Opinion Magazine
Number of visits: 9572896
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નોખો ચોકો અને નોખી ઓળખ જાળવીને ભારતીય ન બનાય

રમેશ ઓઝા|Opinion - Opinion|20 December 2020

ગાંધીજી ભારતમાં આવ્યા એ પછી તેમણે ભારતીય રાજકારણનું સ્વરૂપ બદલી નાખ્યું એમાં ગાંધીજીના ત્રણ ગુણોએ કામ કર્યું હતું, જેમાંથી પ્રામાણિકતા તેમ જ પ્રજા સાથેની તાદાત્મત્યાના અને નિર્ભયતા એમ બે ગુણોની ચર્ચા આપણે કરી ચુક્યા છીએ. ત્રીજો ગુણ હતો રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના. આ મુદ્દો પણ ભારતના વર્તમાન રાજકારણને સમજવા માટે જરૂરી છે. ગાંધીજીને શા માટે ગાળો આપવામાં આવે છે એનો જવાબ પણ એમાંથી જડશે.

૧૯૧૬ના ડિસેમ્બરમાં લખનૌમાં કૉંગ્રેસનું અધિવેશન મળ્યું હતું, જેમાં હિંદુઓ અને મુસલમાનો વચ્ચે સમજૂતી થઈ હતી એ વાત અહીં કહેવાઈ ગઈ છે. મોરલે-મિન્ટો સુધારા હેઠળ ગવર્નરની કાઉન્સિલમાં મુસલમાનોને તેમની સંખ્યાના પ્રમાણમાં અધિક બેઠકો ફાળવવાની એ સમજૂતી હતી. અંગ્રેજોએ ભારતમાં સત્તાની વહેંચણીમાં કોમી વિભાજન કર્યું હતું જે હિંદુઓ અને મુસલમાનોએ માન્ય રાખ્યું હતું. ભારતના બંધારણનો ખરડો તૈયાર કરવામાં જેમનો સિંહફાળો હતો, એ કનૈયાલાલ મુનશીએ મોરલે-મિન્ટો સુધારાને પાકિસ્તાનના બીજ તરીકે અને લખનૌ સમજૂતીને ટુ નેશન થિયરીના ખીલેલા સ્વરૂપ તરીકે ઓળખાવ્યા છે. આપણે એ પણ જોઈ ગયા કે લખનૌના અધિવેશનમાં ગાંધીજી હાજર હતા, પરંતુ તેમાં દક્ષિણ આફ્રિકાના હિંદીઓને ન્યાય મળે એવી માગણી કરતા ઠરાવથી વધારે તેમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. લખનૌમાં ‘હિંદુઓ’ વતી લોકમાન્ય તિલક અને ‘મુસલમાનો’ વતી મહમ્મદ અલી ઝીણા વચ્ચે કરાર થયા હતા. આનો અર્થ એ થયો કે કૉંગ્રેસ હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે છે એવો મુસ્લિમ લીગના નેતાઓનો દાવો કૉંગ્રેસના નેતાઓને કબૂલ હતો.

ગાંધીજીના જે ત્રણ પ્રદાનની આપણે વાત કરી રહ્યા છે એમાં ત્રીજા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતનાની પ્રાસંગિકતાની વાત હવે આવે છે. હિંદુઓ અને મુસલમાનો વચ્ચે કોમી ધોરણે થયેલી લખનૌ સમજૂતી આ રીતની છેલ્લી સમજૂતી હતી. કૉંગ્રેસનું નેતૃત્વ ગાંધીજી પાસે આવ્યું એ પછી ગાંધીજીએ આગ્રહ રાખ્યો હતો કે હવે પછી ભારતીય રાજકારણ તેના દરેક અર્થમાં ભારતીય હશે અને અંગ્રેજો પાસેથી જે કાંઈ માગવાનું હશે એ ભારતીય પ્રજા માગશે અને જો તેને માટે લડવાનું આવશે તો ભારતીય પ્રજા લડશે. હિંદુ, મુસલમાન, બહુજન સમાજ, સવર્ણ, દલિત, શીખ, આર્ય, દ્રવિડ વગેરે દરેક ઓળખો ભારતીય રાજકારણની વિરોધી છે, રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ચેતના વિકસાવવામાં બાધારૂપ છે એટલે તેને તિલાંજલિ આપવામાં આવશે.

ગાંધીજી ભારત આવ્યા અને તેઓ જ્યારે દરેક પ્રકારના સમાજવિશેષના રાજકારણને નકારતા હતા, ત્યારે જ ભારતીય નેતાઓને અચરજ તો થતું જ હતું કે આ માણસ છે તો દમદાર પણ આપણા કામનો નથી. એમાં ચંપારણના સત્યાગ્રહે નવી જ ભાતના રાજકારણનો પરિચય કરાવ્યો. એ એવી લડત હતી જે ચંપારણની ગરીબ શોષિત ભારતીય પ્રજાએ અંગ્રેજ શોષકો સામે લડી હતી. એમાં કોઈ જ પ્રકારના પ્રજાકીય ભેદ નહોતા. જે ફરક હતો એ શોષક અને શોષિત વચ્ચેનો હતો. ચેતના અને ગુલામી વચ્ચેનો હતો. ભય અને નિર્ભયતા વચ્ચેનો હતો. ભારતના ઇતિહાસમાં પહેલી વાર ભારતીય સિવાયની બાકીની બધી ઓળખો પાછળ ધકેલાઈ ગઈ હતી. માટે ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના પુસ્તક ‘ચંપારણ મેં મહાત્મા ગાંધી’ નામના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ચંપારણના સત્યાગ્રહે ભારત વર્ષની આંખો ખોલી આપી હતી.’

કૉંગ્રેસે જો ભારતીય રાજકીય પક્ષ કે મંચ બનવું હોય તો કૉંગ્રેસે સર્વસમાવેશક બનવું પડે, એકલા હિંદુઓનું પ્રતિનિધિત્વ કરે એ ન ચાલે. જો કૉંગ્રેસે ભારતીય બનવું હોય તો તેમાં પછાત કોમના હિંદુઓને અને અસ્પૃશ્યોને પણ સાથે લેવા પડે, એકલા સવર્ણોનું પ્રતિનિધિત્વ કરે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો આદિવાસીઓને અને બીજા છેવાડાના માણસોને સાથે લેવા પડે, એકલા ભદ્ર વર્ગની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો દક્ષિણ ભારતના દ્રવિડ લોકોને પણ સાથે લેવા પડે, એકલા ઉત્તર ભારતીય સવર્ણ હિંદુઓની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો સ્ત્રીઓને સાથે લેવી પડે, એકલા પુરુષોની બની રહે એ ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો ભારતની પ્રજા જે ભાષા સમજી શકે એ ભાષામાં બોલવું પડે, મુઠ્ઠીભર લોકો બોલે અને સમજે એવી અંગ્રેજી ભાષામાં વહેવાર ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો ભારતની સરેરાશ પ્રજા જે રીતે જીવતી હોય એમ જીવતાં થવું પડે, વૈભવી જીવનશૈલી ન ચાલે. કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો પ્રજાની વચ્ચે ગામડાંમાં જવું પડે, અંગ્રેજીમાં બોલતી અને વિચારતી શહેરી ભદ્રવર્ગીય બની રહે એ ન ચાલે. ટૂંકમાં, કૉંગ્રેસે જો ભારતીય બનવું હોય તો તે કોઈને ય પણ બહાર રાખી ન શકે.

પ્રજાના મનમાં ગાંધીજી માટેના અનુરાગનું અને એ સમયના પ્રસ્થાપિત નેતાઓમાંથી કેટલાકના મનમાં ગાંધીજી માટેના તિરસ્કારનું કારણ આ છે. ગાંધીજીએ કૉંગ્રેસના દરવાજા ખોલી નાખ્યા. ભારતની તમામ પ્રજાને વિના શરતે કૉંગ્રેસમાં પ્રવેશનો માર્ગ મોકળો કરી આપ્યો. ગાંધીજી હજુ એક ડગલું આગળ વધે છે. તેમણે માત્ર કૉંગ્રેસના દરવાજા નહોતા ખોલ્યા, કૉંગ્રેસને લોકોના દરવાજે પહોંચાડી. એમ કહેવાય છે કે ભારતમાં અંગ્રેજોના આગમન પછી ભારતના પ્રત્યેક ગામડે પોસ્ટમેન પહોંચ્યો અને ગાંધીજીના આગમન પછી ભારતના પ્રત્યેક ગામડે કૉંગ્રેસમેન પહોંચ્યો. કૉંગ્રેસ ખરા અર્થમાં રાષ્ટ્રીય બની ગઈ. આનો નાનકડો પરિચય ચંપારણમાં જ કરાવી દીધો હતો. ચંપારણમાં બિહારના નેતાઓ પોતપોતાના નોકરો અને રસોયાઓને લઈને આવ્યા હતા. ગાંધીજી પોતાનાં કપડાં પોતે ધોતા હતા અને સામૂહિક રસોડે જમીને પોતાનાં વાસણ તો ઠીક પણ રસોઈનાં વાસણ પણ માંજતા હતા. ધીરેધીરે બિહારના નેતાઓએ શરમાઈને રસોયાઓને નોકરોને ઘરે રવાના કરી દીધા હતા એમ રાજેન્દ્રબાબુએ નોંધ્યું છે.

ગાંધીજીના નવા અભિગમના કારણે માત્ર કૉંગ્રેસનું કલેવર જ નહોતું બદલાયું, ભારતના રાજકારણનો ચહેરો પણ બદલાયો હતો. પરિવર્તન આમૂલાગ્ર હતું એટલે દરેક પ્રસ્થાપિત નેતાએ અને જે તે સમાજોએ નક્કી કરવાનું હતું કે પોતાનું વલણ બદલીને ભારતીય રાષ્ટ્રીય યજ્ઞમાં સમિધા બનીને હોમાઈ જવું કે પછી નોખો ચોકો અને નોખી ઓળખ જાળવી રાખવાં.  હવે જે તે સમાજવિશેષના પ્રતિનિધિ તરીકે શરતો અને સમજૂતીઓ કરવાની નહોતી, પણ એક અવાજમાં અને એક ભાષામાં બોલવાનું હતું. હવે લોકભાષામાં બોલવાનું હતું, લોકોની જેમ જીવવાનું હતું, જમીન ઉપર બેસવાનું હતું અને પોતાનાં કપડાં પોતે કાંતી લેવાનાં હતાં. ૧૯૧૯-૧૯૨૦ની સાલમાં ભારતમાં એવો એક પણ નેતા અને સમાજ નહોતો જેણે ગાંધીજીનું શું કરવું એવો નિર્ણય લેવો ન પડ્યો હોય. એક પણ નહીં.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 20 ડિસેમ્બર 2020

Loading

ચલ મન મુંબઈ નગરી—75

દીપક મહેતા|Opinion - Opinion|19 December 2020

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી ત્રણ સ્કૂલ શરૂ થઇ મુંબઈમાં

મુંબઈમાં પ્રગટ થયાં પહેલવહેલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો

સરકારે પાઠ્ય પુસ્તકો વેચવાને બદલે કેમ મફત વહેંચવાં પડ્યાં?

સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત,
તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત.
તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે,
પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.

(પ્રેમાનંદ કૃત ‘સુદામાચરિત્ર’)

એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. હકીકતમાં ઓગણીસમી સદીની પહેલી પચ્ચીસી સુધી આવી નિશાળો મુંબઈમાં અને બોમ્બે પ્રેસિડેન્સીનાં બીજાં શહેરોમાં અને કેટલાંક ગામડાંઓમાં ફેલાયેલી હતી. પછીથી તેને આપણે ‘ધૂડી નિશાળ’ તરીકે ઓળખતા થયા. એમાં વાચન-લેખન અને ગણિત સિવાય બીજા કોઈ વિષયો ભાગ્યે જ શીખવાતા. એ નિશાળોના ભણતરના પાયામાં ‘માસ્તર’ કે ‘’પંતુજી’ હતા, પુસ્તકો નહિ. એટલે કૂવામાં હોય તે હવાડામાં આવે એ ન્યાયે માસ્તર જેવું અને જેટલું ભણાવે તેવું અને તેટલું છોકરાઓ ભણતા – છોકરીઓને નિશાળે મોકલવાની તો કોઈને જરૂર જણાતી જ નહોતી. આ નિશાળોમાં જ્યારે છોકરો ભણવા બેસે ત્યારે માસ્તરને બે પાવલી – આજના ૫૦ પૈસાની દક્ષિણા આપવામાં આવતી. છોકરાને ઊંધી થાળી પર લખતાં શીખવવાનું શરૂ થાય ત્યારે માસ્તરને દક્ષિણામાં એક રૂપિયો મળતો અને અભ્યાસ પૂરો કરીને છોકરો નિશાળ છોડે ત્યારે માસ્તરને બેથી પાંચ રૂપિયાની દક્ષિણા મળતી. આ રોકડા રૂપિયા ઉપરાંત રોજેરોજ જ્યારે છોકરો ભણવા જાય ત્યારે મૂઠી – બે મૂઠી અનાજ માસ્તર માટે લઈ જતો. બ્રાહ્મણના છોકરાઓએ માસ્તરને દક્ષિણારૂપે કશું જ આપવાનું રહેતું નહોતું. 

ઓગણીસમી સદીના આરંભે હજી દેશમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું. પણ એ રાજવટ ચાલુ રાખવા માટેની મંજૂરી કંપનીએ વખતો વખત બ્રિટનની પાર્લામેન્ટ પાસેથી મેળવવી પડતી અને દરેક વખતે મંજૂરી આપતાં પહેલાં પાર્લામેન્ટ નવી શરતો ઉમેરતી. ૧૭૯૩માં જ્યારે કંપની સરકારનો પરવાનો રિન્યૂ કરવાનો થયો ત્યારે સરકાર પોતાની આવકનો એક નાનકડો હિસ્સો ‘દેશીઓ’ – નેટીવ્ઝ – ના શિક્ષણ પાછળ ખર્ચે એવી કલમ ઉમેરવાની હિમાયત કેટલાક સજાગ અંગ્રેજોએ કરેલી. પણ તે વખતે તેમને સફળતા ન મળી. પછી ૧૮૧૩માં જ્યારે પરવાનો રિન્યૂ કરાવવાનો થયો ત્યારે કંપની સરકારે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ રૂપિયા ‘દેશીઓ’ના શિક્ષણ માટે અને તેમના સાહિત્યના ઉત્કર્ષ માટે ખરચવા એવી કલમ ઉમેરવાનું શક્ય બન્યું. આ એક લાખ રૂપિયાની રકમ આખા બ્રિટિશ ઇન્ડિયા માટે હતી, માત્ર બોમ્બે પ્રેસિડેન્સી માટે નહિ. આ કલમનો લાભ લઈને શિક્ષણ માટે એક સોસાયટી ઊભી કરવાની પહેલ બોમ્બે પ્રેસિડેન્સીના અંગ્રેજોએ કરી. ૧૮૧૫ના જાન્યુઆરીની ૨૯મી તારીખે મુંબઈમાં વસતા કેટલાક અંગ્રેજોએ એક બેઠકમાં લાંબું લચક નામ ધરાવતી ‘સોસાયટી ફોર પ્રમોટિંગ ધ એજ્યુકેશન ઓફ ધ પૂઅર વિધિન ધ ગવર્નમેન્ટ ઓફ બોમ્બે’ નામની સંસ્થાની સ્થાપના કરી. ભલું થજો કેટલાક સમજુ અંગ્રેજોનું કે થોડા વખતમાં જ આ લાંબું લચક નામ બદલીને તેનું ટૂંકુ નામ રખાયું: ‘ધ બોમ્બે એજ્યુકેશન સોસાયટી.’

ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન

૧૮૧૮માં આ સોસાયટીએ એક મહત્ત્વનું પગલું લીધું. તેણે મુંબઈમાં કેવળ ‘દેશી’ છોકરાઓ માટે ત્રણ સ્કૂલ શરૂ કરી – એક મુંબઈના કોટ વિસ્તારમાં, બીજી ગિરગાંવ વિસ્તારમાં, અને ત્રીજી મઝગાંવ વિસ્તારમાં. તેમાંની પહેલી સ્કૂલ ૧૮૧૮ના ઓગસ્ટની ૧૨મી તારીખે શરૂ થઇ ત્યારે તેમાં ૪૦ છોકરાઓ દાખલ થયા હતા. પણ થોડા જ વખતમાં આ સંખ્યા વધીને ૯૦ જેટલી થઇ. ૧૮૧૮ના ડિસેમ્બરમાં શરૂ થયેલી ગિરગાંવની સ્કૂલમાં શરૂઆતમાં ૪૫ અને મઝગાંવની સ્કૂલમાં ૨૦ છોકરા દાખલ થયા. સોસાયટીના ૧૮૧૯ના ચોથા વાર્ષિક અહેવાલમાં આ નવી સ્કૂલો વિષે માહિતી આપવામાં આવી છે. તેની સાથોસાથ જ બે મુશ્કેલીઓનો પણ ખાસ ઉલ્લેખ કર્યો છે. એક, દેશીઓ માટેની સ્કૂલોમાં શીખવી શકે તેવા શિક્ષકોની અછત. અને બીજી, આ સ્કૂલોમાં શીખવી શકાય તેવાં દેશી ભાષાઓમાં છાપેલાં પુસ્તકોનો લગભગ અભાવ. એટલે નવાં પાઠ્ય પુસ્તકો તૈયાર કરવાં એમ સોસાયટીએ નક્કી કર્યું. પણ તે માટેના પૈસા?

બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી મુંબઈની એક સ્કૂલ

નવાં પુસ્તકો તૈયાર કરાવવાની સોસાયટીના મનની મુરાદ મનમાં જ રહી જાત, કારણ તે માટેનાં આર્થિક સાધનો તેની પાસે નહોતાં. પણ ત્યાં જ બોમ્બે પ્રેસિડેન્સીના સારા નસીબે ૧૮૧૯ના નવેમ્બરની પહેલી તારીખે માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નર બન્યા. સોસાયટી શરૂ થઇ ત્યારથી ગવર્નર તેના પ્રમુખ બને એવો ચાલ હતો. એટલે ૧૮૧૯માં એલ્ફિન્સ્ટન સોસાયટીના પ્રમુખ બન્યા. ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકોના અભાવ અંગેની મુશ્કેલી તરત તેમના ધ્યાનમાં આવી. તેમણે કહ્યું : પાઠ્ય પુસ્તકો નથી? તો ચાલો, આપણે જ તૈયાર કરી છાપીએ. ૧૮૨૦ના ઓગસ્ટની ૧૦મી તારીખે તેમના પ્રમુખપદે મળેલી સોસાયટીની વાર્ષિક સભામાં ‘ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટી’ની સ્થાપના કરવામાં આવી. તેનું અલગ ભંડોળ રચવા માટે તાત્કાલિક ઉઘરાણું કરવામાં આવ્યું. તેમાં એલ્ફિન્સ્ટને અંગત રીતે ૬૦૦ રૂપિયા આપ્યા અને દર વર્ષે ૩૦૦ રૂપિયા આપવાનું વચન આપ્યું. થોડા વખતમાં ૪,૨૫૦ રૂપિયાનું ભંડોળ એકઠું થયું અને દર વર્ષે ૧,૮૮૧ રૂપિયાના દાનનાં વચનો મળ્યાં. કુલ ૫૭ વ્યક્તિ પાસેથી દાન મળ્યાં હતાં. તેમાંના ૪ — દેવીદાસ હરજીવનદાસ, નાગરદાસ હિરજી મોદી, રઘુનાથ જોશી, વેન્કોબા સદાશિવ હિંદુ હતા અને ૪ —  ફરામજી કાવસજી, હોરમસજી બમનજી, જમશેદજી બમનજી, જમશેદજી જીજીભાઈ પારસી હતા. દાન આપનારા બાકીના બધા અંગ્રેજો હતા.

૧૮૨૩ના સપ્ટેમ્બર સુધીમાં આ કમિટીએ આટલાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પ્રગટ કર્યાં હતાં : (૧) લિપિધારા, ૭૨૫ નકલ, રૂ. ૩ (૨) એડવાઈઝ ટુ ચિલ્ડ્રન ઇન શોર્ટ સેન્ટન્સીસ, ૭૮૨ નકલ, રૂ. ૩ (૩) ટેબલ્સ ઇન બનિયન ગુજરાતી, ૧૯૫ નકલ, રૂ. ૩ (૪) ટેબલ્સ ઇન પારસી ગુજરાતી, ૧૦૦ નકલ, રૂ. ૩ (૫) અ ટ્રિટાઈઝ ઓન ધ મેનેજમેન્ટ ઓફ સ્કૂલ્સ, ૧,૦૦૦ નકલ, રૂ. ૩ (૬) લેફ્ટનન્ટ કર્નલ કેનેડીએ તૈયાર કરેલો શબ્દકોશ, રૂ. ૧૨ (છેલ્લાં બે પુસ્તકો વિદ્યાર્થીઓ માટે નહિ, શિક્ષકો માટે હતાં.) આપણે ત્યાં એક એવો ભ્રમ પ્રચલિત થયો છે કે અમદાવાદમાં તૈયાર થયેલા અને ૧૮૫૯માં પ્રગટ થયેલા હોપ વાચન માળાના સાત ભાગ તે ગુજરાતી ભાષાનાં પહેલાં પાઠ્ય પુસ્તકો. પણ હકીકતમાં પહેલાં પાઠ્ય પુસ્તકો તો ૧૮૨૩ સુધીમાં પ્રગટ થયેલાં આ છ પુસ્તકો.

૧૮૨૩ના અરસામાં સોસાયટીએ ગુજરાતી અને મરાઠી પાઠ્ય પુસ્તકો પ્રગટ કરીને પોતાના કામની શરૂઆત તો કરી દીધી, પણ એ પ્રગટ થતાંવેંત બે અણધારી મુશ્કેલી આવી પડી. છાપેલાં પુસ્તકો અને નવી સ્કૂલો પોતાના પેટ પર પાટું મારશે એ વાત ધૂડી નિશાળોમાં ભણાવતા ચતુર માસ્તરો તરત કળી ગયા. એટલે તેમણે લોકોમાં એવી અફવા ફેલાવી કે આ પાઠ્ય પુસ્તકો છાપવા માટે વપરાયેલી શાહીમાં પશુની ચરબી ભેળવવામાં આવી છે અને તેનો ખરો હેતુ હિન્દુઓને વટલાવવાનો છે. અલબત્ત, આ કેવળ જુઠ્ઠાણું હતું. સરકારે એક જુઠ્ઠાણાનો જવાબ બીજા જુઠ્ઠાણાથી આપ્યો. તેણે જાહેર કર્યું કે આ શાહી તો ગાયનું ઘી વાપરીને બનાવવામાં આવે છે. એટલે બીજો પ્રચાર શરૂ થયો કે આવાં મોંઘાં દાટ પુસ્તકો વેચીને સરકાર લોકોનાં ખિસ્સાં ખાલી કરવા માગે છે. આના જવાબમાં સરકારે આ પુસ્તકો વેચવાને બદલે વિદ્યાર્થીઓને મફત વહેંચવાનું શરૂ કર્યું.

કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસ

સોસાયટી પાસે જે ભંડોળ હતું તેમાંથી કાંઈ ઝાઝાં પુસ્તકો છાપી શકાય એમ નહોતું. એ માટે સરકારી મદદ મળે તો જ કામ થઇ શકે. આથી સોસાયટીએ સરકાર પાસે આર્થિક મદદ માગી. પણ તેને બદલે સરકારે તો જણાવ્યું કે હવે પછી પુસ્તકો તૈયાર કરાવવા તથા છાપવા અંગે જે કાંઈ ખર્ચ થાય તે બધો સરકાર ભોગવશે. કયાં પુસ્તકો છાપવાં, કેટલાં છાપવાં, તે સોસાયટી નક્કી કરશે. માત્ર છાપતાં પહેલાં ખર્ચ અંગેનો અંદાજ સરકારને મોકલવાનો. તેને મંજૂરી મળે તેની પણ રાહ જોવાની જરૂર નહિ. આમ ૧૮૨૫માં સરકાર તરફથી સોસાયટીને લગભગ ‘બ્લેન્ક ચેક’ મળ્યો અને પાઠ્ય પુસ્તક પ્રકાશનના કામે વેગ પકડ્યો. થોડા વખત પછી પુસ્તકો છાપવા માટે ત્રણ લિથોગ્રાફ પ્રેસ પણ સરકારે સોસાયટીને ભેટ આપ્યાં. અલબત્ત, સરકારના આવા વલણ પાછળ કારણભૂત હતી ગવર્નર એલ્ફિન્સ્ટનની શિક્ષણ અંગેની ઉદાર નીતિ.

કેપ્ટન જર્વિસે બનાવેલું એક પાઠ્ય પુસ્તક

બહુ ઓછા અભ્યાસીઓ પણ આજે જેમનું નામ જાણે છે તે કેપ્ટન જ્યોર્જ રિસ્તો જર્વિસનો ફાળો સૌથી મોટો અને મહત્ત્વનો હતો, પહેલવહેલાં ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કરવામાં. ૧૭૯૪ના ઓક્ટોબરની છઠ્ઠી તારીખે જન્મ. વ્યવસાયે એન્જિનિયર. ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં નોકરી લઈને ૧૮૧૧ના સપ્ટેમ્બરની છઠ્ઠી તારીખે પહેલી વાર મુંબઈ આવ્યા. ૧૮૧૮માં પીંઢારા સામેની અંગ્રેજોની લડાઈમાં ભાગ લીધો. પછી ત્રણ મહિનાની રજા લઇ સ્વદેશ ગયા. ૧૮૨૨ના જાન્યુઆરીની ૨૮મીએ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ચીફ એન્જિનિયરના મદદનીશ તરીકે નિમણૂક થઇ. મુખ્ય કામ બોમ્બે પ્રેસિડેન્સીમાં નવા બંધાતા રસ્તાઓ પર દેખરેખ રાખવાનું હતું. તેથી ગુજરાતી અને મરાઠીભાષી પ્રદેશોમાં સતત ફરવાનું થયું. એટલે એ બંને ભાષાઓથી સારા એવા માહિતગાર થયા. વળી દેશીઓના શિક્ષણ અંગે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે શાલેય શિક્ષણ માટેનું માધ્યમ તો ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ જ હોઈ શકે. એટલે ધ નેટિવ સ્કૂલ એન્ડ સ્કૂલ બુક કમિટીના અંગ્રેજ સેક્રેટરીની જગ્યાએ કામ કરવા માટે એલ્ફિન્સ્ટને જર્વિસની સેવા ઉછીની માગી લીધી. સોસાયટીના સેક્રેટરી તરીકે જર્વિસે ગુજરાતી-મરાઠી પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. તેમને નામે છપાયેલાં ઓછામાં ઓછાં ૧૫ ગુજરાતી અને ૧૩ મરાઠી પુસ્તકો અંગેની માહિતી આજે મળે છે. અલબત્ત, આમાંનાં ઘણાંખરાં પુસ્તકો અંગ્રેજી પાઠ્ય પુસ્તકોના અનુવાદ હતા. પણ જુદા જુદા વિષયો માટેની પરિભાષા આ બે ભાષાઓમાં નીપજાવવામાં જર્વિસનો મોટો ફાળો.

પહેલા દસ શિક્ષકોમાંના એક દુર્ગારામ મંછારામ

પુસ્તકોની વાત થાળે પડી એટલે નવા શિક્ષકોની તાલીમ અને નિમણૂક અંગે સોસાયટી વધુ સક્રિય બની. ૧૮૨૬ના મે મહિનાની ૧૯મી તારીખે મરાઠી સ્કૂલોના શિક્ષકો માટે પહેલી વાર પરીક્ષા લેવાઈ તેમાં કુલ ૧૪ ઉમેદવારો પાસ થયા. તેમને પૂના, સતારા, ધારવાડ, અહમદ નગર, નાસિક અને ધૂળિયા ખાતે મોકલવામાં આવ્યા. તેવી જ રીતે ગુજરાતી શિક્ષકો માટેની પરીક્ષા તે જ વર્ષના ઓગસ્ટ મહિનાની ૧૪મી તારીખે લેવાઈ જેમાં કુલ ૧૦ ઉમેદવારો પાસ થયા. તેમાંથી દુર્ગારામ મંછારામ, પ્રાણશંકર ઉમાનાથ, હરિરામ દયાશંકર એ ત્રણને સુરત મોકલવામાં આવ્યા. તુલજારામ સુખરામ, ધનેશ્વર સદાનંદ, અને ગૌરીશંકર કૃપાશંકર એ ત્રણને અમદાવાદ મોકલવામાં આવ્યા. મુકુન્દરામ આશારામ અને હરહરરામ આશારામ એ બે ભાઈઓને ભરૂચ અને મયારામ જયશંકર અને લક્ષ્મીનારાયણ સેવકરામને ખેડા મોકલવામાં આવ્યા. મુંબઈથી મોકલાયેલા આ દસ શિક્ષકોએ જે દસ નવી સ્કૂલ શરૂ કરી તે બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી ગુજરાતીભાષી વિસ્તારની પહેલી સ્કૂલો. આમ, પહેલવહેલા ગુજરાતી શિક્ષકોએ તાલીમ લીધેલી મુંબઈમાં. બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની શરૂઆત મુંબઈમાં થઇ અને અહીંથી જ એ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં ફેલાયું. નવી નિશાળો પછી આવી નવી કોલેજો અને નવી યુનિવર્સિટી. પણ એ અંગેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 19 ડિસેમ્બર 2020

Loading

આપણું પેટ નફાખોરોની કચરાપેટી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|18 December 2020

તાજા જ સમાચાર છે કે સુરત મહાનગરપાલિકા કચરામાંથી હજારો ઘરોને ચાલે એટલી વીજળી પેદા કરવાની છે. શહેરમાંથી રોજ બે હજાર ટન કચરો નીકળે છે તેમાંથી સાડા સાતસો ટન કચરો વીજળી ઉત્પાદનમાં વપરાતો હોય તો એનાથી વધારે સારું શું?

પણ કચરો, આપણો ખોરાક પણ બને છે ને તે આપણે વર્ષોથી ખાઈએ છીએ તેની ઘણા ઓછાને જાણ હશે. ગઈ કાલના જ સમાચાર છે કે ઉત્તર પ્રદેશમાં નકલી ગરમ મસાલા બનાવવાનું એક કારખાનું પોલીસે ઝડપી પાડ્યું. આ કારખાનું ચલાવનારાના છેડા રાજકારણને અડેલા હતા. વળી કારખાનાનું લાઈસન્સ પણ ન હતું. આ ગરમ મસાલો વર્ષોથી ગધેડાની લાદ, એસિડ અને રંગીન ભૂસાથી બનતો હતો. પોલીસે 300 કિલોનો આવો નકલી જથ્થો પકડી પાડ્યો ને તે ઉપરાંત ધાણા, મરચાં, હળદર પાઉડરના જથ્થા પણ પોલીસને હાથ લાગ્યા જેના નમૂના તપાસ માટે મોકલાયા છે. તપાસ થશે ને થોડા વખતમાં વાત દબાઈ કે ભૂલાઈ જશે. એ પછી વળી કોઈ કારખાનું પકડાશે ને વળી તપાસ થશે ને એમ ગાડું ગબડયાં કરશે, પણ આમાં ચિંતાજનક છે તે લોકોનાં આરોગ્ય જોડે ચેડાં થાય છે તે !

ઘણીવાર તો ઘણાની સવાર જ ભેળસેળવાળાં ચા, દૂધથી પડે છે. ચાની જે ભૂકી વપરાશમાં આવે છે તેમાં રંગેલી ફોતરીઓ વપરાય છે ને દૂધમાં પાણી ઉમેરવાની વાત તો યુગો જૂની છે. પાણી હોય તો, તો ધૂળ નાખી, પણ યુરિયા અને બીજાં કેમિકલથી જે નકલી દૂધ બને છે તે તો અનેક રોગોને જન્મ આપનારું છે. દૂધ સંપૂર્ણ આહાર છે, પણ તે ચોખ્ખું દૂધ હોય તો, નહીં તો એ જોખમી આહાર જ છે. આ દૂધ બાળકો પીએ છે ને એ દ્વારા બાળપણ પોષણનો નહીં, પણ કુપોષણનો શિકાર બને છે. નકલી દૂધ દ્વારા દેશનાં ભવિષ્ય જોડે ચેડાં થાય છે ને તેમનાં રક્ષણ માટે ખાસ કૈં થતું નથી તે શરમજનક છે.

દૂધ ઉપરાંત દૂધની બનાવટોમાં, માખણમાં, માવામાં, મીઠાઈમાં સેકરિન, બાફેલાં બટાકાનો માવો, પ્રતિબંધિત રંગોનો ઉપયોગ નવો નથી. આ ઉપરાંત પણ અનેક હલકી કક્ષાની વસ્તુઓની ભેળસેળ થતી જ રહી છે ને દૂધ તો ગુણકારી ને દૂધનું તે ઉત્તમ, એવી સમજ સાથે આપણે તે હોજરીમાં ઠાલવતાં રહીએ છીએ.

શાકભાજી લીલાંછમ જોઈને આપણે ખરીદવા લલચાઈએ છીએ, પણ એ લીલાશ શાકભાજીની નથી. એ રંગોની કરામત છે ને આપણે રંગાયેલું શાક ઘરે લાવીએ છીએ. શોપિંગ મોલ્સમાં તાજું શાક મળે છે એમ માનવાની જરૂર નથી. ત્યાં ખરીદતી વખતે દેખાતી લીલાશ ને તાજપ છેતરામણી છે. ત્યાં લાઇટની કરામતોથી બધું તાજું ને લીલું દેખાડાય છે. એના કરતાં શાક માર્કેટમાંથી ખરીદવામાં જોખમ ઓછું છે.

મસાલાના, ફાસ્ટ ફૂડના આવતાં તૈયાર પેકેટ્સમાં શું ભેળવાય છે તે આપણે જોવા જતાં નથી. મરચાંની ભૂકીમાં ઈંટનો લાલ ભૂકો નથી જ એવું ખાતરીથી કહી શકાય એમ નથી. એવું જ હળદર કે અન્ય  મસાલા સંદર્ભે પણ ખરું. આપણે ધીમી આત્મહત્યા માટે બહુ જ ઉતાવળા છીએ. હોટેલોમાં કે જંક ફૂડમાં આપણે જાણી સમજીને જ છેતરાઈએ છીએ. જંકફૂડ ખરાબ છે એવું જંકફૂડ ખાતાં ખાતાં કહેવાની બહાદુરી આપણે કેળવી લીધી છે કે જરામાં કૈં થઈ જતું નથી એમ માનીએ, મનાવીએ છીએ, પણ હિસાબ લગાવવા જેવો છે કે એક દિવસમાં આ "જરા" કેટલું વધારે થાય છે !

એક સમય હતો જ્યારે ઘરમાં અનાજ સાફ થતું. હવે અનાજ ઘરમાં ભરવાનું ઘટ્યું છે ને એનું સ્થાન તૈયાર પેકેટોએ લીધું છે. ઘઉં ઘરમાં વીણાતા ને કાંકરી, કિલ્લા કે ઈયળ વીણામણમાં નીકળી જતાં. બજારમાં લાંગની દાળ વેચવા પરપ્રતિબંધ છે, પણ તે પકવવા પર નથી, એટલે ચણાની દાળના લોટમાં તે ભેળવાય ને વેચાય તો તેની ખબર પડતી નથી. હવે ચણાનો કે ઘઉંનો લોટ સરસ પ્લાસ્ટિક પેકેટોમાં હોંશે હોંશે ઘરે લાવીએ છીએ, ત્યારે ખબર હોય જ છે કે લોટમાં કાંકરી, માટી કે જીવાત દળાઈ જ હશે, પણ હવે વીણવાની કડાકૂટમાં કોઈએ પડવું નથી ને પેટથી વધારે સારી કચરાપેટી બીજે ક્યાં મળવાની હતી એટલે બધું એમાં ઠાલવીએ છીએ. આટલા ડાકટરો છે દેશમાં, તે નહીં તો કમાશે કેમ !

બજારમાં મળતું ખાદ્યતેલ અનેક બીજા નબળા ને હલકા તેલની મિલાવટનું પરિણામ હોઈ શકે છે. એક સમય હતો જ્યારે મહોલ્લાને નાકે આવેલી ઘાણી પરથી તલનું તાજું તેલ ખરીદાતું. તે લગભગ વેચાતું બંધ થયું છે ને તેને બદલે સોયાબીન, સૂરજમુખી, કપાસ વગેરે તેલનો વપરાશ વધ્યો છે. હવે તો આકર્ષક પેકિંગમાં બધું મળે છે. એમાં પેકિંગ જ સારું હોય છે ને એનો ઉપયોગ તો આપણે કરતા નથી ને જેનો ઉપયોગ કરીએ છીએ તે કરવા જેવો હોતો નથી. ઘી ચોખ્ખું જ વેચાતું હોય છે, પણ એમાં "ચોખ્ખું" શબ્દ સિવાય ભાગ્યે જ કૈં ચોખ્ખું હોય છે.

દવાદારૂમાં થતી ભેળસેળની તો શું વાતો કરીએ? થોડે થોડે વખતે થતો લઠ્ઠાકાંડ સૌ જાણે છે. નકલી દવાને કારણે થાય છે એવું કે દરદી મરતો નથી ને જીવતો ય નથી. કોરોનાના ટ્રીટમેંટ માટે નકલી ઈંજેક્શનોની ફેક્ટરી ખૂલેલી તે વાત બહુ જૂની નથી ને નકલી ઈંજેક્શનો અસલી કરતાં મોંઘાં વેચાયેલાં તે પણ દુનિયા જાણે છે. ટૂંકમાં દવા કે દારૂ બંનેમાં ભેળસેળ થાય છે ને જોખમો વધે જ છે.

એટલું બધું નકલી આપણી આસપાસ છે કે અસલી જ નકલી લાગવા માંડે છે. જમરૂખ મોટું હોય તો ખાવાનું ગમે, પણ એ ટેટી જેટલું મોટું હોય તો તે ખાવું કે કેમ તે વિચારવાનું રહે. ફ્રૂટ્સ રસાયણોથી વહેલાં પકવવામાં આવે છે. સીઝનથી વહેલી પાકેલી કેરી એકદમ પીળી હોય છે. આ પીળાશ તેની કુદરતી પીળાશ કરતાં વધારે હોય છે. તે ખરીદવાની લાલચ થાય એવી હોય છે ને તે વધારે મોંઘી હોય છે. એ બોક્સ ઘરે ખૂલે ત્યારે જ ખબર પડે છે કે એ દેખાય છે જ સારી, બાકી તે સારી એવી ખાટી હોય છે. ફળ હોય તેનાથી મોટું અકુદરતી રીતે પકવવામાં આવે તો તેમાં થતો રસાયણોનો ઉપયોગ હાનિકારક છે એ સમજી લેવાનું રહે. શાકભાજી કે અનાજ પર થતો જંતુનાશકોનો છંટકાવ તંદુરસ્તીને જોખમાવે છે. એની અસર તરત નથી વર્તાતી, પણ પેટની અનેક તકલીફો ને આરોગ્યના અનેક પ્રશ્નો મોડાવહેલાં થાય જ છે તે નિર્વિવાદ છે.

તંત્રો કામ તો કરતાં હોય છે, ક્યારેક દરોડા પાડીને નકલી ચીજ વસ્તુઓ ઝડપી પણ લેવાતી હોય છે ને  કાનૂની કાર્યવાહી પણ થાય છે, પણ તેનું પ્રમાણ ઓછું છે. કેટલીક વાર તો ભ્રષ્ટ તંત્રો જ પૈસા ખાઈને બધું સગેવગે કરી દેતાં હોય છે. ક્યારેક જેન્યુઇન કામો પણ થાય છે, પણ તેની ટકાવારી ખૂબ ઓછી છે. દારૂની ભઠ્ઠીઓ પર થતા દરોડાઓ દેખાવના પણ હોય છે. ક્યારેક પોલીસ જ અગાઉથી જાણ કરે છે દરોડાની, તો ક્યારેક ભઠ્ઠીનો માલિક જ સામેથી માલ પકડાવી દે છે જેથી લાગે કે તંત્રો કામ કરે છે. એકાદ વખતનો દરોડો તે ઉકેલ નથી. એકાદ વખત મીઠાઈની દુકાનમાંથી માવો પકડવાથી બહુ ફેર પડતો નથી. કારણ વરસમાં બીજા ઘણા દિવસો છે ને એ વખતે કોઈ દરોડો પડતો નથી. એટલે તંત્રોની સક્રિયતા ને પ્રમાણિક્તા વધે તો જ ફેર પડે એમ બને.

આ બધું કેમ થાય છે? એનો જવાબ છે, હરામની રીતે કમાવા માટે ! નાના વેપારીથી માંડીને મોટી મોટી કંપનીઓનો એક જ ઉદ્દેશ હોય છે, વધુને વધુ નફો કરવાનો. ધંધો બધા જ કરતાં હોય છે ને બધાએ નફો કરવો જ જોઈએ એની પણ ના નથી, પણ કેટલો નફો? કોઈની જિંદગી દાવ પર લાગે એટલો નફો તો કેમ ચાલે? નકલી તેલ વેચનારો નફો કરી દુનિયાને લૂંટે ત્યારે નકલી દૂધ ખરીદીને એ પણ છેતરાય જ છે તે ભૂલવા જેવું નથી. ઝેરનો ધંધો તો ન થાયને ! પણ આપણે ત્યાં એ જ ચાલે છે. દૂધમાં દૂધ જ ન હોય એટલો નફો તો કેમ સહન થાય? એક વસ્તુ છે કે ગમે એટલો અન્યાય કેમ ન થાય, પણ કુદરતી ન્યાય જેવું જગતમાં હજી છે. હિસાબ થતો જ હોય છે ને છેવટે હરામની કમાણી રામ જ ખાતો હોય છે. અબજો રૂપિયા ઘરમાં જ રહી જાય ને માણસ ચાલી નીકળે છે એવું ક્યાં નથી બનતું?

આપણે માણસ છીએ ને માણસ જ રહીએ. આખી પૃથ્વી કમાઈએ તો પણ તે અહીં જ રહેવાની છે, તો બીજાના પેટને કચરાપેટી ન સમજીએ, એની ચિંતા કરીએ. પેટ બધાંને જ લાગેલું છે એની ના નથી , પણ આપણું પેટ છે તો બીજાની કચરાપેટી નથી એટલું સમજીએ તોય ઘણું. અસ્તુ !

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 18 ડિસેમ્બર 2020

Loading

...102030...2,0512,0522,0532,054...2,0602,0702,080...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved