Opinion Magazine
Number of visits: 9680474
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીના સંગમાં સરદારના વ્યંગ

અશ્વિનકુમાર|Gandhiana|16 December 2020

ગાંધીજી અને સરદાર વચ્ચે લગભગ ત્રીસ વર્ષનો સુવાસભર્યો સહવાસ છે. પ્રારંભમાં મોહનદાસને વલ્લભભાઈ 'અક્કડપુરુષ' લાગે છે. ગોરંભમાં એ જ સરદાર ગાંધીજીનો 'જમણો હાથ' બની રહે છે. ૯-૧-૧૯૧૫ના રોજ વતન-વાપસી બાદ બહુ થોડા વખતમાં ગાંધીજીને 'મહાત્માજી'નું બિરુદ મળ્યું હતું. એ વેળાએ વલ્લભભાઈએ ટીકા કરી હતી કે, "આપણે ત્યાં મહાત્માઓ બેસુમાર છે." ('ગાંધી'સ ટ્રુથ', એરિક એરિક્સન, પૃ. ૯૦) આ જ વલ્લભભાઈ ગાંધીવિદાયના આઘાતમાં ૯-૨-૧૯૪૮ના રોજ નરહરિ પરીખને પત્રમાં લખે છે : "આપણે માથેથી છત્ર ચાલી ગયું." ('સરદારશ્રીના પત્રો – ૪', પૃ. ૩૬૫)

ગાંધી-સરદાર સંબંધ વિશે કાકાસાહેબ કાલેલકર ‘ગાંધી પરિવારના જ્યોતિર્ધરો'માં નોંધે છે : "ગાંધીજી અને સરદાર વલ્લભભાઈએ એકબીજાને બરાબર ઓળખ્યા. બંનેને આનંદ હતો કે આપણને એક સારા લગભગ સમાનધર્મી મળી ગયા. સરદાર વલ્લભભાઈમાં ચારિત્રની ઊંચાઈ ન હોત તો ગાંધીજી એમને પોતાનો 'જમણો હાથ' ન બનાવત. ગાંધીજીમાં તેજસ્વિતા અને તીવ્ર દેશભક્તિ ન હોત તો વલ્લભભાઈ જેવા માની પુરુષ એમના સિપાહી ન બનત. બંનેમાં આદર્શની સમાનતા ન હોત તો ત્રીસ વરસ સુધી બંનેનો આટલો ઘનિષ્ઠ સહયોગ ચાલી ન શક્યો હોત."

સરદાર વ્યક્તિ તરીકે પાક્કા છે, અભિવ્યક્તિમાં એક્કા છે. પાંચ ફૂટ સાડા પાંચ ઇંચ જેટલી ઊંચાઈ અને એકસો છેતાળીસ રતલ આસપાસનું વજન ધરાવતા વલ્લભભાઈ પાસે અમર્યાદિત, અસાધારણ, અજોડ વિનોદવૃત્તિ છે. તેમની લાયકાત અને વકીલાતથી એમનાં વાણી-વર્તનમાં વ્યંગરંગ ભળે છે. સરદારમાં નિર્ભયતા, નેતૃત્વશક્તિ, નિખાલસતા છે. વ્યંગના ચાબુક મારવા માટે આટલા ગુણો પૂરતા છે! મો. ક. ગાં. કરતાં વ. ઝ. પ. ઉંમરમાં છ વર્ષ અને ઓગણત્રીસ દિવસ નાના છે. સરદાર માટે ગાંધીજી સાથે વિનોદ-વિહાર કરવા આટલું વયઅંતર પૂરતું ઓછું અને પ્રમાણમાં સલામત છે! 'વિનોદ-વલ્લભ' સરદાર લોકજીવનની વાસ્તવિકતા પણ જાણે છે અને ગાંધીજીવનની નિકટતા પણ માણે છે. મો.ક. ગાંધી સાથે મોકળાશ અનુભવનાર વલ્લભભાઈ સત્યના પ્રયોગવીર સામે વ્યંગના પ્રયોગો કરી શકે છે. કારણ કે, ગાંધીજી હસી શકે છે, સહી શકે છે!

મોહન-વલ્લભ-મહાદેવના ત્રિવેણી સંગમમાં, યરવડામંદિર સાચે જ દિવ્ય-ભવ્ય-નવ્ય જણાય છે. મહાદેવભાઈની રોજ-નોંધમાં સરદારના વ્યંગ-રૂપનું મનોહર દર્શન કરી શકાય છે. 'સરદાર : એક સમર્પિત જીવન'ના લેખક રાજમોહન ગાંધીના મતાનુસાર, " … આ ડાયરીમાં વલ્લભભાઈનું જીવંત સ્વરૂપ જોવા મળે છે, તેટલું બીજે કશે મળતું નથી …" (પૃ. : ૨૧૩) જાન્યુઆરી, ૧૯૩૨થી મે, ૧૯૩૩ સુધીના ગાંધીસોબતના સોળ માસના જેલ-જીવનમાં સરદારની વિનોદ-ચાંદની સોળે કળાએ ખીલેલી અનુભવી શકાય છે. જેલવાસ દરમિયાન ગાંધીજી માટે ખજૂર ધોવાનું, દાતણ કૂટવાનું, સોડા બનાવવાનું … વગેરે કામ વલ્લભભાઈએ દિલથી સ્વીકાર્યું હતું.

'મહાદેવભાઈની ડાયરી'ના પહેલા ભાગમાં નોંધ છે : વલ્લભભાઈ બાપુને હસાવવામાં બાકી નથી રાખતા. આજે પૂછે : "કેટલાં ખજૂર ધોઉં?" બાપુ કહે : "પંદર." એટલે વલ્લભભાઈ કહે : "પંદરમાં અને વીશમાં ફેર શું?" બાપુ કહે : "ત્યારે 'દશ.' કારણ દશમાં અને પંદરમાં ફેર શું?" (પૃ. ૯) જમી રહ્યા પછી વલ્લભભાઈ હંમેશની જેમ દાતણ કૂટીને તૈયાર કરવા બેઠા. પછી કહે : "ગણ્યાગાંઠ્યા દાંત રહ્યા છે તો પણ બાપુ ઘસ ઘસ કરે છે. પોલું હોય તો ઠીક પણ સાંબેલું વગાડ વગાડ કરે છે." (પૃ. ૧૩) વલ્લભભાઈની ગમ્મત આખો દિવસ ચાલતી જ હોય. બાપુ બધી વસ્તુમાં 'સોડા' નાખવાનું કહે છે. એટલે વલ્લભભાઈને એ એક મોટો મજાકનો વિષય થઈ પડ્યો છે. કંઈક અડચણ આવે એટલે કહે : "સોડા નાખોની!" અને એની હાસ્યજનકતા બતાવવાને સારુ  … વૈદ્યના નેપાળાની વાત કરીને ખૂબ હસાવ્યા. (પૃ. ૧૪)

ગાંધીજી જેલમાં ક્યારેક મોડે સુધી બેસીને બહુ કાગળો લખાવતા. આ અંગે મહાદેવભાઈ નોંધે છે : "વલ્લભભાઈ પણ હવે મંત્રીની પદવીએ ચઢ્યા અને ઢગલા કાગળો ઉકેલવામાં મદદ કરવા લાગ્યા. એમને તો પાછું મનગમતું કામ. એમના વિનોદનો ફુવારો તો ચાલતો જ હોય. કોઈના કાગળમાં જોયું કે સ્ત્રી કુરૂપ છે એટલે ગમતી નથી, એટલે તુરત બાપુને કહે : "લખોની કે આંખ ફોડી નાખીને એની સાથે રહે, એટલે કુરૂપ જોવાનું નહીં રહે!" "(મહાદેવભાઈની ડાયરી, ભાગ-૨, પૃ. ૨૭૫)

સરદાર પાસે સચોટ તળભાષા જીભવગી છે. ગાંધીજી કહે છે : "વલ્લભભાઈની ખેડૂતી ગુજરાતી તેની પાસેથી કોઈ હરી જ ન શકે." (કિ.ઘ. મશરૂવાળાને પત્ર, ૨૧-૯-૧૯૩૨, 'ગાંધીજીનો અક્ષરદેહ', ૫૧:૧૨૦) આ જ રીતે સરદારના વિનોદ-સામર્થ્ય વિશે ગાંધીજી 'હરિજન'(૨૫-૨-૧૯૩૩)માં લખે છે : " … મારી પાસે સરદાર વલ્લભભાઈ પટેલ રૂપે એક લાડકો વિદૂષક છે. તેઓ મને પોતાની અણધારી ગંમતની વાતોથી હસાવીને લગભગ બેવડ વાળી દે છે. તેમની હાજરીમાં ખિન્નતા પોતાનું ભૂંડું મુખ છુપાવીને ભાગી જાય છે. ગમે તેવી ભારે નિરાશા પણ તેમને લાંબો વખત ઉદાસ રાખી શકતી નથી અને તેઓ મને એકથી બીજી મિનિટ માટે ગંભીર રહેવા દેતા નથી. તેઓ મારા 'સાધુપણા'ને પણ છોડતા નથી! … " ('ગાંધીજીનો અક્ષરદેહ', ૫૩:૪૫૦)

સરદાર ખિન્ન નહીં, પ્રસન્ન રહેવા માટે સર્જાયેલા છે. ગાંધીકથાકાર નારાયણ દેસાઈ 'મને કેમ વીસરે રે?'માં લખે છે : "સરદારનો વિનોદ એમની આંતરિક પ્રસન્નતામાંથી સ્ફૂરતો. અલબત્ત એ કોઈ વાર સામાને દઝાડે એવો આકરો પણ થઈ જતો. કદાચ વકીલાતના જમાનાના એ સંસ્કાર હશે. પરંતુ કઠોર ગણાતા સરદારના હૃદયમાં જો વિનોદ અને હાસ્યરસનાં ઝરણાં ન હોત તો જીવનની આટઆટલી આકરી કસોટીઓમાંથી પાર ન ઊતર્યા હોત." આપણે સરદારના જીવનમાંથી એટલું તો પામીએ કે હાસ્ય એ જિંદગી જીવવાનું રહસ્ય છે.

આજના મોટા ભાગના લોકનેતાઓનાં વિચાર-વાણી-વર્તન ઓછા હાસ્યપ્રેરક અને વધારે હાસ્યાસ્પદ છે. સરદાર જેવો વિનોદ પ્રગટાવવા માટે અણીશુદ્ધ ચારિત્ર, તળનો સંપર્ક, સમસ્યાની સમજણ, લોકભાષામાં અભિવ્યક્તિ અને ગાંધીજી જેવા જીવન-કવનનો સંગ પણ જોઈએ!

……………………………………………………………………………………………………………..

સંદર્ભ-સૂચિ :

Erikson, Erik (1970). Gandhi's Truth: On the Origins of Militant Nonviolence. Faber and Faber Limited : London.

કાલેલકર, કાકાસાહેબ (૧૯૭૫). ગાંધીપરિવારના જ્યોતિર્ધરો. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૧). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, મોહનદાસ (૧૯૭૮). ગાંધીજીનો અક્ષરદેહ(ગ્રંથ ૫૩). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

ગાંધી, રાજમોહન (૨૦૧૦). સરદાર પટેલ : એક સમર્પિત જીવન (અનુવાદક : નગીનદાસ સંઘવી; પહેલી આવૃત્તિ, ૧૯૯૪; અગિયારમું પુનર્મુદ્રણ, ૨૦૧૦). નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

દેસાઈ, નારાયણ (૧૯૮૬). મને કેમ વિસરે રે?. બાલગોવિંદ પ્રકાશન : અમદાવાદ.

પટેલ, મણિબહેન (સંયોજક-સંપાદક) (૧૯૮૧). સરદારશ્રીના પત્રો – ૪ : બાપુ, સરદાર અને મહાદેવભાઈ (જન્મશતાબ્દી ગ્રંથમાળા – ગ્રંથ ચોથો) (પહેલી આવૃત્તિ, ૧૯૭૭; ત્રીજી આવૃત્તિ, ૧૯૮૧) સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૮). મહાદેવભાઈની ડાયરી પુસ્તક પહેલું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

પરીખ, નરહરિ (સં.) (૧૯૪૯). મહાદેવભાઈની ડાયરી પુસ્તક બીજું. નવજીવન પ્રકાશન મંદિર : અમદાવાદ.

……………………………………………………………………………………………………………..

Email-id: ashwinkumar.phd@gmail.com

Blog-name:  અશ્વિનિયત / Ashwiniyat

Blog-link: http://https://ashwinningstroke.blogspot.com  

Loading

સરકારમાં “સર” છે તો “કાર” પણ છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|15 December 2020

આજે થોડી હળવી વાત કરવી છે એટલે કોઈ પાઘડીના માપનું માથું ન કરે અને એન્જોય કરે એટલી જ વિનંતી છે. શું છે કે લોકો ગાળ દઈ શકે એટલે ઈશ્વરે, સરકાર અને વહુનું સર્જન કરેલું છે ને બંનેને જેમ સર્જનની તક આપી છે એમ જ વિસર્જનની તક પણ કુદરતે આપી છે. સરકારને ગાળ ને વહુને ગાલ આપી શકાય. વહુ, સહુની નથી થતી તેમ સરકાર પણ સહુની નથી થતી. સરકાર સારું કામ ન કરે તો લોકો બદલી કાઢે છે, પણ વહુ સારું કામ ન કરે તો તેને બદલવાનું સહેલું નથી. એ જુદી વાત છે કે વહુ જ સાસરું બદલતી રહીને સુ-વર પામતી રહે. વહુ મળે તો “સર” રહેવાનું અઘરું છે ને “કાર” હોય તો તે કાઢવી પડે એમ પણ બને. જો કે સરકારમાં “સર” અને “કાર”ની ગેરંટી છે. સરકારનું એવું છે કે એને માનવી પડે. ન માનો તો એ પટાવે અથવા તો પતાવે. “વાતોનાં વડાં” પ્રધાન હોય ને સૂતરફેણી જેવી દાઢી ફરકાવતાં ઋષિ કહે કે કૃષિ કાનૂન ભલા માટે જ છે તો માની લેવાનું. એને પૂછવા નહીં જવાનું કે કાનૂન કોના ભલા માટે છે? ખરેખર તો એ પૂછવાનો પ્રશ્ન જ નથી, એ તો સમજવાનો ને સાનમાં સમજી જવાનો પ્રશ્ન છે. સીધી વાત એ છે કે કોઈ સરકાર ગરીબ રહી નથી, એ હક પ્રજાનો જ છે. પછી એ કહે કે કાનૂન ભલા માટે છે તો સમજી જવાનું કે કોના ભલા માટે છે ! તેને બદલે તમે ચક્કા જામ કરવા નીકળો તો છક્કા તમારા છૂટે તેમાં નવાઈ નથી. એમાં થશે શું કે ચક્કા જામ તમે કરશો ને ભાવ છાનામાના પેટ્રોલના વધશે ને તે ય એવી રીતે જેમ આંગળીના નખ વધે છે.

હવે સરકાર સામે તમે શીંગડાં ભરાવો તો થોડો વખત તો ચાલશે બધું પણ, છેલ્લે સમાધાનમાં જ ધાન છે એ ભાન થઈને રહેશે. તમે ટોલ ટેક્સ નહીં ભરો તો ટેક્સ ટાલ પર આવશે ને એની મેળે જ બાલ ઊતરી જશે ને ત્યારે હેલ્મેટ પણ તેને ઢાંકી નહીં શકે. કોરોનાની ખબર તો પડતાં પડશે, પણ કોરોના ટેક્સ તો ઘણાની ટાલ પાડી દેશે ને ટાલ પર તો ઓલરેડી ટેક્સ હશે જ એટલે બાવાના બે ય બગડશે. એટલું સમજો કે સરકારમાં અક્કલ વધારે જ હોય છે. એ જાણે છે કે કોરોના કાળમાં પૈસા કેવી રીતે ખરચવા? એને ખબર છે કે કોરોના કરતાં સંસદની જરૂર વધારે છે. કોરોના તો આજ છે ને કાલ નથી, જ્યારે સંસદ તો કાયમી છે. એ વગર એ નવું સંસદભવન કરવા બેસે? Sansad ખરેખર તો son-sad છે, જેમાં son બેસે ને દેશને ય બેસાડી દે એમ બને. સરકારને ખબર છે કે બુલેટ ટ્રેન હોય તો અમીરોના ને ગોળી હોય તો ગરીબોના હિતમાં જ હોય છે. આપણે તો દેશમાં જ રહીએ છીએ, જ્યારે સરકાર તો વિદેશમાં પણ રહે છે, બલકે, ઘણીવાર તો ત્યાં જ વધારે રહે છે. એવે વખતે એ દેશનો, વિદેશમાં કેવો ઇમ્પેક્ટ પડે એ ન જુએ? એ વિદેશમાં છાપ બગાડે તો અહીં ઇન,“વેસ્ટ” કયો કાકો કરે?

ખરેખર તો ઈન્ડસ્ટ્રી ઇઝ ઇન ડસ્ટ ! ડોંચ્યુ નો ધેટ? ઈન્ડસ્ટ્રીને ઉપર નહીં લાવીએ તો લોકો “ઉપર” જશે ને એ ઉપર જશે તો સરકાર નીચે રહેવાની હતી? એ ય ઊંચી જશે જ ! એ પણ ઊડશે તો ઇંડસ્ટ્રિયાલિસ્ટના જીવ પર જ ને ! એ ઉપર આવશે તો સરકાર પ્લેનમાં કે હેલિકોપ્ટરમાં ઊડી શકશે ! એને કૈં તમે “ઉડાડવાના” હતા? દાણીઓ ને દોણીઓ છે તો બાણીઓ ને બોણીઓ છે ને તેની જ તો ધાણીઓ ફૂટે છે, નહીં તો બધું ધૂળધાણી થઈને રહે. સમજો, જરા, સમજો !

સરકાર અને સરદારમાં અસરદાર સરદાર છે, એટલે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. હવે યુનિટી સ્ટેચ્યુઓ વચ્ચે જ રહી છે. બાકી લોકો તો ઠોકો તો જ ઠેકાણે આવે છે. લોક છે તો પરલોક છે, બાકી ત્યાં જાય કોણ? કોઈ દાણી સરદારને અ-સરદાર કરવા મથે તો લોકોને તો કોઈ ફરક પડતો નથી. બહુ બહુ તો એ મેસેજ ફોરવર્ડ કરી જાણે. બહુ થાય તો “ખરું ચાલે છે !” કહીને ખોટું કરવા લાગી જશે કે એકાદ સૂત્ર ફટકારશે – વિમાન ઘર કરતાં સ્વમાન ઘર તો ઊંચું જ હોવાનું ! – શું છે કે જમાનો “એડ્સ”નો છે. મંત્રીઓને ફોટાનો ક્રેઝ હોય તો ઉદ્યોગપતિઓને ખોટાનો ન હોય? સંપત્તિ સરદારને ઢાંકે ને દાણીને હાંકે એમાં નવાઈ નથી. આ લોકો અગમચેતીમાં ચીનથી આગળ છે. એ જેમ રોગ પહેલાં રસી શોધી રાખે છે એમ જ દાણી અનાજ પહેલાં સ્ટોરેજ પણ પ્લાન કરી લે છે. ચીનથી આવેલો કોરોના ચીનમાં નથી ફેલાયો એટલો વિશ્વમાં ફેલાયો છે તે સમજાય છે?

વેલ, જેમાં સર છે ને કાર પણ છે ને જો તે સરકાર નથી, તો નક્કી તે ડોક્ટર છે. ડોક્ટરને કેટલાક ડોક-ક્ટર પણ કહે છે, પણ બધા જ એવા નથી. કોરોનામાં ડોકટરોએ જીવ આપ્યો છે તો જીવ લીધો પણ છે. બે પ્રકારના ડોકટરો કોરોનાએ આપ્યા છે. જાનની પરવા કર્યા વગર ડોક્ટરે, દરદીઓને બચાવ્યા છે તો દરદીઓએ પણ જાન આપીને ડોક્ટરોને બચાવ્યા છે. ડોક્ટરોની એક ટીમ એવી પણ આવી જેણે કોરોનામાંથી કિડનીની કમાણી કરી. એમાં શું હતું કે કોરોનામાં દરદી મરે તો ડેડબોડી સંબંધીઓને અપાતી ન હતી ને ડોકટરોએ સેવા તો કરી જ હતી, દરદીને દુનિયા છોડાવવાની, તો ડોક્ટરે શું કરવાનું? હવે જે દુનિયા જ છોડી ગયો છે તેને કિડની તો કામ લાગવાની નથી, તો બેસ્ટ વે, કિડની કાઢીને મેવાની વ્યવસ્થા કરી લો. ટૂંકમાં, ડોક્ટરો બે પ્રકારના હોય છે. એક ખાનગી ને બીજા જાહેર. ખાનગીમાં દિલ ઘટે ને બિલ વધે. જાહેરમાં દિલ ને બિલ બંને ઓળખાણને આભારી છે. ઓળખાણ હોય તો દિલ ને બિલ બંને બચે ને એ ન હોય તો સિવિલ, ઈવિલની ગરજ સારે એટલું નક્કી.

ડોક્ટરમાં કેટલાક ભાગુ હોય છે તો કેટલાક લેભાગુ હોય છે. ભાગુ એટલે એવા જે ભાગતા ફરે. લેભાગુ એવા જે (પૈસા) લઈને ભાગતા ફરે. કેટલાક ડોક્ટરો એટલા ભલા હોય છે કે તે નિદાનમાં પણ દાન જુએ છે. એવું બને કે નિદાન ટાઇફોઇડનું થાય ને દરદી મલેરિયાથી ગુજરી જાય, તો કેટલાક મલેરિયાનું નિદાન કરે તો દરદીની તાકાત નથી કે તે ટાઇફોઈડથી મરે. એ મલેરિયાથી જ મરે. આ વખતે તો ડોક્ટરો નવરા પણ બહુ રહ્યા. લોકડાઉનમાં દવાખાના બંધ, તો કરે શું? ઘરમાં જ સ્ટેથોસ્કોપ ફેરવતા રહ્યા. તો ય ટાઈમ વધ્યો, તો પોતાનું જ બી.પી. માપતા રહ્યા. જો કે હમણાં તો ઘણા હડતાળ પર ગયા છે. થયું એવું કે આયુર્વેદના અનુસ્નાતકોને સરકારે સર્જરીની છૂટ આપી. આમ તો એ સર્જરી કરતા જ હતા, પણ મેડ મેડ મેડિક્લેઇમને ઓફિશિયલ કરવા સરકારે વિધિવત્‌ જાહેરાત કરી કે હવેથી આયુર્વેદના સ્નાતકો પણ સર્જરી કરી શકશે. આ વાતે આયુર્વેદે, એલોપથીની સિમ્પથી ગુમાવી અને ડોક્ટરોની એક જમાત હડતાળ પર ઊતરી. એને કદાચ થયું હશે કે દરદીને મારનારા અમે જીવતા જાગતા બેઠા છીએ તે ઓછા છીએ કે આયુર્વેદ એમાં ભાગ પડાવે? ધીસ ઈઝ નોટ ફેર ! ને બસ ! ડોક્ટરો હડતાળ પર ઊતર્યા. સારું છે કે દરદીઓને અક્કલ નથી, નહિતર એ પણ બધા હડતાળ પર ઊતર્યા હોત ! એવું થયું હોત તો ઘણા દરદીઓ અવગતે જતા બચી ગયા હોત ! જો કે દરદીઓ ડોક્ટરોને ભગવાન માને છે ને એ ભલે ભગવાનને ત્યાં પહોંચાડતા હોય તો પણ, દરદીઓ, ડોક્ટરોથી છેડો ફાડી શકતા નથી. છેડો મૂકવાનો થાય તો પણ કે ક્યારેક દરદીનાં સગાંઓ ડોક્ટર પર હાથ સાફ કરી લેતા હોય તો પણ, દરદીઓ ડોક્ટરોની સામે હડતાળ પર જઈ શકતા નથી, કારણ, ગમે તે હોય, પણ છેલ્લે તો ડોક્ટર જ તેનો હાથ ને પગ ઝાલે છે. એ પગ તે ડોક્ટરના પેટ પર મૂકે તો દરદીઓની સાત પેઢી લાજે. ડોક્ટરને હાર્ટ હોય કે ન હોય, પણ દરદીને તો હાર્ટ હોય જ છે, એટલે છોરું કછોરું થાય, પણ માવતર, કમાવતર ન જ થાય, ખરુંને ?

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 15 ડિસેમ્બર 2020

Loading

મુશ્કેલ સમયમાં (46)

સુમન શાહ|Opinion - Opinion|15 December 2020

= = = = કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે = = = =

= = = = મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ = = = =

‘કોરોના’, ‘કોવિડ-૧૯’, ‘માસ્ક’, ‘લૉકડાઉન’ – આ ૪ શબ્દોમાંથી બને કે ‘માસ્ક’ અને ‘લૉકડાઉન’ માટે કોઈ કોઈ ભાષામાં તેના અનુવાદો થઈ શક્યા હોય. પણ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’ તો ઘણા હઠીલા તે દુનિયાની એકોએક ભાષામાં એવા ને એવા ચૉંટી ગયા છે. સાવ અનનુવાદ્ય. અનુવાદ કરવાની ચેષ્ટા પણ ન કરવી જોઈએ.

આ ક્ષણે મને યાદ આવે છે એક પ્રસંગ. આપણા એક હૉંશીલા વિવેચક ‘ધી ઓલ્ડ મૅન ઍન્ડ ધ સી’ વિશે વ્યાખ્યાન આપી રહ્યા’તા. એમણે એ શીર્ષકનો અનુવાદ કરી નાખેલો – ‘બૂઢો અને સાગર’. વ્યાખ્યાન દરમ્યાન કંઈ કેટલીયે વાર બોલેલા, ‘બૂઢો અને સાગર’. એમને ‘અર્નેસ્ટ હૅમિન્ગ્વે’-માંના ‘અર્નેસ્ટ’-નો અનુવાદ જડ્યો તો હશે – ‘ગમ્ભીર’, ‘નિષ્ઠાવાન’, ‘આગ્રહી’, પણ ખંચકાયા હશે, અને ‘હૅમિન્ગ્વે’-નો તો નહીં જ આવડ્યો હોય, બીજું શું ! એમને જો વ્યાખ્યાનમાં ‘હુ ઇઝ અફ્રેઇડ ઑફ વર્જિનિયા વૂલ્ફ’ બોલવાની જરૂર પડી હોય તો તેઓ તેનું શું કરે? ‘કોણ ડરે છે વર્જિનિયા વૂઉલ્ફ…’ ‘વૂલ્ફ’ પાસે અટકી ગયા હોત કેમ કે, એમને ખબર કે એટલે તો, ‘વરુ’ ! એમની રસવૃત્તિ કેળવાયેલી એટલે સમજે કે વર્જિનિયા વરુ ન હોય, ન હોવી જોઈએ. શીર્ષકનો અનુવાદ પુસ્તક રૂપે પ્રકાશિત થાય ત્યારે આ બરાબર કહેવાય, વ્યાખ્યાન કે વાતચીતમાં જરૂરી નથી.

દરેક ભાષામાં બીજી ભાષાના શબ્દો અનેક કારણોસર, આ ‘કોરોના’ અને ‘કોવિડ-૧૯’-ની જેમ, ઘૂસી જાય અથવા કહો કે પ્રવેશ પામે, એ એક સ્વાભાવિક ઘટના છે. આપણી ગુજરાતી ભાષામાં જ સંસ્કૃત અને અરબી-ફારસી મૂળના તો ખરા જ પણ અગણિત અંગ્રેજી શબ્દો ઘૂસીને એટલા તો ઓળઘોળ થઈ ગયા છે કે એમ બોલવું ય વ્યર્થ ભાસે છે. આપણે ‘ટેબલ’ માટે ‘મેજ’ શોધી તો કાઢ્યો પણ એ યે પર-ભાષા, ફારસીમાંથી આવેલો છે ! ‘યુનિવર્સિટી’ માટે ‘વિદ્યાપીઠ’ ‘કૉલેજ’ માટે ‘મહાશાળા’ સારા અનુવાદો છે, સંસ્કૃત છે, પણ વપરાય છે કેટલા? કોઈ વાપરવા જાય તો ભૉંઠો પડી જાય છે. આ ‘કોરોના-કોવિડ’-નું કશું ન કરશો, પ્લીઝ.

કોઈ માતા-પિતાએ પોતાની દીકરીને ‘કોરોના’ નામ આપ્યું ને કોઈ બીજાં મા-બાપે પોતાના દીકરાને ‘કોવિડ’ -એ રીતે બને કે કોરોના-આફ્ટરમાથમાં એ બન્ને શબ્દોને વ્હાલ કરવાનું આપણને સૌને મન થઈ આવે. માનવજાત એ અર્થમાં ઘણી સ્થિતિસ્થાપક છે.

એક વાત ઉમેરું. અમારી દશાલાડ વાણિયાની નાત. આમ તો અમે બધા ‘શાહ’, પણ લગભગ દરેક કુટુમ્બની એક વિશિષ્ટ, વધારાની અટક છે. સાંભળો, બહુ રમૂજ થશે : ઘાઘરીવાળા. હાથપગવાળા. ઉંદેડીવાળા. બે-માથાંવાળા. ટૂંકાવાળા. અમારી અટક, દીવાસળીવાળા. એટલે એવું બને કે ભવિષ્યમાં અમુક કુટુમ્બો પોતાને ‘કોરોનાવાળા’ કે ‘કોવિડવાળા’ કહેવરાવે – બચી ગયા હોય, એટલે … આ મુશ્કેલ સમયમાં આવી રમૂજને ભલે બ્લૅક હ્યુમર કહેવાય પણ ન કરવી જોઈએ …

પર-ભાષાના એવા પ્રવેશથી કોઈની માતૃભાષાનો નાશ નથી થતો. અંગ્રેજી જેવી પર-ભાષાના શબ્દો વપરાય કે અંગ્રેજી માધ્યમની શાળાઓ ખૂલે, તેથી ગભરાઈને ભાષા ‘મરવા પડી છે, મરવા પડી છે’ એમ કકલાણ કરવાનો કોઈ સાર નથી. થોડાંક શ્હૅરોનાં થોડાંક પરિવારોને અને એમનાં બાળકોને ગૉટપિટ કરવાથી સારું લાગે છે, તો ભલે કરે. પોતાની પ્રગતિ માટે એમને અંગ્રેજીની જરૂરત પડી છે. એમની સમજ બંધાઈ છે કે અંગ્રેજીના જ્ઞાનને સહારે દુનિયાભરમાં પ્હૉંચી જવાય છે. તો ભલે. પણ એ સિવાયનાં શ્હૅરો જિલ્લા કસબા ગામો અને ગામડાંથી જે 'અસલી' ગુજરાત બન્યું છે ત્યાંનાં મનુષ્યો તો બધો જ જીવનવ્યહાર ગુજરાતીમાં કરે છે. ૭.૦૪ કરોડના ગુજરાતમાં કોની ગુજરાતી ક્યાં ને શેને મરી ગઈ? કોઈ સમજાવો તો …

A girl finding the definitions of 'Man' and 'Woman' in the dictionary. [Courtesy: Latestly]

મને ઘણી વાર થાય કે માણસે જાતને જ પૂછવું કે ભાષા મરી રહી છે કે પોતે મન્દપ્રાણ થઈ ગયો છે -? જાતે ખાતરી કરી લેવી જોઈએ.

પોતાને પૂછવાનું કે મને કેટલાં ક્રિયાપદો કે ક્રિયાવાચી પદો આવડે છે. જો આવડતાં હોય તો ચિન્તા નહીં કરવાની ને સમજી લેવાનું કે ગુજરાતી ભાષા જીવે છે, મરી નથી. જાતને કહેવાનું કે હું પણ છું, પતી નથી ગયો.

મને કેટલાંક વાક્યો સૂઝ્યાં (તમને પણ સૂઝી શકે) ને વિશ્વાસ બેઠો (તમને પણ બેસી શકે) કે મને (તમને પણ) ભાષા જોડે અને ભાષાને મારી જોડે (તમારી જોડે પણ) બનતર છે, બન્નેનું સ્વાસ્થ્ય સારું છે, બન્ને જીવે છે.

આ રહ્યાં એ વાક્યો :

જગુએ ચૂંટણી જીતવા બહુ ‘દાવપેચ કર્યા’ પણ ‘પાસા પોબારા ન પડ્યા’.

રમા-રમેશ એકમેકમાં એવાં ‘ઓળઘોળ થઈ ગયાં છે’, શું ક્હૅવું …

એ ટોળકીએ સામાવાળાઓની ખાસ્સી ‘મારપીટ કરી’.

તમે પશાભૈ, નાહકની ‘હડિયાદોટ કરો છો’, કશું ‘લાભવાના નથી’.

એને તો આપણી દરેક વાતમાં ‘છીંડાં શોધવાની’ કટેવ છે.

સોહને રમણને એવો તો ‘લબડધક્કે લીધો’ કે ત્યારથી ખોટું કરવાની ‘ખો ભૂલી ગયો’.

પછી રમાએ ‘મને-કમને સ્વીકારી લીધું’ કે જે છે, એ બરોબર છે.

છગન જોઈને ન્હૉતો ચાલતો તે ‘અડવડિયું ખાઈને પડ્યો’.

મગનને મંગુ ક્યાંયે દેખાઈ નહીં તે ‘રઘવાયો થૈ જ્યો’.

પોતાને એમ પણ પૂછવાનું કે મને (તમને પણ) કેટલા શબ્દો આવડે છે – મારું (તમારું પણ) શબ્દભંડોળ કેવુંક છે.

મને કેટલાક શબ્દો સૂઝ્યા ને ભરોસો બેઠો કે વાંધો આવે એમ નથી, ચાલશે.

આ રહ્યા એ શબ્દો :

અલ્લડ. કામુક. ઘૅલો. લૂગડું. બળદિયો. સુપરત. મલગોબો. ફોદું. પાણિયારી. ઝડતી. રકઝક. ઝાકમઝોળ. ઢેફું. રાતવાસો. આંગણું. મહેતાગીરી. રોકકળ. લાપરવાહી.

થયું કે વગેરે વગેરે મને ઘણા આવડે છે, ચાલશે.

કોઈ એમ કહે કે અવારનવાર જોડણીકોશ વાંચો, છાપું વાંચતાં છો એમ, ઉપરઉપરથી, તો? તો એ માણસ નવરો કે વેદિયો લાગે, પણ વખત જતાં ખબર પડે કે એની વાતમાં દમ છે. હા, છાપામાં ‘કોરોના’ ને ‘કોવિડ-૧૯’ વારે ઘડીએ જરૂર ભટકાશે, પણ જોડણીકોશમાં કદાચ હવે પછીનાં વરસોમાં…

= = =

(December 14, 2020: USA)

Loading

...102030...2,0922,0932,0942,095...2,1002,1102,120...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved