Opinion Magazine
Number of visits: 9680475
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુરેશ જોષી-લિખિત ‘વિદ્યાવિનાશને માર્ગે’ વિશે

સુમન શાહ|Opinion - Literature|22 December 2020

ઘણા લોકો ‘વિદ્યા, વિનાશને માર્ગે’ બોલે છે – એમ કે વિદ્યા વિનાશ પામી રહી છે. શીર્ષકને બરાબર સમજનાર કહેશે કે ભઈલા, વિદ્યા નહીં, આપણે વિદ્યાવિનાશને માર્ગે જઈ રહ્યા છીએ.

સુરેશભાઈ તત્સમ વૃત્તિના માણસ નહીં, સ્થિતસ્ય સમર્થન ન કરે, સ્થિત અને સ્થગિતની ભરપૂર સમીક્ષા કરે ને તેમાં જે કંઈ ખોટું કે નકામું દેખાયું હોય તેને વિશે ઊહાપોહ કરે ને એમ સાત્ત્વિક વિદ્રોહની રચના-સંરચના કરે. એમના વિદ્રોહ આત્મલક્ષી નથી હોતા પરન્તુ વસ્તુલક્ષી ભૂમિકા પર ઊભા હોય છે. પરિણામે, સાત્ત્વિક વિદ્રોહ એટલા જ તાત્ત્વિક હોય છે. આ વાતનું એક વધારાનું દૃષ્ટાન્ત છે, આ ‘વિદ્યાવિનાશને માર્ગે’ પુસ્તિકા. ઇસવી સન ૨૦૦૩માં પુનર્મુદ્રિત આ પુસ્તિકામાં સુરેશ જોષીનો એક જુદો જ ચ્હૅરો જોવા મળે છે – એવો કે જેની આપણને થવી જોઈતી ઝાંખી નથી થઈ. વિદ્રોહનો એ ચ્હૅરો પણ જોવા-સમજવાલાયક છે.

૧૫ નાના નાના ખણ્ડની આ પુસ્તિકાનું અન્તિમ વાક્ય નૉંધપાત્ર છે :

મહાભારતના શાન્તિપર્વમાં કહ્યું છે કે જે પ્રજા જ્ઞાનથી વિમુખ થાય છે તેનો નાશ થાય છે. આપણો સમાજ એમાંથી બચે એ માટે વિદ્યાના ક્ષેત્રમાં પ્રચંડ પુરુષાર્થ કરવાની જરૂર ઊભી થઈ છે :

મને એમ સમજાયું છે કે એવા પુરુષાર્થને પ્રેરે અને બળ આપે એવું આ પુસ્તિકામાં સામર્થ્ય છે.

પુસ્તિકામાં એમણે વિદ્યાની વર્તમાન અવસ્થાની, ખાસ તો દુર્દશાની, માંડીને વાત કરી છે. એને માટે એમણે આપણી યુનિવર્સિટીઓને જવાબદાર ગણી છે. ‘યુનિવર્સિટી’ માટે એમણે ‘વિદ્યાપીઠ’ સંજ્ઞાનો વિનિયોગ કર્યો છે.

વિદ્યાપીઠોના કર્તવ્ય અંગેની એમની વિચારધારાનાં મને બે કેન્દ્ર ભળાયાં છે : એક કેન્દ્ર ભૂતકાળ સાથે જોડાયેલું છે -એ રીતે કે અત્યાર સુધીમાં ઉપલબ્ધ જ્ઞાનની વિદ્યાપીઠોમાં ચકાસણી થવી જોઈએ. બીજું કેન્દ્ર વર્તમાન અને ભવિષ્ય સાથે જોડાયેલું છે – એ રીતે કે વર્તમાનમાં ઊભા થતા નવા સંદર્ભોને કારણે જે વૈચારિક સંઘર્ષો જન્મે છે તેનો મુકાબલો કરવો જોઈએ, જેથી ભવિષ્યને ભાળી શકાય. વિદ્યાપીઠોએ એ સંઘર્ષ આવકારવા જોઈશે, કરવા જોઈશે.

પુસ્તિકામાં પરિસ્થિતિની ભરપૂર ટીકાટિપ્પણી છે. સમગ્ર નિરૂપણ એક નિદાન છે, એમાં ઉપચારો પણ સૂચવાયા છે.

સુરેશભાઈના સાહિત્યચિન્તનમાં આ પુસ્તિકા એક ઉમેરણ છે. કેમ કે સાહિત્ય અને વિદ્યા એકબીજાં સાથે જોડાયેલાં છે, એટલું જ નહીં, સાહિત્યકલા પોતે એક વિદ્યા છે. આમ છે, પણ આમ હોવું જોઈએ-ના સૂરમાં અહીં આપણને એક સમુપકારક ચિન્તન સાંપડ્યું છે.

પરિસ્થિતિનું નિદાન મને અહીં એનાં પાંચ પરિમાણ પરત્વે જોવા મળ્યું છે : વિદ્યાપીઠ-તન્ત્ર, વિદ્યાર્થી, અધ્યાપક, સમાજ, અને સંસ્કૃતિ.

મને વરતાયું છે કે તોફાનો વગેરે સ્વરૂપનો વિદ્યાર્થી-વિદ્રોહ ૬-ઠ્ઠું પરિમાણ છે. અભ્યાસક્રમ ૭-મું પરિમાણ છે. સાંસ્કૃતિક મૂલ્યોના નિર્માણની પ્રક્રિયાનો અભાવ ૮-મું પરિમાણ છે.

***

વિદ્યાપીઠોએ વિદ્યાર્થી અને અધ્યાપક માટે કેવુંક તન્ત્ર ગોઠવ્યું છે? એ જે વહીવટ કરે છે તેનું સ્વરૂપ શું છે, કાર્ય શું છે? પરિણામ શું છે? વિદ્યાપીઠો પાસે સમાજ શું ઇચ્છે છે અને શું મેળવે છે? વિદ્યાપીઠોનું સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં કશું યોગદાન છે કે કેમ?

વિદ્યા મેળવવા આવેલો વિદ્યાર્થી કેવો છે, વિદ્યાને નામે એને શું જોઈએ છે.

અધ્યાપક વિદ્યા આપે છે પણ કેવી ને કેટલી?

સમાજ વિદ્યા માગે તેવી લાયકાત ધરાવે છે કે કેમ? સંસ્કૃતિ સાથેનો સમાજનો પોતાનો સમ્બન્ધ શો છે?

આ પ્રશ્નોના ઉત્તર આપણને અહીં શિક્ષણશાસ્ત્રની રીતેભાતે નહીં મળે. એમણે પોતે જણાવ્યું છે : હું કોઈ શિક્ષણશાસ્ત્રી કે તત્ત્વચિન્તક હોવાનો દાવો કરતો નથી. શિક્ષણ, મારી દૃષ્ટિએ, એક કળા છે : (નિવેદન : વદામિ).

સુરેશભાઈની સમગ્ર નિરૂપણરીતિ, હું જોઈ શક્યો છું કે એક પ્રગલ્ભ સાહિત્યકારની રીતિ છે. એમાં એમના સાહિત્યિક વાચન અને અધ્યયનના સંદર્ભો ભળ્યા છે. પોતાની વિચારયાત્રામાં અવારનવાર એમને ઑર્તેગા, દૉસ્તોએવસ્કી, કામૂ, બૅકેટ, વિટ્ગેનસ્ટાઇન, વૉલ્ટેર, રૂસો, રવીન્દ્રનાથ કે આનન્દકુમારસ્વામીનાં વચનો સાંભરી આવે છે.

પણ આ વિચારધારા પાછળનો એક સવિશેષે નૉંધપાત્ર ધક્કો છે, એક અધ્યાપક તરીકેનો સુરેશભાઈનો સ્વાનુભવ. એમણે લખ્યું છે : વિદ્યાપીઠોના તન્ત્રમાં પ્રવર્તતી ગેરરીતિનો ભોગ બનનાર તરીકે પણ મને આ લખવાનો અધિકાર છે : એમણે જણાવ્યું છે : પ્રત્યક્ષ અનુભવ જો કોઈ પ્રામાણ્ય હોય તો તે આ લખાણની પાછળ છે : (નિવેદન : વદામિ).

તેઓને જે જે બાબતે ભોગવવું પડ્યું તે વીગતોમાં જવાનું અહીં કોઈ કારણ નથી. પણ કહું કે હું એમના સ્વાનુભવને પ્રમાણ જરૂર ગણું છું પણ એથી કરીને એમ નથી કહી શકતો કે આ પુસ્તિકા અંગત દુખાવાનું કશું ભીનું-પોચું ગાણું છે. ખરેખર તો વિદ્યાના સત્ત્વને વિશેનું એ એક લઘુ પણ બલિષ્ઠ દર્શન છે.

વિદ્યાની હાલતને વિશેનો બળાપો કહો તો બળાપો જરૂર છે, પણ એ માટે ય હું એમ કહીશ કે બળાપો રૂપાન્તરિત થઈને અહીં કરુણરસ રૂપે રસાયો છે. વાત દુ:ખની છે પણ વાણી રસપ્રદ છે. અહીં વિશદ વિચારની ધાર અને સ્મિત ફેલાઇ જાય એવા સૂક્ષ્મ વ્યંગ છે પણ એ સ્વરૂપની એ એક આશ્વાસના પણ છે.

એમણે કહ્યું છે : જો વિદ્યાપીઠોને હજી બચાવી લેવી હોય તો પ્રામાણિકપણે આત્મશોધન કરવું પડશે : હું કહીશ કે ‘વિદ્યાવિનાશને માર્ગે’ એમના આત્મની સત્તાએ પ્રગટ્યું છે અને એ એક બળુકું શોધન છે.

એમણે કહ્યું : ક્રાન્તિકારી પરિ વર્તનો કરવાં પડશે : મને લાગ્યું છે કે ‘વિદ્યાવિનાશને માર્ગે’ અનેક પરિવર્તનો સૂચવનારી મૂલ્યવાન પુસ્તિકા છે, વિદ્યાજગતમાં આમૂલ ક્રાન્તિને લક્ષ્ય કરે છે.

તો કરવું શું? એમ પૂછીને એમણે જે ઉપચારો કે પરિવર્તનો સૂચવ્યાં છે તેની નૉંધ લીધા વિના આ લેખને છોડી ન દેવાય. મને એમ છે કે હું એને એક બે કરીને ગણાવું :

૧ : સૌ પ્રથમ તો વિદ્યાપીઠોમાં વિકેન્દ્રીકરણ થવું ઘટે. નાનાં નાનાં વિદ્યાસંકુલો હોય તે વધારે હિતાવહ છે. હવે ‘ઍફિલિયેટિંગ’ યુનિવર્સિટીને સ્થાને ‘રેસિડેન્શિયલ’ યુનિવર્સિટીની સંખ્યા વધારવી જોઈએ.

૨ : આવું દરેક વિદ્યાસંકુલ એની આગવી વિશિષ્ટતા ધરાવતું અને બીજાં વિદ્યાસંકુલોનું પૂરક બની રહેવું જોઈએ. દેશના શ્રેષ્ઠ તજ્જ્ઞોનો લાભ આ વિદ્યાસંકુલોને, અધ્યાપકોના આદાન-પ્રદાનની વ્યવસ્થા દ્વારા, મળતો રહે તેવી યોજના થવી જોઈએ.

૩ : અભ્યાસક્રમના વિષયોની પસંદગી આડે જે જડ નિયમો છે તે ફેરવવા જોઈએ. કેમ કે સાચો રસ ધરાવનારા વિદ્યાર્થીઓને, એ ધારાધોરણને કારણે, અન્ય વિષયમાં પ્રવેશ મેળવવાનું અશક્ય બની રહે છે. વળી ફિલસૂફી ભણતો વિદ્યાર્થી વિજ્ઞાન ભણે તો એને લાભ થાય એ દેખીતું છે.

૪ : સેમિનારનો સાચો અર્થ સમજાયો નથી. આથી સેમિનારોથી થતો લાભ આપણે મેળવી શકતા નથી.

૫ : કશું પારિશ્રમિક સ્વીકાર્યા વિના સ્વેચ્છાએ પોતાના જ્ઞાનનો લાભ વિદ્યાપીઠોને આપનારા નિવૃત્ત અધ્યાપકોનો વર્ગ ઊભો થવો જોઈએ.  

૬ : વિદ્યાપીઠોમાં અપાતા શિક્ષણને પૂરક એવી પ્રવૃત્તિ હવે તો લગભગ થતી જ નથી. અભ્યાસવર્તુળો ચાલતાં હોતાં નથી. સુરેશભાઈએ કહ્યું છે – હું તો આ સમ્બન્ધમાં કશુંક સક્રિય કરવાને ઉત્સાહી છું. વિદ્યાપીઠો ભલે ચાલે, એને સમાન્તર બીજી વિદ્યાકીય પ્રવૃત્તિ શરૂ થવી જોઈએ. શેઠાશ્રય કે રાજ્યાશ્રય વિના, કેવળ વિદ્યાના ઉત્કર્ષ માટે, આ પ્રવૃત્તિ ચાલવી જોઈએ. ફંડફાળાની અને પૈસાના વહીવટની વાત પેચીદી હોય છે. એમાંથી ઘણાં અનિષ્ટો પ્રવેશે છે.

૭ : વિદ્યાપીઠો જે જ્ઞાનની શાખાઓને જોડી આપતી નથી તેમ છતાં જેમની વચ્ચેનો પારસ્પરિક સમ્બન્ધ જ્ઞાનપ્રાપ્તિની ગુણવત્તા વધારવામાં ઉપકારક નીવડે તેમ છે તેવા વિષયોના એકમો નક્કી કરીને એને માટેના ક્રમિક અભ્યાસક્રમને ત્રીસ વ્યાખ્યાનોમાં આવરી લઈ શકાય, એવા ‘કેપ્સ્યુલ’ અભ્યાસક્રમની વ્યવસ્થા કરી શકાય.

૮ : આવા ક્રમિક અભ્યાસક્રમ માટેનાં સત્ર દશથી પંદર દિવસના હોય, એમાં તે તે વિષયના વિદ્વાનો નિ:શુલ્ક શિક્ષણ આપે, એમનું આતિથ્ય મિત્રો કે પરિચિતો દ્વારા થાય.

રજાઓના ગાળામાં આ સત્રો ચાલે તો ઘણી શિક્ષણસંસ્થાઓનો આ સત્ર ચલાવવા માટે ઉપયોગ થઈ શકે. આવાં સમાન્તર કેન્દ્ર જે સ્થળોને વિદ્યાપીઠનો લાભ નહિ મળ્યો હોય ત્યાં ખાસ શરૂ કરવાં જોઈએ.

૯ : વિદ્વાનોનું સમાજ પ્રત્યે ઋણ છે જ, એ ઋણ ચૂકવવા માટે, વિદ્યાવ્યાસંગ વધારવા માટે, કેવળ પરમાર્થવૃત્તિથી એમણે આ પ્રવૃત્તિનું સક્રિયપણે સંચાલન કરવું જોઈએ.

કહ્યું છે – આવાં ક્રમિક વ્યાખ્યાનોની શ્રેણીનું હું આયોજન કરી રહ્યો છું. મને આશા છે કે મારા વિદ્વાન અધ્યાપકમિત્રો આમાં સક્રિય સહકાર આપશે જ.

સુરેશભાઈએ આપણી આજ જોઈ હોત તો? સુરેશભાઈના એક વિવેચનસંગ્રહનું શીર્ષક છે, ‘અરણ્યરુદન’. આજે જે હાલત છે તે જોતાં આ મહામૂલું ચિન્તન પણ અરણ્યરુદન દીસે છે.

મને કિશોરલાલ મશરૂવાળાની ‘સમૂળી ક્રાન્તિ’ અને ગાંધીજીલિખિત ‘નીતિનાશને માર્ગે’ પુસ્તિકાઓ યાદ આવી ગઈ. એમાં પણ આવી જ સાફ અને પૂરી દાઝથી છતાં વસ્તુલક્ષી ધોરણે વાતો થઈ છે.

અહીં પણ સુરેશભાઈનો આશય ઊહાપોહનો રહ્યો છે.

ઊહાપોહ તો બહુ દૂરની વાત; આ ગ્રન્થનો સઘન અભ્યાસ કેટલાક સાહિત્યકારોએ કર્યો હશે કદાચ, પણ કેળવણીકારોએ? શિક્ષણ વિભાગે? યુવા અને સાંસ્કૃતિક વિભાગના વડાએ? શિક્ષણપ્રધાને? સમાજના ધનપતિઓને કે સામાન્ય શિક્ષિત સજ્જનોને પણ આમાંના બે વિચાર પ્હૉંચ્યા હોય તો ધનભાગ્ય.

નવા સંદર્ભોમાં ઊભા થતા વૈચારિક સંઘર્ષને એમણે વિદ્યાપીઠો માટે અનિવાર્ય ગણ્યો છે. આજે કયા નવા સંદર્ભો ઊભા થયા છે? ને તેથી કેવા પ્રકારના વૈચારિક સંઘર્ષની આવશ્યકતા છે? એ બધું કોણ વિચારે છે? આપણે ત્યાં આટલી બધી યુનિવર્સિટીઓ છે, બુદ્ધિમત્તા છે, અધ્યાપનનું શિક્ષણ આપતી બી.ઍડ. કૉલેજો છે, કોણ વિચારે છે? કેળવણીમીમાંસા જેવી પાયાની જરૂરિયાત બાબતે આપણે સુસ્ત બલકે મન્દપ્રાણ છીએ. ગુજરાત શિક્ષણ પરિષદ શિક્ષણ-પર્વો યોજીને તેમજ બીજી કેટલીક સંસ્થાઓ યથાશક્ય જરૂર કરે છે.

‘પાયાની કેળવણી’-ના કર્તા ગાંધીજી, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ, એ પૂર્વસૂરીઓ પછી સરસ્વતી વિશેની ચિન્તા અને ચિન્તન સાવ વીસારે પડી ગયાં છે જાણે. દુર્દશાને સ્વીકારી લઈને આપણે કેળવણી જેવા મહા પુરુષાર્થમાં માત્ર જોડાયેલા છીએ.

૧૫ ખણ્ડની આ પુસ્તિકા ઘણી ભારે છે. એમાં વિચારદ્રવ્યને જાણે ઇન્ચ ઇન્ચમાં ભર્યું છે. એક અધ્યાપક પોતાના જ ક્ષેત્રની આવી ખાંખતભરી નિરીક્ષા કરે, કડક પરીક્ષા કરે, મારે મન એ જ બહુ મોટી ઘટના છે. એક અધ્યાપક પોતાની જ વિદ્યાપીઠમાં બેસીને આવી કડક સમીક્ષા કરે, નિર્ભીકપણે ઇલાજો સૂચવે એ જ વિદ્યાનો વિજય છે. એમાં રહેલી દાઝ આપણા વિચારોને ઉત્તેજિત કરનારી છે. આપણે એમણે રજૂ કરેલા વિચારો વિશે વિચારતા થઈ જઈએ છીએ ને સ્વીકારતા સ્વીકારતા એમની સાથે ને સાથે ચાલીએ છીએ. ૧૫ ખણ્ડને લીધે ઉપલક નજરે આછુંપાછું દીસતું આ ચિન્તન હકીકતે ઘણું ગહન છે. એનું જેટલું વિવરણ કરીએ અને એને પ્રસરાવીએ એટલું ઓછું પડવાનું છે.

***

એ આઠેય પરિમાણમાં થયેલું પરિસ્થિતિનું નિદાન સમજી શકાય એ માટેનું સારદોહન હવે પછી રજૂ કરીશ.

= = = =

(December 21, 2020: USA)

Loading

રાજ્ય ધર્મ અને નૈતિકતાઃ માનવવાદી મૂલ્યોના સંદર્ભમાં

જયંતી પટેલ|Opinion - Opinion|22 December 2020

નૈતિક આચરણનાં સ્વરૂપ અંગે પ્રવર્તતા ખ્યાલનું વિશ્લેષ્ણ માનવવાદી મૂલ્યોના સંદર્ભમાં ચકાસવું જરૂરી છે. જિજીવિષાથી પ્રેરિત માનવીને વ્યક્તિ તરીકેના સ્વાર્થની સાધના તથા બીજીબાજુ, વ્યક્તિગત જીવનની સુરક્ષા માટે તેણે રચેલા સામાજમાં રહેવા માટેના, સામાજિક જીવનને જાળવી રાખવા માટેનાં, વ્યવહારનાં ધોરણો વચ્ચે સમતોલ સાધવું પડે છે. વૈયક્તિક અને સામાજિક હિતોના દ્વન્દ્વ વચ્ચે મેળ સાધવાની કોશિશમાંથી નૈતિક વ્યવહારના ખ્યાલનો આવિષ્કાર થયો છે. તેને વ્યક્તિગત નીતિમત્તાની ચેતના, સામાજિક વ્યવહારનાં રીતરિવાજો, આર્થિક વ્યવહારનાં ધોરણો, ધર્મ દ્વારા સમર્થિત આદેશો, રાજ્ય દ્વારા ઘડાયેલા કાયદાઓ જેવી વ્યવસ્થાઓ મારફતે જાળવવાનો પ્રયાસ થાય છે.

વૈયક્તિક નીતિમત્તાઃ

દરેક જીવ જિજીવિષા ધરાવે છે. તે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની જરિયાતને પ્રાથમિક અગ્રતા આપે છે. આ માટે તેન પોષણ અને રક્ષણની જરૂર પડે છે. કેટલાક જીવોને જણાયું કે આ માટે એકબીજા સાથે મળી સામૂહિક પ્રયાસ કરવો વધુ કાર્યક્ષમ છે અને તેમણે એક સમૂહમાં રહેવાનું પસંદ કર્યું. હવે, સમૂહમાં રહેવા માટે સામૂહિક જીવન માટે આવશ્યક કેટલાંક વ્યાવહારિક સમાધાન કરવાં પડે. આમાં, વ્યક્તિ પોતે સ્વયં પોતાની સૂઝબૂઝ, સમજ અને ચેતનાથી પ્રેરાઈ વર્તે તે વ્યક્તિગત નીતિમત્તા કહી શકાય (આ પ્રકારનું આચરણ અન્ય જીવો કરતાં બુદ્ધિસંપન્ન માનવીમાં ખાસ તરી આવે છે).

સામાજિક આચરણઃ

સામૂહિક જીવન માટે વ્યક્તિગત સ્વાર્થ અને સામૂહિક હિત વચ્ચે તડજોડ કરવી પડે, અન્યોન્ય વ્યવહાર તથા આચરણનાં ધોરણો વિકસાવવાં અને પાળવા પડે. સમૂહનો કોઈ સભ્ય તેનો ભંગ કરે તો તેનો સામાજિક બહિષ્કાર થાય. આ થઈ સામાજિક નીતિમત્તા. આ સમયે હજી ઈશ્વર, ધર્મ, સ્વર્ગ-નરક, પાપ-પુણ્ય જેવા ખ્યાલો આકાર પામ્યા નહોતા. નીતિ તરીકે ઓળખાતું આ આચરણ, સામાન્ય બુદ્ધિ તથા સમજના આધારે રચાયેલાં, સામૂહિક જીવન માટે આવશ્યક વાજબી વ્યવહારનાં ધોરણો હતાં. સમજમાં ઊંચા-નીચાનાં ભેદ પાડથી વર્ણવ્યવસ્થા સર્જાઈ ત્યાં ભેદભાવ આવ્યો. પિતૃસત્તાક વ્યવસ્થામાં લિંગભેદના આધારે વ્યક્તિગત નીતિમત્તામાં પણ સ્ત્રી અને પુરુષ વચ્ચે ભેદભાવ દાખલ થયો.

આર્થિક વ્યવહારઃ

માનવીએ ખેતી, પશુપાલન, કલા-કારીગરી વગેરે દ્વારા પોતાની જરૂરિયાત કરતાં વિશેષ ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવતાં વિનિમયનું અર્થકારણ અસ્તિત્વમાં આવ્યું, ધન-સંપત્તિ પેદા થયાં. હવે, ઉત્પાદનનાં સાધનો તથા ધન-સંપત્તિના માલિકીના અધિકારની રક્ષા માટેનાં ધારાધોરણો રચાયાં અને તેનો ભંગ કરનારાને, લૂંટ કે ચોરી કરનારાને, સજા કરવાના કાયદા તથા તંત્રની જોગવાઈ થઈ. આર્થિક વ્યવહારનાં ધોરણો અંગેની આ વ્યવસ્થાનાં સારા-નરસા પાસાં પણ સર્જાયાં. પોતાનાં કૌશલ્ય કે પરિશ્રમથી પ્રાપ્ત કરેલી સંપત્તિના અધિકારની રક્ષાની જોગવાઈ સાથે, ધનવાન અને દરિદ્ર, માલિક અને મજૂર, શોષણખોર અને શોષિત જેવાં ભેદભાવયુક્ત દ્વન્દ્વ રચાયાં.

રાજ્ય અને કાયદાઃ

પહેલાં, ઉત્પાદિત ચીજવસ્તુઓના વિનિમય દ્વારા વ્યવહાર ચાલતો હતો તેમાં નાણાં દ્વારા વસ્તુની કિંમત કરી વ્યવહાર કરવાની પ્રથા શરૂ થતાં એક નવું પરિમાણ દાખલ થયું. નાણાંનો સંગ્રહ કરી શકાય, તેની ધીરધાર કરી શકાય, તેના ઉપર વ્યાજ લેવાય, જેવી આર્થિક રીતરસમો તથા તેનો સ્વીકાર અને અમલ કરતાં-કરાવતાં તંત્ર આકાર પામ્યાં. આ સાથે આર્થિક નીતિમત્તા ઉપરાંત, સમય જતાં, રાજ્ય દ્વારા રચાયેલા કાયદાનો આશ્રય પણ લેવાયો અને તે માટે ન્યાયતંત્ર રચાયું. આમ, અન્યોન્ય વ્યવહારમાં નૈતિક સમજથી ચાલતા વ્યવહારને રાજ્યસત્તાનું પીઠબળ સાંપડ્યું. અલબત્ત, આ કાયદાઓ મહદંશે ધનિકો અને શાસકોના હિતને વિશેષ અગ્રતા આપતા હતા.

ધાર્મિક આદેશોઃ

પ્રારંભિક અવસ્થામાં વ્યવહારનાં ધોરણોનો અમલ કરાવવાની રાજ્યની શક્તિ અને પહોંચ મર્યાદિત હતાં ત્યારે તેને સમાંતર એક બીજું પરિબળ પણ વિકસ્યું. બળના બદલે ઈશ્વર-પરલોક-સ્વર્ગ-નરકની કાલ્પનિક માન્યતાઓના ડરનો ઉપયોગ કરી, વહેમ-અંધશ્રદ્ધા પ્રેરિત પાઠપૂજા વિધિ-નિષેધો ફેલાવી, માનવીને વ્યવહારનાં આ ધોરણોનું પાલન કરવા ધર્મનું પીઠબળ પેદા કરવામાં આવ્યું. ધર્મના ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં વ્યવહારના ધોરણોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં વ્યક્તિગત, સામાજિક, આર્થિક વગેરે વ્યવહારો ઉપરાંત અમુક જ્ઞાતિ, ધર્મગુરુઓની મહત્તા સ્થાપવાની તથા તેમને વિશેષાધિકારો આપવાની જોગવાઈ પણ સામેલ કરાઈ. આમ. રાજ્ય અને ધર્મ દ્વારા ભેદભાવ, અમુક વર્ગના વિશેષાધિકારોની રક્ષા જેવી અસમાનતા સર્જતી તથા અન્યાયી વ્યવહારનું સમર્થન કરતી વ્યવસ્થા ઉદ્ભવી.

રાજ્ય અને ધર્મ દ્વારા વિકૃતિ :

માનવ વ્યવહારનાં યોગ્ય ધોરણોને સ્થાપિત કરવાની આ પ્રક્રિયા જોતાં જણાય છે કે પ્રારંભિક અવસ્થામાં માનવીએ પોતાની સહજ અને સમન્વયકારી બુદ્ધિથી, રેશનલ અભિગમથી, સર્જેલાં પરસ્પર વ્યવહારનાં ધોરણોની, નૈતિકતાના રક્ષાના બહાને, રાજ્યનાં બળ અને ધર્મના વહેમ-અંધશ્રદ્ધા દ્વારા, માનવીય ગૌરવ, સ્વતંત્રતા, સમાનતા અને સખ્યના બદલે અસમાનતા. ભેદભાવ, અન્યાય, શોષણ જેવા અનુચિત વ્યવહારોને ઉત્તેજન અપાયું છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સર્જાયેલી આ વિકૃતિને નાબૂદ કરવાની તાતી જરૂર છે. પ્રથમ તો આ ક્ષેત્રમાંથી ધર્મને દૂર કરવો જોઈએ. બીજું, રાજ્યના કાયદાઓને માનવ મૂલ્યોના સંદર્ભમાં, રેશનલ અને વૈજ્ઞાનિક અભિગમથી ચકાસી, સુધારી, નવઘડતર કરવું જોઈશે.

માનવીના વ્યવહારને નિયંત્રિત કરતા રાજ્યના કાયદા તથા ધર્મ દ્વારા પ્રસારિત માન્યતાઓ અને આદેશો અગ્રવર્ગના પ્રભાવ નીચે રચાયેલા હોવાથી સ્વાભાવિક રીતે જ તે શાસકો, ધર્મગુરુઓ તથા અગ્રવર્ગના સ્થાન અને હિતોની રક્ષાને અગ્રતા આપે છે. રાજ્ય, ધર્મ કે અગ્રવર્ગનાં હિતોને પડકારતા વિચારોને ડામીને તે વૈચારિક તથા અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને રુંધે છે તથા, પોતાનું સ્થાન, મોભો અને સંપત્તિ જાળવી રાખવા માટે સમાનતાનો વિરોધ કરે છે.

વિકૃતિનું નિયંત્રણઃ

અન્યાયી, મનસ્વી અને એકહથ્થુ રાજાશાહી-સામંતશાહી-સરમુખત્યારશાહી રાજ્યસત્તાના વિકલ્પે લોકશાહી જનતાના મૂળભૂત અધિકારો અને સત્તાના(ધારાસભા-કારોબારી-ન્યાયતંત્ર) વિભાજનનો સમાવેશ કરતી બંધારણીય વ્યવસ્થા દ્વારા રાજ્યની ભૂમિકાને નિયંત્રિત કરવાની કોશિશ થઈ છે. સમાજવાદી વિચારધારાના પ્રસાર સાથે આર્થિક અસમાનતાની ખાઈને દૂર કરવાની ઝૂંબેશ આરંભાઈ છે. ધાર્મિક આધિપત્ય અને માન્યતાઓ સામે રેશનલ-વૈજ્ઞાનિક અભિગમ દ્વારા પડકારી માનવવાદી મૂલ્યોની સ્થાપનાનો સંઘર્ષ તો સદીઓથી ચાલી રહ્યો છે. માનવ વ્યવહારનાં ધોરણોમાં સમાજ-રાજ્ય-આર્થિક વ્યવસ્થા-ધર્મ દ્વારા દાખલ કરાયેલી આ વિકૃતિઓને દૂર કરી માનવીય ગૌરવ-સ્વતંત્રતા-સમાનતા-સખ્યભાવનાં નૈતિક વ્યવહારનાં ધોરણોની સ્થાપના માટે ચાલી રહેલા આ ત્રિપાંખિયા સંઘર્ષની સફળતા માનવસમાજના સુખમય ભાવિ માટે આવશ્યક છે. આપણે સહુએ તેની સફળતામાં ફાળો આપવો રહ્યો.

—

e.mail : jaykepatel@gmail.com

Loading

હાલની રાજનીતિમાં નીતિ સિવાય બધું જ છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 December 2020

રાજનીતિમાં નીતિ શબ્દ પડેલો છે, પણ તે થોડાં વર્ષોથી, ખાસ તો સ્વતંત્રતા પછી, આઉટડેટેડ જણાય છે. સ્વતંત્રતા મળી ત્યારે પણ નીતિનું ધોવાણ થયેલું. ગાંધીજીને આવી સ્વતંત્રતા અપેક્ષિત ન હતી. ગાંધીજી પોતે નહેરુથી પ્રભાવિત હતા અને સરદાર વિદેશમાં પ્રભાવ નહીં પાડી શકે એવું લાગતાં તેમણે નહેરુને વડા પ્રધાન કરેલા. સરદાર વડા પ્રધાન થયા હોત તો ઇતિહાસ જુદો જ હોત, પણ હવે ઢોળાયેલાં દૂધ પર અફસોસ કરવાનો અર્થ નથી. ગાંધીજીએ તો કૉન્ગ્રેસને વિખેરી નાખવાની વાત પણ કરેલી, પણ એય થયું નહીં ને કૉન્ગ્રેસ આ દેશને કરમે દાયકાઓ સુધી લખાઈ. નહેરુ કુટુંબ વર્ષો સુધી દેશમાં સત્તા પર  રહ્યું. આજે પણન હેરુ કુટુંબને જ આગળ કરવાનું વલણ કૉન્ગ્રેસનું છે ને સોનિયા, રાહુલ કે પ્રિયંકાથી આગળનું કૉન્ગ્રેસને બીજું કશું દેખાતું નથી તે હકીકત છે. કૉન્ગ્રેસમાં આ ત્રણ જ વ્યક્તિ બચી હોય એ રીતનું કૉન્ગ્રેસનું વલણ ઘાતક છે ને એનું પરિણામ એ આવ્યું છે કે કેન્દ્ર મજબૂત વિરોધપક્ષના અભાવનો અત્યારે લાભ ઉઠાવે છે.

2014થી ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી ને ગુજરાતમાં સફળતાપૂર્વક મુખ્ય મંત્રીપદું ખેડી ચૂકેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. 2019માં એ જ ફરી વડા પ્રધાન બન્યા અને એમના સખત પ્રયત્નોનું જ એ પરિણામ રહ્યું કે કૉન્ગ્રેસનું ભારે ધોવાણ 2019ની ચૂંટણીમાં પણ થયું ને કેન્દ્રમાં પ્રભાવ વગરના વિપક્ષને બેસવાનું આવ્યું. ફરી સત્તા મળવાને કારણે ભા.જ.પ. વધુ વિવેકી પક્ષ બનીને સામે આવવો જોઈતો હતો, પણ સત્તાનો છાક તેને પણ વર્તાય છે ને તે સારું લક્ષણ નથી. સિકંદર દુનિયા જીતવા નીકળેલો ને તેનું શું થયેલું તે દુનિયા જાણે છે. એનો અર્થ એવો નથી કે મોદી સરકારે કૈં કર્યું નથી. નોટબંધી, 370ની નાબૂદી, સર્જિકલ સ્ટ્રાઈક, રામમંદિર નિર્માણ, વિદેશી રોકાણને નિમંત્રણ, કોરોના કાળની પ્રવૃત્તિઓ, નવી શિક્ષા નીતિ, કૃષિ કાનૂન જેવાં ઘણાં કામો સરકારને પક્ષે નોંધાયેલાં છે. એ જુદી વાત છે કે કેટલાંક કામો અંગે પ્રજામાં અસંતોષ છે, પણ સરકારે સાહસો કર્યાં જ નથી એમ કહી શકાશે નહીં.

એક વાત સ્પષ્ટ છે કે નિરપેક્ષ બહુમતને જોરે સરકાર મનમાની કરતી હોય છે, પછી એ કૉન્ગ્રેસની હોય કે ભા.જ.પ.ની, બહુ ફરક પડતો નથી. અત્યારે ભા.જ.પે. અશ્વમેધ યજ્ઞનો અશ્વ છૂટો મૂક્યો છે. જ્યાં જ્યાં ચૂંટણી થવાની હોય ત્યાં અમિત શાહ ને તેમની ટીમ પહોંચે છે ને ભા.જ.પ.ની સરકાર બને તેની તનતોડ મહેનતમાં લાગે છે. એ હૈદરાબાદની કે બિહારની વિધાનસભાની ચૂંટણી હોય, અશ્વમેધ યજ્ઞનો ઘોડો ફરે છે ને સત્તાનાં વિસ્તારની કોશિશ થતી રહે છે. હવે ભા.જ.પ.નું એક માત્ર લક્ષ્ય છે, તમામ પ્રદેશોમાં બહુમત મેળવવો ને સત્તામાં આવવું. અગાઉ યુતિ સરકારનો અનુભવ પણ ભા.જ.પે. લઈ જોયો, પણ એમાં મહારાષ્ટ્રમાં ને અન્યત્ર છેતરાવાનું થયું એટલે દેખીતું છે કે પૂર્ણ બહુમત સાથે જ સત્તામાં આવવું એ ભા.જ.પ.નું છેવટનું લક્ષ્ય હોય.

આવનારાં નવાં વર્ષમાં પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી છે એટલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં બે દિવસ રોકાયા, તો સી.બી.આઇ.ને પ્રવેશબંધી ફરમાવી બેઠેલાં મુખ્ય મંત્રી મમતા બેનરજીને આ “અમિત પ્રવાસ" ખૂંચે તે સમજી શકાય એમ છે. મમતા બેનરજી “બંગાળની વાઘણ” તરીકે જાણીતાં છે ને કૉન્ગ્રેસથી છૂટાં પડ્યાં પછી અત્યારે તો તૃણમૂલ કૉન્ગ્રેસનાં અધ્યક્ષા છે. તેમના પક્ષમાં કેટલાક નેતાઓને સંતોષ નથી ને આવનારી ચૂંટણીમાં પોતાની સાથે ન્યાય નહીં થાય એવું લાગતાં કેટલાક નેતાઓએ ભા.જ.પ.નું શરણું શોધ્યું છે. ભા.જ.પ. આ તક જતી ન કરે તે સ્વાભાવિક છે. આમે ય આવી તકનો લાભ લેવાનું અમિત શાહ ભાગ્યે જ ચૂકે છે. આ અગાઉ પણ બીજા પક્ષમાંથી સભ્યોને ને હોદ્દેદારોને પોતાના પક્ષમાં ખેંચી લાવવાનું ભા.જ.પ.ને અનુકૂળ આવ્યું જ છે. એ ખેલ પશ્ચિમ બંગાળમાં પણ ચાલ્યો છે. મમતા દસ વર્ષ સત્તામાં રહ્યાં એ ગાળામાં સગાંવાદનો વાયરસ તેમને પણ વળગ્યો હોવાનું કહેવાય છે. આ વાત તેમની નજીકના નેતાઓને ન જ ગમે તે દેખીતું છે. તેમણે તૃણમૂલ સાથેનો છેડો ફાડયો છે કે ફાડવાની ફિરાકમાં છે. બહુ ઊંડાણમાં ન જઈએ તો પણ તૃણમૂલ સાથેનો છેડો ફાડીને ભા.જ.પ.ના ખોળામાં બેસવાનું જેમણે સ્વીકાર્યું છે, એ લોકો ભા.જ.પ.માં સેવા માટે પધાર્યા નથી તે સ્પષ્ટ છે. તેમને લાલચ છે જ ને તેમને લાલચ અપાઈ હોય એમ પણ બને.

આમ થવાને કારણે જેમણે પશ્ચિમ બંગાળમાં જીવ રેડીને ભા.જ.પ. માટે કામ કર્યું છે, એમને અન્યાય થવાનો પૂરો સંભવ છે. આમ થાય તો ભા.જ.પ.માં અસંતોષ વધે એ શક્ય છે. આવામાં ભા.જ.પ.ના નેતાઓ કેવું સ્ટેન્ડ લે ને સંતુલન જાળવવા કેવાં પગલાં લે છે તે જોવાનું રહે.

તૃણમૂલમાંથી વિદાય થયેલ કેટલાક કલંકિત નેતાઓ સંદર્ભે મમતાએ એ આશ્વાસન લીધું છે કે એવો કચરો ઓછો થવાથી તૃણમૂલને કોઈ ફરક પડ્યો નથી. એ સાચું હોય તો ભા.જ.પે. એ ચિંતા કરવાની રહે કે તેનામાં કચરો વધ્યો છે. જો કે મમતાએ ઘણા પડકારો વચ્ચે કામ કરવાનું છે. બાકી હતું તેમાં ભા.જ.પ.ના અધ્યક્ષ જે.પી. નડ્ડા પર થોડા દિવસ પહેલાં હુમલો થયો. એ સાથે જ મુકુલ રોય અને શુભેન્દુ અધિકારી જેવા દશેક મોટાં માથાં તૃણમૂલ છોડીને ભા.જ.પ.માં જોડાયા. મમતા ભલે કહે કે આવા પક્ષ બદલુ નેતાઓથી કોઈ ફેર પડતો નથી, પણ મમતા માટે મુશ્કેલીઓ વધી છે તે નક્કી છે. તેનો ઉપાય પણ ખોળી કઢાયો છે. તેમણે ને તેમના પક્ષે લોકોની વચ્ચે જવાનું સ્વીકાર્યું છે. તેમને લાગે છે કે વિશ્વાસઘાત કરીને જેમણે પક્ષ બદલ્યો છે એનો ન્યાય જનતા કરશે.

બીજી તરફ કૉન્ગ્રેસ અને ભા.જ.પ.ને એમ લાગે છે કે મમતાને હવે તેમના કરેલાં કામોનો જ બદલો મળી રહ્યો છે. મમતાએ અગાઉ કૉન્ગ્રેસનો છેડો ફાડયો હતો તે જગજાહેર છે. આ ઉપરાંત ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી આપીને કેટલાક ધારાસભ્યોને અને નેતાઓને તૃણમૂલ કૉન્ગ્રેસમાં આવવા મમતા દ્વારા મજબૂર કરાયા હતા તે વાત પણ જાણીતી છે જ ! એટલે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ મમતાનો હોઈ શકે છે. આવું જે પણ પક્ષ સત્તામાં હોય તેની સાથે થઈ શકે છે ને મોટે ભાગે આવો ખેલ જે તે પ્રદેશમાં વિપક્ષના નેતાઓ કરતા હોય છે. પક્ષની તાકાત વધે ને બહુમતીના જોરે સત્તામાં અવાય તે માટે આવું થતું હોય છે.

આ બધું અગાઉ પાતળી બહુમતીથી સત્તામાં આવેલી સરકાર જોડે પણ થયું છે. સત્તામાં રહેલા પક્ષના થોડા લાલચુ સભ્યોને ફોડીને સરકાર ઉથલાવવામાં આવી હોય ને બહુમત પોતાની પાસે છે એવો દાવો કરીને જે તે પક્ષ કે તેના સાથી પક્ષો સત્તામાં આવ્યા હોય એવું બન્યું છે. આમાં ક્યારેક આકસ્મિક ચૂંટણીઓ પણ આવી પડે છે ને ફરી એ આખો ખર્ચાળ વ્યાયામ ચાલે છે ને અબજો રૂપિયાનો ખર્ચ દેશની જનતાને માથે આવી પડે છે.

સામેના પક્ષમાંથી લાલચુઓને ફોડવામાં આવે છે ત્યારે એમને કેટલીક વખત તો કરોડો રૂપિયા ને પદ ધરવામાં આવે છે. ઘણીવાર તો આવી લાલચને કારણે જ આવા લોકો પોતાના પક્ષ સાથે બેવફાઈ કરતા હોય છે. મોટે ભાગે પૈસા અને પદની લાલચ આપીને આવાં કામ કરાવાતાં હોય છે. એમાં કોઈ એક પક્ષનું નામ દેવાનો અર્થ નથી. બધા જ પક્ષો આવું કરવાની ક્ષમતા ધરાવતા હોય છે. જે નથી કરી શકતા એમનો પનો ટૂંકો પડતો હોય છે અથવા તો એમનું આર્થિક ગજું એટલું નથી એમ જ માનવાનું રહે.

આ બધાંમાં સિદ્ધાન્ત કે આદર્શને દૂર દૂર સુધી કોઈ સંબંધ હોતો નથી. કેવળ ને કેવળ સત્તા મેળવવા આવું થતું હોય છે. પક્ષોએ સત્તા કેમ મેળવવી હોય છે? કારણ સત્તા મેળવવાથી પદ, પ્રતિષ્ઠા ને સંપત્તિ આપોઆપ વધી જતાં હોય છે. સાધારણ કોર્પોરેટર બનવાથી ઠાઠ બદલાઈ જતો હોય કે સાંસદ થવા માત્રથી કરોડોનો આંકડો આંખ સામે રમતો થઈ જતો હોય તો સત્તાની ઈચ્છા કોણ ન કરે? પણ આ બધું સસ્તું નથી. અબજો રૂપિયાનો ખેલ છે આ. કોઈ પણ પક્ષના સભ્યોને ફોડવાની પ્રવૃત્તિ કોઈ પણ રીતે પ્રજાહિતનું કાર્ય નથી જ ને એમાં પણ ચાલી રહેલી સરકારને લઘુમતિમાં લાવીને ઉથલાવવાનો જે કારસો થાય છે તે તો કેવળને કેવળ અક્ષમ્ય છે. આ શુદ્ધ બુદ્ધિથી થતું પાપ છે ને એને લીધે દેશને કરોડોના ખર્ચમાં ઉતારવાનું બને છે.

– ને વિધિની વક્રતા જુઓ કે આ બધું લોકશાહીને અને લોકોને નામે થાય છે, જ્યારે ગમ્મત એ છે કે આખા વેપલામાં લોકો તો છેક છેલ્લે મતદાન પૂરતા જ આવે છે.

આમ તો પક્ષાંતર કરવા અંગે 1985માં રાજીવ ગાંધીના સમયમાં કાયદો થયેલો છે પણ તેનો રાજકીય પક્ષોને કોઈ ભય નથી. કાયદાનો કોઈ પ્રભાવ જ ન રહે એવી સ્થિતિ છે. એટલે કશું પણ કહેવું નિરર્થક છે, છતાં આ દેશની પ્રજાના હિતમાં છેલ્લે એટલું તાર સ્વરે કહેવાનું પ્રાપ્ત થાય છે કે કોઈ પણ સંજોગોમાં લાલચથી કરાતું કે કરાવાતું રાજકીય પક્ષાંતર ગુનાહિત કૃત્ય ગણાવું જોઈએ ને તેની સામે કાનૂની રાહે સખત રીતે કામ ચલાવવું જોઈએ.

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 21 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0872,0882,0892,090...2,1002,1102,120...

Search by

Opinion

  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved