Opinion Magazine
Number of visits: 9572544
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત લક્ષણ

વિનોબા|Opinion - Opinion|13 February 2021

ભાગવતધર્મ સારના ત્રીજા અધ્યાયના પહેલા ત્રણ શ્લોકો મહત્ત્વના છે. તેમાં ભક્તોના ત્રણ પ્રકારો બતાવ્યા છે.

પહેલો પ્રકાર છે સર્વોત્તમ ભક્તનો. भागवतोत्तम:નો અર્થ છે ઉત્તમ ભક્ત. ઉત્તમ ભક્ત કોણ ? જે સર્વભૂતોમાં ભગવાનને જૂએ છે અને પોતાને પણ જૂએ છે તે. અહીં બેવડી વાત વણી છે – સર્વ ભૂતોમાં ભગવાનની તેમ જ પોતાપણાની ભાવના કરીને જોવું.

હવે સરળ શું, બધા ભૂતોમાં પોતાને જોવો તે કે ભગવાનને જોવો તે ? ભગવાનને જોવો તે સરળ લાગે પરતું જો કોઈ ભગવાનમાં ન માનતું હોય તો તેને માટે તો બધા ભૂતોમાં જાતને જોવી તે પદ્ધતિ જ યોગ્ય ઠરશે. જો કે, આ વાત પણ સરળ નથી. મા પોતાના સંતાનમાં પોતાને જોઈ શકશે, પરંતુ બીજાના સંતાન માટે એવી ભાવના રાખવી કઠણ છે. તેથી ભગવાનની જ્યોતિ બધા ભૂતોમાં છે, એમ માનવું સરળ જણાય છે.

પછી કહ્યું : भूतानि भगवति आत्मनि ओष: पश्येत्‌. એટલે બધા જ ઓતપ્રોત છીએ. ભગવાન પ્રાણીમાત્રમાં છે અને પ્રાણીમાત્ર ભગવાન છે. આપણામાં બધા ભૂતો છે અને બધા ભૂતોમાં આપણે છીએ – એમ આ ચાર વાતો સમજાવી દીધી.

આમ જોવા જઈએ તો દુનિયામાં અનેક ભેદો છે, પરંતુ જડ, ચેતન અને પરમાત્મા, આ મુખ્ય ભેદ છે. તેના પણ અવાંતર-ભેદો છે. જડ એટલે તમામ અચેતન સૃષ્ટિ. સૃષ્ટિમાં પથ્થર, પાણી, વૃક્ષ, પહાડ એ બધા ભેદ છે. તો ઘડિયાળ, ખુરશી, ચશ્માં એ પણ ભેદ છે. એકનું કામ બીજી વસ્તુ નથી કરી શકતી તે રીતે ચેતન-ચેતનમાં પણ ભેદ છે. માણસ અલગ, ગધેડો અલગ. વળી મનુષ્ય મનુષ્યમાં પણ ભેદ છે. પરમેશ્વર અને જડમાં ભેદ હોય છે તેમ પરમેશ્વર અને ચેતનમાં પણ ભેદ છે. એવી રીતે કુલ પાંચ પ્રકારના ભેદ જણાય છે : 1. જડ-ચેતન 2. જડ-જડ 3. ચેતન-ચેતન 4. પરમેશ્વર-જડ 5. પરમેશ્વર-ચેતન. પરંતુ ભાગવત આ પાંચેય પ્રકારના ભેદ ખતમ કરવાની વાત કહે છે. આ પાંચેય ભેદોમાં જે અભેદ જૂએ છે તે ‘ભગવતોત્તમ:’ – તે ઉત્તમ ભક્ત. આ પ્રથમ શ્રેણીનો ભક્ત હશે.

હવે બીજા પ્રકારના ભક્તની વાત આવે છે.

3.2  इश्वरे तदघीनेषु बालिशेषु द्विषत्सु च ।
      प्रेम-मैत्री-कृपोपेक्षा यः करोति स मध्यम्‌ ॥।

આ છે બીજા પ્રકારનો ભક્ત ! ઈશ્વરમાં तदघीनेषु – ઈશ્વરના ભક્તોમાં, बालिशेषु – સામાન્ય મૂઢ જનોમાં, द्विषत्सु – આપણી સાથે દ્વેષ – દુશ્મની કરનારાઓમાં, यः -જો, प्रेम-मैत्री-कृपोपेक्षा  ક્રમશ: પ્રેમ, મૈત્રી, કૃપા અને ઉપેક્ષા, करोति – કરે છે, स मध्यम् -તેને મધ્યમ કોટિનો ભક્ત કહ્યો.

આમ અહીં 1. પરમેશ્વર, 2. પરમેશ્વરના ભક્ત, 3. મૂઢજન અને 4. દ્વેષ કરનાર – આવા ચાર વર્ગ બતાવ્યા. ભક્ત આ ચારેય સાથે ચાર પ્રકારનો વ્યવહાર કરે છે. એટલે કે વ્યવહારમાં ભેદ રાખે છે.

તેના ચિત્તમાં પરમેશ્વર પ્રત્યે પ્રેમ હોય છે. પૂર્ણ પ્રેમ ઈશ્વરને સમર્પિત એ તેનો નિર્ણય છે. ઈશ્વરના જે ભક્તો છે તેની સાથે તે મૈત્રી રાખે છે. એટલે કે મૈત્રી-સંઘ થાય છે. મૈત્રી શબ્દ ઈસાઈઓમાં બહુ પ્રચલિત છે. પછી જેમ મૂઢજન છે તેના પ્રત્યે તેમના મનમાં કૃપા એટલે કે કરુણા હોય છે. અને જેઓ દ્વેષભાવ કે દુશ્મની બતાવે છે તેની ઉપેક્ષા સેવે છે. એટલે કે તેના પ્રત્યે તે ધ્યાન નહીં આપે. આવો ચાર પ્રકારે વ્યવહાર કરનારો એ બીજા નંબરનો ભક્ત.

ભગવાન બુદ્ધે અને પતંજલિએ ભક્તની જે કલ્પના કરી હતી, તે અહીં છે પરંતુ તેઓની જે સર્વોત્તમ ભક્તની આ કલ્પના છે, તે ભાગવતની બીજા નંબરના ભક્તની છે. ભગવાન બુદ્ધે ચાર પ્રકારના વ્યવહાર સૂચવેલા. તેમણે 40 દિવસના ઉપવાસના અંતે જ્યારે આંખ ખોલી તો એક દિશામાં મૈત્રીનું દર્શન થયું, બીજી દિશામાં કરુણાનું, ત્રીજી દિશામાં પ્રેમનું અને ચોથી દિશામાં ઉપેક્ષાનું દર્શન થયું. ત્યારથી તેઓ આ ચાર ભાવનાઓ સમજાવવા લાગ્યા. પરંતુ ભાગવત કહે છે કે જે આવી ભાવના કરશે તે નંબર બેનો ભક્ત ગણાશે. કારણ કે તેમાં એક ઈશ્વર, એક ભક્ત, એક મૂઢ અને એક દુશ્મન એવી ચાર ઓળખ છે. જ્યારે નંબર એકના ભક્તમાં આવા ભેદ જ નથી હોતા.

પતંજલિએ ‘યોગસૂત્ર’માં ચિત્તની પ્રસન્નતા માટે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા – એવા ચાર પ્રકાર બતાવ્યા છે. દુ:ખીજનો માટે કરુણા, સુખીજનો સાથે મૈત્રી, પુણ્યવાનોને જોઈને આનંદ અથવા પ્રેમ અને પાપીઓની ઉપેક્ષા એટલે કે બીજાઓના પાપ તરફ ધ્યાન ન દેવું. સારાંશ સુખ, દુ:ખ, પાપ, પુણ્ય – આ ચાર વિષય બતાવી ચાર પ્રકારે વ્યવહાર કરવાથી ચિત્ત પ્રસન્ન રહેશે એવો પતંજલિનો મત છે. એ જ ભાવ એમણે નીચેના સૂત્રમાં આપ્યો છે –

मैत्री-करुणा-मुदितोपेक्षाणां सुख-दुःख-पुण्यापुण्य-
विषयाणां भावनातश्‌ चित्तप्रसादनम्‌

ત્યાર પછીના શ્લોકમાં ભાગવતકારે ભક્તોનો ત્રીજો પ્રકાર દર્શાવ્યો છે.

3.3  अर्चायामेव हस्ये पूजां यः श्रद्धयाहते
       न तदूभक्तेषु चान्येषु स भक्त: प्राकृत: स्मृतः

આ ત્રીજા પ્રકારનો ભક્ત ! अर्चायाम – મૂર્તિમાં, ચિહ્નમાં, મંત્રમાં,  हरये पूजां यः श्रद्धयाईते શ્રદ્ધાને રાખીને ભગવાનની પૂજા કરવા ચાહે છે, तद्भक्तेषु च अन्येषु च – ભગવાનના ભક્તો અને અન્ય લોકોની એવી જ શ્રદ્ધાથી પૂજા કરવા નથી ચાહતો, એવો પ્રાકૃત ભક્ત, સર્વસાધારણ ત્રીજા પ્રકારનો ભક્ત કહેવાયો.

શીખ લોકો ‘ગ્રંથ’ (ગુરુગ્રંથ સાહિબ) પર શ્રદ્ધા રાખે છે અને માને છે કે એમાંથી પ્રકાશ મળે છે. કોઈ મંત્ર પર શ્રદ્ધા રાખે છે, કોઈ ૐકાર યા સ્વસ્તિક જેવા ચિહ્ન પર શ્રદ્ધા રાખે છે. આમ પોતપોતાની શ્રદ્ધા અનુસાર તેઓ ભક્તિ કરે છે. પરંતુ તેઓ ભાગવતના ભક્તોની પૂજા નથી કરતા. તેનો મતલબ એવો નથી કે તેઓ ભક્તોનો અનાદર કરે છે. આદર તો કરે છે પરંતુ તેઓ માને છે કે, જે કંઈ છે તે તમામ મૂર્તિમાં છે, બાકી બીજું શૂન્ય છે, આવા ભક્તોને ‘પ્રાકૃત ભક્ત’ કહ્યા. અર્થાત્ ત્રીજા પ્રકારના.

જો કે, તુકારામ મહારાજે ઊલટું જ કહ્યું છે – देव सारावे परते संत पूजाबे आरते । પરતે એટલે આ પાર, ‘આરતે’ એટલે પેલી પાર. ભગવાનની મૂર્તિને દૂર કરો અને પ્રથમ સંતોની પૂજા કરો. મૂર્તિપૂજા અલગ રાખીને સંતોની પૂજા કરશો, તો થોડા ઉપર ઊઠશો. તુકારામના આ વચનમાં ખૂબી છે. તેઓ કહે છે કે અડધી એક ડિગ્રી તો ઊંચા ઊઠો !

સવાલ ઊઠે કે સંતોને ઓળખવા શી રીતે ? મૂર્તિ વિશે આવો સવાલ પેદા ન થાય, ત્યાં ચિત્ત ડામાડોળ ન થાય. સોએ સો ટકા શ્રદ્ધા હોય છે. પરંતુ કોઈ સંત આવે કે તરત સવાલ પેદા થાય કે તે સંત હશે કે નહીં. સંતોની પરીક્ષા કરીએ, પણ તમને એ અધિકાર નથી. અર્થાત્ પરીક્ષા કર્યા વિના તેમનો આદર કરવો. જેમને આપણે ‘સજ્જન’ માનીએ તેમને નમ્રતાપૂર્વક સજ્જન માનીએ. પથ્થરની મૂર્તિને તો જેવી હોય, તેવી સ્વીકારીને શ્રદ્ધાપૂર્વક પૂજા કરીએ છીએ. તેવી રીતે શ્રદ્ધાપૂર્વક, પરીક્ષા લીધા વિના સંતોની પૂજા કરવી.

ભક્તોના આ પ્રકારો બતાવ્યા તેનો અર્થ શો ? શું એમાં માન-સન્માનની વાત છે ? ના, એવું નથી. તે તો આપણી સરળતા માટે છે. એક પછી એક સીડીનાં પગથિયાં દર્શાવ્યાં છે. તેનાથી ચિત્ત એકાગ્ર કરવામાં સરળતા રહે છે. પહેલાં કહ્યું, જેના પર શ્રદ્ધા છે તેમાં ચિત્ત એકાગ્ર કરો. પછી ચાર પ્રકારની ભાવના બતાવી. પછી ઉત્તમ પ્રકારના ભક્તની વાત કરી રસ્તો બતાવ્યો, જેથી ધ્યેય સુધી પહોંચી શકાય.

આમ જોઈએ તો ભક્તોનો બીજો પ્રકાર સહેલો લાગે છે, પરંતુ તે સરળ નથી. તેમાં ઈશ્વરને પ્રેમ કરવાની વાત છે. તેના પર સવાલ થશે કે શું આપણે આપણા નિકટના સંબંધીઓને પ્રેમ કરવો કે નહીં ? ખરું પૂછો તો, આપણો પ્રેમ તેમના પર જ વહેંચાયેલો છે. પરંતુ ત્યાં આપણને આસક્તિ છે. તેથી પહેલાં તો આસક્તિ છોડવી પડશે. મતલબ જેમના પર આપણને પ્રેમ છે, તેમને ઈશ્વરની ભાવનાથી જોવા. તે માટે શું કરવું? તે વ્યક્તિની સેવા કરવી. સેવા લેવી નહીં. સેવા લઈએ છીએ, તો આપણે ભોગ ભોગવી રહ્યા છીએ, એવું થશે. ભોગ ભોગવવો એ પ્રેમ નથી. બીજી એક વાત. સંબંધીઓ અને સગાંઓ ઉપર હક્ક માનવામાં આવે છે. હક-અધિકારની આ ભાવના પણ દૂર કરવી પડશે. પતિ-પત્ની, પિતા-પુત્ર વગેરે સંબંધોમાં કામનાનો અંશ હોય છે. તેથી એ પ્રેમ ભક્તિમાં માન્ય નથી. નિષ્કામ પ્રેમ જ ભક્તિમાં માન્ય છે.

સામાન્ય મૂઢ લોકો માટે ચિત્તમાં કરુણા હોવી જોઈએ. તેમના વિશે તિરસ્કાર ન હોય. મનમાં દૂરીભાવ ન હોય. પ્રતિકાર ન હોય. પણ ઈશુએ તો કોઈ ઓર જ વાત કહી – લવ ધાય એનિમી – શત્રુ પર પ્યાર કરો. તમે જો દ્વેષ કરશો તો દ્વેષથી દ્વેષમાં જ વધારો થશે. માટે દ્વેષનો વિરોધ પ્રેમથી જ થવો જોઈએ. પૂર્ણ પ્રેમ કરો. ઈસાએ આ વિધાયક વાત કરી. વળી એમ પણ કહ્યું કે જેણે તમારી પર અપકાર કર્યો હોય તેનું, મોકો જોઈ ભલું કરો, ત્યારે તેનું હૃદય તમે જીતી શકશો. કોઈએ બૂરું કામ કર્યું હોય તો તેની અસર મન પર ન થવા દેવી તે સહેજ સરળ છે. પણ ઈશુ તો વિધાયક વાત કરે છે કે પોતાના મન પર એવી અસર થવા દો કે જેથી તમારો પ્રેમભાવ વધવા લાગે.

મને થયું કે બીજા વર્ગના ડબામાં સફર કરવી હશે તો આપણી પાસે આટલું ભાથું હોવું જોઈશે. તેથી આટલી ચોખવટ કરી.

3.4  गृहीत्वाष्पीद्रियैरर्थान्‌ यो न द्वेष्टि न हृष्यति ।
       विष्णोर्‌ मायां इदं पश्यन्‌ स बै भागवतोत्तम: ॥

આ શ્લોકમાં છે કે, ઇન્દ્રિયો વિષયો ગ્રહણ કરે તો પણ ચિત્તમાં હર્ષ કે દ્વેષ પેદા ન થવા દે, તેને ઉત્તમ ભક્ત માનવો. અનુકૂળ વિષયોથી પ્રસન્નતા અને પ્રતિકૂળ વિષયોથી ખેદ, એવું તે નથી જાણતો. તે સમજે છે કે અનુકૂળ-પ્રતિકૂળ બધા વિષયો વિષ્ણુની માયા છે. એક કહેશે, ‘શાકમાં મીઠું વધુ છે.’ તો બીજો કહેશે, ‘મીઠે મોળું છે’. આ બધું ઇન્દ્રિયોની આદત પર નિર્ભર છે. માટે હર્ષ-ખેદથી દૂર રહો. આપણને ધીરે ધીરે ઉત્તમ ભક્તની શ્રેણીમાં લઈ જવાની ભગવાનની આ રીત છે.

3.5  देहेंद्रिय-प्राण-मनो-धियां यो जन्माप्यय-क्षुदू-भय-तर्ष-कृच्छै: ।
       संसारधमैंर्‌ अविमुह्यमान: स्मृत्या हरेर भागवतप्रधान: ॥

स्मृत्या हरे: भागवतप्रधान: – ભગવાનનું ભક્તને કાયમ સ્મરણ રહે, તે માટે संसारधमैं: अविमुह्यामान: – તે સંસારધર્મોથી મોહિત નથી થતો. એટલે કે સંસારધર્મોની તેના પર અસર નથી થતી. તેણે એક બખ્તર પહેરી લીધું છે. કેવું છે એ બખ્તર ? – स्मृत्या हरे: – હરિના સ્મરણનું. जन्माप्यय જન્મ અને અપ્યય એટલે મરણ સંસારધર્મ છે. જન્મ થયો તો બધા પ્રસન્ન થાય છે, અને મૃત્યુ થયું તો રડવા લાગે છે. શાસ્ત્રકાર તો કહે છે કે રડવાથી મરનારની ગતિમાં બાધા આવે છે. પણ કોઈ તેનું વિચારતું નથી. આત્માની અમરતા વિશે ભારતમાં જેટલો પ્રચાર થયો છે, એટલો બીજે ક્યાં ય નથી થયો. તોયે મરતી વખતે રો-ક્કળ સૌથી વધુ અહીં થાય છે. પરંતુ જેણે હરિ સ્મરણરૂપી બખ્તર પહેરી લીધું છે, તેને દુ:ખ થતું જ નથી.

ભૂખ અને તરસ પણ સંસાર-ધર્મ બતાવાયા છે. સામાન્ય માણસ ક્ષુધા-તૃષાથી પીડિત થાય છે, પરંતુ ઉત્તમ ભક્ત નહીં. તેનો મતલબ એ નથી કે તેને ભૂખ નથી લાગતી. ઉત્તમ ભક્તને ભૂખ અને તરસ તો લાગે છે, પરંતુ તૃષા-ક્ષુધાના ભાવથી તે અભિભૂત નથી થતો. તેનો ભય પણ તેને નથી રહેતો. ભયની ભાવના તો સર્વત્ર ફેલાયેલી છે. તેથી ભયને ભગવાને સંસાર-ધર્મ બતાવ્યો છે. પરંતુ આ સંસાર-ધર્મનો પ્રભાવ ઉત્તમ ભક્ત પર નથી પડતો. કારણ કે, તેણે હરિ-સ્મરણરૂપી બખ્તર પહેરી લીધું છે. આ સંસારધર્મ કોના છે ? શરીર અને ઇન્દ્રિયોના. આત્મા સાથે તેનો કોઈ સંબંધ નથી. આજે દુનિયામાં ડરને લઈને જુલમીઓ પોતાનું કામ કરાવી લે છે. આજે ડરને કારણે કે પેટને કારણે માણસ જુલમ સહી લે છે તેને કારણે માનવતાનું સ્તર નીચે ઊતરે છે. પરંતુ ઉત્તમ ભક્ત એવું કદી નહીં કરે.

3.6  न काम-कर्म-बीजानां यस्य चेतसि संभव:
       वासुदेवैकनिलय: स बै भागवतोत्तम:

वासुदेवैकनिलय: – એકમાત્ર વાસુદેવ જ જેનું ઘર છે, यस्य चेतसि, જેના ચિત્તમાં, काम-कर्म-बीजानाम्‌ – કામ વાસના, કર્મનો અહંકાર અને કામનાનાં બીજ, न संभव: છે જ નહીં, स वै भागवतोत्तम: નિશ્ચય જ તે ઉત્તમ ભક્ત છે.

જ્યારે માણસ ઘરમાં રહે છે, ત્યાં સુધી એને વિશ્વાસ નથી બેસતો કે ઘરની બહાર નીકળશે તોયે ખાવાનું મળી રહેશે. પરંતુ બાબાને તો અનુભવ છે કે એક વાર બહાર નીકળશો તો ખાવા ઉપરાંત, બીજી બધી વ્યવસ્થા પણ સહેજે થઈ જાય છે. આપણે બીજાને પ્રેમ કરીએ છીએ તો બીજા પણ આપણને પ્રેમ કરે છે. એક ભાઈ અનેક પ્રાંતોમાં ફરી આવેલા. તેમને લોકોએ પૂછ્યું કે ‘સહુથી મોટી અડચણરૂપી ખીણ કઈ ?’ તો કહે, ‘ઘરની આસક્તિ. એક વાર તેને કૂદી ગયા તો બધું જ સરળ. તેનાથી ઊંડી કોઈ ખીણ નથી.’

માણસ ઘરમાં શાને ચીપકી બેસે છે ? તેના ચિત્તમાં કામ-કર્મનાં બીજ છે. પણ ઉત્તમ ભક્તના ચિત્તમાં એ નથી. ઉત્તમ ભક્ત માટે તો વાસુદેવ જ વસતિ-સ્થાન છે. જ્ઞાનદેવ મહારાજે લખ્યું છે કે हें विश्वचि माझें घर – ભક્ત માને છે કે આ વિશ્વ જ મારું ઘર છે.                                           

(સંકલિત)

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01ફેબ્રુઆરી 2021; પૃ. 01-12 તેમ જ 14

https://bhoomiputra1953.wordpress.com/2021/02/07/bhakts-as-per-vinoba/   

Loading

કૃષ્ણ કહે છે …

રવીન્દ્ર પારેખ|Poetry|12 February 2021

ચિંતા ન કર
આમ જ હોય
ફૂલો ડાળી પર હોય ત્યારે
કોઈ ન જુએ તો પણ 
ખીલે તો છે જ
સૂર્ય ડૂબે ત્યારે જ
સાંજ સરસ લાગે છે
શોકસભા સજાવી શકાય એટલે 
જગત ચૂપ રહેતું હોય છે
ને દેવામાં તો ગાળ જ 
દેતું હોય છે
હતો 
ત્યારે ગાળ જ ખાધી છે
ને દેનારે શાપ જ દીધા છે
પણ તીર ખાઈને
તીરે આવ્યો છું
આમ જ હોય
ચિંતા …

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

જમનાલાલ બજાજ – કથની તેવી કરણી

ગુણનિવેદનમ્ : વિનોબા — અનુવાદ : ભદ્રા સવાઈ|Gandhiana|12 February 2021

સન 1942ની 11 ફેબ્રુઆરીએ જમનલાલજીએ આપણી વચ્ચેથી વિદાય લીધી. પાંચમા પુત્ર તરીકે બાપુની સાથે પૂરી રીતે જોડાયેલા હતા. બાપુના મિત્રમંડળમાં અને પરિવારમાં કોઈ ફરક હતો નહીં. જે પ્રેમ બાપુનો દેવદાસ પર હતો, તેવો જ, અને તેટલો જ પ્રેમ એમણે જમનાલાલજી પર કર્યો. આ રીતે જ્યાં પ્રેમક્ષેત્ર અને કર્મક્ષેત્ર એક થઈ જાય છે, ત્યાં ધર્મક્ષેત્ર થઈ જાય છે.

જમનાલાલજી સાથે મારો જે સંબંધ હતો એનું વર્ણન શબ્દોમાં નહીં થઈ શકે. મારો ચાર પરિવારો સાથે પરિચય છે. એક મહાત્મા ગાંધીનો પરિવાર, બીજો જમનાલાલજીનો પરિવાર, ત્રીજો અણ્ણાસાહેબ દાસ્તાને પરિવાર અને ચોથો રમાદેવી ચૌધરીનો પરિવાર. આ સિવાય બીજા કોઈ પરિવાર સાથે મારો પરિચય નથી. જમનાલાલજીની તીવ્ર ઇચ્છાને વશ થઈને બાપુએ સત્યાગ્રહ-આશ્રમની એક શાખા વર્ધામાં ખોલવાનું વિચાર્યું અને તેના સંચાલન માટે મને અહીંયાં આવવાનો આદેશ થયો. હું મારા કેટલાક સાથીઓ અને વિદ્યાર્થીઓની સાથે વર્ધા આવ્યો. (8-4-1921) અને અહીં આશ્રમ થયો.

બાપુ અહીંયાં – વર્ધા આવીને 15 વર્ષ રહ્યા. એમને લાવવાનું શ્રેય જમનાલાલજીને ફાળે જાય છે. જ્યાં જ્યાંથી જે-જે પવિત્રતા વર્ધામાં લાવી શકાય, જમનાલાલજી લાવ્યા. તેઓ ભગીરથની જેમ અહીંયાં ગંગા લાવ્યા અને વર્ધાને એક પુણ્યક્ષેત્ર બનાવ્યું. આ જે અનેક સંસ્થાઓ દેખાઈ રહી છે તે બધી જમનાલાલજીની જ કૃતિ છે. બાપુ વિચાર કરે અને જમનાલાલજી એને અમલમાં મૂકે, એવો એમનો સંબંધ હતો. બંનેએ જાતિ, ધર્મ વગેરે કોઈ પ્રકારનો ભેદ રાખ્યા વગર મનુષ્યમાત્ર બધા એક જ છે, એવું સમજીને સેવા કરી. ગરીબો સાથે એકરૂપ થવાનો નિરંતર પ્રયત્ન કર્યો.

परहित बस जिनके मनमांही,
तिन कहं जग दुर्लभ कछु नाही

તુલસીદાસજીના આ વચન પ્રમાણે પરહિતનું આચરણ કરીને દુનિયાનું બધું જ તેમણે પ્રાપ્ત કર્યું.

આજે હું જમનાલાલજીના કેટલાક પત્ર જોઈ રહ્યો હતો. એક પત્રમાં એમણે લખ્યું છે, “ગાંધીજીનું ઉત્તમ માર્ગદર્શન આપણને મળ્યું છે. એમણે બતાવેલા માર્ગ પ્રમાણે જો નિષ્કામ જનસેવા કરી, તો આ જન્મમાં મોક્ષને મેળવી શકીશું. આ જન્મમાં મોક્ષ મળ્યો નહીં તો પણ ચિંતાની કોઈ વાત નથી. અનેક જન્મ લઈને સેવા કરતા રહેવામાં પણ આનંદ છે. બુદ્ધિ શુદ્ધ રહે તો બસ છે.” પોતાની ડાયરીમાં એમણે આ લખ્યું છે.

વર્ધાની સેવા એમણે પ્રેમથી કરી. ફક્ત સ્વદેશી ધર્મને માટે એમણે વર્ધાને પ્રેમ કર્યો. તુલસીરામાયણમાં ભરતનું ચરિત્ર એમને બહુ જ ગમતું હતું. બાપુને પણ તે બહુ જ પ્રિય હતું. અહીંયાં જે ભરત-રામનું મંદિર છે તે જમનાલાલજીનું ઉત્તમ સ્મારક છે. સન 1938ની વાત છે. હું જ્યારે અહીંયા આવ્યો ત્યારે આ બધી મૂર્તિઓ દેખાય છે તે નહોતી. ખેતી માટે જમીન ખોદવા માંડી ત્યારે મારા હાથમાં પહેલી મૂર્તિ આવી તે ભરત-રામની, અને આશ્ચર્યની વાત એ છે કે ભરત-રામની તે મૂર્તિ એવી હતી કે જે ગીતા-પ્રવચનમાં વર્ણવી છે. ધુલિયા જેલમાં ગીતા પર મારાં પ્રવચન થતાં હતાં. તે સાંભળવા જે શ્રોતાઓ આવ્યા હતા એમાં જમનાલાલજી પણ હતા.

ગીતા પ્રવચનના 12મા અધ્યાયમાં ભરત-રામની ભેટનું વર્ણન કરવામાં આવ્યું છે : “એક જંગલમાં રહેતા હતા, એક અયોધ્યામાં રહેતા હતા બંને પૂરા તપસ્વી હતા. કોઈ ચિત્રકાર એમનું ચિત્ર કરે તો કેટલું પાવન ચિત્ર થાય. જમનાલાલજીએ નીકળેલી મૂર્તિ જોઈ અને એમના પર એવી વિલક્ષણ અસર પડી ! એમણે કહ્યું, “1932માં તમે જે ઇચ્છા પ્રગટ કરતા હતા તેના જેવું ચિત્ર મળ્યું 1938માં તો ભગવત્-સાક્ષાત્કારનો એમને અનુભવ થયો. એક અદ્ભુત આશ્ચર્યકારક ઘટના બની ગઈ. એને હું મારી જિંદગીની સર્વશ્રેષ્ઠ ઘટના માનું છું. એનું પરિણામ એ આવ્યું કે જમનાલાલજીના મનમાં બહુ જ શ્રદ્ધા પ્રગટ થઈ. શ્રદ્ધા તો પહેલાથી જ હતી. એક બીજાને પોતાના સાથી માનતા હતા. પણ એ દિવસથી એમની મારા માટેની ગુરુભાવના વધી.

ગીતાઈના પહેલા પ્રકાશક જમનાલાલજી હતા. અમે બંને ધુલિયા જેલમાં હતા ત્યારે ચર્ચા ચાલી કે ગીતાઈની કિંમત કેટલી રાખવી જોઈએ. મેં પૂછ્યું કે “બીડીનું બંડલ કેટલામાં મળતું હશે ? તેઓ બોલ્યા, “મને ખબર નથી. મેં કહ્યું, “વ્યાપારી થઈને પણ તમને ખબર નથી ! બોલ્યા, “એ વ્યાપારમાં હું કદી પડ્યો નથી. પછી શોધતાં ખબર પડી કે એક બંડલ એક આનામાં મળે છે. તો ગીતાઈની જે પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ એની કિંમત એક આનો રાખવામાં આવી.

જમનાલાલજીની બાબતમાં જ્યારે હું બોલું છું, વિચારું છું તો બે વાત, જે તેઓ હંમેશાં કહેતા અને જેની એમના જીવન પર અસર હતી તે મને યાદ આવે છે. નાનપણમાં તેર-ચૌદ વર્ષની ઉંમરમાં કેજાજી- મહારાજનાં કીર્તન સાંભળવા જતા હતા. કેજાજીમહારાજ, કીર્તન માટે ઘોરાડમાં આવ્યા હતા. કબીરનું એક પદ એમણે ગાયું. ‘हीरा तो गया तेरा कचड़े में ’………’ वगैडी कौड़ी माया जोड़ी’, સંપત્તિ એકઠી કરો છો, પણ નરદેહ જેવું અમૂલ્ય રત્ન, તે કચરામાં જઈ રહ્યું છે ! એની તરફ ધ્યાન નથી આપતા ? આ વાક્યને પરિણામે સંપત્તિનો મોહ એમને જરા પણ રહ્યો નહીં.

એમણે કહ્યું ત્યારથી મારા ધ્યાનમાં આવ્યું કે આપણા હાથમાં જે ધન છે, તે તો એક ઉપાધિ છે. એટલે એનાથી જેટલા જલદી છૂટી શકીએ તેટલું સારું છે. પણ ધનને એમ જ ફેંકી દેવાથી છુટકારો મળશે નહીં. વ્યર્થ દાન આપવું પણ યોગ્ય નથી. યોગ્ય વ્યક્તિને દાન આપવું જોઈએ, ત્યારે જ એનો ઉપયોગ છે. જમનાલાલજી એવું જ કરતા. યોગ્ય વ્યક્તિને તેઓ શોધતા અને ધન આપતા. તેઓ માનતા હતા કે આ રીતે ધન ચરિતાર્થ થાય છે. તેનાથી દાન ગ્રહણ કરવાવાળાનો તેઓ ઉપકાર માનતા.

બીજું વાક્ય તુકારામનું હતું ‘ बोले तैसा चाले, त्यांची वंदीन पाउलें’ (કથની જેવી કરણી જેની હોય, ચરણ વંદના કરું છું તેની) હંમેશાં જેવું બોલે તેવું જ આચરણ હોવું જોઈએ, એની એમને નિરંતર ચિંતા રહેતી હતી.

એક વાર જાનકીમાતાજી સાથે વાતો થઈ રહી હતી. માતાજીને મરાઠી, ગુજરાતી, હિંદી, મારવાડી, ઉર્દૂ વગેરે કોઈ પણ ભાષામાં બોલવામાં સંકોચ થતો નહોતો. એમના વ્યાખ્યાનમાં ગ્રામીણોને બહુ મઝા આવતી. નાનાં નાનાં વાક્યો છટાદાર રીતે બોલતાં હતાં. મેં એમને કહ્યું, “આપ તો કેવું સરસ વ્યાખ્યાન આપો છો. પણ જમનાલાલજી દુનિયાભરનું કામ કરે છે પણ બોલવાનું એમને માટે મુશ્કેલીભર્યું થાય છે. તેઓ બોલ્યાં, “આનું કારણ છે, એમને હંમેશાં ચિંતા રહેતી હોય છે કે જેવું બોલું છું તેવું કરવું પડશે એટલે વિચારી વિચારીને બોલે છે. પછી વિનોદમાં કહ્યું, “પણ મારે તો આવું વિચારવાની ફરજ જ નથી. પછી રૂકાવટ શા માટે ? એથી બોલવાનું ફાવી ગયું છે.

મને યાદ આવે છે, હું હંમેશાં કોઈને વચન આપતો નથી. એનો ચિત્ત પર ભાર પડે છે. હું એવું કહું છું કે થઈ શકશે તો કરી આપીશ. કોઈને ‘પરમદિવસે મળશું’ કહેવું એટલે વચન થઈ ગયું. એનો અર્થ બે દિવસ જીવવાની જવાબદારી આવે છે અને જિવાડવાનું તો ઈશ્વરના હાથમાં છે. આવી ચર્ચા જમનાલાલજીની સાથે થયેલી. એમણે કહ્યું, “બહુ ગજબનું છે આ બધું. અમારે તો કાલે મુંબઈ, પરમ દિવસે કલકત્તા, આ રીતે કાર્યક્રમ બનાવવો પડે છે. તો વચન આપ્યું એવો જ એનો અર્થ થાય છે તો શું કરીએ ? તો નક્કી થયું કે, “પાંચમી તારીખે આવશું એમ નહીં કહેવાનું. “પાંચમી તારીખે મુંબઈ જવાનો અમારો કાર્યક્રમ થયો છે એવું કહીશું. ત્યારથી પોતાના શબ્દને સાચો કરવા માટે કોઈને પણ આવીશું એવું નહોતા કહેતા, “આવવાનો કાર્યક્રમ ગોઠવાયો છે એવું કહેતા હતા.

જમનાલાલજી અસાધારણ વ્યક્તિ તો નહોતા પણ છતાં એ બિલકુલ સાચી વાત છે કે છેલ્લાં ત્રીસ-પાંત્રીસ વર્ષોમાં કોઈ બીજા જમનાલાલજીએ જન્મ લીધો નથી. જમનાલાલજીએ વેપાર-વાણિજ્યમાં ઘણું કામ કર્યું. મહિલાશ્રમ વગેરે સંસ્થાઓની સ્થાપના કરી, બાપુનાં ઘણાં કામોમાં સહયોગ આપ્યો અને છેલ્લું કામ એમણે ગોસેવાનું ઉપાડ્યું. ગોસેવાનો સર્વોત્તમ નમૂનો કૃષ્ણ હતા. કૃષ્ણ પછી કોઈ હોય તો તે જમનાલાલજી છે. તેઓ ગોસેવા સાથે તન્મય થઈ ગયા હતા. એ કામ માટે પોતાનો મોટો મહેલ છોડીને ઝૂંપડીમાં રહેવા માંડ્યા હતા.

તે દિવસે સાંજે મહિલાશ્રમમાં મારું વ્યાખ્યાન હતું. હું પ્રવચન શરૂ કરવા જતો હતો અને એક મોટર આવી. આવેલી વ્યક્તિએ કહ્યું, જમનાલાલજી માંદા છે અને આપને બોલાવે છે. આમ તો તેઓ ગંભીર રીતે બીમાર નહોતા. બપોર સુધી હંમેશની જેમ કામ કરતા રહ્યા એ હું જાણતો હતો એટલે એમની બીમારીનો ઊંડો અર્થ સમજી શક્યો નહીં. છતાં વ્યાખ્યાન છોડીને ગાંધી ચોકમાં પહોંચી ગયો.

મોટરમાંથી ઊતર્યો તો દિલીપ ઉપરથી આવી રહ્યો હતો એને પૂછ્યું, “જમનાલાલજીની તબિયત કેવી છે ? એણે કહ્યું, “તે તો ચાલ્યા ગયા. આટલી અચાનક, અનપેક્ષિત અને ચિત્તને દુ:ખ પહોંચાડનારી ખબર સાંભળીને પણ મને બિલકુલ વિલક્ષણ અને અલગ જ અનુભવ થયો. મારા અંતરમાં કંઈક વિશેષ પ્રકારના આનંદનો આભાસ થયો અને એ આનંદની અવસ્થામાં જ તે ઓરડામાં પહોંચ્યો. જ્યાં એમનો મૃતદેહ રાખવામાં આવ્યો હતો.

ત્યાં બેઠેલા લોકોના મોઢા પર જ્યારે મેં દુ:ખની છાયા જોઈ ત્યારે એવું લાગ્યું કે કોઈ એવી ઘટના બની છે, જેને કારણે ઘણાંને દુ:ખ થઈ જાય. પણ મારે કબૂલ કરવું પડશે કે મને અંદરથી જે આનંદનો અનુભવ થતો હતો તે સહેજપણ ઓછો થયો નહીં. છેલ્લે સાંજે અગ્નિસંસ્કાર માટે મૃતદેહને ચિતા પર મૂક્યા પછી ઈશોપનિષદ અને ગીતાઈના શ્લોકો બોલાવા લાગ્યા ત્યારે તે આનંદનો ઊભરો આવી ગયો. મારી આવી સ્થિતિ રાત્રે સૂવા ગયો ત્યાં સુધી રહી.

સવારે ઊઠ્યા પછી એમના મૃત્યુથી કેટલી ખોટ પડી છે અને અમારા બધાની જવાબદારીઓ કેટલી વધી ગઈ છે એનું ધીમે ધીમે ભાન થવા માંડ્યું. પણ મને આ આનંદનો અનુભવ શા માટે થયો એ જણાવવું અગત્યનું છે.

જમનાલાલજીએ ગોસેવાનું કામ પોતાના હાથમાં લીધું છે, એ સમાચાર મને જેલમાં જ મળ્યા હતા. એ સાંભળી મને સમાધાન થયું. મને લાગ્યું કે એનાથી દેશનું ભલું તો થશે જ પણ એનાથી એમને પણ શાંતિ મળશે. પણ એની સાથે હું એ પણ જોઈ રહ્યો હતો કે એમના થાકેલા શરીર માટે આ કામ ભારે પડશે. હું જેલમાંથી છૂટ્યો પછી પહેલી મુલાકાતમાં એમણે મને પૂછ્યું કે “મેં ગોસેવા-સંઘનું કામ હાથમાં લીધું, એ બાબતમાં તમારો મત શું છે ? મેં કહ્યું, “એ સમાચાર સાંભળીને મારા ચિત્તને સમાધાન થયું.

મારા આ શબ્દ સાંભળીને એમની આંખોમાં પાણી આવી ગયાં. પ્રેમભાવ ઉત્પન્ન કરવાવાળા અને આત્માની ઉન્નતિના સાધનરૂપ આ કામ મળી જવાને કારણે એમના ચિત્તમાં સમાધાન થયું હોય તેવું લાગ્યું હતું. અને તેઓ આ કામને હંમેશાં વધારે એકાગ્રતા અને તત્પરતાથી કરી રહ્યા હતા.

છેલ્લાં વીસ વર્ષોથી હંમેશાં પોતાના મનનું પરીક્ષણ કરતા રહેતા હોવા છતાં ઉન્નત અવસ્થા તેઓ મેળવી શક્યા નહોતા. તે આ બે-ત્રણ મહિનામાં એમણે બહુ ઝડપથી પ્રાપ્ત કરી લીધી. શરૂઆતથી નજીકનો પરિચય હોવાને કારણે હું આ વસ્તુને જોઈ શકતો હતો. આવી ઉન્નત અવસ્થામાં મૃત્યુ પ્રાપ્ત થવું તે બહુ મોટા આનંદની વાત છે. મૃત્યુ તો બધાનું થાય છે પણ મૃત્યુ-મૃત્યુમાં પણ અંતર હોય છે. છેલ્લે સુધી કામ કરતા કરતા, કોઈની સેવા લીધા વગર અને મનની એવી ઉચ્ચ અવસ્થામાં શરીરનો નાશ થાય એ મોટા ભાગ્યની વાત છે. આનાથી સુંદર જીવનનો અંત કેવો હોઈ શકે ? એ બધું વિચારતાં મને આનંદ થઈ રહ્યો હતો.

https://bhoomiputra1953.wordpress.com/2021/02/07/jamanalal-bajaj/

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ફેબ્રુઆરી 2021; પૃ. 03-04

Loading

...102030...2,0002,0012,0022,003...2,0102,0202,030...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved