મરી જાય! સમાચાર સાંભળવા ડાયલવાળા રેડિયો પર અમદાવાદ-વડોદરા સ્ટેશન સાચું ગોઠવવાની પૂરતી કુશળતા ખરી, પણ ટેપ રેકોર્ડરમાં કેસેટ મૂકી સાચી સ્વીટ્ચ દબાવવી ન ફાવે ને સાયકલની ચેન ઊતરે તો તો સહેજ કસોટીકારક આહ્વાન! અમારા ઈસબભાઈ વોરાકાકા, એક સહ-અધ્યાપક અને અમારા પાડોશી, તે એમનો પહેલો ને છેલ્લો સહારો! 

કૃષ્ણાશ્રય! 

વર્ષો સુધી અમારા ઘરમાં વાહન તરીકે માત્ર એક સાઇકલ! પાછળથી લેમ્બ્રેટ્ટા (ઇટાલિયન) ખરીદ્યું! પણ ચલાવતાં ના આવડે! તેથી એમના મિત્રો એમના વાહન-ચાલાક. મહિનાઓ પછી જાતે ચલાવતા થયા! કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ વિષે શીખવાનું શરૂ કર્યું, પણ રસ ન જાગ્યો. પરંતુ કમ્પ્યુટરની ભાષા – પ્રોગ્રામિંગ શીખી લીધું. ભાષા તરીકે જાવા પ્રોગ્રામિંગ સરસ શીખ્યા. આખો પ્રોગ્રામ જાવાની ભાષામાં લખે. કમ્પ્યુટરની ભાષાના નિયમો અને વ્યાકરણ તદ્દન સાચાં. આ પ્રોગ્રામિંગ પણ કાગળ પેન્સિલથી જ લખેલું. પરફેક્ટ! શિક્ષકની પણ ભૂલ કાઢે. પરંતુ કમ્પ્યુટર ઉપર તે પ્રોગ્રામ લૉડ કરવો કે કમ્પ્યુટર ચલાવવું વગેરે ન ફાવે. કહે “જવા દો ત્યારે !" મોબાઈલ ફોન મેં આપ્યો હતો પણ જવલ્લે જ વાપરે. શૈક્ષણિક અભિગમ (એપ્ટિટ્યૂડ) જન્મજાત, પણ યાંત્રિક નહીં.

એકસઠ પછી રિટાયર થઇ અમેરિકા આવી જોડાયા અમારી સાથે. ઘરમાં બેસી રહેવું ગમે નહિ. કાર શીખવડાવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી! પાછળથી કહેતા કે સારું થયું, કારણ કે બસમાં ફરવાથી લોકોને મળાય, જુદી જુદી જાતિના અને ભાષાના લોકો સાથે ભળાય  ને વાતો થાય.  અમુક નવા મિત્રો બને તેમને તો બસથી ઘરે લઈ આવે – વાતો કરવા અને ચા પીવા. અરે, ઘણી વાર અમે કામ ઉપરથી ઘરે આવીએ ત્યારે કોઈ વાર ગોરા, કોઈ વાર કાળા, કે મેક્સિકન, કે વિયેતનામી એવા અજાણ્યા મહેમાન અમારા દીવાન ખંડમાં આદુવાળી ચા, ગુજરાતી નાસ્તો અને બચુભાઈની કંપની માણતા હોય, અને તે માતુશ્રીની બદોલત! લોસ એન્જલ્સના વિવિધ જાતિના અનેક લોકોની સાથે એમની દોસ્તી. જાણે યુનિટેડ નેશન્સના પ્રમુખ!

બસમાં ફરવામાં વાર બહુ લાગે, થોડું ચાલવું પણ પડે, છતાં ભાગ્યે જ કોઈને વિનંતી કરે કે તમારી કારમાં મને મૂકી જાવ. પોતાની સ્વતંત્રતાથી ફરવાની મોજ અને જુદી જુદી સંસ્કૃતિના લોકોને મળવાનું વધુ ગમે. લોસ એન્જલ્સમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળાં લોકો બસમાં ફરે. તે છતાં (અને કદાચ તેથી જ) બસ ગમે. એન.આર.આઈ. સિનિયર સિટીઝન્સની પણ ક્લબ શરૂ કરી અને એ એક સહાયક (સપોર્ટ ગ્રુપ).

અધ્યાપક 


એમનો પીએચ.ડી.નો વિષય હતો – ગાંધી-વિનોબાની શૈક્ષણિક ફિલસૂફીનો અભ્યાસ.  એમના માર્ગદર્શન હેઠળ લગભગ સાઠથી વધુ પીએચ.ડી. સ્નાતકો થયાં જે બધાં જ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરે છે. વૈવિધ્યપૂર્ણ વાચન એમની સુટેવ. ટી.વી. જોવાને સમયનો વ્યય કહેતા. અનેક રસપ્રદ વિષયો પર માંડીને બોલી શકે. અમને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્તેજિત કરે અને શીખવે. નખશિખ અધ્યાપક!

અંગ્રેજી, સંસ્કૃત, અને ગુજરાતી ભાષા પર અદ્દભુત પ્રભુત્વ. ઉર્દૂ લિપિ શીખ્યા. હસીને સ્વીકારતા કે “મારું પોતાનું લખેલ ઉર્દૂ  પાછળથી વાંચતાં અઘરું પડે છે, પણ બીજાનું લખેલું ઉર્દૂ સહજ વાંચી શકું છું એટલી નબળાઈ છે.”( મૂજી લાગે પણ સાચું). તેમના સહ અધ્યાપકો એમની વ્યાવહારિક બિનઆવડત અને ભોળપણ પર હંમેશાં એમની પ્રત્યક્ષ જ પ્રેમથી હસતા, પરંતુ એમની વિદ્વત્તા, ઉચ્ચ મૂલ્યો, અને ઉદારતા માટે અત્યંત આદર અને સન્માન રાખતા.

કિશોરકાળથી જ કસરતી. છેક છેલ્લે સુધી શારીરિક સહનશક્તિ એવી કે પાછલી ઉંમરે પણ ચાર વાર થાપાની સર્જરી ખાસ ફરિયાદ વગર સહી. પહેલેથી ગાવાનો શોખ તેથી જ  હુલામણું નામ બુલબુલ પડેલું. પોતે સંગીત શીખી ના શક્યા પણ અમને સંગીત શીખવવાનો આગ્રહ રાખ્યો તેનો આજે અમને ફાયદો અને આનંદ છે.

ધર્મનિરપેક્ષ, એગ્નોસ્ટિક, કે નાસ્તિક?


ભારતમાં હતા ત્યારે ક્યારે ય મંદિર ન જતા. અમેરિકા આવ્યા પછી અહીંના મંદિરમાં માત્ર બીજા ભારતીયોને મળી શકાય, વાતો થાય માટે જ જતા, અને લગભગ બહાર બાંકડે જ બેસતા. એમણે ભાષ્યો અને મીમાંસાનાં ભાષાંતર કરેલાં અને શાસ્ત્રોનો અભ્યાસ કરેલો તે છતાં તેમાં જરા ય માનતા ન હતા. બાઇબલ, કુરાન, બૌદ્ધ, અને જૈન શાસ્ત્રોમાં ઊંડો રસ અને અભ્યાસ. પણ કહેતા "ઠીક છે બધું. માનવધર્મ જ ધર્મ". બચુભાઇને નાસ્તિક કહી શકાય કે નહિ તે હજી એક કોયડો છે, પણ એ એક માનવતાવાદી, ધર્મનિરપેક્ષ, ઉદારમતવાદી, અને પોતની આગવી રીતે આધ્યાત્મિક વિદ્વાન જરૂર હતા.

અમારાં બાળકો માટે ખૂબ જ પ્રેમ, અને માનવતાવાદી અને જ્ઞાનનાં મૂલ્યોનું સિંચન બાળકોમાં કરવાનો અતિ આગ્રહ. એ સાદા અને સરળ માનવી કે જેમને અમારા પિતા કહેતાં અમને ગૌરવ થાય છે, એમને કવિશ્રી ઉમાશંકર જોશીનાં ‘માવતર’ કાવ્યની પંક્તિઓ ટાંકીને સાદર પ્રેમાંજલિ :



પિતા! હું તો નાનું ઝરણ અમથું; ઈશ્વરકૃપા


થકી જન્મ્યું, જીવું, જગતલ વહું આર્દ્ર ઉરથી


તમારા પ્રેમાળુ (ઉપરથી ભલે વજ્ર સમ હો!), -


મીઠું ગાણું મારી રગ રગ વહે આપ રગનું

.
…. બની બાદલ પાછું તમ ઉર વસું, જો પ્રભુકૃપા!

(લોસ એન્જલ્સ)


e.mail : vijaybhatt01@gmail.com

Loading

જયપ્રકાશ નારાયણ : એ નેતા જેમણે પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં

ગુણ-નિવેદનમ્‌ – વિનોબા (અનુવાદ : ભદ્રા સવાઈ)|Opinion - Opinion|30 October 2020

વ્યક્તિ વિશેષ

(૧૧ ઑક્ટોબરે જે.પી.નો જન્મદિવસ. તે નિમિત્તે એમને અંગે વિનોબાએ કહેલું, કેટલુંક સમજીએ.)

જયપ્રકાશ નારાયણનો જન્મ ૧૧ ઑક્ટોબર ૧૯૦૨ના રોજ પટણા પાસેના સિતાબદિયારા ગામમાં થયો હતો.

‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો પાઠ રહેંટ ચલાવતાં ચલાવતાં થતો હતો. એક વાર જયપ્રકાશજી મને મળવા આવ્યા. તે દિવસોમાં અમારો વિચારભેદ હોવા છતાં તેઓ મારી સાથે રહેંટ ચલાવવામાં જોડાઈ ગયા. તેઓ ઘણી પ્રેરણા લઈને ગયા. (જે.પી.એ કહ્યું હતું, “મેં ત્યાં પ્રકાશનું કિરણ જોયું. વિનોબા સાથે એમની એ પહેલી મુલાકાત હતી.)

જયપ્રકાશજી વિદ્યાપ્રાપ્તિ માટે અમેરિકા ગયા હતા. અહીંથી પૈસા લઈને ગયા નહોતા. ત્યાં એમણે મજૂરી કરી. હૉટેલ વગેરેમાં કામ કર્યું, પૈસા કમાયા અને અધ્યયન કર્યું. બિલકુલ મામૂલી મજદૂરી કરી. આ રીતે એમના જીવનમાં પુરુષાર્થની પ્રેરણા હતી. જેઓ કષ્ટ સહન કરીને વિદ્યા મેળવે છે તેઓ જીવનમાં ક્યારે ય હારતા નથી.

જયપ્રકાશજીએ સાહિત્ય ખૂબ વાંચ્યું હતું. એને પચાવ્યું હતું. પરંતુ એમને લાગ્યું કે ઈશ્વર વગર ‘ગુડનેસ’(ભલાઈ)ને માટે ‘ઇન્સેન્ટિવ’ (પ્રેરણા) નથી થતી. દુનિયામાં પરિશુદ્ધ ચૈતન્ય વ્યાપ્ત છે. તે જ પરમાત્મા છે. એ વ્યાપક પરિશુદ્ધ ચૈતન્ય સાથે જ આ પિંડના ચૈતન્યનો સંબંધ થવાથી આ ચૈતન્ય શુદ્ધ બને છે.

જયપ્રકાશજીની બે-ત્રણ વિશેષતાઓ હતી. પહેલાં ચર્ચા ચાલતી હતી કે જવાહરલાલજી પછી પ્રધાનમંત્રી કોણ બનશે ? ત્યારે જયપ્રકાશજીનું  જ નામ લેવાતું હતું. પણ જયપ્રકાશજીએ ક્યારે ય સત્તા હાથમાં લીધી નહીં. સત્તાની ઇચ્છા એમને નહોતી. લોકોએ એમને ‘લોકનાયક’નું બિરુદ આપ્યું. પરંતુ એમણે ક્યારે ય પોતાને ‘લોકનાયક’ માન્યા નહીં. લોકસેવક જ માન્યા.

જો તેઓ ઇચ્છતા હોત તો પ્રધાન મંત્રી કે રાષ્ટ્રપતિ બની શક્યા હોત. પણ આવી કોઈ ઇચ્છા એમના મનમાં ક્યારે ય થઈ નહીં. લોકો સાથે એકરૂપ થઈને જ તે લોકોની સેવા કરતા રહ્યા. ગામેગામ લોકોની, ખાસ કરીને ગરીબોની શક્તિ વધે, એ એકમાત્ર એમની ઇચ્છા હતી. તે માટે એમણે આખું જીવન હોમી દીધું. છેલ્લે સુધી દરિદ્રનારાયણની સેવા કરતાં કરતાં એમણે પોતાનું જીવન સાર્થક બનાવ્યું.

બીજી વિશેષતા, તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ પતિ-પત્ની બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મચારી હતા. એમના લગ્ન કરાવ્યાં તો એમની પત્ની શારદાદેવી બ્રહ્મચારિણી રહ્યાં. એનાથી ઊંધી વાત જયપ્રકાશજીની છે. પ્રભાવતી બાપુની સેવામાં રહેતાં હતાં, બાપુ સાથે નિકટના સંબંધ હતા. બાપુના વિચારોને કારણે પ્રભાવતીજીને બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી અને નિશ્ચય કર્યો. જયપ્રકાશજીએ કહ્યું, ‘હું તમને અનુકૂળ રહીશ.’ આ બિલકુલ સહજ રીતે થયું. ‘મેં કોઈ બહુ મોટી વાત કરી’ એવો અહમ્‌ નહીં. સહજ નિરહંકારી હતા. આ વાત કોઈને ખબર પણ નહોતી. ગાંધીજીએ કસ્તૂરબાને ‘માતા’ માન્યાં હતાં એ વાત બધાને ખબર છે. રામકૃષ્ણની વાત પણ જાહેર છે. પરંતુ જયપ્રકાશજીની વાત કોઈને ખબર નથી. દુનિયામાં આવાં ઉદાહરણો ઓછાં જોવા મળે છે.

જયપ્રકાશજીની ત્રીજી વિશેષતા હતી, એમની નમ્રતા, સરળતા અને સ્નેહ. એમના અનેક ગુણોનો પ્રભાવ મારા પર પડ્યો છે. એમાં એમના હૃદયની સરળતા મને વધુ પ્રિય હતી.

ગાંધી-નિધિએ ગાંધીજીના શતાબ્દી-મહોત્સવનો કાર્યક્રમ નક્કી કર્યો હતો. એમાં અધ્યયન મંડળ, પુસ્તકાલય, ખાદી વગેરે અંગે વાતો થઈ હતી. જે.પી. એના સભ્ય હતા. મેં એમનો લેખ વાંચ્યો. એમાં લખ્યું હતું કે “ઘણા કાર્યક્રમ છે. પણ ક્રાંતિકારી કાર્યક્રમ કોઈ નથી. એટલે આ પ્રસંગ પછી ગાંધી-નિધિ પાંચ વર્ષ સુધી ગ્રામદાન અને ખાદીનું કામ ઉપાડી લે. ત્યારે મને યાદ આવી સિંહણની વાર્તા. શિયાળનું બચ્ચું ઘરડી સિંહણની પાસે શૂરાતનની વાતો વધારીને કરવા લાગ્યો. બધું સાંભળ્યા પછી સિંહણે કહ્યું. “નિ:સંદેહ તું શૂરવીર છે. પણ ખેદ એ વાતનો છે કે જે કુળમાં તું જન્મ્યો છે, ત્યાં હાથીનો શિકાર કરવામાં આવતો નથી. ઘણાં કામો શિયાળના આ બચ્ચાના કામ જેવાં થતાં હોય છે. પણ ગાંધીજીના નામે કોઈ કામ કરવું હોય તો એની કસોટી હશે ‘ક્રાંતિ’.

જયપ્રકાશજીનું શરીર થાકેલું હતું. લોકોના આગ્રહને કારણે થોડો સમય આરામને સારુ હિમાલયની ગોદમાં ગયા હતા. એટલામાં બિહારમાં અમારા સાથીઓને નક્સલવાદીઓ દ્વારા ખૂનની ધમકી મળી. એની ખબર જયપ્રકાશજીને મળી. તો તેઓ તરત દોડી આવ્યા. અને એમણે ત્યાં પોતાના જાનની બાજી લગાવી દીધી. નકસલવાદીઓનું કામ શરૂ થઈ ગયું હતું. માલિકોનાં ખૂન શરૂ થઈ ગયાં હતાં. જયપ્રકાશજીનું પણ ખૂન થઈ શકે ! તો તે આશ્ચર્યની વાત નહોતી. જે.પી. ત્યાં ગયા તો કોઈ કહેતા, હવે ક્રાંતિની દિશામાં નવું પગલું મળશે; કોઈ કહેતું, ગ્રામદાનની નવી ટેકનિક મળશે; કોઈ કહેતું, સત્યાગ્રહનો નવો રસ્તો મળશે. પણ આ બધાની કિંમત ઓછી છે. જે સ્નેહ હતો, જેને માટે તેઓ દોડી આવ્યા, તેની કિંમત વધારે હતી.

જે.પી. પોતાનો આરામનો કાર્યક્રમ છોડી, મુસહરી પ્રખંડમાં ગામે – ગામ ફરી રહ્યા હતા, અને હું મારું મગજ બંધ રાખું તે બની શકે નહીં. મેં મારું મગજ ખુલ્લું રાખ્યું. મેં કહ્યું, “જયપ્રકાશજીએ જાનની બાજી લગાવી છે એટલે બાબા ભારતના મધ્યમાં આવીને બેઠા છે. બાબા કચરો ઉઠાવે છે, તો તે પણ એક જપ બની જાય છે. આ સફાઈનું કામ એ બાબાનો મુસહરી પ્રખંડ છે. જયપ્રકાશજી ત્યાં કામમાં લાગ્યા છે અને બાબા અહીંયા. એમની તરફ મારું અભિધ્યાન સતત રહ્યું છે. એ બે-ત્રણ મહિના સ્નેહની મૂર્તિ મારી સામે રહી હતી જયપ્રકાશ બાબુની. મારી ટેવ છે હંમેશાં જલદી સૂવા જવાની, અને મધ્યરાત્રીમાં જાગી જાઉ છું તો કલાક બે કલાક આપણા સાથીઓનું સ્મરણ કરતો રહું છું. એ દિવસોમાં ઘણી વાર જયપ્રકાશજીને યાદ કરતાં મારી આંખોમાંથી આંસુ વહેતાં.

જયપ્રકાશજીનાં કામનો (વિચાર-ભિન્નતા હોવા છતાં) વિરોધ હું નહોતો કરતો. એનું કારણ બતાવીને હું કહેતો: નંબર એક, તેઓ સજ્જન છે. નંબર બે, તેઓ નિ:સ્વાર્થ છે. નંબર ત્રણ, જ્યારે તેમને ભૂલ સમજાશે, ત્યારે તેઓ ભૂલ કબૂલ કરશે અને વાત પાછી વાળી લેશે.

જયપ્રકાશજીએ છેલ્લે નિવેદન કર્યું હતું એમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે, “વિનોબાજીએ આપણી સામે જે આદર્શ મૂક્યો છે, તે અત્યંત વિચારવાલાયક છે. એમાં આપણે આપણી તાકાત લગાવવી જોઈએ. ફક્ત રાજનૈતિક કાર્યથી કામ થશે નહીં, આપણે આધ્યાત્મિક દૃષ્ટિથી કાર્ય કરવું પડશે.

બિહારમાં બાબા અને જે.પી. જ્યારે એક જ સભામાં બોલતા હતા; બાબાનું વ્યાખ્યાન અડધો કલાક થતું હતું અને જે.પી.નું દોઢ-બે કલાક થતું. બંનેનું મેળવી શ્રોતાઓનું સમાધાન થઈ જતું હતું. સર્વોદયવાળામાં એ કહેવત રૂઢ થઈ ગયેલી કે બાબાનું કોઈ પણ વ્યાખ્યાન અડધા કલાકથી વધારે થાય નહીં. અને જયપ્રકાશજીનું કોઈપણ વ્યાખ્યાન બે-અઢી કલાકથી ઓછું થાય નહીં. અને બંનેને સાંભળીને શ્રોતાઓની આકાંક્ષા પૂર્ણ થતી હતી. પણ તે જવાબદારી મારા એકલા ઉપર આવી પડી હતી. કારણ કે જે.પી. બીમાર થઈ ગયા હતા. તેઓ મુંબઈ ગયા હતા અને ટ્રસ્ટીશિપની બાબતમાં ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે બોલતાં બોલતાં જ તેઓ બેભાન થઈ ગયા હતા અને બીમાર થઈને પટના પહોંચ્યા હતા.

એ દિવસોમાં જે.પી.ના ચિત્તમાં શાંતિ રહે એવી પ્રાર્થના હું હંમેશાં કરતો હતો. એક સાથી મળવા આવ્યા. મેં એમને લખીને આપ્યું હતું કે, “જે.પી.ને હું રોજ યાદ કરું છું. વળી હું રોજ અહીં ફરું છું, તો મને જે.પી.નાં દર્શન રોજ થાય છે. (વિનોબા કુટિરની પાસે જમીન પરની વિવિધ આકૃતિઓમાં વિવિધ લોકોના ચિત્રની કલ્પના કરતા. એમાં જે.પી. પણ એક હતા.) અમે બંને સાથે જ રહીએ છીએ.

પંડિત નહેરુને ગંગા પર એટલો પ્રેમ હતો કે એમણે કહ્યું કે, “મારી થોડી રાખ દૂર દૂર ખેતરોમાં અને થોડી ગંગામાં વિસર્જન કરજો. જયપ્રકાશજીએ પણ કહ્યું કે, “જલદીથી જલદી મને ગંગાકિનારે લઈ જાઓ. મુંબઈથી બહાર કાઢો. તેઓ તો ભોલેનાથ હતા જ.

અહીંયા (બ્રહ્મવિદ્યા મંદિરમાં) પ્રજ્ઞા પથ પર જયપ્રકાશ અને પ્રભાવતીજીનાં નામ પર કેરીનાં બે ઝાડ છે (જે.પી. – પ્રભાવતીજીએ બંનેએ પોતે જ વાવ્યાં છે). હું રોજ કહું છું, जयप्रभा एकिती, तुलसी रामायण गाती (પ્રભાવતી દીદી રોજ તુલસી રામાયણનો પાઠ કરતાં).

જયપ્રભા સાંભળે છે, તુલસીદાસ રામાયણ ગાય છે. ગીતાઈમાં જયપ્રકાશજીનું નામ આવ્યું છે :

जय मी आणी निश्चय ….

જયપ્રકાશજીનું દેહાવસાન થયું. તેઓ હંમેશાં સૂર્યોદય થતા પહેલાં એક-દોઢ કલાક વહેલા ઊઠતા. આધ્યાત્મિક શબ્દ, સૂત્ર, મંત્ર ગણગણતા રહેતા હતા. અથવા એમને સંભળાવવામાં આવતા હતા. તે દિવસે પણ એવું જ કર્યું. પછી સૂવા ગયા. સવારે પોણા છ વાગ્યે તેઓ ચાલ્યા ગયા. પ્રાર્થના પછી જે ઊંઘમાં જ ચાલ્યા જાય છે તે ભગવાનનું ચિંતન કરતાં કરતાં જાય છે.

મેં જયપ્રકાશજીને ‘જપુજી’ નામ આપ્યું હતું. એમને જે.પી. કહેતા હતા. હિંદીમાં એનું જ.પ. થાય છે. એને ‘ઉ’ લગાવ્યો. પ્રેમથી ‘જી’ લગાવ્યો તે આદર માટે. તો બન્યો જપુજી. ‘જપુજી’ ગુરુ નાનકનો પ્રખ્યાત ગ્રંથ છે, ગુરુ નાનકનું એક ભજન એમની સ્મૃતિ માટે ઉત્તમ છે.

बिसर गयी सब तात पराई
जब ते साधु-संगत मोंहि पाई
ना को बैरी नाज़ बिगाड़
सकल संगि हमको बनि आई …

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”, 16 ઑક્ટોબર 2020; પૃ. 08-09 

Loading

...102030...2,1032,1042,1052,106...2,1102,1202,130...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved