Opinion Magazine
Number of visits: 9663713
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

રમેશ સવાણી|Diaspora - Features|19 July 2025

સાઉથ ડાકોટાના ‘રેપિડ સિટી’માં રેન્ટલ હાઉસમાં ત્રણ રાત્રિ મુકામ કર્યો. રેન્ટલ હાઉસમાં રોકાવાનો ફાયદો એ છે કે ઘર જેવું વાતાવરણ મળે, હોટલથી સાવ અલગ. રેન્ટલ હાઉસમાં કીચનનો ફાયદો રહે છે. મનગમતી રસોઈ બનાવી શકાય છે. રેન્ટલ હાઉસનું પ્રિબૂકિંગ ઓનલાઈન થઈ શકે છે. Airbnb-Airbed and Breakfast / Vrbo-Vacation Rentals by Owner / B&B-bed and breakfast જેવી કંપનીઓ પ્રવાસ માટે હાઉસ, રેન્ટ પર મેળવી આપે છે.

16 જુલાઈ 2025ના રોજ, સવારે 6 વાગ્યે ‘રેપિડ સiટી’થી આગળનો પ્રવાસ શરૂ કર્યો. હવે પછી અમારો મુકામ Yellowstone નેશનલ પાર્ક છે. રેપિડ સિટીથી Yellowstoneનું અંતર 430 માઈલનું છે. વચ્ચે નેશનલ હાઈવેના બદલે સ્ટેટ હાઈવે પર મુસાફરી કરી. નાનાં ગામડાંઓ જોવા મળ્યા. રોડની બાજુએ વિશાળ પડતર જમીનો જોવા મળી. 

બપોરના 3.30 વાગ્યે, Yellowstone – યલોસ્ટોન પાસેના અમારા ઉતારે – રેન્ટ હાઉસ પહોંચ્યા. દૂરથી ઝૂંપડા જેવું લાગે પણ અંદર જઈને જોયું તો બધું વ્યવસ્થિત હતું. સાંજે દાળ, ભાત, શાક, રોટલીનું ભોજન કર્યું. આરામ કર્યો. હાઉસ બહાર ફર્યા અને થોડા ફોટાઓ પાડ્યા. અહીં હાઉસમાં એરકંડિશ્નર નથી કેમ કે ઉનાળામાં પણ અહીં ઠંડું વાતાવરણ હોય છે.

યલોસ્ટોન નેશનલ પાર્ક વિશે માહિતી એકત્ર કરી. આ પાર્ક વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક છે. જે 1 માર્ચ 1872ના રોજ બન્યો હતો. યલોસ્ટોન નેશનલ પાર્ક એ વ્યોમિંગ, ઇડાહો અને મોન્ટાનામાં 2.2 મિલિયન એકરમાં, એટલે કે 3,468 ચોરસ માઇલ વિસ્તારમાં ફેલાયેલો છે. જેમાં તળાવો, ખીણો, નદીઓ, પર્વતમાળાઓ, ધોધ, વન્યજીવન અને ઘણું બધું જોઈ શકાય છે. ‘ઓલ્ડ ફેથફુલ’ અને ‘ગ્રાન્ડ પ્રિઝમેટિક સ્પ્રિંગ’ સહિત વિશ્વના સૌથી વધુ ગીઝર-ગરમ પાણીનાં ઝરણાં માટે આ પાર્ક પ્રખ્યાત છે. સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ, માછલીઓ, સરિસૃપ અને ઉભયજીવી પ્રાણીઓની સેંકડો પ્રજાતિઓનું ઘર છે. વિશાળ જંગલો અને ઘાસનાં મેદાનોમાં છોડની અનોખી પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ ઉદ્યાનમાં ગ્રીઝલી રીંછ, કુગર, વરુ અને બાઇસન અને એલ્કના મુક્ત-રેન્જિંગ ટોળાંઓ વસે છે. 

યલોસ્ટોન નેશનલ પાર્ક વ્યોમિંગના ઉત્તરપશ્ચિમ ખૂણામાં આવેલો છે. યલોસ્ટોન નેશનલ પાર્કનો 96% ભાગ વ્યોમિંગમાં છે, જ્યારે બાકીના ભાગો મોન્ટાના અને ઇડાહો વચ્ચે વહેંચાયેલા છે. જ્વાળામુખી ફાટવાથી થતા લાવાના પ્રવાહો અને ખડકો યલોસ્ટોનના મોટાભાગના ભૂમિ વિસ્તારને આવરી લે છે. 

આ પાર્કનાં મોટાભાગના લોકપ્રિય સ્થળો જોવા માટે 2થી 3 દિવસનું આયોજન કરવું પડે. ઊંડાણપૂર્વક મુલાકાત લેવી હોય તો એક અઠવાડિયાનું આયોજન કરવું પડે. અમે 5 દિવસ અહીં ફરવાના છીએ.

દર વર્ષે ઉદ્યાનના જંગલમાં આગ લાગે છે; 1988ની મોટી આગમાં, ગ્રેટર યલોસ્ટોન ઇકોસિસ્ટમમાં 1.4 મિલિયન એકર જમીન બળી ગઈ હતી, જેમાં પાર્કનો 7,97,880 એકર વિસ્તાર પણ સામેલ હતો. આ આગ પર્યાવરણીય અને માનવીય પરિબળોના મિશ્રણને કારણે લાગી હતી, જેમાં ઐતિહાસિક રીતે શુષ્ક ઉનાળો, ભારે પવન, વીજળીના કડાકા અને માનવ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જૂનથી પાનખર બરફ અને વરસાદથી આગ ઓલવાઈ ગઈ ત્યાં સુધી આગ સળગતી રહી હતી. સરેરાશ વર્ષમાં, યલોસ્ટોનમાં આશરે 24 આગ લાગે છે, જેમાંથી 80% કુદરતી-વીજળીને કારણે થાય છે. યલોસ્ટોનમાં હાઇકિંગ, કેમ્પિંગ, બોટિંગ, માછીમારી અને જોવાલાયક સ્થળો સહિત અનેક મનોરંજનની તકો મળે છે. 

આ ઉદ્યાનનો માનવ ઇતિહાસ ઓછામાં ઓછા 11,000 વર્ષ પહેલાં શરૂ થયો હતો જ્યારે મૂળ અમેરિકનોએ આ પ્રદેશમાં શિકાર અને માછીમારી કરવાનું શરૂ કર્યું હતું. 1807-1808ની આસપાસ John Colter – જોન કોલ્ટર યલોસ્ટોન વિસ્તારમાં પ્રવેશનાર પ્રથમ યુરોપિયન હતો. તે વેપારની તકો શોધવા આવેલ. કોલ્ટર યલોસ્ટોન આવ્યો તેની પાછળ જિજ્ઞાસા અને સાહસની ભાવના પણ હતી. જિજ્ઞાસાની ભાવના અમને પણ યલોસ્ટોન ખેંચી લાવી છે !

18 જુલાઈ 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

ગૃહસ્થ સંન્યાસ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Short Stories|18 July 2025

અરુણાના મનમાં ઉચાટ હતો અને હૃદય ધકધક થઈ રહ્યું હતું. હજી અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનને આવવાને વાર હતી. પણ, અરુણાનું હૃદય સ્વ-ગૃહે પાછા ફરવાના હર્ષ સાથે દ્વિધાથી ભરાઈ ગયું હતું. અરુણાને ખબર હતી કે રેલવે સ્ટેશને તેની આવવાની રાહ જોઇને કોઈ ઊભું નહીં હોય. અરુણા મનમાં જ બોલી કે કોઈને ખબર હોય તો રેલવે સ્ટેશન પર તેડવા આવે ને, અને ટ્રેઈન આવવાની રાહ જોઇને ઊભું રહેને. અરુણા મનમાં જ આ વિચારથી હસી કે કોઈને પોતાના આવવાની ખબર નથી અને હું વિચારું છું કે રેલવે સ્ટેશન પર મારી રાહ જોતું કોઈ ઊભું હશે. અરુણાએ પોતાને સવાલ કર્યો, `અરુણા, તું જ વિચાર કે કોણ તારી રાહ જોઇને ઊભું હશે. તે, ઘર છોડ્યા પછી ક્યાં તારો કોઈ સાથે સંપર્ક રહ્યો છે.` અમદાવાદ આવવાને હજી વાર હતી. અરુણા વિચારોના ભવરમાં ખોવાઈ ગઈ, અતિતમાં આંટો મારવા ચાલી ગઈ.

અરુણાનો જન્મ સામાન્ય પણ ધાર્મિક વાતાવરણથી ભરેલા ઘરમાં થયો હતો. નાનપણથી તેને મંદિરે જવું, પૂજાપાઠ, વ્રતો કરવા એ બહુ ગમતું. ઘણી વખત દાદા, દાદી સાથે કથામાં જતી, સંતોની વાણીને સાંભળતી, તેને મજા આવતી. ઘરે આવીને કથામાં સાંભળેલી, સંતો પાસેથી સાંભળેલી વાતો, કથન વિશે દાદીમાને પ્રશ્નો પણ પૂછતી અને ન સમજાય ત્યા સુધી દાદીમાનો પીછો નહોતી છોડતી. એક દિવસ અરુણાએ દાદીમાને પૂછ્યું, “દાદીમા, પ્રભુભજન અને આત્મકલ્યાણ માટે ઘર છોડી સંન્યાસ લેવાની જરૂર ખરી?” દાદીમા આ પ્રશ્નથી વિચારમાં પડી ગયાં હતાં કે આ નાની બાળકી ગતજન્મના ધાર્મિક સંસ્કાર લઈને જન્મી લાગે છે. એ સિવાય તેને રમવાની ઉંમરે આવા પ્રશ્નો ન સૂઝે.

ત્યારે દાદીમાએ કહ્યું હતું કે “ના બેટા, આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, તુલસીદાસ આવા ઘણા બધાં સંતોએ ગૃહસ્થજીવન સાથે પ્રભુભજન કર્યું હતું. દાદીમા, માતા, પિતા સાથે ધાર્મિક ચર્ચા અને અભ્યાસ સાથે અરુણા વયસ્ક થઈ યુવાનીના ઉંબરે પહોચી ગઈ હતી. કોલેજમાં અભ્યાસ ચાલતો હોવા છતાં આધુનિક સમાજનો, સોશિયલ મીડિયાનો રંગ તેને લાગ્યો નહોતો. આ બાબતે એ ઘણી વખત સહિયરોમાં હાંસીને પાત્ર પણ થતી એટલે જ અરુણાનાં માતાપિતાને અરુણા માટે યોગ્ય વર શોધવાની ચિંતા હતી. પણ, કહેવાય છે ને જોડી તો પ્રભુ નિર્મિત હોય છે પૃથ્વી પર તો ખાલી મેળાપ થાય છે. અરુણા માટે પણ જોઈએ એવું સંસ્કારી અને ધાર્મિક કુટુમ્બ મળી ગયું અને રંગેચંગે અરુણાના લગ્ન પણ સંપન્ન થઈ ગયા.

અરુણાના પતિનું નામ મનોજ હતું. ગવર્નમેન્ટ ઓફિસમાં સર્વિસ હતી. લોકોની માન્યતા પ્રમાણે તેની પાસે મલાઈદાર ખાતું હતું. પણ, મનોજ ઘરના સંસ્કાર પ્રમાણે ઈમાનદારીથી સર્વિસ કરવામાં માનતો હતો. તેને ઉપરની આવકનો કોઈ મોહ નહોતો. અરુણા, મનોજ સાથે ઘરમાં સેટ થઈ ગઈ હતી. ક્યારેક ક્યારેક મનોજ સાથે મંદિરે જતી અને સાસુજી સાથે કથા, વાર્તા, ભજનમાં જતી.

પૂર્વજન્મના સંસ્કાર કહો કે ઘરનું ધાર્મિક વાતાવરણ કહો, એક વખત અરુણા સાસુજી સાથે એક હરિદ્વારથી આવેલા સંતની કથા સાંભળવા ગઈ હતી. સંતની કથામાં એવી તો ઓતપ્રોત થઈ ગઈ કે પછી સંતની બધા દિવસની કથા સાંભળવા ગઈ અને મનમાં સંન્યાસ લેવાની ઈચ્છા જાગૃત થઇ ગઈ. એક દિવસ સમય લઈને સંતને મળી.

સંતે કહ્યું, “બેટા, અત્યારે તારો ધર્મ સાસુ-સસરાની સેવા અને ગૃહસ્થધર્મ નિભાવવાનો છે. એ ધર્મ સાથે તું આત્મકલ્યાણ અને પ્રભુભક્તિ કરી શકે છો. આ માટે સંન્યાસ લેવો જરૂરી નથી. બેટા, સંન્યાસનો પથ બહુ વિકટ પથ છે. તેમાં ડગલે ને પગલે સમસ્યાઓ ઊભી થતી હોય છે. સંન્યાસીનું કોઈ નિયત ઠેકાણું હોતું નથી. વળી, તું, તો દીકરી છો એટલે બેટા, તું સંન્યાસ માટેનો વિચાર તજીને અત્યારનો તારો ગૃહધર્મ નિભાવ. ઘરે રહીને પ્રભુની આરાધના કર.” અરુણા, સંતના આ પ્રકારના કથનથી નારાજ થઈને ઘરે આવતી રહી. સંત મહાત્મા તો કથા પૂરી થતાં તેની આગળની યાત્રા પર ચાલ્યા ગયા.

મનોજે જોયું કે અરુણાનું મન હમણાં હમણાં વિચલિત દશામાં હોય એવું લાગે છે. તેણે એક દિવસ પૂછ્યું, “અરુણા, શું વાત છે? સંત મહાત્માની કથા સાંભળ્યા પછી તું કઈક દ્વિધામાં અને વિચલિત મનોદશામાં હોય એવું લાગે છે. કોઈ વાત કે મુશ્કેલી હોય તો મને કહે. તારા મનમાં જે કઈ મૂંઝવણ હોય એ મને કહે, તો તારી મૂંઝવણનો રસ્તો નીકળી શકે. આપણે પતિ-પત્ની છીએ આપણી વચ્ચે કોઈ વાતનો પડદો ન હોય.”

અરુણાએ કહ્યું, “ના,ના,એવું કંઈ નથી પણ મને સંન્યાસ લેવાની અને આત્મ કલ્યાણ માટે કંઈક કરવાની ઈચ્છા જાગી છે. મીરાબાઈની જેમ પ્રભુમાં એકાકાર થવાની ઈચ્છા જાગી છે. હું, સંત મહાત્માને મળી હતી એમણે કહ્યું કે `અરુણા, ગ્રહસ્થ આશ્રમ એ જ શ્રેષ્ઠ આશ્રમ છે. તારે સંન્યાસ લેવાની કોઈ જરૂર નથી. તું, અત્યારે જે કરે છો એ તારો આત્મકલ્યાણ માટેનો જ રસ્તો છે.”

“અરુણા, સંત મહાત્માએ જે કહ્યું એ સાચું જ કહ્યું છે. તું અત્યારે જે કરી રહી છો એ આત્મકલ્યાણનો જ માર્ગ છે. માતાપિતાની સેવા અને ગૃહસ્થાશ્રમની જવાબદારી સાથે પ્રભુભજન કરવું એ ખૂબ જ કઠિન અને અઘરું કાર્ય છે. તું અત્યારે તો એ બંને જવાબદારી નિભાવી રહી છો એટલે મનમાંથી એ વિચાર કાઢી નાખ. તું એ વિચાર કે તારા વગરનું આ ઘર કેવું થઈ જશે. આ ઘર મંદિર છે એ મૂર્તિ વગરનું મકાન થઈ જશે. તારા વગર અમે નોધારા અને પ્રાણ વગરના થઇ જઈશું. તું તો અમારા જીવનનો આધાર છો. મારું મન અને આ ઘર ખાલી ખાલી થઇ જશે. મને આવી આકરી સજા ન કરતી, હું, તારા ધર્મના કે આત્મકલ્યાણના માર્ગમાં ક્યાં ય આડો નહીં આવું.”

આખરે એક દિવસ કોઈને પણ જાણ કર્યા વગર અરુણા હરિદ્વાર સંત મહાત્માના આશ્રમે પહોંચી ગઈ. સંત મહાત્મા તો જ્ઞાની મહાત્મા હતા તેણે વિચાર્યું કે અત્યારે આ દીકરીને કંઈ કહેવાનો અર્થ નથી. સમય આવે સમજણ આપવી પડશે. અરુણા હજી આશ્રમના વાતાવરણને અનુકૂળ થવાનો પ્રયત્ન કરી રહી હતી. સંત મહાત્મા પાસે બેઠી હતી ત્યાં એક યુવક આવ્યો અને કહ્યું, “ગુરુજી, તમારી વાત આજે મને સમજાય છે. અત્યારે પ્રાથમિકતા સંન્યાસજીવન નહીં પણ સાંસારિક જવાબદારીની છે. મારા જન્મદાતાની પાછલી અવસ્થાને સંભાળવાની અને સરળ બનાવવાની છે એટલે ગુરુજી, મને આજ્ઞા આપો અને આશીર્વાદ આપો કે એ જવાબદારી પૂરી કરીને હું તમારી સેવામાં ફરી ઉપસ્થિત થઈ શકું.”

“બેટા, મેં તને પહેલાં પણ કહ્યું હતું કે આપણા ઋષિ મુનિઓએ જીવનને ચાર આશ્રમમાં વહેચ્યું છે તેનું કારણ આજ છે. આપણા ઋષિ મુનિઓ પણ ગૃહસ્થજીવન સાથે આત્મઉધ્ધાર અને આત્મકલ્યાણ માટે સાધનાઓ પણ કરતા હતા. એ સાધનામાંથી મેળવેલ જ્ઞાનને લોકોમાં વહેચતા હતા. ગ્રહસ્થજીવન દરમ્યાન જ તેમને વેદો, પુરાણોની અનેક ધાર્મિક ગ્રંથોની રચના કરી છે. મારા તને આશીર્વાદ છે કે તું તારી ઈચ્છા પૂરી કરી શકીશ. ફરી તું આ આશ્રમમાં આવીને રહી શકીશ.”

અરુણા આ વાર્તાલાપ સાંભળી રહી હતી. તેણે સંત મહાત્મા સામે જોયું. સંત મહાત્માએ કહ્યું “હું તારા મનોભાવ સમજી ગયો છું. મેં તને કથા પછી દર્શને આવી ત્યારે આ જ વાત કરી હતી. બેટા, તારી જવાબદારી નિભાવ અને ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ કર. આ જ તારી સાચી પ્રભુ ભક્તિ છે.”

અચાનક અરુણાની વિચાર તંદ્રા તૂટી કારણ કે ટ્રેન કાળુપુર રેલવે સ્ટેશનમાં દાખલ થઈ રહી હતી. અરુણા પાસે સામાન તો બહુ હતો નહીં. રિક્ષા કરી ઘરે પહોંચી, રિક્ષામાં એ વિચારી રહી હતી કે મેં જે કર્યું છે તેનાથી ઘરના બધાં નારાજ તો થયાં જ હશે. મને કેવો આવકાર મળશે? મનોજ મને સ્વીકારી તો લેશે ને? ઘરમાં પ્રવેશવા અને રહેવા તો દેશે ને? મેં, મનોજને વધુમાં વધુ પીડા આપી છે. જો મને મનોજ અને મારા સાસુ સસરા નહીં સ્વીકારે તો મારું શું થશે? વળી વિચાર આવ્યો, ના, એવું નહીં બને. મેં ક્યાં કોઈ ખરાબ કૃત્ય કર્યું છે કે કોઈ અપરાધ કર્યો છે. મારી સાથે સંત મહાત્માના આશીર્વાદ છે એટલે કોઈ વિરુદ્ધ બાબત નહીં બને. આ વિચારમાં રિક્ષા ક્યારે ઘરના બારણે પહોંચી ગઈ એ ખબર ન રહી.

અરુણાએ ધીરેથી બારણાની ડોરબેલ વગાડી. મનમાં તો ફડકો હતો કે શું થશે? શું થશે? મનોજે બારણું ઊઘડ્યું, સામે અરુણાને જોઈને તેનું હૃદય થડાકો ચૂકી ગયું, સ્વસ્થ થઈને કહ્યું, “આવ, આવ, લાવ તારો સામાન મને આપ, સ્વગૃહે તારું હાર્દિક સ્વાગત છે.” અને અવાજ કરી કહ્યું, “મમ્મી, અરુણા સ્વગૃહે પાછી આવી ગઈ છે.” અરુણાએ મનોજ સામે જોયું અને મનોજે કહ્યું કે અરુણા સ્વગૃહે પછી આવી ગઈ છે. આ શબ્દો સાંભળી અરુણાનો મનનો બધો ભય ભાગી ગયો. મનમાં ઊભી થયેલી દ્વિધા અને ઉચાટ દૂર થઇ ગયા.

અરુણાએ દોડીને સાસુસસરાને પગે લાગીને કહ્યું, “મમ્મી, મારી દાદીમા કહેતા કે ‘બેટા આત્મકલ્યાણ અને પ્રભુભજન માટે સંન્યાસ લેવો જરૂરી નથી. ગૃહસ્થાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ છે. સાંસારિક જવાબદારી સાથે પણ પ્રભુભજન થઈ શકે. મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા આ બધાંએ ગૃહસ્થજીવન સાથે જ પ્રભુભજન કર્યું હતું. મમ્મી, દાદીમાની વાત આજે મને સાચી લાગે છે. મારી બધી ગેરસમજણ દૂર થઇ ગઈ.”

“હા, બેટા. તું થાકી ગઈ હોઈશ,આરામ કરી લે, પછી નિરાંતે વાત કરશું.”

અરુણાને આજે ગૃહસ્થજીવન સાથે આત્મકલ્યાણ અને પ્રભુભજનનો સુમેળ થતો હોય એવું લાગ્યું. ગૃહસ્થ સંન્યાસના સૂર્યનો ઉદય થતો લાગ્યો.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

અભી બોલા અભી ફોક

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 July 2025

રવીન્દ્ર પારેખ

એ ખરું કે સલાહ લેવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે, પણ સલાહ આપવાનું તો ભાગ્યે જ કોઈ ચૂકે છે. જરૂરી નથી કે સલાહકાર, જાણકાર હોય. જો કે, જાણકારો પણ આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાઈ લેવા, સમૂહ માધ્યમોમાં સલાહ આપતા જ રહે છે. સલાહ આપનારનો હેતુ મદદ કરવાનો જ હોય છે, પણ એ કોઈ જોતું નથી કે સલાહ લેવા કોઈ ઈચ્છે છે કે કેમ? આ કહેવાતી સલાહમાં પણ હોય છે તો હુકમો જ ! આ કરો, આ ન કરો, આ જાણો, આ ન જાણો. આમ તો સલાહનો ટોન જ ફરજ પાડવાનો છે. આવી સલાહ હવે છાપાં પણ આપે છે. એક દિવસ દૂધ પીવાના ફાયદા બતાવાય છે, તો બીજે દિવસે દૂધ હાનિ કરે છે એવું પણ એ જ કોલમિસ્ટ કહે છે. એક દિવસ માંડ દૂધ ચાલુ કર્યું હોય તે બીજી દિવસે હાનિની વાત છપાતાં દૂધ છોડી પણ દે છે. એક જગ્યાએ હતું – કબજિયાત છે? તો હિંગ, અજમા ને તજનું સેવન કરો. આ તો સાચી સલાહ હતી, પણ કેટલાક લેભાગુઓ એવી સલાહ આપે છે કે એ મુજબ સેવન કરવા જતાં હેવન સુધી ઊભા જ નથી રહેતા.

એક દિવસ એક ખેડૂતે બીજા ખેડૂતને પૂછ્યું, ‘કાલે તારા બળદને તેં શું પાયું હતું.?’ પેલાએ કહ્યું, ‘એરંડિયું.’ બીજે દિવસે ખેડૂતે બીજાને કહ્યું, ‘કાલે મારા બળદને એરંડિયું પાયું તો એ તો મરી ગયો.’ પેલાએ કહ્યું, ‘મરી તો મારો પણ ગયો હતો.’

સલાહ લેવા જતાં આવું પણ થાય છે.

એ વાત છાપે ચડી છે કે નર્મદ યુનિવર્સિટીને સરકારી ગ્રાન્ટ ઓછી પડી, તો તેણે વિધિવત કાર્યવાહી કરીને જમીન ભાડે આપવાનું ઠરાવ્યું. એનો વિરોધ થયો તો ભાડે આપવાનો નિર્ણય રદ્દ કરી દેવાયો. નિર્ણય બરાબર જ હતો ને એવું યુનિવર્સિટી જાહેર કરી ચૂકી હતી, તો તે બદલવાનો અર્થ તો એવો થાય કે અગાઉ લેવાયેલો નિર્ણય ખોટો હતો. કોઈ પણ નિર્ણય એકલદોકલ લેવાતો નથી. તે કાઉન્સિલની ભલામણથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા મંજૂર થયો હોય છે ને એ જ નિર્ણય બીજે દિવસે ઉલટાવી દેવામાં આવે તો તે કાઉન્સિલ અને બોર્ડની માનસિકતા અંગે સવાલો ઊભા કરે એમ બને. નિર્ણયમાં બાંધછોડ સારી વાત છે, પણ નિર્ણયની મક્કમતા પણ વિશ્વસનીયતા ઊભી કરે છે એ વાત નજરઅંદાજ ન થવી જોઈએ.

મંગળવારે એક સમાચાર લગભગ બધાં જ છાપાંમાં આવ્યા, તે એ કે હવેથી સમોસા, જલેબી, પિત્ઝા, લાડુ જેવી ફાસ્ટ ફૂડ આઈટેમ્સ પર તેમાં કેટલી ખાંડ કે કેટલું તેલ છે તેની ચેતવણી આપતું સ્ટિકર લગાડવાનું રહેશે. આ ફરમાન આરોગ્ય મંત્રાલયે બહાર પાડીને બધી કેન્દ્રીય સંસ્થાઓને આદેશ આપ્યો કે ફાસ્ટ ફૂડમાં કેટલાં ખાંડ કે તેલ છે તેનાં બોર્ડ લગાવે. ટૂંકમાં, ચા-બિસ્કિટથી લઈને બધાં જંક ફૂડને તમાકુ આઇટેમ જેવી કેટેગરીમાં મૂકવાની વાત છે. ભવિષ્યમાં જમવાનું લેબલિંગ પણ સિગારેટના પેકેટ પર લાગેલી ચેતવણી જેટલું જોખમી થાય તો નવાઈ નહીં ! આવી ચેતવણીઓ પાછળનો હેતુ લોકોને એ જાણકારી આપવાનો છે કે તેઓ જે ખાઈ રહ્યા છે તે જાણી સમજીને ખાઈ રહ્યા છે. એક સમય એવો પણ હતો કે વડીલો, બાળકોને જાડાપાડા થવાનો આશીર્વાદ આપતાં, પણ હવે સ્થૂળતા શરીરને અનેક રોગોનું ઘર બનાવે છે. દર પાંચ વ્યક્તિએ એક વ્યક્તિ સ્થૂળતાનો શિકાર છે. એક એવો અહેવાલ આવ્યો છે કે 2021માં 18 કરોડ લોકો સ્થૂળતાથી પીડિત હતા, તે 2050 સુધીમાં 44.9 કરોડ લોકો સ્થૂળતાથી પીડાતા હશે ને એને લીધે ડાયાબિટીસ, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર જેવી બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે ને વધશે. એ સંદર્ભે આરોગ્ય મંત્રાલયે ચેતવણીનાં પગલાં લેવા માંડ્યાં છે. એમ પણ કહેવાય છે કે આ ચેતવણીને પ્રતિબંધ તરીકે ન જોવી. કહેવાનું એટલું જ છે કે લોકો ગુલાબજાંબુમાં 5 ચમચી ખાંડ છે એ જાણીને ખાય. એમ પણ કહેવાય છે કે આ નિયમો કેન્દ્રીય સંસ્થાનો, જેમ કે એઇમ્સ, આઇ.આઇ.ટી. ને અન્ય સંસ્થાનોની કેન્ટીનો પર લાગુ થશે. જો કે, એઈમ્સ, નાગપુરે તો બોર્ડ લગાવવાનું શરૂ પણ કરી દીધું છે.

આ ફરમાન આરોગ્ય મંત્રાલયે મંગળવાર, 15 જુલાઈ, 2025ને રોજ આપ્યું ને એ જ આરોગ્ય મંત્રાલયે એ જ મંગળવારે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરી કે સમોસા, જલેબી, લાડુ જેવા નાસ્તા માટે કોઈ ચેતવણી લેબલ જારી કરવામાં આવ્યાં નથી. હેલ્થ મિનિસ્ટ્રીએ એમ પણ કહ્યું કે ખાદ્ય સામગ્રી વેચતા શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આરોગ્ય મંત્રાલયનો હેતુ  કેન્દ્ર સરકારના તમામ વિભાગો માટે કાર્યસ્થળ પર સ્વસ્થ ખોરાકની પસંદગીઓને પ્રોત્સાહન આપવાનો છે. જે રિપોર્ટ એક દિવસ પહેલાં સમોસા, જલેબી માટે જાહેર કરવામાં આવ્યો તે ખોટો અને પાયાવિહોણો છે. એડવાઇઝરી જાહેર કરવામાં આવી તે કોઈ ચોક્કસ ખાદ્ય પદાર્થને ટાર્ગેટ કરવા નહીં, પણ સ્વસ્થ ખાદ્ય સામગ્રીને પ્રોત્સાહિત કરવા માટે ! મંત્રાલયનું એવું માનવું છે કે કેન્ટીન, કાફેટેરિયા, બોર્ડ રૂમ જેવી જગ્યાએ તેલ, ખાંડના લેબલ લાગશે તો જોખમી અસરો વિશેની જાગૃતિ આવશે. ટૂંકમાં, મંત્રાલયનો ઉદ્દેશ ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા ખોરાકને પ્રોત્સાહન આપવાનો છે.

એટલું સારું છે કે સ્થૂળતાને રોકવા આરોગ્ય મંત્રાલય સભાન થયું છે. હાલમાં પાર્લામેન્ટ સબઓર્ડિનેટ લેજિસ્લેશન કમિટી આ મુદ્દે ગંભીર છે, પણ તેની ચિંતા પિત્ઝા, સમોસા, જલેબી જેવી વસ્તુઓમાં રહેલી ખાંડ, તેલની જાણકારી આપવાથી આગળ જતી નથી. બજારમાંથી કોઈ પિતા બાળક માટે પેકેજ્ડ ફ્રૂટ જ્યૂસ ખરીદે તો તેને અંદરની સામગ્રીની વિગતો મળવી જોઈએ એ ખરું, પણ એટલું પૂરતું નથી. રોગની જાણકારી હોય તે સારી વાત છે, પણ તે ઈલાજ નથી. વળી પેકેટ પર વિગતો એટલી ઝીણી હોય છે કે આંખના ઈલાજની નવી જાણકારી મેળવવી પડે.

15 જુલાઈના બંને ફતવા ગેરસમજ વધારનારા છે. પહેલામાં એવી સ્પષ્ટતા નથી કે એ ફતવો સ્ટ્રીટ ફૂડ માટે નથી, એટલે બીજો ફતવો બહાર પાડીને એ સ્પષ્ટતા કરવામાં આવી કે શેરી વિક્રેતાઓને લક્ષ્ય કરવા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એનો અર્થ એવો થાય કે સ્ટ્રીટ ફૂડ તો હેલ્ધી જ છે ને પ્રોબ્લેમ સરકારી સંસ્થાનોમાં ચાલતાં કાફેટેરિયા, કેન્ટીન વગેરેને જ છે. એવું ખરેખર હોય તો ગંધાતું અનાજ, નકલી દૂધ, સડેલાં શાકભાજી, નકલી ઘી-તેલ, અશુદ્ધ મસાલા આ બધું દુકાનોમાંથી મળતું નથી ને એ પ્રોબ્લેમ સરકારી કેન્ટીન, કાફેટેરિયા વગેરેનો જ છે, એમ માનવું પડે.

ધારો કે લેબલ લાગે છે ને સરકારી કેન્ટીન વગેરેમાં લાગે છે, તો એમાં આવનારા લેબલ વગર જાણી જ ન શકે એટલા અભણ છે? એ બધાં ખાસા શિક્ષિતો છે. તેઓ એ બરાબર જાણે છે કે તેઓ શું ખાઈ રહ્યા છે? લેબલથી બહુ ફેર નહીં પડે. સિગારેટના પેકેટ પર ચેતવણી હોવા છતાં પીનારા પીએ જ છે. દારૂ પીનારા લેબલથી ભાગ્યે જ દારૂ છોડે એમ બને. એ તો ઠીક, ડ્રગ્સથી સ્કૂલના છોકરા શિકાર થઇ રહ્યાં છે, એને ચેતવણી આપવાથી તેઓ અટકી જશે? ખરેખર તો કરોડો કરોડોનું ડ્રગ્સ શહેરોને ખૂણે ખૂણે પહોંચતું રોકવાનું હોય. રોગનાં મૂળ સુધી પહોંચવાને બદલે ચેતવણીઓ આપવાથી દા’ડો વળવાનો નથી. આરોગ્ય મંત્રાલય સ્વસ્થ ફૂડની હિમાયત કરે છે તે સારી વાત છે, પણ જે અનાજ પાકે છે, તેનાં પર રસાયણો છાંટીને તેને હાનિકારક કોણ બનાવે છે? ફળો પકવવા કાર્બાઈડ ને ઇન્જેકશન્સ ખોસવામાં આવે છે તે અટકી શકે એમ છે? દરેક વાતમાં સરકારની ચામડી પણ શું કામ છોલવી જોઈએ? ખાદ્ય સામગ્રીઓને ઝેરી, પ્રદૂષિત, ભેળસેળ યુક્ત સરકાર કરે છે? એ પાપ કરનારા આસપાસના જ માણસો છે ને ! વધુ પકવવા, વધુ કમાવા એવું કયું પાપ છે જે લોકો કરતા નથી? દૂર ઊભેલું મોત આપણે જ વેચાતું લાવીએ છીએ ને તે વેચનાર આપણામાંનો જ કોઈક છે. એ જાત લેબલથી સુધરે, ચેતવણીથી ચેતે એટલી ભોળી નથી. એ ખરું કે શૂળીનું વિઘ્ન કાંટે જાય તો સારું જ છે, પણ દરેક વખતે તલવારની જરૂર હોય ત્યાં ટાંકણીથી કામ ન કઢાય, તે ખરું કે કેમ?

000

કાર્ટૂન સૌજન્ય : સતીષ આચાર્ય
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જુલાઈ 2025

Loading

...102030...209210211212...220230240...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved