Opinion Magazine
Number of visits: 9680460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ પણ સત્તાને ખભો તો સામાન્ય માણસ જ આપતો હોય છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 February 2021

અંગ્રેજીમાં જેને કોમનમેન કહ્યો છે તેનું ટૂંકું રૂપ સી.એમ. છે. એનું પૂર્ણરૂપ ચીફ મિનિસ્ટર પણ છે. એટલે  કે કોમનમેન સી.એમ. હોય તો પણ, ચીફ મિનિસ્ટર સી.એમ. (કોમનમેન) ભાગ્યે જ રહે છે. સાચું તો એ છે કે સામાન્ય માણસ સત્તા પર આવ્યા પછી. સામાન્ય ભાગ્યે જ રહે છે, ભલે પછી તે મેયર કે મુખ્ય મંત્રી કે વડા પ્રધાન જ કેમ ન હોય? મોટે ભાગે એ ભૂલી જાય છે કે તે સત્તા પર આવ્યો છે તે સામાન્ય માણસના સહકારથી. એ જેટલું વહેલું ભૂલાય છે એટલું સરકાર પરનું જોખમ વધે છે.

જેને સામાન્ય માણસ કહીએ છીએ તેના પણ પ્રકાર છે. એ જડબેસલાક ન હોય તો પણ એક વર્ગમાં એવા ગરીબો છે જે લઘુત્તમ વેતનથી પણ ઓછું મેળવે છે. તેની જરૂરિયાતો પણ બહુ મોટી નથી, પણ તે પૂરી નથી જ થતી. એને સરકાર પાંખમાં લે છે તે પણ ઘણાંની આંખમાં આવે છે, પણ એ હકીકત છે કે કોઇની મદદ વગર તેનું ટકવાનું મુશ્કેલ જ બને છે. એમાં પણ મુશ્કેલી એ હોય છે કે સરકારી મદદ પણ તેના સુધી પૂરી પહોંચતી નથી. સરકારના બધા પ્રયત્નો છતાં, ગરીબ વર્ગ સુધી મદદ નથી પહોંચતી તે એટલે પણ કે સરકાર અને ગરીબો વચ્ચેના દલાલો એ મદદથી પોતાનું ભરેલું પેટ ભરી લે છે, અને જેને માટે એ મદદ હતી એ પેટ તો ખાલીનું ખાલી જ રહે છે.

આ વર્ગ મોટે ભાગે સરકારને એટલે કે સત્તાધારી પક્ષને વફાદાર રહે છે. એને સરકાર જ જુએ છે એટલે એ પણ એને જ જુએ તેમાં નવાઈ નથી. સત્તાધારી પક્ષમાં જો બીજા પક્ષો મળીને સરકાર બની હોય તો તેને નજીકની વગવાળી રાજકીય વ્યક્તિ કે વ્યક્તિઓ કહે તેમ તે વર્તે છે. કેટલીક વાર છેલ્લી ઘડીની લાલચ પણ ગરીબોના નિર્ણયો બદલાવી નાખે એમ બને, પણ મોટે ભાગે જે એમનું પૂરું કરે છે તેને આ પ્રજા પૂરી પડે છે.

નીચલા વર્ગને કોઠાસૂઝ ગજબની હોય છે ને એનું વ્યક્તિગત મૂલ્ય ખાસ ન હોય તો પણ, તેનો  સમૂહ લેખે પ્રભાવ પડતો હોય છે. ઢગલો મત આપનારો ને કોઈ પક્ષ કે પક્ષોને સરકારમાં લાવનારો આ વર્ગ છે, એટલું જ નહીં, સરકારને ફરી સત્તામાં પણ એ જ લાવે છે. સરકારને એનામાં એટલે રસ હોય છે કે એના મતથી સત્તા મળતી હોય છે. કૉન્ગ્રેસ વારંવાર સત્તામાં આવી શકી તેમાં આ પરિબળ કામ કરતું હતું એ સ્વીકારવું પડે. મતદાનની ટકાવારી ઓછી હોય તો પણ, ગરીબવર્ગનું મતદાન ઓછું હોતું નથી ને એ જ સરકારનાં પુનરાવર્તનનું નિર્ણાયક બળ પણ બની રહેતું હોય છે.

એની ઉપરનો મધ્યમવર્ગ કદાચ સૌથી વધુ મુશ્કેલીઓમાં રહેનારો વર્ગ છે. એમાં પણ નીચલો ને ઉપલો મધ્યમવર્ગ એવા પ્રકારો છે. ઉપલો મધ્યમવર્ગ પ્રમાણમાં સાધનસંપન્ન હોય છે. તેની સમાજમાં વગ હોય છે. આ એક રીતે જોવા જઈએ તો સમાધાનમાં રાચનારો અને એ દ્વારા લાભ ખાટનારો વર્ગ છે. ઉચ્ચ મધ્યમ વર્ગને બાંધછોડ કરવાનો, ભ્રષ્ટતા આચરવાનો ને એ દ્વારા સ્વાર્થ સાધવાનો બહુ વાંધો નથી હોતો.

આમ તો સિદ્ધાંત કે આદર્શને સ્વીકારનારા તમામ વર્ગમાં મળી રહેતા હોય છે, પણ તેની ટકાવારી ખૂબ નાની હોય છે.

નીચલો મધ્યમ વર્ગ મુખ્યત્વે અસંતોષ, અસુવિધા અને મહત્ત્વાકાંક્ષાથી પીડાતો વર્ગ છે. આ લોકોને જે ચાલે છે એની સામે વાંધો હોય છે. મુખ્યત્વે તો જે પણ સત્તામાં છે તેની સામે જ તેને વાંધો છે ને ઘણીવાર તો આ વાંધો સાચો હોય, તો પણ તેનું કશું ઉપજતું નથી હોતું. સૌથી વધુ સિદ્ધાંતો ને આદર્શો આ વર્ગ પાળે છે. એ જ ક્યારેક તેને ઉચ્ચ કક્ષાએ પણ પહોંચાડે છે, પણ મોટે ભાગે તો આ વર્ગ ઓછપમાં  અને નિરાશામાં જીવે છે. એને નોકરિયાત કે પગારદાર વર્ગની ઓળખ પણ મળેલી છે. તે જવાબદારીઓ ઉપાડનારો વર્ગ પણ છે. એમાં ઓછી આવક રાજ રોગની ગરજ સારતી હોય છે. જો કે સરકારને આ વર્ગની બહુ ચિંતા હોતી નથી, પણ આ વર્ગને સરકારની ચિંતા ભારોભાર હોય છે. તેનું ચાલે તો તે રોજ સરકાર બદલી કાઢે, પણ તેવું થતું નથી. તેને લાભ ઓછા મળે છે ને એ અનેક પ્રકારના કરવેરાથી પીડાતો રહે છે. તેને સતત એમ જ લાગતું હોય છે કે પોતાને ભારે અન્યાય થઈ રહ્યો છે.

આ વર્ગ સરકાર બનાવવામાં ઓછામાં ઓછું યોગદાન આપે છે. મોટે ભાગે તો તે મત આપવા જ જતો નથી. હા, એટલું છે કે જ્યારે પણ મધ્યમવર્ગની મતદાનની ટકાવારી વધે છે, સરકાર બદલાવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે. સત્તા પલટામાં મતદાનની વધેલી ટકાવારી ભાગ ભજવતી રહ્યાના ઘણા દાખલાઓ છે જ. સરકાર આ વર્ગની મોટે ભાગે ઉપેક્ષા કરતી હોય છે, કારણ કે આ વર્ગ પણ મત ન આપીને સરકારની ઉપેક્ષા કરતો રહેતો હોય છે. આ બધું વ્યક્તિ આધારિત નથી હોતું, ક્યારેક તો અનુમાન કે અંદાજ આધારિત પણ હોય છે, એમાં મોટા ફેરફારો થાય તો અણધાર્યાં પરિણામો આવતાં હોય છે.

તમામ વર્ગોમાં યોગ્યતા કે પાત્રતા, શિક્ષણ આધારિત નથી હોતી, તે ઘણું ખરું જાતિ, કોમ કે સંપત્તિ આધારિત હોય છે. આ જ સ્થિતિ ઉચ્ચ વર્ગની છે. કહેવાય તો છે ઉચ્ચ વર્ગ, પણ ઉચ્ચ વર્ગ શિક્ષણમાં જ હોય છે, ઉચ્ચ વર્ગમાં તે નથી જ ! ઉચ્ચ વર્ગમાં ઘણાં ઉચ્ચ શિક્ષણ મેળવનારા પણ હોય છે, પણ વ્યવહારમાં ઉચ્ચતાનો માપદંડ ઘણુંખરું સંપત્તિ જ હોય છે. આ અમીર વર્ગ તમામ વર્ગો પર પ્રભાવ પાડતો હોય છે. તે વેપારઉદ્યોગ દ્વારા જરૂરતમંદોને પગાર આપીને કામ કઢાવે છે ને અપવાદો બાદ કરતાં તેનું લક્ષ્ય કમાણીનું જ વિશેષ હોય છે. આ વર્ગ સરકાર રચવામાં કદાચ એટલો સંડોવાતો નથી જેટલો તે સરકાર રચાયા પછી સંડોવાય છે. તે શાસક પક્ષોને ઘણી મોટી આર્થિક મદદ કરે છે ને એ પૈસાને જોરે શાસકો કોઈને જોડી, તોડીને કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા મથે છે. ધારો કે સરકાર બદલાય છે તો કંપનીઓ, ઉદ્યોગપતિઓ પણ બદલાય છે. નવી સરકારને આ લોકો એટલે મદદ કરે છે કે અમીર વર્ગની આન, બાન ને શાન જળવાઈ રહે. આ વર્ગને, સરકારને મદદ કરવાનાં કારણો છે.

સરકારને આ વર્ગ મદદ કરે છે ને સરકાર એમને ઉદ્યોગધંધાના પ્રોજેક્ટ્સ આપે છે. મોટા કોન્ટ્રાક્ટ મળે છે તો સરકારનાં પ્રજા જોગ કામ પણ થાય છે, એ કામ બતાવીને સરકાર મત મેળવતી હોય છે. બીજી બાજુએ કંપનીઓ નફો કરવાની સાથે સાથે બેરોજગારી ઘટાડવાનું નિમિત્ત પણ બને છે. આમ તો આ બધું સારું જ છે, તો વાંધો ક્યાં આવે છે?

વાંધો અમર્યાદ નફાખોરીનો અને મોંઘવારીનો છે. અનેક લોકોનાં મોંઘવારીને કારણે શોષણ વધે છે. ઓછો પગાર આપીને અને વધારે ભાવ લઈને વેપારી વર્ગ દ્વારા શોષણ થતું રહે છે. એમાં વળી ગરીબીને કારણે દેવું થાય છે ને તે ન ચૂક્વાતાં કેટલાક કિસ્સાઓમાં વાત આત્મહત્યા સુધી પહોંચે છે. સરકારને મદદ કરીને પોતાની શરતે અમીરો ધંધાઉદ્યોગોને બાનમાં લે છે. સરકારે પણ મદદ મેળવી હોવાથી કેટલીક બાબતોમાં તેણે આંખ આડા કાન કરવાં પડે છે ને પરિણામ એ આવે છે કે સામાન્ય માણસ પાસે નામની જ મોકળાશ ને સ્વતંત્રતા બચે છે.

પ્રજા વેઠાય ત્યાં સુધી તો વેઠે છે ને તક મળે છે, ત્યારે મતનું શસ્ત્ર ઉગામીને સરકાર બદલે છે. કોઈ પણ સત્તા પ્રજાની ઈચ્છા વિરુદ્ધ લાંબું ટકતી નથી. સરકારને બેઠી કરવા પ્રજા ખભો આપે છે ને સરકારને ઉથલાવવવાની હોય તો તેને પણ ખભો પ્રજા જ આપે છે. સરકાર ગમે તેટલું ભલે ઊછળતી હોય, પણ તેને ઠેકાણે પણ પ્રજા જ કરતી હોય છે, ખરું કે નહીં?

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ફેબ્રુઆરી 2021

Loading

ભારત અન્ન સ્વાવલંબી બન્યું તેનો શ્રેય ખેડૂતોને

રમેશ ઓઝા|Opinion - Opinion|4 February 2021

૧૯૫૦ના મે મહિનામાં કનૈયાલાલ મુનશી અમેરિકાના પ્રવાસે હતા, ત્યારે એક દિવસ તેમને અમેરિકા ખાતેના ભારતીય દુતાવાસમાંથી ફોન આવ્યો કે દિલ્હીથી તેમના માટે તાકીદનો સંદેશ આવ્યો છે માટે તેઓ તેમનો કાર્યક્રમ ટૂંકાવીને ભારતીય એલચી શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિતને બને એટલી ત્વરાએ મળે. મુનશી વોશિંગ્ટન ખાતે વિજયાલક્ષ્મી પંડિતને મળ્યા ત્યારે તેમને સંદેશો આપવામાં આવ્યો કે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ તેમને કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાનની જવાબદારી સોંપવા માગે છે, એટલે તમારે તાત્કાલિક દિલ્હી જવાનું છે. મુનશીએ હરખને કારણે નહીં, પણ થોડા અપજશના અંદેશાથી ડરીને મલકાતા અવાજે કહ્યું કે, ‘મેડમ, આ એવી ખુરશી છે જેમાં બેસનારે પોતાની કબર પોતે જ ખોદવાની છે.’ વિજયાલક્ષ્મી પંડિતે જવાબમાં કહ્યું કે આ નિર્ણય નેહરુ, સરદાર પટેલ અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો સહિયારો છે અને ત્રણેયને તમારી ક્ષમતા ઉપર ભરોસો છે, અને મને પણ છે.

શા માટે મુનશીએ દેશના કૃષિ અને અન્ન પુરવઠા ખાતાની જવાબદારીને પોતાની કબર પોતે ખોદવા જેવી ગણાવી હતી? એનું પહેલું કારણ એ કે હજુ સાત વરસ પહેલાં બંગાળમાં ભૂખમરા(ગ્રેટ બેંગાલ ફેમીન)ની કારમી ઘટના બની હતી, જેમાં ૨૦થી ૨૫ લાખ માણસોનાં મોત થયાં હતાં. એ છતાં ય ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારત સરકારે પોતાની સાથે અને રાષ્ટ્રની સાથે સંકલ્પ કર્યો હતો કે હવે પછી ભૂખથી લોકોનાં સાગમટાં મોતની ઘટના ભારતમાં નહીં બને. વળી બંગાળનો ભૂખમરો એ ભૂખમરાની કોઈ પહેલી ઘટના નહોતી. ભારતનો ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ કબજો લીધો એ પછીથી આઝાદી મળી ત્યાં સુધીનાં ૧૯૦ વરસમાં ભારતમાં કમકમાં આવે એવી સાગમટે ભૂખમરાની ૧૨ મોટી ઘટનાઓ બની હતી, જેમાં પાંચેક કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. આ સિવાય ભૂખમરાની સ્થાનિક નાનીમોટી ઘટનાઓ અલગ.

અંગ્રેજી ભાષામાં બે શબ્દ વપરાય છે; એક શબ્દ છે drought અને બીજો શબ્દ છે Famine. આ બન્નેના અર્થ અને અર્થ કરતાં ય એની ગંભીરતા અલગ અલગ છે. આપણી ભાષામાં આ બન્ને સ્થિતિ વર્ણવવા માટે દુષ્કાળ કે દુકાળ અને હિન્દીમાં સુખા કે અકાલ શબ્દ વપરાય છે જેમાં ફેમીનની ભયાનકતાનો અંદાજ આવતો નથી. જે વાચકો સરકારનું દરેક વાતે સમર્થન કરે છે અને સ્વતંત્ર બુદ્ધિ વાપરવાનું કષ્ટ ઉઠાવતા નથી, તેમને માટે ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજાવવો પડે એમ છે. પ્રારંભમાં જ જણાવી દઉં કે સરકારે કરેલો કૃષિ કાયદો ભવિષ્યમાં ભારતમાં ફેમીનની સ્થિતિ પેદા કરી શકે એમ છે. તો પહેલાં ડ્રાઉટ અને ફેમીન વચ્ચેનો ફરક સમજી લઈએ.

ક્યારેક કુદરત વિફરે અને વરસાદ ન પડે તો એવી સ્થિતિને ડ્રાઉટ (દુકાળ) તરીકે ઓળખાવવામાં આવે છે. ઉપરાઉપર બે ચોમાસાં નિષ્ફળ જાય તો તેને કારમાં દુકાળ તરીકે ઓળખાવવામાં આવે છે. કારમા દુકાળમાં લોકોને મુશ્કેલી પડે છે, માલ-ઢોરનાં મૃત્યુ થાય છે અને ક્વચિત થોડાં લોકોનાં મૃત્યુ પણ થતાં હોય છે. છેલ્લાં પચાસ વરસમાં ભારતમાં દુકાળમાં લોકોનાં મૃત્યુ થયાં હોય એવું બનતું નથી. દુકાળમાં મોટા ભાગે સંબંધીત પ્રદેશ અને લોકો તેને પાર કરી જાય છે. ફેમીનમાં પાર ઉતરવું મુશ્કેલ પડે છે. બે ચોમાસાં નિષ્ફળ જાય એટલે લાખોની સંખ્યામાં લોકોનાં મૃત્યુ થાય. આવું શા માટે બનતું હશે? એવું શું છે ફેમીનમાં કે પ્રજા બે નિષ્ફળ ચોમાસાંનો માર પણ સહન ન કરી શકે? સુજ્ઞ વાચકને વિનંતી છે કે આ ફરક સમજવાનો પ્રયાસ કરે.

જ્યારે કોઈ સરકાર કે શાસકો વર્ષો જૂના ખેતીવાડીના ઢાંચાને અચાનક એક ઝાટકે તોડી નાખે ત્યારે ગ્રામીણ પ્રજાનો ખેતી સાથેનો તાલમેળ સમૂળગો તૂટી જાય છે અને ફેમીન માટેની સ્થિતિ સર્જાય છે. પ્રજાને સમજાતું નથી કે કરવું શું અને જવું ક્યાં? જમીન સાથેનો એનો પ્રેમ ઉદાસીનતામાં ફેરવાઈ જાય છે, કારણ કે ઢસરડો કરીને પણ પેટ ભરાતું નથી. આને પરિણામે ગ્રામીણ સમાજનો, કૃષિતંત્રનો અને કૃષિ વ્યવસાયનો ઢાંચો અંદરથી ખોખલો થવા લાગે છે. તેને પોતાને પોતાનું સ્વ-પોષણ મળતું બંધ થઈ જાય છે અને બહારથી થતાં શોષણનો શિકાર બનવા લાગે છે. દાયકા-બે દાયકામાં આ ઢાંચો એટલી હદે કમજોર થઈ જાય છે કે બે નિષ્ફળ ચોમાસાં પણ સહન થતાં નથી, અને લોકો ભૂખમરાને કારણે મૃત્યુ પામે છે. આનો અર્થ એ થયો કે ડ્રાઉટ શુદ્ધ કુદરતી આફત છે જ્યારે ફેમીન માનવે પેદા કરેલી ભયાનક આફત છે જે કુદરતની આફતને સહન કરી શકતી નથી.

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નજર નફા ઉપર હતી. ભારતની પ્રજા જીવે કે મરે તેનાથી તેને કોઈ ફરક પડતો નહોતો. વધુ કમાણી કરવા કંપનીએ વિઘોટી દાખલ કરી, પોતાને જે કાચા માલની જરૂરિયાત હતી એનું ફરજિયાત વાવેતર કરાવવાનું શરૂ કર્યું, ભાવ પાછો કંપની નક્કી કરે અને એ ઉપરાંત કારીગરો પાસેથી રોજગાર છીનવી લીધા કે જેથી ઇંગ્લેંડમાં બનેલો માલ ભારતની બજારમાં વેચી શકે. ટૂંકમાં ખેતી અને રોજગારી બન્ને પર કુઠારાઘાત કરીને ગ્રામીણ અર્થતંત્રનો તેમ જ સમાજજીવનનો ઢાંચો તોડી નાખ્યો. સમગ્ર ભારતની પ્રજા અને તેની ભૂમિ તેનાં સંસાધનો સહિત કંપની સરકારની ગુલામ હતાં, તેનાં તાબામાં હતાં. એ આઘાત ભારતીય ગ્રામીણ પ્રજા માટે મૂળસોતાં ઊખેડી નાખનારો હતો જેનું પરિણામ દાયકે દાયકે ફેમીન હતું.

૧૯૫૮થી ૧૯૬૨નાં વર્ષોમાં આવો અનુભવ ચીનની પ્રજાને થયો જ્યારે ચીની શાસકોએ ગ્રેટ લીફ ફોરવર્ડના નામે સેંકડો વર્ષ જૂના ચીની કૃષિ તેમ જ ગ્રામીણ ઢાંચાને તોડી નાખ્યો. એ ચાર વરસમાં ચીની શાસકોએ જંગલીની જેમ એવાં કદમ ઉઠાવ્યાં કે ગ્રામીણ ચીની સમાજ અને તેના અર્થતંત્રનું આખું પોત ઉતરડાઈ ગયું. ચીનના કોઈને કોઈ પ્રદેશ ફેમીનની ઘટનાઓ બનવા લાગી જેમાં એમ માનવામાં આવે છે કે દોઢથી પાંચ કરોડની સંખ્યામાં ચીની પ્રજાનાં મોત થયાં હતાં. ચીનમાં જ્યારે જુલ્મી શાસનનો અંત આવશે ત્યારે દુનિયાને જાણ થશે કે શાસકોની રાક્ષસીવૃત્તિ કેવી હોય છે.

આશ્ચર્યની વાત છે કે જે ચીનને હજુ ગઈ કાલ સુધી ગાળો આપવામાં આવતી હતી તેને અનુસરવામાં આવી રહ્યું છે. લોકોને વળી કહેવાનું શું હોય અને કહે તો સાંભળવાનું શું હોય!  બહોળી સંખ્યાથી અને તેના આક્રોશથી ડરી જઈએ તો કઠોર નિર્ણય ન લઈ શકાય અને જો નિર્ણય લેવામાં પાછા પડીએ તો વિકાસની દોડમાં પાછળ રહી જઈએ. જુઓ ચીન કેટલું આગળ નીકળી ગયું છે. આ યુગમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની પ્રણિત શોષણનાં મૂડીવાદી મોડેલ અને ચીનનાં શાસનના મોડેલ વચ્ચે યુગ્મ રચાતું જોવા મળી રહ્યું છે. પણ એને કારણે ભારત સહિત જગત આખું ફેમીનનું શિકાર બનશે તો? તો શું થયું, એને વિકાસની કિંમત તરીકે ઓળખાવવામાં આવશે. આમ પણ આ ધરતીના ગોળા પરથી એક-બે અબજ પ્રજાનો ભાર ઘટાડવો જરૂરી છે. એમાં હું તમે અને આપણાં સંતાનો પણ હોઈ શકે છે.

પણ ૧૯૪૭માં ભારતને આઝાદી મળી ત્યારે ભારતના નેતાઓએ જાત સાથે વાયદો કર્યો હતો કે ભૂખથી કોઈને મરવા નહીં દેવાય. જો આટલું પણ ન કરી શકીએ તો લાંછન છે. તેમણે જ્યારે આવો પવિત્ર વાયદો કર્યો ત્યારે તેમને ખબર હતી કે હજુ ચાર વરસ પહેલાં બંગાળમાં વીસથી પચીસ લાખ લોકો ભૂખથી મરી ગયા હતાં. જ્યારે કનૈયાલાલ મુનશીને ૧૯૫૦માં કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બનાવાયા ત્યારે તેમને જાણ હતી કે ભારત સરકારે અને ભારત દેશે જાત સાથે વાયદો કર્યો છે કે કોઈને ય ભૂખથી મરવા નહીં દેવાય. જે કોઈ કૃષિ અને અન્ન પુરવઠા ખાતાના પ્રધાન બને તેને આ વાયદો પાળવાનો હતો. માટે કનૈયાલાલ મુનશીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા હતા કે, ‘આ તો પોતાની કબર પોતે ખોદવા સમાન છે.’ મુનશીને અપજશનો નિષ્ફળતાનો ડર હતો.

પણ મુનશી નિષ્ફળ નહોતા નીવડ્યા. મુનશીના અનુગામી રફી અહમદ કીડવાઈ, પંજાબરાવ દેશમુખ, અજીત પ્રસાદ જૈનથી લઈને સી. સુબ્રમણ્યમ્‌ સુધીના કોઈ કૃષિ પ્રધાન નિષ્ફળ નહોતા નીવડ્યા. તેઓ બધા રાષ્ટ્ર સાથેના અને પોતાની જાત સાથેના સંકલ્પને પાળી શક્યા એનો શ્રેય તેમને બહુ ઓછો જાય છે, દેશના ખેડૂતોને વધુ જાય છે. ભારતના ખેડૂતોએ તેમને નિષ્ફળ નહોતા થવા દીધા. ભારત અન્ન સ્વાવલંબી થયું એનો લગભગ ૮૦ ટકા શ્રેય ભારતના ખેડૂતોને જાય છે. આ અભિપ્રાય મારો નથી, મુનશીથી લઈને સી. સુબ્રમણ્યમ્‌ સુધીના દરેક કૃષિ પ્રધાનોનો છે. અપવાદ વિના દરેકે ભારતના ખેડૂતોનો આભાર માન્યો છે.

આની વધુ ચર્ચા હવે પછી મારી રવિવારની કોલમ ‘નો નોનસેન્સ’માં.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 ફેબ્રુઆરી 2021

Loading

જય જય ગરવી ગુજરાત

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 February 2021

હૈયાને દરબાર

અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજની પાછળની તરફ આવેલા મ્યુઝિક સ્ટુડિયોમાં હું પ્રવેશું છું. એ સ્ટુડિયોમાં ટિપિકલ ઈલેક્ટ્રોનિક વાદ્યોને બદલે જાત જાતના ઓરિજિનલ લોકવાદ્યો હારબંધ ગોઠવેલાં છે. રૂમની બરાબર વચ્ચે મોટી સ્ક્રીનનું કોમ્પ્યુટર અને કોમ્પ્યુટરની સામેની ખુરશીમાં એક યુવા કમ્પોઝર કોઈક મ્યુઝિક ટ્રેક પર કામ કરી રહ્યા છે. નામ છે નિશીથ મહેતા.

આજના યુવા સંગીતકારો કંઈક જુદી જ રીતે કામ કરે છે. એમની કામ કરવાની ઊર્જા, સ્ટાઈલ, ગુજરાતી ગીતોને આધુનિક અરેન્જમેન્ટ સાથે રજૂ કરવાની ધગશ, શબ્દોની સરળતા એ બધું મારે માટે કૌતુકનો વિષય છે. અર્બન ગુજરાતી સંગીતની આ નવી પેટર્ન નિહાળવા જેવી છે. એટલે જ એક વર્ષ પહેલાં અમદાવાદની મુલાકાત વખતે ‘મ્યુઝિકા પ્રોડક્શન’ના સ્ટુડિયોમાં એવા જ ઊર્જાવાન નિશીથ મહેતાને મળીને એમનું સંગીત, એમની પેશન જોવા-જાણવા સાથે આપણા સૌના પ્રિય ગીત જય જય ગરવી ગુજરાતની આધુનિક પ્રસ્તુતિ તથા ’મિશન મમ્મી’ ફિલ્મના માતૃભાષા પ્રશસ્તિ ગાનની સર્જન પ્રક્રિયા સમજવા અમે વાતો શરૂ કરી.

"માતૃભાષામાં કામ કરવાની અલગ જ મજા છે. ભાષાનું પોતીકાપણું હોય ત્યાં સર્જન વધુ ખિલે. તેથી જ સવાસો વર્ષથી વધુ જૂના, ૧૯મી સદીના જય જય ગરવી ગુજરાતથી લઈને ૨૧મી સદીના ભાષા મારી ગુજરાતી છે … સુધીનાં ગુજરાતી ગીતોની લાંબી મજલ હું ખેડું છું. – કહે છે નિશીથ મહેતા.

નિશીથ મહેતા સ્વબળે આગળ આવેલા તથા સંગીત ક્ષેત્રે ૩૦ વર્ષનો અનુભવ ધરાવતા યુવા સ્વરકાર, સંગીત નિર્દેશક અને સાઉન્ડ ડિઝાઈનર છે. મલ્ટી મિડિયા સી.ડી. રોમ ‘પેલેસ ઓન વ્હીલ્સ’ના નિર્માણ બદલ નેશનલ એવોર્ડ મેળવનાર નિશીથ મહેતાએ ગુજરાતી ફિલ્મ ‘બેટર હાફ’ તથા ૨૦૧૯ની ફિલ્મ ‘લાંબો રસ્તો’માં બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો એવોર્ડ મેળવ્યો છે. ‘બેટર હાફ’નું સુપ્રસિદ્ધ ગાયક શાને ગાયેલું ગીત મને કોણ આ સ્પર્શી ગયું લાજવાબ હતું. વર્લ્ડ મ્યુઝિક પ્રોડકશન તથા ભારતીય ટ્રાઈબલ અને ફોક મ્યુઝિક ક્ષેત્રે વિસ્તૃત કાર્ય બદલ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. ૨૦૧૬ની ૧૫મી ઓગસ્ટે મોરબી ખાતે ૨,૨૬૭ નૃત્યકારોને લઈને દેશભક્તિનું ગીત કમ્પોઝ અને ડિરેક્ટ કરવા બદલ ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન મેળવ્યું છે. તરણેતરના મેળામાં પણ આ જ પ્રકારની પ્રસ્તુતિ દ્વારા ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સ્થાપ્યો છે.

મ્યુઝિકા પ્રોડકશન એ કલાકારો માટે સંગીત સર્જનની અભિવ્યક્તિ, ચર્ચા વિચારણા તથા નવા કલાકારોને પ્રોત્સાહન આપવાનું સબળ માધ્યમ છે. સાઉથ એશિયન ગેમ્સ ઓપનિંગ સેરિમનીના કમ્પોઝર, શ્રી શ્રી રવિશંકર આયોજિત વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલ, સ્વર્ણિમ ગુજરાત, રણોત્સવ તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ‘ચલો ગુજરાત’ સહિત અનેક પ્રોજેક્ટ્સ પર નિશીથ મહેતાએ કામ કર્યું છે.

ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હવે નવી રીતે પાંગરી રહી છે. ’મિશન મમ્મી’ ફિલ્મ માટે કવિ તુષાર શુક્લે લખેલાં ગીત ભાષા મારી ગુજરાતી છે…માં અનેક કલાકારોએ ભેગાં થઈને માતૃભાષા પ્રશસ્તિ ગાન પ્રસ્તુત કર્યું છે. આ ગીતનું સંગીત નિશીથ મહેતાએ આપ્યું છે. માતા અને માતૃભાષાની આસપાસ રચાયેલી આ ફિલ્મનું સંગીત ખૂબ જ સુંદર હતું. ૨૦૦૮માં ‘બેટર હાફ’ સાથે ગુજરાતી ફિલ્મોને નવું રૂપ આપનારા આષિશ કક્કડના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મિશન મમ્મી’ની વાર્તા ઘીરૂબહેન પટેલના નાટક ‘મમ્મી, તું આવી કેવી’ પરથી પ્રેરિત હતી. ફિલ્મમાં મમ્મીની મુખ્ય ભૂમિકા અમદાવાદનાં જાણીતા લેખિકા, રેડિયો પ્રેઝન્ટર અને અભિનેત્રી આરતી પટેલે ભજવી હતી જ્યારે પપ્પાનો રોલ રાજ વઝીરે.

"અમે માતૃભાષા વિશે એક ગીત આ ફિલ્મમાં લેવાનું વિચારતાં હતાં તેથી તુષારભાઈનો સંપર્ક સાધ્યો. એમણે ભાષા મારી ગુજરાતી છે…એ સરસ ગીત લખ્યું જેમાં તમામ ગુજરાતી ગાયકો-સંગીતકારોને લઈને સુંદર મ્યુઝિકલ કોલાજ બનાવ્યું. સંગીત સર્જનમાં થોડો સમય લાગ્યો હતો પણ મારે સરળ ધૂન બનાવવી હતી જે કોઈ પણ વ્યક્તિ આસાનીથી ગાઈ શકે. લોકોએ ખરેખર વખાણ્યું અને ઘણું લોકપ્રિય થયું હતું. – કહે છે નિશીથ મહેતા.

નિશીથ મહેતાએ વૈષ્ણવ જન તો … ભારતની વિવિધ ભાષામાં રી-એરેન્જ કર્યું છે જેમાં ઐશ્વર્યા મજમુદારે દરેક પ્રાંતીય ભાષામાં એને પ્રસ્તુત કર્યું છે. ભારતના તહેવારોને પ્રતિબિંબિત કરતાં ગીતોનું સર્જન પણ નિશીથે કર્યું છે. એમનાં ગીતોનું નિર્માણ અને સિનેમેટોગ્રાફી આકર્ષક હોવાથી દરેક વયજૂથને આકર્ષી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લિખિત અપને આતમરામ અકેલે … નિશીથ મહેતાએ મિહિર ભૂતા અને બિગ અર્થ મીડિયાના સહયોગથી કમ્પોઝ અને પ્રોડ્યુસ કર્યું હતું જેની નરેન્દ્ર મોદીએ ઘણી પ્રશંસા કરી હતી. લોકડાઉનમાં નિશીથે કોરોના વોરિયર્સ, પોલીસ, નર્સીઝ માટે ગીતો રચી સંવેદનાના સૂર રેલાવ્યા હતા. એમણે લોકડાઉનમાં ૧૬ નવાં ગીતો રચ્યાં હતાં. ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કારને રજૂ કરતું કવિ નર્મદનું ગીત તે ‘જય જય ગરવી ગુજરાત’ પણ નિશીથ મહેતાએ ગુજરાતી સંગીત-નાટ્ય અને ફિલ્મ જગતના જાણીતા કલાકારોને લઈને નિર્માણ કર્યું છે.

ગુજરાતની ભૌતિક વૈચારિક અને આધ્યાત્મિક સમૃદ્ધિ અનન્ય છે. અશોકના શિલાલેખ, અડાલજની વાવ, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરાં, અમદાવાદની પોળો, મોઢેરાનું સૂર્યમંદિર, રાણકી વાવ જેવાં સ્થાપત્યો દેશ-વિદેશના લોકોને આકર્ષે છે. સુદર્શન ચક્રધારી કૃષ્ણની વાંસળી અહીં વાગી ને ગોપીઓનાં ગાન અહીં જ જન્મ્યાં. નરસિંહનાં પ્રભાતિયાં, ગંગાસતી, સતી તોરલનાં ભજનો આજે પણ લોકહૈયે વસે છે. ગુજરાતના ગાંધી વિશ્વપુરુષ થઈ ગયા. ગુજરાતે અનેક રાજપુરુષો, ઉત્તમ કવિઓ, ગીતકારો-સંગીતકારો તથા નાટ્ય અને ફિલ્મ કલાકારો આપ્યા છે.

સહુ ચાલો જીવતા જંગ બ્યૂગલો વાગે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે જેવાં નિરાશ થયેલાઓને પ્રેરણા આપતા આ શબ્દો લખનારા વીર કવિ નર્મદનો જન્મ પણ ૧૮૩૩ની ૨૪ ઓગસ્ટે ગુજરાતના સુરત શહેરમાં વડનગરના નાગર બ્રાહ્મણને ત્યાં થયો હતો. મૃત્યુ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬માં. એેમણે શાળા અને કોલેજનું શિક્ષણ મુંબઈમાં મેળવ્યું હતું. નર્મદે બાવીસ વર્ષની વયે નિર્ણય કર્યો કે કવિતા લખવી હોય તો કવિ બનવું પડે. તેનાં માપ, મીટરને સમજવા પડે. માત્ર નિર્ણય કરવાથી સિદ્ધિ નથી મળતી.

કવિપદ પામવા માટે નર્મદે વીજળીની ઝડપથી ભગીરથ પ્રયત્નો શરૂ કર્યા. દેશમાં ચાલતી અંધશ્રદ્ધા, કુરિવાજોથી સમાજને બચાવવા પોતાની જાતને હોમી દીધી. આજથી ૧૫૦ વર્ષ પહેલાં તેમણે સમાજમાં સુધારા થાય તે માટે વિધવા સ્ત્રી સાથે લગ્ન કર્યા હતાં. તેમણે ‘દાંડિયો’ સામાયિક દ્વારા સાહિત્યસેવા અને સમાજસેવાના ઉચિત પ્રયાસો કર્યા. પ્રેમ શૌર્ય અંકિત કાવ્ય જય જય ગરવી ગુજરાત આજે પણ એટલું જ પ્રચલિત છે. આ ગીતમાં તેમણે ગુજરાતના યશોગાન ગાયાં છે.

નર્મદની કવિતામાં સ્વતંત્રતા, સ્વદેશભિમાન, શૌર્યભાવનાની સાથે સાથે ધ્યાન ખેંચતો વિષય જીવન પ્રત્યેનો સંઘર્ષ છે. કવિ પોતાને સુધારાનો સેનાની કહે છે. જય જય ગરવી ગુજરાત … ગીત ગુજરાતના અનેક જાહેર કાર્યક્રમોમાં ગવાય છે, પરંતુ નિશીથ મહેતાએ એને આધુનિક સ્પર્શ આપીને યુવાપેઢીમાં લોકપ્રિય બનાવ્યું છે, જે ઈન્ટરનેટ પર તમે સાંભળી શકશો. ગુજરાતના અનેક યુવા કલાકારો આજે માતૃભાષામાં સરસ કામ કરી રહ્યાં છે એ ગૌરવ લેવા જેવી ઘટના છે.

———–

જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ર્ચિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત!

•   વીર કવિ : નર્મદાશંકર લાલશંકર દવે ’નર્મદ’   •   સંગીતકાર : નિશીથ મહેતા

https://www.youtube.com/watch?v=DJz8JQtsVz0

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 04 ફેબ્રુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=684326  

Loading

...102030...2,0432,0442,0452,046...2,0502,0602,070...

Search by

Opinion

  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved