Opinion Magazine
Number of visits: 9663024
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યુદ્ધની સામે યુદ્ધ 

દીપક મહેતા|Opinion - Literature|8 January 2026

ગ્રંથયાત્રા – 21

કોઈ નવલકથાનું નામ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપે એવું વારંવાર બનતું નથી. અમેરિકન નવલકથાકાર જોસેફ હેલરે નવલકથા તો સાત-આઠ લખી છે, પણ તેની પહેલી જ નવલકથાએ અંગ્રેજી ભાષાને એક નવો શબ્દપ્રયોગ આપ્યો : ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી એવું નહિ. સામે બે વિકલ્પ હોય તો ખરા, પણ બંનેમાં તમને સરખું જ નુકસાન થવાનું હોય, સરખી જ મુશ્કેલી પડવાની હોય, બેમાંથી એકે વિકલ્પ વધુ સારો કે ખરાબ એમ કહી શકાય તેમ ન હોય, એવી પરિસ્થિતિને કહેવાય છે ‘કેચ ટ્વેન્ટી ટુ.’ તેની આ નવલકથા પહેલાં તો અમેરિકાનાં બે ત્રણ સામયિકોએ ‘સાભાર પરત’ કરેલી. પછી પુસ્તક રૂપે ૧૯૬૧માં પ્રગટ થઇ ત્યારે પણ ઘણાખરા વિવેચકોએ જાતજાતના વાંધાવચકા કાઢ્યા, પણ વાચકોને આ નવલકથા ગમી ગઈ. ખૂબ વેચાવા અને વંચાવા લાગી. ૧૯૭૦માં તેના પરથી તૈયાર થયેલી ફિલ્મને પણ ઘણી લોકપ્રિયતા મળી. આનું એક કારણ ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાના અમેરિકાની સ્થિતિ હતું. એ વખતે અમેરિકા વિયેતનામ યુદ્ધમાં સપડાયેલું હતું. સત્તાવાર આંકડા પ્રમાણે ૫૮ હજાર અમેરિકન સૈનિકો આ યુદ્ધમાં માર્યા ગયા હતા (બિન સત્તાવાર આંકડો તો ઘણો મોટો હતો). અમેરિકન પ્રજામાં, અને ખાસ કરીને યુવાનોમાં વિયેતનામ યુદ્ધ માટેનો વિરોધ વધુ ને વધુ ઉગ્ર બનતો જતો હતો. અને ‘કેચ ટ્વેન્ટી ટુ’નવલકથાનો પણ મુખ્ય સૂર છે યુદ્ધના વિરોધનો, યુદ્ધની નિરર્થકતાનો, યુદ્ધ એ રાજકારણીઓનું ગાંડપણ છે એવી માન્યતાનો.

આ નવલકથાનો નાયક જોસેફ યોસારિયન વાયુસેનામાં બોમર તરીકે કામ કરે છે. તેનું લશ્કરી થાણું એક ટાપુ પર હતું. યુદ્ધનો અંત દેખાતો નથી અને નાયક હવે યુદ્ધથી વાજ આવી ગયો છે. યુદ્ધની નિરર્થકતા તેને સમજાઈ ગઈ છે. એટલે તે છૂટવા માગે છે. પણ લશ્કરના કાયદા તેને તેમ કરતાં રોકે છે. એટલે માંદગીનો ઢોંગ કરી તે લશ્કરી હોસ્પિટલમાં જાય છે.બીજા સૈનિકોએ લખેલા, અને તેમના પર આવેલા પત્રો વાંચીને સેન્સર કરવાનું કામ તેને હોસ્પિટલમાં સોંપવામાં આવે છે. પણ થોડા વખત પછી તે આ કામથી પણ કંટાળી જાય છે, અને પોતે વોશિંગ્ટન ઇરવીંગ નામ ધારણ કરીને તેની જેમ, તો ક્યારેક ચેપ્લીન ટેપમેનની જેમ વર્તવા લાગે છે. તેના આવા વર્તનથી લશ્કરી અધિકારીઓ ચોંકી જાય છે અને આ માણસ દુશ્મનનો જાસૂસ તો નથી ને એની તપાસ કરવા સી.આઈ.ડી.ના બે અધિકારીઓને બોલાવે છે. યુદ્ધમાંથી છૂટવા ખાતર બીજા સૈનિકો પણ માંદગીનો ઢોંગ કરવા લાગે છે એટલે પછી નાયકને પરાણે યુદ્ધમાં મોકલી દેવામાં આવે છે. પણ યુદ્ધના મોરચે પણ નાયક અને બીજા કેટલાક સૈનિકો પાગલોની જેમ વર્તે છે. તેના જ રૂમમાં રહેતો એક પાયલટ જાણી જોઇને પોતાનું વિમાન ક્રેશ-લેન્ડ કરે છે. જુદા જુદા સૈનિકોની જાતજાતની હરકતોનું લેખકે અહીં જાત અનુભવે આલેખન કર્યું છે. કોઈ સૈનિક નોર્મલ નથી, બધાને કોઈ ને કોઈ માનસિક સમસ્યા સતાવે છે. 

જોસેફ હેલર

યુદ્ધમાંથી છૂટવા માટે નાયક જાતજાતની તરકીબો અજમાવે છે. ક્યારેક બોમ ફેંક્યા વગર પાછો ભાગી આવે છે. ક્યારેક ઇન્ટરકોમ બગડી ગયો છે એવું બહાનું કાઢે છે. ક્યારેક નકશા પરની યુદ્ધરેખાને આઘીપાછી કરી નાખે છે. છતાં તે યુદ્ધમાંથી છૂટી શકતો નથી. બીજી બાજુ સાથીઓને મરતા જોઇને તેના મનમાં યુદ્ધની નિરર્થકતા વધુ ને વધુ ઘૂંટાતી જાય છે. તે ફરી ગાંડો હોવાનો ઢોંગ કરે છે. બધાં કપડાં કાઢી નાખીને લશ્કરી કેમ્પમાં ફરવા લાગે છે. હવે તો પોતે યુદ્ધમાંથી છૂટી શકશે એમ તે માને છે. પણ ડોક્ટર ડેનિકા તેને માટે ‘કેચ ટ્વેન્ટી ટુ’ની પરિસ્થિતિ ઊભી કરે છે. લશ્કરનો નિયમ એવો છે કે ગાંડપણને કારણે પોતાને યુદ્ધમાંથી મુક્ત કરવાની અરજી તે સૈનિકે પોતે જ કરવી જોઈએ. પણ ડોક્ટર નાયકને કહે છે કે જો તું આવી અરજી કરીશ તો એ વાત સાબિત થશે કે તું ખરેખર ગાંડો નથી. કારણ ગાંડો માણસ આવી અરજી લખવા જેટલો સ્વસ્થ ન હોય. અને જો તું ગાંડો ન હોય તો તને લડવામાંથી મુક્ત કરવાનો સવાલ જ ઊભો થતો નથી. તું જો ખરેખર ગાંડો હો અને તેથી જાતે અરજી ન કરી શકે તેમ હોય, તો પણ તને લડવામાંથી મુક્તિ મળી શકે નહિ, કારણ જો તેં જાતે અરજી જ ન કરી હોય તો તને મુક્ત કેવી રીતે કરી શકાય? આમ બંને બાજુ નાયક માટે તો આફત જ છે. છેવટે બીજો કોઈ માર્ગ ન દેખાતાં નાયક લશ્કરી છાવણીમાંથી ભાગી જાય છે.

ઘરને સલામત ખૂણે બેસીને વાંચેલાં છાપાં કે સાંભળેલા રેડિયો સમાચારોને આધારે લેખકે આ નવલકથા લખી નથી. ૧૯૨૩માં બ્રૂકલિનમાં જન્મેલા હેલર બીજા અનેક અમેરિકન યુવાનોની જેમ અભ્યાસ અધૂરો મૂકીને બીજા વિશ્વયુદ્ધ વખતે અમેરિકન લશ્કરમાં જોડાયા હતા. વાયુસેનાના વિમાનોમાંથી બોમ ફેંકવાની કામગીરી તેમણે કરી હતી. ફ્રાંસ અને ઇટલી પર ૬૦ વખત બોમમારો કર્યો હતો. પછીથી અભ્યાસ પૂરો કરી અધ્યાપક બન્યા, સામયિકોના જાહેર ખબર વિભાગમાં કામ કર્યું. અભ્યાસ કાળ દરમ્યાન જ વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. ૧૯૫૩માં ‘કેચ ૧૮’ નામની વાર્તા લખી. આઠ વર્ષ પછી એ જ વાર્તાને વિસ્તારીને નવલકથા લખી. પહેલાં તો તેનું નામ પણ ‘કેચ ૧૮’ રાખેલું, પણ બીજી એક નવલકથા સાથે એ નામ મળતું આવતું હતું એટલે બદલીને ‘કેચ ટ્વેન્ટી ટુ’ કર્યું. આ નવલકથાનાં પાત્રોના પચાસ વર્ષ પછીના જીવનને આલેખતી નવલકથા ‘કલોઝિંગ ટાઈમ’ ૧૯૯૪માં પ્રગટ થઇ. હૃદય રોગના

હુમલાથી ૧૯૯૯માં હેલરનું અવસાન થયું.

xxxxxxxxxxx

07 જાન્યુઆરી 2026
e.mail : deepakbmehta@gmail.com

Loading

“બેટર હાફ”

હિતેશ એસ. રાઠોડ|Opinion - Opinion|7 January 2026
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
pandora88
laris88
laris88
ovogg
mekong855
mekong855

હિતેશ રાઠોડ

રોમન કવિ હૉરાસે પોતાના એક નિકટતમ મિત્ર માટે animae dimidium meae એવો લેટિન શબ્દ પ્રયોગ કર્યો હતો (અંગ્રેજીમાં “half of my soul”), અર્થાત મારો અડધો જીવ કે મારા જીવનો શેષ અડધો હિસ્સો. કવિ હૉરાસ પોતાના એ મિત્ર પ્રત્યેની પ્રગાઢ આત્મીયતા અને લગાવ વ્યક્ત કરવા આ શબ્દ પ્રયોગ કરતા. આ શબ્દપ્રયોગનો ભાવાર્થ છે : બે નોખા જીવ પણ આત્મા એક. બે જીવ એટલી હદે એકબીજામાં એકાકાર છે કે બંનેના નોખા અસ્તિત્વ છતાં બંનેનો આત્મા એક છે.

બાદમાં, ૧૬મી સદીમાં અંગ્રેજ લેખક સર ફિલિપ સિડનીએ સ્નેહસંગી કે જીવનસંગી માટે “બેટર હાફ” શબ્દ પ્રયોજવાનું શરૂ કર્યું. આમ, અંગ્રેજી શબ્દ “બેટર હાફ” એ મૂળે ગાઢ મિત્ર માટે કવિ હૉરાસ દ્વારા પ્રયોજવામાં આવેલ લેટિન શબ્દ પ્રયોગ “half of my soul”ની નીપજ છે. હવે પતિ/પત્ની પોતાના સહસંગી માટે શ્રદ્ધા અને સ્નેહપૂર્વક કે પછી રમૂજમાં અંગ્રેજી શબ્દપ્રયોગ ‘બેટર હાફ’નો ઉપયોગ કરતા થયા છે.

પતિ–પત્ની એકબીજા માટે બેટર હાફ શા માટે?

એકબીજાને બેટર હાફ ગણાવતા પતિ-પત્ની એકબીજાના પૂરક છે અને ઉભયપક્ષીય સાહચર્યથી જ બંને વચ્ચે વહેલા-મોડું ઐક્ય સર્જાતું હોય છે અને એમાંથી આત્મીયતાનો ભાવ જાગતો હોય છે. બંનેમાંથી કોઈ એકની ગેરહાજરીથી બાકીનું અડધું અંગ અડધું જ રહી જાય છે. પતિ-પત્નીના સંબંધમાં કોઈ એકના વિના બીજાનું અસ્તિત્વ કલ્પનાતીત છે. પતિ પછી મનમાં સહજ રીતે સ્ફૂરતો તરતનો બીજો શબ્દ મોટાભાગે પત્ની હોય છે, એનાથી ઊલટા ક્રમમાં પણ એ એટલું જ સાચું છે. પતિ-પત્નીના સંબંધે બંધાવા અભિલાષી સ્ત્રી અને પુરુષ પતિ-પત્નીના સંબંધે જોડાયા પછી આત્મીયતાના સંબંધથી બંધાઈ એકબીજામાં એકાકાર થાય ત્યારે જ તેઓ ખરા અર્થમાં પતિ-પત્ની બને છે. જો પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં આત્મીયતાના તત્ત્વનો અભાવ હોય તો પતિ-પત્ની હોવા છતાં આત્મીયતાના અભાવે માત્ર શારીરિક કે પારિવારીક જરૂરિયાતો સંતોષવા ખાતર બંને એકબીજાને વેંઢારતા અને જીવન ઢસડતા હોય એમ લાગે. બંને વચ્ચે પતિ-પત્નીનો સંબંધ ખરો પણ એ સંબંધમાં આત્મીયતા કે એકરૂપતાના ચાવીરૂપ તત્ત્વનો અભાવ હોય છે. 

અહીં કેટલાક પ્રશ્નો ઉદ્દભવે : 

શું પતિ-પત્નીના સંબંધથી બંધાતા પ્રત્યેક યુગલના સંબંધમાં આત્મીયતા પ્રવર્તતી હોય છે ખરી? 

જો આત્મીયતા કે તાદાત્મ્ય ન હોય તો પતિ-પત્ની કેવી રીતે જીવન વીતાવતા હશે? 

આત્મીયતાના અભાવે પતિ-પત્નીનું જીવન કેવું બની રહે છે?

પતિ અને પત્ની આ બંનેમાંથી કોને ખરા અર્થમાં ‘બેટર હાફ’ કહી શકાય? 

એક પુરુષ અને એક સ્ત્રી આજીવન એકબીજા સાથે રહી પતિ-પત્ની તરીકે જીવન વીતાવવાનો સંકલ્પ ત્યારે લે છે જ્યારે તેઓને એમ લાગે કે તેઓ બંને એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને પૂર્ણ રીતે નહિ તો પણ ઠીકઠીક રીતે સમજી શકશે અને એકબીજા વડે એમની એ ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓ પોષાઈ કે સંતોષાઈ શકશે. જો કે એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને સમજવા માટે દરેક યુગલને લગ્ન પહેલા કદાચ પર્યાપ્ત સમય મળતો નથી અને જેમને પર્યાપ્ત સમય મળે છે તેઓ એ સમયગાળા દરમિયાન તેઓ એકબીજાની ભાવના, લાગણીઓ, સંવેદનાઓ, શારીરિક જરૂરિયાતો અને અપેક્ષાઓને બરાબર સમજી શક્યા છે કે કેમ એ પણ એક પ્રશ્ન છે. કેમ કે માનવ મન અને માનવ સ્વભાવને સમજવા ઘણી વાર એક આખો જન્મારો પણ ઓછો પડતો હોય છે, ત્યારે અમુક ચોક્કસ સમયસીમાની અંદર એકબીજાને ઓળખવા અઘરા છે. આ બધું છતાં એ વાતનો ઈનકાર થઈ શકે નહિ કે જીવનના કોઈ એક તબક્કે પુરુષને સ્ત્રીના અને સ્ત્રીને પુરુષના સહવાસની જરૂર પડે જ છે. કોઈ આ વાતનો ઈનકાર કરતું હોય તો કાં તો એ દંભ આચરે છે અથવા જીવનના એક અનિવાર્ય સત્યથી દૂર ભાગવા પ્રયાસ કરે છે. 

સ્ત્રી અને પુરુષનો સહવાસ કે સાહચર્ય જીવનનું અનિવાર્ય પાસુ અને સંસારનું સૌથી સુંદર સત્ય છે, પછી એ પતિ-પત્ની રૂપે હોય કે અન્ય કોઈ રૂપે. પતિ-પત્ની સિવાયના અન્ય સંબંધમાં – પણ સ્ત્રી અને પુરુષ એકબીજાના સાનિધ્યમાં રહી શકતા હોય છે, પણ જે પ્રલંબતા, નિકટતા, ઐક્ય, તાદાત્મ્ય અને એકબીજામાં એકાકાર થઈ જવાની તન્મયતા પતિ-પત્નીના સંબંધમાં પ્રવર્તે છે એ પ્રલંબતા, નિકટતા, ઐક્ય અને તાદાત્મ્ય અન્ય વિજાતીય સંબંધોમાં પ્રવર્તતા હોતા નથી અથવા તો એની માત્રા ઓછી હોય છે. 

સ્ત્રીના જુદા જુદા સ્વરૂપોમાં પત્ની સ્વરૂપમાં સ્ત્રીનું સ્ત્રીત્વ એની ચરમ પર હોય છે. પત્ની તરીકેની સ્ત્રીની ભૂમિકા બાકીની અન્ય ભૂમિકાઓ કરતાં વધુ વ્યાપક અને ગહન દીસે છે. અમુક ચોક્કસ શબ્દોની પરિસીમાની અંદર રહી પત્નીની વ્યાખ્યા કરવી એ સાંસારિક જીવનમાં અસીમિત ભૂમિકા અને જવાબદારીઓ નિભાવતી અને ઘણી વાર તરણા ઓથે ડુંગર જેમ અગાધ ક્ષમતા ધરાવતી પત્નીના નિર્મળ ચારિત્ર્યનું અવમૂલ્યન કરવા જેવું લેખાશે. પત્નીની વ્યાખ્યા કરવી એ સમુદ્રની અગાધ જળરાશિને એક નાનકડી શીશીમાં ભરવા જેવી વાત છે. વક્રોક્તિમાં પત્ની વિશે વાત કરવી હોય તો કહી શકાય કે સાંસારિક જીવનનું અત્યંત ચાવીરૂપ છતાં ઉપેક્ષિત પાત્ર એટલે પત્ની. પતિની સૌથી નજીક છતાં ઘણી બાબતોમાં સહેતુક દૂર રાખવામાં આવતું પાત્ર એટલે પત્ની! પતિ અને પરિવાર માટે પોતાનું સ્વત્વ નીચોવી શરીર અને જીવન ખર્ચી નાખતું છતાં પરિવારમાં નગણ્ય પાત્ર એટલે પત્ની! પત્નીના પાત્રને વર્ણવવા માટેના ઘણા શબ્દો કદાચ શબ્દકોષમાં પણ નહિ હોય! પત્ની શું છે એનો ખ્યાલ પત્નીની હયાતીમાં નથી આવતો પણ પત્ની શું હતી એનો વસવસો પત્નીની અનુપસ્થિતિમાં જરૂર થાય છે.  

પતિ અને પત્ની બંને એકબીજા માટે બેટર હાફ છે, તો પણ પતિ-પત્નીમાં કોણ વધુ બહેતર બેટર હાફ છે એ પણ સમજવા જેવું છે.

પહેલા વાત કરીએ પત્નીને ‘બેટર હાફ’ ગણાવતા પતિની. પતિ હરખઘેલો થઈ પત્નીને (અલબત્ત, પોતાની) બેટર હાફ તરીકે સંબોધન કરતો હોય છે, પણ શું વાસ્તવમાં પોતાના મનથી તે પત્નીને બેટર હાફ માનતો હશે ખરો? પત્નીને પોતાનું અડધું અંગ કહેતો પતિ પોતાના એ અડધા અંગની એટલા જ સ્નેહપૂર્વક કાળજી લેતો હશે ખરો? રસોડાની મોટાભાગની બાબતોમાં નિર્ણયો લેવાની સ્વતંત્રતા આપતો પતિ પારિવારીક જીવનના નિર્ણયો કરવાની કેટલી સત્તા તેની પત્નીને સોંપતો હશે? પારિવારીક સભ્યોની સુખાકારી માટે પોતાના સુખ-સગવડો અને સવલતોનો સહજપણે ત્યાગ કરતી પત્નીની સુખાકારી માટે પતિ સ્વેચ્છાએ કેટલો ત્યાગ કરતો હશે? રોજ સાંજે થાક્યા-પાક્યા ઘેર આવતા પતિને સૂંઠવાળી ચા અને પછી ગરમાગરમ ભોજન પીરસતી પત્નીને પતિએ ક્યારે ય એમ કહ્યું હશે ખરું કે, ‘વ્હાલી, આજ તું ટીવી પર તને ગમતું હોય એ જો અને આરામ ફરમાવ આજ હું તને તારી ભાવતી વાનગી બનાવી આપું છું?’ દીકરાની વહુ(પત્ની)ને સદાય કટ્ટર હરીફ ગણતી સાસુ શું દીકરાની વહુ(પત્ની)ને ક્યારે ય હેતથી એમ કહેતી હશે ખરી કે ‘દીકરી, આજે તું પોરો ખાઈ લે, આજના દિવસની બધી રસોઈ હું બનાવીશ?’ જો આ બધા પ્રશ્નોના જવાબ ના હોય તો પતિએ પોતાની પત્ની માટેના આ ‘બેટર હાફ’ વિશેષણ અંગે પુન:વિચાર કરવાની જરૂર છે. 

બહુધા પતિઓ માટે ઉપરના પ્રશ્નોના જવાબ મોટાભાગે ‘ના’ જ હશે એવું માની લઈએ તો પત્ની માટે બેટર હાફ તરીકેના પતિના સંબોધનમાં તેનો આંતરિક ભાવ ઓછો બાહ્ય અભિવ્યક્તિ વધુ પ્રગટ થતી હોય એમ લાગે. ઉપરાંત, બહુધા પતિઓ પોતાની પત્નીને સેકન્ડ સેક્સ તરીકે જોતા હોય છે. સેકન્ડ સેક્સ અર્થાત પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં કુટુંબનો વડો પતિ પત્નીની ભૂમિકાને હંમેશાં ગૌણ કે સહાયક તરીકે ગણે છે. બીજા શબ્દોમાં કહીએ તો સ્ત્રીએ હંમેશાં પુરુષના સહાયક બની તેના કાર્યોમાં સહાય કરી આજીવન સહાયકની ભૂમિકા અદા કરવાની હોય છે. આ પ્રકારની માનસિકતા બધા પતિઓ ધરાવતા હોય છે એવું કહેવાનો આશય નથી, પરંતું જે સમાજવ્યવસ્થામાં આપણું ઘડતર થાય છે અને જે સામાજિક મૂલ્યોનું ગળથૂથીથી જ આપણામાં સિંચન થાય છે એ સમાજમાં બહુધા પતિઓ પત્નીને પોતાની સહાયક ગણવાની માનસિકતા ધરાવતા હોય છે એમ કહેવામાં અતિશયોક્તિ દોષ નથી. વળી આ સ્થિતિ સાવ ગરીબથી લઈ અત્યંત માલેતુજાર વર્ગો સુધીના તમામ સ્તરે વત્તાઓછા અંશે, પણ લગભગ એકસરખી રીતે પ્રવર્તે છે. આ હકીકતને સ્વીકારવામાં આવે તો પ્રશ્ન થાય કે જો પતિ પત્નીને સહાયક તરીકે જોતો હોય તો પછી એ પત્ની તેના માટે બેટર હાફ કેવી રીતે હોઈ શકે? બેટર હાફ એ સમકક્ષ દરજ્જો કે પોઝિશન છે જ્યારે સહાયક એ ઉતરતો દરજ્જો કે પોઝિશન છે. પત્નીને સહાયક તરીકે જોતા પતિઓ પોતાની પત્નીને બેટર હાફ કહેતા હોય તો કદાચ તેઓ દંભ આચરે છે, અથવા તો દુનિયા સમક્ષ એવો દેખાડો કરવા માંગે છે કે અમે પત્નીને પૂરતું માન-સન્માન આપીએ છીએ. 

પત્નીના સંદર્ભે વાત કરીએ તો પત્ની પણ પતિને (ઑફકોર્સ, પોતાના જ વળી!) બેટર હાફ માનતી હોય છે અને બેઝિઝક રીતે માનતી હોય છે, કદાચ બેટર હાફ કરતાં પણ વિશેષ ગણતી હોય તો નવાઈ નહીં. અલબત્ત, પોતાના ખુદના દૃષ્ટિકોણથી પત્નીનો દૃષ્ટિકોણ રજૂ કરવા પુરુષનો દૃષ્ટિવ્યાપ કદાચ ટૂંકો પડે એ જોતાં પત્ની પોતાના પતિ માટે કેટલી વિશિષ્ટ અને આગવી લાગણીઓ ધરાવતી હશે એ કહેવું જરા મુશ્કેલ છે. ભારતની સામાજિક વ્યવસ્થામાં પતિને પરમેશ્વર માનવાની વાત જે રીતે નાનપણથી જ દીકરીઓના કુમળા માનસમાં ઘૂંટવામાં આવતી હોય છે એ જોતા અમુક અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓ સ્વાભાવિક રીતે જ પતિને શ્રદ્ધેય ગણી હંમેશાં તેમના સૂરમાં સૂર પૂરાવતી રહી છે. પત્નીની પતિ પ્રત્યેની શ્રદ્ધા, નિષ્ઠા અને સમર્પિતતા મહદઅંશે નિર્ભેળ, નિર્મળ અને નિષ્કામ હોય છે, એમાં તસુભાર પણ શંકાને અવકાશ નથી. આગળ કહ્યું એમ પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં લગ્ન પછી પતિના આજીવન સહાયક તરીકેની ભૂમિકા પત્ની સહજ રીતે સ્વીકારતી અને ભજવતી આવી છે, એની સામે પત્નીને કોઈ વાંધા-વચકા હોવાના દાખલા જવલ્લે જ જોવા મળે. રોજિંદા જીવનમાં પત્ની દ્વારા કરવામાં આવતાં ઘરેલું કાર્યો કેટલાં અગત્યનાં છે એવું સાબિત કરવાનો પ્રયાસ સુદ્ધા કર્યા વિના અથવા એ માટે ઉપકાર કે કદરની કોઈ અપેક્ષા રાખ્યા વિના પત્ની એ કાર્યો નિરંતર કરતી આવી છે અને પત્નીના આ નિરંતર કાર્યોને લીધે જ પતિ ઘર પ્રત્યેની એની જવાબદારી સારી રીતે નિભાવી શકે છે અને કોઈ રૂકાવટ કે અવરોધ વિના પોતાના અન્ય ધ્યેયો તરફ પણ આગળ વધી શકે છે. સાવ સામાન્ય ગણાતા આ ઘરેલું કાર્યોનું મહત્ત્વ પતિને ત્યારે સમજાય છે જ્યારે જીવનની પાછલી સંધ્યાએ પત્ની વિના ઘણીવાર આ બધાં કામ પોતાની જાતે કરવાં પડતાં હોય છે. 

એક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે એ કહેવાનો ભાવાર્થ કદાચ આ પણ હોઈ શકે છે. પત્નીને કારણે જ પતિને ઘરના અનિવાર્ય કાર્યો કરવામાંથી મુક્તિ મળે છે અને પરિણામે એકાગ્રતા સાથે ધ્યેય પ્રાપ્તિ પાછળ વધુ સમય ફાળવી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા તરફની પતિની સફર સુગમ બનાવવામાં પત્નીની ભૂમિકા કંઈ નાનીસૂની તો નથી જ હોતી, અલબત્ત બહુ ઓછા પતિઓ એ વાતનો સહર્ષ સ્વીકાર કરી શક્યા છે જે પતિ પક્ષે એક પ્રકારની વૈચારિક સંકુચિતતા ગણી શકાય. પતિના વૈચારિક દાયરામાં પત્નીનું સ્થાન ક્યાં અને કેટલું એ વિશે પતિ મહાશયોએ વિચાર કરવાની જરૂર છે. પોતાની બેટર હાફ પત્નીની કદર કરવાની બાબતે પતિઓ બહુ કંજૂસ છે. બહુ ઓછા પતિઓ એવા હશે જેઓ જીવતે જીવ પોતાની પત્નીની કદર કરી શક્યા હશે. પત્નીની કદર ન કરી શકવા માટે બે સંભાવના હોઈ શકે, પહેલું તો એ કે પત્નીની કદર કરવા માટે પતિ અને તેના પરિવારમાં પત્નીનું શું સ્થાન છે અને એની મહત્તા શું છે એનો આછો-પાતળો પણ ખ્યાલ પતિને હોવો જોઈએ, અને બીજું, પત્નીની ભૂમિકાને સમજવા જેટલી વિશાળ સમજ અને ઉદારતા પણ પતિ પાસે હોવા જોઈએ. જેઓ આ બે પૈકી એક ગુણ ધરાવે છે તેઓ જ પત્નીની કદર કરવા પ્રયાસ કરી શકે છે. 

પુરુષનું આધિપત્ય ધરાવતી આપણી કુટુંબ પ્રધાન સમાજ વ્યવસ્થાનું કેન્દ્રિય પાત્ર એવી બેટર હાફ પત્નીનું એક સ્ત્રી તરીકે નહિ પણ એક વ્યક્તિ તરીકે મૂલ્યાંકન કરવામાં પતિ ક્યાંક ઉણો ઉતર્યો હોય એવી આશંકા મનમાં ઉપજે, અન્યથા “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા:” એ સૂત્રનું રટણ કરતાં આપણે સૌ આપણા કુટુંબ કે સમાજમાં પત્ની એટલે કે નારીનું કેટલું સન્માન, આદર કે ગરિમા આપણે જાળવી શકીએ છીએ એ વિશે આપણે આપણી જાતને પ્રશ્ન કરવો રહ્યો.

બેટર હાફ તરીકે કોણ વધુ ચડિયાતું?

પતિની વાત કરીએ તો પત્નીને બેટર હાફ કહેવામાં પતિ જરાકેય ખચકાતો નથી એ જેટલું સત્ય છે એટલું સત્ય એ નથી કે પતિ મનથી પણ પોતાની પત્નીને બેટર હાફ માને છે. પત્ની માટે પતિના બેટર હાફના માપદંડો પત્નીના પતિ માટેના બેટર હાફના માપદંડો જેટલા ગહન અને વ્યાપક નથી. પતિ માટે પત્ની બેટર હાફ ખરી પણ મહદઅંશે એ શબ્દો સુધી સીમિત છે, વાસ્તવિક જીવનમાં એનું દર્શન ભાગ્યે જ જોવા મળે! પત્નીને બેટર હાફ માનતા પતિના અંગત જીવનમાં પત્નીનું સ્થાન ચોક્કસ ભૌતિક અને શારીરિક જરૂરિયાતો સંતોષવા સુધી સીમિત રહેતું હોય છે, પત્ની સાથેનું ભાવનાત્મક તાદાત્મ્ય એટલું પ્રબળ નથી હોતું જેટલું પ્રબળ પત્નીનું પતિ પ્રત્યે ભાવનાત્મક તાદાત્મ્ય હોય છે. બહુ ઓછા કિસ્સામાં પતિ જીવનની મહત્ત્વપૂર્ણ એવી પ્રત્યેક બાબતમાં નિર્ણય લેતી વખતે પત્નીને ભાગીદાર બનાવતો હોય છે. બાહ્ય દૃષ્ટિએ તો પતિ પત્નીને બેટર હાફ માનતો હોય છે પણ અંદરની સ્થિતિ કંઈક જુદી છે. 

પત્નીની વાત જરા જુદી છે. પત્નીના બેટર હાફના માપદંડોમાં બાહ્ય કે આંતરિક રીતે ખાસ કોઈ ફરક નથી. પત્ની માટે તેનો પતિ દરેક પરિસ્થિતિમાં બેટર હાફ છે, પછી એ બાહ્ય ઝંઝાવાતોની વાત હોય કે પોતાના ભીતરની ભાંજગડની વાત હોય. પત્ની માટે પોતાનો પતિ કાં તો બેટર હાફ છે અથવા તો નથી. પત્ની માટે આ બે અંતિમો છે, પત્ની માટે આ બે અંતિમો વચ્ચેની કોઈ સ્થિતિને ભાગ્યે જ કોઈ અવકાશ છે. પત્ની માટે તેનો બેટર હાફ (પતિ) માત્ર ભૌતિક, શારીરિક કે મનોસાંવેગિક જરૂરિયાતો સંતોષવા સુધી સીમિત નથી, પરંતું જીવનની સારી-નરસી દરેક પરિસ્થિતિમાં એ પતિને બેટર હાફ તરીકે જ જોતી હોય છે. પત્ની તેના બેટર હાફ (પતિ) પ્રત્યે વધુ ભાવનાત્મક તાદાત્મ્ય ધરાવે છે. સ્પષ્ટ રીતે કહીએ બેટર હાફની બાબતે પતિ કરતાં પત્નીનું પલ્લું નમતું જણાય છે.

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

જિસને મન કા દીપ જલાયા .. 

સોનલ પરીખ|Opinion - Opinion|7 January 2026

જેના હૃદયમાં પ્રેમ અને આક્રોશ એકસાથે વસતાં હોય, અને ગ્લેમર વિશ્વનો એક હિસ્સો હોવા છતાં જેનામાં પોતાનાં મૂલ્યો અને સર્જનાત્મકતાને અક્ષુણ્ણ રાખવાની જિદ હોય એવા દુર્લભ કવિઓમાંના એક એટલે શૈલેન્દ્ર. શેલીના ‘ટુ અ સ્કાયલાર્ક’ કાવ્યની અમર ઉક્તિ ‘અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ્સ’ પરથી શૈલેન્દ્રએ અદ્દભુત ગીત લખેલું, ‘હૈ સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરમેં ગાતે હૈં’ .. 

શૈલેન્દ્ર

લોકપ્રિયતા અને ઉત્કૃષ્ટતાનો સંગમ જેનામાં હોય, જે લોકોને ધરતી અને આકાશ બંને સાથે જોડી શક્યા હોય, જેના હૃદયમાં પ્રેમની પવિત્ર ધારા અને સામાજિક અન્યાય પ્રત્યે આક્રોશની આગ એકસાથે વસતાં હોય, અને ગ્લેમર વિશ્વનો એક હિસ્સો હોવા છતાં જેનામાં પોતાનાં મૂલ્યો અને સર્જનાત્મકતાને બરબાદી વહોરી લેવાની હદ સુધી જઈ અક્ષુણ્ણ રાખવાની જિદ હોય એવા દુર્લભ કવિઓમાંના એક એટલે શૈલેન્દ્ર. 14 ડિસેમ્બરે રાજ કપૂરનો જન્મદિન અને શૈલેન્દ્રની પુણ્યતિથિ બંને હતાં. એ દિવસે આપણે રાજ કપૂરનો સંગીતપ્રેમ ઉજવ્યો, આજે શૈલેન્દ્રની શબ્દસાધનાને શ્રદ્ધાંજલિ આપીશું. 

1966ની એ 13મી ડિસેમ્બરે હોસ્પિટલ જતાં પહેલાં શૈલેન્દ્રએ કાર રાજ કપૂરના ઘર તરફ લેવડાવી. રાજ કપૂરે કહ્યું, ‘જલદી પાછો આવ. મેરા નામ જોકરનું ગીત અધૂરું છે ..’ શૈલેન્દ્રએ કહ્યું, ‘આવું છું. કાલનો તમાશો (રાજ કપૂરના જન્મદિનની ઉજવણી) થઈ જાય, પછી બેસીએ.’ પણ ચોવીસ કલાકમાં તો ખેલ ખતમ થઈ ગયો. તરુણ પુત્ર શેલીએ પિતાએ ગિફ્ટ આપેલી પેનથી પિતાનું અધૂરું ગીત પૂરું કર્યું, ‘કલ ખેલ મેં હમ હો ન હો, ગર્દિશ મેં તારે રહેંગે સદા ..’ પુત્ર શેલીનું નામ એમણે પ્રસિદ્ધ કવિ શેલીના નામ પરથી પાડ્યું હતું અને પોતાના બંગલાનું નામ, ફિલ્મજગતમાં તરક્કી કરાવનાર ફિલ્મ ‘બરસાત’ના નામ પરથી ‘રિમઝિમ’ રાખ્યું હતું.  

મૂળ નામ શંકરસિંહ કેસરીલાલ. સ્થાનિક કવિસંમેલનોમાં વિદ્યાર્થી શંકરસિંહ ‘શૈલેન્દ્ર’ તરીકે ભાગ લેતા. ઘરની આર્થિક સ્થિતિ કફોડી થતાં મુંબઈની રેલવે વર્કશૉપમાં કામે રહ્યા. મહાનગરના કામદાર સમુદાયના પ્રશ્નો જાણીને આ સંવેદનશીલ કવિ ખળભળી ઊઠતા અને આક્રોશભર્યા નાટકો અને ગીતો ‘શચીપતિ’ ઉપનામથી લખતા. ‘ઇપ્ટા’ સાથે પણ જોડાયા હતા.

એક વાર મુંબઈમાં ‘જનનાટ્ય સંઘ’ દ્વારા આયોજિત કવિસંમેલનમાં 23 વર્ષના શૈલેન્દ્રની બે કવિતા ‘જલતા હૈ પંજાબ સાથિયોં’ અને ‘મોરી બગિયા મેં આગ લગા ગયો રે ગોરા પરદેશી’ને ખૂબ દાદ મળી. પૃથ્વીરાજ કપૂર સમારંભના અધ્યક્ષ હતા, શ્રોતાઓમાં બેઠા હતા 24 વર્ષના રાજ કપૂર. રાજ કપૂરે એમને ‘આગ’નાં ગીતો લખવા આમંત્રણ આપ્યું. કવિએ ખુમારીથી કહી દીધું, ‘મેરી કવિતા બિકાઉ નહીં હૈ’. રાજ કપૂરે ખેલદિલીથી કહ્યું, ‘ભલે. પણ મારું આમંત્રણ કાયમી છે.’ 

સંજોગો એવાં થયા કે કવિ રાજ કપૂરને મળ્યા ને ‘બરસાત’(1949)નાં બે ગીત લખ્યાં. ‘પતલી કમર હૈ’ બન્યું ફિલ્મજગતનું પહેલું આઈટમ સોંગ અને ‘બરસાત મેં’ પહેલું શીર્ષકગીત. નવ વર્ષ પછી ફિલ્મફેરે ગીતકારો માટે ઍવોર્ડ શરૂ કર્યો, પહેલો ઍવોર્ડ મળ્યો શૈલેન્દ્રને, ‘યે મેરા દીવાનાપન હૈ’ માટે. ત્યાર પછી આઠ વર્ષે એમણે પહેલી ફિલ્મ ‘તીસરી કસમ’નું નિર્માણ કર્યું. 28 સંગીતકારો સાથે 171 હિંદી અને છ ભોજપુરી ફિલ્મો માટે ગીતો લખ્યાં. મૃત્યુ પછી પણ ઘણાં વર્ષ સુધી એમનાં ગીતો ફિલ્મોમાં આવતાં રહ્યાં. છેલ્લું ગીત 1989માં ‘મમતા કી છાંવમેં’માં આવ્યું, શબ્દો હતાં ‘મેરા ગીત અધૂરા હૈ – પાસ હો તુમ દૂર ભી હો, કૌન હો તુમ ઉસ પાર, તુમ જો મિલો તો ગીત હો પૂરા, મિલ જાયે મન કે તાર, કોઈ બિખરે તાર સજા દે..’ આ શૈલેન્દ્ર. રાજ કપૂર એમને કવિરાજ કહેતા. કોને શોધે છે કવિરાજ – પોતાના જ અવ્યક્ત સેલ્ફને? ‘કવિરાજ’ શબ્દને અને એના સ્પિરિટને એમણે રાજ કપૂર માટે જ લખેલા એક ગીતમાં સુંદર રીતે વણ્યો છે, ‘કામ નયે નિત ગીત બનાના, ગીત બના કે જહાં કો સુનાના, કોઈ ન મિલે તો અકેલે મેં ગાના, કવિરાજ કહે, ન યે તાજ રહે, ન યે રાજ રહે, ન યે રાજઘરાના, પ્રીત ઔર પ્રીત કા ગીત રહે, કભી લૂટ સકે ન કોઈ યે ખજાના’ 

‘બરસાત’ પછી 1951માં શૈલેન્દ્રએ ‘આવારા’નાં ‘આવારા હૂં’, ‘તેરે બિના આગ યે ચાંદની’, ‘ઘર આયા મેરા પરદેસી’ અને ‘દમ ભર જો ઉધર મુંહ ફેરે’ આપ્યાં. એ જ વર્ષે ‘નગીના’ – તૂને હાયે મેરે ઝખ્મે જિગર કો છૂ લિયા. અને પછી તો ‘દાગ’ – એ મેરે દિલ કહીં ઓર ચલ, ‘આહ’ – યે શામ કી તનહાઇયાં, ‘દો બીઘા જમીન’ – અપની કહાની છોડ જા, ‘શ્રી 420’ – પ્યાર હુઆ, ઈકરાર હુઆ, ‘સીમા’ – તૂ પ્યારકા સાગર હૈ, ‘જાગતે રહો’ – ઝિંદગી ખ્વાબ હૈ, ‘ચોરી ચોરી’ – યે રાત ભીગી ભીગી, ‘લવ મેરેજ’ – કહે ઝુમ ઝુમ રાત યે સુહાની, પંડિત રવિશંકરના સંગીત નિર્દેશનમાં બનેલી ‘અનુરાધા’ – કૈસે દિન બીતે, ‘આશિક’ – મહેતાબ તેરા ચહેરા, ‘દિલ તેરા દીવાના’ – મુઝે કિતના પ્યાર હૈ તુમ સે’, ‘હરિયાલી ઔર રાસ્તા’ શીર્ષકગીત, ‘બંદિની’ – મેરે સાજન હૈ ઉસ પાર, ‘દિલ એક મંદિર’ – રૂક જા રાત, ‘દૂર ગગન કી છાંવ મેં’ – કોઈ લૌટા દે મેરે, ‘સંગમ’ – હર દિલ જો પ્યાર કરેગા, ‘ગાઈડ’ – તેરે મેરે સપને, ‘આમ્રપાલી’ – તુમ્હેં યાદ કરતે કરતે, ‘એન ઈવનિંગ ઇન પેરિસ’ – રાત કે હમસફર, ‘હલાકૂ’ – આ જા કિ ઇન્તઝાર મેં, ‘રાત ઔર દિન’ – દિલ કી ગિરહ ખોલ દો, ‘તીસરી કસમ’ – સજનવા બૈરી હો ગયે, ‘જ્વેલથીફ’ – રૂલા કે ગયા સપના મેરા, ‘બ્રહ્મચારી’ – મૈં ગાઉં તુમ સો જાઓ ‘પૂનમ કી રાત’ – સાથી રે તુજ તેરે બિન જીયા ઉદાસ હૈ’, ‘મધુમતી’ – દિલ તડપ તડપ કે અને અનેક અનેક. 

અને ‘તીસરી કસમ’. આ ફિલ્મ માટે એક વિવેચકે લખ્યું છે, ‘ઈટ ઈઝ લાઈક અ પોએમ ઓન સેલ્યુલોઈડ વિથ અ થ્રેડ ઑફ પેઇન રનીંગ થ્રુ ઈટ.’ સીધાસાદા, ગાતા રહેતા ગાડાવાળા હીરામન (રાજ કપૂર) અને તેની ‘સવારી’ હીરાબાઈ (વહીદા રહેમાન) વચ્ચે 30 કલાકની મુસાફરી દરમ્યાન ગૂંથાતા એક કોમળ સંબંધની આ વાર્તા છે. બાજુમાંથી ગાડું પસાર થાય તો પડદો ખેંચી લેતા હીરામનની નિર્દોષતા જોઈ હીરાબાઈ થોડીવાર માટે ભૂલી જાય છે કે પોતે નૌટંકીની નાચનારી છે જેને ચારઆઠ આના ખર્ચી કોઈ પણ હાલીમવાલી જોઈ શકે છે. ફિલ્મના અંતે તે હીરામનથી દૂર થવા પોતાની જૂની કંપનીમાં ચાલી જાય છે. પ્લેટફોર્મ પર થયેલી અંતિમ મુલાકાતમાં પોતાની શાલ હીરામનને આપતાં હીરાબાઈ કહે છે, ‘તેં મને મહુવાની વાર્તા કરી હતી, જેને વેચી નાખવામાં આવેલી – મૈં ભી બિકી હુઈ હૂં હીરામન. દુ:ખી ન થતો.’ કોરી આંખે છૂટા પડતાં આ બંને પાત્રોનું દર્દ દર્શકોને ભીંજવ્યા વગર રહેતું નથી. 

રાજ કપૂર-વહીદા રહેમાનનો સંવેદનશીલ અભિનય, સુંદર ગીતો, અસલી ગ્રામ્ય પરિવેશ, દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્યનું કૌવત, અપુ ટ્રાયોલોજી ફેમ સુબ્રતો મિત્રની સિનેમેટોગ્રાફી આ બધું છતાં ફિલ્મ વ્યાવસાયિક દૃષ્ટિએ નિષ્ફળ ગઈ. ત્રણ ત્રણ વર્ષથી તેની પાછળ ખુવાર થતા રહેલા શૈલેન્દ્ર ભાંગી પડ્યા અને માત્ર 43 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. પછીનાં વર્ષોમાં ફિલ્મને રાષ્ટ્રપતિનો ચંદ્રક અને ‘ઑલ ટાઈમ ક્લાસિક’નું પદ મળ્યાં. તેના સર્જક તરીકે શૈલેન્દ્રનું નામ અમર થઈ ગયું. પ્રહલાદ અગ્રવાલે પુસ્તક લખ્યું છે, ‘તીસરી કસમ કે શિલ્પકાર શૈલેન્દ્ર.’ 

શેલીના ‘ટુ અ સ્કાયલાર્ક’ની અમર પંક્તિ ‘અવર સ્વીટેસ્ટ સોંગ્સ આર ધોઝ ધેટ ટેલ ઑફ સેડેસ્ટ થોટ્સ’ પરથી શૈલેન્દ્રએ અદ્દભુત ગીત લખેલું, ‘હૈ સબસે મધુર વો ગીત જિસે હમ દર્દ કે સુરમેં ગાતે હૈં’ શૈલેન્દ્રએ પોતાના વિષે બહુ વાતો કરી નથી. આ શબ્દો જાણે એમની જ કહાણી છે, ‘અપની અપની સબ ને કહ દી, લેકિન હમ ચૂપચાપ રહે, દર્દ પરાયા જિસકો પ્યારા વો ક્યા અપની બાત કહે, ખામોશી કા યે અફસાના રહ જાયેગા બાદ મેરે..

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 21 ડિસેમ્બર  2025

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • દમ પતી જાય એને દંપતી કહેવાય 
  • સ્ક્રીનની પેલે પાર : જ્યારે ડિજિટલ એસ્કેપ મોતનો ગાળિયો બને ત્યારે
  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved