Opinion Magazine
Number of visits: 9573167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2020

આદર રળવાનો હોય કે માગવાનો હોય? સર્વોચ્ચ અદાલતના વકીલ પ્રશાંત ભૂષણે એક ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની અને દેશના મુખ્ય ન્યાયમૂર્તિની ટીકા કરી ત્યારે આ સવાલ પૂછવામાં આવ્યો હતો. આદર અધિકાર છે કે સામેની વ્યક્તિ દ્વારા જાળવવામાં આવતો વિવેક છે? એ સમયે આ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો.

દેશની અને સર્વોચ્ચ અદાલતની વાત બાજુએ મુકીએ, આપણાં પોતાનાં ઘરમાં જો વડીલો કે ઘરના મુખ્ય કર્તા ન્યાયબુદ્ધિથી ન વર્તે, પક્ષપાત કરે તો તેમના પ્રત્યેના આદરમાં વધારો થાય કે ઘટાડો? શરૂઆતમાં આદરપૂર્વક વડીલનું ધ્યાન દોરવામાં આવે કે તમારું વલણ બરોબર નથી. એ પછી હજુ વધારે સ્પષ્ટતાથી કહેવામાં આવે કે તમે જે કરી રહ્યા છો એ બરાબર નથી. એ પછી પણ વડીલ જો ન્યાયબુદ્ધિથી ન વર્તે તો કુટુંબના નજીકના હોય એવા બીજા કોઈ વડીલ દ્વારા કહેવડાવવામાં આવે કે તેમણે ન્યાયબુદ્ધિથી વર્તવું જોઈએ. એ પછી પણ જો વડીલ પક્ષપાત કરે તો વડીલનો ધર્મ યાદ કરાવવામાં આવે અને એ પછી પણ જો વડીલ ન સુધરે તો? તો દીકરો બાપની જાહેરમાં આબરૂ કાઢે.

પરિવારના વડીલ તરીકેનો આદર સ્વાભાવિકપણે, કહો કે એક પ્રકારના અધિકારના ભાગરૂપે મળતો હોય છે. પરિવારના સભ્યો કુટુંબના મોભીનો એ અધિકાર સ્વીકારી લેતા હોય છે અને કોઈને તેની સામે વાંધો હોતો નથી. પણ પછી વડીલ તરીકેના અધિકારરૂપે મળેલો આદર જાળવી રાખવાની અને તેમાં ઉમેરો કરવાની જવાબદારી વડીલની કે પરિવારના સભ્યોની? વડીલ કાંઈ પણ કરે અને મારા માટેનો આદર મારો અધિકાર છે અને તારે આપવો જ રહ્યો એ તારી ફરજ છે એવું કહે તો એ લાંબો વખત ચાલે ખરું? વડીલ ‘બેશરમ’ બનીને ટીકા કરનારને નુકસાન પહોંચાડી શકવાની તાકાત ધરાવતા હોય તો કદાચ ડરના માર્યા પરિવારના સભ્યો ચૂપ રહે પણ કોઈ તો એવો નીકળે જે મોઢે સંભળાવી દે. આ ઉપરાંત પડોશીઓ અને આખું જગત વાતો કરે એનું શું? કેટલા મોઢે ગળણાં બાંધવા જશો? અહીં બેશરમ શબ્દ અવતરણ ચિહ્નમાં વાપરીને વજન આપ્યું છે એનું કારણ છે. ઊઘાડો પક્ષપાત કરતા રહ્યા પછી પણ અધિકારના ભાગરૂપે આદરની અપેક્ષા રાખે અને જો આદર નહીં આપે તો સજા કરીશ એવું જો કોઈ કહે કે કરે તો એવી વ્યક્તિને ‘બેશરમ’ તરીકે જ ઓળખાવી શકાય.

આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતની હાલત પરિવારના પક્ષપાતી વડીલ જેવી છે. સર્વોચ્ચ અદાલતે અને એકંદર ન્યાયતંત્રે આદર રળવાનું અને આદરમાં ઉમેરો કરવાનું તો ક્યારનું છોડી દીધું છે. આદરમાં ઉમેરો ત્યારે થાય જ્યારે ન્યાયમૂર્તિ પ્રામાણિક હોય, કાયદાનો જાણકાર વિદ્વાન હોય, જેના ઉપર દેશનું ભવિષ્ય અવલંબિત છે એ બંધારણનો રખેવાળ હોય, જેને સૌથી વધુ ન્યાયની જરૂર છે એને પહેલો ન્યાય આપતો હોય અને જે નિર્ભય હોય. આ હું નથી કહેતો, બંધારણ ઘડનારાઓએ સર્વોચ્ચ અદાલતના જજો પાસેથી આવી અપેક્ષા રાખી છે. ભારતના અદના નાગરિકની છેલ્લી આશા સર્વોચ્ચ અદાલત છે અને ત્યાં તો તેને અન્યાય ન જ થવો જોઈએ અને ન્યાય મળવો જ જોઈએ એ માટે વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતાની અપેક્ષા રાખવામાં આવી છે.

હવે સ્થિતિ કેવી છે? સર્વોચ્ચ અદાલતમાં એવા જજો પણ છે અને ઠીકઠીક સંખ્યામાં છે જેનામાં ઉપર કહ્યા એ પાંચ ગુણમાંથી એક પણ ગુણ નથી. કોણ નથી જાણતું આ? ઉઘાડું સત્ય છે? આ પાંચેય વાના હોય એવા જજ તો રણમાં મીઠી વીરડીની માફક ભાગ્યે જ જોવા મળે છે. જજોની પસંદગીનો ચાળણો જ એવો રાખવામાં આવ્યો છે કે ચાલાક લોકો ચાળણાની દીવાલ પકડીને બચી જાય છે અને ઉપરના પાંચેય ગુણ હોય એવા ખરા અર્થમાં ‘ન્યાયમૂર્તિ’ ચળાઈ જાય છે. ચાળણો બનાવનારા એ, ચાળળો ચલાવનારા એ, માફક આવે એવા ન હોય એને ચાળી નાખનારા એ, માફક આવે એને બચાવી લેનારા પણ એ. લાભ કરાવી આપે એવા સમર્થોની ખિદમત કરનારા પણ એ. ઉપરથી તેઓ આદરની અપેક્ષા રાખે છે. ન આપો તો માગે છે. અધિકારના ભાગરૂપે માગે છે. ટીકા કરો તો ડરાવે છે, સજા કરે છે.

જ્યારે કોઈ ટીકા કરે ત્યારે ટીકાનું વાજબીપણું સાબિત કરવાની જવાબદારી ટીકા કરનારની છે. જેની ટીકા કરવામાં આવી હોય એનો એ અધિકાર છે કે તે ટીકા કરનારને પડકારે કે તું ટીકાનું વાજબીપણું સિદ્ધ કર. જજોએ પણ ટીકા કરનારાઓને પડકારવા જોઈએ કે ટીકાનું વાજબીપણું બતાવ. પ્રશાંત ભૂષણે તો સામે ચાલીને બે હાથ જોડીને કહ્યું હતું કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવા તૈયાર છું મને મોકો આપવામાં આવે. શા માટે મોકો આપવામાં નહીં આવ્યો? કારણ કે કોઠીમાં કાદવ ભર્યો છે. આક્કાઓના ગુલામ છે અને એ જાહેર થઈ જાય.

પ્રશાંત ભૂષણને ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો મોકો આપવામાં ન આવ્યો એને કારણે, હું ફરી કહું છું કે એને કારણે સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરા ટીકા કરવામાં એક ડગલું આગળ ગયા છે. તેમણે ટ્વીટ કરીને સર્વોચ્ચ અદાલતની આકરી ટીકા કરી છે, સર્વોચ્ચ અદાલતના મકાનને ભગવા રંગે રંગ્યું છે અને ઉપર દેશના રાષ્ટ્રધ્વજની જગ્યાએ ભા.જ.પ.નો ઝંડો લહેરાવ્યો છે. તેમણે કહ્યું છે કે હું ટીકાનું વાજબીપણું સાબિત કરવાનો નથી, માફી માગવાનો નથી, દંડ ચૂકવવાનો નથી. મારી સામે ખટલો ચલાવવાનું નાટક કર્યા વિના સજા કરીને જેલમાં મોકલી દો. તેમણે સર્વોચ્ચ અદાલતને કહ્યું છે કે મારી પાછળ જે સમય તમે ખર્ચ કરવાના છો એ સમય એવા ખટલા હાથ ધરવામાં ખર્ચો જ્યાં ન્યાયબુદ્ધિ અને રહેમદિલીની તાત્કાલિક જરૂર છે. જે ન્યાયબુદ્ધિ અને રહેમદિલી અર્ણવ ગોસ્વામી માટે બતાવી છે એ ત્યાં બતાવો. પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. ટીકા કરી છે, તેની જવાબદારી લઉં છું, જેલ જવા તૈયાર છું; તમે સાબિત કરો કે તમે ખરા અર્થમાં ન્યાયની ખુરશી ઉપર બેસવાને લાયક ‘ન્યાયાધીશ’ છો. આટઆટલા કેસ તમારી પાસે પડ્યા છે જે ખરા અર્થમાં પ્રાથમિકતા ધરાવે છે, જાહેર હિતના છે અને ન્યાયબુદ્ધિની કસોટી કરનારા છે. ઉઠાવો ધનુષ અને આપો પરીક્ષા. મને તમે ખુશી ખુશી જેલમાં મોકલી દો.

પ્રશાંત ભૂષણ કરતાં એક ડગલું આગળ. હજુ પણ જો જજો સમર્થોની સેવા કરતા રહેશે, પક્ષપાત કરતા રહેશે, આદરને અધિકાર માનવાનું અને ડરાવીને ટીકાકારોને ચૂપ કરવાનું વલણ ધરાવતા રહેશે તો હવે પછી બીજો કોઈ કુણાલ કામરા હજુ એક ડગલું આગળ જશે. જજસાહેબોને એટલી તો જાણ હશે જ સમાજમાં બધા લોકો કાયર નથી હોતા. ભલે ઓછી સંખ્યામાં પણ સમાજ નીડર અને બુદ્ધિમાન લોકોને પણ પેદા કરે છે. જે ગુણ જજો પાસે અપેક્ષિત છે એ વિદ્વતા, પ્રામાણિકતા, નિર્ભયતા, પ્રતિબદ્ધતા અને પ્રાથમિકતા અનેક નાગરિકો ધરાવતા હોય ત્યાં તમે શું કરશો? આ લોકો ઢોરને વળગેલી બગાઈની માફક સાચું બોલીને હેરાન કરતા જ રહે છે. સોક્રેટિસે પોતાના માટે કહ્યું હતું કે હું એથેન્સને વળગેલી બગાઈ છું.

ન્યાયાધીશોએ અનીતિ આચરવાનું છીંડું પાડ્યું અને આલોચના શરૂ થઈ. જેમ જેમ છીંડું પહોળું થતું ગયું એમ ટીકા પણ આકરી થવા લાગી. હજુ વધુ પહોળું થશે તો હજુ વધુ આકરી ટીકા થશે. આ તો સ્વાભાવિક ક્રમ છે. જ્યારે પહેલી આલોચના કાને પડી ત્યારે ‘ટીકા કરી જ કેમ, આદર આપ નહીં તો જેલમાં મોકલીશ’નું વલણ અપનાવવાની જગ્યાએ ટીકા કરનાર પાસે ટીકાનું વાજબીપણું સમજવાની કોશિશ કરી હોત તો આવી સ્થિતિ પેદા ન થાત. પ્રારંભમાં કહ્યું એમ આદર રળવાનો હોય, માગવાનો ન હોય.

જજો પાસે બે વિકલ્પ છે. એક આત્મનિરીક્ષણ કરે અને પોતાને તેમ જ ન્યાયતંત્રને સુધારે. જો એમ ન કરવું હોય તો રાજકારણીઓની જેમ જાડી ચામડી કેળવે. નેતાઓની કેવી ઠેકડી ઉડાડવામાં આવે છે, પણ કોઈ માઠું લગાડે છે? આમ પણ સ્થિતિ એવી જ થવાની છે. જેવી સ્થિતિ જજોની થઈ રહી છે એવી ચૂંટણીપંચની પણ થઈ રહી છે. આ દેશમાં ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ સ્વતંત્ર છે એમ કહેવાનું સાહસ કોઈ બેવકૂફ જ કરી શકે. પરમ ભક્ત પણ આવું સાહસ નહીં કરે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020

Loading

કોરોનાવાઇરસઃ રખે માનતા કે વાઇરસે તમારી જિંદગીમાંથી એક્ઝિટની તૈયારી કરી છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|22 November 2020

હાલમાં તો તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે

કોરોના વાઇરસની પકડ મજબૂત બની ગઇ અને લૉકડાઉન આખી દુનિયા માટે એક રૂટીન થઇ ગયું. આપણા દેશમાં ક્યાંક અનલૉક થયું તો ક્યાંક ફરી લૉકડાઉનના એંધાણ માથે ભમવા માંડ્યા. યુરોપિયન દેશોમાં સૌથી પહેલાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઇ અને તાજા રિપોર્ટ અનુસાર યુરોપમાં કોરોના વાઇરસે ફરી એકવાર પોતાનો કાળમુખો ચહેરો બતાડ્યો છે. સ્પેન, ફ્રાંસ, ઇટાલી અને જર્મની જેવા દેશો જ્યાં આ રોગચાળો કાબૂમાં આવ્યો હતો ત્યાં બીજા લૉકડાઉનની જાહેરાતો અને ચેતાવણીઓ અપાઇ છે. આ તો વિદેશની વાત થઇ પણ આપણી વાત કરીએ તો પાટનગર દિલ્હીમાં હોટસ્પોટ પર લૉકડાઉન લાગુ કરવાની તજવીજ રાજ્ય સરકારે શરૂ કરી દીધી છે. તો ગુજરાતમાં પણ અમુક વ્યાપારી એસોસિયેશન્સ સ્વૈચ્છિક લૉકડાઉન પાળશે તેવા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રમાં અધિકારીઓએ કોવિડ-૧૯ના ટેસ્ટિંગમાં વધારો કરવા તાકીદ કરી છે કારણ કે સેકન્ડ વેવની વકી છે. કર્વ ફ્લેટ થયો હોવા છતાં ય આ પગલાં લેવાઇ રહ્યાં છે. આંધ્ર પ્રદેશનાં જગન મોહન રેડ્ડીએ પણ નાગરિકોને સેકન્ડ વેવ માટે તૈયાર રહેવા કહ્યું છે.

વૈશ્વિક સ્તરે કોરોનાવાઇરસને કારણે મૃત્યુ આંક ઘટી રહ્યો છે છતાં ય યુરોપમાં શિયાળાની શરૂઆત એટલે કે ઇન્ફ્લુએન્ઝા અને હે ફિવરની મોસમ માથે આવી અને ત્યાં કેસિઝ વધવા માંડ્યા. આપણે ત્યાં પણ શિયાળાની શરૂઆત છે અને આખા એશિયા માટે ઇનફ્લુએન્ઝાની આ મોસમ ચિંતાનો વિષય છે. અમુક ગતિએ ઘટેલા વાઇરસનો મૃત્યુ આંક ફ્લુની મોસમમાં પાછો વકરે એવી પૂરી શક્યતા છે તેવું વિશેષજ્ઞોનું માનવું છે. જો કે કોરોનાવાઇરસનું ભવિષ્ય અત્યારે ભાખવું અઘરું છે પણ વૈશ્વિક સ્તરે મૃત્યુ આંક ચોક્કસ ઘટ્યો છે. જો કે કોરોનાવાઇરસને રાષ્ટ્રોની સમજણ, આવક, સવલતો બધા સામે સવાલ પણ ખડા કર્યા છે. યુ.એસ.એ. જ્યાં પર કેપિટા આવક મોટી છે અને સ્વાસ્થ્ય પર ખૂબ ખર્ચ કરાય છે ત્યાં મૃત્યુ આંક દર છ અઠવાડિયાને ગાળે પણ ૩૦ ટકા જેટલો રહ્યો છે. બીજી તરફ ભારતે અન્ય એશિયાઇ દેશો કરતાં આ મામલે બહેતર દેખાવ કર્યો છે. આપણે ત્યાં કોવિડથી થતાં મૃત્યુનો આંકડો અન્ય પશ્ચિમી અને પૂર્વીય એટલાન્ટિક પ્રદેશો કરતાં ઓછો રહ્યો છે પણ ઑક્ટોબર ૨૧ પહેલાનાં છ અઠવાડિયાના ગાળામાં મૃત્યુ આંક વધ્યો. આખા વિશ્વમાં જેટલા ટેસ્ટ થાય છે તેના કરતાં જેટલા કેસિઝ સામે આવે છે તે આંકડા મોટા હોય છે જે વાસ્તવિકતા બધાએ જ સ્વીકારવી રહી. એરોસોલ અને પાણીનાં ટીપાં દ્વારા પ્રસરતા આ વાઇરસનો ફેલાવો એસી વાતાવરણને કારણે થાય છે કે પછી એકની એક હવાના બંધ માહોલમાં ફરતા રહેવાથી થાય છે કે પછી બહારની હવાથી થાય છે. બહાર કદાચ વાઇરસનું રિસ્ક ઓછું છે પણ તેનો ફેલાવો હજી પણ સાવચેતીનાં પગલાં સતત ભરવાથી રોકી તો શકાશે જ. આપણે ત્યાં નાકની નીચે અને દાઢી પર માસ્ક લટકાવીને ફરનારા કોવિડિયટ્સ (કોવિડ ઇડિયટ્સ), માસ્કને વારંવાર હાથ અડાડનારાઓ અને બીજી બધી છૂટ લેનારાઓની સંખ્યા ઓછી નથી. હર્ડ ઇમ્યુનિટીની વાતો કરનારાઓએ સમજવું રહ્યું કે એ મેળવવું આસાન નથી કારણ કે અહીં વાઇરસ પણ એ જ ઝડપે પ્રસરે છે.

વાઇરસ તો કાળમુખા જેવો બેઠો છે પણ તેને નાથવાનાં વેક્સિનને મામલે ફાઇઝર અને મોડેર્ના વચ્ચે જાણે રેસ લાગી છે. વેક્સિનના સમાચાર સાંભળવા આખી દુનિયા તત્પર છે પણ નવા જમાના, નવા રોગ સાથે એક નવી તકલીફ એ પણ છે કે એક નવો ફોબિયા લોકોમાં વિકસી રહ્યો છે. એવા ઘણાં લોકો હોય છે જેમને કોઇ પણ પ્રકારની વેક્સિનથી વાંધો હોય અને તેઓ કોઇ પણ વેક્સિન લેતાં ખચકાય. એક તરફ વેક્સિન શોધાઇ રહ્યાં છે તો બીજી તરફ લોકોમાં તે ટાળવાની ચર્ચાઓ પણ શરૂ થઇ છે. લોકોને કશું પણ ટાળવાનું ગમે છે, એ પ્રકૃતિ બહુ સાહજિક રીતે માણસ જાતમાં રહેલી છે. જો વેક્સિન સરળતાથી નહીં મળતી હોય તો લોકો તેને બિંધાસ્ત ટાળશે. બીજી બાબત છે ઑપ્ટિમિઝમ બાયસ, એટલે કે લોકોની જાત અંગે માન્યતા કે, “હું તો બહુ જ ધ્યાન રાખું છું મને તો ચેપ લાગવાનો જ નથી” – આવું માનનારાએ વેક્સિનની અગત્યતા ઘટાડી દે છે. ત્રીજું પાસું છે આત્મવિશ્વાસ – લોકો મોટેભાગે વેક્સિન ટાળતા હોય છે કારણ કે તેમને તેની પર વિશ્વાસ નથી હોતો. એમાં ય પાછું એક જ વર્ષના ગાળામાં તૈયાર થયેલા વેક્સિન પર ભરોસો કરવાનું લોકોને બહુ ગમશે નહીં. વળી સોશ્યલ મીડિયાના જમાનામાં જાતભાતની સાચી-ખોટી માહિતી માથે થોપાયા કરશે એમાં લોકોને વેક્સિન અંગે શંકા કુશંકાઓ પણ થયા કરશે. આ સંજોગોમાં વેકિસન અંગે સ્પષ્ટ માહિતીઓ, સરળ ઉપલબ્ધિ, અગત્યતા પર ધ્યાન આપવાનું રહેશે જેથી લોકોના મનમા કોઇ અસમંજસ ન રહે અને લોકો કોરોનાને નાથવાના કોઇ પણ પ્રયત્નોમાં પાછી પાની ન કરે.

પડકાર અને અવસર બન્ને એ છે કે વેક્સિનને મામલે પણ બધાંએ અજાણ્યા પાણીમાં ઊતરવાનું છે અને માટે માનસિક રીતે તૈયાર રહેવું પડશે. વાઇરસ સામે બચવા આપણે ઘણી આદતો બદલી છે, ઘણું બધું ત્યજ્યું છે તો વાઇરસની વેક્સિનને સ્વીકારવાની તૈયાર માટે અભિગમ બદલવાની તૈયાર પણ રાખવી પડશે.

બાય ધી વેઃ

આપણે આકરા ઉનાળામાં વાઇસનો પ્રકોપ જોયો છે પણ શિયાળામાં તેનું જોર બમણું હશે એ ભૂલતા નહીં. ૧૯૧૮ના સ્પેનિશ ફ્લૂની વાત કરીએ તો તેનું પહેલું વેવ માર્ચમાં આવ્યું હતું અને તે યુરોપમાં કામ કરતા ચાઇનિઝ કામદારોને કારણે ફેલાયું હોવાની ધારણા છે. તે યુરોપમાં ફેલાયો અને પછી જૂન સુધીમાં તે ઑસ્ટ્રેલિયા, રશિયા, ચીન, ભારત, જાપાન અને મોટા ભાગનાં યુરોપમાં વકર્યો હતો અને જુલાઇમાં તેનું જોર ઘટ્યું અને સપ્ટેમ્બરમાં તેનું બીજું વેવ આવ્યું અને શિયાળામાં તેને કારણે બધી જ વયનાં લોકોનો મૃત્યુ આંક આભે આંબ્યો. પહેલા વેવ પછી સમાજમાં એક પ્રકારની આળસ – જેને માટે અંગ્રેજીમાં કોમ્પ્લિસન્સી શબ્દ છે એટલે કે (ઠીક હવે, જોયું જશે) અને વાઇરસનો કંટાળો પેસે છે જે બહુ જોખમી સાબિત થઇ શકે છે. માણસ પાસે આધુનિક વિજ્ઞાન છે પણ સ્વભાવની લાક્ષણિકતાઓ હજી પણ ૧૦૨ વર્ષ પહેલાં હતી તેવી હોઇ જ શકે છે, કાનેથી એક બાજુ લટકતાં માસ્ક તેનો પુરાવો છે. આપણો સાવચેતી ભર્યો વહેવાર આ સામેનું એક માત્ર શસ્ત્ર છે. ૨૦માંથી ૧૯ વેક્સિન શરૂઆતમાં પ્રોમિસિંગ હોય છે અને પછી ટ્રાયલના છેલ્લા તબક્કામાં તે પ્રભાવી પુરવાર નથી થતા. વેક્સિન આવી જશે તો ય તે તમારા સુધી પહોંચશે તેમાં સમય લાગશે, તેની વહેંચણી સૌથી મોટો પડકાર રહેશે. માટે જ યાદ રાખજો કે ત્યાં સફળ વેક્સિન ન શોધાય અને એ તમારા સુધી પહોંચે ત્યાં સુધી તમારી પાસે માસ્ક, સેનિટાઇઝર, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને મનોબળ જ છે જેનાથી વાઇરસ સામે લડવાનું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 નવેમ્બર 2020

Loading

ચંપારણની લડાઈ ગાંધીજીએ કૉન્ગ્રેસના નામ વગર લડી હતી !

રમેશ ઓઝા|Opinion - Opinion|22 November 2020

ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારંભમાં ભાષણ આપ્યું હતું ૧૯૧૬ના ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં જેણે એક સાથે સરકારને, દેશના પ્રસ્થાપિત નેતાઓને, હવે પછી જેનો ઉદય થવાનો હતો એવા નેહરુ-પટેલ-રાજેન્દ્રબાબુ-રાજાજી જેવા નેતાઓને અને પ્રજાને ચોંકાવી દીધા હતા. દેશભરમાં એ ભાષણની ચર્ચા ચાલતી હતી. એ જ વરસમાં એટલે કે ૧૯૧૬ના ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં બનારસની નજીક લખનૌમાં કૉન્ગ્રેસનું અધિવેશન મળ્યું હતું જેમાં લોકમાન્ય તિલક અને મહમ્મદ અલી ઝીણા વચ્ચે સમજૂતી થઈ હતી જે લખનૌ કરાર તરીકે ઓળખાય છે. એ સમજૂતી વાસ્તવમાં કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે થઈ હતી અને એમ પણ કહી શકાય કે હિંદુઓ અને મુસલમાનો વચ્ચે થઈ હતી.

કૉન્ગ્રેસના એ અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ લગભગ નિષ્ક્રિય સાક્ષી તરીકે. ગાંધીજી ભારત આવ્યા એ પછીનાં શરૂઆતનાં બે-ત્રણ વરસ તેમની પાસે કૉન્ગ્રેસના અધિવેશનોમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓના પ્રશ્ન વિશે બોલવાનું કહેવામાં આવતું હતું અને દક્ષિણ આફ્રિકા વિશે એક ઠરાવ પસાર કરવામાં આવતો હતો. લખનૌમાં પણ ગાંધીજીની આટલી જ ભૂમિકા હતી અને ખરું પૂછો તો એનાથી વધારે તેમની ભૂમિકા હતી સંડાસ સાફ કરવાની હતી.

કનૈયાલાલ મુનશીએ તેમના ‘પિલ્ગ્રીમેજ ટુ ફ્રિડમ’ નામના ગ્રંથના પહેલા ભાગમાં લખ્યું છે કે ભારતીય નેતાઓએ મોરલે-મિન્ટો સુધારા તરીકે વધારે જાણીતો ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ-૧૯૦૯’નો સ્વીકાર કર્યો એ સાથે ભારતનાં વિભાજનનાં બીજ રોપાયાં હતાં. એ કાયદાકીય સુધારા હેઠળ ભારતીય પ્રજાના પ્રતિનિધિઓને ધારાસભાઓમાં સ્થાન મળ્યું હતું, પણ ચૂંટણીનું સ્વરૂપ કોમી હતું. મુસલમાનો માટે અલગ મતદાર સંઘ આપવામાં આવ્યો હતો, જેમાં માત્ર મુસલમાનો જ મતદાન કરી શકે. ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં કૉન્ગ્રેસ તરફથી અથવા એમ કહો કે હિંદુઓ તરફથી લોકમાન્ય તિલકે અને મુસ્લિમ લીગ તરફથી અથવા કહો કે મુસલમાનો તરફથી મહમદઅલી ઝીણાએ વિભક્ત મતદાર સંઘની દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી હતી. મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં ઘણી વધુ બેઠકો અલગ મતદાર સંઘ તરીકે મંજૂર રાખીને ફાળવવામાં આવી હતી. કનૈયાલાલ મુનશી તેમના ગ્રંથમાં લખે છે કે એ સમજૂતી આગળ જતા દ્વિરાષ્ટ્રના સિદ્ધાંતમાં પરિણમશે એની ત્યારે કોઈએ કલ્પના નહોતી કરી. માત્ર મદનમોહન માલવિયાએ લખનૌ કરારનો વિરોધ કર્યો હતો.

વરસ હતું ૧૯૧૬. ૧૯૧૬ના પ્રારંભમાં ગાંધીજીએ બનારસમાં ભાષણ આપીને નવા રાજકારણનો શંખ ફૂંક્યો હતો અને ૧૯૧૬ના ડિસેમ્બર મહિનામાં આગલી પેઢીના નેતાઓએ લીધેલો છેલ્લો નિર્ણય હતો અને છેલ્લી સમજૂતી હતી. કનૈયાલાલ મુનશીના કહેવા મુજબ ૧૯૦૯ના સુધારાનો સ્વીકાર કરીને અને લખનૌની સમજૂતી કરીને કૉન્ગ્રેસના નેતાઓએ મુસલમાનોને એટલું બધું આપી દીધું હતું કે તેના દ્વારા વિભાજનનાં બીજ વવાયાં હતાં અને મહમદઅલી ઝીણાને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના આર્કિટેક્ટ છે. આખા દેશને એમ લાગવા માંડ્યું હતું અને એ રીતે તેમને વધાવવામાં પણ આવ્યા હતા. વિધિનો ખેલ એવો નીવડ્યો કે ઝીણાનું પણ એ છેલ્લું ગિર્યારોહણ સાબિત થયું. એ પછી ઝીણા બે દાયકા સુધી ભારતીય રાજકારણની બહાર ધકેલાઈ ગયા હતા.

હમણાં કહ્યું એમ લખનૌમાં ગાંધીજી હતા ખરા પણ લગભગ સાક્ષીની ભૂમિકામાં. સફાઈ અને નેતાઓની સેવા કરવા સિવાય તેમની બીજી કોઈ ભૂમિકા નહોતી. એની વચ્ચે એક રાજકુમાર શુક્લ નામનો બિહારનો ખેડૂત ગાંધીજીને શોધતો ગાંધીજીની રાવટીમાં આવી ચડે છે. એકથી એક દિગ્ગજ નેતાઓ લખનૌમાં હાજર હતા, પરંતુ એ ગાંધીજીને શોધતો હતો અને એનું કારણ બનારસનું ભાષણ હતું. એણે કોઈના મોઢે બનારસના ભાષણની વાત સાંભળી હતી અને પછી તે વાંચ્યું પણ હતું અને તેને સમજાઈ ગયું હતું કે આ માણસ ભડવીર તો છે જ પણ તે સાથે ગરીબોની પીડાને તે એટલી જ તીવ્રતાથી અનુભવી શકે છે જેટલી તીવ્રતા પીડા ભોગવતો ગરીબ અનુભવતો હોય. સત્ય અને ન્યાયનો તકાદો હોય તો કોઈ પ્રશ્ન તેના માટે નાનો નથી અને કોઈ માણસ તેના માટે મોટો નથી. આ વાત એક ગ્રામીણ, લગભગ અભણ ખેડૂતને સમજાઈ ગઈ હતી. ગયા લેખમાં કહ્યું હતું એમ ભારતની પ્રજાને સમજાઈ ગયું હતું કે કોઈ દમદાર માણસ આવ્યો છે જે ગરીબ-રાંક પ્રજાના કામનો છે.

રાજકુમાર શુક્લએ ગાંધીજીને કહ્યું હતું કે બિહારમાં ચંપારણ નામનો એક પ્રદેશ છે જ્યાં ગળી ઊગે છે. કેટલાક અંગ્રેજ વેપારીઓ અમારે ત્યાં કોઠીઓ સ્થાપીને બેઠા છે અને અમારી પાસે બળજબરી ગળીનું વાવેતર કરાવે છે. સરકાર પણ તેમાં અંગ્રેજ કોઠીવાળાઓને મદદ કરે છે અને જમીનના એક હિસ્સમાં અમારે ફરજિયાત ગળીનું વાવેતર કરવું પડે છે. ગળી ઉગાડવાથી જમીનને નુકસાન થાય અને સામે કોઈ ખાસ વળતર મળતું નથી. જો કોઈ ગળીનું વાવેતર કરવાની ના પાડે તો ગોરાઓની ખાનગી સેના બળવાખોર ખેડૂતો સાથે અત્યાચાર કરે છે. તેમણે ગાંધીજીને કહ્યું કે આપ અમારે ત્યાં આવો, તમારી સગી આંખે અમારી યાતના જુઓ અને અમને તેનાથી મુક્ત કરો. 

ગાંધીજીએ કૉન્ગ્રેસના અધિવેશનમાં આવેલા બિહારના નેતાઓ સાથે આ પ્રશ્ને વાત કરી તો દરેકે કહ્યું કે હા ચંપારણમાં આવું બની રહ્યું છે ખરું, પણ કોઈની પાસે પાકી વિગત નહોતી. પ્રજાના નેતા બનવા માટે પ્રજાની વચ્ચે જવું જોઈએ અને એમાં પણ ગામડે જવું જોઈએ એવી ત્યારે કોઈ કલ્પના જ નહોતી. નેતા બનવા માટે ભાષણ કરતા આવડવું જોઈએ, વધારે મોટા નેતા બનવું હોય તો અંગ્રેજી આવડવું જોઈએ, કૉન્ગ્રેસના અધિવેશનોમાં પ્રતિનિધિ તરીકે અને પ્રતિનિધિઓને લઈને જવું જોઈએ, સરકાર સાથે જે તે માગણી લઈને પત્ર-વ્યવહાર કરવો જોઈએ, પ્રતિનિધિમંડળોમાં જોડાવું જોઈએ વગેરે પૂરતું હતું.

ગાંધીજી ભારતમાં આવ્યા એ પહેલાં ગરીબોની લડાઈ ગરીબોમાંથી પેદા થતા બિરસા મુંડાઓ લડતા હતા અને શહીદ થતા હતા, કોઈ કૉન્ગ્રેસી કે મુસ્લિમ લીગી નેતાએ લડી હોય એવું બન્યું નહોતું. આ નિવેદન હું અત્યંત જવાબદારીપૂર્વક કરી રહ્યો છું. ગરીબોની તેમના શોષણ સામેની લડાઈનો ઇતિહાસ પણ આપણા ધોરીમાર્ગના ઇતિહાસકારોએ લખ્યો નથી, એ પણ કેટલાક ઇતિહાસકારોએ ‘સબાલટર્ન સ્ટડીઝ’ તરીકે અલગથી લખ્યો છે. ગરીબોએ શોષણથી કંટાળીને અને ઉશ્કેરાઈને કેટલી બધી લડાઈઓ લડી હતી જેની કૉન્ગ્રેસી-લીગી નેતાઓએ ઉપેક્ષા કરી હતી. તેમનું નેતૃત્વ તો બહુ દૂરની વાત છે. ગાંધીજી પહેલા એવા કૉન્ગ્રેસી નેતા હતા જેણે ગરીબોની લડાઈ લડી હતી અને આ માણસ લડશે એની રાજકુમાર શકલને ખાતરી હતી. એટલે તો રાજકુમાર શુક્લે ગાંધીજીની પૂંઠ પકડી હતી. ગાંધીજીને વિનવણી કરતા પત્રો લખ્યા, અમદાવાદ જઈ આવ્યા, ગાંધીજી જ્યાં જ્યાં જાય ત્યાં તેઓ પાછળ પાછળ જતા અને ગાંધીજી કલકત્તા જવાના હતા તો ત્યાં પણ પહોંચી ગયા.

૧૯૧૭ના એપ્રિલ મહિનામાં ગાંધીજી ચંપારણ જાય છે અને ભારતીય રાજકારણમાં એક નવો યુગ શરૂ થાય છે. યાદ રહે, ગાંધીજીએ ચંપારણની લડાઈ કૉન્ગ્રેસનું નામ વાપર્યા વિના લડી હતી, કારણ કે કૉન્ગ્રેસી નેતાઓ માટે તો આ માફક ન આવે એવા દમદાર માણસનું શું કરવું અને તેની સાથે કેમ કામ પાડવું એનો કોયડો હતો.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 22 નવેમ્બર 2020

Loading

...102030...2,0782,0792,0802,081...2,0902,1002,110...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved