Opinion Magazine
Number of visits: 9573168
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શું અમિત શાહે અણુપરીક્ષણના વિરોધમાં વાજપેયીની આકરી ટીકા કરી હતી ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 December 2020

વિનય સીતાપતિ મારા ગમતા પત્રકાર અને લેખક છે અને તેનું મુખ્ય કારણ એ છે કે તેમણે મારા ગમતા વડા પ્રધાન પી.વી. નરસિંહ રાવનું રાજકીય જીવનચરિત્ર લખીને તેમને ન્યાય આપ્યો છે. ભારતના અર્થતંત્રને અને વિદેશનીતિને યોગ્ય સમયે નિર્ણાયક વળાંક આપનારા મુત્સદી વડા પ્રધાનની જેટલી કદર થવી જોઈએ એટલી થતી નથી. કૉનગ્રેસે તો તેમની ઉપેક્ષા કરવાનું પાપ કર્યું છે. આ વિનય સીતાપતિનું બીજું પુસ્તક પ્રકાશિત થયું છે જે નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય રાજકારણમાં આગમન પહેલાના ભારતીય જનતા પક્ષ વિશેનું છે. ‘જુગલબંધી: ધ બીજેપી બીફોર મોદી’ નામનાં પુસ્તકમાં જે જુગલબંધીની વાત આવે છે એ અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી વચ્ચેની જુગલબંધીની વાત છે. એ પુસ્તક હજુ મારા હાથમાં આવ્યું નથી, પણ એ પુસ્તક તેમાં આવતાં એક કથનને કારણે વિવાદમાં છે, એટલે આ લેખ લખવાનો પ્રસંગ બને છે.

૧૯૯૮માં અટલ બિહારી વાજપેયીની સરકારે અણુપરીક્ષણ કર્યું હતું, એ તમે જાણો છો. ૧૯૯૮નું અણુપરીક્ષણ ભારતનું બીજું પરીક્ષણ હતું, એ પહેલાં ઇન્દિરા ગાંધીએ ૧૯૭૪માં રાજસ્થાનમાં પોખરાણમાં પહેલું પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની સરકારે જ્યારે અણુપરીક્ષણ કર્યું, ત્યારે અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતવટો ભોગવતા હતા અને તેમને ગુજરાત બી.જે.પી.ના અંતર્ગત રાજકારણમાં માથું મારવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને ગુજરાતથી દૂર રાખવા બી.જે.પી.ના પંજાબ અને હરિયાણા એકમના પ્રભારી તરીકે ચંડીગઢ મોકલી દેવામાં આવ્યા હતા. આ બાજુ અત્યારના ગૃહપ્રધાન અમિત શાહ ત્યારે ૩૩ વરસની વયના એક વિધાનસભ્ય હતા અને ગુજરાતની બહાર ભાગ્યે જ કોઈ તેમને ઓળખતું હતું. વિનય સીતાપતિ કહે છે કે જ્યારે વાજેપેયીની સરકારે અણુવિસ્ફોટ કર્યો ત્યારે અમિત શાહે વાજપેયીની આકરી ટીકા કરતો પત્ર લખ્યો હતો અને વાજપેયીને પ્રસિદ્ધિભૂખ્યા માણસ તરીકે ઓળખાવ્યા હતા.

ના, એટલા માટે નહીં કે તેઓ શાંતિવાદી છે અને અણુશસ્ત્રોના વિરોધી છે. એટલા માટે પણ નહીં કે તેઓ જૈન છે અને અહિંસામાં માને છે. તેમણે તેમના પત્રમાં ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈનો હવાલો આપીને લખ્યું હતું કે અણુવિસ્ફોટ કરવાથી ભારત કાયમ માટે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર લશ્કરી પગલાં દ્વારા પાકિસ્તાન પાસેથી છોડાવવાની શક્યતા ગુમાવી દેશે. ભારતના પગલે પાકિસ્તાન અણુવિસ્ફોટ કરશે અને પાકિસ્તાન પણ અણુશક્તિ મેળવીને અણુશસ્ત્રો બનાવશે અને એ રીતે ભારત સામે લશ્કરી સરસાઈ મેળવી લેશે. પાકિસ્તાન એક વાર અણુશસ્ત્રો દ્વારા લશ્કરી સરસાઈ મેળવી લેશે એ પછી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરને જીતવું અશક્ય બની જશે.

વિનય સીતાપતિ કહે છે કે તેમણે પોતે અમિત શાહનો આવો કોઈ પત્ર જોયો નથી કે વાંચ્યો નથી, પરંતુ તેના ત્રણ મિત્રોએ એ પત્ર જોયો છે અને વાંચ્યો છે અને એ ત્રણ સૂત્રો ઉપર તેમને પૂરો ભરોસો છે અને માટે અમિત શાહના કથનને ટાંક્યું છે. સીતાપતિએ એ ત્રણ મિત્રોનાં નામ આપ્યાં નથી, પરંતુ દાવો કર્યો છે કે તેઓ તેમના કથનને વળગી રહે છે અને જો જરૂર પડશે તો પત્ર જોનારા અને વાંચનારા ત્રણેય મિત્રો બાજુમાં ઊભા રહેશે. એવો પ્રસંગ તો ત્યારે આવશે જ્યારે અમિત શાહ અદાલતના દરવાજા ખખડાવશે.

પહેલી ચર્ચા મોરારજી દેસાઈના કહેવાતા કથન વિશે. ભારતમાં અને વિશ્વમાં અનેક સુરક્ષા નિષ્ણાતો એમ માનતા હતા કે ભારત પરંપરાગત યુદ્ધમાં પાકિસ્તાનને સરસાઈ આપી શકશે, પરંતુ જો ભારત અણુશસ્ત્રો વિકસાવશે તો એ લશ્કરી સરસાઈ ગુમાવી દેશે કારણ કે આજકાલના યુગમાં અણુટેકનોલોજી મેળવવી મુશ્કેલ નથી અને પાકિસ્તાન એ મેળવી લેશે. ભારતે ૧૯૭૪માં પહેલીવાર અણુપરીક્ષણ કર્યું હતું અને ત્યારથી પાકિસ્તાને અણુશક્તિ વિકસાવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. અટલ બિહારી વાજપેયીએ અણુવિસ્ફોટ કરવાનો નિર્ણય લીધો એ પહેલાં જ ભારત અને પાકિસ્તાન અણુશસ્ત્રો બનાવવાને ઉંબરે આવીને ઊભા હતા. ૧૯૯૮માં ભારતે અણુવિસ્ફોટ ન કર્યો હોત તો પણ કોઈ ગુણાત્મક ફરક પડવાનો નહોતો તે ત્યાં સુધી કે ભારત અને પાકિસ્તાનના લશ્કરી સંતુલનમાં પણ કોઈ ફરક પડવાનો નહોતો. આમ લશ્કરી સંતુલન કે સરસાઈની વાત ૧૯૮૫ સુધીમાં પૂરી થઈ ગઈ હતી.

બીજું, હિન્દુત્વવાદીઓની નજર શું એકલા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ઉપર જ છે? તેમના અખંડ હિંદુસ્તાનમાં પાકિસ્તાન અને બંગલાદેશનો પણ સમાવેશ થાય છે અને ભારત માતાના નકશામાં તો ભારત, પાકિસ્તાન અને બંગલાદેશ ઉપરાંત નેપાળ અને શ્રીલંકાનો પણ સમાવેશ થાય છે. જો આજના અણુયુગમાં કોઈ પ્રદેશ લશ્કરી માર્ગે હડપવો શક્ય ન હોય અને લોકોનું હ્રદય જીતવાનો જ એક માત્ર માર્ગ ઉપલબ્ધ હોય તો નવી વાસ્તવિકતા સ્વીકારીને નવો માર્ગ અપનાવવો જોઈએ એમ નથી લાગતું? જે ચીપિયો વાગવાનો નથી એને પછાડતા રહેવાનો શો અર્થ? કાશ્મીરની ખીણમાં દોઢ વરસથી ભારત સરકારને જે અનુભવ થઈ રહ્યો છે એ આનું પ્રમાણ છે. કોઈ પણ પ્રકારના રાજકીય સંવાદ અને ઉપાય વિના કાશ્મીરનું કોકડું ગૂંચવાયેલું છે.

ત્રીજું, અમિત શાહે જો ખરેખર ઉક્ત પત્ર લખ્યો હોય અને અટલ બિહારી વાજપેયીને મોઢામોઢ ‘પ્રસિદ્ધિભૂખ્યા’ તરીકે ઓળખાવ્યા હોય તો ટીકા કરવાની મોકળાશ આપનારા અને લોકતંત્રની ખેવના કરનારા વાજપેયીની જેટલી કદર કરીએ એટલી ઓછી છે. અમિત શાહે વાજપેયી પાસેથી કેટલાક સંસ્કારોનું ગ્રહણ કરવું જોઈએ. જો વાજપેયી કિન્નાખોર સરમુખત્યાર હોત તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ક્યાં હોત?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 17 ડિસેમ્બર 2020

Loading

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળ બિલ્લોરી

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 December 2020

હૈયાને દરબાર

આકાશી આંબાને આવ્યો મોર અને છે જળબિલ્લોરી,
ચાંદની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.
આ વાદળનાં પાનાં ખોલી કોણ પઢાવે અમને નિશદિન,
ઠોઠ નિશાળી ફોરાં કરતાં શોર અને છે જળબિલ્લોરી.
ઘનઘોર ઘટાના મેળામાં જ્યાં વાગી ઢોલે થાપ જરી, કે –
આકાશી નટ રમતો બીજલ દોર અને છે જળબિલ્લોરી.
ધરતીના ખાંડણિયે નભની નાર કયું આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર અને છે જળબિલ્લોરી.
વરસાદે ભીંજાતાં-ન્હાતાં છોરાં શો કલશોર મચાવે,
કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી.

•   કવયિત્રી : ઉષા ઉપાધ્યાય    •   સંગીત અને સ્વર : નંદિતા ઠાકોર

સોશિયલ મીડિયાનાં જે કોઈ દૂષણો હોય એ, પરંતુ એનો એક મોટો ઉપકાર એ છે કે દેશ દેશાંતરના સર્જકોને જાણવાનો, સમજવાનો અને એમની કૃતિઓ માણવાનો મોકો દરેકને મળી શકે છે. ડો. ઉષા ઉપાધ્યાયના નામથી સાહિત્યપ્રેમીઓ તો પરિચિત હોય જ, પરંતુ, એમનાં સર્જનને માણવાનો લહાવો મને તો ફેસબુક દ્વારા જ મળ્યો. છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા તેઓ જૂઈ મેળો કરે છે, એ પણ અત્યંત સરાહનીય ઘટના છે. સોશિયલ મીડિયા દ્વારા જ મહદ્દ અંશે ઉષાબહેનને સાંભળવાનો મોકો પણ મળતો. રણકાદાર અવાજ, વિચારોની સ્પષ્ટતા તેમ જ મોહક સ્મિત સાથેનું એમનું વકતવ્ય ભાવકના હૃદયને સ્પર્શી જાય છે. જળ બિલ્લોરી શબ્દ જ મોહક છે, રિધમિક છે. એ કાવ્યનું પઠન કરવાની તો મજા આવે જ પરંતુ સંગીતબદ્ધ થયેલું વધુ કર્ણપ્રિય લાગે.

ડો. ઉષા ઉપાધ્યાય ગુજરાત વિધાપીઠનાં સિનિયર પ્રોફેસર અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. તેઓ જાણીતાં કવયિત્રી તથા વિવેચક પણ છે. આ ઉપરાંત સાહિત્ય ક્ષેત્રમાં તેમણે લોક સાહિત્ય, ભારતીય કવિતાઓ, સાહિત્યની સમાનતાઓ અને મહિલાઓ અંગેના વિષયો ઉપર ઘણું કામ કર્યું છે. સંશોધન સર્જનાત્મક સાહિત્ય સંપાદનો એમનો રસનો વિષય છે. વિદ્યાપીઠ એમને માટે તીર્થ સમાન છે. નાનપણથી જ શબ્દ સાથે ઊંડો સંબંધ. ઘરમાં સાહિત્યનું વાતાવરણ હતું. માતા-પિતાએ એમને પહેલો પરિચય પુસ્તકોનો જ કરાવ્યો હતો. ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ‘ઇલિયડ’નો ગુજરાતી અનુવાદ શાળા કક્ષાએ જ વાંચી લીધો હતો. પ્રકૃતિ પ્રેમી પણ ખરાં. કાવ્યયાત્રા કેવી રીતે શરૂ થઈ એ વિશે ઉષાબહેન કહે છે, " પહેલેથી જ હું પ્રકૃતિની નજીક રહી છું. મારા પિતા ઘનશ્યામ ત્રિવેદી ગુજરાત વિદ્યુત બોર્ડમાં હોવાને લીધે પપ્પાનું પોસ્ટિંગ જુદી જુદી જગ્યાઓએ થયાં કરતું. એ રીતે મારું બાળપણ બિલિમોરામાં વીત્યું. દક્ષિણ ગુજરાત એ હરિયાળો પ્રદેશ. એની ઘેઘૂર વનસ્પતિનો લાભ મને ભરપૂર મળ્યો. ઉમાશંકર જોશીની પંક્તિઓ; વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ ..!ની દીક્ષા નાનપણમાં જ મળી. અખૂટ ઉત્સાહ અને સૌંદર્યના પાઠ પ્રકૃતિ પાસેથી શીખી.

સાહિત્ય રૂચિ ઘડનારી પાઠશાળા એ પુસ્તકાલયો. ‘સોપાન', ગુણવંત આચાર્ય સહિત કેટલા ય લેખકો નાનપણમાં જ વાંચી લીધા હતા. આ લાઈબ્રેરીમાં બાલ સામયિકોનો અખૂટ વૈભવ. પિતા સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા. એટલે રાષ્ટ્રપ્રીતિનો વારસો એમની પાસેથી તથા સાહિત્યનો વારસો માએ આપ્યો. ગીતોનો લય નાનીમાને લીધે કેળવાયો. એ ખૂબ હલકથી ધ્રોળ, ભજનો ગાતાં. કવિતા લખવાનો આરંભ એફ.વાય.બી.એ.માં હતી ત્યારે થયો. ઝવેરચંદ મેઘાણીના પ્રભાવે સૌ પ્રથમ ગીત લખ્યું. એ વખતે છંદો શીખવાની મથામણ હતી, તેથી કોલેજના વિદાય સમારંભમાં મેં પ્રોફેસરોનાં નામને સોનેટમાં ગૂંથીને એને શિખરિણીમાં ગાયું હતું. પ્રકૃતિ, કાવ્યસર્જન સાથે સમાજના પ્રશ્નોની ઊંડી ચિંતામાં કાર્લ માર્કસનું દાસ કેપિટલ પણ વાંચી લીધું હતું. ૧૯૭૯માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાભવનમાં જોડાઈ. પશ્ચિમી દેશોના સાહિત્યના અનુવાદો વાંચ્યાં પછી કવિતાની ધાર નીકળતી ગઈ. માતૃત્વ અને પીએચ.ડી.ની પદવી એ કસાથે ૧૯૮૨માં મળી. ૧૯૮૫થી કાવ્ય અને વિવેચન સતત ચાલ્યા. પરિષદમાં સક્રિય થઈ.

જળ બિલ્લોરી કાવ્યની વાત કરું તો એ મારા કુદરતપ્રેમની જ અભિવ્યક્તિ છે. વરસાદના ગાઢ અનુભવ અને વૃષ્ટિનો પ્રભાવ મારા મનને હંમેશાં તરબતર કરે છે. વરસાદનાં બદલાતાં ચિત્રો એમાં અનાયાસે વ્યક્ત થયાં છે. આ ગીત સૌથી પહેલું નંદિતા ઠાકોરે સ્વરબદ્ધ કર્યું. સૂર-સ્વરમાં શબ્દો નીખરી ઊઠ્યાં. મારા પ્રકૃતિપ્રેમને લીધે કવિતામાં કલ્પનો સાહજિક ગૂંથાઈ આવે છે. કાવ્યરીતિમાં આ કલ્પનો મારી અભિવ્યક્તિને જુદી પાડે છે.

ધરતીના ખાંડણિયે નભની નાર કયું
આ ધાન છડે છે!
ઝીંકાતા આ સાંબેલાનું જોર
અને છે જળબિલ્લોરી ..!

આ પંક્તિઓ બધાંને બહુ ગમે છે. ધરતીરૂપી ખાંડણિયો આ સાંબેલાધાર વરસાદ જાણે કોઈ ધાનને છડે છે. અને છડનાર કોણ છે? એ તો છે નભની નાર, વિરાટ નારી જે વરસાદથી ધાન ખાંડી રહી છે. મને પોતાને જ થાય કે આ કાવ્ય મેં લખ્યું કેવી રીતે? શક્ય છે વરસાદના ગાઢ અનુભવો તથા વૃષ્ટિએ મારી ચેતનામાં ઊંડે સુધી પ્રભાવ જન્માવ્યો હશે.

આ ગીતને સ્વરબદ્ધ કરીને ગાનાર કવયિત્રી નંદિતા ઠાકોર વાગ્ગેયકાર કહી શકાય. અમેરિકામાં ‘સ્વરાંકન’ નામે સુગમ સંગીતનું ગૃપ ચલાવે છે. ‘અમે-તમે અને આપણે’ નામની ફેસબુક સિરીઝમાં એમણે અનેક નામી-અનામી બહેનોનાં સર્જનને રજૂ કર્યાં છે, જે હવે એમની યુટ્યુબ પર પણ સાંભળી શકાય છે. આ ગીત વિશે નંદિતા ઠાકોર કહે છે, "મારે ક્યાંક કાવ્યપઠન કરવાનું હતું ત્યારે મારા પપ્પાએ આ કાવ્ય સૂચવ્યું હતું. જળ બિલ્લોરી શબ્દનો લય મને બહુ ગમ્યો. શબ્દ અને કાવ્ય બન્નેમાં અપાર શક્યતાઓ રહેલી છે. તમે પેઈન્ટર હો તો એમાં ચિત્રો દેખાય, ડાન્સર હો તો નૃત્ય દેખાય, મૂવમેન્ટ્સ કરવાનું મન થાય. મને પણ તરત કમ્પોઝ કરવાનું થયું હતું. જો કે, પછી એ ઘણાં વર્ષે થયું. માત્ર કવયિત્રીઓની રચનાઓનો શો બે વર્ષ પહેલાં અમેરિકામાં કર્યો ત્યારે જે રીતે મનમાં આવ્યું એ જ રીતે કમ્પોઝ થયું. આ ગીત અમે પાંચ છ બહેનોએ સાથે ગાયું હતું. બધાને બહુ જ ગમ્યું. સેકન્ડ અંતરામાં વેરીએશન લઈને તબલાંના બોલ બોલીને નાખ્યા. પછી તો એ ઘણી વાર ગવાયું. ઉષાબહેનનું એક હરિગીત મીરાં ને મેવાડ … પણ અનાયાસે કમ્પોઝ થઈ ગયું હતું. પરંતુ, જળ બિલ્લોરી ગીત મને ગાવાની ખૂબ મજા આવે છે.

ડો. ઉષા ઉપાધ્યાયનું ગુજરાત મહિમાનું એક સરસ કાવ્ય તથા અન્ય ગીત ઝંખનાની ઝીણેરી જ્વાલા … રાગ કિરવાણીમાં જાણીતાં ગાયિકા માયા દીપકે સુંદર પ્રસ્તુત કર્યું છે. દીપોત્સવી પર્વના આરંભે વાક્‌બારસના દિવસે નૈસર્ગિક પ્રતિભા ધરાવતાં સંગીતજ્ઞ, સ્વરકાર અને ગાયક ડો. ફાલ્ગુની શશાંકે ઉષાબહેનની સ્તુતિ, તું અખિલ છે, તું નિખિલ છે…ને અત્યંત ભાવવાહી રીતે સ્વરબદ્ધ કરીને કંઠ આપ્યો હતો. આમ, ઉષાબહેનનાં અનેક ગીતો જુદા જુદા કલાકારોએ ગાયાં છે. એ સાંભળવાની તક સોશિયલ મીડિયા દ્વારા મળી, એટલો એનો આભાર!

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 ડિસેમ્બર 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=671370   

Loading

એક અમર પ્રેમકથા

હિમાંશી શેલત|Opinion - Opinion|16 December 2020

તિર્યકી

અમે અમને ખૂબ ચાહીએ છીએ. મહામારીના સમયમાં અમારી ખુદ માટેની ચાહના બેહદ વધી ગઈ છે. ધીરેધીરે પ્યાર કો બઢાના હૈ … હદ સે ગુઝર જાના હૈ … આ ગીત અમે રોજ સવારે ગાઈએ છીએ. દિવસરાત એક જ ધૂન છે, શું કરીએ તો અમે અમારા માટેનો પ્રેમ પ્રગટ કરી શકીએ. લાંબા વિચારને અંતે અમે વિચારતી વખતે માસ્ક પહેરવાનું માંડી વાળ્યું છે. એમાં વૈચારિક અવરોધ ઊભો થાય છે, શ્વાસને મોકળાશ ન મળતી હોવાથી વિચારો પર પાબંધી આવી જાય છે. આથી અમે વિચારવાનું ન હોય ત્યારે જ માસ્ક પહેરીએ છીએ.

જાત માટેનો પ્રેમ દર્શાવવાનો ઉત્તમ માર્ગ વર્ષગાંઠ ઊજવવાનો છે; અને એ સમજાતાં અમે એ અપનાવ્યો છે. એમાં કયો અપરાધ થયો? હા, જાહેરમાર્ગ પર કેક કાપવી અને લોકોને એ ખવડાવવી (એમણે પહેરેલાં માસ્ક ખસેડીને) એ કદાચ યોગ્ય નહીં હોય, અને કેટલાક ડાહ્યાઓએ અમારી ટીકા સુધ્ધાં કરી પણ અમે કંઈ એવું બધું માની લઈએ એવા કાચા નથી. દેશમાં લોકશાહી છે, પ્રજા સ્વતંત્ર છે, (કોઈ શક?) તો વર્ષગાંઠનો ઉત્સવ મનાવ્યો, જરા નાચગાન થયાં, ભેટંભેટી થઈ, તો શો વાંધો પડી ગયો? બધાં માંદા પડીને મરી પરવાર્યાં? અમને અમે ખૂબ પસંદ છીએ, તો એ અમારાથી બતાવી ન શકાય? એટલી સ્વતંત્રતા પણ અમારી નહીં?

– તો સારે પ્રસંગે અમે અમારા પ્રશંસકોને જરાક બોલાવ્યા, અમને કોઈ મોટો હોદ્દો મળ્યો હોય ત્યારે લોકો શું હારતોરાયે ન પહેરાવે? હવે હાર કંઈ વેગળેથી ફેંકાય? દો ગજ દૂરીમાં માનો કે હાર ફેંક્યો, અને અમારી ગરદનને બદલે કોઈ અન્યની ગરદનમાં પડ્યો તો? અને મીઠાઈ તો નજીક આવીને જ ખવડાવાયને ? કંઈ એમ થોડું કહેવાય, કે ‘ચલો, આ … કરો જોઉં’ અને એમ બોલીને કાજુકતરી નિશાન તાકી ફેંકાય? અમારી ટીકા થાય છે, કે સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા. તે સોશિયલ થયા, નામ થયું, હોદ્દા મળ્યા, સેવામેવાની તક મળી, પછી વળી ડિસ્ટન્સ કેવું? આ સઘળું અમે નામદાર કોર્ટને સમજાવી નથી શક્યા એ અમારી ખામી ગણાય. હકીકતમાં અમારી રજૂઆત એટલી અસરકારક હોવી જોઈતી હતી કે કોઈને કશું કહેવાપણું ન રહે.

– અને અમે અમને ખૂબ ગમીએ, એટલે અમે અમને સુંદર કપડાં પહેરાવ્યાં, પ્રસંગને અનુરૂપ. ખેસબેસ પણ સરસ નવા નક્કોર ઠઠાડ્યાં, અને શાનદાર ઢબે બહાર પડ્યા. કેટલું તેજ અમારી આસપાસ દેખાતું હશે, ત્યાર વિના કંઈ ટોળાં અમારા અભિવાદન માટે, ભેટવા માટે, હાર પહેરાવવા માટે દોડ્યાં હશે? તમે જ કહો, એ ક્ષણે અમે મોં સંતાડીએ તો અમારા જેવા નપાવટ કોણ? અમે હિંમતભેર ઊભા રહ્યા, અચલ, મનોહર સ્મિત સાથે, માસ્ક એટલે જ નીચે સરકાવ્યો, જેથી અમારું હાસ્ય સહુને પ્રસાદ રૂપે મળે. પ્રજાના સેવક છીએ, પ્રજાનું મન રાખવું એ અમારો ધર્મ છે. અમે પ્રજા માટે જ નાચ્યા, એમને માટે જ મોટી-મોટી કેક બનાવડાવી, એમને માટે જ તો ગળું રૂંધાઈ જાય એવડા વજનદાર હાર પહેરી લીધા અને તમે અમારો જ વાંક કાઢો? અન્યાય! ઘોર અન્યાય!

– તોયે અમે અમને બહુ વહાલા, ઘણા પસંદ, અમે અમારા મોટા ચાહક, પ્રશંસક, પ્રેમી, હિતરક્ષક, શુભેચ્છક, સર્વસ્વ. તમે જ કહો, અમે જે કર્યું એનાથી અલગ અમે કશું કરી શકીએ એમ લાગે છે તમને? દિલ ફાડીને અમે અમારી જાતને ચાહી છે, ચાહીએ છીએ અને ચાહીશું. બોલો, હવે? કોરોના-બોરોના આવે એટલે અમે બદલાઈ જઈએ ? હોતું હશે એવું ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2020; પૃ. 16

Loading

...102030...2,0522,0532,0542,055...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved