Opinion Magazine
Number of visits: 9680120
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કિશન ગોરડિયા: કૃષ્ણ અને કિસનનો સમન્વય

રમેશ ઓઝા|Opinion - Opinion|8 April 2021

કિશન ચુનીલાલ ગોરડિયા. વાણિયા-બ્રાહ્મણના છોકરાનું નામ કિશન હોય? એમાં પાછા કિશનભાઈ પોતે પોતાનાં નામનો ઉચ્ચાર કિસન કરતા, કિશન પણ નહીં. એક વાર મેં એમને કિશન નામ અને કિસન ઉચ્ચાર વિષે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેમના પિતાએ તો તેમનું નામ કૃષ્ણકાંત રાખ્યું હતું પણ સમજણા થયા પછી તેમણે તેમનું નામ કિસન કરી નાખ્યું હતું, કારણ કે અશિક્ષિત સામાન્ય માણસને બોલવામાં તકલીફ ન પડવી જોઈએ. અઘરાં નામ, અઘરી ભાષા અને અઘરી રજૂઆત સામે તેમને અણગમો હતો. ભદ્રતાના દેખાડા સામે અને ભદ્રતાની ઈજારાશાહી સામે તેમને અણગમો હતો. ૧૯૮૦માં ગુજરાતમાં અનામતવિરોધી તોફાનો થયાં ત્યારે ગુજરાત સર્વોદય મંડળે અનામતની આંધી ઉપર ગાંધી-સર્વોદય દર્શનના ભાષ્યકાર દાદા ધર્માધિકારીનાં વ્યાખ્યાનો રાખ્યાં હતાં. એ વ્યાખ્યાનમાં દાદા ધર્માધિકારીએ અનામત વિરોધી આંદોલનનું કારણ સમજાવતા કહ્યું હતું કે કિસન સમાજમાં આગળ આવે એની સામે કૃષ્ણને વાંધો છે. લડાઈ કૃષ્ણ અને કિસન વચ્ચેની છે. સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે કૃષ્ણ કયા સમાજમાંથી આવે છે અને કિસન કયા સમાજમાંથી? આપણા કિશનભાઈ તો સામે ચાલીને કૃષ્ણમાંથી કિસન થઈ ગયા હતા.

હવે જો હું એમ કહું કે કૃષ્ણકાંતમાંથી પોતાનું નામ કિસન કરી નાખનારા કિશનભાઈ બિલ્ડર હતા અને મુંબઈના મોખરાના બિલ્ડરોમાંના એક હતા તો મને ખાતરી છે કે વાચકને સાંસ્કૃતિક આઘાત (કલ્ચરલ શૉક) લાગશે. બાળપણમાં સામે ચાલીને સામાજિક-સાંસ્કૃતિક સીડી ઉપરથી નીચે ઉતરીને પોતાના નામનું બહુજનસમાજીકરણ (Subalternisation) કરનારા કિશનભાઈ બિલ્ડર અને એ પણ સફળ બિલ્ડર? સમાજ માટે નિસ્બત ધરાવનારો કોઈ સંવેદનશીલ માણસ બિલ્ડર તરીકે કેવી રીતે સફળ થઈ શકે? વળી બિલ્ડર તરીકેનો કિશનભાઈનો અવતાર ત્રીજો અવતાર હતો. એ પહેલાં તેમણે સાબુનો અને ઇન્ડસ્ટ્રિયલ સર્વિસીઝનો ધંધો કર્યો હતો અને તેમાં પણ તેઓ સફળ નીવડ્યા હતા.

તેમની સફળતાનું રહસ્ય હતું તેમની ખંત. લીધી વાત છોડે નહીં. માત્ર ધંધામાં નહીં, નિજી અને સાર્વજનિક જીવનમાં પણ. કિશનભાઈને કોઈ નવી વાત પકડાવવી અને પકડેલી વાત છોડાવવી એ બહુ અઘરું પડતું. પોતે પોતાનું લક્ષ નક્કી કરે, પોતે પોતાનો રસ્તો નક્કી કરે અને નીકળી પડે અને તે ત્યાં સુધી જ્યાં સુધી તેમને સફળતા મળે નહીં. દસ નિષ્ફળતા પછી પણ અગિયારમાં પ્રયાસ માટે તેઓ મથતા હોય. એટલે જ કદાચ તેમણે પોતાનું નામ કૃષ્ણમાંથી કિસન કરી નાખ્યું હશે. ભલે નેપીઅન્સી રોડ ઉપર રહેતા હોય, પણ ઢેફાં ભાંગનારો અંદરનો મજૂર કિસન કાયમ જીવતો રહેવો જોઈએ અને તેને આખી જિંદગી જીવતો રાખ્યો પણ હતો. તમામ પ્રકારની સુખસુવિધાની વચ્ચે ધરાર. કૃષ્ણની ભદ્રતા અને કિસનના શ્રમનો તેમનામાં સમન્વય હતો.

કિશનભાઈના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. પિતાની ઉપર દેવું હતું અને દેવા સાથે જ ગુજરી ગયા. કિશનભાઈએ મુંબઈમાં મ્યુનિસિપલ સ્કૂલમાં માસ્તરની નોકરી લીધી. તેમને એમ લાગ્યું કે માસ્તરના પગારમાંથી તેઓ દેવું ચૂકતે નહીં કરી શકે અને પરિવારને પણ પગભર નહીં કરી શકે. ધંધો કરવો જોઈએ, પણ ધંધો એટલે સમાધાન! એક સમાધાન કરો એટલે સમાધાનોની વણજાર શરૂ થાય. જોતજોતામાં આખો અવતાર બદલાઈ જાય. જવું હતું ક્યાં અને સંજોગો પહોંચાડે ક્યાં? વળી પોતાને કૃષ્ણમાંથી કિસન કરી નાખનારી અંદરની પોતીકી સંવેદના છેડો મુકતી નહોતી. આ બાજુ ભૂદાન આંદોલન શરૂ થયું હતું અને કિશનભાઈ બધું છોડીને તેમાં ઝંપલાવવા માગતા હતા.

કિશનભાઈ વિનોબા ભાવે પાસે ગયા અને પોતાની વ્યથા વ્યક્ત કરી. નોકરી કરીને દેવું ઉતારી શકાય એમ નથી અને દેવું તો પૈસે પૈસાનું ચૂકતે કરવું છે. ધંધો કરું તો ખરડાવાનો ડર છે. આ સિવાય મારો સમય અને શક્તિ ખર્ચાઈ રહ્યા છે અને મારે બને એટલા વહેલા સર્વોદય આંદોલનમાં ઝંપલાવવું છે, માટે કહો મારે શું કરવું જોઈએ? વિનોબાજીએ તેમને બે વિકલ્પ આપ્યા હતા. કાં પૈસે પૈસો ચૂકવીને દેવું ઉતાર અને કાં પ્રત્યેક લેણદારને મળીને તેમને વિશ્વાસમાં લઈને દેવું માફ કરાવ. જે માફ કરવા તૈયાર ન હોય તેનું દેવું ઉતાર. કિશનભાઈને માફ કરાવવાનો વિકલ્પ સ્વમાનજનક નહીં લાગ્યો એટલે માસ્તરની નોકરી છોડીને ધંધો શરૂ કર્યો.

કિશનભાઈએ પૈસા કમાવા માટે ધંધો શરૂ નહોતો કર્યો, ઋણ ઉતારવા માટે ધંધો શરૂ કર્યો હતો. આને માટે તેમણે વિવેક અને સાધનાની દીક્ષા આપનારા કેદારનાથજીએ આપેલો મંત્ર ગાંઠે બાંધ્યો હતો. પાણીમાં ઉતર્યા છો તો જેટલાં ભીના થવાનું આવશે એટલા તો થશો જ, પણ એમાં ડૂબ્યા વિના તરી પણ શકાય છે. એ પછી સર્વોદય આંદોલનમાં ઝંપલાવવાનું તો ક્યારે ય બન્યું જ નહીં, પણ કન્સ્ટ્રકશનના ધંધામાં ડૂબ્યા વિના તરી શકવાનો પ્રયોગ તેમણે કરી બતાવ્યો જે વારસો તેમના પરિવારે અને કંપનીના સંચાલકોએ જાળવી રાખ્યો છે.

હમણાં કહ્યું એમ કિશનભાઈએ ધંધો પૈસા કમાવા માટે શરૂ નહોતો કર્યો, પણ ઋણ ઉતારવા માટે કર્યો હતો. પિતાજી ઉપરનું ઋણ તો ઉતરી ગયું, પણ સમાજના ઋણનું શું? એ પણ ઉતારવું જોઈએ અને સમાજ પાસેથી જે મેળવતા હોય તેમણે તો સૌથી પહેલાં અને સૌથી વધુ ઉતારવું જોઈએ. પ્રારંભનાં વર્ષોમાં ભામાશાની જેમ સર્વોદય કાર્યકરોને મદદ કરતા. કોઈના સુખદુઃખમાં કિશનભાઈ પડખે ઊભા ન હોય એવું ન બને. એકવાર અમારા એક ભોળા સ્વભાવના કાર્યકરે પોતાના દીકરાના જન્મદિવસની પાર્ટી રાખી. એંશીએક જણને બોલાવવાની યાદી બનાવી અને એ મુજબ કેટરરને જમવાનું બનાવવાનો ઓર્ડર આપ્યો. બન્યું એવું કે અમારા એ મિત્રએ લાગણીથી તણાઈને લગભગ દોઢસો જેટલા લોકોને બોલાવી લીધા, પણ કેટરરને નવી સંખ્યા જણાવવાનું ભૂલી ગયો. કિશનભાઈ રવિવારના દિવસે છેક દક્ષિણ મુંબઈથી મુલુંડ સુધી પાર્ટીમાં ભાગ લેવા ગયા. કિશનભાઈ જ્યાં જાય ત્યાં તેમની અંદરનો કિસન મજૂરીનો મોરચો સંભાળી લે. રસોડામાં નજર કરતાંની સાથે જ તેમને સમજાઈ ગયું કે મહેમાનોની સંખ્યા વધુ છે અને રસોઈ ઓછી પડવાની છે. તેમણે મને બોલાવ્યો, હાથમાં પૈસા મુક્યા અને મને કહ્યું કે મારી ગાડી લઈને જા અને મીઠાઈ, ફરસાણ અને બીજી આટલી ચીજ ખરીદી આવ. પ્રંસગ એવી રીતે ઉકેલ્યો કે મારા મિત્રને ખબર પણ પડી નહીં કે એ કેવી રીતે ઉકલ્યો.

આમ સમાજનું ઋણ ઉતારવાનો તેમનો પહેલો અવતાર ભામાશાનો હતો. ૧૯૯૦ના દાયકામાં ધંધામાંથી નિવૃત્ત થઈને તેમણે વિચાર્યું કે એવી કોઈક વ્યવસ્થા કરવી જોઈએ જે સમાજના પ્રશ્નોના મૂળને સમજે, પ્રશ્નોના સ્વરૂપને સમજે, તેના ઉપાયો/ઈલાજોની છણાવટ કરીને આપે, તેને માટે કામ કરનારાઓને મદદ કરે, મદદ પણ પરંપરાગત મદદના સ્વરૂપની ન હોય પણ આત્મનિર્ભરતાયુક્ત ટકાવી રાખનારી હોવી જોઈએ અને સૌથી મોટી વાત, એ વ્યવસ્થા પોતે જ આત્મનિર્ભર હોય. ટૂંકમાં ભલે બીજા માટે, પણ હાથ ફેલાવીને સમાજનું ઋણ ઉતારનારી વ્યવસ્થા ન હોવી જોઈએ. સમજ, ઉકેલ, સહાય અને આત્મનિર્ભરતા એમ ચતુષ્કોણીય વ્યવસ્થા હોવી જોઈએ. ઋજુ હ્રદયી કૃષ્ણ અનુકંપાથી પ્રેરાઈને કિસનને જીવતો રાખે એમ નહીં પણ કૃષ્ણ અને કિસન વચ્ચે સખાપણું વિકસવું જોઈએ. કૃષ્ણ અને કિસન બન્ને સ્વાયત્ત અને આત્મનિર્ભર હોવાં જોઈએ. કિશનભાઈ આને તેમની ભાષામાં સસ્ટેનેબલ સોશ્યલ વર્ક તરીકે ઓળખાવતા હતા અને એ માટેની મથામણ એ તેમનો બીજો અવતાર હતો.

કિશનભાઈ શાપિત પણ હતા. તેમને તેમના હિસ્સામાં અભિવ્યક્તિના અભાવનો શાપ મળ્યો હતો. તેમને અઘરી ભાષા અને અઘરી રજૂઆત સામે અણગમો હતો, પરંતુ તેઓ પોતે ક્યારે ય પોતાની વાત સરળ કે ઇવન અઘરી ભાષામાં કરી શકતા નહોતા. ન લખીને કે ન બોલીને. આગળ કહી એમ તેમની બીજી મર્યાદા એ કે તેઓ એટલા જીદ્દી હતા કે કોઈ વાત તેમને પકડાવવી કે છોડાવવી એ કપરું કામ હતું. આને કારણે તેમના એકંદરે દીર્ઘદૃષ્ટિવાળા બીજા  અવતારને અને પ્રયાસને જેટલી સ્વીકૃતિ મળવી જોઈતી હતી એટલી ન મળી. સ્વીકૃતિ શું સહાનુભૂતિ પણ ન મળી. પણ લીધી વાત ન છોડનારા ખંતીલા કિશનભાઈ ક્યાં પૂર્ણવિરામમાં માનતા હતા! તેમનું મૃત્યુ તેમનાં સપનાંની આડેનું અલ્પવિરામ બનવું જોઈએ અને એમ જ થશે એમ મારો અંતરાત્મા સાક્ષી પૂરે છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઍપ્રિલ 2021

Loading

માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી ફાગણમાં રમીએ ગુલાલે

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 April 2021

હૈયાને દરબાર 

ગુજરાતી સુગમ સંગીતના અગ્રગણ્ય સંગીતકાર ક્ષેમુ દિવેટિયાએ એક ઉત્તમ કામ કર્યું હતું. ગુજરાતના ૩૫ કવિઓનાં ગીતો ૨૬ જુદા જુદા કલાકારોના કંઠે રેકોર્ડ કરીને ‘સંગીત સુધા’ નામે દસ કેસેટ્સનો સંપૂટ બહાર પાડ્યો હતો. એ વાતને આજે પાંત્રીસ વર્ષ થઈ ગયાં. સુગમ સંગીત ક્ષેત્રે આ મોટી ઘટના હતી. એક સાથે આટલું મોટું કલેક્શન એ પહેલાં ગુજરાતી સુગમ સંગીત ક્ષેત્રે થયું નહોતું. એ પછી સંગીતકાર અજિત શેઠ, શ્યામલ-સૌમિલ મુન્શી, સુરેશ જોશી ઈત્યાદિએ પણ આ ભગીરથ કાર્ય કર્યું છે, પરંતુ ક્ષેમુભાઈ પાયોનિયર ગણાય. ક્ષેમુભાઈના દીકરા માલવ દિવેટિયા પણ સંગીતકાર છે. એ સંપૂટમાં સો ગીતો છે. એ ગીતોમાંથી પસાર થતાં એક આખો યુગ તાદૃશ થઈ ગયો. કેવા રે મળેલા મનના મેળ, સખી મુને વ્હાલો રે, રાધાનું નામ, દરિયામાં હોય એને મોતી કહેવાય, હે જી વ્હાલા સાવ રે અધૂરું મારું આયખું, ચાલ સખી જેવાં કેટલાં ય અણમોલ મોતી આ સંપૂટમાં છે. ક્ષેમુભાઈનું સમગ્ર પ્રદાન આ દસ કેસેટ્સમાં સમાઈ ગયું છે, પરંતુ આ બધાં ગીતો વચ્ચે એક મજેદાર અને અપ્રચલિત ગીત મળી આવ્યું. એ ગીત એટલે ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં રે …!’

સુપ્રસિદ્ધ કલાકારો સંજય ઓઝા અને આરતી મુન્શીના કંઠે ગવાયેલું આ ગીત પ્રાસંગિક છે. ફાગણનો રંગબેરંગી મહિનો પૂરો થતાં ચૈત્ર બેસે. અલબત્ત, ફાગણની મોજમસ્તીનો માહોલ માઘ મહિનાથી જ શરૂ થઈ જાય. વસંતપંચમી અને વેલેન્ટાઇન્સ ડે પણ લગભગ એ દરમ્યાન જ આવે. એટલે આ ગીતમાં પણ પ્રેમી નાયક એ જ કહે છે કે ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી, ફાગણમાં રમીએ ગુલાલે …’ ત્યારે ગર્વિલી પ્રેમિકા કહે છે, ‘ચૈતર ચઢે ને અમે આવશું હો રાજ, તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે …!’

પ્રિયતમને તો નેણની પ્યાલી છલકાવીને નવા જ રંગે પોતાની પ્રેમિકાને રંગવી છે પણ શબ્દોની જાળમાં ફસાય એવી આ પંખિણી નથી! એ તો કહી દે છે કે ‘નાનેરી જિંદગીની ઝાઝેરી ઝંખનાનો મારે કોઈ રાગ ગાવો નથી.’

પ્રેમીઓની જિંદગીમાં તૂ તૂ મૈં મૈં અથવા રિસામણાં-મનામણાં એ સ્વાભાવિક ઘટના છે. એટલે જ છેલ્લી પંક્તિમાં કવિ લખે છે કે;

આવો કે અમથી ઉકેલી ન જાય
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે …!

સંબંધોમાં જે ગાંઠ પડી છે એ કંઈ એમ તરત ન ઊકલે. એના માટે પ્રત્યક્ષ મળવું પડે. ત્યારે છેવટે પ્રિયતમા માની જાય છે અને કહે છે કે ‘આવ્યા વિના તે કેમ ચાલે?’

ઊર્મિકવિ હરીન્દ્ર દવેનું આ રમતિયાળ ગીત છે. એમનાં જાણીતાં પ્રણયગીતો ઉપરાંત કેટલીક ઓછી જાણીતી છતાં સુંદર રચનાઓમાંનું આ એક ગીત છે. હરીન્દ્રભાઈએ અન્ય એક ગીતની આ પંક્તિઓ પણ કેવી સરસ રચી છે;

અળગા થવાની વાત, મહોબત થવાની વાત
બંને ને છેવટે તો નજાકત થવાની વાત …!

‘માઘમાં મેં મોકલ્યાં તેડાં …’ ગીત વિશે ક્ષેમુભાઈના સંગીતકાર પુત્ર માલવ દિવેટિયા કહે છે, ‘આ ગીત મમ્મી-પપ્પા ઘણી વાર સાથે ગાતાં હતાં. ૧૯૮૪માં પપ્પાની ષષ્ટિપૂર્તિ હતી ત્યારે એમના મિત્રોએ ભેગા થઈને ક્ષેમુભાઈનાં સ્વરાંકનોની કેસેટ્સનો સેટ તૈયાર કરવાનું નક્કી કર્યું. મિત્રો અને શુભચિંતકોએ જ ફંડ ઊભું કર્યું એમાંથી ‘સંગીત સુધા’ના સંપૂટનું સર્જન થયું. ૧૯૮૪માં પહેલાં ચાર કેસેટ બનાવી અને બાકીની ૧૯૯૦માં. કુલ દસ કેસેટ્સ અને ૧૦૩ ગીત-ગરબા અને કોરસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગીત પણ ‘સંગીત સુધા’માં લેવાયું જે આરતી મુન્શી અને સંજય ઓઝાએ સરસ રજૂ કર્યું છે.’

આરતી મુન્શી એ શ્યામલ-સૌમિલ-આરતીની ત્રિપુટીનું સુરીલું નામ છે. આ ત્રિપુટીએ અનેક થીમ પર આધારિત કાર્યક્રમો કર્યા છે. સંજય ઓઝા છેલ્લાં પાંત્રીસ વર્ષથી સંગીત ક્ષેત્રે કાર્યરત છે. સંગીતકાર ગૌરાંગ વ્યાસ સાથેની મુલાકાત પછી એમના જીવનને નવી દિશા મળી. એમણે રેડિયો-ટેલિવિઝન પર કાર્યક્રમો આપ્યા છે, એડ જિંગલ્સ કરી છે તેમ જ ‘છેલછબીલો ગુજરાતી’ નામે સફળ પ્રોગ્રામ પણ કર્યો છે. હવે એમનો દીકરો પાર્થ ઓઝા પણ ગાયક બની ગયો છે તથા અનેક શોઝ કરે છે.

ક્ષેમુભાઈએ ફાગણ, ચૈતરનાં ઘણાં ગીતો કમ્પોઝ કર્યાં છે જેમાં ‘આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાગ રે’, ‘હોરી આઈ રે’, ‘આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ’ અને આજનું આ ગીત ‘માઘમાં મેં મોકલ્યાં તેડાં …’ છે!

મહદંશે શાસ્ત્રીય સ્પર્શ ધરાવતાં ગીતો સ્વરબદ્ધ કરતા ક્ષેમુભાઈએ કારકિર્દીની શરૂઆત રંગભૂમિથી કરી હતી એ કદાચ ઓછા લોકોને ખબર હશે. અમદાવાદમાં પ્રીતમનગરના અખાડે શરદોત્સવની ઉજવણી થતી ત્યાં નાટકો બહુ સરસ ભજવાતાં હતાં. એમાં ય જો ડાન્સ બેલે હોય તો એમને ગાવાની તક મળતી. એ નાટકોમાં ક્ષેમુભાઈ અને એમનાં પત્ની સુધાબહેને ગાવાની શરૂઆત કરી હતી. કથકલી સ્ટાઈલમાં એમણે ‘નળાખ્યાન’ કર્યું હતું અને ખૂબ પ્રચલિત નૃત્યનાટિકા ‘ચિત્રાંગદા’નું સંગીત નિર્દેશન પણ ક્ષેમુભાઈએ કર્યું હતું. આઈ.એન.ટી.નાં નાટકોમાં એ સંગીત આપતા હતા. તેઓ હંમેશાં માનતા કે ગીતને તમારે જેવું બનાવવું હોય એવું બનાવો, પરંતુ એનું કાવ્યતત્ત્વ નીચું ન ઊતરવું જોઈએ. આપણે ક્ષેમુ દિવેટિયાના દરેક સ્વરાંકનમાં આ અનુભવી શકીએ છીએ.

——————

માઘમાં મેં મોકલ્યાં તેડાં તો આવે ગોરી
ફાગણમાં રમીએ ગુલાલે
ચૈતર ચઢેને અમે આવશું હો રાજ
તારે ધૂળિયે આંગણ કોણ મ્હાલે. માઘમાં …

આવો તો રંગ નવો કાલવિયે સંગ સંગ
છલકાવી નેણની પિયાલી
વેણ કેરી રેશમની જાળમાં ધરે ન માય
આ તો છે પંખિણી નિરાળી. માઘમાં …

આવે તો આભ મહીં ઊડીએ બે આપણે
ને ચંદરનો લૂછીએ ડાઘ રે
નાનેરી જિંદગીની ઝાંઝેરી ઝંખનાનો
મારે ન ગાવો કોઈ રાગ રે. માઘમાં …

આવો કે અમથી ઉકેલી ન જાય
તમે પાડી’તી ગાંઠ જે રૂમાલે
આવું બોલે તો મને ગમતું રે વાલમા
આવ્યા વિના તે કેમ ચાલે. માઘમાં …

•   કવિ : હરીન્દ્ર દવે   •   સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા    •   સ્વર : સંજય ઓઝા અને આરતી મુન્શી

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઍપ્રિલ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=688279

Loading

ગઝલ

હિમાદ્રી આચાર્ય|Poetry|7 April 2021

આંધળી-ઘેલી પ્રજા બેહોશ ચકનાચૂર છે
જામ સત્તાનો લગાવી ભૂપ ગાંડાતુર છે

રોગ બીમારી કે આફત, ના કશુંયે જાણતા
સરઘસો-રેલી-સભામાં છાકટા ચકચૂર છે

વરવધુ ને જાન સઘળી સામટી યે છો મરે
પોતાનું ખપ્પર ભરે, બસ જીતવા આતુર છે

કોઈ આંદોલનજીવી ને કોઈ છે ગાદીજીવી
ખુરશીની લાલસાથી ગ્રસ્ત એ ભરપૂર છે

બંદગી–પૂજા કરે, દોડે મસીદ- મંદીર એ
દંભ એના જોઈને ખુદ ઈશ શોકાતુર છે

બે બિલાડીને લડાવી જાય તાણી રોટલો
બળતામાં ઘી હોમવાનું એને ચડતું શૂર છે

ભગવા–લીલાના વમળમાં લોકને ચકરાવતાં
મોંઘવારી કે ગરીબીની ચર્ચા બહુ દૂર છે

e.mail : himadri.dave01@gmail.com

Loading

...102030...1,9781,9791,9801,981...1,9902,0002,010...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved