Opinion Magazine
Number of visits: 9680531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણને પાટે ન ચડાવવા સરકાર ખૂબ મહેનત કરી રહી છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|25 December 2020

કોરોના જોર પર હતો ત્યારે જ લોકડાઉન ઉઠાવી લેવાયું ને ધીમે ધીમે બધા જ વ્યવહારો ચાલુ થયા ને એકંદરે બધું થાળે પડવા માંડ્યું. વેપારધંધા શરૂ થયા, શેરમાર્કેટ ઊંચકાયું, સેન્સેક્સ, સોનાના ભાવો ઊંચે ગયા, સરકારી પેકેજો જાહેર થયા, વિદેશની આવનજાવન વધી, બળાત્કાર, ખૂનો વધ્યાં, રેલ આવી, વાવાઝોડાં ધમક્યાં, ઓનલાઈન શિક્ષણ શરૂ થયું, પરીક્ષાઓ લેવાઈ, એડ્મિશન્સ અપાયાં, ફીનાં ઉઘરાણાં નીકળ્યાં, પણ સ્કૂલો ને કોલેજો બંધની બંધ જ રહી. કોરોના આખા દેશમાં વકર્યો, પણ તે શિક્ષણને સૌથી વધારે નડ્યો.

એવું પણ લાગે છે કે સરકારની જ ઈચ્છા એવી નથી કે સ્કૂલ, કોલેજો ખૂલે. સરકાર અત્યારે પોતાનું ભલું કરવા માંગતી હોય એવું પણ લાગે છે. જેમ કે, જાન્યુઆરીથી સ્કૂલો નહીં ખૂલે એવું તો બાપોકાર જાહેર કરી દેવાયું છે. તે સાથે એવું પણ જણાવાયું છે કે ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ને  પ્રાથમિક શિક્ષકો ચૂંટણીનાં કામમાં રોકાયેલા હશે એટલે ત્યારે સ્કૂલો શરૂ કરવાનું મુશ્કેલ બનશે. થયું ! ટૂંકમાં ફેબ્રુઆરીમાં પણ સ્કૂલો શરૂ કરવાની દાનત સરકારની જણાતી નથી. આ દેશમાં લાખો શિક્ષિત બેકારો છે, એમને યોગ્ય વળતર આપીને ચૂંટણીનાં કામમાં જોતરી જ શકાય, પણ સરકાર વર્ષોથી શિક્ષકોનો ઉપયોગ કરીને તેઓ શિક્ષણથી દૂર કેવી રીતે રહે તેની વેતરણમાં રહે છે જે કોઈ રીતે શિક્ષણના હિતમાં નથી જ !

ઓનલાઈન શિક્ષણની વાત કરીએ તો તે કેટલાંકને મળ્યું નથી, તો કેટલાંકને માફક પણ નથી આવ્યું. આંખોનાં ખેંચાવાની ને માથાના દુખાવાની ફરિયાદો વધી છે. જેમને ફાવ્યું છે એમના વાલીઓને નથી ફાવ્યું. એક જ કુટુંબમાં બે કે વધુ બાળકો માટે લેપટોપ કે મોબાઈલ કે નેટની વ્યવસ્થા કરવાનું ઘણા કુટુંબોને મુશ્કેલ થયું છે. યુનિટ ટેસ્ટનું નાટક ચાલે છે એમાં વિદ્યાર્થીએ, શિક્ષકે પહોંચાડેલાં પ્રશ્નપત્રોનો નક્કી કરેલા દિવસોની મર્યાદામાં, ઉત્તરવહીમાં ઉત્તરો આપવાના છે ને એ ઉત્તરવહી પહોંચાડવાની જવાબદારી વાલીઓ પર નખાઈ છે. આ ઉત્તરો વિદ્યાર્થી કેવી રીતે આપે છે એની ચિંતા શિક્ષણ વિભાગે કરી નથી. વિદ્યાર્થી ઉત્તરો પુસ્તક કે ગાઈડમાં જોઈને લખે છે કે વાલીઓ તેને ઉત્તરો લખાવે છે કે યાદશક્તિને આધારે લખે છે તે નક્કી કરનારું કોઈ પરિબળ સક્રિય નથી, કારણ ત્યાં સુપરવિઝન થતું નથી. આવા ઉત્તરો પરથી પરિણામ અપાય તે કેટલાં વિશ્વસનીય હોય તે સમજી શકાય એમ છે.

વારુ, બધા વિષયોની ટેસ્ટ લેવાતી નથી એટલે જે વિષયો બાકી રહી જાય છે તેનાં મૂલ્યાંકન અંગે કોઈ વ્યવસ્થા જણાતી નથી. બીજી મહત્ત્વની વાત એ કે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષકે શીખવ્યું તે વિદ્યાર્થીને પહોંચ્યું કે નહીં, તે શિક્ષક જાણી શકતો નથી કે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તે શિક્ષકને પૂછી શકતો નથી. ઓનલાઈન શિક્ષણના આ એકતરફી પ્રયત્નોથી પણ ઘણા વિદ્યાર્થીઓ વંચિત છે. ગામડાંના વિદ્યાર્થીઓ તો સાધનોને અભાવે ઓનલાઈન શિક્ષણથી ને પ્રત્યક્ષ શિક્ષણથી વંચિત છે જ, પણ શહેરી વિદ્યાર્થીઓ પણ વંચિત છે એ અંગે શિક્ષણ વિભાગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રીશ્રી સી.બી.એસ.ઈ. પરીક્ષાઓ ફેબ્રુઆરીમાં લેવાની વાત કરે છે. બીજી તરફ ગુજરાતનાં શિક્ષણ મંત્રી બોર્ડની પરીક્ષાઓ મેમાં લેવાની વાત કરે છે. એક તરફ પરીક્ષાઓ લેવાની વાત છે તો બીજી તરફ માસ પ્રમોશન આપવાની વાત પણ ચર્ચામાં છે, એમાં ક્યાં ય પ્રત્યક્ષ શિક્ષણની કે સ્કૂલ, કોલેજો ચાલુ કરવાની વાત નથી. કોરોનાની રસી આવી નથી એ સ્થિતિમાં વિદ્યાર્થીઓને સ્કૂલ, કોલેજોમાં બોલાવી શકાય નહીં એવો તર્ક આગળ કરાય છે ત્યારે નજીકના ભવિષ્યમાં સ્કૂલ, કોલેજો ચાલુ થવાનાં એંધાણ વર્તાતાં નથી. આ બધું છતાં મેમાં બોર્ડની પરીક્ષાઓ લેવાનું શિક્ષણ મંત્રી ભારપૂર્વક કહે છે. ભણાવવાનું અનેક રીતે ગૂંચવાયેલું છે, પણ પરીક્ષાઓ લેવા બાબતે શિક્ષણ વિભાગ મક્કમ છે. એમાં પરીક્ષાની કશી પણ ગંભીરતા નથી. પરીક્ષાનું નાટક ચાલે છે. જવાબો ગમે તેવી ભ્રષ્ટ નીતિથી આપો તેનો વાંધો નથી.  ટૂંકમાં પરીક્ષામાં પરીક્ષા સિવાય બધું જ છે. ભણાવાય કે ના ભણાવાય તેની ચિંતા નથી, પણ પરીક્ષા ન ચુકાવી જોઈએ એવું શિક્ષણ વિભાગ માને છે. એ મુદ્દો આગળ જતાં આવવાનો છે કે ભણાવાયું નથી તો પરીક્ષા શેની લેવાની? આ મુદ્દો વિદ્યાર્થીઓ ને વાલીઓ ઉઠાવે તેવી પૂરી શક્યતા છે ને આ વેપલામાં શૈક્ષણિક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે તે અંગે વિચારાતું નથી.

એમ લાગે છે કે વર્ષ બગડે એની કોઈને જ ખાસ પડી નથી. સરકાર આ મામલે પૂરી બેફિકરાઈથી વર્તી રહી છે. જો બોર્ડના વિદ્યાર્થીઓનું કે કોલેજનાં અંતિમ વર્ષનાં અભ્યાસુ વિદ્યાર્થીઓનું વર્ષ ન બગાડવું હોય ને કોઈની કેરિયર દાવ પર ન લગાવવી હોય તો, એટલાં પૂરતી પણ સ્કૂલ કોલેજો શરૂ કરવી જોઈએ. બાકીનાં ધોરણો અંગે માસ પ્રમોશનનું ભલે વિચારાય, પણ  બોર્ડની પરીક્ષાઓ ને કોલેજોની અંતિમ વર્ષની પરીક્ષાઓ ને શિક્ષણ અંગે ગંભીરતાથી વિચારાવું જોઈએ. કોરોનાનું જોખમ ટળ્યું નથી એ સાચું, પણ સ્કૂલ, કોલેજ સિવાય બીજે ક્યાં ય વિદ્યાર્થીઓ પર પાબંદી ન હોય તો સ્કૂલ, કોલેજો પૂરતા જ વિદ્યાર્થીઓને રોકવાનું કોઈ રીતે ડહાપણ ભરેલું લાગતું નથી. મોડામાં મોડી સ્કૂલ, કોલેજો મકર સંક્રાંતિ પછી તરત જ શરૂ કરી દેવી જોઈએ. એને માટે એકસ્ટ્રા કેર લેવી પડે તો તે લઈને અને કોરોના સંબંધી બધી જ સાવચેતી રાખીને સ્કૂલ, કોલેજો ને યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓ માટે શરૂ કરી દેવી જોઈએ. એમાં તથ્ય ન લાગતું હોય તો ભણાવવાનું કે પરીક્ષાનું નાટક પૂરેપૂરું બંધ કરીને આખું શૈક્ષણિક વર્ષ રદ્દબાતલ જાહેર કરી દેવું જોઈએ કે ભણવાની કે પરીક્ષાની અનિશ્ચિતતામાંથી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો ને અધ્યાપકો રાહત અનુભવી શકે.

સરકાર ફીમાં રાહતની, પરીક્ષાઓની, ઓનલાઈન શિક્ષણની જે વ્યવસ્થાઓ ઉભડક જીવે કરી રહી છે એમાં શૈક્ષણિક વર્ષ માંડી વાળવાથી સૌથી વધારે રાહત કદાચ તેને જ થશે.

હા, એવું જરૂર લાગે છે કે વર્ષ બચાવી શકાય એમ છે. અહીં થોડાં સૂચનો છે. સરકાર એ અંગે વિચાર કરી શકે.

1. બોર્ડના વર્ગો અને કોલેજનાં મહત્ત્વનાં અંતિમ વર્ષો પૂરતું શિક્ષણ મોડામાં મોડું જાન્યુઆરી 15થી શરૂ કરી શકાય.

2. રવિવાર સિવાય બીજી તમામ રજાઓ રદ્દ કરીને ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઇન શિક્ષણ સઘન રીતે શરૂ કરવું.

3. શનિવારે અડધો દિવસ ચાલતી સ્કૂલો પૂરા દિવસ માટે ચાલે.

4. ઓનલાઈન શિક્ષણ અને ઓફલાઈન શિક્ષણ સાથે જ શરૂ કરી શકાય ને જેમને જે ફાવે તે વિકલ્પે શિક્ષણ મેળવી શકે.

5. ધારો કે બધા જ ઓફલાઇન શિક્ષણનો આગ્રહ રાખે છે તો પણ વાંધો ન આવે, કારણ અન્ય વર્ગો બંધ હોવાથી તે વર્ગો ખાલી હશે. એ વર્ગોનો સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ને અન્ય તકેદારી રાખીને ઉપયોગ કરી શકાય. એને માટે વધારાના શિક્ષકોની જરૂર પડે, તો નજીકના સમયમાં નિવૃત્ત થયા હોય એવા શિક્ષકોને યોગ્ય વળતર આપીને તેમને નિમંત્રી શકાય અથવા જે શિક્ષકોનો વર્ગખંડમાં ઉપયોગ નથી થવાનો તે શિક્ષકોને પણ આ કામમાં જોડી શકાય.

6. કોર્સ થોડો ઘટાડવો પડે તો તે ઘટાડીને અસરકારક શિક્ષણ અપાય ને એવી જ અસરકારકતાથી પરીક્ષા પણ લેવાય. સામાન્ય સંજોગોમાં જે સ્તરે પરીક્ષા લેવાતી હોય તેમ લેવાય ને એ જ રીતે પરિણામ પણ અપાય, ગયા માર્ચની પરીક્ષામાં 5 ગુણની સામે 21નું ગ્રેસિંગ અપાયું એવી જીવદયાની રીતે નહીં !

7. આવનારું વર્ષ કોરોનાને કારણે અસર ન પામે એટલા માટે બધાં જ વેકેશનો એકદમ જ ટૂંકાવાય એ અનિવાર્ય બનવું જોઈએ.    

વહીવટી મુશ્કેલીઓ પડશે, પણ આ ન થઈ શકે એવું નથી. હા, વાલીઓ ને વિદ્યાર્થીઓ તથા સંબંધિતો થોડી કાળજી લે ને વર્ષ બચાવવા તૈયાર થાય તો બધું નોર્મલ થઈ શકે એમ છે. જે ચાલે છે એ જ ઉત્તમ લાગતું હોય તો આ વર્ષનો બગાડ આવનારા વર્ષમાં પણ ખેંચાશે ને ત્યારે બધું સરભર કરવું અઘરું બનશે. રસી આવી નથી, આવશે પછી પણ વિદ્યાર્થીઓને જ તરત અપાશે એવું નક્કી નથી. રસીની બાબતમાં વિદ્યાર્થીઓ પહેલી પ્રાયોરિટી નથી જ, એટલે રસી વિદ્યાર્થીઓ સુધી ક્યારે પહોંચશે એ નક્કી નથી. બને કે એને મહિનાઓ લાગે ને ત્યાં સુધીમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ જાય ને વિદ્યાર્થીઓ આજની જેમ જ ત્યારે પણ સ્કૂલ, કોલેજ વગરનાં જ હોય એમ બને. વળી રસી કારગત નીવડશે જ એવું પણ અત્યારે ભાખી શકાય એમ નથી. ઈચ્છીએ કે એમાં સફળતા મળે, પણ ડહાપણ ભરેલું અત્યારે તો વર્ષ બચાવવાનું જ લાગે છે. જો વિદ્યાર્થીઓનું હિત હૈયે વસતું હોય તો પૂરી સાવચેતી સાથે વહેલી તકે સ્કૂલ, કોલેજો શરૂ કરી દેવી જોઈએ …

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 25 ડિસેમ્બર 2020

Loading

દેશની લોકશાહી તેની પ્રતિષ્ઠા ગુમાવી રહી છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 December 2020

ભારત લોકતંત્ર ગુમાવી રહ્યું છે અને તુર્કીની પંક્તિમાં સ્થાન મેળવી રહ્યું છે, એવો અભિપ્રાય હવે આખું જગત ધરાવતું થઈ ગયું છે. લોકતંત્રની ગુણવત્તાના અલગ અલગ માપદંડોના આધારે જગતના કયા દેશમાં કેટલી મોકળાશ અને સ્વતંત્રતા છે એનો અનેક સંસ્થાઓ દ્વારા અભ્યાસ થતો રહે છે, જેમાં લંડનનાં ‘ધ ઈકોનોમિસ્ટ’ સામયિક દ્વારા કરાવવામાં આવતું સર્વેક્ષણ ઘણી મોટી પ્રતિષ્ઠા ધરાવે છે. ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ પાંચ માપદંડોના આધારે સર્વેક્ષણ કરે છે, જે આ મુજબ છે :

૧. ચૂંટણી કેટલી ન્યાયી રીતે મુક્ત રાજકીય વાતાવરણમાં યોજવામાં આવે છે.

૨. સરકારનું ઉત્તરદાયિત્વ. એ કેટલી જવાબદારીપૂર્વક વર્તે છે. લોકપ્રતિનિધિગૃહોમાં સરકાર કેવી રીતે વર્તે છે.

૩. પ્રજાની અર્થાત્‌ સામાન્ય નાગરિકની રાજકીય સહભાગિતા. જે શાસકો પ્રજાને ડરાવતા હોય ત્યાં સહભાગિતા ઓછી હોવાની.

૪. રાજકીય સંસ્કૃતિ. જે અસ્વીકાર્ય હોય તેની સામે અવાજ ઊઠે અને ભિન્ન અવાજનો આદર કરવામાં આવે એ રાજકીય સંસ્કૃતિ.

૫. નાગરિક અધિકારો. અસ્વીકાર્ય હોય ત્યાં અવાજ ઊઠાવવો એ સંસ્કૃતિ પણ હોવી જોઈએ અને નાગરિકનો અધિકાર પણ હોવો જોઈએ. એ સંસ્કૃતિનો તેમ જ અધિકારનો માત્ર આદર કરવામાં જ ન આવે, જરૂર પડ્યે રક્ષણ પણ કરવામાં આવે. જે નાગરિકના મૂળભૂત અધિકારોનું હનન કરે તેને સજા કરવામાં આવે.

આ પાંચ માપદંડોના આધારે જગતના ૧૬૭ દેશોમાં લોકતંત્રનું સ્વરૂપ કેવું છે તેનો અભ્યાસ કરવામાં આવે છે. જે દેશ દસમાંથી આઠ કરતા વધુ ગુણાંક મેળવે તેને કન્ટ્રી વિથ ફૂલ ડેમોક્રસીનો દરજ્જો આપવામાં આવે છે. તાજા સર્વેક્ષણ મુજબ જગતના ૧૬૭ દેશોમાંથી માત્ર ૨૨ દેશો ફૂલ ડેમોક્રસીનો દરજ્જો ધરાવે છે. આમાં નોર્વે, આઈસલેન્ડ, સ્વીડન, ન્યુઝીલેન્ડ, ફિનલેન્ડ, આયર્લેન્ડ, ડેન્માર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વિત્ઝરલેન્ડ અને નેધરલેંડ એમ ૧૧ દેશ નવ કરતાં વધારે ગુણાક ધરાવે છે.

જે દેશ ઉપરના પાંચ માપદંડોમાં ૬.૦૧થી લઈને આઠ સુધીના ગુણાંક મેળવે તે દેશોને ખામીયુક્ત લોકતંત્રની શ્રેણીમાં મુકવામાં આવે છે. કુલ ૧૬૭ દેશોમાંથી ૫૪ દેશો ખામીયુક્ત લોકતંત્ર ધરાવે છે. ભારત લોકતંત્રની ગુણવત્તામાં કુલ ૧૬૭ દેશોમાં ૫૧મા ક્રમે છે અને ખામીયુક્ત લોકતંત્ર ધરાવતા ૫૪ દેશોમાં ૨૯મા ક્રમે છે. ભારતના ગુણાંક ૬.૯ છે. બન્ને રીતે શરમાવા જેવી સ્થિતિ છે. શ્રીલંકા પણ ભારતની પાછળ આ શ્રેણીમાં છે.

ત્રીજી શ્રેણી છે વર્ણસંકર લોકતંત્રની. ન પૂરેપૂરી તાનાશાહી કે ન પૂરું લોકતંત્ર. ઉપરના પાંચ માપદંડોમાં જે દેશ ૪.૦૧થી લઈને ૬ સુધીના ગુણાંક ધરાવતા હોય તેને આ શ્રેણીમાં મુકવામાં આવ્યા છે. આવા ૩૭ દેશો છે. આપણા પાડોશી દેશોમાં બંગલાદેશ, ભૂતાન, નેપાળ અને પાકિસ્તાન આ શ્રેણીમાં સ્થાન ધરાવે છે. પાકિસ્તાન લોકતંત્રની ગુણવત્તામાં વિશ્વદેશોમાં ૧૦૮મા ક્રમે છે અને જેની સાથે આજકાલ ભારતની તુલના કરવામાં આવે છે, એ તુર્કી ૧૧૦મા ક્રમે છે. એ પછી આવે છે સંપૂર્ણપણે સરમુખત્યારશાહી ધરાવતા દેશો. આવા ૫૪ દેશો છે. એ દેશોમાં ચીન, રશિયા, ઈરાન, ઈજીપ્ત અને બીજા આરબ દેશોનો સમાવેશ થાય છે. એ તો જગજાહેર વાત છે કે ઉત્તર કોરિયા જગતનો સૌથી નઠારો શાસક ધરાવે છે અને માટે તે માત્ર ૧.૦૮ ગુણાંક સાથે છેલ્લે ૧૬૭મા ક્રમે સ્થાન ધરાવે છે.

દેશ અંતર્ગત અનેક સમસ્યાઓ છતાં ભારતની ગણના નિષ્ઠાપૂર્વકના લોકશાહી દેશ તરીકે થતી હતી. આ જ તો ભારતની પ્રતિષ્ઠા હતી જે હવે ગુમાવી રહ્યો છે. તમે વાઘા બોર્ડર જશો તો ત્યાં તમને વિશાળ કદનું હોર્ડિંગ જોવા મળશે, જેમાં લખવામાં આવ્યું છે કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ આપનું સ્વાગત કરે છે. આની પાછળનો ઈરાદો પાકિસ્તાનીઓને ટોણો મારવાનો હતો અને એ સાથે ગૌરવ લેવાનો હતો. ૨૦૧૪માં ડૉ. મનમોહન સિંહની સરકારની મુદ્દત પૂરી થઈ ત્યારે ભારત ૮.૯૨ ટકાના ગુણાંક સાથે ૨૮મો ક્રમ હતો. ૮.૯૨ ટકા ગુણાક એટલે સર્વેક્ષણ કરનારાઓના વર્ગીકરણ મુજબ ફૂલ ડેમોક્રસીનો દરજ્જો. ૨૦૧૫માં ભારતે એ સ્થાન ગુમાવી દીધું અને ખામીયુક્ત અધૂરા લોકતંત્ર ધરાવતા દેશોમાં ૩૫મા ક્રમે નીચે ઊતરી ગયું. આજે ભારત ૫૧મા ક્રમે છે. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ બન્યા એ પછી અમેરિકા પણ ખામીયુક્ત અધૂરા લોકતંત્ર ધરાવતા દેશોની યાદીમાં નીચે ઊતરી ગયું. તાજા સર્વેક્ષણ મુજબ અમેરિકા કુલ ૧૬૭ દેશોમાં ૨૫મા ક્રમે છે. અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ ટ્રમ્પ જેવી શરમજનક ઘટના પહેલીવાર બની છે.

ભારતમાં લોકતંત્રના આટલા ધોવાણ પછી પણ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર (તમે એ બિચારા વિષે કાંઈ નહીં જાણતા હો એની ગેરંટી) કહે છે કે ભારતની સમસ્યા વધારે પડતા લોકતંત્રની છે. બોલો.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 ડિસેમ્બર 2020

Loading

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|24 December 2020

હૈયાને દરબાર

આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં,
શો શૂન્યતાથી જામ સપનનો ભરી ગયાં!

વીતી ગઈ એ વેળ, હવે અહીં કશું નથી,
સ્મરણો ય આવી આવીને પાછાં ફરી ગયાં!

હું શું કરું જ્યાં કંઠ જરી ય ખૂલતો નથી,
ગીતો તો કેટલું ય અરે કરગરી ગયાં!

તારા ગયા પછે ન બન્યું કંઈ નવું અહીં,
અધઊઘડી બે છીપથી મોતી ઝારી ગયાં!

જોઈ અટૂલી મ્હેક સમય પૂછતો ફરે –
ફોર્યાં અહીં જે ફૂલ તે ક્યારે ખરી ગયાં!

વાતો રહી ગઈ એ કસુંબલ મિજાજની,
એ ઘેન, એ ઘટા, એ ઘૂંટ, સહુ સરી ગયાં!

એની ખીણો મહીં જ સમય ખૂંપતો ગયો,
શબ્દો અજાણતાં જે તમે કોતરી ગયાં!

•   કવિ: રાજેન્દ્ર શુક્લ   •   સંગીતકાર: હરેશ બક્ષી-સુરેશ જોશી

ડિસેમ્બર મહિનાની ફૂલગુલાબી ઠંડીમાં ગઝલ એ એક હૂંફાળો અહેસાસ કરાવે છે. ઠંડી, મદહોશ રાતે ગઝલ સાંભળવાનું શરૂ કરો એનો નશો મનને તરબતર કરી દે છે.

ગઝલ એ સાહિત્યનું અદ્ભુત સ્વરૂપ છે. ગઝલના એક શેરની બે પંક્તિમાં ઘણું બધું કહેવાઇ જાય છે. સમજે બધા પોતપોતાની શક્તિ મુજબ. ગુજરાતી ભાષામાં કેટલાક ગઝલકારોએ સુંદર ગઝલોનું સર્જન કર્યું છે અને એ ગઝલ કર્ણપ્રિય સુરાવલિઓમાં ઘૂંટીને આપણા સંગીતકારોએ ગેય ગઝલ રૂપે આપણી સમક્ષ મૂકી. ગઝલના મુખ્ય ત્રણ તબક્કા, જેમાં પંડિત યુગ, શયદા યુગ અને આધુનિક યુગનો સમાવેશ થયેલો છે. ગુજરાતી ગઝલ ક્ષેત્રે અનેક પ્રતિષ્ઠિત ગઝલકારોએ ખેડાણ કર્યું છે તો યુવા ગઝલકારોની ગવાતી ગઝલોનું પ્રદાન પણ એટલું જ મહત્ત્વનું રહ્યું છે. જાણીતા અને વરિષ્ઠ ગઝલકારોમાં મરીઝ, શૂન્ય, ઘાયલ અને બેફામ પછી કેટલા ય આધુનિક ગઝલકારો જેમ કે જલન માતરી, આદિલ મન્સૂરી, અદી મિરઝા, શેખાદમ આબુવાલા, રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, મનોજ ખંડેરિયા, નયન દેસાઈ, મુકુલ ચોકસી, શોભિત દેસાઈ,  હેમેન શાહ, સુરેન ઠાકર ‘મેહુલ’, હનીફ સાહિલ, હર્ષદ ચંદારાણા, અદમ ટંકારવી, રાજેશ રેડ્ડી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અશરફ ડબાવાલા જેવા ગઝલકારોની ગઝલ ગવાઈ છે, તો એ પછીની પેઢીના ગઝલકારો હિતેન આનંદપરા, મૂકેશ જોષી, દિલીપ રાવલ, સંજય પંડ્યા, સંદીપ ભાટિયા અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, પ્રણવ પંડ્યા સહિત અનેક ગઝલકારોએ સુંદર ગઝલો લખી છે અને એ ગવાઈ પણ છે. મહિલા કવયિત્રીઓ પણ હવે પાછળ નથી. પન્ના નાયક, ઉષા ઉપાધ્યાય, પારુલ ખખ્ખર, યામિની વ્યાસ, પારુલ મહેતા, આશા પુરોહિત જેવી અનેક કવયિત્રીઓએ ગઝલ ક્ષેત્રે ખેડાણ કર્યું છે.

શીર્ષકમાંની જે ગઝલ છે; ‘આવ્યાં હવાની જેમ અને ઓસરી ગયાં …’ ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લે અદ્ભુત લખી છે. રાજેન્દ્ર શુક્લની ગઝલો આધુનિક ગઝલની ભાષા અને કલ્પનોમાં જુદી ભાત પાડે છે. સંસ્કૃત વૃત્તોનો અને તત્સમ શબ્દોનો ઉપયોગ ગઝલને નવું પરિમાણ બક્ષે છે. હરેશ બક્ષીના રાગ ચંદ્રકૌંસ પર આધારિત આ ગઝલને બંસરી યોગેન્દ્રે કંઠ આપ્યો છે. સુરેશ જોશી પણ આ ગઝલને સ્વરબદ્ધ કરીને ગાય છે.

એકાદ વ્હેંત દૂર કિનારે રહ્યા કર્યું
શ્વાસોના શ્વેત અશ્વ પછી છોડવા પડ્યા

ઉદય મઝુમદારે કમ્પોઝ કરીને ગાઈ છે.

આજે કેટલીક ગવાયેલી ગઝલોની જ વાત કરવી એટલે એનો જ ઉલ્લેખ કરીએ.

હિતેન આનંદપરાની ગઝલ

પ્રેમ આખી જિંદગીનો મર્મ છે
એ વિનાની સર્વ વાતો તર્ક છે

આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરી છે તથા બીજી ગઝલ

પોતાનું કહી શકાય જે એ ગામ છે ગઝલ
ખુદની નજીક આવવાનું કામ છે ગઝલ

નયનેશ જાનીના સ્વરાંકનમાં રજૂ થઈ છે. મૂકેશ જોશીએ લાજવાબ ગીતો ઉપરાંત ગઝલો લખી છે જેમાં,

આંખમાંથી શું ઝરે છે શી ખબર
જે દિવસ છોડી દીધું તારું નગર

પણ નયનેશ જાનીએ સ્વરબદ્ધ કરી છે.

પાનખરોમાં પાન ખરે ને ઝાડનો આખો વાન ખરે, ને ત્યારે સાલું લાગી આવે અને જંગલને બાઝીને બેઠું વ્હાલકડું એકાંત શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં લોકપ્રિય થઈ છે.

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને
મન છે ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને

તથા

તમે શ્યામ રૂપ લો તો

પછી આભ થઈને વ્યાપો … જેવી દિલીપ રાવલની ગઝલોને રૂપકુમાર રાઠોડે સંગીતબદ્ધ કરીને ગાઈ છે. લલિત વર્મા અને રઈશ મનીઆરે હઝલ પણ લખી. હઝલ એટલે હાસ્ય ગઝલ. રઈશની એક હઝલ સોલી કાપડિયા સરસ રજૂ કરે છે.

પન્નીને પસ્ટાય તો કે’ટો ની
વાહણ જો અઠરાય તો કે’ટો ની

અમના ટો પ્યાર જાણે રેહમની ડોરી
પછી એના પર લૂગરાં હૂકવાય તો કે’ટો ની…!

ગુજરાતી ગઝલે આજે ભાષા, ભાવ, છંદ અને ચિંતનના નવા ઉન્મેષો દાખવીને કાઠું કાઢ્યું છે. આધુનિક સંવેદનશીલતા આવકાર્ય છે પણ ગઝલના આંતર સ્વરૂપની ઉપેક્ષા ન કરી શકાય એ સમજણ પણ વિસ્તરતી રહી છે. જો કે પ્રયોગખોરી ક્યારેક ગઝલના સ્વરૂપને નષ્ટ કરે છે છતાં એટલું અવશ્ય કહેવાય એ ગઝલના આધુનિક કાળમાં ગઝલની એક નવી હવાની લહેરખી આવી છે. ગઝલ સાથે સંકળાયેલા અન્ય પ્રકારો વિશે પણ ઉલ્લેખ કરીએ તો ગઝલ પછી લોકપ્રિય કાવ્યપ્રકાર રુબાઈ છે. રુબાઈમાં વિષયની કોઇ મર્યાદા નથી. ઈશ્ક, મોહબ્બત, પ્યાર અને તત્ત્વજ્ઞાન રુબાઈનો વિષય બની શકે છે. નઝમ પણ એક કાવ્ય પ્રકાર છે. ૧૯મી સદીની આખરમાં એક વિશેષ કાવ્ય પ્રકાર તરીકે નઝમો લખાવા માંડી હતી. ઉર્દૂ કાવ્યમાં મહત્ત્વ, વિસ્તાર અને પરિણામની દૃષ્ટિએ ગઝલ પછી નઝમ આવે છે. ગુજરાતીમાં પણ ગઝલકારોએ નઝમ લખી છે. સૈફ પાલનપુરીની સૂનો ઝરૂખો એક ઉત્તમ નઝમ છે. ગઝલ, મુક્તક, રુબાઈ, નઝમ પછી ગુજરાતીમાં તઝમીન કાવ્ય પ્રકાર પણ ક્યારેક જોવા મળે છે. કોઈ શાયર બીજા કોઈ પ્રખ્યાત શાયરની એક પંક્તિ પોતાની ગઝલમાં લે અને તેના પર બીજી પંક્તિ એના જેવી જ બનાવે જેથી બંને પંક્તિ વચ્ચે સુમેળ જળવાઈ રહે એ તઝમીન કહેવાય છે. પંડિત યુગની સરખામણીએ આજે છંદોબદ્ધ રચનાઓ ઓછી જોવા મળે છે. ગઝલોમાં નવી આબોહવા સર્જાઈ છે. નયન દેસાઈની જાણીતી ગઝલ ડબલ કોર્ડ્સ સાથે લખાઈ છે જે આશિત દેસાઈએ સરસ કમ્પોઝ કરી છે:

માણસ ઉર્ફે રેતી ઉર્ફે દરિયો ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે … એક લયબદ્ધ ગઝલ છે. વર્ષો સુધી આકાશવાણી સાથે સંકળાયેલા શાયર અને ગીતકાર કિરીટ બારોટે એક સુંદર ગઝલ લખી છે,

મંઝિલ મળે કે ના મળે તલાશ જારી છે
છે ખબર કે આ દિશા દિશા તમારી છે …

આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયે સરસ સ્વરબદ્ધ કરીને ગાઈ છે. હર્ષદ ચંદારાણાની આ ગઝલ સાંભળવાલાયક છે;

થીજ્યાં જળ ને ઠંડા સૂરજનો સમન્વય આંખ સામે
છે મહા પાષાણનો કોમળ પરિચય આંખ સામે

ને અચાનક ગાઢ ધુમ્મસનો અહીં પડદો પડે છે
મિત્ર વહાલો ખોઈ બેઠો હું હિમાલય આંખ સામે

આ ગઝલ સ્વરબદ્ધ કરીને ગાઈ છે ઉદય મઝુમદારે.

આંખોમાં તરવરે છે તે ભીનાશ મોકલું
આ ખાલી ખાલી સાંજ ને આકાશ મોકલું

વાંચી તો કેમ શકશે તું શાહીની વેદના
ઊકલી શકો તો લોહીનો અજવાસ મોકલું

હનીફ સાહિલની આ સુંદર ગઝલ રાગ મધુવંતીમાં સ્વરબદ્ધ કરીને ગાઈ છે સોલી કાપડિયાએ. ‘નાદાન’ની પણ એક ગઝલ સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી છે જેના શબ્દો છે;

રણની ભૂમિમાં ખચિત કંઈક તો કસ લાગે છે
જ્યાં હું મૃગજળને નિહાળું કે તરસ લાગે છે …!

ભીખુભાઈ ચાવડા ‘નાદાન’ એ આમ તો શયદા યુગના ગઝલકાર, પરંતુ ગઝલના આધુનિક કાળમાં ૧૯૯૫ પછી તેમણે ઘણી ગઝલો લખી. ૧૯૫૪માં એમણે એક શબ્દ પર ગઝલની શરૂઆત કરી જેમાં રસ્તો અને બારીની ગઝલ ખૂબ લોકપ્રિય થઈ હતી. એ પછી ઘણા ગઝલકારોએ આ પ્રકારની ગઝલ લખવાનું શરૂ કર્યું હતું. "આવી એક શબ્દની ગઝલની શરૂઆત મેં કરી હોવા છતાં મને એનો યશ ન મળ્યો, કારણ કે ૧૯૬૮માં આ ક્ષેત્ર છોડી દીધું હતું. પછી જો કે ૧૯૯૫માં લખવાનું શરૂ કર્યું અને ‘રજ રજ અચરજ’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો. હું અનુભૂતિનો અને તગઝ્ઝુલનો શાયર છું એટલે મૃત્યુની અનુભૂતિની ગઝલો પણ લખી છે. નાદાને એક મુલાકાતમાં આ વાત કરી હતી.

શોભિત દેસાઈની કેટલીક ગઝલો પણ સ્વરબદ્ધ થઈ છે જેમાં મનહર ઉધાસે ગાયેલી ગઝલ સુંદર છે,

કોઈને ઝંખે છે કાયમ બહુ ઉદાસ જે
તું આવ દોસ્ત તારા સમ રાત બહુ ઉદાસ છે….!

આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરેલી અને ગાયેલી શોભિત દેસાઈની અન્ય બે ગઝલો છે, શુષ્ક થઇને એમને જુઓ અરે, લાગણીઓ આવો તરજુમો અરે તથા જરા અંધાર નાબૂદીનો દસ્તાવેજ લઈ આવ્યો, અરે લ્યો આગિયો સૂરજથી થોડું તેજ લઈ આવ્યો!

મેઘબિંદુની એક સુંદર ગઝલ બાગમાં ટહુકો છળે તો શું કરું, લાગણી ભડકે બળે તો શું કરું તથા સુરેન ઠાકર ‘મેહુલ’ની કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે સાવ લીલુંછમ હજી આજેય બચપણ સાંભરે છે પણ કર્ણપ્રિય ગઝલો છે.

ગઝલ ક્ષેત્રે ઉદયન ઠક્કરનું પ્રદાન નોંધનીય છે. ઉદયન ઠક્કર બહુશ્રુત કવિ છે. ક્યારેક એવું કંઈક લખી નાખે કે આપણે દાદ આપવી જ પડે. ઉદયન ઠક્કરની,

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વૃક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે…
ગઝલને સોલી કાપડિયાએ ગાઈ છે. ઉદયન ઠક્કરની આ ગઝલ પણ બહુ લોકપ્રિય થઈ છે,

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

વિવિધ પ્રકારોમાં વહેંચાયેલી ગુજરાતી સંગીતની ગઝલયાત્રામાં નવા, જૂના, નીવડેલા ગઝલકારોનો ઘણો સમાવેશ કરી શકાય એમ છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગીતકવિ રાજેન્દ્ર શાહે ‘પંચપરવા’ ગઝલ સંગ્રહ બહાર પાડ્યો છે એ બહુ ઓછાને ખબર હશે. રામ વૃંદાવનીના નામે એમણે ગઝલ અને નઝમ લખી છે. શયદા એવોર્ડ વિજેતા હેમેન શાહે પણ ગઝલની ઉપાસના કરી છે. કલ્પનની તાજગી અને અભિવ્યક્તિનું લાઘવ હેમેન શાહની ગઝલોમાં જોવા મળે છે. એમની ગઝલ તો દોસ્ત હવે સંભળાવ ગઝલ આશિત દેસાઇ સરસ કમ્પોઝ કરીને ગાય છે.

ગેય ગઝલોનું લિસ્ટ ખૂબ લાંબું થઈ શકે એમ છે, કારણ કે ઉર્દૂ પછી ગુજરાતી ભાષામાં જ ગઝલોનું જબરજસ્ત ખેડાણ થયું છે. એની વિગતે વાત ફરી ક્યારેક કરીશું.

આજે તો બસ આટલું જ. આવ્યા હવાની જેમ… હરેશ બક્ષીનું સ્વરાંકન ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી શકાશે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671800

Loading

...102030...2,0852,0862,0872,088...2,1002,1102,120...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved