Opinion Magazine
Number of visits: 9573444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા અને રાજકારણ એટલે શાંત પડેલા અજગરની ફૂંફાડા વગરની ભીંસ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|1 November 2020

કમનસીબે સોશ્યલ મીડિયાનો પાવર રાજકારણીઓના હાથમાં છે મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.

આમ તો આ અઠવાડિયામાં પણ એ બધું થયું જે આ વર્ષમાં શરૂ થયું છે. પણ આ બધાની વચ્ચે ફેસબૂક ઇન્ડિયાનાં પોલિસી હેડની ફરજ બજાવતાં અંખી દાસે છેલ્લા બે મહિનાથી ચાલતી માથાકૂટને પગલે રાજીનામું આપી દીધું છે. અંખી દાસનાં નામથી લોકો ઑગસ્ટમાં પરિચિત થયા. ‘વૉલ સ્ટ્રીટ જરનલ’માં આવેલા રિપોર્ટ અનુસાર ફેસબૂક પર ભા.જ.પા.ના એક નીતિ ઘડવૈયા સમા સિનિયર સભ્યએ મુસ્લિમ વિરોધી ટિપ્પણીઓ પોસ્ટ કરી હતી. ‘વૉલ સ્ટ્રીટ જરનલે’ જ્યારે આ પોસ્ટ અંગે સવાલ ઉઠાવ્યા ત્યારે આ પોસ્ટ ફેસબૂક દ્વારા જ ડિલીટ કરી દેવાઇ હતી. સોશ્યલ મીડિયા પર ‘હેટ સ્પીચ’ ફેલાવવાના ભા.જ.પા.ના ઇરાદાને ફેસબૂકે હળવાશથી લીધો હોવાનો આક્ષેપ ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ દ્વારા મુકાયો અને અખબારે એવો આક્ષેપ પણ મૂક્યો કે ફેસબૂક ઇન્ડિયાનાં પૉલિસી હેડ અંખી દાસ શાસક પક્ષ તરફી છે અને તેમણે આવું જાણી જોઇને થવા દીધું હતું. આ પોસ્ટ બાદમાં ડિલીટ તો થઇ પણ અંખી દાસે આ પોસ્ટ ડિલીટ ન થવી જોઇએ તેમ તેમના કર્મચારીઓને કહ્યું હતું. રિપોર્ટ અનુસાર અંખી દાસે કર્મચારીઓને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના પક્ષનાં રાજકારણીઓ દ્વારા કોઇ નિયમોનો ભંગ થયો હોય અને જો તેમની સામે પગલાં લેવાશે તો કંપનીના બિઝનેસ પર અસર થવાની શક્યતા છે.

જો કે ફેસબૂકે આ આક્ષેપને રદિયો આપ્યો અને કહ્યું કે તેઓ કોઇ પણ પક્ષને ટેકો નથી આપતા. જો કે આ વિવાદને પગલે ફેસબૂકને માટે સંજોગો કપરા થઇ ગયા અને ભારતની સંસદીય સમિતિએ ફેસબૂકના ઇન્ડિયા બિઝનેસ હેડ અજીત મોહનની પૂછપરછ કરી હતી. મંગળવારે અજીત મોહને સ્ટેમેન્ટ આપ્યું કે અંખી દાસે પોતાના પદ પરથી ‘જાહેર હિત’ને ધ્યાનમાં રાખીને રાજીનામું આપ્યું છે. અંખી દાસના સ્થાને શિવનાથ ઠુકરાલની નિમણૂંક થઇ છે જે વૉસ્ટએપના પબ્લિક પૉલિસી ડાયરેક્ટર છે. એવો ગણગણાટ છે કે તે પણ ભા.જ.પા. તરફી છે. આ આખી ઘટનામાં આમ તો ઘણું બધું છે પણ મહત્ત્વની વાસ્તવિકતા એ છે કે સોશ્યલ મીડિયા અને રાજકારણની આંટી ઘૂંટી આપણે ધારીએ તે કરતાં કંઇક ગણી વધારે છે.

રાજકારણમાં સોશ્યલ મીડિયાનો ઉપયોગ જે રીતે થતો આવ્યો છે તેની પર અનેક વિવાદો અને ચર્ચાઓ થઇ છે. ભા.જ.પા.નું કેન્દ્રમાં આવવું અને બીજી ટર્મ માટે ત્યાં રહેવું તેમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ જ મોટો ફાળો છે. તમને ૨૦૧૪ની આસપાસનાં વૉટ્સએપ મેસેજિઝ અને રેકોર્ડેડ ફોન કૉલ્સ તો યાદ હશે જ. બિહાર ઇલેક્શન માટે પણ સોશ્યલ મીડિયાનો ઉપયોગ ભા.જ.પા. દ્વારા કરવામાં આવ્યો. બિહાર ભા.જ.પા.ના ૨૩ નેતાઓ ફેસબૂક અને ટ્વિટર પર વેરિફાઇડ એકાઉન્ટ ધરાવે છે. સોશ્યલ મીડિયા અને મેઇન સ્ટ્રીમ મીડિયા વચ્ચેની કડી એ કામ કરે છે કે ભા.જ.પા.ના નેતાઓ જે પણ પોસ્ટ કરે તે મેઇન સ્ટ્રીમ મીડિયા દ્વારા સમાચારના સ્વરૂપે સ્વીકારાય અને પ્રકાશિત કરાય. આમ કરવાથી એક જ પાર્ટીનાં નેતાઓની હાજરી એકથી વધારે માધ્યમો અને પ્લેટફોર્મ્સ પર વધારે દેખાય. બીજા પક્ષની વાત કરીએ તો આર.જે.ડી.ના પાંચ સિનિયર નેતા, લાલુ પ્રસાદના પરિવારનાં પાંચ સભ્યોના સોશ્યલ મીડિયા પર વેરિફાઇડ એકાઉન્ટ છે. એકાઉન્ટ વેરિફિકેશન કે બ્લુ ટિક મળવું એ કોઇપણ પબ્લિક ફિગર માટે મોટી વાત છે અને એમાં અમુક સંખ્યામાં ફોલોઅર્સ વગેરે તો માપદંડ છે જ પણ ઓળખાણ અહીં પણ કામ કરી જાય છે. જે રીતે વેરિફાઇડ એકાઉન્ટની સંખ્યામાં પાર્ટી અનુસાર અસંતુલન છે એ પણ જોવા જેવી બાબત છે. જો કે એક રિપોર્ટ અનુસાર ટ્વિટરનાં પ્રવક્તાએ કહ્યું હતું કે જે તે એકાઉન્ટ લોકો સાથે કેટલું ઇન્ટરેક્શન કરે છે તેને આધારે જ વેરિફિકેશન થતું હોય છે, તેમના રાજકીય વિચારોને આધારે નહીં. ભા.જ.પા.એ બિહાર ઇલેક્શન માટે એક લાખથી વધુ વૉટ્સએપ ગ્રૂપ બનાવ્યા છે તો કૉન્ગ્રેસનાં તો માંડ ૩,૮૦૦ ગ્રૂપ્સ છે. ભા.જ.પા.એ વૉટ્સએપ ગ્રૂપ માત્ર ઉપલા સ્તરે નહીં પણ પંચાયત સ્તરે પણ બનાવ્યા છે અને તેનું સંચાલન કરવા દસ હજાર જેટલા લોકોને કામે લગાડાયા છે.

આ તો આપણા દેશનું અને એ પણ તાજી ચૂંટણીને લગતું એક ઉદાહરણ છે પણ રાજકારણમાં ઝંપલાવનારાઓને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોનો ઝુકાવ બદલતા સારી પેઠે આવડે છે. રાજકારણીઓનું જાહેર જનતા માટે આ રીતે સરળતાથી ઉપલબ્ધ હોવું સોશ્યલ મીડિયાને કારણે જ શક્ય બન્યું છે. યુ.એસ.એ.માં પણ રાજકારણ માથે છે અને ત્યાં પણ સોશ્યલ મીડિયા પર અપાતી ખોટી માહિતી, ફેક ન્યૂઝ અને નુકસાનકારક એજન્ડાઓની માથાકૂટ ઓછી નથી. ૨૦૧૬માં રશિયન ઓપરેટિવ્ઝે સોશ્યલ મીડિયા પર ખોટી માહિતીઓ ફેલાવીને યુ.એસ. પ્રેસિડેન્શિલ ઇલેક્શન પર ખોટી અસર કરવામાં મોટો ફાળો ભજવ્યો હતો. હજી પણ દખલગીરી કરનારા આવા વિદેશી તત્ત્વોની કોઇ ખોટ નથી. યુ.એસ.એ.માં પણ જમણેરી ગ્રૂપ્સ અત્યારે એક્ટિવ છે અને આ ચૂંટણીની પ્રામાણિકતા પર શંકા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જેમનું કામ બ્રાન્ડ્ઝને પ્લગ ઇન કરવાનું હોય છે તેમને પણ રાજકીય ઝુકાવ દર્શાવવાનું દબાણ થઇ રહ્યું છે. કોઇ શાસક પક્ષની વિરોધી ટિપ્પણી કરે તો તેને ધમકીઓ આવવા માંડે છે અને જો કોઇ મહિલા ઇન્ફ્લુએન્સર રાજકારણ કે અર્થશાસ્ત્રની વાત કરે તો તેને પણ સોશ્યલ મિડીયા પર ટ્રોલ કરવામાં આવે છે. આ તરફ યુ.એસ.એ.માં કોર્પોરેટ કંપનીઝ પર પણ દબાણ છે કે તેઓ પોતાના કર્મચારીઓની સોશ્યલ મીડિયા પોસ્ટ પર નજર રાખે. અભિવ્યક્તિની સ્વતંત્રતા સોશ્યલ મીડિયાને કારણે વધી હોવા છતાં આ જ માધ્યમો પર નિયંત્રિત થઇ રહી છે અને તે પણ રાજકીય દબાણોને કારણે. બીજી તરફ ધિક્કાર ફેલાવવામાં પણ આ માધ્યમોનો જ ઉપયોગ કરાય છે. આ બધી હિલચાલ અને હોબાળાને પગલે ધ્રુવીકરણનાં પડકારો દિવસે દિવસે વધી રહ્યાં છે. કોઇ પણ રાષ્ટ્રના યુવાનો પર પ્રભાવ પાડવો હોય તો સોશ્યલ મીડિયા સૌથી અકસીર માધ્યમ છે જેમાં કોઇ મિનમેખ નથી. કમનસીબે તેનો પાવર રાજકારણીઓના હાથમાં છે આમ જનતાના હાથમાં નથી, મતદારોના હાથમાં નથી અને માટે જ સોશ્યલ મીડિયા અને રાજકારણની રમતમાં પારદર્શિતા જેટલી વર્તાય છે એટલી નથી એ સ્વીકારવું રહ્યું.

બાય ધી વેઃ

હાલમાં તો ચૂંટણી પંચ એમ જ માને છે કે કોઇ ઉમેદવાર પોતાના પ્રચાર પ્રસાર માટે જે ફંડ ધરાવે તેમાં જ સોશ્યલ મીડિયા પર થતા ખર્ચાનો સમાવેશ થઇ જાય છે પણ રાજકીય પક્ષો આ નિયમોને અનુસરતા નથી એ વાસ્તવિકતા છે. કોબ્રા પોસ્ટના એક્સપોઝેએ સેલિબ્રિટીઝ કઇ રીતે પૈસા લઇને તરફેણ કે વિરુદ્ધમાં પોસ્ટ કરવા તૈયાર થાય છે એ એના પુરાવા આપ્યા હતા. સોશ્યલ મીડિયા એક એવો અજગર છે જે માહિતી ગળતો રહે છે અને પોતાનું કદ વધારતો રહે છે, તેનો ઉપયોગ કરનારાઓ આ માહિતીને કારણે વધી રહેલું તેનું પેટ જોઇ રહ્યા છે પણ તે જાણતા નથી કે આ વધારો તેમનામાં પૂર્વગ્રહો પેદા કરે છે અને જે અંતે ડર પણ પેસાડશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 01 નવેમ્બર 2020 

Loading

રાજસત્તા સામે સ્વાયત્તતાનાં મૂલ્યની હૅટ ટ્રિક

પ્રવીણ પંડયા|Opinion - Opinion|1 November 2020

ગુજરાતી સાહિત્ય પરિષદની મૂલ્યનિષ્ઠ પરંપરામાં ચંદ્રકાંત ટોપીવાળા અને સિતાંશુ યશશ્ચંદ્ર પછી વર્ષ ૨૦૨૧-૨૦૨૩ માટે ચૂંટાયેલા પ્રમુખ પ્રકાશ ન. શાહના વિજયને આપણે સહુ સ્વાયત્તતાનાં મૂલ્યના વિજય તરીકે જોઈ રહ્યા છીએ અને એ આપણું મૂલ્ય આધારિત દર્શન છે. દેશમાં જ્યારે ચૂંટણીના માહોલમાં રાજકીય પક્ષો. તમે મત આપો-અમે તમને વેક્સિન આપીશું કહી પેંડો આપીને કડું કાઢવી લેવાના ખેલ પાડી રહ્યા છે ત્યારે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મૂલ્ય આધારિત લોકતંત્ર વધુ મજબૂત થતું જોવા મળ્યું છે. અને આવું એક વાર બને તો કોઈ એને અકસ્માત કહે, બીજી વાર બને તો યોગનુયોગના ખાનામાં ખતવી શકે; પણ ત્રણ ત્રણ વખત આવું એક સરખું પરિણામ આવે તો એને એના મૂળ સ્વરૂપમાં સ્વીકારવું પડે. સાહિત્ય પરિષદની આ લાગટ ત્રીજી ચૂંટણી છે જેમાં સાહિત્યકારો, સાહિત્યરસિકો અને નાગરિક સમાજે ગુજરાત મૂલ્ય આધારિત રાજનીતિથી જવાબ આપ્યો છે. ૨૦૧૫માં સાહિત્યકારોની સ્વાયત્ત લોકતાંત્રિક ગુજરાત સાહિત્ય અકાદમીને સત્તાનાં બળ, છળ અને કપટથી ગુજરાત સરકારે હસ્તગત કરી એટલું જ નહીં પણ એનો સાહિત્યનાં પ્રસાર પ્રચારસંવર્ધનનો હેતુ બદલી પોતાની વિચારધારાનાં પ્રચાર પ્રસારસંવર્ધનનુ રાજકીય કામ આરંભ્યું. સરકારની આ પ્રકારની જોહુકમી સામે સાહિત્ય સમાજે અકાદમીની સ્વાયત્તતા માટેનું આંદોલન શરૂ કર્યું અને ગોવર્ધનરામ ગાંધી ઉમાશંકરની મૂલ્યનિષ્ઠ પરંપરા ધરાવતી પરિષદે સ્વાયત્તતાનાં મુદ્દે સરકારને ટપારી ત્યારે સરકારે આ સંસ્થાને પણ અકાદમીની જેમ પોતાનાં કબજામાં લેવાના પેંતરા શરૂ કર્યા. પરિષદ પ્રમુખની ચૂંટણીમાં પોતાના ઉમેદવારો ઊભા રાખી પરિષદ પર પોતાનો ઝંડો ફરકાવવાની કોશિશ કરી. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૩ સુધીના પ્રમુખપદની ચૂંટણીમાં સરકાર પક્ષને પરિષદના મૂલ્યનિષ્ઠ લોકતંત્રે મ્હાત આપી સરકાર સામે એ ઉદાહરણ સ્થાપ્યું છે કે ‘સાહિત્યકારો કોઈપણ વિચારધારાનાં હોય એમની પ્રાથમિકતા મૂલ્ય હોય છે’ અને એ રીતે આ રાજસત્તા સામે  સ્વાયત્તતાના મૂલ્યની હૅટ ટ્રિક છે. ગુજરાત સરકાર અને જેમના હાથમાં અત્યારે એનો સૂત્રસંચાર છે એવા ભારતીય જનતા પક્ષે હવે રાજહઠ છોડીને ગુજરાત સાહિત્ય અકાદમી ફરી સ્વાયત્ત કરી લોકતાંત્રિક સરકારને છાજે એવું ઉદાહરણ સ્થાપવું જોઈએ.

રાજકીય પક્ષો સત્તાની ઘોડાદોડમાં જોતરાય ત્યારે વિચારધારાઓને લૂણો ય લાગે,પણ મૂલ્યોનો દૃઢ પાયો ધરાવતી સંસ્થાઓ જેમ જેમ જૂની થાય એમ વધુ પક્વ વિકસિત અને વિચારવંત બને. ગુજરાતી સાહિત્ય પરિષદ આનું ઉદાહરણ છે. આનું કારણ પણ સાવ સીધું સાદું અને સમજાય એવું છે.પક્ષોનું ચાલક બળ વિચારધારા હોય છે અને ધ્યેય દરેક ક્ષેત્રમાં સત્તા સ્થાપવાનું હોય છે; સાહિત્યનું ચાલક બળ મૂલ્ય છે, અને ધ્યેય કલાસર્જન વડે મૂલ્ય રક્ષા અને હર્ષ આદિની પ્રાપ્તિ. આમ બંનેની પ્રકૃતિ ભિન્ન છે. સાહિત્ય એક વિવિધરંગી મેઘધનુષ છે તો રાજકીય પક્ષો એકરંગી ઓળખ ધરાવતાં સંગઠન. કોઈ એક રંગ ક્યારેય સમસ્ત સાહિત્યને પોતાનાં રંગે ન રંગી શકે. આવો પ્રયાસ જ બાલિશતા છે જે અહીં હાલની ભાજપ સરકાર કરી રહી છે. સરકારોની આવી મૂલ્ય આધારિત તુલના કે ટીકાટિપ્પણી એ સાહિત્યકારનો બંધારણે આપેલો અભિવ્યક્તિનો જ નહીં પણ કળાએ બક્ષેલો માધ્યમગત અધિકાર પણ છે. અને એ બદલ કોઈ રાજકીય પક્ષ જો સાહિત્યકારો કે કલાકારોને ટેગ કે ટ્રોલ કરે અથવા દંડિત કરે તો એ લોકતાંત્રિક રાષ્ટ્રમાં રાજસત્તાનો ઘોર દુરુપયોગ જ કહેવાય. પણ અત્યારે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપી એ વિચારીએ કે સાહિત્ય સમાજે બહુમતીથી રાજસત્તા સામે પોતાની સ્વાયત્તતા માટે લડતી આ સંસ્થામાં સરકાર તરફી પ્રમુખપદના ઉમેદવારને એકવાર નહીં પણ ત્રણ ત્રણ વાર પરાજય કેમ આપ્યો? કારણ માત્ર એટલું જ કે જુદી જુદી રાજકીય સમજણ ધરાવતા તમામ અગ્રણી સાહિત્યકારો સ્વાયત્તતાનાં મૂલ્યને પક્ષે છે. અને આનું ઉજ્જવળ ઉદાહરણ આ વખતના પ્રમુખપદ માટેના ત્રિપાંખિયા જંગે પૂરું પડ્યું છે એટલું જ નહીં પણ શાસક પક્ષને એ પણ બોધપાઠ આપ્યો છે કે સાહિત્યનું લોકતંત્ર; સાહિત્યની રાજનીતિ તમારી સત્તાની સીમિત સમજથી ઘણે દૂરની વાત છે, એનાં પર તમે ‘હું સીમિત રાજનીતિનો માણસ છું’ એવો વ્યંગ કરી શકો પણ લોભ-લાલચ કે કપટથી જેમ અન્ય ક્ષેત્રોમાં તમારો ઝંડો ફરકાવો છો એમ અહીં ન ફરકાવી શકો. અમે એ સંસ્કૃત વિદ્વાન રાજશેખરના વંશજો છીએ જે રાજાઓને પણ એ સલાહ આપતા કે રાજદરબારમાં સાહિત્યકારોનું ક્યાં અને કેવું સ્થાન હોવું જોઈએ. તમે આ નહીં સમજો તો દરબારી સાહિત્યકારો ભલે તમારો ‘જય હો.. જય હો’ કરે પણ પોતાની ‘સીમિત રાજનીતિ’ની સમજ સાથે જ સમેટાઇ જશો.

ગઈ બે ચૂંટણીમાં સરકાર પક્ષે પરિષદ પ્રમુખપદ માટે ટોપીવાળા અને સિતાંશુ ‘એઝ અ બ્રાન્ડ’ (ભા.જ.પ.) પોતાનાં ઉમેદવાર સામે અનુક્રમે નાનુભાઈ નાયક અને બળવંત જાની ઉતાર્યા હતા. આ બંને ભલે જુદી રાજકીય સમજ ધરાવતા હોય પણ આપણાં માટે સાહિત્યકાર તરીકે સન્નમાનનીય જ છે; પણ રાજસત્તાનું પૂરું પીઠબળ હોવા છતાં  તેઓ જંગી બહુમતીથી પ્રમુખપદ માટે પરાજિત થયા. આ વખતે રણનીતિ બદલાઈ. ઉમેદવાર તરીકે પરિષદ સાથે સતત સંકળાયેલા રહેલા ગુજરાત સાહિત્ય અકાદમીનાં ત્રણ ભૂતપૂર્વ મહામાત્રોને પરિષદનો કોઠો ભેદવા મેદાનમાં ઉતાર્યા જેમના એક ૬૩ વર્ષનાને પ્રમુખપદના યુવાન ઉમેદવાર તરીકે મૂક્યા. પ્રચાર પણ કમાલનો કર્યો. અન્ય બે ઉમેદવારમાં પ્રકાશ. ન. શાહ (૮૧ વર્ષ) અને હરિકૃષ્ણ પાઠક (૮૩ વર્ષ). હર્ષદ ત્રિવેદી તરફે સરકાર તરફી બળો અગાઉની જેમ જ કાર્યરત રહ્યાં, ‘પેલી સીમિત રાજનીતિના માણસવાળી’ દલીલની જેમ એમણે ‘યુવાનોનાં હાથમાં પરિષદનું સુકાન સોંપો’નું ‘નાગપુરી’ લૉજિક આગળ કર્યું અને પ્ર.ન. શા. ઘરડા છે ને’ સાહિત્યકાર તરીકે નહીં પણ પત્રકાર તરીકેની ઓળખ ધરાવે છે એવો ‘ડંક-નાદ’ કર્યો. પાઠકસાહેબનો પણ ‘વૃદ્ધ છે’ના લૉજિકથી છેદ ઊડાડવાની કોશિશ થઈ. સાહિત્યની રાજનીતિ પોતાની લીટી લાંબી કરવાની વિધેયાત્મક રાજનીતિમાં વિશ્વાસ ધરાવે છે. ‘સીમિત રાજનીતિની’ સમજમાં નહીં. પરિષદના શાણા મતદારોએ પરિણામ આ પ્રમાણે આપ્યુંઃ પ્રમુખપદના વિજેતા પ્રકાશ. ન. શાહ; ૫૬૨ મત, હર્ષદ ત્રિવેદી ૫૩૩, હરિકૃષ્ણ પાઠક ૧૯૭, કુલ મત ૧૨૯૨. સાર એ કે સાહિત્ય પરિષદ સાહિત્યની સંસ્થા છે એટલે એમાં મૂલ્ય આધારિત લોકતંત્ર જ ચાલે છે. પ્રકાશભાઈ અને પાઠકસાહેબ (ઘરડા, પણ ગાડાં વાળે એવા) બંનેની રાજકીય વિચારધારામાં તફાવત હશે, પણ સ્વાયત્તતાના મુદ્દે બંને સ્પષ્ટ હતા, જ્યારે હર્ષદ ત્રિવેદી અસ્પષ્ટ. આ વિજય સ્વાયત્તતાના મૂલ્યનો – પ્રકાશભાઈ ૫૬૨ + હરિકૃષ્ણભાઈ ૧૯૭, બહુમતીએ થયેલો સ્વાયત્તતાનો વિજય છે. સ્વાયત્તતાની આ હૅટ ટ્રિકને વધાવી આપણે સહુ હારજીત ભૂલીને કામે લાગીએ.

તારીખઃ ૨૬/૧૦/૨૦૨૦

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2020; પૃ. 03

Loading

અગ્નિપથ: અરુણ શૌરીની મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ

રાજ ગોસ્વામી|Opinion - Opinion|1 November 2020

૧૯૯૦માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ 'અગ્નિપથ'માં પોલીસ કમિશનર ગાયતોંડે સાથે નાયક વિજયના ટકરાવનું એક દ્રશ્ય છે, જેમાં ગાયતોંડે વિજયને દિલનો ભલો માણસ સમજીને તેના બોસ લોકોથી ચેતતા રહેવા સલાહ આપે છે. જવાબમાં વિજય એક પાવરફુલ સંવાદ બોલે છે, "કહેના ક્યા ચાહતા હૈ તુમ, હાંય? કે વો લોગ આજ મેરી મોત કા દિન મુક્કરર કિયા હૈ, હાંય? લેકિન મુજેકો માલુમ હૈ વો કોનસા વક્ત મુક્કરર કિયા હૈ. યે દેખો, આજ શામ છે બજે મોત કે સાથ અપના એપોઇન્ટમેન્ટ હૈ … એપોઇન્ટમેન્ટ. ઇંગ્લિશ બોલતા હૈં."

ભારતીય ઇંગ્લિશ પત્રકારત્વમાં એક જમાનાના શેરદિલ એડિટર અને અટલ બિહારી વાજપેયી સરકારમાં અગ્રણી મંત્રી, ૭૮ વર્ષના અરુણ શૌરીએ, ‘અગ્નિપથ’ના વિજય દીનાનાથ ચૌહાણની જેમ, મૃત્યુ સાથે એપોઇન્ટમેન્ટ નક્કી કરી હોય તેમ, ‘પ્રિપેરિંગ ફોર ડેથ’ (મૃત્યુની તૈયારી) નામનું એક પુસ્તક લખ્યું છે. બૌદ્ધિકતાની નિશાની એ નથી કે તમે કેવાં અને કેટલાં ભાષણો આપો છો, ખાસ કરીને જ્યારે તમે તાળીઓ પડાવવાના વ્યવસાયમાં હો. બૌદ્ધિકતા એ છે કે તમે તમારું અને આસપાસનું જીવન કેટલું સમજો છો અને આવનારી પેઢી માટે તેમાંથી શું બોધપાઠ મૂકીને જાવ છો. શૌરીનું આ પુસ્તક એ અર્થમાં એક અસાધારણ પ્રયાસ છે. શૌરી આ પુસ્તકમાં જીવનની નહીં પણ મૃત્યુની વાત કરે છે.

નેવુંના દાયકાના હિંદુ રાષ્ટ્રવાદીઓમાં જેમની ગણના થતી હતી તે શૌરી, સેરેબ્રલ પાલ્સીથી પીડાતા તેમના એક માત્ર પુત્ર આદિત્ય અને પાર્કિન્સનના રોગથી પીડાતી તેમની પત્ની અનિતાની સારવાર માટે સક્રિય રાજનીતિમાંથી નિવૃત્ત થઇ ગયા છે, એટલું જ નહીં, જીવન અને જીવન સાથે જોડાયેલી અનેક બાબતોને ચિંતનાત્મક દ્રષ્ટિકોણથી જોતા થયા છે. મૃત્યુ એમાંથી એક છે. મૃત્યુનું આ ચિંતન અંગત જીવનના અગ્નિપથ પર ચાલીને આવ્યું છે.

શૌરી એક ઇન્ટરવ્યુમાં કહે છે, “મૃત્યુ એક શાશ્વત વિષય છે, અને હાલની કોવિડ-૧૯ની પરિસ્થિતિમાં માત્ર ૧૦ જ મહિનામાં દસ લાખ લોકો જીવ ગુમાવી ચુક્યા હોય, ત્યારે તો તે ઔર પ્રાસંગિક બની જાય છે. પુસ્તકમાં એવાં તથ્યો છે જેને આપણામાંથી બહુ લોકો જાણતા નહીં હોય. અમુક એવી વ્યાખ્યાઓ છે જે નવી છે, ઉદાહરણ તરીકે ‘ધ તિબેટિયન બૂક ઓફ ડેડ’ વાસ્તવમાં આપણા જેવા જીવતા લોકો માટે છે. તેમાં દરેક અધ્યાય, દરેક ઘટનામાં વ્યવહારિક બોધ છે. થોડા મહિના પહેલાં હું આઈ.સી.યૂ.માં હતો, ત્યારે મને ધ્યાન કામમાં આવ્યું હતું, તેની વાતો પણ લખી છે.”

‘પ્રિપેરિંગ ફોર ડેથ’ કેવી રીતે શાંતિથી જીવનને અલવિદા કેવી રીતે ફરમાવવી તેની ગાઈડ બૂક છે. તેમાં શૌરીએ વસિયતનામું કેવી રીતે બનાવવું તેની ખુદના ઉદાહરણ સાથે સમજણ આપી છે. તે લખે છે, “શાંતિથી મૃત્યુને પામવા માટે લૌકિક કામો પૂરાં કરવાની સ્પષ્ટતા હોવી જરૂરી છે. મેં (વસિયતમાં) ઉમેર્યું છે કે (૧) મારું મગજ જો કામ કરતુ બંધ થઇ જાય અને મારા પાછા સ્વતંત્ર સભાનાવસ્થામાં આવવાની સંભવાના ન હોય, તો મને લાઈફ-સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં ન આવે (૨) મારા અંગોને કોઈને જરૂર હોય તો આપવામાં આવે (૩) અને મારા શરીરને કોઈ ક્રિયાક્રમ વગર બાળવામાં આવે. છેલ્લે, મેં સ્પષ્ટતા કરી છે કે અનિતા કે બીજા કોઈને અગવડ ના પડે તે માટે બેસણું કે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં ન આવે.”

કોઈની મદદ વગર રહી ન શકતા દીકરા આદિત્યનું શું? શૌરીએ દીકરાની દેખભાળ માટે એક વકીલ મિત્રની મદદથી ટ્રસ્ટ ઊભું કર્યું છે. શૌરીની બચતનો મોટો હિસ્સો ટ્રસ્ટમાં જશે. અમુક હિસ્સો કટોકટી માટે પતિ-પત્નીના નામે રહેશે. પત્ની અનિતાની બહેન, ભાઈ, ભાઈની પત્ની અને એક ઘનિષ્ઠ મિત્ર ટ્રસ્ટનું સંચાલન કરશે.

પુસ્તકમાં તેમણે બુદ્ધ, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેના છેલ્લા દિવસોની ઘટનાઓ અને મૃત્યુ અંગે ધાર્મિક શાસ્ત્રો તેમ જ ગુરુઓનાં ચિંતનને જોડીને ‘શાંતિપૂર્ણ રીતે મનના વિલય’નો માર્ગ તૈયાર કર્યો છે. પુસ્તકમાં મૃત્યુ અંગે શૌરીનું ચિંતન જાણે એક લાઈવ ફિલ્મ જેવું છે. એક અંશ:

“આપણો અંત નજીક આવે છે, અને એક ચક્રવાત બધું જ ખેંચી જાય છે, આપણને પણ. આપણે તીવ્ર શારીરિક પીડાની ગિરફતમાં હોઈશું. શ્વાસ રૂંધાતો હશે, આપણા હાથ-પગ ઠંડા પડતા જશે, એ ઠંડક ધડ તરફ અને પછી હૃદય તરફ આગળ વધશે. લાગણીઓનું એક તોફાન પણ સર્જાશે. આપણે જો સભાન હોઈએ, તો આપણને એ પણ અંદાજ આવશે કે જેને આપણે ચાહતા હતા અને જે આપણા માટે બહુમૂલ્ય હતું, તેનાથી આપણો વિચ્છેદ સંપૂર્ણ હશે, છેલ્લી વારનો હશે. આપણે ગમે એટલા સંબંધીઓને અલવિદા ફરમાવી હોય, આપણો વારો આવે, ત્યારે તે તદ્દન અનપેક્ષિત હશે. આ કરવાનું રહી ગયું અને તે કરવાનું રહી ગયું તેનો સમય નથી રહેતો. જે થઇ ગયું છે, તેને પાછું વાળવાનો પણ સમય નથી રહેતો. આ બધી વાતોનું શું મહત્ત્વ છે? એનો કોઈ મતલબ પણ હતો ખરો? આપણે હજારો વખત વાંચ્યું હશે કે સાંભળ્યું હશે કે યમનો દૂત આપણા પર આંગળી નહીં મૂકે. આપણો જે દિવસ નક્કી હશે ત્યારે બીજા ૧,૫૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ લોકો પણ અલવિદા ફરમાવી જવાના હશે, અને આપણને અન્યાયની લાગણી થશે; “મને જ કેમ? આજે જ કેમ?” હજુ તો કેટલું કરવાનું છે, કેટલાં અધૂરાં કામો પૂરાં કરવાનાં છે, આપણા વગર એ કામો લટકી જશે. એમાં પાછી આગળની ચિંતા. હું કોઈક સ્વરૂપમાં જીવતો રહીશ? જે મારા પહેલાં ગયા છે અને જે મને ચાહતા હતા, મારી સંભાળ રાખતા હતા, તેમને હું જોઈ શકીશ? હું અહીં જેમને પ્રેમ કરું છું, તેમનો મને ફરી ક્યારે ય ભેટો થશે?”

મોત એક અનિવાર્યતા છે અને છતાં આપણે તેનાથી આંખઆડા કાન કરતા રહીએ છે. શૌરીએ આ સર્વસાધારણ અભીગમને સુંદર રીતે ઝીલ્યો છે, “જીવનની એક નિશ્ચિતતા મૃત્યુ છે, અને આપણે તેનાથી અંતર કેળવી રાખીએ છીએ. આજુબાજુમાં અનેક મોત જોયાં છે અને આપણે દર વખતે જાતને કહીએ છીએ – હું નહીં, આજે તો નહીં જ. આપણામાં જીવતા રહેવાની ડાર્વિનિયન વૃત્તિ છે એટલે બાજુમાં મોત હોય તો પણ આપણી આંખો બંધ કરાવી દે છે.”

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 નવેમ્બર 2020 

Loading

...102030...2,1002,1012,1022,103...2,1102,1202,130...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved