Opinion Magazine
Number of visits: 9735703
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

નટવર ગાંધી / બકુલા ઘાસવાલા|Poetry|22 February 2026

(વસંતતિલકા)

આજે પથારીવશ તું પડી, ક્ષીણ કાય,
ભાંગી પડી તનથી, ત્રસ્ત હતાશ હૈયે,
ઉલ્લાસહીન, દુ:ખિની, ગણતી, વિચારે:
“રે કેટલા દિવસ માસ ને વર્ષ મારે
બાકી રહ્યા કઠણ છે હજી જીવવાના?
મેં પાપ તો જરૂર કૈંક કર્યા હશેને,
જેની સજા કપરી આજ હું ભોગવું છું.
હે નાથ, માફ કર તું બસ લે ઉપાડી.”

“આજે ભલે વિવશ તું, સખી, યાદ કિન્તુ
છે ને તને? દિવસ, માસ, અનેક વર્ષો–
દામ્પત્ય રમ્ય ઉજવ્યું ઉરને ઉછાળે!
ઉલ્લાસથી, પ્રણયથી, વળી ઉજવીશું
જે બાકી છે જીવન તે હજી ધન્ય ઝાઝું,
આ પ્રેમને દિવસ ના સખી ભૂલતી તે.”

                                            –  નટવર ગાંધી

આસ્વાદઃ

બકુલા ઘાસવાલા

પન્નાને દરેક જન્મદિને અને વેલેન્ટાઈન ડે પર જીવનસાથી નટવર ગાંધી તરફથી એક સોનેટ અને ગુલાબગુચ્છની સદાબહાર કાવ્યકૃતિ ભેટ મળે છે. આ ઘટના નેબર્સ એન્વી ઓનર્સ પ્રાઈડ જેવી છે. આ વખતનું સોનેટ પન્નાબહેનની ત્રસ્ત, માનસિક અને શારીરિક રીતે ગ્રસ્ત, નિરાશાજનક અને હતાશાની લાગણીઓમાંથી એમને મુક્ત કરવામાં સફળ થાય એવી રચના દ્વારા નટવરભાઈએ સપ્રેમ ભેટ આપ્યું છે.

પન્નાબહેન અને નટવરભાઈ ભારત આવેલાં ત્યારે પન્નાબહેન પડી ગયેલાં અને એમને વ્હીલચેરને વ્હાલી કરવી પડી. આવું પરાવલંબી જીવન પન્નાબહેન માટે અસહ્ય બની રહ્યું અને એમનો બળાપો Self guilt સુધી પહોંચ્યો, એમને લાગ્યું કે મેં શું પાપ કર્યા હશે કે આ સજા? એક વાત કહું? આ ઉપરવાળાને આપણે પરમપિતા-માતા કહીએ છીએ તે શું સજા કરવા જ બેઠાં છે? નટવરભાઈ કહે છે કે ભલે આજે તું વિવશ છે પરંતુ ઉરને ઉછાળે સદાબહાર જિંદગી આપણે જીવ્યાં છીએ. હજી જીવીશું પ્રેમ અને ઉમંગથી બાકીની જિંદગી. આ મિજાજ નટવરભાઈનો છે જેમની પ્રેમભરી માવજત.

એમની સખીને ઉત્સાહિત કરશે જ. પ્રેમાળ વ્યક્તિનો નાનકડો વહાલભર્યો સ્પર્શ પણ ચેતનવંત રહેવા માટે ખૂબ ઉપયોગી છે. જિંદગીને માણવાની તક ન ચૂકવી એ નટવરભાઈનો તકિયાકલામ છે અને એમનું આવું વલણ જ પન્નાને પ્રસન્નતાની લહેરે ઝુલાવશે. પન્નાબહેન, તમે તો અમારાં જેવાં કેટલાં ય મિત્રો અને સખીઓનાં આદર્શ છો. પ્રેમની સાચી વિભાવના તમારી પાસે જડી છે ત્યારે તમારી હતાશા ન પરવડે. પ્રેમ હોવો અને પ્રેમની લાગણી વ્યક્ત કરવી એ મારે માટે તો ખૂબ જ અનોખી બાબત છે.

તમે વહેલાં સારાં થઈ જાઓ એવી આશા સહ પન્નાને સોનેટ દ્વારા જીવવાની જડીબુટ્ટીની ભેટ આપનાર આ જીવનસાથી અને કવિને દિલથી  સલામ.

*******

Loading

ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિનાની મહત્ત્વાકાંક્ષાઃ ‘AI સમિટ’ના ગોટાળા પુરાવો છે કે આપણે હજી પ્રોપ્ટિંગમાં કાચા છીએ

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 February 2026

AI ટૂલનું સબસ્ક્રિપ્શન હોવું અને સાચા પ્રોમ્પ્ટ આપીને તેનો ઉપયોગ કરતા આવડવું એમાં આસમાન જમીનનો ફેર છે, આ સાદા વાક્યમાં આપણી સમિટનું સત્ય છુપાયેલું છે. 

ચિરંતના ભટ્ટ

જે સવારે ભારતે આખી દુનિયાને પોતાનું નેતૃત્વ જોવા માટે આમંત્રણ આપ્યું હતું, તે જ સવારે પ્રવેશદ્વાર પરના ‘QR સ્કેનર્સ’ ન ચાલ્યા, દશેરાને દિવસે ઘોડું દોડવાની વાત તો દૂર પણ તબેલાનું તાળું જ ન ખુલ્યું.

ભારતની રાજધાનીના ભવ્ય ‘ભારત મંડપમ’ની બહાર એ દૃશ્ય આંખને કઠે એવું હતું. દેશભરમાંથી જે યુવા સંશોધકો, સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ટેકનોલૉજીસ્ટ્સ પોતાની આંખોમાં નવા ભારતની મોટી આશાઓ સજાવીને આવ્યા હતા, તેમણે દિલ્હીની ગરમીમાં ત્રણ-ત્રણ કલાક સુધી લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું. અંદર ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ પૂર જોશમાં શરૂ થઈ ચૂકી હતી: સો જેટલા દેશોનું પ્રતિનિધિત્વ હતું, સેમ ઓલ્ટમેન જેવા વૈશ્વિક ટૅક લેજન્ડ્ઝ સ્ટેજ પર હતા, સુંદર પિચાઈ હાજર હતા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને ‘ગ્લોબલ સાઉથ’ની AI રાજધાની બનાવવાના વિઝન પર ગર્વ લઈ રહ્યા હતા. પરંતુ બીજી તરફ, વાસ્તવિકતા કંઈક જુદી જ હતી. ગેટ પર ઊભેલા અનેક વિદેશી પ્રતિનિધિઓ પાસે લોકલ સિમ કાર્ડ નહોતા અને તેઓ કોઈનો સંપર્ક કરી શકતા નહોતા, કારણ કે વડા પ્રધાનની સુરક્ષા માટે મુકાયેલા ‘જામર્સ’ને કારણે આખા વિસ્તારનું વાઈ-ફાઈ નેટવર્ક કાપી નાખવામાં આવ્યું હતું. સૌથી મોટી વિડંબના તો એ હતી કે, ભારતની ડિજિટલ ક્રાંતિના શિરમોર સમી UPI સિસ્ટમ, આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સ્પોમાં જ ઠપ થઈ ગઈ હતી. જે પરિસરમાં દુનિયાના ભવિષ્યની વાતો થતી હતી, ત્યાં ગ્રાહકોએ પીવાના પાણીની બોટલ માટે પણ ખિસ્સામાંથી રોકડા પૈસા કાઢવા પડ્યા હતા.

આ માત્ર એક આયોજનની નિષ્ફળતા કે નાની વિરોધાભાસી ઘટના નથી; આ તો ભારતની મહત્ત્વાકાંક્ષા અને તેને અમલમાં મૂકવાની ક્ષમતા વચ્ચેના અંતરની આખી વાત છે.

સમિટના દિવસો દરમિયાન ઘણાં ગલગોટા, એટલે કે ગોટાળા થયા. ‘નિયો સેપિયન’ નામના સ્ટાર્ટઅપના સ્થાપક ધનંજય યાદવ જ્યારે સુરક્ષાના કારણોસર ખાલી કરાવવામાં આવેલા પ્રદર્શન હોલમાંથી પરત ફર્યા, ત્યારે તેમના બૂથ પરથી લાખોના ખર્ચે તૈયાર કરાયેલા ‘AI વેરેબલ્સ'(પહેરી શકાય તેવા ઉપકરણો)ની ચોરી થઈ ગઈ હતી. તે આ ઉપકરણો દુનિયાને બતાવવા અને રોકાણકારોને આકર્ષવા લઇને આવ્યા, પણ ચોરી પછી ખાલીખમ બૂથે તેમને આંખે અંધારા લાવી દીધા. ‘બોલના AI’ ના મૈત્રેય વાઘ અને ‘રિસ્કિલ લાઈફલોન્ગ’ના પુનીત જૈન જેવા અનેક ઉદ્યોગસાહસિકોએ આખી સમિટ દરમિયાન નેટવર્કિંગ કે વ્યાપારી ચર્ચાઓ કરવાને બદલે માત્ર લાઈનોમાં ઊભા રહેવામાં અને લૉકડાઉન જેવી સુરક્ષા વ્યવસ્થા સામે ઝઝૂમવામાં જ સમય વિતાવ્યો. બીજા દિવસે આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરમાં માફી માંગવી પડી અને પરિસ્થિત સુધારવા ‘વૉર-રૂમ’ બનાવવાનું વચન આપ્યું, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. વિપક્ષોએ આ આખી ઈવેન્ટને માત્ર એક ‘PR એમ્બેરેસમેન્ટ’ (લોકસંપર્કની શરમજનક નિષ્ફળતા) ગણાવી. સૌથી વધુ ચર્ચા તો એ નકલી ‘રૉબો-ડોગ’ની થઈ, જે એક યુનિવર્સિટીએ સ્વદેશી મેકિંગ હોવાના દાવા સાથે રજૂ કર્યો હતો, પણ તે ચીની બનાવટનો હોવાનું સાબિત થયું અને ગલગોટિયા યુનિવર્સિટી ગલા ઘોંટિયાને નામે ટ્રેન્ડ થઈ ગઈ, એ આખા ખેલના બધા ઑપરેટરોને હાંકી કાઢવામાં આવ્યા.

આ સમિટમાં બિલ ગેટ્સની હાજરીની પણ મોટી અપેક્ષા હતી, પરંતુ ‘એપ્સટીન ફાઈલ્સ’ને પગલે થયેલા નવા ખુલાસાઓને અને જાત-ભાતની વૈશ્વિક ચર્ચાઓ વચ્ચે તેઓ ગેરહાજર રહ્યા. આ પણ યાદ રાખવા જેવું છે કે વૈશ્વિક મંચ પર મોટા આયોજનો થાય ત્યારે ગમે તેટલો દેકારો કરીએ પણ વાસ્તવિક સંજોગો અને નૈતિક પડકારોને પગલે અણધાર્યા અવરોધો ખડા થઈ જ શકે છે.

સરકારી અધિકારીઓએ આ ઈવેન્ટની સફળતા દર્શાવવા માટે આંકડાઓનો સહારો લીધો : ૨.૫ લાખ રજીસ્ટ્રેશન અને ૭૦,૦૦૦ હાજર રહેલા લોકો! આપણે ત્યાં આ એક લોચો છે, આપણે કોઈ પણ કાર્યક્રમની ગંભીરતા કે સફળતા તેમાં હાજર રહેલા લોકોની સંખ્યા(Headcount)થી માપીએ છે. આપણા માટે જાહેરાતો એ જ ખરું કામ છે અને કરારો (MoUs) પર સહી થઈ એટલે જાણે લક્ષ્ય હાંસલ થઈ ગયું. આ સમિટ આ જ માનસિકતાનો એક ખૂંચે એવો દાખલો હતો, જ્યાં એક ટેકનિકલ કોન્ફરન્સને બદલે રાજકીય રેલી જેવો માહોલ ઊભો કરાયો. સ્કેલ કે કદ હોય એ સારી જ વાત છે પણ એ સ્કેલ તમારી રણનીતિ ન હોઈ શકે કારણ કે એવું થાય ત્યારે કામગારી ગૌણ બની જાય અને પછી ગોટાળા થાય અને નીચાજોણું પણ થાય.

જો આપણે આ ઈવેન્ટના સ્ટેજક્રાફ્ટને બાજુ પર મૂકીએ, તો કેટલીક પાયાની માળખાકીય ખામીઓ (Structural Deficits) નજર આવે છે જે કોઈ પણ ભાષણથી સુધરી શકે તેમ નથી. ભારત આજે વિશ્વનો અંદાજે પાંચમો ભાગ (20%) ડેટા પેદા કરે છે, પરંતુ આ ડેટાને સાચવવા કે પ્રોસેસ કરવા માટે જરૂરી ‘ડેટા સેન્ટર્સ’માં આપણો હિસ્સો વિશ્વના માત્ર 3 % જેટલો જ છે. ‘ઇન્ડિયા AI મિશન’ હેઠળ ફાળવવામાં આવેલું 10,000 કરોડનું ભંડોળ કાગળ પર તો મજબૂત લાગે છે, પણ તેનો જમીની સ્તર પર અમલ અત્યંત ધીમો છે. આપણા વીજળીના માળખા (Power Grids) આજે પણ જરા સરખો લોડ વધે એમાં ખોરવાઈ જાય છે, જ્યારે AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તેનાથી અનેકગણી વીજળીની જરૂર પડે છે. 

સૌથી મોટો પડકાર તો માનવ સંસાધન(Talent)નો છે. 2027 સુધીમાં ભારતમાં AI ક્ષેત્રે અંદાજે 10 લાખ નિષ્ણાતોની અછત સર્જાય તેવી શક્યતા છે. સ્થિતિ એવી છે કે ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવા વૈશ્વિક દિગ્ગજો ભારતના શ્રેષ્ઠ એન્જિનિયરોને જંગી પગારે લઈ જાય છે, જ્યારે આપણી આઈ.આઈ.ટી. (IITs) વર્ષે માંડ 10,000 જેટલા ગ્રેજ્યુએટ્સ તૈયાર કરી શકે છે. માર્કેટમાં એક્સપર્ટ્સની જરૂર બહુ જંગી છે. વળી, આ ક્ષેત્રમાં મહિલાઓનો હિસ્સો માત્ર 14% છે, જે દર્શાવે છે કે આપણે અડધી વસ્તીની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. અધૂરામાં પૂરું ‘ગ્રામીણ ટેલેન્ટ’ની વાતો થાય છે પણ ભાષણોમાં બોલાયેલા શબ્દોને આપણે વાસ્તવિકતા નથી બનાવી શક્યા.

આ સાથે ભૌગોલિક-રાજકીય (Geopolitical) પાસાઓ પણ ગંભીર છે. વિશ્વના AI ચિપ માર્કેટ પર આજે ‘Nvidia’નું 90% થી વધુ વર્ચસ્વ છે. અમેરિકાના એક્સપોર્ટ કંટ્રોલ નિયમો, વોશિંગ્ટનના મૂડ મુજબ બદલાતા રહે છે, તે ભારતની AI પહોંચને ગમે ત્યારે રોકી શકે છે. ભારત જે ‘સોવરિન AI'(સાર્વભૌમ AI)ની વાતો કરે છે, તે અત્યારે તો માત્ર એક આશાસ્પદ કલ્પના જ છે. સરકારના કડક નિયમો, જેમ કે 3 કલાકમાં ડીપફેક કન્ટેન્ટ હટાવવાની જોગવાઈ, સાંભળવામાં નિર્ણાયક લાગે છે, પણ તે નવા સંશોધકો માટે એવા અવરોધો ઊભા કરે છે જે ભારતની પોતાની સર્જનાત્મક ક્ષમતાને દબાવી શકે છે.

માત્ર ટીકા કરવાની છે એમ પણ નથી કારણ કે ભારતે પોતાની આવડતથી પહેલાં ય વિશ્વને ચોંકાવ્યું છે. ‘આધાર’ કાર્ડ કોઈ મોટા સ્ટેજ પ્રોગ્રામ વગર ધીમે ધીમે એક અબજ લોકો સુધી પહોંચ્યું. UPI એ આખા દેશની નાણાકીય લેવડદેવડની રીત બદલી નાખી. CoWIN પોર્ટલ દ્વારા કરોડો લોકોને વેક્સિન અપાઈ. આ બધી સફળતાઓ કોઈ ‘દેખાડા’ કે ‘spectacle’ના પરિણામ નહોતા. તે આકરી મહેનત, પરીક્ષણ અને જવાબદારી નક્કી કરવાની ‘બોરિંગ’ પણ મજબૂત વ્યવસ્થાનું પરિણામ હતા.

આજે AI ક્ષેત્રે પણ ભારત પાસેથી આવી જ ગંભીરતાની અપેક્ષા છે, જેનો આ સમિટમાં અભાવ જોવા મળ્યો. ‘ગ્લોબલ સાઉથ’ એટલે કે વિકાસશીલ દેશો ભારત તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. તેમને અમેરિકાના વેન્ચર કેપિટલના વર્ચસ્વ કે ચીનના સરકારી નિયંત્રણો વચ્ચે એક મજબૂત અને લોકશાહી વિકલ્પ જોઈએ છે. ભારતનું ‘પબ્લિક-પ્રાઈવેટ’ મોડલ, આપણી વિવિધ ભાષાઓ માટેના AI મોડલ્સ અને ભેદભાવ રહિત ગવર્નન્સ ખરેખર વિશ્વ માટે આકર્ષક છે. ભારત આમાં નેતૃત્વ કરી શકે છે, તેમાં કોઈ શંકા નથી.

બાય ધી વેઃ 

અંતે તો સવાલ એ છે કે આપણા વિઝનના અમલીકરણ માટે આપણે સજ્જ છીએ?  દુનિયાભરમાં જેની ચર્ચા હોય એવા કાર્યક્રમનું આયોજન સિસ્ટમો ઠપ થયા વિના ન થઈ શકે?  આપણા મંત્રી અશ્વિની વૈષ્ણવના ‘વૉર-રૂમે’ સમિટના બાકીના દિવસો સાચવ્યા પણ પ્રતિષ્ઠા વૉર-રૂમથી નથી બનતી. ખરી પ્રતિષ્ઠા વ્યવસ્થાશક્તિમાં હોય છે જે દબાણ હેઠળ ભાંગી ન પડે, એવા વચનોમાં હોય છે જેને વાસ્તવિકતા સાથે મેળ હોય. આપણે કહીએ કંઇ અને કરીએ કંઇ તો એમાં તો આપણી જ છાપ ખરાબ પડે. ઇરાદો ખરાબ નહોતો પણ વધુ પડતો આત્મવિશ્વાસ આપણને નડી ગયો એમ કહી શકાય. આ સમિટમા જે થયું એ ભૂલો નથી, એક અરીસો છે જે આપણી સજ્જતા સામે સવાલ કરે છે. આપણી ‘AI મોમેન્ટ’ સાચી છે, પણ આ ક્ષણને ઝડપીને સડસડાટ આગળ વધવા આપણે તૈયાર છીએ?  સમિટને પગલે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો છે, તે જ આપણી ખરી કસોટી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2026

Loading

ગલગોટિયા યુનિવર્સિટીએ તો ભારાતનું અને ભારત સરકારનું નાક જ કાપી નાખ્યું!

રમેશ ઓઝા|Opinion - Opinion|22 February 2026

રમેશ ઓઝા

લખવા બેસતા પહેલાં મનમાં ગડમથલ ચાલતી હતી કે ઇવેન્ટજીવી વડા પ્રધાન દ્વારા યોજવામાં આવેલી એ.આઈ. સમિટ (કૃત્રિમ બુદ્ધિમત્તા માટેની વૈશ્વિક શિખર પરિષદ) વિષે લખવું કે બંગલાદેશની ચૂંટણીનાં પરિણામો વિષે. પહેલી ઘટના બહુ જલદી ભુલાઈ જવાની છે અને બીજી ઘટનાના દૂરગામી પરિણામો આવી શકે છે. લાંબાગાળાના દૃષ્ટિકોણ વિના, લાંબાગાળાના આયોજન વિના, પોતાનાં હિતોને ગણતરીમાં લીધા વિના, પોતાનાં હિતોને સાકાર કરવાની કે સ્થાપિત કરવાની કોઈ યોજના વિના માત્ર સ્વની ઉજવણી કરવા અને વાહવાહી મેળવવા માટે ઇવેન્ટો યોજવામાં આવે તો તેનું ભુલાઈ જવું અવશ્યંભાવી છે. ઇવેન્ટજીવી વડા પ્રધાને કેટલી બધી ઇવેન્ટો યોજી જે તમને યાદ પણ નથી. 

શરમાયા વિના જૂઠ બોલો, અતિશયોક્તિ કરો, દેખાડો કરો, કોઈની બદનામી કરો એ આજના યુગનો સ્વભાવધર્મ છે અને તેની શરૂઆત વર્તમાન શાસકોએ કરી છે. પ્રમાણ આપવા હોય તો સો બસો સેહેજે આપી શકાય. જો વડા પ્રધાન અને અન્ય શાસકો શરમસંકોચ વિના જૂઠ બોલી શકતા હોય તો બીજા તેનું અનુકરણ શા માટે ન કરે! ગલગોટિયા યુનિવર્સિટીએ તો હદ કરી. ભારતનું અને ભારત સરકારનું નાક કાપી નાખ્યું અને ચીન ફદિયું ખર્ચ્યા વિના બાજી મારી ગયું. જે વાચકો માત્ર ગોદી મીડિયાનું સેવન કરે છે એને એ વાતની જાણ નહીં હોય કે એ.આઈ. સમિટ માત્ર એક વ્યક્તિને પ્રોજેક્ટ કરવામાં અવ્યવસ્થા અને અરાજકતાનો શિકાર બની ગઈ છે અને ઓછામાં પૂરું ગલગોટિયાએ તો દેશનું નીચાજોણું કર્યું. 

ગલગોટિયા યુનિવર્સિટી એક પ્રાઈવેટ યુનિવર્સિટી છે. આજકાલ દેશમાં દર વર્ષે એક પ્રાઈવેટ યુનિવર્સિટી સ્થાપાય છે. તેનો હેતુ શિક્ષણનો વેપાર કરવાનો છે. આ ઉપરાંત દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓનો તેમ જ શિક્ષણનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે કબજો કર્યો છે ત્યારે તેનાથી બચવા માગતા માબાપો પોતાનાં સંતાન માટે પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો કે વિદેશમાં ભણવા મોકલવાનો માર્ગ અપનાવે છે. ૨૦૧૪ પછી સંપન્ન પરિવારોનું જે પ્રમાણમાં વિદેશમાં સ્થળાંતર થઈ રહ્યું છે અને જે પ્રમાણમાં તેઓ ભારતનું નાગરિકત્વ છોડી રહ્યા છે એટલું પ્રમાણ આ પહેલાં ક્યારે ય જોવા મળ્યું નથી. 

ખેર, ગલગોટિયા યુનિવર્સિટીના સાહસની વાત આગળ વધારીએ. ગલગોટિયાએ દાવો કર્યો છે કે તેણે ૩૫૦ કરોડ રૂપિયાનું રોકાણ એ.આઈ.ના વિકાસ અને શિક્ષણ માટે ફાળવ્યા છે. વિશ્વની બેસ્ટ ફેકલ્ટી તેની પાસે છે. મંગળવારે દેશભરનાં છાપાઓમાં એક પાનું ભરીને એડવર્ટાઈઝમેન્ટ આપી જેમાં કેન્દ્ર સ્થાને એ.આઇ.નિર્મિત એક કૂતરાની તસ્વીર હતી. સમિટમાં ગલગોટિયાએ એક સ્ટોલ લીધો જેમાં એ કૂતરાને રાખવામાં આવ્યો હતો. એ કૂતરો ચાલતો હતો, ભસતો હતો, હાથ મેળવતો હતો અને એટલે સમિટમાં આકર્ષણનું કેન્દ્ર હતો તે ત્યાં સુધી કે દેશના માહિતી અને પ્રસારણ ખતના પ્રધાન અશ્વિની વૈષ્ણવે એક્સ મેસેજમાં એ.આઈ.ના જગતમાં સ્વઘોષિત વિશ્વગુરુનો જયજયકાર કરવા એ કૂતરાનો પ્રમાણ તરીકે ઉપયોગ કર્યો. હવા એવી બની કે એ કૂતરો ગલગોટિયા યુનિવર્સિટીના એ.આઈ. વિભાગે ભારતમાં બનાવ્યો છે. વાહવાહીનો પણ એક નશો હોય છે અને નશામાં સાહસનું પ્રમાણ વધે છે એટલે ગલગોટિયા યુનિવર્સિટીના પ્રાધ્યાપકે દૂરદર્શનના કેમેરામેનને કહ્યું કે આ કૂતરો ગલગોટિયા યુનિવર્સિટીના એ.આઈ. વિભાગે બનાવ્યો છે. વાત વહેતી થઈ. આ બાજુ ગોદીમીડિયાએ વિશ્વગુરુના દિગ્વિજયનો શંખનાદ શરૂ કર્યો ન કર્યો કે દેશદ્રોહીઓએ દૂધમાં નમક નાખી દીધું. તેમણે કૂતરાની તસ્વીર, એ કૂતરો બનાવનારી ચીની કંપનીનું નામ, કંપનીએ કૂતરાને આપેલું નામ (જે ગલગોટિયાઓએ બદલીને ‘ઓરિયોન’ આપ્યું હતું જેનો અર્થ થાય છે; દૈવી પ્રકાશ) ચીનના સ્ટોરોમાં વેચવા માટે મૂકેલા કૂતરાની તસ્વીર અને તેની કિંમતની વિગતો આપી દીધી. દેશદ્રોહીઓએ કશું જ બાકી ન રાખ્યું. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે એ કૂતરો ચીની બનાવટનો હતો અને ચીનથી આયાત કરવામાં આવ્યો હતો. આયાત કરવા સિવાય એ,આઈ, માટે ૩૫૦ કરોડ રૂપિયા ખર્ચનાર યુનિવર્સિટીએ કશું જ કર્યું નહોતું.

પહેલાં તો યુનિવર્સિટીએ જૂઠ બોલનારાઓ જે ચીજનો આશ્રય લે છે એનો આશ્રય લીધો. ‘દેશદ્રોહીઓ’ છે, સાલ્લા. પણ કલાક બે કલાકમાં દેશદ્રોહીઓની સંખ્યા વધતી ગઈ અને પ્રમાણોનો પણ મારો શરૂ થયો. હવે બચાવ થઈ શકે એમ નહોતો એટલે કહેવામાં આવ્યું કે મેડમ પ્રોફેસર બરાબર બરાબર રજૂઆત કરી નહોતા શક્યાં. એ બહેનને પણ બોલવા ફરજ પાડવામાં આવી કે હા, હું સરખી રીતે વાત નહોતી કરી શકી અથવા મારી વાર સરખી રીતે સમજાઈ નહોતી. આ કૂતરો ચીની છે અને વિદ્યાર્થીઓને ભણાવવા માટે આયાત કરવામાં આવ્યો હતો. ખરીદો અથવા ડરાવો અને જે જોઈએ તે બોલાવડાવો. એક એ.આઈ. કંપનીના માલિકે એક્સ મેસેજ કર્યો કે ધક્કામુક્કી અને અવ્યવસ્થાને કારણે અમારા સ્ટોલમાં જે ચીજવસ્તુઓ હતી એ ચોરાઈ ગઈ. એ પછી પાંચ જ મિનિટમાં બીજો મેસેજ આવ્યો કે ચોરાયેલી ચીજો મળી ગઈ. દેશદ્રોહ નહીં કરવાનો. દેશ આગળ વધી રહ્યો છે, ઓલરેડી વિશ્વગુરુ બની ગયો છે ત્યારે તમે રસ્તામાં રોડા નાખો એ કેમ ચાલે!

આજકાલ દેશદ્રોહીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો અહેવાલ પ્રસારિત કરી રહ્યા છે. એ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં ૪૦ લાખ કરોડ રૂપિયાની ચલણી નોટો ફરે છે અર્થાત્ ૪૦ લાખ કરોડ રૂપિયાનું રોકડ અર્થતંત્ર અસ્તિત્વ ધરાવે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે રોકડ અર્થતંત્ર માટે ૧૧ લાખ ૮૦ હજાર કરોડ રૂપિયાની નોટો ફરતી હતી. ૨૦૧૬માં નોટબંધી આવી ત્યારે ૧૬ લાખ ૬૦ હજાર કરોડ રૂપિયાની નોટો ફરતી હતી. નોટબંધી પછી તેમાં માત્ર ત્રણ લાખ કરોડનો ઘટાડો થયો હતો (આમ કેમ બન્યું એનો ખુલાસો કોઈ કરતું નથી) અને અત્યારે ૪૦ લાખ કરોડ રૂપિયાની નોટો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ગયા વરસના પ્રમાણમાં રોકડ અર્થતંત્ર માટે ફરતી નોટોમાં ૧૧ ટકાનો વધારો થયો છે. દેશના અર્થતંત્રમાં પણ રોકડ અર્થતંત્રનો હિસ્સો ૧૧.૨ ટકા છે. અને જો રોકડ ઉપરાંત યુ.પી.આઈ. દ્વારા કરવામાં આવતા વ્યવહારને ઉમેરવામાં આવે તો દેશનું રોકડ અર્થતંત્ર લગભગ ૬૦ ટકાનું છે. 

તો પછી નોટબંધી શેને માટે કરવામાં આવી હતી? કાળુંનાણું કાયમ છે. રોકડ અર્થતંત્ર કાયમ છે, બેનામી વહેવાર કાયમ છે, નકલી નોટ કાયમ છે, ત્રાસવાદ કાયમ છે. આને નેસ્તનાબૂદ કરવાનું કહેવામાં આવ્યું હતું ને! એક દિવસ નોટબંધીનું રહસ્ય પણ બહાર આવશે. 

આની વચ્ચે બંગલાદેશની ચૂંટણીની ઘટના તપાસવી જોઈએ. કોઈ દૈવીપુરુષના આભામંડળ વિનાની, સ્વઘોષિત અને ઉપજાવેલી ન હોય એવી, કૃતક જયજયકારના ઘોંઘાટ વિનાની શુદ્ધ વાસ્તવિક ઘટના. ભારતીય ઉપખંડમાં કાચબાઓ આગળ નીકળી રહ્યા છે. પહેલા શ્રીલંકા અને હવે બગલાદેશ. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ફેબ્રુઆરી 2026

Loading

...10...20212223...304050...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved