Opinion Magazine
Number of visits: 9572545
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (50)

સુમન શાહ|Opinion - Opinion|17 February 2021

જીવન પીડા છે, સાહિત્યસર્જન આશ્વાસન.

માનવજીવન અસંગત છે, ઍબ્સર્ડ, એવું જ્ઞાન આલ્બેર કામૂને થયું તેમાં કશી નવાઈ નથી. લોકમાનસમાં તો સદીઓથી છપાયેલું જ છે કે બધું માયા છે, મિથ્યા છે, જીવન નિ:સાર છે, સંસાર અસાર છે.

‘મહાભારત’-કાર વ્યાસે તો અસારત્વને બરાબરનું જાણ્યું છે ને એથી શું થાય, શું નીપજે, તે પણ જણાવ્યું છે. કહ્યું છે : યથા યથા વિ પર્યતે લોકતન્ત્રમ્ અસારત્વ, તથા તથા વિરાગો અત્ર જાયતે, ન તત્ર સંશય …

આપણા સૌનો અનુભવ છે કે જનજીવનમાં કે આપણા પોતાના જીવનમાં બધું ઊધુંછતું થવા માંડે, તળેઉપર થવા માંડે, પાયા હચમચી જાય, એટલે આપણે ધબૂસ થઈને બેસી પડીએ છીએ. ચિત્તમાં સૂનકાર છવાઈ જાય. જીવનરસ સૂકાવા લાગે. વૈરાગ્ય જન્મે. આપણને થાય, અહીં કશું છે નહીં, ચાલો ક્યાંક જતા રહીએ …

આ કોરોનાકાળે થઈ રહેલાં સંખ્યાબંધ મૃત્યુથી અનેકોના ચિત્તમાં અસારત્વ અને વૈરાગ્યના ભાવ જન્મ્યા છે.

પણ આ વિકરાળ પરિસ્થિતિ સામે કેટલીક વ્યક્તિઓ હાથ જોડીને બેસી નથી રહેતી. પોતાની સર્જકતાને કામે લગાડે છે. આપણે જોઈએ છીએ કે, પ્રવર્તમાન વિભીષિકાની સાથોસાથ, સાહિત્ય અને અન્ય કલાઓમાં પુષ્કળ સર્જન થઈ રહ્યાં છે. સામાન્ય વાત છે પણ જુઓ ને, રોજે રોજ સંખ્યાબંધ જોક્સ અને અર્થબોધ કરાવનારાં ઑડીઓ વિડીઓનાં ફૉરવર્ડ્ઝ અત્રતત્ર સર્વત્ર પ્રસર્યા જ કરે છે. એમાં મૂળ સર્જક કે પ્રોડ્યુસરનાં નામ પણ નથી હોતાં. એટલે હું તો એને કોરોનાકાળનું લોકસાહિત્ય કહું છું. આપણા મોહન પરમારે ‘કાલપાશ’ નવલકથા પ્રકાશિત કરી છે. રીષભ મહેતા અને એમનાં પત્ની લગભગ રોજ ગાયનવાદન કરે છે. બીજાઓ પણ ઘણુંક સરજી રહ્યા છે.

જાત-અલગાવ સ્વીકારીને જીવતા વિશ્વભરના કલાકારો કંઈ ને કંઈ સરજી રહ્યા છે. ચોપાસ માનવીય સર્જકતાની લીલા જોવા મળે છે. એક દૃષ્ટાન્ત આપું : CNN અમેરિકાની સુખ્યાત ન્યૂઝ ચૅનલ છે. વચગાળામાં, એણે દુનિયાનાં વિવિધ શ્હૅરોમાં વસતા ૯ કલાકારોને મૌલિક સર્જન કરવા કહેલું – એવાં સર્જન, જેમાં સામ્પ્રત પરિસ્થતિ ઝિલાઈ હોય. ચિત્ર અને શિલ્પમાં વધારે કલાકૃતિઓ સરજાઈ હતી. એ કલાકારોએ ભાવ-પ્રતિભાવ વ્યક્ત કર્યા : કોઈ કલાકારને સર્જનની એ તક વિરલ વરદાન લાગી. કોઈએ કહ્યું – આવા સમયે જ લોકોમાં રહેલું શુભ પ્રકાશે છે. કોઈએ મૅસેજ આપ્યો – આપણે સૌએ એકમેકની સાથે પ્રેમથી જીવતાં શીખવાનું છે. વગેરે.

Picture Courtesy : CNN

વૈશ્વિક પરિસ્થિતિ દુ:સ્વપ્ન જેવી, પણ માણસ રીઢો સ્વપ્નદૃષ્ટા છે, એટલે આવાં સર્જનાત્મક સપનાં આકારીને દુ:ખોનો નાશ કરે છે. ઘોર નિરાશા વચ્ચે કલાની સત્તા પ્રગટી રહી છે. એવી તકો પ્રગટી રહી છે કે માણસને જીવન નિ:સાર ન લાગે. સંગતિ તેમ જ અર્થવત્તાની અનુભૂતિ થાય. આશાનાં વાદળ બંધાવા લાગ્યાં છે. બને કે નજીકના ભવિષ્યમાં વરસે ને શારીરિક, ભૌતિક તેમ જ આધ્યાત્મિક ઠંડક અનુભવાય. એવા એક વાદળનું નામ છે વૅક્સીન … અને વૅક્સીન પણ મહામૂલું સર્જન જ છે …

વ્યાસ પોતે કૌરવો-પાણ્ડવોના જ નહીં પણ એ કાળના દુ:ખદાયી મનુષ્યજીવનને બચાવી લેવા માગતા’તા. ‘મહાભારત’-ની રચના પાછળના એમના એ ઉદ્દેશ વિશે જેટલું વિચારીએ, ઓછું પડવાનું. શું વ્યાસ, પાણ્ડવોનો ‘વિજય’ અને કૌરવોનો ‘પરાજય’ જ દર્શાવે છે? ના. મનુષ્યજીવનમાં યુદ્ધ ભયાનક દુર્ઘટનાવલિ છે એટલું જ દર્શાવે છે? ના. વ્યાસ એમ પણ સૂચવે છે કે યુદ્ધ તો મનુષ્યના ચિત્તમાં વસે છે. સતવાદી યુધિષ્ઠિર માટે જ સ્વર્ગનાં દ્વાર ખૂલે? હા, પણ સત્યમય જીવન પોતે જ સ્વર્ગીય છે.

અને સાંભળો, મહાભારત યુદ્ધ પછી હસ્તિનાપુરની ગાદી સંભાળતા પેલા પરીક્ષિતનું ૭ દિવસમાં મૉત થવાનું હતું, પણ એ ‘શ્રીમદ્ ભાગવત’-ના શબ્દશ્રવણથી બચી ગયો. શબ્દ સંજીવની છે. શાપ ઋષિએ આપેલો, શાપ ટળ્યો પણ ઋષિવાણીથી. ઋષિઓ અને કલાકારો ક્રાન્તદૃષ્ટા હોય છે, ભવિતવ્યને જોઈ શકે …

મારું મન્તવ્ય છે કે જીવન અને સર્જન વચ્ચે ગર્ભિત સમ્બન્ધ છે. દુ:ખોને સર્જક નીરખે, અનુભવે, ને પછી પોતાની સર્જકતાએ કરીને તેનું નિરસન કરે. જીવન જો પીડા છે, તો સાહિત્ય અને કલાઓનાં સર્જન તેનાં રસિકડાં આશ્વાસન છે. સમજો, કુદરતે અસારત્વ સરજ્યું, તો માણસે સારત્વ … કદાચ બધો સાર અસારતાની નીચે છુપાયેલો હતો … સર્જકતાએ શોધી કાઢ્યો …

= = =

(January 18, 2021: USA)

Loading

એક અપૂર્વ સંવાદ

હિમાંશી શેલત|Opinion - Opinion|16 February 2021

તિર્યકી

બ્રોકલી : આમ તો હું જ ફૂલ જેવી દેખાઉં છું તો પછી મને કેમ પેલો ઊંચો દરજ્જો નહીં? હું કમળની નજીક નથી ?

ફ્‌લાવર : ના, કારણ કે ફૂલ જેવી ભભક મારી છે, તારી નહીં. મારો તો રંગ પણ શ્વેત, સ્વચ્છ અને પવિત્ર, વળી મને તો ઘણાં કહે છે ય ફૂલેવર, અર્થાત્‌ ફૂલોમાં વર, એટલે કે શ્રેષ્ઠ!

બ્રોકલી : જા, જા, એ તો કોઈને બોલતાં ન આવડે એમાં !

ફ્‌લાવર : એમ તો એમ, છતાં છું તો ફૂલથી નજીકને ? તું તો પરભોમની, અહીંની સંસ્કૃતિ અને સંસ્કારમાં તું શું સમજે?

બ્રોકલી : તને ય એવી કંઈ ખાસ ખબર નથી, અમસ્તી જ ડંફાસ હાંકે છે તે.

ફ્‌લાવર : આ લોકો ડ્રેગનફ્રૂટને હવે કમલમ્‌ કહેવાના છે એમ સાંભળ્યું. આમ તો આ નામ કર્ણપ્રિય છે, પણ એવા રાજકીય સંદર્ભો ખૂલે છે એટલું તો સાચું.

બ્રોકલી : તે ભલેને ખૂલતા, એમાં આપણે શી લેવાદેવા?

ફ્‌લાવર : એમ નહીં, માનો કે કોઈ ડ્રેગનફ્રૂટ બગડેલું નીકળ્યું, કોઈ બેસ્વાદ નીકળ્યું, કોઈમાં સડો લાગ્યો કે કોઈ ગંધાઈ ગયું તો …

બ્રોકલી : ફળ છે ભ’ઈ! આવું બધું તો ફળની નાતમાં ઘણું કૉમન ગણાય. સાવ કુદરતી.

ફ્‌લાવર : બરાબર, પણ હવે એને માટે જે નવું નામ વાપરવાનું છે તે મૂકીને, એટલે કે ડ્રેગન-ફ્રૂટને ખસેડીને ગોઠવીને વાક્ય બનાવ. ……માં સડો પેઠો, …….માંથી વાસ આવે છે, આ …… સાવ ફેંકી દેવા જેવું છે… પછી? શું થશે એનું ભાન છે?

બ્રોકલી : ઓ માયગૉડ ! યુ હેવ અ પૉઇન્ટ! આ તો જબરી મુસીબત. જો ડ્રેગનફ્રૂટ ચલણમાંથી સાવ નીકળી જાય એને ઠેકાણે કમલમ્‌ કમલમ્‌ થઈ જાય તો તો …

ફ્‌લાવર : બસ, એ જ મારી ચિંતા છે. બગડેલાં ફળ માટે તમારાથી એક હરફ સુધ્ધાં નહીં બોલાય, બોલ્યાં તો માથે પસ્તાળ પડશે, તમે દેશદ્રોહી ઠરશો, જેલના સળિયા ગણવા પડશે, ત્યારે શું કરશો ?

બ્રોકલી : જરા થોભ. જો ડ્રેગનફ્રૂટ માટે નવો શબ્દ હોઈ શકે તો બગડેલાં ડ્રેગનફ્રૂટ માટે ય નવીનક્કોર અભિવ્યક્તિ ના હોય ? ભેજું લડાવ તારું.

ફ્‌લાવર : એમ અધ્ધર વાત નહીં કરવાની. દાખલો આપ.

બ્રોકલી : આપુંને ! જેમ કે આ …… સ્વાદમાં હટકે છે, વિશિષ્ટ છે, કદાચ એની ઍક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ છે, અથવા આ ….. ઉદાર છે, એની અંદર જીવજંતુઓએ ઘર બનાવ્યું છે, છતાં વિરોધ નથી કરતું, અથવા તો આ ….. સાવ ફિક્કું છે, એમાં એનો દોષ નથી, કદાચ રસહીન ધરા થઈ છે અને …. આગળ છેને કશુંક? મને યાદ નથી તમારી એ પંક્તિઓ, આ તો મારી બાજુમાં શેરડીના સાંઠા પડ્યા રહેતા, એ લોકો પાસેથી સાંભળેલું.

ફ્‌લાવર : બધી માથાકૂટ છોડીને ડ્રેગનફ્રૂટની ખેતી જ બંધ કરી દેવા જેવી છે. કાયદો લાવી દેવાનો ફટ દઈને, પ્રતિબંધિત ફળ ગણો એને, ના રહે ફળ અને ના રહે એનું નામનિશાન. કાયદો લાવ્યા પછી તાકાત શી છે ડ્રેગનફ્રૂટની કે …? જે ખાય કે ખરીદે, એના પર કેસ ઠોકી દો.

બ્રોકલી : તે તારી વગ હોય તો સમજાવ ટોચ પર જે બેઠેલા છે એમને. મને તો એ બધી માથાકૂટ ફાવતી નથી. અને પારકી ગણાઉં એટલે કોઈ સાંભળે નહીં. બોલીબોલીને કરમાઈ જઇશ, અને લીલીછમ મટીને કાળી ઠીકરી જેવી થઈ જઈશ તોયે મારી વાત પહોંચાડી નહીં શકું! છે તારી કોઈ વગ-ઓળખ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 16

Loading

પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં ભણતર

જશવંત મહેતા, જશવંત મહેતા|Opinion - Opinion|16 February 2021

અભિજિત વ્યાસે ‘વિનિપાત’ (નિ. ૧૬/૧) એ સંવેદનનોંધમાં એક વરિષ્ઠ ગુજરાતી સાહિત્યકારનાં પૌત્રીએ પોતાના દાદાનું પોતે કશું જ નહીં વાંચ્યાનો એકરાર નોંધ્યો હતો. પૌત્રીની કેફિયત એ હતી કે પોતે અંગ્રેજી માધ્યમમાં ભણી હોઈ ગુજરાતી વાંચતાં આવડતું જ નથી. આ નોંધ વાંચીને મળેલ પ્રતિભાવો પૈકી એક મુંબઈ સ્થિત જશવંત મહેતાનો પણ હતો. તેઓ મુંબઈની શાળાઓમાં ગુજરાતી (અને ગુજરાતીમાં) ભણાવાય તે માટેની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તરતમાં એક ઓર માતૃભાષા દિવસ (ફેબ્રુઆરી ૨૧) આવશે એ જોગાનુજોગના ઉલ્લેખ સાથે આ લખાણ પ્રગટ કરતી વખતે ગુજરાતના સંદર્ભમાં એ એક વિગતની નોંધ આનંદ (અને અપેક્ષા) સાથે લેવી જોઈએ કે લાંબી હિલચાલ પછી ૨૦૧૮-૧૯થી રાજ્ય સરકારે પહેલી-બીજીમાં ગુજરાતનો વિષય અનિવાર્ય લેખ્યો છે અને ધોરણ ૩ થી ૮માં પણ તે રીતે તબક્કાવાર આગળ વધવાની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતી સિવાયનાં માધ્યમમાં ભણનાર હર કોઈ માટે, પછી તે સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય કે ઈન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન અગર તો ઈન્ટરનૅશનલ જનરલ સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન હોય, આ લાગુ પડે છે. જો કે, ગુજરાતી માધ્યમ વાસ્તે પ્રજાસૂય પ્રતિબદ્ધતા અને રાજકીય સંકલ્પશક્તિની દૃષ્ટિએ હજુ ઘણું બધું કરવું રહે છે.

— તંત્રી, “નિરીક્ષક”

હાલમાં નવી શિક્ષણનીતિમાં સ્કૂલશિક્ષણમાં મોટા પાયે ફેરફારોની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા થઈ છે અને સ્કૂલ શિક્ષણના નવા માળખા પ્રમાણે પાંચમા ધોરણ સુધી માતૃભાષા કે સ્થાનિક ભાષામાં ભણાવવામાં આવશે. આ ફેરફાર ખૂબ જરૂરી અને આવકારદાયક છે અને કેન્દ્ર સરકાર અભિનંદનને પાત્ર છે. માતૃભાષાની બદલે અંગ્રેજીમાં ભણાવવાનું પહેલા ધોરણથી એસ.એસ.સી. સુધી તો સામાન્ય થઈ ગયું હતું પરંતુ ધીરેધીરે કરતાં નર્સરી અને છેલ્લે હવે તો પ્લે ગ્રૂપનાં ભૂલકાંઓને પણ અંગ્રેજીમાં જ બોલવાનું ફરજિયાત થઈ ગયું હતું અને આ પરિસ્થિતિમાં સમય જતાં આખા ભારતભરમાં માતૃભાષા લુપ્ત થઈ જવાની પૂરેપુરી શક્યતા ઊભી થઈ છે. 

બાળકોને શરૂઆતનાં વર્ષોમાં માતૃભાષાથી જ લખવાવાંચવા અને તેના ફાયદા વિષે વૈશ્વિક અભ્યાસો જણાવે છે કે “બાળકોએ સૌથી પહેલું માતૃભાષામાં જ લખતાં વાંચતાં શીખવું જોઈએ. એક વાર તેઓ એક મિનિટમાં ૪૫-૬૦ શબ્દો ઝડપથી વાંચતા થઈ જાય ત્યારે જ તેઓ જે વાંચતાં હોય એનો અર્થ સમજી શકે છે. આટલી ઝડપે પહોંચવું માતૃભાષામાં જ બહુ સહેલું છે. એટલી ઝડપ એક વાર આવી જાય, પછી ભાષા શીખવી બહુ સરળ બની જાય છે. એ પહેલાં અંગ્રેજી કે બીજી કોઈ ભાષા શીખવવામાં આવે, તો બાળકને માટે પોતાની માતૃભાષામાં ઝડપથી વાંચવું બહુ અઘરું બની જાય છે.”

એક સમયે (૧૯૬૫-’૭૦ પૂર્વે) ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં અંગ્રેજી શીખવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. બાઈ કબીબાઈ હાઇસ્કૂલ (મુંબઈ) કે જ્યાં મેં અભ્યાસ કર્યો હતો, ત્યાં અમારા સમયે (૧૯૫૭માં S.S.C.E. પરીક્ષા પાસ કરી હતી). અંગ્રેજી ૭મા ધોરણથી ભણાવવાની શરૂઆત થતી હતી તે વખતે મેટ્રિક(S.S.C.E.)ની પરીક્ષા ૧૧મા ધોરણ પછી લેવાતી હતી પણ તે સમયે અમારી સ્કૂલમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને વ્યાકરણ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવતું હતું. WREN & MARTINનું વ્યાકરણનું પુસ્તક અને પાઠમાળા અંગ્રેજી શીખવા માટે ઘણાં ઉપયોગી હતાં અને અમે જ્યારે કૉલેજમાં પ્રવેશ કર્યો, ત્યારે કૉલેજમાં અંગેજી માધ્યમ હોવા છતાં અમે કોઈ મુશ્કેલી નહોતી અનુભવી. ધીરે-ધીરે આ બધી શાળાઓમાં અંગ્રેજીનું ધોરણ કથળતું ગયું અને કૉલેજોમાં અંગ્રેજી માધ્યમ હોવાથી ગુજરાતી વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં મોકલતાં થયાં અને વખત જતાં આ ગુજરાતી માધ્યમની અગ્રગણ્ય ગણાતી શાળાઓનું અંગ્રેજી માધ્યમમાં પરિવર્તન થઈ ગયું. એ તો નિઃશંક છે કે માતૃભાષામાં સ્કૂલ કક્ષાએ શિક્ષણ લેવું વિદ્યાર્થી માટે ઉત્તમ છે. આજે એસ.એસ.સી.નો અભ્યાસક્રમ ૧૦ વર્ષનો હોવાથી જો, અંગ્રેજી ૫માં ધોરણથી શીખવવામાં આવે અને ૬ કે ૭ વર્ષ અંગ્રેજીનું શિક્ષણ વ્યવસ્થિત રીતે આપવામાં આવે, તો કૉલેજમાં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીને શીખતી વખતે તકલીફ ન પડે, તેવું મારું માનવું છે.

ગુજરાતી મા-બાપ કહેતાં હોય છે : "રું બાળક ગુજરાતી તો બોલે જ છે, પછી સ્કૂલમાં પણ એ શીખવવાની શી જરૂર છે? એને બદલે અંગ્રેજી ના શીખવીએ !” આ તર્ક આમ તો અકાટ્ય લાગે, પણ એ ભૂલભરેલો છે. એને બદલે એક વાર બાળક ગુજરાતી સારું શીખી જાય પછી અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવું પણ એને માટે એકદમ સહેલું થઈ જાય છે. એટલે પ્રશ્ન ગુજરાતી વિરુદ્ધ અંગ્રેજીનો નથી. ઊલટું, સારું ગુજરાતી એ સારા અંગ્રેજી માટેનો મજબૂત પાયો બનાવે છે. આ સત્ય ગુજરાતી ભાષાની જેમ દેશની દરેક સ્થાનિક ભાષા – જેમ કે હિન્દી, મરાઠી, બંગાળી વગેરેને લાગુ પડે છે. વિશ્વભરમાં કદાચ ભારત એક જ એવો દેશ હશે કે જ્યાં સ્થાનિક ભાષાઓ પૂર્ણ રીતે વિકસેલી અને સમૃદ્ધ હોવા છતાં પણ બાળકોને તેમના પાયાના શિક્ષણની શરૂઆત અન્ય દેશની પરદેશી ભાષા દ્વારા ફરજિયાત બની ગઈ છે.

આપણી માતૃભાષામાં જે સંવેદનશીલતા કે મીઠાશ છે અને જે શબ્દોની સમૃદ્ધિ છે, તે અંગ્રેજી કરતાં નિઃશંક ખૂબ જ ચડિયાતી છે. અંગ્રેજીમાં કાકા-કાકી કે મામા-મામી કે માસા-માસી બધાં માટે ફક્ત Uncle અને Auntie છે, તેવી રીતે દાદા-દાદી કે નાનાં-નાની માટે Grand Father  અને Grand Mother છે. આપણે આપણા નામકરણથી જ આપણા સંબંધોને આગવીકરણ આપ્યું છે. આપણી સંસ્કૃતિ છોડશું, તો આપણે ઘણું ગુમાવશું.

કમનસીબે આજે એવો સમય આવ્યો છે કે બૃહદ્‌ મુંબઈમાં ગુજરાતી માધ્યમની એક સમયે અગ્રગણ્ય ગણાતી શાળાઓમાં, મોટા ભાગની શાળાઓમાં ગુજરાતી એક ભાષા તરીકે કે સેકન્ડ લૅગ્વેજ તરીકે પણ હવે શીખવવામાં આવતી નથી. ગુજરાતી સમાજ દ્વારા સંચાલિત અને જ્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓની માતૃભાષા પણ ગુજરાતી છે, ત્યાં આપણા વિદ્યાર્થીઓ માતૃભાષાના જ્ઞાનથી સંપૂર્ણપણે વંચિત રહે તે આપણા સમાજની કમનસીબી (કે નાલેશી !) છે. આ બધી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી અને એક સેકન્ડ લૅંગ્વેજ તરીકે ફ્રૅન્ચ પણ આપણા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે, પણ તેઓ માતૃભાષાનો કક્કો પણ શીખવા પામતા નથી.

આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી પૉલિસી માટે સૌએ એક થઈને આ નિર્ણયને સમર્થન આપવાની જરૂર છે.

બી-૧૪૫/૧૪૬, મિત્તલ ટાવર, નરીમન પૉઇન્ટ, મુંબઈ – ૪૦૦ ૦૨૧

Email: jashwant@theemerald.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2021; પૃ. 12

Loading

...102030...1,9921,9931,9941,995...2,0002,0102,020...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved