Opinion Magazine
Number of visits: 9570239
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્રાપ્તિ અને પ્રતિષ્ઠાથી અલિપ્ત પ્રતિભાઓ : મેરી અને પિયરી ક્યુરી 

સોનલ પરીખ|Opinion - Opinion|5 December 2025

મેરી અને પિયરી ક્યુરી બંને મહાન વિજ્ઞાનીઓ પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે પોતાના માટે અને પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. 

મેરી ક્યુરી અને પિયરી ક્યુરી, 1903

‘કશાથી ડરવાની જરૂર હોતી નથી. જરૂર હોય છે સમજી લેવાની. જેમ વધુ સમજો, તેમ ડર ઓછો.’ આ ઉક્તિ છે મેરી સ્કૉદોવ્સ્કા ક્યુરીની. આપણે તેને મેરી ક્યુરી તરીકે ઓળખીએ છીએ, પણ તેનું નામ દુનિયાભરના મ્યુઝિયમોમાં અને પુસ્તકોમાં આ રીતે લખાય છે. તેણે કરેલી શોધ રેડિયોએક્ટિવિટીમાં પાયાની ગણાય છે. મેરી ક્યુરી નોબેલ ઈનામ મેળવનાર જીતનારી પ્રથમ મહિલા અને વિજ્ઞાનના બે ક્ષેત્રોમાં નોબેલ મેળવનાર પ્રથમ વ્યક્તિ હતી. 

મેરી અને પિયરી ક્યુરી નોબેલ મેળવનાર પ્રથમ દંપતી હતાં. આજની કૉલમ મેરી અને પિયરી ક્યુરીને – એક અદ્દભુત અનોખા પ્રતિભાશાળી દંપતીને સમર્પિત કરું છું. ક્યુરી પરિવારે પાંચ નોબેલ મેળવ્યાં છે. યુનિવર્સિટી ઑફ પૅરિસમાં પ્રોફેસર બનનાર મેરી પ્રથમ મહિલા હતી. પોતાના ક્ષેત્રને તે એટલી સમર્પિત હતી કે તેને રેડિએશનથી થતો હાડકાનો રોગ લાગુ પડ્યો હતો. આ મેરી સ્કૉદોવ્સ્કાનો જન્મ યુરોપના નાના-શા દેશ પૉલેન્ડની રાજધાની વૉર્સોમાં 1867ની 7મી નવેમ્બરે થયો ત્યારે નેપોલિયન યુદ્ધો પૂરાં થઈ ગયાં હતાં અને પૉલેન્ડ રશિયા-પ્રુશિયાની ભીંસમાંથી માર્ગ શોધી રહ્યું હતું. 

1991માં મેરી ફ્રાંસ આવી અને પેરિસની સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ. તેને અહીં લાવનાર હતા પૉલેન્ડના ફિઝિસિસ્ટ અને પ્રોફેસર કાઉન્ટ જૉસેફ કૉવાલ્સ્કી. તેમણે જ મેરીની ઓળખાણ પિયરી ક્યુરી સાથે કરાવી હતી, પણ ત્યારે એમને કલ્પના નહીં હોય કે આ દંપતી વિજ્ઞાનના ક્ષેત્રે ચમત્કાર કરવાનું છે. પિયરીએ મેરીને પોતાની વિદ્યાર્થિની તરીકે લેબોરેટરીમાં લઈ લીધી. તરત તેને મેરીની પ્રતિભાનો ખ્યાલ આવી ગયો અને તે પિયરીની વિદ્યાર્થિની મટી સંશોધન-સાથી બની. 

પિયરી સાથેની પહેલી મુલાકાતનું વર્ણન કરતાં મેરીએ લખ્યું છે, ‘હું પ્રવેશી ત્યારે પિયરી ક્યુરી બાલ્કનીમાં ખૂલતી ફ્રેન્ચ વિન્ડોમાંથી બહાર જોતો આરામથી ઊભો હતો. ત્યારે એ 35 વર્ષનો હતો, પણ દેખાવે ઘણો યુવાન લાગ્યો. તેના ચહેરા પર અને વર્તણુંકમાં આવકાર, ખુલ્લાપણું અને અલિપ્તતાનું ગમી જાય એવું સંયોજન હતું. તેની વિચારપૂર્વક ધીરે ધીરે બોલવાની શૈલી, તેની સાદગી, તેનું સ્વચ્છ સ્મિત, તેનામાં એકસાથે દેખાતી ગંભીરતા અને તાજગી આકર્ષક હતા. તેનો આત્મવિશ્વાસ, અન્યમાં પણ આત્મવિશ્વાસ જગાડી શકે એવો સમર્થ હતો.’ પિયરી ક્યુરી ફ્રેન્ચમેન હતો. તેના પિતા ડૉક્ટર હતા. પિયરી એમની પાસે જ તૈયાર થયો. કિશોરાવસ્થામાં જ તે ગણિત અને ભૂમિતિનો સ્કૉલર ગણાવા માંડ્યો હતો. સોળમા વર્ષે તે ગણિતમાં બી.એસસી. થયો અને 18મા વર્ષે માસ્ટર. પછીનાં વર્ષોમાં ઝડપથી તેણે વિજ્ઞાન અને સંશોધનના ક્ષેત્રે નામ કાઢ્યું હતું. 

દોસ્તી થતાં વાર ન લાગી. એક વર્ષ પછી પિયરીએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ‘આપણે બન્ને સ્વપ્નસેવી, કહો કે સ્વપ્નસંમોહિત વ્યક્તિઓ છીએ. આપણે સાથી બનીએ, સાથે જીવીએ અને તેં તારા દેશ માટે જે જોયું છે, આપણે આખી માનવજાત માટે તેમ જ સંશોધન માટે જે સેવ્યું છે તે સ્વપ્નને સાકાર કરીએ તો કેવું?’ મેરી તો પણ ખચકાતી હતી, લગ્ન અને વિજ્ઞાનનો મેળ પડશે ખરો? પિયરીએ વિશ્વાસ આપ્યો, ‘આપણે સાથે મળીને વિજ્ઞાનની સેવા કરીશું.’ મેરીને પોતાના દેશમાં જઈ કામ કરવું હતું, પણ ત્યાંની યુનિવર્સિટીઓએ તેને કામ આપવાની ના પાડી કારણ કે તે સ્ત્રી હતી. પિયરીએ તેને પેરિસ આવી જવા મનાવી લીધી. 1895ની 26મી જુલાઈએ બન્ને પરણી ગયાં. ભારતમાં આ વખતે અંગ્રેજોનું રાજ્ય હતું. 1857ના વિદ્રોહને ત્રણ દાયકા થવા આવ્યા હતા. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસની સ્થાપનાને દસ વર્ષ થયા હતા. દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સત્યાગ્રહની ભૂમિ તૈયાર થતી આવતી હતી.

પિયરી મેરી કરતાં બાર વર્ષ મોટો હતો. લગ્નમાં મેરીએ નવવધૂના પોષાકને બદલે લેબોરેટરીમાં પહેરતી એવો જ ઘેરા ભૂરા રંગનો પોષાક પહેર્યો, ‘પિયરી, તને વાંધો ન હોય તો હું આ પહેરું. આ પોષાક રોજ વપરાશે. બ્રાઈડલ ગાઉન તો કબાટમાં પડ્યો જ રહેશે.’ હનીમૂન માટે આ અનોખાં પતિપત્ની સાયક્લ લઈને ફ્રાન્સના કુદરતી સૌંદર્યથી ભરપૂર ગ્રામવિસ્તારમાં ઘૂમ્યાં. એમનું લગ્નજીવન પ્રેમ અને ઉષ્માથી ધબકતું હતું. ક્યુરી દંપતીને બે પુત્રીઓ થઈ, ઈરિના અને ઈવ.  

મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં એમનું ઔતિહાસિક અખબાર ‘ઇન્ડિયન ઓપિનિયન’ શરૂ કર્યું એ જ વર્ષે એટલે કે 1903માં આ યુગલે ફ્રેંચ વિજ્ઞાની એન્ટોની હેનરી બેક્વેરલ સાથે રેડિયેશનના સંશોધન માટે ફિઝિક્સનું નોબેલ ઈમામ જીત્યું. પહેલા નોમિનેશનમાં મેરીનું નામ ન હતું. પિયરીએ આ સંશોધનમાં મેરીના પ્રદાન તરફ ધ્યાન દોર્યું ત્યારે તેનું નામ ઉમેરાયું અને તે નોબેલ મેળવનારી પ્રથમ મહિલા બની. 1903-1904માં આ દંપતીને બહુ પ્રતિષ્ઠિત એવાં ઈટાલિયન અને બ્રિટિશ ઈનામો પણ મળ્યાં. 

આ મહાન ઘટનાના ત્રણ જ વર્ષ બાદ પિયરી પરિવાર એક મોટી દુર્ઘટનાનો ભોગ બન્યો. એક વરસાદી દિવસે પિયરી રસ્તો ઓળંગતો હતો ત્યાં લપસી પડ્યો અને ઘોડા જોડેલું એક ભારે વાહન પસાર થઈ રહ્યું હતું, તેનું જબ્બર પૈડું તેના માથા પરથી ફરી ગયું. માત્ર 46 વર્ષની ઉંમરે એ મૃત્યુ પામ્યો ત્યારે મેરી માત્ર 34 વર્ષની હતી. એ ભાંગી પડી, પણ પિયરીના વિજ્ઞાન-સમર્પણને યાદ કરીને તે ફરી સંકલ્પબદ્ધ થઈ. એ જ વર્ષે તે સોર્બોર્ન યુનિવર્સિટીમાં જોડાઈ, પતિની સ્મૃતિમાં એક વિશ્વકક્ષાની પ્રયોગશાળાનું નિર્માણ કર્યું અને યુનિવર્સિટીની પહેલી મહિલા પ્રેફેસર બની.

મેરીએ રેડિયમ અને પોલોનિયમ આ બે તત્ત્વો શોધ્યાં અને કેન્સર-સંશોધનમાં મોટું પ્રદાન આપ્યું. ઘાતક રોગો સામે ઝઝૂમતા લોકોને મદદ કરવા તેણે ચેરિટી મિશન શરૂ કર્યું હતું. મેરી અને પિયરીની દીકરી ઇરિના અને જમાઈ ફ્રેડરિક જોલિઓટ બન્ને રેડિયોએકટિવિટીના ઊંડા અભ્યાસી હતાં. બન્નેએ એક એક નોબેલ ઈનામ મેળવ્યું હતું. બીજી દીકરી ઈવે મેરીની જીવનકથા લખી હતી. તેના પતિ ‘યુનિસેફ’માં હતા, અને તેમને પણ નોબેલ શાંતિ ઈનામ મળ્યું હતું. એમની દીકરી હેલન યુનિવર્સિટી ઑફ પેરિસમાં ન્યૂક્લિયર ફિઝિક્સની પ્રોફેસર હતી. હેલનના પુત્રનું નામ પિયરી ક્યુરી રાખવામાં આવેલું અને તેણે બાયોકૅમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી હતી. 

મેરી પોતાની પૉલિશ ઓળખ કદી નહોતી ભૂલી. તે સમયાંતરે પતિ સાથે પૉલેન્ડ જતી પણ ખરી. બન્ને દીકરીઓને તેણે પૉલિશ ભાષા શીખવી હતી અને પોતે જે પહેલું શોધ્યું તે રાસાયણિક તત્ત્વને પોતાના દેશ પરથી ‘પૉલેનિયમ’ નામ આપ્યું હતું. 1911માં તેને કેમિસ્ટ્રીમાં નોબેલ મળ્યું. તેના શતાબ્દીવર્ષે યુરોપ અને અમેરિકાએ ‘મેરી ક્યુરી યર’ ઊજવેલું. 

મેરી અને પિયરી ક્યુરીના જીવન પર ચાર જીવનકથા લખાઈ છે, ઉપરાંત ફિલ્મો, નાટકો પણ બન્યાં છે. 2020ના આંકડા પ્રમાણે કુલ 866 નોબેલ વિજેતાઓમાંથી 53 મહિલાઓ છે. તેમાંની 16 સાહિત્યમાં, 4 ફિઝિક્સમાં અને 4 કેમિસ્ટ્રીમાં નોબેલવિજેતા બની છે. ભારતની કોઈ મહિલાએ નોબેલ મેળવ્યું નથી. એકમાત્ર મધર ટેરેસા છે, જેની ઓળખ નોબેલ સૂચિમાં ઇન્ડિયન-યુગોસ્લૉવિયન એવી અપાઈ છે. 

પિયરી ક્યુરી કહેતા, ‘હું એવા લોકોમાં છું જેમને વિશ્વાસ છે કે માણસજાત નવી શોધોમાંથી વિનાશકારી નહીં, પણ હિતકારી એવું પ્રાપ્ત કરતાં શીખશે.’ બંને પ્રામાણિક, સાદાં અને માનવતાભરપૂર હતાં. લગભગ તમામ કમાણી વિજ્ઞાનસંસ્થાઓને આપી દેતાં. આઈન્સ્ટાઈન એમને ‘પ્રતિષ્ઠાથી અલિપ્ત દુર્લભ વ્યક્તિઓ’ તરીકે ઓળખાવતા. મેરી ક્યુરી કહેતાં, ‘વ્યક્તિઓને બહેતર બનાવ્યા વિના બહેતર વિશ્વ કદી ન સર્જી શકાય. એટલે દરેકે સૌ પહેલા તો પોતાને બહેતર બનાવવાની દિશામાં કામ કરવાનું છે અને સાથે પૂરી માનવતા માટે સહિયારી જવાબદારી ઉઠાવવાની છે.’ 

આ દિશામાં એકાદ પગલું તો આપણે સૌ ઉઠાવી શકીએ. શું કહો છો ?             

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 નવેમ્બર  2025

Loading

નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?

રમેશ સવાણી|Opinion - Opinion|4 December 2025

રમેશ સવાણી

કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે 02 ડિસેમ્બર 2025ના રોજ, વડોદરાના સાધલી ગામમાં યુનિટી માર્ચ કાર્યક્રમમાં જૂઠનો મહાગોળો ફેંક્યો હતો : “નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા ! એ તો સારું થયું કે સરદાર પટેલે તેમને રોક્યા !”

થોડાં મુદ્દાઓ :

[1] આવું કોઈ અંધભક્ત કહી શકે, ટ્રોલ કહી શકે, કોઈ નફરતી કહી શકે. પરંતુ દેશના સંરક્ષણ મંત્રીના હોદ્દા પર બિરાજમાન નેતા આવું કહી શકે? જો કહે તો તેમની પાસે ઐતિહાસિક પુરાવા તો હોવા જોઈએ ને? કોઈ પત્રવ્યવહાર, કોઈ ઈન્ટરવ્યુ, કોઈ પુસ્તકોમાં આ અંગે ઉલ્લેખ છે? WhatsApp યુનિવર્સિટીના ગપ્પગોળાના આધારે મિનિસ્ટર આવું બોલી શકે? જૂઠ્ઠાણાં ફેલાવવામાં RSS / ભા.જ.પ.ના નેતાઓમાં હરીફાઈ થઈ રહી છે, કોણ વધુ અસરકારક જૂઠું બોલી શકે છે !

[2] નેહરુના સમયે બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી જ. નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા? सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है !

[3] નેહરુ બાબરી મસ્જિદને લગતા સાંપ્રદાયિક વિવાદના સખત વિરોધમાં હતા. આમાં તેમને ટેકો આપનારા સરદાર પટેલ હતા. તેઓ બન્ને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અને સદ્દભાવના દ્વારા આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગતા હતા. 22 ડિસેમ્બર 1949ની રાત્રે, કેટલાક લોકો અયોધ્યામાં બાબરી મસ્જિદ સંકુલમાં ઘૂસી ગયા અને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ તેના મધ્ય ગુંબજ નીચે મૂકી. લગભગ તે જ સમયે, અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય સાંપ્રદાયિક ઘટનાઓ બની. ખૂબ જ વ્યથિત નેહરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત અનેક નેતાઓને પત્રો લખ્યા. બધા પત્રો નેહરુ આર્કાઇવમાં ઉપલબ્ધ છે. તેમના પત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે નેહરુ પોતાના પક્ષમાં વધતી સાંપ્રદાયિક વૃત્તિઓથી ચિંતિત હતા અને આગળ એક ખતરો જોતા હતા. તેઓ માનતા હતા કે અયોધ્યાની પરિસ્થિતિ કાશ્મીર મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને અસર કરશે.

[4] નેહરુએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી હતી કે “મને ખબર નથી કે દેશમાં સારું વાતાવરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ. જ્યારે લોકો ગુસ્સે હોય છે, ત્યારે સારી વાતો કહેવાથી તેમને ગુસ્સો આવે છે. બાપુ તે કરી શકતા હતા, પરંતુ આપણે આવી વાતો માટે ખૂબ નાના છીએ.” જુલાઈ 1950માં, નેહરુએ લાલ બહાદુર શાસ્ત્રીને એક પત્ર લખીને ડર વ્યક્ત કર્યો કે “આપણે બીજા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ તમે જાણો છો, અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મુખ્ય મુદ્દો છે અને તેની આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠા પર ઊંડી અસર પડે છે. પરંતુ આ ઉપરાંત, એવું લાગે છે કે અયોધ્યામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શક્ય છે કે આવી મુશ્કેલી મથુરા અને અન્ય સ્થળોએ પણ ફેલાઈ જાય.”

[5] બાબરી મસ્જિદ મુદ્દે સરદાર પટેલ શું ઇચ્છતા હતા? બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી નેહરુની જેમ, પટેલે પણ પંતને પત્ર લખ્યો હતો (સરદાર પટેલનો પત્રવ્યવહાર, ખંડ 9, દુર્ગા દાસ દ્વારા સંપાદિત). તેમણે કહ્યું, “વડા પ્રધાન તમને અયોધ્યાના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરતો ટેલિગ્રામ મોકલી ચૂક્યા છે. મેં લખનૌમાં તમારી સાથે આ વિશે વાત કરી હતી. મારું માનવું છે કે આ વિવાદ ખૂબ જ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સંમતિ દ્વારા મુખ્ય સાંપ્રદાયિક મુદ્દાઓ ઉકેલાયા છે. મુસ્લિમોની વાત કરીએ તો, તેઓ હજુ પણ તેમની નવી વફાદારી સાથે સમાયોજિત થઈ રહ્યા છે. આપણે કહી શકીએ છીએ કે ભાગલાનો પ્રારંભિક આંચકો અને ત્યાર બાદની અનિશ્ચિતતાઓ હમણાં જ ઓછી થવા લાગી છે, અને વફાદારીમાં મોટા પાયે પરિવર્તન થવાની શક્યતા ઓછી છે. મારું માનવું છે કે આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ બંને સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ અને સદ્દભાવનાથી સૌહાર્દપૂર્ણ રીતે થવો જોઈએ. હું સમજું છું કે લેવામાં આવેલા પગલાંમાં ઘણી લાગણીઓ સામેલ છે. વધુમાં, આવા મુદ્દાઓ ફક્ત ત્યારે જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે જો આપણે મુસ્લિમ સમુદાયની સંમતિને ધ્યાનમાં લઈએ. બળજબરીથી આવા વિવાદોનો ઉકેલ લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી પરિસ્થિતિઓમાં, કાયદો અને વ્યવસ્થા દળોએ દરેક કિંમતે શાંતિ જાળવી રાખવી જોઈએ. જો શાંતિપૂર્ણ અને સમજાવટભર્યા રસ્તાઓ અપનાવવા પડે, તો આક્રમકતા અથવા બળજબરી પર આધારિત કોઈ પણ એકપક્ષીય કાર્યવાહી સહન કરી શકાતી નથી. તેથી, હું દૃઢપણે માનું છું કે આ બાબતને આટલો મોટો મુદ્દો ન બનાવવો જોઈએ, અને વર્તમાન અયોગ્ય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ, અને જે બન્યું છે તેને સૌહાર્દપૂર્ણ સમાધાનમાં અવરોધ બનવા દેવો જોઈએ નહીં.”

[6] ગમે તેટલાં જૂઠ્ઠાણાં ફેલાવો પણ RSS / ભા.જ.પ.માં કદી ગાંધીજી / નેહરુ / સરદાર પટેલ જેવું નેતૃત્વ ઊભું થઈ શકવાનું નથી. કેમ કે એના માટે કટ્ટરતા મુક્ત / દંગામુક્ત / સાંપ્રદાયિકતા મુક્ત વિચારસરણી જરૂરી છે, પ્રગતિશીલતા / બિનસાંપ્રદાયિકતા / વૈજ્ઞાાનિક અભિગમ / સામાજિક ન્યાયની ભાવના / લોકતાંત્રિક માનસ જરૂરી છે. જે RSS / ભા.જ.પ. પાસે નથી. 

[7] સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં આવી સરદાર પટેલના નામે જૂઠાણાંનો મહાગોળો ફેંકે અને ગુજરાતના મીડિયા ચૂપ રહે, તેનું આશ્ચર્ય છે. ગુજરાતી ચેનલોના પત્રકારો બહુ ઓછું વાંચે છે, પરંતુ નિષ્ણાતનો ઈન્ટરવ્યૂ પણ ન કરે? સત્તાને જ ખુશ કરવાની લાલસા ! શું મીડિયાને એવો સવાલ ન થાય કે રાજનાથસિંહ, તમે અટલજીની સરકારમાં મંત્રી હતા ત્યારે કેમ કોઈ દિવસ નેહરુ વિશે જૂઠના મહાગોળા ફેંકતા ન હતા? 

[8] માની લઈએ કે નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા. તો કેન્દ્રમાં મોદીજી 11 વરસથી સત્તામાં છે. તેમની પાસે બધાં જૂના દસ્તાવેજો છે, રેકોર્ડ છે, સરકારી નોંધો છે, આર્કાઇવ્સ છે. તેમાં નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા તે બાબત જાહેર કરવી જોઈએ, અને નેહરુનો પર્દાફાશ કરવો જોઈએ. મોદીજીને આવો પર્દાફાશ કરતા શું નેહરુ રોકતા હશે? 

02 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|4 December 2025

સરદાર 

રક્ષામંત્રી રાજનાથ સિંહનું વાગ્બાણ

નેહરુ પટેલની સ્મશાનયાત્રામાં નહોતા ગયા એવાં ગતકડાં અને ગુબ્બારા બાબતે, કાશ, રાજનાથસિંહ સહિતના વરિષ્ઠો ચાંગળુંક વિવેક કે લગરીક સંયમ કેળવી શકે!

પ્રકાશ ન. શાહ

સરદાર સાર્ધ શતાબ્દી સંદર્ભે ગુજરાતની ઊડતી મુલાકાત દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે વળી એક વાગ્બાણ વીંઝ્યું છે કે જવાહરલાલ તો સરકારી ખર્ચે બાબરી મસ્જિદ ઊભી કરવાનું કહેતા હતા, પણ વલ્લભભાઈએ એમને તેમ કરતાં વાર્યા હતા, કારણ વલ્લભભાઈ ‘ટ્રુ સેક્યુલર’ હતા. 

ઉટપટાંગ વિધાનકળા તો કોઈ રાજનાથસિંહ કને શીખે. આ પહેલાં પણ એમણે એક મૌલિક સંશોધન સરાજાહેર કીધું હતું કે સાવરકરે અંગ્રેજ સરકારને માફીપત્ર લખ્યો તે ગાંધીજીની સલાહથી લખ્યો હતો. આ વિગત જેને અંગે એમને જાતજાણકારી હતી તેની ખબર ખુદ સાવરકર અગર ગાંધીને પણ નહોતી. સાવરકરના સંઘમાન્ય ચરિત્રકાર ઉદય માહુરકર હોય અગર અન્ય ચરિત્રકાર વિક્રમ સંપત હોય, આ વિગતમુદ્દે રાજનાથસિંહ તરફે એમણે લાળા ચાવ્યા વગર કોઈ પણ વિકલ્પ નહોતો. 

વાત જો કે આપણે જવાહર અને સરદારની કરતા હતા. બાબરી મસ્જિદનો પ્રશ્ન ચગ્યો અડવાણી-કાળમાં પણ એનાં બીજ 1949-50માં પડેલાં છે. એ ઢાંચામાં રાતોરાત રામલલ્લા પ્રગટ્યા હતા. આ પ્રાગટ્યના જવાબદારો અંગે તેમ મૂર્તિની પધરામણી અંગે નેહરુ અને સરદાર બંનેની ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત જોગ સાફ સલાહ હતી કે આવી ઘટનાને ઉત્તેજન ન મળી રહે તે જોવું જોઈએ અને તરત ઘટતી કારવાઈ કરશો. સ્થળ પર તાળાં તો મરાઈ ગયાં પણ બાકી કારવાઈ બાબતે સ્થાનિક મેજિસ્ટ્રેટની ‘સલાહ’ વધું કાંઈ ન કરવાની હતી અને પંતે નેહરુ પટેલની સલાહની ઉપરવટ જઈ ઢીલું મૂક્યું હતું. આગળ ચાલતાં પંતને ‘સલાહ’ આપનાર મેજિસ્ટ્રેટની જનસંઘમાં સમુત્ક્રાન્તિ થઈ હતી એ ઇતિહાસ દર્જ છે. ગમે તેમ પણ નેહરુ-પટેલ પત્રવ્યવહાર અને બાકી વિગતો આર્કાઇવ્ઝમાં સચવાયેલી ને સુલભ છે. હવે તો નેહરુ આર્કાઇવ્ઝ પણ ખુલ્લું મુકાયેલ છે. એમાં ક્યાં ય સરકારી ખર્ચે બાબરી નિર્માણનું નેહરુસૂચન નોંધાયેલું નથી. 

રાજનાથસિંહ ચોક્કસ સંદર્ભમાં વલ્લભભાઈને ‘ટ્રુ સેક્યુલર’ તરીકે આગળ કરવા ઇચ્છતા હોય તો એમણે એ સવાલનો જવાબ શોધવો જોઈએ કે વલ્લભભાઈએ અયોધ્યા મુદ્દે સોમનાથવાળી કેમ ન કરી. આ બે બાબત વચ્ચે પટેલને કશોક વિવેક અભિપ્રત હતો પણ એ સમજવાની તૈયારી ન તો રથી અડવાણીની હતી, ન તો એ માટેની રગ રાજનાથસિંહ કને જણાય છે. 

છતાં વલ્લભભાઈમાં એમને ‘ટ્રુ સેક્યુલર’ના દર્શન થાય જ છે. તો એમણે વલ્લભભાઈના એ વિધાનનીયે નોંધ લેવી જોઈએ કે હિંદુ રાષ્ટ્રને વલ્લભભાઈને ‘પાગલ ખયાલ’ તરીકે વર્ણવ્યો હતો. ગાંધીહત્યા પછીની તપાસ પર વલ્લભભાઈ સતત ચોંપ રાખી રહ્યા હતા અને એમનો જવાહરલાલ જોગ પત્ર પણ સચવાયેલ ને પ્રગટ થયેલ છે કે હિંદુ મહાસભાનું એક જૂથ આની પાછળ છે. મૂળે હિંદુ મહાસભાના પણ આઝાદ ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં સ્થાનપ્રાપ્ત શ્યામાપ્રસાદ મુખર્જીએ સંઘ પરના પ્રતિબંધનો મુદ્દો છેડ્યો ત્યારે નાયબ વડા પ્રધાન ને ગૃહ પ્રધાન પટેલે પોતાના આ કેબિનેટ સાથીને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે સંઘ પ્રચારે જે ઝેરી હવા પ્રસારી તેમાં ગાંધીજીનો ભોગ લેવાયો. 

એ સાચું છે કે એક તબક્કે વલ્લભભાઈ સંઘ કાઁગ્રેસમાં જોડાઈ જાય એવું સૂચન કર્યું હતું. પણ એમાં જે રાજકીય ગણતરી ઉપરાંત પ્રધાન મંત્રી મુદ્દો કાઁગ્રેસના બંધારણના સ્વીકારનો અને એ રીતે સંઘની વિચારધારાના અસ્વીકારનો હતો તે બેઉના ટીકાકારો અને ટેકેદારોના ખ્યાલમાં હોવું જોઈશે. દેખીતી રીતે જ સંઘે પણ અંતર્ગત અલગ નહીં એ ધોરણે જોડાવાનું રહે. 

વસ્તુતઃ સ્વરાજસંક્રાન્તિમાં ગાંધી-નેહરુ-પટેલ વચ્ચેના સહજ મતભેદો છતાં એ નાજુક નિર્ણાયક પળોમાં છેવટે તો તે ત્રિપુટી તરીકે જ ઊપસી રહેલાં માલૂમ પડે છે. એમને એકમેકની સામે મૂકીને જોવાતપાસવાનું સ્વતંત્ર અધ્યયનનો વિષય હોઈ શકે, પણ એમને એકબીજાથી જુદા પાડી પોતે જે સંગ્રામમાં નહોતા એની સાથે પશ્ચાદ્વર્તી ધોરણે જોડાઈ જવાની લાયમાં આ ઉધામો શા માટે. મોરારજી પ્રધાનમંડળમાં ભાગીદારી, અટલબિહારી વાજપેયીના છ વરસ અને મોદી શાસનના સુવાંગ અગિયાર વરસ પછી પ્રત્યક્ષ કામગીરીને ધોરણે વાત કરવાનો અભિગમ ભા.જ.પ. અન દેશ બેઉને સારુ પથ્ય થઈ પડશે, તેમ કહેવું એ વાસ્તવ કથન માત્ર છે. 

ભગતસિંહ કહો, નેતાજી કહો, કોઈને પરબારા ઓળવી શકવાની વાસ્તવિક ગુંજાશ ભા.જ.પ. સહિંતના સંઘ પરિવાર સમગ્રમાં નથી. ભાગવતનાં વિજ્ઞાન ભવન વ્યાખ્યાનો બહુ ગાજ્યાં, પણ ગુરુજી સમગ્ર સહિતના એના સ્થાપિત સાહિત્ય અને આ વ્યાખ્યાનોના કેટલાક વિગતમુદ્દા વચ્ચે છત્રીસનો સંબંધ છે તે છે. જવાહરલાલ વલ્લભભાઈની સ્મશાનયાત્રામાં નહોતા ગયા, એવા ગતકડાં ને ગુબ્બારાથી ઊઠીને વાત કરવાનો તકાજો આ તો છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર 2025

Loading

...10...19202122...304050...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved