Opinion Magazine
Number of visits: 9573167
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સાધારણ માણસ છેતરાવા, ડરવા ને મરવા માટે જ છે ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 December 2020

“કૌન બનેગા કરોડપતિ ?”માં અમિતાભ બચ્ચન રિઝર્વ બેન્કની જાહેરાતમાં અને કાર્યક્રમની વચમાં આવતી જાહેરાતોમાં એક વાત અચૂક કહે છે કે કોઈ પણ બેન્ક ખાતાની વિગતો માંગે તો ન આપવી. રિઝર્વ બેન્ક કહે છે – જાણકાર બનો, સતર્ક રહો. છેતરવાની અનેક યુક્તિઓ ચાલે છે ને આપણામાંથી કેટલાક છેતરાય પણ છે. કાયદો બધાંએ જાણવો જ જોઈએ, એવું કહેવાય છે, પણ એ બધાં જ જો જાણતાં હોત તો બધાં જ વકીલ હોત ! એલ.આઇ.સી. કે મ્યુચ્યલ ફંડ અંગે ચેતવવામાં આવે છે કે એની બધી વિગતો વાંચી-જાણીને સહી કરો, પણ વાસ્તવિકતા એ છે કે એની વિગતો સાધારણ માણસ વાંચી જ ન શકે એ રીતે, એવા ઝીણા ટાઈપમાં છપાયેલી હોય છે કે તે વાંચવા બેસો તો વીમો કે ફંડ પાકી જાય. મોટે ભાગે આપણે બધાં જ સામેવાળા પર ભરોસો મૂકીને જ સહીઓ કરતાં હોઈએ છીએ ને એમાં જ ઘણીવાર છેતરાવાનું પણ થાય છે. એ ખરું કે કેટલીક કંપનીઓનો ઈરાદો છેતરવાનો નથી હોતો, પણ કેટલીક કંપનીઓ તો છેતરવા જ બજારમાં આવતી હોય છે. એમાં જે ફસાય છે તે સાધારણ માણસો હોય છે. જેની બહુ કમાણી નથી કે બહુ બચત નથી એવા માણસો છેતરાય છે. એવા માણસો કરોડોની સંખ્યામાં હોય છે ને છેતરપિંડી નાની રકમની હોય તો પણ છેતરનારને મોટો નફો રળી આપે છે.

એક સમય હતો જ્યારે વિશ્વાસે વહાણ ચાલતું હતું. હવે આપણે સુધરી ગયાં છીએ ને આજના ઝડપી સમયે આપણને એ શીખવ્યું છે કે કોઈનો વિશ્વાસ ન કરવો, આજુબાજુ બધાં જ છેતરનારાઓ છે, સતત ઊંચા જીવે રહો, સાવધાન રહો. કોઈ કોઈના પર ભરોસો મૂકે છે તે જાણે સારું લક્ષણ નથી એવું ભરોસો મૂકનારને ભાન કરાવાય છે. કોઈ ભરોસો મૂકી ને છેતરાય છે તો તેને એમ સંભળાવાય છે કે ફલાણા પર તો ભરોસો મૂકાય જ નહીંને, હવે ભોગવો ! આપણે સુખનો જીવ દુ:ખમાં નાખ્યો છે એવું નથી લાગતું? એક વાત સમજાય છે કે આપણને હવે નિરાંત રહી નથી. આપણી ઊંઘ અજંપા વચ્ચે આવે છે ને સવાર ચિંતાથી પડે છે. આપણે જેને જિંદગી કહીએ છીએ તે અવિશ્વાસ, અશાંતિ અને શંકાઓ વચ્ચે ઉછરે છે. આપણી સગવડો વધી છે, વ્યસ્તતાઓ વધી છે, પણ આનંદ ઘટ્યો છે.

જરા વિચારીશું તો સમજાશે કે આપણી સગવડો એ કદાચ આપણે માટે નથી. ઘણીવાર તો એ બીજાનો આપણી સાથેનો વ્યવહાર સાચવી આપે છે. આપણને બીજાએ કે.વાય.સી. અપડેટ કરવાની સૂચના આપવી છે, લોનનો હપ્તો ભરવાનો બાકી છે તે કહેવું છે, લોટરીમાં ઈનામ લાગ્યું છે કે ખાતામાં કરોડ રૂપિયા જમા આપવા છે તેનો મેઈલ કરવો છે, ડિમેટ એકાઉન્ટ ખોલી આપવું છે કે મેડિકલ કાર્ડ કાઢી આપવો છે, ફ્રેંડ રિકવેસ્ટ મોકલવી છે કે એકાઉન્ટ હેક કરવું છે … આ બધું જોઈશું તો સમજાશે કે આપણે મોબાઈલ કે લેપટોપ કદાચ બીજાની સગવડ સાચવવા જ વસાવ્યાં છે ને એ દ્વારા આપણે જ એ બધાંને સામે ચાલીને લૂંટવાની સગવડ કરી આપી છે. ભોળપણ એ હવે ગુણ નથી, પણ મૂર્ખાઈ છે. કાબો, નાટકબાજ, બીજાને મૂરખ બનાવીને કામ કઢાવી લેનાર માણસ હોંશિયાર ને સ્માર્ટ ગણાય છે. ભલોભોળો, નિર્દોષ માણસ કદાચ હવે ખપતો જ નથી. લુચ્ચાનું અંગ્રેજી હવે સ્માર્ટ થાય છે. એમાં સાધારણને કદાચ સ્થાન જ નથી. આવી જિંદગી કઈ રીતે ઇચ્છવા યોગ્ય છે તે નથી સમજાતું.

સાધારણ માણસ કામનો નથી એવું નથી. આગ લાગે ત્યારે બળી મરવા માટે એ કામનો છે, રેલ આવે તો ડૂબી મરવા માટે એ જરૂરી છે, રોગ આવે તો લોકડાઉન માટે એ ઉપયોગી છે, સાધારણ માણસ કામનો નથી, પણ તે ઘણાંને કામ આવે છે. તે રેલી માટે, ભાષણો માટે, લાઇનમાં ઊભા રહેવા માટે, ટ્રાફિક પોલીસનું ગજવું ભરવા માટે જરૂરી છે. સાધારણ માણસ બીજાનો વ્યવહાર સાચવવા ને પોતાનો વ્યવહાર ખોરવવા માટે જ છે કદાચ.

કોરોના આવ્યો તો કરફ્યુ, લોકડાઉન, સાવધાની સાધારણ માણસે રાખવાની આવી. એમાં પણ રાજકીય ભાષણો, કારભારો તો ચાલ્યાં જ ! કોઈ નેતાએ કેક કાપવો હતો તો તેને તલવાર મળી ગઈ, કોઈએ વરઘોડામાં હવામાં ગોળીબાર કરવો હતો તો તેને રિવોલ્વર મળી ગઈ, કોઈએ સભા કરવી હતી તો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સિંગ વગર હજારો ભેગા કરવામાં વાંધો ન આવ્યો, પણ રસ્તે જતાં કોઈને માસ્ક વગર દંડવા તો એકલદોકલ જ કામ લાગ્યા.

એનો અર્થ એવો નથી કે સાધારણ માણસ માટે કોઈ નીતિનિયમ ન હોવાં જોઈએ. ના, એવું કહેવાનું નથી. કહેવાનું એ છે કે બધી બાબતોમાં ભોગ એનો લેવાય છે. લૂંટાય છે એ. ડરાવાય, ધમકાવાય છે એ. આમ તો તંત્રો જનતાને ચેતવવા ઘણું કામ કરે છે, પણ ઘણીવાર એવો વહેમ પડે છે કે તે ચેતવવાને નામે ધમકાવે છે વધારે. કોરોનાથી લોકો ડરેલા જ રહે એવું તંત્રો નથી કરી રહ્યાં? લોકો જરા જપે છે કે કોઈ વાવાઝોડું, કોઈ નવો રોગ, કોઈ છૂપો ટેક્સ આવી નથી પડતાં? આ બધું દરેક વખતે આકસ્મિક જ હોય છે? ખરેખર તો આવું ડરાવીને કામ કઢાવી લેવા થતું હોવાનું પણ લાગે છે. કોરોનાની શરૂઆતમાં અને દિવાળી પછી સંક્રમણ વધ્યું ત્યારે પેટ્રોલ-ડિઝલના ભાવ કોઈ જ કારણ વિના વધ્યા તે લોકોને ખંખેરી લેવા નથી થયું તેમ કહી શકાશે નહીં.

આ કોઈ કાવતરું છે એવું કહેવાનો આશય નથી, પણ આવું હોઈ શકે છે.

લોકો ભયભીત રહે, ચિંતામાં રહે, બે છેડા મેળવવામાં બીજો વિચાર ન કરે ને એમાં જ ગૂંચવાયેલા રહે એવું કોઈ ઈચ્છે છે એવું નથી લાગતું? આજના પ્રશ્નો પ્રજા સામે એવી રીતે આવે છે કે તે નક્કી જ ન કરી શકે કે સાચું શું છે? કોરોના આવ્યો એ ઓછું હતું તેમ બ્રિટનમાં તેનાથી વધુ ખતરનાક બીજો પ્રકાર પણ આવ્યો, એ ય ઓછું હોય તેમ સુરતમાં નવો રોગ ગુલિયન બેરી પ્રગટ થયો. આમાંથી ક્યારે પરવાર આવશે એ નથી સમજાતું ને બીજી તરફ તંત્રો ને સરકાર કોઈ કામ પાછળ ઠેલવા તૈયાર નથી. ચૂંટણીઓ થાય જ છે. પ્રજાસત્તાકપર્વની મહત્તા જગજાહેર છે ને દર વર્ષે તે દબદબા ભેર દેશભરમાં ઉજવાય જ છે, પણ આ વખતે તેની ઉજવણી સાદાઈથી થઈ ન શકે, જ્યારે ખબર હોય કે પરેડ માટે આવેલા સેનાના 150 જવાનો કોરોનાથી પીડિત છે? કોઈ પણ રાજકીય પ્રવૃત્તિઓ રોકાતી નથી ને સ્કૂલો, કોલેજો સરકાર બંધ રાખીને બેઠી છે.

એમ લાગે છે કે સંકટના સમયમાં તંત્રો તકસાધુની ભૂમિકામાં આવી જાય છે. લોકો ગૂંચવાયેલા હોય ત્યારે રાહતને નામે તંત્રો રમતાં હોય છે. કોરોનાની રસી તો આવતાં આવશે, પણ તે પહેલાં જે દાખલા ગણાઈ રહ્યા છે તે રસીના દુરુપયોગની આગોતરી વરદી નોંધાવે તો નવાઈ નહીં. આમાં જ નકલી રસીનું બજાર ખૂલી જાય તેવો ભય રહે છે. બનવા જોગ છે કે નકલી રસીનો ભોગ સાધારણ માણસ પણ બને. નાનામાં નાની રાજકીય બાબતોનો પ્રચાર એટલી બધી રીતે થાય છે કે એમાં નકલી કોઈ વાત કામે લાગી જાય તો વેઠવાનું નાના માણસને જ વધારે આવે.

સાધારણ માણસ પાર ન પામી શકે એ રીતે સમસ્યાઓ ગૂંચવાતી રહે છે અથવા તો કહો કે ગૂંચવવામાં આવે છે. હાલમાં કૃષિ કાયદાને નિમિત્તે સરકાર અને ખેડૂતો સામસામે છે. ખેડૂતોનો લાભ વિપક્ષ પણ લઈ રહ્યો છે, પણ તેથી તેને માત્ર વિપક્ષની સમસ્યા તરીકે જોઈ શકાય નહીં. તો સરકાર દાદ નથી આપતી એમ માનીને આંદોલન ઉગ્ર કરવામાં પણ નુકસાન તો છેવટે પ્રજાએ જ વેઠવું પડવાનું છે. ઘણા તો ઘણી વાતોથી અજાણ હોય એમ બને, પણ જે જાણે છે એ પણ સાચું પામી શકતા નથી. એમને એટલું જ સમજાય છે કે મોડો વહેલો બોજ પોતાની ઉપર જ આવવાનો છે.

થોડા મહિનાઓ પર કોવિડ રિલીફ ફંડ તરીકે 20 લાખ કરોડનું ફંડ સરકારે જાહેર કર્યું, પણ છાપાંઓ તાજું જ બોલે છે કે એનો એક પણ રૂપિયો સાત કરોડ વેપારીઓમાંથી કોઈને પહોંચ્યો નથી, તો પ્રશ્ન થાય કે આ ફંડ કોને માટે હતું ને તે કોને પહોંચ્યું છે? જી.એસ.ટી. એ એક સાથે ઝેર છે ને અમૃત પણ છે. સરકાર એમાંથી કમાય છે ને વેપારીઓ એમાં ધોવાય છે. આ ટેક્સે કેવળ ને કેવળ મૂંઝવણો જ વધારી છે.

આ મૂંઝવણો એ જ જિંદગી છે શું? માણસને શાંતિ ને રાહત મળે એવી કોઈ જગ્યા જ રહેવા નથી દેવાની? કહેવાનું તાત્પર્ય એ છે કે તંત્રો કે સરકાર તરફથી જે કૈં પણ આવે છે તે સરળનો આભાસ ઊભો કરે છે, પણ એને એટલા વળ હોય છે કે એને સાધારણ માણસ સમજી નથી શકતો. એ સમજ ન પડવાને લીધે તે ભય અને શંકાઓ વચ્ચે જીવે છે ને નથી જીવાતું તો આપઘાત કરે છે.

ઘણીવાર પ્રશ્ન થાય છે કે આ દુનિયા સાધારણ માણસ માટે છે કે કેમ? કે એણે બીજાના ઉપયોગમાં આવીને બિન ઉપયોગી તરીકે જ ઓળખાવાનું છે? આ દુ:ખદ છે –

0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : લેખકની ‘આજકાલ’ નામક કટાર, “ધબકાર” દૈનિક, 28 ડિસેમ્બર 2020

Loading

પરિષદધર્મ અને પરિષદકર્મઃ એક મીમાંસા

સિતાંશુ યશશ્ચન્દ્ર|Opinion - Literature|28 December 2020

આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો,

કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ રીતે, ન કે દર વર્ષ જેમ મોટા શામિયાણામાં, આ વખતે થાય છે. આ વીજાણુ મંડપ વિશાળ છે અને એકઠા થવું, એકઠા રહેવું એ તો જેવો કર્મનો તેવો વિચાર અને ભાવનાનો વિષય છે. સાહિત્ય, એટલે કે સહિતપણું અભિધામાં સીમિત નથી હોતું, એ વાત તો આજે આપણા પ્રથમ ડાયાસ્પોરિક અતિથિવિશેષ, વિપુલભાઈ, છેક લંડનથી અહીં પ્રત્યક્ષ છે, એ દ્વારા પણ આપણે સમજી શકીએ છીએ. પરિષદનો વીજાણુ માધ્યમમાં થતો પ્રવેશ એવા વ્યાપનને શક્ય બનાવે છે. વિપુલભાઈએ ભારત બહાર ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિનો એક પ્રજ્વલિત, તેજે દીપતો ધૂણો આજ દશકોથી અખંડ રાખ્યો છે. સાહિત્યયોગાસને એ રીતે અડોલ, સ્થિર બેસવું એ જે તે વાત નથી. એ યે નિશ્ચેનો એક મહેલ છે. એવા વિપુલભાઈ કલ્યાણીનું હૃદયપૂર્વક સ્વાગત.

આપણી આ ગુજરાતી સાહિત્ય પરિષદ પોતાના આજીવન સભ્યોની દોરવણી પ્રમાણે ચાલતી સંસ્થા છે. આજીવન સભ્યોની સામાન્ય સભાનાં મંતવ્યો, એ આ પરિષદ માટે મૂળ અને અંતિમ પ્રમાણ છે. એ પ્રમાણિકતા તો ગુજરાતી પ્રજાના આંતર  જીવવનની રખેવાળી આજ સુધી કરતી આવી છે. પરિષદના આજીવન સભ્યોની સામાન્ય સભાએ ઠરાવ્યા મુજબ પરિષદનાં સર્વ સત્તામંડળો આજ સુધી વર્તે છે, અને હંમેશ વર્તશે, એ વિશ્વાસ. એ મર્યાદાપાલન આપણા દરેકની બૌદ્ધિક, ભાવનાત્મક પ્રમાણિકતા (intellectual and emotive honesty) જાળવવા માટે અનિવાર્ય છે. પરિષદની સામાન્યસભાનું સર્વોપરિપણું એક વ્યાપક અર્થવત્તા ધરાવે છે. ગુજરાતની કોઈ પણ સાહિત્યિક સંસ્થામાં 1975 જેવી ઇમર્જંસી દાખલ કરવા માટેની કોઈ પણ કુચેષ્ટા કોઈ પણ ન કરે, એ જોવાની જવાબદારી આપણી સહુની છે. ઉમાશંકર જોશી, યશવંત શુક્લ અને મનુભાઈ પંચોળીના, નારાયણભાઈ દેસાઈ અને નિરંજન ભગતના સ્મરણ સાથે.

31મી ડિસેમ્બર, 2020ના દિવસના અંત સાથે નિવૃત્ત થતી પરિષદની મધ્યસ્થ સભાના સભ્ય અને પરિષદ પ્રમુખ તરીકે જ નહીં, આપણી માતૄભાષાના એક અદના લેખક અને ભાવક રૂપે પણ મને હાલ એક વાતનો ભારે સંતોષ છે, બલકે ધરપત છે. એ વાત એ કે પરિષદના હાલના આજીવન સભ્યોએ 2021થી 2023ના મહત્ત્વના સમયગાળા માટે પરિષદ પ્રમુખ રૂપે શ્રી પ્રકાશભાઈ ન. શાહને ચૂટ્યા છે. સાહિત્ય સર્જનના મૂળમાં માનવ ગરિમા, માનવ સ્વાતંત્ર્ય અને સહુ કોઈની સર્જકતા માટેનો જે આગ્રહ રહેલો છે, જે અણનમતા પડેલી છે અને જે નિષ્કલંક નિસ્વાર્થ એવી, ગાંધીનો શબ્દ યોજું તો ‘આપભોગ’ આપવાની કે ત્યાગ કરવાની જે તૈયારી જરૂરી છે, એ આગ્રહ, એ અણનમતા અને એ સહજ ત્યાગવૃત્તિનો સરવાળો એટલે પ્રકાશ ન શાહ, પરિષદના ચૂટાયેલા પ્રમુખ. એમનું સ્વાગત અને ગણતરીના દિવસોમાં આરંભાતા એમના કાર્યકાળ માટે એમને સાધનોની સોંપણી અને સર્વ શુભેચ્છા હું વ્યક્ત કરું છું.

નવનિર્વાચિત મધ્યસ્થ સમિતિ અને કારોબારીના સભ્યોને, મહામંત્રી, અન્ય સર્વ મંત્રીને, બન્ને ઉપપ્રમુખોને, સર્વેને સ્નેહવંદન, અભિનંદન અને શુભેચ્છા. પરિષદનાં મૂલ્યોને, બંધારણને, એની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિએ કરેલા ઠરાવોને દ્રઢાવવામાં અને પરિષદના (ન કે કોઈ પણ અન્યના) ઉદ્દેશો પાર પાડવામાં, આપ સર્વની સહિયારી શક્તિ કામે લાગશે, એ વિશ્વાસ. નિવૃત્ત થતા પ્રમુખ તરીકે જ નહીં, પરિષદની સામાન્ય સભા અને મધ્યસ્થ સમિતિના કાર્યાન્વિત સભ્ય તરીકે પણ મારી એ શુભેચ્છા છે.

પરિષદના અનુબંધોની યોજના પર ધ્યાન અપાશે, તો પરિષદનું સ્વરૂપ બહુકેન્દ્રી, ગુજરાતીભાષી પ્રજાના નાનાં ગામોથી વિદેશનાં મહાનગરો સુધી વ્યાપક અને લયબદ્ધ બનશે. પંચમહાલના કાલોલથી ડાયાસ્પોરાના કેલિફોર્નિયા સુધીના પરિષદના વૈવિધ્યસભર અનુબંધોનો હું આજે આભાર માનું છું. એ પરિષદ-ઊર્જાની કેન્દ્રોત્સારી ગતિ છે. આ વર્ષોનાં બે જ્ઞાનસત્રો, સૂરત અને પાલનપુરમાં યોજાયાં, એમાં કેટલીક આંતર્બાહ્ય પહેલ કરવી જે શક્ય બની, એ શક્યતાનાં મૂળમાં પડેલી, અવરોધોને વિવેકપૂર્વક છતાં દૃઢતાથી ઓળંગતી સર્જક ઊર્જાનું હવે નિરંતર જતન કરવા જેવું છે. સાથોસાથ, આયોજનનું જે કૌશલ્ય, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે, સૂરતની નિમંત્રક સંસ્થાએ દાખવ્યું, એ શક્ય ત્યાં અજમાવવા જેવું છે. આ વર્ષના કોરોનાકાળના વીજાણુ મંડપ વ્યાપ્ત અધિવેશનને પણ સૂરતની એ ક્ષમતાનો ટેકો છે. તો પરિષદની શક્તિની કેન્દ્રગામી ગતિ ‘આનંદની ઉજાણી’-ના (નવલરામના એ શબ્દોએ સૂચવેલી આસ્વાદમૂલક વિવેચનના) કાર્યક્રમો, પરિષદની અગાસીમાં યોજાયા, એમાં અને પરિષદના ગ્રંથાલયમાં જે કાર્યક્રમો નિરંતર યોજાયા, એમાં છે. ‘આનંદની ઉજાણી’ના અનુસંધાને, વીજાણુ માધ્યમનો વ્યાપક ઉપયોગ કરી, ‘નોળવેલની મહેક’ની બેઠકો રચાઈ. એના નિયમિત કાર્યક્રમો કોરોના મહામારીના શરૂઆતના સમયથી, એપ્રિલ 15, 2020થી આજ પર્યંત દર પંદર દિવસે વર્ચ્યુઅલ સ્પેસમાં એકત્ર થતી બેઠકોમાં થયા. વિશ્વભરની ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, શિલ્પ, સિનેમા જેવી કલાઓ અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની ઉત્તમ કૃતિઓ સાથે યુવાચેતનાના, બલકે સહુ રસિકજનોના આ રસભર્યા અનુબંધો હતા. ‘નોળવેલ’-ની દ્રઢનિશ્ચય, ખંતીલી, નિસ્વાર્થ, કાર્યકુશળ ટીમનો આભાર માનીએ એટલો ઓછો. પરિષદની વિવિધ સ્વાધ્યાયપીઠોમાં કેટલુંક ઉત્તમ કામ, રસજ્ઞ વિદ્વાનોનો સાથ મેળવીને, નિશ્ચયપૂર્વક પાર પાડી શકાયું. આ બધામાં અને અન્ય કામોમાં પરિષદને ‘ન કે ના’વ્યાં વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. સાહિત્યની એ સંજીવની વિદ્યા આપણા સહુનું રક્ષણ કરો અને આપણે એ વિદ્યાનું રક્ષણ કરીએ.

ગુજરાતના આજના રાજકીય આગેવાનો અને સામાજિક શક્તિના સંરક્ષકો માટે ગુજરાતના એક અનોખા કવિ કૃષ્ણલાલ શ્રીધરાણીની એક કવિતાનો ઉલ્લેખ કરી આ વક્તવ્ય આટોપું. એ કૃતિનું શીર્ષક છે, ‘સ્વરાજ રક્ષક.’ કથા કાવ્ય છે અને આજે પણ એ સહુને અને બીજાં સહુને કામ લાગે એવું છે. કથા એ છે કે શિવાજી મહારાજના ગુરુ સ્વામી રામદાસ એક વાર એમને મળવા સવારના સમયે ચાલતા જતા હતા. સાથે એમના બીજા યુવાન ચેલાઓ અને  છત્રપતિ મહારાજના થોડા સૈનિકો પણ હતા. જુવાનિયાઓ, સવારે ચાલતાં થોડા ભૂખ્યા થયા. પાસે શેલડીનું ખેતર આવ્યું. આપણને આજે ગુજરાતની સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓ યાદ આવે. સહુ જુવાનિયા, ચેલાઓ અને સૈનિકો, ખેતરમાં ઘૂસ્યા અને સાંઠા કાપી ચૂસવા લાગ્યા. પણ ખેડૂત મજબૂત હતો. દૂરથી આ વર્તન જોઈ એ લાઠી લઈને દોડ્યો. જવાનિયાઓને ચાતરી એમના મુખિયા જેવા લાગ્યા એ સ્વામીજી પાસે જઈ એમને વાંસે બેત્રણ ફટકા લગાવ્યા. ‘મારી શેરડી મને પૂછ્યા વગર કેમ કાપી? પૂછત તો રસ કાઢીને પીવડાવત!’ ચેલા અને સિપાઈઓ ઝાઝા હતા, ખેડૂતને પકડીને સ્વામીને પૂછે, વાઢી નાખીએ આને? સ્વામી મધુર હસીને કહે કે સાથ લે લો, મહારાજ સે મિલાયેંગે. ગયા. શિવાજીને સહુએ વાત કરી. છત્રપતિ મહારાજ ગુરુ રામદાસને પૂછે, તમને ફટકા મારનારનો હાથ કાપી નાખું કે ગરદન વાઢું? સ્વામી હસીને કહે, શિવાજી, આનું બહુમાન કર. આણે પોતાના ખેતરનું રક્ષણ કર્યું. એ તારો ખરો સાથી છે, ખરો સ્વરાજ રક્ષક છે. ઔરંગઝેબ સામે લડવામાં તારી પડખે એ પહેલો હશે. – આજે એ કાવ્ય યાદ આવે છે. સાહિત્યની, વિદ્યાની સંસ્થાઓની સ્વાયત્તાતાનું રક્ષણ કરવા ખડા થયેલાઓની વાત, આજની સત્તા પાસે રજૂ કરનાર સ્વામી રામદાસ કોઈ નજરે પડતા નથી. અને જે છે એ સ્વાર્થવશ સલાહકારોમાં સ્વામીનું દૂરંદેશીપણું કે નિસ્વાર્થતા ક્યાંથી હોય?

આપણે અણનમ રહી સ્વાયત્તતાનું રક્ષણ, ઔરંગઝેબી તાકાતો સામેની લડત આપી, કરતા રહીએ, અને જોઈએ છત્રપતિ આજે શિવાજી જ છે ને, સાહિત્ય અને વિદ્યા ક્ષેત્રે લાંબું જોનારો અને નગુરો નહીં એવો?

શુભેચ્છા, મિત્રો.

* *

24 ડિસેમ્બર, 2020. સમા, વડોદરા.

Loading

પન્નાને

નટવર ગાંધી|Poetry|28 December 2020

જન્મદિને, કરોના સમયે, ડિસેમ્બર 28, 2020

શિખરિણી 

મહામારીના આ દિવસ ગણતા માસ નીકળ્યા,
હજી લાગે છે કે વરસ વધુ એકાદ ગણવું,
મને મોટી ચિંતા નિશ દિન થતી,  કેમ જીવશું,  
સખી, સંગે સંગે, જીવન જીવવું છે હજી ઘણું.  

હજી તારી સાથે નગર ભમવા દૂર દૂરના 
ઉષા સંધ્યા કેરાં કિરણ ગૂંથવાં, ભાત ભરવી 
અમાસી રાત્રે સૌ ઉડુગણ તણી, ને ઘણી ઘણી 
સખી, ગોષ્ઠિ મીઠી કરવી તુજ સાથે નયનથી.

હજી બાકી કૈં કૈં, ઘણું ઘણું, સખી, સાથ જીવવું, 
હતાં જોયાં સ્વપ્નો સહજીવન દામ્પત્ય સુખનાં,
હતો કલ્પ્યો જે કૈં રતિ મદન ઉલ્લાસ પ્રણયે, 
મળ્યું જે કૈં તેથી નથી જ નથી સંતોષ હૃદયે.

કરોનાનો કાળો સમય અણધાર્યો નકી, છતાં 
સખી, તારી સાથે જીવવું મરવું એ અફર છે.

Loading

...102030...2,0432,0442,0452,046...2,0502,0602,070...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved