Opinion Magazine
Number of visits: 9747534
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનુષ્ય કરતાં કુદરત હંમેશાં આગળ રહી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 January 2021

કુદરતનો એક અર્થ ઇશ્વરીશક્તિ એવો પણ છે, જે ઈશ્વર હોવાનો સંકેત કરે છે. ઈશ્વર કહીએ તો કયો ઈશ્વર અને કોનો ઈશ્વર એ પ્રશ્ન આવે. એ આવે એટલે ધર્મ આવે. ધર્મ અનેક છે ને એના સ્થાપકો પણ અનેક છે. વળી ધર્મ પહેલાં પણ મનુષ્ય હતો અને એના પહેલાં પણ કુદરત, પ્રકૃતિ ને સૃષ્ટિ હતી એ પણ એટલું જ સાચું છે. એટલે એ બધાંમાં પડવા કરતાં એટલું સ્વીકારીએ કે મનુષ્ય પહેલાં આ બ્રહ્માંડ હતું ને કોઈ વિરાટ શક્તિ એવી હતી અને છે જે એનું સંચાલન કરે છે. એને ઈશ્વર કહો કે કુદરત, બંને સ્વીકાર્ય છે. વળી ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી એમ કહીએ તો પ્રશ્ન એ આવે કે ઈશ્વરની રચના કોણે કરી ને એનો જવાબ વળી પ્રશ્નો જન્માવે એમ બને. એટલે કોઈક રીતે આ વિશ્વ હતું એટલું સ્વીકારીએ તો પૂરતું ગણાય. એ ખરું કે મનુષ્ય પહેલાં પણ પશુપંખી, હવાપાણી હતાં, આ વિશ્વ હતું, સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો હતા, પણ એની કોઈ ઓળખ ન હતી. આ સૂર્ય છે કે આ તારા છે એવી ઓળખ મનુષ્યે આપી. મનુષ્ય પહેલાં ધર્મ ન હતો. મનુષ્ય આવ્યો તે પહેલાં ઈશ્વર પણ ન હતો. હોય તો એની ઓળખ ન હતી. એ બધું શક્ય બન્યું જ્ઞાનને કારણે. એમાં વિજ્ઞાન ઉમેરાયું ને સમય જતાં એણે મનુષ્યમાં અહંભાવ ઉમેર્યો. એ પ્રગટ્યો માલિકીભાવને કારણે. એણે સત્તા ને સંપત્તિનો લોભ જન્માવ્યો ને એ પછી અનેક દૂષણો ને પ્રદૂષણોએ આજે તો આ સૃષ્ટિનું સંતુલન જોખમમાં મૂક્યું છે.

મનુષ્યને કારણે આ ધરતી, આકાશને એક અર્થ મળ્યો, અનેક શોધખોળોને કારણે બ્રહ્માંડના અનેક રહસ્યો ખૂલ્યાં ને તેની ચેતનાનો એટલો વિસ્તાર થયો કે જ્ઞાન–વિજ્ઞાનની અનેક શાખાઓ ખૂલી. એવી અનેક ચીજ વસ્તુઓનો આવિષ્કાર થયો જેને લીધે મનુષ્ય અનેક ભૌગોલિક અંતરો ઓળંગીને વિશ્વને મુઠ્ઠીમાં કરી શક્યો. તે ચંદ્રની ભૂમિ ખૂંદી વળ્યો તો મંગળનું વાતાવરણ મનુષ્યને લાયક છે કે કેમ તેની ચિંતા કરી શક્યો. પછી તો અનેક રસાયણો ને દવાઓની મદદથી આરોગ્ય અને ખેતીને લગતા અનેક આવિષ્કારો થયા ને જીવન વધુ સ્વસ્થ અને સુરક્ષિત બન્યું હોય એવું લાગ્યું. આ બધું મનુષ્યને કારણે શક્ય બન્યું, પણ એ જ મનુષ્યને કારણે જીવન ઝેર પણ થયું. સત્તા ને સંપત્તિનો એવો લોભ મનુષ્યને વળગ્યો કે તેણે સર્વનું નહીં, પણ સ્વનું જ કલ્યાણ ઈચ્છ્યું. તેણે સત્તા મેળવવા અનેક યુદ્ધો ખેલ્યાં. આ પૃથ્વીનો અનેક વખત નાશ થાય એવાં શસ્ત્રો તેણે વિકસાવ્યાં. રસાયણોનો એવો વિકાસ થયો કે તેણે હવા, પાણી, વાયુનાં પ્રદૂષણો ફેલાવ્યાં ને આ પૃથ્વી જીવસૃષ્ટિને રહેવા લાયક ન રહે એવી સ્થિતિ આવી.

ચંદ્ર પર વસવા માંગતા મનુષ્યે ધરતી પરના વસવાટની ચિંતા ન કરી. અનેક જીવો માટે તેણે અનેક જોખમો ઊભાં કર્યાં. કેટલીક શોધો મનુષ્ય માટે કલ્યાણકારી નીવડી, જ્યારે કેટલીક મનુષ્ય જીવન માટે જોખમી પુરવાર થઈ. અણુનું વિભાજન મનુષ્યનાં અણુએ અણુ માટે કેવી રીતે ઘાતક બની શકે તે પણ જગતે જોયું. રાસાયણિક ખાતરે પાકની ઉપજ વધારી, પણ તેનાં વધુ પડતાં ઉપયોગને કારણે મનુષ્યમાં રોગોનું પ્રમાણ પણ વધાર્યું. આ ધરતી ઉત્તરોત્તર રસકસ વગરની થતી ગઈ. આનાં દુષ્પરિણામો જોતાં મનુષ્ય ફરી એકવાર ઓર્ગેનિક ખેતી ને ખોરાક તરફ વળ્યો છે. એને એમ લાગવા માંડયું છે કે અગાઉ થતી ખેતીમાં રસકસ સચવાતા હતા ને એને એ પણ સમજાઈ ગયું છે કે કુદરતની ઉપરવટ જવામાં તો જોખમો જ વધે છે.

કોરોનાએ 2019માં હાજરી પુરાવીને જગતને બેફામ દોડતું અટકાવ્યું છે. તમામ વૈશ્વિક વ્યવહારો પર તેણે બ્રેક મારી ને પ્રકૃતિ અંગે વિચારવા ફરજ પાડી છે. આ વાયરસે વિશ્વના લાખો માણસોનો ભોગ લીધો છે એ સાચું, પણ તેણે હવાપાણી સુધાર્યાં ને વાતાવરણનું તેજ વધાર્યું છે તેની ના પાડી શકાશે નહીં. કોરોના માનવ સર્જિત દુર્ઘટના છે ને તેની કોઈ રીતે ઈચ્છા ન જ કરાય, પણ તેણે કુદરત વિષે માનવજાતને ગંભીરતાથી વિચારવાની ફરજ પાડી છે તે પણ એટલું જ સાચું છે.

મનુષ્ય પોતાની સિદ્ધિઓ વિષે જરૂર ગર્વ લઈ શકે, પણ તે કુદરતને અતિક્રમવા જાય છે તો પછડાટ ખાધા વગર રહેતો નથી. એ કદી ભૂલવા જેવું નથી કે આ પૃથ્વીને જમીન 25 ટકા જ છે ને પાણી 75 ટકા છે. હવે આ ટકાવારી બદલાઈ હોય તો નવાઈ નહીં, પાણી વિફરે તો શું થાય તે કહેવાની જરૂર નથી. આપણે વખતો વખત વરસાદ, વાવાઝોડાં, સુનામી ને રેલના અનુભવોમાંથી પસાર થયાં જ છીએ. મનુષ્ય પુલ બાંધી શકે, પણ દરિયો બાંધવાનું તેનું ગજું નથી. તે દીવો કરી શકે, સૂર્ય નહીં. તે સંપત્તિનો ડુંગર ખડકી શકે, પણ હિમાલય ખડો કરવાની તેની તાકાત નથી. મનુષ્યે એ સમજી લેવાની જરૂર છે કે તે ગમે એટલો વિરાટ હોય તો પણ તે કુદરતની શક્તિ સામે લાચાર છે. અહંકાર તેને ન પાલવે, તેણે તો નમ્ર જ થવું ઘટે.

કુદરતે ઘણું એવું અગાઉથી સર્જી દીધેલું છે, જ્યાં પહોંચતાં મનુષ્યને વર્ષો લાગ્યાં છે ને હજી ઘણા યુગો લાગે એમ છે. જેમ કે પૃથ્વી ગોળ છે કે સપાટ છે કે તે સ્થિર છે કે ફરે છે એટલું જાણવામાં મનુષ્યને યુગો લાગ્યા છે. આઘાત ને પ્રત્યાઘાત સરખા છે એ જાણવા આપણે ન્યૂટનની રાહ જોવી પડી, પણ કુદરતમાં તો એ નિયમ પહેલેથી હતો જ. આપણને એની જાણ મોડી થઈ એટલું જ. ગુરુત્વાકર્ષણ શોધાયું તે પહેલાંથી ગુરુત્વાકર્ષણ પણ હતું જ ! માત્ર આપણે મોડું જાણ્યું. દૂરબીન આવ્યું તો વિગતે જાણવાનું થયું, બાકી તારાઓ તો યુગો યુગોથી ટમટમે જ છેને ! દૂર શું કામ જવું? હૃદય ધબકે છે એની જાણ આપણને મોડી થઈ, પણ તે પહેલાંથી હૃદય તો ધબકતું જ હતું. કોલંબસે અમેરિકા ખંડની શોધ કરી 1492માં, પણ તે ભૂખંડ તો તે પહેલાં પણ હતો જ. ને આ બધાં પછી પણ મૃત્યુનું રહસ્ય તો હજી વણઉકલ્યું જ છે એવું નહીં?

કહેવાનું તાત્પર્ય એ છે કે અનેક શોધખોળોનું શ્રેય મનુષ્યને આપ્યા પછી પણ એ સ્વીકારવાનું રહે કે કુદરત મનુષ્ય પહેલાં જ મનુષ્ય માટે સજ્જ હતી. પૃથ્વી પર પહેલા માણસે આંખો ખોલી તે પહેલાંથી આ ધરતી હતી ને તેણે મનુષ્ય ટકી શકે એવું વાતાવરણ પહેલેથી તૈયાર રાખ્યું હતું. માણસ ઘણાં રહસ્યો તરત તો ના જાણી શક્યો, પણ એ જાણીને મનુષ્ય રાજી થયો કે વનસ્પતિમાં જીવ છે ને તેને પણ સંવેદનો છે ને હકીકત એ છે કે એ જાણકારી પહેલાંથી જ વનસ્પતિમાં જીવ તો હતો જ. માણસને ખબર મોડી પડી એટલું જ. સાચી વાત એ છે કે કુદરતને જાણવાનું શરૂ થયું તે પહેલાં જ એ તો બધાં રહસ્યો પોતાની અંદર સંતાડીને બેઠી હતી. પોતાને કોઈ જાણે, સમજે એ માટે તેણે જીવ સૃષ્ટિની રાહ જોઈ, પણ પશુપંખીમાં એ શક્ય ન બન્યું, કારણ એની પાસે વાણી ન હતી, અભિવ્યક્તિનું વૈવિધ્ય ન હતું. એ અભિવ્યક્તિ મનુષ્યને મળી ને એણે જ્ઞાન, વિજ્ઞાનની મદદથી એ શક્ય બનાવ્યું કે કુદરત ચૂપ રહેવા ટેવાયેલી છે ને મનુષ્યે એનાં મૌનને ઉકેલીને જગતને એ બતાવવાનું છે કે કુદરત કેવી તો  રહસ્યમય છે !

બ્રહ્માંડના એવાં ઘણાં રહસ્યો છે જે ઉકેલાવાના હજી બાકી છે ને એનો તાગ મનુષ્યે જ મેળવવાનો છે. એ મનુષ્ય જ મેળવી શકે એમ છે. એ ખરું કે કુદરત અનેક રીતે શ્રેષ્ઠ ને સમૃદ્ધ છે, પણ મનુષ્ય ન હતો ત્યાં સુધી કોઈ એનો ભાવ પૂછતું ન હતું. મનુષ્યને કારણે એનો ભાવ પૂછાયો, બાકી યુગો સુધી પૃથ્વી હતી જ ને ફરતી પણ હતી, પણ કોઈ એની સામે જોતું ન હતું, મનુષ્યે એ જાણ્યું ને બતાવ્યું કે એ પૃથ્વી છે ને તે શ્રેષ્ઠ અને સમૃદ્ધ છે. એટલે કુદરતને પણ કહેવાનું થાય કે મનુષ્ય પર એટલો ત્રાસ ન કર કે મનુષ્ય જ ન રહે. ગમે તેવો છે મનુષ્ય, પણ તે છે તો જ કુદરત ને પણ તેનું એક પ્રકારનું સાર્થક્ય છે.

ધરતી છે તો મનુષ્યને ઊભા રહેવાની જગ્યા છે, તો બીજી તરફ મનુષ્ય છે તો પૃથ્વીને પણ એક અર્થ છે. એ જ ન હોય તો તે ફરે કે સ્થિર રહે, શો ફેર પડે છે?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 જાન્યુઆરી 2021

Loading

બિનસાંપ્રદાયિક પક્ષો અવસરવાદી બન્યા છે !

રમેશ ઓઝા|Opinion - Opinion|7 January 2021

જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયા અર્થાત્ સહિયારા અને ન્યાયી ભારતની કલ્પનાને વરેલા છે, તેમની પાસે રાજકીય વિકલ્પ નથી અને જે લોકો હિંદુ ભારતની કલ્પનાને વરેલા છે તેમની પાસે મજબૂત રાજકીય વિકલ્પ છે. જે લોકો આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે એ લોકો બહુમતીમાં હોવા છતાં બહુમતી કામમાં નથી આવતી અને જે લોકો હિંદુ ઇન્ડિયાને વરેલા છે એ લોકો લઘુમતીમાં હોવા છતાં પણ મજબૂત બહુમતી સાથે શાસન કરે છે.

અનેક લોકો સવાલ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ શું?

ઉકેલ બે છે. એક, ટૂંકા ગાળાનો ઉકેલ છે અને બીજો લાંબા ગાળાનો, કદાચ કાયમી પણ હોઈ શકે. એક ઝડપી ઉકેલ છે અને બીજો વખત લેનારો. એકમાં ઓછી મહેનત છે અને બીજામાં મહેનત ખૂબ છે.

ટૂંકા ગાળાના ઝડપી ઉકેલની વાત પહેલા કરીએ. એ ઉકેલ છે તમામ સેક્યુલર રાજકીય પક્ષો એક થાય. સાથે મળીને ચૂંટણી લડે અને સહિયારા તેમ જ ન્યાયી ભારતનો વિનાશ ઇચ્છનારા રાજકીય પક્ષ કે પક્ષોને પરાજીત કરે. આમાં શરત એ છે કે ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજવી જોઈએ. બીજી શરત સમાન દરેક પ્રતિસ્પર્ધી પક્ષ સંસાધનોની દૃષ્ટિએ એક સમાન સ્થિતિમાં હોવા જોઈએ. એકના ગજવામાં ચૂંટણી લડવા માટે લાખ રૂપિયા હોય અને બીજાના ગજવામાં હજાર રૂપિયા હોય તો પણ ચૂંટણી ન્યાયી અને મુક્ત રીતે ન લડી શકાય.

અત્યારના હિંદુ રાષ્ટ્રવાદી શાસકો બન્ને રીતે ચૂંટણીકીય સ્પર્ધા અસમાન બને એ માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેઓ ચૂંટણીપંચ ઉપર દબાણ લાવે છે અને સંસાધનમાં પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ બરાબરી ન કરી શકે એની પણ તજવીજ કરે છે. ઈલેકશન બૉન્ડ આ માટે દાખલ કરવામાં આવ્યા છે. જો કોઈ બૉન્ડ ખરીદીને બી.જે.પી. વિરોધી રાજકીય પક્ષને આપે તો સરકારને ખબર પડી જાય અને સરકાર તેને સતાવે. ડરના માર્યા કુબેરપતિઓ બી.જે.પી. સિવાયના અન્ય રાજકીય પક્ષોને નાણાકીય સહાય કરતા નથી. આજે લગભગ ૮૦ ટકા ચૂંટણીભંડોળ એકલા બી.જે.પી.ના ગજવામાં છે અને ૨૦ ટકામાં બાકીના બધા રાજકીય પક્ષો છે. આ સિવાય કાળું નાણું અને બીજા સંસાધનો જુદાં. એક પછી એક સરકારી એકમો વેચવામાં આવી રહ્યા છે એનું પણ આ જ કારણ છે. ખૂબ ધન હાથમાં હોવું જોઈએ કે જેથી પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષોને દબાવી શકાય, ચૂંટણીના મેદાનમાં પૈસા દ્વારા પ્રતિસ્પર્ધીને ચિત્ત કરી શકાય, જે તે પક્ષોના સંસદસભ્યો-વિધાનસભ્યોને ચૂંટણી પહેલાં અને પછી ખરીદી શકાય, મીડિયાને ખરીદીને અનુકૂળ કરી શકાય, ટ્રોલ્સ દ્વારા અપપ્રચાર, કુપ્રચાર અને જૂઠાણાં ફેલાવી શકાય અને બીજી અનેક રીતે ચૂંટણીને પ્રભાવિત કરી શકાય.

આમ છતાં ય ભારતીય સેક્યુલર લોકતંત્ર ટકી રહેવા માટે જદ્દોજહદ કરી રહ્યું છે અને ધારેલી ઝડપે અને ધારેલી માત્રામાં તૂટતું નથી એનું કારણ પેલા ૬૦ ટકા ભારતીય નાગરિકો છે જેઓ આઈડિયા ઓફ ઇન્ડિયાને વરેલા છે. તેઓ પ્રતિબદ્ધ છે અને હિંમત ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે તેઓ વિખરાયેલા હોવા છતાં ય બહુમતીમાં છે. તેઓ બુદ્ધિમાન છે, તેમને વિચારતા શંકા કરતા અને પ્રશ્ન કરતા આવડે છે. ટ્રોલ્સ અને ગોદી મીડિયા તેમને પ્રભાવિત કરી શકતા નથી. ભારતીય સેક્યુલર લોકતંત્ર ઉપર ઘેરાયેલાં કાળા વાદળ ફરતે રૂપેરી કોર હોય તો એ આ ૬૦ ટકા સહિયારા ભારતને વરેલા નાગરિકો છે. તેમની સામેની શાસકોની અને આંગળિયાતોની લાચારી પણ તમે જોઈ શકતા હશો. તેમને નથી ડરાવી શકાતા કે તેમને નથી વટલાવી શકાતા. ટ્રોલ્સ અને ગોદી મીડિયાની બધી મહેનત પાણીમાં જાય છે.

હવે તેમને રાજકીય વિકલ્પ જોઈએ છે અને વિકલ્પ હમણાં કહ્યું એમ બે છે; એક ટૂંકા ગાળાનો પણ ઝડપી અને બીજો લાંબા ગાળાનો પણ મહેનતવાળો અને ઘણે અંશે કાયમી. પહેલાં પહેલા વિકલ્પને તપાસીએ તો રાજકીય વાસ્તવિકતા શી છે?

૧. ગેર-બી.જે.પી. રાજકીય પક્ષો નખશીખ અને પ્રતિબદ્ધ સેક્યુલર છે એવું નથી. એમાંના મોટા ભાગના અવસરવાદી છે.

૨. જે પક્ષો વિચારોથી ખરેખર સેક્યુલર છે તેમની અંદર સત્તાનો મોહ છે અને તેમની સામે રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે. ગયા નવેમ્બર મહિનામાં બિહારમાં આપણે જોયું કે રાષ્ટ્રીય જનતા દલ, જનતા દલ (યુનાઇટેડ) અને લોક જનશક્તિ પાર્ટી એક જ વિચારધારા ધરાવે છે અને તેના નેતાઓ એક જ ગુરુ(ડૉ. રામમનોહર લોહિયા)ના શિષ્યો છે. તેમને એ પણ ખબર છે કે તેઓ એકબીજા સામે લડીને ક્ષીણ થઈ રહ્યા છે અને તેમને એ પણ ખબર છે કે તેમની વચ્ચેની લડાઈમાં અંતિમ ફાયદો બી.જે.પી.ને થવાનો છે જે તેમની કલ્પનાના ભારતનો વિરોધી છે. આમ છતાં ય તેઓ સાથે આવતા નથી, કારણ કે કોણ કોના હિતમાં પોતાની જમીન છોડે? દરેક રાજકીય પક્ષ વર્તમાનમાં પોતાનો ફાયદો જુએ છે, પછી પોતાનું, પોતાના પક્ષનું અને ભારતનાં ભવિષ્યનું જે થવાનું હોય તે થાય.

૩. ડાબેરીઓને છોડીને ભારતના લગભગ તમામ રાજકીય પક્ષોનો તેમની મૂળ વિચારધારા સાથેનો સંબંધ ખતમ થઈ ગયો છે. કાર્યકર્તાઓનું વૈચારિક પ્રશિક્ષણ થયું નથી એટલે પ્રતિબદ્ધ કેડર નથી. ચૂંટણીમાં ટિકિટ એવા લોકોને આપવામાં આવે છે જે ચૂંટણી જીતી શકવાની ક્ષમતા ધરાવતા હોય. આને કારણે પક્ષમાં જે નેતાઓ આવે છે એ સત્તાવાંછુ આવે છે અને તેઓ વેચાઈ જાય છે. નેતા સમાધાનો કરે તો સંસદસભ્ય કે વિધાનસભ્ય સમાધાન કેમ ન કરે? ચૂંટણી જીતવા માટેનું મૂડીરોકાણ તેનું પોતાનું હોય છે અને તેને વસૂલવાનું હોય છે.

૪. દેશમાં એક માત્ર કૉન્ગ્રેસને છોડીને કોઈ પક્ષ આખા ભારતમાં હાજરી ધરાવતો હોય એવો રાષ્ટ્રીય સ્તરનો પક્ષ નથી. બીજું અનેક પક્ષો બાપીકી દુકાન જેવા પક્ષો છે.

૫. મોટાભાગના રાજકીય પક્ષો અને તેના નેતાઓ ભ્રષ્ટ છે, તેમની મથરાવટી મેલી છે, તેમની વચ્ચે એકતા સ્થપાય અને સ્થાપાય તો જળવાય એની ખાતરી હોતી નથી એટલે ૨૦ ટકા કોમવાદી અને ૬૦ ટકા સેક્યુલરની વચ્ચે જે ૨૦ ટકા મતદાતાઓ છે તેમનો તેઓ વિશ્વાસ સંપાદિત કરી શકતા નથી.

૬. કેટલાક નેતાઓના કબાટમાં હાડપિંજરો છે એટલે તેઓ ડરે છે અને તેઓ વિપક્ષી એકતા વચ્ચે ફાચર મારવાનું કામ કરે છે.

૭. કેટલાક રાજકીય નેતાઓ ચૂંટણી ટાણે નિર્ણાયક મતદારક્ષેત્રોમાં ઉમેદવારો ઊભા રાખીને જે તે પક્ષના મત તોડીને કોઈને ફાયદો કરાવી આપવાનો ધંધો કરે છે. ધંધો જ, રીતસરનો ધંધો.

હવે કહો કે વિરોધ પક્ષોનું ચરિત્ર જ્યારે આવું હોય ત્યારે વિપક્ષી એકતાવાળો વિકલ્પ સાકાર થઈ શકે ખરો? કોઈક રાજ્યમાં થાય તો તે ટકાઉ નીવડે ખરો? આમાં રાષ્ટ્રીય સ્તરે એકતા સાધવી અને તેને ટકાવી રાખવી એ તો નેવાંનાં પાણી મોભે ચડાવવાં જેવું થયું. આમાં કૉન્ગ્રેસ મોખરે હોય કે કૉન્ગ્રેસ હાંસિયામાં હોય, કૉન્ગ્રેસમાં ગાંધી પરિવારનું નેતૃત્વ હોય કે ન હોય; થીગડાં મારવાથી લોકતાંત્રિક સેક્યુલર ભારત બચવાનું નથી. એને માટે ધીરજવાળો, ખૂબ મહેનત માગી લેનારો લાંબાગાળાનો જ વિકલ્પ અપનાવવો પડે એમ છે.

કોણ આ શિવધનુષ ઉઠાવશે? અને એને માટે કેવી લાયકાત જોઈએ?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 07 જાન્યુઆરી 2021

Loading

આ મુશ્કેલ સમયમાં (49)

સુમન શાહ|Opinion - Opinion|7 January 2021

આ કોરોનાકાળમાં કેટલાક બોધ અને ઉપદેશની વાતો કે કથાઓ આપોઆપ સરજાય છે. એક બોધકથા મને આ મળી છે — રમૂજી છે ને રમૂજના હેતુથી કોઈને પણ કહી શકાય એવી છે :

એક માણસે લગભગ ૮ માસ લગી રોજ્જે લગભગ દરેકના FB પર જઈને like કર્યું. કોઈએ એને પૂછ્યું : તેં ભલા, like કરવા કોઈ જણને ભાડે રાખ્યો છે? : તો વ્યંગને ખડખડાટ હસીને એણે દબાવી દીધો, પણ ‘હા' કહ્યું. તે FB પરનાં likes-નો, એટલે કે, લોકમતનો, ચમત્કાર થયો.

ચમત્કાર એ કે એ માણસ માણસમાંથી કશેક પ્રમુખ બની ગયો !

Picture Courtesy: Logopond

હવે, જુદું એ બનવા માડ્યું છે કે ટ્રમ્પના તેમ જ ટ્રમ્પે કરેલા લોકશાહીના હાલ-બેહાલ જોઈને કેટલાક પ્રમુખ સ્વપત્નીની સલાહથી ચૂંટણી વગેરેની જંજાળમાંથી છૂટીને, ઘરભેગા થવા લાગ્યા છે.

પણ કોઈ કોઈ હજી યે પેલાની જેમ FB પર જઈને સૌ કોઈના મિત્ર થવા નીકળ્યા છે. પણ એ જ તર્ક અનુસાર શાસ્ત્રકારોને સમજાઈ રહ્યું છે કે એ કોઈ કોઈના મે'લ કરવત મોચીના મોચી જેવા બહુ બૂરા હાલ થવાના …

ભલે. પણ આમ, માણસ અને પ્રમુખ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સિલેક્શન ઍન્ડ ઇલેક્શન – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સ્વમત, પર મત – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, માય વૉઇસ, માય વોટ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, ડૅમેગોગી ઍન્ડ ડૅમોક્રસી – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, હું-શાહી અને લોકશાહી – એ ચક્ર ચાલ્યા કરે છે.

અને, આમ, નિત્શેનું eternal recurring-માં માનવું સાચું ને સાચું પડ્યા કરે છે.

આમાંથી બોધ તે શું વળી? દરેકે પોતાના ગજા પ્રમાણે કે જીવનની જરૂરતે કરીને જેટલો સારવી લેવો હોય એટલો સારવી લેવો. કેમ કે કોરોના-કોવિડને કોઈની પડી નથી, કેમ કે એ પણ કશાક અણજાણ પણ eternal recurring-નો જ આવિષ્કાર છે …

= = =

(January 6, 2021: USA)

Loading

...102030...2,1002,1012,1022,103...2,1102,1202,130...

Search by

Opinion

  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved