Opinion Magazine
Number of visits: 9572908
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકો શાસક પાછળ રોકાણ કરે છે ને પછી વસૂલે પણ છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 March 2021

લીવ ધ કમ્યુનિટી બિહાઈન્ડ. રીઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. રઘુરામ રાજન કહે છે કે રાજ્ય અને બજાર મળીને એટલે કે શાસકો અને વૃકોદરો મળીને પ્રજાસમૂહોને પાછળ ધકેલી રહ્યા છે. શા માટે? કારણ કે વૃકોદરોએ શાસકોના કબજામાં રાજ્યની માલિકીનું જે કાંઈ હતું એ છીનવી લીધું છે અને હવે તેઓ પ્રજાની માલિકીનું જે કાંઈ છે એ છીનવી લેવા માગે છે અને તેમાં તેમને શાસકોની મદદ જોઈએ છે.

હવે જો પ્રજાસમૂહોને પાછળ ધકેલવા હોય તો તે કઈ રીતે ધકેલી શકાય? બીજું કયા પ્રજાસમૂહોને પાછળ ધકેલવાના અને કઈ રીતે?

પ્રજાસમૂહો બે પ્રકારના હોય અથવા બે પ્રકારે રચાય છે. એક ઓળખ આધારિત અને બીજા આર્થિક હિતો ઉપર આધારિત. જ્ઞાતિ, પેટા-જ્ઞાતિ, વંશ, ધર્મ, સંપ્રદાય, પેટા-સંપ્રદાય, પ્રદેશ, ગોળ, ભાષા આધારિત જે સમૂહો રચાય છે, એમાં જોડનારું તત્ત્વ ઓળખ હોય છે. એમાં આર્થિક હિત-સંબંધો અલગ અલગ હોય છે અને કેટલીકવાર તો વિરોધી પણ હોય છે. એક જ ઓળખ ધારાવનાર એક જ સમુદાયની બે વ્યક્તિ વચ્ચેનો સંબંધ શોષક અને શોષિતનો પણ હોઈ શકે છે. આનાથી ઊલટું આર્થિક હિત-સંબંધો ઉપર આધારિત સમુદાયો ઓળખથી પ્રેરિત નથી હોતા, સમાન હિત દ્વારા પ્રેરિત હોય છે. ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગપતિ, ખેડૂત, નાના ખેડૂત, વેપારી, દલાલ, આડતિયા, વણકર, કારીગર, જે તે ક્ષેત્રમાં નોકરી કરતા કર્મચારી, મજૂરો, નોકરી કે રોજગારીની તલાશ કરતા યુવાનો, વિજ્ઞાનીઓ, ટેકનોલોજીસ્ટો, ડોક્ટર કે વકીલ જેવા પ્રોફેશનલો વગેરે. તેઓ એકંદરે સમાન હિત ધરાવતા હોય છે. અહીં એક વાત નોંધી લેવી જોઈએ કે આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયો પાછા જે તે ઓળખ આધારિત સમુદાયોના સભ્ય તો હોય જ છે અને વૃકોદરો અને શાસકો તેનો ઉપયોગ કરે છે.

વાચકોને યાદ હશે કે દેશમાં જ્યારે આયોજન પંચ અસ્તિત્વ ધરાવતું હતું ત્યારે દેશના સર્વાંગીણ વિકાસમાં ભાગીદારી ધરાવતા સમાન હિતસંબંધો ઉપર આધારિત પ્રત્યેક સમુદાયના અભિપ્રાયો અને સૂચનો મંગાવવામાં આવતા હતા. સમાન આર્થિક હિત ધરાવતા દરેક પ્રજા-સમૂહોના પ્રતિનિધિમંડળો પોતપોતાની માગણીઓ લઈને પંચના સભ્યોને મળતા હતા અને પંચમાં પ્રમાણમાં વ્યાપક હિતસંબંધો આધારિત સમૂહોના પ્રતિનિધિઓને સભ્ય તરીકે પણ લેવામાં આવતા હતા. આયોજન પંચ દરેકને સાંભળ્યા પછી આગલા પાંચ વર્ષ માટેનું આયોજન કરતું હતું. નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન બન્યા પછી પહેલું કામ આયોજનપંચને ખતમ કરવાનું કર્યું હતું. આ યોગાનુયોગ નહોતો. એની પાછળનો ઈરાદો કમ્યુનિટીઓને પાછળ ધકેલી દેવાનો હતો. નાનાનાના આર્થિક હિતસંબંધોના અવાજો રાજ્યને કાને પડવા ન જોઈએ. જો સત્તાવાર રીતે તેની નોંધ લેવાય તો સત્તાવાર રીતે તેનો ઉકેલ પણ શોધવો જોઈએ. માટે ન રહે બાંસ, ન બજે બાંસુરી. લીવ કમ્યુનિટી બિહાઈન્ડ.

ચોક્કસ પ્રકારના આર્થિક હિતસંબંધો ધરાવતા સમુદાયોના અવાજોને અને તેમની માગણીઓને પાછળ ધકેલી દેવાની પહેલી તરકીબ આયોજન પંચ વિખેરી નાખવાની હતી. આ સિવાય સંસદમાં ચર્ચા ટાળવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે. પણ જો હજુ એનાથી આગળ વધીને ચોક્કસ સમુદાયોના ગજવા ઉપર જ કાતર મારવી હોય તો? જેમ કે અત્યારે ખેડૂતોના ગજવા ઉપર કાતર મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમની પાસે જમીન છે અને વૃકોદરો એનો કબજો કરવા માગે છે.

આનો ઉપાય છે ઓળખ આધારિત પ્રજાસમૂહોની ઓળખ જાગૃત કરવી. ઓળખ આધારિત પ્રજા-સમૂહોનો ઉપયોગ હિત આધારિત પ્રજા-સમૂહોની વિરુદ્ધ કરવો. જેમ કે ધર્મનો, દેશપ્રેમનો, રાષ્ટ્રવાદનો એટલો કેફ ચડાવો કે તે કોઈ ખેડૂતનો દીકરો હોવા છતાં ખેડૂતના હિતની વિરુદ્ધ બોલે. નાના વેપારીનો દીકરો પોતે જ નાના વેપારીના હિતની વિરુદ્ધ બોલે. રેલવેનો ત્રીજા વર્ગનો પાસ ખરીદવાની તાકાત ન હોય એ ચતુર્થ વર્ગના કર્મચારીનો દીકરો રેલવેના ખાનગીકરણને ટેકો આપે. ટૂંકમાં હિતસંબંધો આધારિત સમુદાયોના લોકોને ઓળખ આધારિત સમુદાયોમાં ધકેલો એટલે હિતસંબંધો એની મેળે પાછળ ધકેલાઈ જશે. ઓળખનો અને મહાન હોવાનો નશો કરાવો અને સતત નાશામાં રાખો. સતત ડરાવો અને સતત રડાવો. ઓતાર ઊતરવો ન જોઈએ, સતત ધૂણતો રહેવો જોઈએ. ખેડૂતોના અવાજો કાને નહીં પડવા જોઈએ. હિંદુઓના અવાજો કાને પડવા જોઈએ. બ્રાહ્મણોના અવાજો કાને પડવા જોઈએ. દેશપ્રેમીઓના અવાજો કાને પડવા જોઈએ. એ પણ રડનારા અથવા ‘બીજા’ને ગાળો દેનારા.

અને જેના ચોક્કસ સમુદાયના હિત સાથે સીધો સંબંધ જ ન હોય એનું તો પૂછવું જ શું? ખેડૂતોને એલફેલ ગાળો આપનારા આવા લોકો છે. ખેડૂતને એલફેલ ગાળો આપવામાં આવતી હોય અને છતાં ખેડૂતના દીકરાને એનાથી કોઈ ફરક પણ ન પડતો હોય ત્યારે કલ્પના કરો કે એ નશો કેવો હશે! બન્ને હિંદુ છે પણ એક હિંદુ બીજા હિંદુને મા-બહેનની ગાળો આપે છે. બન્ને એક જ રાષ્ટ્રનાં સંતાન છે પણ એક સંતાન બીજા સંતાનને ગાળો આપે છે. તેમને ખબર જ નથી કે તેમના આર્થિક હિતસંબંધોને પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.

શાસકો શા માટે વૃકોદરોને મદદ કરે છે અથવા તો કરવી પડે છે? આ સવાલનો જવાબ ફરી એક વાર સમજી લો. એટલા માટે કે તેઓ તેમના આશ્રિત છે. તેઓ તેમને સત્તા સુધી પહોંચાડે છે અને તેઓ તેમને સત્તામાં ટકાવી રાખે છે. અંદાજે દસ હજાર કરોડમાં લડાતી ચૂંટણીઓ અને સરેરાશ પાંચ કરોડનો વિધાનસભ્ય અને દસ કરોડનો સંસદસભ્ય દેશપ્રેમની પેદાશ નથી, માર્કેટની પેદાશ છે. આ સિવાય શાસકની ઈમેજ અને બ્રૅન્ડ વેલ્યુ પણ બનવી જોઈએ જેની પાછળ હજારો કરોડ રૂપિયા ખર્ચવા પડે. જે લોકો શાસકો પાછળ રોકાણ કરે છે તેમને વસૂલ કરતાં પણ આવડે છે. હકીકતમાં આ વણલખી પણ પાકી સમજુતીવાળી ભાગીદારી છે અને એ માત્ર ભારતમાં જ નથી, વૈશ્વિક છે. ચતુષ્કોણ સીધી લીટીમાં ફેરવાઈ ગયો છે અથવા રઘુરામ રાજન કહે છે એમ ત્રીજો સ્તંભ તોડવામાં આવી રહ્યો છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 04 માર્ચ 2021

Loading

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં …

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|4 March 2021

હૈયાને દરબાર

મારા આંગણિયે ઊભા રખોપિયા રે, પાન અવસરનાં
કેળ, શ્રીફળ દાદાજીએ રોપિયા રે, પાન અવસરનાં
મોર કમખે ભરેલા બોલિયા રે, પાન અવસરનાં
ગીત મંગળ સખીયુંએ ઝીલિયાં રે, પાન અવસરનાં
તારલાઓ ચૂંદડીએ ટાંકિયા રે, પાન અવસરનાં
તેજ અતલસ ઘૂંઘટડે ઢાંકિયા રે, પાન અવસરનાં
લાખ મોતીનાં તોરણ બાંધિયાં રે, પાન અવસરનાં
હેત રેડીને કંસાર કાઢિયા રે, પાન અવસરનાં
મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે, પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયા રે, પાન અવસરનાં

•   કવિ : હર્ષદ ચંદારાણા   •   સંગીતકાર : ઉદય મઝુમદાર

—————-

તાજેતરમાં ૨૧મી ફેબ્રુઆરીએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ઊજવાયો ત્યારે જેમનાં સંતાનો અંગ્રેજી માધ્યમમાં જ ભણે છે અને જેઓ મિથ્યાભિમાનમાં એવું કહેતાં હોય છે કે, ‘યુ નોવ, અમારાં બાળકો પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે એટલે એમને ગુજરાતી ના ફાવે’. એમાંના ઘણા લોકોએ એક દિવસ માટે માતૃભાષા બચાવવાનાં બહુ ગાણાં ગાયાં, પરંતુ ભાષા સંવર્ધનનું ખરું કામ તો વિદેશમાં રહેતા કેટલાક ગુજરાતીઓ કરે છે. ગાયિકા ફાલ્ગુની દલાલ જે લગ્ન પછી અમેરિકાના ન્યુ યોર્કમાં સ્થાયી થયાં છે અને ફાલુ શાહ તરીકે જાણીતાં છે, એમની સાથે વાત કરતાં ગુજરાતી ભાષા પ્રત્યેના એમના પ્રેમ વિશે અચંબિત થઈ જવાય એવી વાતો જાણવા મળી.

‘ફાલુ’ઝ બાઝાર’ નામે બાળકો માટે ખાસ તૈયાર કરેલા આલબમ માટે જેમને ગ્રેમી એવોર્ડ્સ નોમિનેશન મળ્યું હતું, એ ફાલ્ગુની મૂળ તો સુપ્રસિદ્ધ ગાયિકા કૌમુદી મુનશીનાં શિષ્યા. ત્રણ વર્ષની ઉંમરે એમણે કૌમુદીબહેન પાસે શીખવાનું શરૂ કર્યું હતું. હવે તો એ અમેરિકામાં વેસ્ટર્ન મ્યુઝિકલ બેન્ડ ચલાવે છે તેમ જ ભારતીય દર્શકો સમક્ષ હિન્દી-ગુજરાતી ગીતો પણ રજૂ કરે છે. ‘છેલાજી રે’, ‘આ મનપાંચમના મેળામાં’ તથા ‘પાન અવસરનાં’ એમનાં ફેવરિટ ગુજરાતી ગીતો છે. ફાલુ કહે છે, ‘મન પાંચમના મેળામાં … હું અહીં અમેરિકામાં ખૂબ ગાઉં છું. મારા પતિ ગૌરવ શાહ વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ એ સરસ ગાય છે એટલે ઉદય-રેખાને સ્થાને ફાલુ-ગૌરવ ગીત રજૂ કરીને વાહ વાહ મેળવે છે, પરંતુ ઉદયભાઈ અને રેખાબહેનની કક્ષાએ તો અમે આ ગીતમાં નથી પહોંચી શક્યાં. આ ગીતો અમેરિકન ભારતીયોને ખૂબ પસંદ છે.’

પોતાની સંગીતયાત્રા વિશે ફાલુ કહે છે, ‘મારાં માતા કિશોરી દલાલ કૌમુદીઆન્ટી પાસે સંગીત શીખતાં હતાં. એટલે કૌમુદીબહેનને તો હું ગર્ભમાં હતી ત્યારથી સાંભળતી. મારો જન્મ અને ઉછેર મુંબઈમાં જ. ત્રણ વર્ષની વયે મારી કલા પારખીને મમ્મીએ મને શાસ્ત્રીય સંગીતની ઔપચારિક તાલીમ અપાવવાનું શરૂ કર્યું હતું. કૌમુદીબહેન પાસે સુગમસંગીત, ઠૂમરી, ચૈતી પણ શીખતી. થોડોક સમય પંડિત વિનાયક વોરા પાસે તાલીમ લીધી. ત્યાર પછી એસ.એન.ડી.ટી.માંથી સંગીત સાથે માસ્ટર્સ કર્યું. દરમ્યાન, ઉસ્તાદ સુલતાન ખાન પાસે શાસ્ત્રીય સંગીતની વિશેષ તાલીમ લેવા માંડી. સંગીત પ્રત્યે હું એટલી ગંભીર હતી કે લગભગ દસ વર્ષ સુધી મેં સોળ સોળ કલાક રિયાઝ કર્યો છે. પૂરા રિયાઝ પછી ૧૮મે વર્ષે વ્યાવસાયિક ધોરણે ગાવાનું મેં શરૂ કર્યું.

ભાષાપ્રેમ વિકસવાનું કારણ નિનુ મઝુમદાર અને કૌમુદી મુનશી. એમના ઘરમાં જ હું ઊછરી એવું કહું તો ચાલે. સાહિત્ય અને ભાષા પ્રત્યે બન્ને એટલાં જાગૃત કે અનુસ્વાર ન ગાઉં કે ગાતી વખતે હ્રસ્વ-દીર્ઘ ઇની ભૂલ થાય તો ય ટપારે કે લાંબો ઈ કેમ ગાયો? ગાવામાં મેં ૫૦ ભૂલ તો કરી જ હોય. છતાં એ ધીરજપૂર્વક શીખવે. કૌમુદીબહેનને લીધે જ હું ગુજરાતી લખતાં શીખી ગઈ. પહેલાં તો હું ગીત અંગ્રેજી લિપિમાં લખતી, પછી થયું કે મારી ભાષામાં નહીં લખું તો માતૃભાષા પ્રત્યે પ્રેમ કઈ રીતે જન્મે અને ગીતનો ભાવ કઈ રીતે પકડાય! તેથી ગીતો ગુજરાતીમાં જ લખવાં એમ નક્કી કર્યું. મારી ભાષા મારે માટે જાન છે. તમને આશ્ચર્ય થશે પણ અમેરિકામાં જન્મેલો મારો દીકરો નિષાદ શુદ્ધ ગુજરાતી બોલે છે અને ગુજરાતી ગીતો ગાય છે. હું માનું છું કે ભાષા ગઈ તો કલ્ચર ગયું. એટલે સંસ્કૃતિ અને સંસ્કાર બચાવવા બાળકોને માતૃભાષા શિખવાડવી જ જોઈએ, દુનિયાના કોઈ પણ ખૂણે તમે રહેતા હો તો પણ.’

ફાલુએ તેના દીકરાને ભારતીયના રસોડામાં વણાઈ ગયેલાં મરીમસાલા અને આપણી સંસ્કૃતિને અનુરૂપ સરળ અને આસાનીથી સમજાય એવાં ગીતો લખ્યાં, જે આલબમ ગ્રેમી એવોર્ડ્સ માટે પસંદગી પામ્યું હતું. એ ગીતોની સર્જનકથા રસપ્રદ છે.

‘મારા દીકરાને અમેરિકામાં નાનપણથી જ આઈડેન્ટિટી ક્રાઈસિસ આવી ગઈ હતી. સ્કૂલેથી આવીને એ મને પૂછતો, મમ્મી, બધા ગોરા છે તો હું કેમ બ્રાઉન? આપણી રસોઈ કેમ લાલ-પીળા રંગની? ઘરમાં આપણે કેમ જુદી ભાષા બોલીએ છીએ?’ પોતાની સંસ્કૃતિ માટે દીકરાને પ્રેમ થાય, ભારતીય ઓળખ પ્રત્યે કમ્ફર્ટેબલ થાય એટલે મેં એને સમજાય એવાં ગીતો લખ્યાં, કમ્પોઝ કર્યાં અને શીખવાડ્યાં. સંગીત દ્વારા શીખવાની એને પણ મજા આવતી. ‘ફાલુ’ઝ બાઝાર’ લોકો માટે હતું જ નહીં. મારા બાળકને મારે માતૃભાષા-સંસ્કૃતિથી અવગત કરાવવું હતું, તેથી અંગ્રેજી, હિન્દી, ગુજરાતીના સંયોજનથી મેં બાળગીતો લખ્યાં જેમાં તવેથો, વેલણ અને ચકલાની વાત આવે તથા હળદર-મરચાંની પીળી દાળ પણ પ્રગટ થાય.

અમારા અમેરિકન મ્યુઝિકલ બેન્ડના સભ્યો એક વાર ઘરે આવ્યા ત્યારે મારો દીકરો મેં શિખવાડેલું બાળગીત, યમી યમી, ઈન યોર ટમી, ધિઝ આર ડિફરન્ટ સ્પાઈસીઝ, ડિફરન્ટ કલર્સ એન્ડ ડિફરન્ટ ફ્લેવર્સ … ગાતો હતો. બધાને એ સાંભળીને ખૂબ મજા આવી. એમણે કહ્યું કે આપણે આ ગીતો સ્ટુડિયોમાં રેકોર્ડ કરીએ. રેકોર્ડિંગ કર્યા પછી મારી મેનેજરે ક્યારે આલબમને ગ્રેમી એવોર્ડ કેટેગરીમાં મૂકી દીધું એ મને ખબર જ નહોતી. જ્યારે નોમિનેટ થયું અને અઢળક ફોન આવ્યા ત્યારે મને ખબર પડી. પુષ્કળ આનંદ પણ થયો હતો, કારણ કે વિદેશમાં મારી ભારતીય સંસ્કૃતિને ઓળખ મળી હતી. ઘરમાં અમે ગુજરાતી જ બોલીએ છીએ. અમારી વાતચીતમાં ભૂલમાં અંગ્રેજી શબ્દ આવી જાય તો દીકરો કહે કે, કેમ આપણે અંગ્રેજી થઈ ગયા છીએ? બાળકો બેથી વધુ ભાષા શીખે એના ફાયદા વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલા છે. હમણાં જ મેં એને નિનુદાદાનું ‘રસ જગન ગુફામાં ઝર ઝર ઝરે …’ ગીત શીખવાડ્યું. એમાં જુદા જુદા રસ ધરાવતાં ગીતોનું સંયોજન છે એટલે બાળકને એની લાગણી વ્યક્ત કરતાં શિખવાડવું હોય તો વિવિધ રસનાં ગીતો શિખવાડવાં જોઈએ. મારું આલબમ ‘ફાલુ’ઝ બાઝાર’ એટલે જ પસંદ થયું હતું, કારણ કે સંસ્કૃતિ બચાવવા એક માતાએ કહેલી દિલની વાત એમાં હતી. પરિણામે અમેરિકામાં રહેતા દરેક ઇમિગ્રન્ટને થયું કે આપણે પણ આપણી ભાષા-સંસ્કૃતિને શા માટે છોડવી જોઈએ? એ રીતે ‘ફાલુઝ બાઝાર’ને ઘણા મત મળ્યા હતા.’

મેલોડિયસ અને કેચી અવાજ દ્વારા વૈશ્વિક અપીલ ધરાવતાં ફાલુએ થોડા સમય પહેલાં ‘સમ ડે’ આલબમ બહાર પાડ્યું છે. એમાં શાસ્ત્રીય સ્પર્શ ધરાવતી ઠૂમરી, ‘નદી રે કિનારે …’ની વિડિયોગ્રાફી તથા સ્વરાંકન અદ્ભુત છે. ભારતીય શાસ્ત્રીય સંગીત સાથે અમેરિકન રોક-પોપના સંયોજનથી તેઓ ઈન્ડિ-હિન્દી ગીતો બનાવે છે. સંગીત કેટેગરીમાં ‘વીમેન આઈકન્સ ઓફ ઈન્ડિયા’ એવોર્ડ જીતનાર ફાલુએ ‘અમેરિકન પેચવર્ક ક્વોર્ટેટ’ આલબમ પર કામ કર્યું છે. એ કહે છે, ‘ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની વિચારધારા પરદેશીઓ(ઇમિગ્રન્ટ્સ)ને કાઢવાની હતી, તેથી અમેરિકન લોકગીતોમાં ભારતીય ફ્લેવર ઉમેરીને મેં ગીતો બનાવ્યાં જેનો સાર એ હતો કે વિવિધ દેશોના વૈવિધ્યને લીધે જ અમેરિકા રંગીન બન્યું છે, એની પ્રગતિ થઈ છે. બધા પરદેશીઓ ખરાબ નથી, એટલું જ નહીં એ લોકોની વિવિધ સંસ્કૃતિને લીધે અમેરિકા અનોખું બન્યું છે, એની આગવી ઓળખ પ્રસ્થાપિત થઈ છે. જપાન, આફ્રિકા, અમેરિકા અને હું ભારતીય એમ ચાર દેશોના સંગીતકારોએ ભેગા મળીને આ આલબમ તૈયાર કર્યું. અમે મ્યુઝિકલ ટૂર પણ કરવાનાં હતાં, પરંતુ વૈશ્વિક મહામારીને લીધે એ અટકી ગઈ. ગુજરાતી ગીતો તો જ્યારે તક મળે ત્યારે ગાઉં છું. ‘પાન અવસરનાં’ મારું અતિપ્રિય ગીત છે. અનેક પ્રોગ્રામમાં મેં એ ગીત ગાયું છે.’

આ ગીતના સ્વરકાર ઉદય મઝુમદારે ‘પાન અવસરનાં …’ ગીતના સ્વરાંકન વિશે રસપ્રદ વાત કહી. ‘કવિમિત્ર હર્ષદ ચંદારાણા એક વાર મુંબઈ પધારેલા. એમને એરપોર્ટ પર મૂકવા હું જઈ રહ્યો હતો ત્યારે કારમાં એમણે આ ગીતની બે પંક્તિઓ સંભળાવી. મને બહુ ગમી ગઈ એટલે મેં કહ્યું કે કવિ, આ ગીત પૂરું કરજો. પંક્તિઓ ઉત્તમ આવી છે. એ પછી થોડા જ સમયમાં આપણા સંગીતકાર-ગાયક સુરેશ જોશીનાં અમરેલીમાં લગ્ન યોજાયાં હતાં. હર્ષદ અમરેલી રહે એટલે એ મને ભાવનગર એરપોર્ટ પર લેવા આવવાના હતા. મેં શરત મૂકી કે ‘પાન અવસરનાં …’ ગીત આખું લઈને આવજો. હું તો ભાવનગર પહોંચ્યો તો કવિનો અતો-પતો નહીં. હજુ કંઈ વિચારું એ પહેલાં હર્ષદનો ફોન આવ્યો કે મને આવતાં મોડું થશે તો તમે ભાવનગરના કવિ વિનોદ જોશીને ત્યાં બેસો, હું તમને ત્યાંથી અમરેલી લઈ જઈશ. મને થયું કે કવિ નક્કી પેલી કવિતા પૂરી કરવામાં રોકાઈ ગયા લાગે છે. હું તો ચાલ્યો વિનોદ જોશીને ઘરે, તો ઘરે તો તાળું! છેવટે રિક્ષામાં બેસી ટાઈમ પસાર કર્યો. ત્યારબાદ કવિ ગીત સાથે હાજર થયા અને સુરેશ જોશીનાં લગ્નની આગલી રાતે હર્ષદના ઘરે કોઈ પણ વાદ્યની સહાય વિના કન્યાવિદાયનું આ ગીત સ્વરબદ્ધ થઈ ગયું.’

સંગીતકાર ઉદયભાઈ જાનૈયાઓ સાથે હતા, કન્યા દર્શનાબહેનને પક્ષે તો કદાચ આ ગીત એ વખતે તાજું ગવાઈ પણ ગયું હોત! અલબત્ત, ગીતના શબ્દો હૃદયસ્પર્શી છે. છેલ્લી પંક્તિઓ તો કેવી સુંદર છે;

મૂળ મેલ્યા ને છાંયડા ઝાલિયા રે
પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં રે
પાન અવસરનાં!

મૂળ વાત એ છે કે આપણે આપણાં સંતાનોને ભારતીય ભાષા-સંસ્કૃતિનો વારસો નહીં આપીએ તો એ પછીની પેઢી આપણા સમૃદ્ધ વારસાથી વિમુખ થઈ જશે. હજું ય મોડું નથી થયું. બાળક ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ આપણા સંસ્કારથી એને દૂર ન કરવું જોઈએ. આ કોલમનો હેતુ પણ આ જ છે. ગુજરાતી ગીતોને રમતાં કરો, વહેતાં રાખો. જેને માતૃભાષા સરખી આવડે એ દુનિયાની કોઈ પણ ભાષા આસાનીથી શીખી શકે છે.

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”. 04 માર્ચ 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=686131

Loading

મોહનદાસ કરમચંદ ગાંધી ના જીવન પર આધારિત હિન્દી મહાનવલઃ ‘પહેલા ગીરમીટિયા’

રંજના હરીશ|Gandhiana|4 March 2021

સુપ્રસિદ્ધ હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરની સશક્ત કલમે લખાયેલ 'પહેલા ગિરમીટિયા'ને તેના 905 પૃષ્ઠના કદ તથા ફલકની દૃષ્ટિએ મહાનવલ કહેવી સાર્થક છે. વર્ષ 1999માં પ્રકાશિત આ મહાનવલ 10 વર્ષ બાદ અંગ્રેજી અનુવાદરૂપે પણ પ્રકાશિત થઈ. આ નવલકથાના કેન્દ્રસ્થાને છે દક્ષિણ આફ્રિકાની દાદા અબ્દુલા એન્ડ કંપનીના કામે એક વર્ષના એગ્રિમેન્ટ પર ત્યાં આવેલ ભારતીય બેરિસ્ટર યુવક મોહનદાસ કરમચંદ ગાંધી. આ નવલકથા મોહનદાસના આફ્રિકામાં વિતાવેલાં વર્ષોની વાત માંડે છે. પરંતુ આ વાત કોઈ એક વ્યક્તિવિશેષ સુધી સીમિત નથી. મોહનદાસના જીવનની સાથોસાથ તે ત્યાંના સમગ્ર સમાજ, આબોહવા, પર્યાવરણ, અંગ્રેજી શાસન તથા તેમાં કુલીઓનાં દમન તથા તેની વિરુદ્ધ ગાંધીએ આપેલ અહિંસક લડતની વાત પણ કરે છે. પોરબંદર તથા રાજકોટનો સાધારણ મોનિયો આ ધરતી પર અસાધારણ જનનાયક બનતો જોવા મળે છે.

આઠ વર્ષ જેટલા દીર્ઘ સમય સુધી ગાંધીના જીવન વિશે સંશોધન કરીને હિન્દી નવલકથાકાર ગિરિરાજ કિશોરે લખેલ આ નવલકથા વિશે લખતાં તેઓ કહે છે, 'મહાત્મા ગાંધીના જીવનના ત્રણ તબક્કા છેઃ 1. મોનિયા તબક્કો, 2. મોહનદાસ કે ગાંધીભાઈ તબક્કો અને 3. મહાત્મા તબક્કો. આ ત્રણેય તબક્કા પર આધારિત નવલકથા લખવાનું મારું સ્વપ્ન હતું. જો તે પૂરુ થઈ શક્યું હોત તો મને વિશ્વના સઘળા સાગરો તરી ગયાનો સંતોષ થયો હોત … પણ પસંદગીના વિષયની વિશાળતા જોતાં મેં આ ત્રણ તબક્કાઓમાંથી માત્ર એકને જ પસંદ કર્યો. એ તબક્કો હતો દક્ષિણ આફ્રિકાના 'ગાંધીભાઈ'ના જીવનનો. મારો આ નિર્ણય પણ મને સઘળા હિન્દ મહાસાગર તરવા જેટલો વિકટ લાગેલો … આ મહાનવલના લેખનકાર્ય દરમિયાન ઘણીવાર મને એમ થતું કે હું કિનારે નહીં પહોંચી શકું, હું ડૂબી જઈશ. પરંતુ ગાંધીભાઈની સંઘર્ષકથા પ્રત્યેની મારી આસ્થાએ મને પાર પાડ્યો. આશા છે આ ગ્રંથનું વાંચન સર્વેને પ્રેરણાદાયી નિવડશે.’(પૃ. 7)

પ્રસ્તુત મહાનવલની સમીક્ષા કરતા સુભાષ જોશી લખે છે, 'કહેવાય છે કે સંઘર્ષના દિવસોમાં મહાભારતથી ઉત્તમ કોઈ વાંચન ન હોઈ શકે. તે જ રીતે આંતરિક અને બાહ્ય સંઘર્ષના આ સાંપ્રત સમયમાં 'પહેલા ગિરમીટિયા' સમું પ્રેરણાદાયી પુસ્તક અન્ય કોઈ ન હોઈ શકે. મોહનદાસ કરમચંદ ગાંધીના કુલી-બેરિસ્ટરમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયાનું આનાથી વધુ સારું વિશ્લેષણ ક્યાં ય નહીં મળે. 'પહેલા ગિરમીટિયા' જે વાત લઈને આવે છે તે મેં આ પહેલાં કદી વાંચી નથી અને કદાચ ભવિષ્યમાં પણ વાંચીશ નહીં.'

શીર્ષકમાં પ્રયોજિત 'ગિરમીટિયા' શબ્દની વ્યુત્પત્તિ રસપ્રદ છે. 1850ની આસપાસના વખતમાં દક્ષિણ આફ્રિકા પર અંગ્રેજોનું રાજ હતું. દક્ષિણ આફ્રિકાની ધરતી એટલે ખનીજ તથા શેરડીના પાકની સંભાવનાથી ભરી ધરતી. પણ શાસક ગોરાઓને શારીરિક શ્રમ કરવામાં સહેજે ય રસ નહોતો એટલે તેમણે ભારત જેવા ગરીબ દેશોમાં ભૂખે ટળવળતા લોકોને બંધણિયાત મજૂર તરીકે દક્ષિણ આફ્રિકા લાવીને, તેમની પાસે આફ્રિકાની ધરતી પર લગભગ ગુલામ રૂપે રહેવાની સંમતિ આપતો એગ્રિમેન્ટ કરાવી લઈને સખત શારીરિક શ્રમ કરાવવાની યુક્તિ ઘડી કાઢી. નવેમ્બર 17, 1860ના દિવસે ભારતના મદ્રાસ બંદરેથી ઉપડેલ સ્ટીમર ભારતીય મજૂરોના પ્રથમ જથ્થાને દક્ષિણ આફ્રિકા લઈ ગઈ. જ્યાં ઊતરતાંની સાથે તેમણે એગ્રિમેન્ટ સહી કરીને બંધણિયાત મજૂર તરીકે ત્યાં વસવાનું કબૂલ-મંજૂર રાખ્યું. આ અશિક્ષિત ભારતીય મજૂરો એગ્રિમેન્ટને 'ગિરમીટ' કહેતા અને તેથી પોતાની જાતને 'ગિરમીટિયા'ઓ તરીકે ઓળખાવતા.

આ ગ્રંથના પ્રથમ 57 પૃષ્ઠો દક્ષિણ આફ્રિકાનાં હવાપાણી, પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાં વસતા ગિરમીટિયાઓનાં જીવનનો તાદૃશ ચિતાર આપે છે. પુસ્તકના છેક 58માં પૃષ્ઠ પર નાયક ગાંધીનો પ્રથમ વાર ઉલ્લેખ થાય છે! 1893માં ગાંધી એક બેરિસ્ટરની હેસિયતથી દક્ષિણ આફ્રિકા ગયેલા. ત્યારે તેમની પાસે એક વર્ષનો એગ્રિમેન્ટ સહી કરાવવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકામાં ગાળેલ પ્રથમ અઠવાડિયામાં જ ગાંધીને સમજાઈ ગયું કે તેઓ એવી ધરતી પર આવી ચડ્યા છે કે જ્યાં પોતાના દેશબાંધવો ભયંકર યાતના તથા અન્યાયોના શિકાર છે. તેમના દેશબાંધવોને અહીં લોકો ગિરમીટિયા કહીને બોલાવે છે અને ધિક્કારે છે. અને પ્રથમ અઠવાડિયામાં જ એ 24 વર્ષના અતિ સામાન્ય દેખાતા યુવકે પોતાના દેશબાંધવોને આત્મગૌરવ અપાવવાની પ્રતિજ્ઞા કરી અને તેમની સાથે ઓતપ્રોત થવાના હેતુથી તે પોતાની જાતને ગિરમીટિયા તરીકે ઓળખાવા માંડ્યા. ગાંધી એટલે દક્ષિણ આફ્રિકામાં વસતા ગિરમીટિયાઓનો આગેવાન અને તેટલે 'પહેલો ગિરમીટિયો'. આવા અર્થમાં આ મહાનવલમાં 'પહેલા ગિરમીટિયા' શબ્દ પ્રયોજાયો છે.

ગાંધીના જીવનની અનેક નાનીમોટી દસ્તાવેજી ઘટનાઓ આ નવલકથામાં હારબદ્ધપણે વણાઈ છે. જેવી કે દક્ષિણ આફ્રિકાની કોર્ટમાં ધોળા ન્યાયાધીશનો બેરિસ્ટર ગાંધી ફેંટો ઊતારે તેવો આગ્રહ. અને તેના પ્રતિભાવરૂપે એડવોકેટ ગાંધીનું કોર્ટમાંથી ચાલી જવું. ગાંધીએ ત્યાંના પ્રેસને લખેલ અગણિત પત્રો. આ પત્રો દ્વારા દક્ષિણ આફ્રિકાના ગોરા અમલદારોનું તેમના પ્રત્યેનું કુતૂહલ જેવી ઘટનાઓ કલ્પનાના મેઘધનુષના સ્પર્શ સાથે અહીં કાગળ પર ઉતરે છે. જેથી દસ્તાવેજીકરણની નિરસતા ક્યાં ય વરતાતી નથી. દક્ષિણ આફ્રિકા પહોંચ્યાના થોડા જ અઠવાડિયામાં તૈયબ શેઠ દ્વારા યોજાયેલ એક સભામાં બોલાયેલ ગાંધીના ઉદ્દગારો જોઈએ.

'આ સુંદર મુલકમાં આવે હજી મને મહિનો પણ પૂરો થયો નથી. આ દેશનું સૌંદર્ય જોઈને હું ચકિત છું. આંખ પહોંચે ત્યાં સુધી લીલીછમ લીલોતરી અને મધ્યમ કદના પહાડો. તે પહાડો પર થઈને દોડતી પગદંડીઓ … આ બધું અતિ સુંદર છે. મારા વતનના આકાશચુંબી પહાડો મનુષ્યને ભયભીત કરે છે પણ આ દેશની પહાડીઓ તેમને જાણે મિત્રવત્ આમંત્રણ આપે છે. તેમને હાથ ઝાલીને પોતાની પગદંડીઓ પર ચલાવીને પહાડીને પેલે પાર આવેલ ગંતવ્ય પર પહોંચાડવા જાણે તત્પર ન હોય … અહીં વસતા કબિલાઓ મને મારા દેશના માલધારી અને વણઝારા પ્રજાતિઓની યાદ અપાવે છે. નાનીશી અભિલાષાઓ સાથે જીવતા કેવા ભોળા અને સરળ મનુષ્યો ! તેમની મહત્વાકાંક્ષાઓ નથી કોઈનો તોડતી કે નથી પોતે તૂટતી … પણ અમે હિન્દુસ્તાનીઓ રોજીરોટીની શોધમાં સાત સમુદ્ર પાર પોતાના વહાલા વતનથી હજારો જોજન દૂર અહીં આવી ચડ્યા છીએ. વતનમાં વસતા અમારાં સગાંઓને અમારા જીવતા હોવાના વાવડ સુદ્ધાં મોકલી શકાતા નથી … પોંડીચેરીથી ઉપડેલ એક વહાણમાં 376 મજૂરો હતા. એ વહાણ નેટાલ પહોંચ્યા પહેલાં જ ડૂબી ગયું. અને અહીંના છાપાવાળાઓએ એક લીટીમાં એ ભારતીય મજૂરોનું તર્પણ કરી દીધું … કહેવાનો અર્થ એ છે કે અમે ભારતીયો સુખદ ભવિષ્યના સ્વપ્ન સાથે વતન છોડીએ છીએ. અહીં પહોંચતા પહોંચતા જો જીવિત બચીએ છીએ તો અમારું એ સ્વપ્નભર્યું મન મરી પરવારે છે. ભૂખ્યો મનુષ્ય લોટના કણક સમો હોય છે. ઇચ્છો તેમ ઘાટ આપી શકો. બંધણિયાત મજૂરને 11 સિલીંગનો પગાર મળે છે. મનુષ્યના સ્વાતંત્ર્યની કિંમત માત્ર 11 સિલીંગ ?… હું પણ એ બંધણિયાતોમાંનો એક છું. એક વર્ષ માટે એગ્રિમેન્ટ સહી કરીને દાદા અબ્દુલ્લાની કંપનીના કામે આવેલ એક ગિરમીટિયો. જો મારે બેરિસ્ટરની પૂંછડી ના હોત તો મારા ય અન્ય ગિરમીટિયાઓ સમા ભૂંડા હાલ થાત.' (પૃ.161)

એક વર્ષ માટે દક્ષિણ આફ્રિકા આવેલ 'ગાંધીભાઈ' પોતાના દેશબાંધવોના હિતમાં 21 વર્ષ જેટલા લાંબા સમય માટે ત્યાં રોકાઈ જાય છે. એટલું જ નહીં પોતાના પરિવારને પણ તેઓ રાજકોટથી દક્ષિણ આફ્રિકા લઈ આવે છે. અને અંગ્રેજો વિરુદ્ધ ગિરમીટિયાઓને હક્ક અપાવવાની લડત દ્વારા તેઓ એક જનનાયક તરીકે ઉપસે છે. ગાંધીના અહિંસા અને અસહકાર જેવા અમોઘ શસ્ત્રો આ ધરતી પર આકાર લે છે. અને જેમ જેમ સમય જાય છે અને ગોરાઓ સાથેની અથડામણો વધે છે તેમ તેમ આ શસ્ત્રોની ધાર તેજ થતી જાય છે. ફિનિક્સ આશ્રમની સ્થાપના જેવી મહત્ત્વપૂર્ણ ઘટના પણ આ કથાનકમાં વણાય છે.

જાહેર જીવનમાં અતિ વ્યસ્ત અને સફળ ગાંધીનો પારિવારિક પક્ષ વર્ણવવાનું નવલકથાકાર નથી ભૂલતા. અતિ સામાન્યમાંથી અસામાન્ય બનતા ગાંધીભાઈના જીવનમાં પત્ની અને બાળકો મહત્ત્વપૂર્ણ હોવા છતાં અવગણાયા હતા તે સત્ય આ પુસ્તકમાં સુપેરે વણાય છે. પુત્ર હરિદાસ સાથેના પિતા ગાંધીજીના વિસંવાદી સંબંધો અને તેમાંથી જન્મતો પરિતાપ જનનાયક ગાંધીને અવારનવાર વિહવળ બનાવે છે. તો વળી ઘણી બાબતોમાં ટેકીલી પત્ની કસ્તૂર સાથેની ચડભડ પણ ગાંધીભાઈને વ્યગ્ર બનાવે છે. બાળકોનું શિક્ષણ ગાંધીભાઈ તથા કસ્તૂર માટે સતત વિખવાદનું કારણ રહેલા. આ સઘળું ગાંધીને સંવેદનશીલ મનુષ્ય તરીકે પ્રસ્તુત કરે છે. વર્ષોના સંઘર્ષને અંતે મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકાની ભૂમિ પર ગિરમીટિયાઓને પોતાનો હક્ક તથા આત્મસન્માન અપાવનાર મહાનાયક તરીકે સ્થાપિત થાય છે. એક એવો નાયક જેનો સ્વીકાર ગરીબ ગિરમીટિયાઓ તો કરે જ છે પરંતુ ધોળી સરકારના અમલદારો પણ કરે છે. ટોલ્સ્ટોય તથા રસ્કિન જેવા વિચારકોથી પ્રભાવિત ફિનિક્સ આશ્રમની સ્થાપના કરનાર ગાંધીભાઈ એક અસામાન્ય નેતાના કદ સાથે ભારત પાછા ફરે છે.

આ ગ્રંથનું અંતિમ દૃશ્ય ગાંધીને દક્ષિણ આફ્રિકાની ધરતીને અલવિદા કહેતા બતાવે છે. હજારોની જનમેદની ગાંધી તથા તેમના પરિવારને વિદાય આપવા કેપ ટાઉનના રેલવે સ્ટેશન પહોંચે છે. અતિપ્રિય એવી પોતાની કર્મભૂમિ તથા ત્યાં વસતા પ્રેમાળ લોકોને અલવિદા કહેતા ગાંધીની આંખ ભરાઈ આવે છે. તેઓ કહે છે, 'આજથી બરાબર 21 વર્ષ પહેલાં નેટાલના મેડિંગ્ટન બીચ પર એક ભયભીત નવયુવક ઊતરેલો. તે એક બેરિસ્ટર ગિરમીટિયો હતો. દાદા અબ્દુલ્લાએ પોતાની કંપની માટે ભારતથી આણેલ ગિરમીટિયો … તેમણે દક્ષિણ આફ્રિકાની ધરતી પર નાનકડા છોડની જેમ રોપ્યો અને પ્રેમપૂર્વક સિંચ્યો. આજે તેઓ આપણી વચ્ચે નથી. જો તેઓ હોત તો હું તેમને અવશ્ય કહેત કે તમારો 'ધોળો હાથી 'હવે 'કાળો હાથી' બનીને સ્વદેશ પાછો જઈ રહ્યો છે … દક્ષિણ આફ્રિકા મારા રોમ રોમમાં વસે છે. અંતમાં એટલું જ કહું કે દક્ષિણ આફ્રિકાની તમારી ખાણોમાં હીરા ભર્યા છે. પણ મારા દેશબાંધવોના મન હીરાસમા છે. જરૂર છે તો ફક્ત હીરાપારખુ આંખની.'

દક્ષિણ આફ્રિકાની આવી ભાવભરી વિદાયના પ્રસંગને બાપુએ 'ઇન્ડિયન ઓપિનિયન'માં તેમણે છગનલાલને લખેલ પત્રમાં હૂબહૂ વર્ણવ્યો. બાપુના એ હૃદયસ્પર્શી પત્રના અંતિમ શબ્દો મીરાંબાઈની એક કાવ્યપંક્તિ હતી : 'અસુવન જલ સીંચ સીંચ પ્રેમ બેલ બોઈ' (પૃ. 905)

'પહેલા ગિરમીટિયા' પ્રત્યેક વાચકને પ્રેરણા આપે છે કે મનુષ્ય માત્રમાં સામાન્યમાંથી અસામાન્ય બનવાની સંભાવનાઓ પડેલી હોય છે.

E-mail : ranjanaharish@gmail.com

પ્રગટ : "નવનીત સમર્પણ"

Loading

...102030...1,9751,9761,9771,978...1,9902,0002,010...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved