Opinion Magazine
Number of visits: 9680066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક ગુજરાતી, દેશ અનેક

કેતન રુપેરા|Opinion - Opinion|15 April 2021

’ડાહ્યાભાઈને તો જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર ચરવા-વિચરવાપાત્ર લાગે છે. જે ગમ્યું હોય અથવા જે માહિતી આપનારું હોય તેનું કતરણ ડાહ્યાભાઈ પાસેથી મળી આવે. કતરણ હાથમાં આવે ત્યાં સુધીનો સમય પણ ડાહ્યાભાઈ એળે જવા ન દે. એમની ટીકાટિપ્પણી ઘટનાના ચાલુ વિવરણની જેમ ચાલ્યા કરે. એમના લોહીમાં પડેલું મિસ્ત્રીપણું ઝીણું ઝીણું નકશીકામ કરતું જાય, ડાહ્યાભાઈ ઉત્સાહથી વાત કરતા જાય અને ખડખડાટ હાસ્યથી ઓરડાનું પેટ ભરતા જાય. સાહિત્ય, ઇતિહાસ, રાજકારણ બધાંમાં એમની ચાંચ ડૂબે. કોઈક વાર તો તમે કલ્પ્યો ન હોય એવો મુદ્દો ખોળી લાવે અને ચર્ચામાં રંગત જમાવતા જાય.’

પ્રાધ્યાપક જયન્ત મ. પંડ્યાએ દીધા ‘જ્ઞાનિપપાસુ ડાહ્યાભાઈ મિસ્ત્રી’ નામક ચરિત્રચિત્રણમાં આવી નોંધ છે. ‘સ્મરણો દરિયાપારના’ નામક લેખકના પુસ્તકમાં આ નોંધ સંગ્રહિત છે. આવા આ ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી જોડે ચાર દાયકાઓ ઉપરાંતનો દીર્ઘ પણ નિજી સંબંધ રહ્યો છે. મારી જિંદગીના ઉપવનમાં એ ખુદ એક એવું વૃક્ષ કે જેના છાંયડે બેસીને હાશકારો મળ્યો હોય, થાક ઉતાર્યો હોય, ગોઠડી માંડી હોય અને વળતાં તરબતર થઈ તાજાતર થઈ જવાય.

‘ઓપિનિયન’માં આરંભથી ડાહ્યાભાઈનું લખાણ પ્રગટ થતું રહ્યું. એમનું વાંચન અગાધ. તેનો વ્યાપ વિશાળ. મૂળે શિક્ષકનો જીવ તેથી તંતોતંત વિચારે, જીવે અને લેખનમાં ઉતારે પણ. આવા આ મસ્ત મિત્રના લેખોનું સંપાદનકામ કેતન રુપેરાએ સુપેરે પાર પાડ્યું છે. એક નિવડેલા પત્રકાર અને પ્રકાશનમાં નવા ચાસ પાડનાર  કેતનભાઈ વાટે આપણને આ જ્ઞાનમાળીનું ઉપવન સમું પુસ્તક સાંપડે છે. તેનું સ્વાગત કરીએ. તેને વસાવીએ અને તેને માણીએ.   

— દેશાવર તંત્રી

••••••••

લેખકને તેમના પુસ્તક અંગે સંપાદકનો પત્ર

સુખને ઓવારે અને

ટેમ નદીને કાંઠે વસતા ડાહ્યાભાઈ,

સાબરમતીના તટેથી કેતનના પ્રણામ.

ગુજરાતી ડાયસ્પોરાના વિચારપત્ર ‘ઓપિનિયન’ અને તેના તંત્રી વિપુલ કલ્યાણીનો પહેલવહેલો પરિચય ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વના અભ્યાસકાળ (૨૦૦૩-૨૦૦૫) દરમિયાન થયો હતો. મારા ક્લાસની એક વિદ્યાર્થિની, નામે આશા વિહોલે ‘ઓપિનિયન’ પર અભ્યાસપૂર્ણ ડેઝર્ટેશન (માર્ગદર્શક : પ્રા. અશ્વિન ચૌહાણ) રજૂ કરીને ઘણી પ્રશંસા પ્રાપ્ત કરેલી. બસ, એ અરસામાં જ ‘ડાયસ્પોરા’ શબ્દ, એના અર્થ, એ સાહિત્યની જાણ થઈ હતી.

મો.ક. ગાંધીના ‘ઇન્ડિયન ઓપીનિયન’માંથી ન માત્ર ‘ઓપિનિયન શબ્દ ઉછીનો લઈને’ પણ સાથે ‘આ દેશે [શું બ્રિટન કે શું ભારત, બધે ય] વિચારપત્રની સતત ખોટ રહી છે એ ખોટ પૂરવા’ ઓપિનિયને પગરણ માંડ્યાં તે સાલ ૧૯૯૫. વરસો વીતતાં ગયાં. ‘ઓપિનિયન’ મુદ્રિતમાંથી ડિજિટલ, ને ડિજિટલમાંથી ઑનલાઇન થયું. પ્રસંગોપાત ‘ઓપિનિયન’ના લેખો વાંચવાના થતા ગયા. ‘નિરીક્ષક’ના સંપાદનની જવાબદારી (૨૦૧૪-૨૦૨૦) દરમિયાન થોડા વિશેષ પ્રમાણમાં વાંચવાના થયા, પણ એ તો એટલાં વર્ષો પૂરતાં. ‘ઓપિનિયન’ની શરૂઆત, તેનો ઉદ્દેશ, તેના પ્રારંભિક લેખો, કોઈ વિશેષ મુદ્દાને સ્પર્શીને એકથી વધુ લેખકોના લેખો, કિશોરલાલ મશરૂવાળાના ‘હરિજનબંધુ’માંથી ઊંચકેલાં અવતરણ સાથેનું ‘એતાનશ્રી’ (વાચકોના પત્રો) … વગેરેમાંથી તો આપના લેખોની ચયનપ્રક્રિયા દરમિયાન જ પસાર થવાનું થયું. ૧૯૯૬માં ઈશ્વર પેટલીકરને ટાંકીને લખેલા ‘ન મળ્યો કોઈ ગુજરાતીને’ લેખથી ‘ઓપિનિયન’માં આપની લેખનયાત્રા શરૂ થઈ તે છેક ૨૦૧૭ સુધી અવિરત … એટલે કહો કે આપના લેખોએ જ ‘ઓપિનિયન’ની વધુ નજીક આવવાનું નિમિત્ત પૂરું પાડ્યું. ને તમે માનશો? આ લેખો વાંચીને મારે-આપના શબ્દોમાં કહું તો – ‘નર્મદ જેવો જોસ્સો’ ધરાવતા ‘ઓપિનિયન’તંત્રી અને આ પુસ્તકના પરામર્શક સાથે સહજપણે જ શૅર કરવાનું થયું કે ‘ઓપિનિયન’નાં આટલાં વર્ષોમાં અગ્રહરોળનાં ને નિયમિત લખતા પાંચ લેખકોનાં નામ આપવાનાં થાય તો એમાં ડાહ્યાભાઈનું નામ અવશ્ય આવે એટલું એમનું વિષયવૈવિધ્ય છે, એટલો જ એમનો અભ્યાસ દેખાય છે, ને એટલી જ એમની અભિવ્યક્તિની સરળતા ને સહજતા પણ છે. ફેસબુક-ટિ્‌વટર પેઢીની સ્ટાઇલમાં કહું તો OMG …. શું રૅન્જ છે આ માણસની!” અને એટલે જ પુસ્તકમાં આપના લેખોના આ સૌથી મોટા જમા પાસાને વિશેષ રીતે ઉપસાવવામાં આવ્યું છે. 

વિષય-વૈવિધ્ય પછી આલેખન ને અભિવ્યક્તિની વાત કરતાં, આપનું વ્યક્તિચિત્ર આપનાર જયન્ત પંડ્યા સહજપણે જ યાદ આવે : “સ્વતંત્ર રીતે વિચારવાની એમને ફાવટ છે. એ ધારે તો દૂધમાંથી ય પોરાં કાઢી આપી શકે પરંતુ એને અવગુણ બનાવવાની હદ સુધી ન લઈ જવાનો વિવેક એમણે કેળવ્યો છે.” આ લાગણી આપના લેખો વાંચતાં મને પણ વારંવાર થઈ છે. પૂર્વ આફ્રિકાના દેશોમાં હિંદીઓના પ્રદાનની અવગણના કે આરબ દેશોમાં ભારતીય મજૂરોના સંઘર્ષની વાત હોય, ગુજરાતી સમાજની મર્યાદા ને ગુજરાતી ડાયસ્પોરિક સર્જકોની વાત હોય કે પછી ભારતપ્રવાસની ડાયરી ‘વાપીથી તાપી’ (પૃ. ૩૧થી ૫૦ અને ૬૮થી ૭૪). … પોસ્ટવિભાગનો દાખલો આપીને તો આપે આ વાતને બખૂબી મૂકી આપી છે.

કેન્યા, યુગાન્ડા, ટાન્ગાનિકા ને ઝાંઝીબારમાં હિંદી વસાહતનાં વિવિધ ક્ષેત્રમાં સાહસ-સંઘર્ષ-સિદ્ધિની વાત માંડીને તો જાણે આ વસાહતનો અનૌપચારિક ઇતિહાસ આપી દીધો છે! ૧૮૬૦માં નાતાલ બંદરે પહેલી આગબોટ લાંગરી ત્યાંથી લઈને ૧૯૭૨ સુધી – ખાસ્સા ૧૧૨ વર્ષ-ના ઇતિહાસલેખનમાં અલીદીના વિસરામ, અલીભાઈ મુલ્લા જીવણજી, પ્રાણલાલ શેઠ, મણિલાલ દેસાઈથી લઈને રજત નિયોગી સુધીનાનાં પત્રકારત્વ – જાહેરજીવનનાં કાર્યો માટે આપના હૃદયમાં માનની સાથે અંગત લાગણી પણ જોડાયેલી છે, એ ‘બિટિ્‌વન ધ લાઇન્સ’ વાંચી શકાય છે, આપે એને પ્રત્યક્ષપણે વર્તાવા દીધી નથી. એ આપની કલમની સંયમશીલતા છે.

હા, એક જગ્યાએ અંગત ઝુકાવ સ્પષ્ટ વર્તાય છે. પણ એ અંગેનો મારો ઉલ્લેખ આપના હૃદયને ઠેસ નહિ પહોંચાડે. બલકે આપને ગૌરવ મહેસૂસ કરાવશે. એ ૧૯૯૭ના બ્રિટનના મજૂર પક્ષ અને તેના નેતા ટોની બ્લેયર માટેનો સૉફ્ટ કૉર્નર. ખરું ને?

લેખકશ્રી, જ્યારે આપ લેબર પાર્ટી ને ટૉની બ્લેયર – ગોર્ડન બ્રાઉનની જોડી, તેમની દીર્ઘદૃષ્ટિ, બુદ્ધિમત્તા, છટાદાર વક્તૃત્વ વગેરેની વાત માંડો છો ત્યારે આપના વ્યક્તિત્વમાં રહેલું Briticism (the aggregate of such qualities regarded as characteristic of a British person, www.collinsdictionary.com) અભિવ્યક્તિ રૂપે એવું ઝળકી ઊઠે છે કે તરત ઉમાશંકરની પેલી પંક્તિ યાદ આવે …. ‘એ તે કેવો ગુજરાતી, જે હો કેવળ ગુજરાતી’. કેવળ ગુજરાતી નહિ રહીને અને કેન્યા કે બ્રિટન, જ્યાં પણ રહ્યા ત્યાં ગુજરાતીપણું જાળવતાની સાથે ત્યાંની સંસ્કૃતિમાં ભળી જનાર નાગરિક તરીકે આપ ઊભરી આવો છો. ‘સહસ્રાબ્દીના આરે નૂતન બ્રિટનનાં સોણલાં’ આપે પણ ઓછાં નથી જોયાં ને ‘એકવીસમી સદીના ઉંબરે નૂતન બ્રિટનની ઝંખના’ આપે પણ ઓછી નથી કરી. અને એની પાછળનું કારણ પણ સમજાય છે. બહુ લાગણીસભર છે. ચાલો, તમારા જ શબ્દોમાં … “રૂઢિચુસ્ત પક્ષ એટલે કે કન્ઝર્વેટિવ પાર્ટી અને મજૂર પક્ષ એટલે કે લેબર પાર્ટી બાળપણમાં સાંભળેલાં નામો. એટલીના મજૂર પક્ષ અને ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષ વિશે એક ધૂળિયા ગામમાં ૧૯૪૭માં ૧૦ વર્ષના છોકરાને રાજકારણનું શિક્ષણ એક પિતા આપી રહ્યા છે. પિતા વાચનનો ગજબનો રસ ધરાવે છે. અખબારોના તો એ અઠંગ વાચક છે. બાળપણમાં મળેલું આ શિક્ષણ પુત્રના મનમાં ઘર કરી બેઠું છે અને પછી તો યુવાકાળમાં મોમ્બાસા(કેન્યા)માં દૂર રહીને પણ આ પક્ષોની અને તેમના નેતાઓની કારકિર્દી-કામગીરીમાં એટલો જ રસ રહ્યો છે. પિતાની વિચારધારાને અનુમોદન મળતું રહ્યું. એ વિચારધારા દૃઢ બનતી ગઈ. રાજકારણમાં આટલો રસ લેનાર પુત્ર આજે ૧૯૯૭ની ચૂંટણીના ઢંઢેરાઓ બહાર પાડ્યાના ત્રણચાર દિવસો પછી ગ્રેટ બાર(બર્મિંગમ)ના ટેકરાળી પરામાં ૨,૦૦૦ ઘરોમાં મજૂર પક્ષના કાર્યકર્તાઓ સાથે સમાચારપત્રકો પહોંચાડવામાં ઘૂમતો થઈ ગયો છે.” (પૃ. ૫૨)

હા, ઉંમરના છઠ્ઠા દાયકે પહોંચી ગયેલા ને છોકરો મટી ખરા અર્થમાં વૃદ્ધિ પામ્યા છે એવા વૃદ્ધ બનવા તરફ પ્રયાણ કરી રહેલા એ પુત્રને ટોરી પક્ષનો સંપૂર્ણ રકાસ થાય એવું સ્વપ્ન જોવામાં બેશક આનંદ આવે છે, પણ એનું મૂળભૂત વલણ લોકશાહીનું છે. સુશાસન અને વિકાસનું છે. એટલે કહે છે, “વાચકને તટસ્થભાવે એક જ સૂચન : ગમે તે પક્ષ માટે તમારો પક્ષપાત હોય તો ય, એ માટે આ સમય છે. તમારી સૂઝબુજથી સક્રિય બનજો ને મતદાન કરજો.” (પૃ. ૫૩)

આ તો થઈ એક પુત્રની વાત. પણ આ જ પુત્ર ભવિષ્યમાં પિતા બને ત્યારે પોતે પણ સંતાનોનું ઘડતર કેવું કર્યું છે, જોઈએ …. પોતાના સંતાનમાં ‘કંઈક કલ્યાણકાર્ય, માનવસેવા કરવાની ધગશ અને ઇચ્છા’ રહ્યા કરતી હોય એ કોઈ પણ પિતાને ગમે, પણ એ માટેનું સ્થળ યુદ્ધભૂમિ હોય તો? પિતાની અને બે ભાઈઓની વીનવણી અને સમજાવટ પછી પણ દીકરી યુદ્ધભૂમિ પર જવા અડગ રહે ત્યારે?! ‘યુદ્ધગ્રસ્ત બોસ્નિયા, દીકરીની દૃષ્ટિ અને પિતાનું હૃદય’(પૃ. ૧૪૪-૧પ૦)માં આ ‘સંવેદનો, સ્પંદનો અને આંતરવ્યથા’ દિલ દહેલાવી નાંખે એ હદે વ્યક્ત થયાં છે. દીકરી દીપિકા બોસ્નિયા માટે વ્યવસાયી ભરતી કરતી કોઈ ઍજન્સીમાં કામ કરતાં કરતાં પોતાની જ એ યુદ્ધભૂમિમાં જવા માટે ભરતી કરી નાંખે છે. ત્યાં પહોંચી કામમાં ગજબનો ઉત્સાહ દાખવે છે, ‘અમેરિકી લશ્કરી તંત્ર પુષ્કળ સુવિધાઓ અને સહુલિયતો આપે છે. સુરક્ષામાં ક્યાં ય કચાશ નથી.’ ને છતાં જે ‘મનોવિગ્રહ અને અશાંતિ’માંથી દીકરી પસાર થાય છે ને પિતાને લખે છે કે ‘આવા યુદ્ધગ્રસ્ત જગતમાં બાળકની મા બનવાની ઇચ્છા થતી નથી’. … દીકરીના જ શબ્દોમાં, “Last week I drove through the zone of separation at Brocko, one of the worst hit towns in Bosnia. I was stunned at the sheer devastation and could not help but cry. … I saw children playing in the fields, innocent and happy not realising that they could be playing on the minefield. My heart just wanted together them up and take them away. This was the first time in my life that I considered not having children, certainly not in a world still at war with itself.” આ વાંચીને બાપના હૃદયે શું વીતી હશે!

આ જ દીકરી આગળ જતાં દુબઈમાં પતિ સાથે એક ચર્ચ સંસ્થામાં જોડાય છે. શિક્ષણ સંબંધિત કામમાં વ્યાવસાયિક સેવા આપે છે. પછી તો આપ પણ વૅકેશન ગાળવા દુબઈ જાવ છો. ૭૫ વર્ષે પણ કોઈ વ્યક્તિ નવા દેશને જોવા-જાણવા-સમજવા આટલી હદે જિજ્ઞાસુ હોય એનો દાખલો આપની ‘દુબઈ ડાયરી’(પૃ. ૨૭૨-૨૯૪)માંથી મળી રહે છે. પ્રવાસ દરમિયાન આપે જોયેલા આરબ દેશોના વિકાસ અને નવજાગૃતિની વાતોને સાંપ્રત તથ્યો અને આંકડાને આધારે માત્ર ન મૂકતાં છેક એનાં મૂળિયાં સુધી પહોંચી સુમેરિયન સંસ્કૃતિની વાત પણ લઈ આવો છો. હું તો એમાં જ ન્યાલ થઈ ગયો, વાચકો પણ થશે જ.

ઉત્તર આફ્રિકાના દેશો હોય કે દક્ષિણ એશિયાના દેશો, તેમની સાથેના ભારતના સંબંધોની વાત કરતી વખતે દેશના પહેલા વડા પ્રધાન નેહરુને આપે અવારનવાર યાદ કર્યાં છે ને અવતરણો ટાંક્યાં છે – ન માત્ર નેહરુનાં, જગતભરના વિદ્વાન લેખકો-સાહિત્યકારો-રાજનેતાઓનાં – તે આપના વાચનવિશ્વની વિશાળતા દર્શાવી જાય છે. આ અંગ્રેજી અવતરણોની માત્રા એટલી મોટી છે કે અડધાં ઉપરાંતનાં પાનાં વિશ્વભરનાં ખેરખાંનાં જ્ઞાન અને અનુભવવાણીથી દીપી રહ્યાં છે. એટલે સ્વાભાવિક જ મને લાગ્યું કે આ અવતરણોનો ગુજરાતી અનુવાદ કરીને મૂકું? એક તબક્કાનો અનુવાદ કર્યો ય ખરો. પણ જેવા આ અનુવાદોને તેનાં મૂળ અંગ્રેજી અવતરણોની સાથે મૂકીએ કે ઠેરઠેર આ મતલબનું વાંચવા મળે ‘એનાં મૂળ અંગ્રેજીમાં જ આ માણીએ’. બસ, પછી તો શું; બંદાએ ‘હથિયાર’ હેઠાં મૂકી દીધાં. જ્યાં મૂળમાં ગુજરાતી અનુવાદ આપ્યો છે ત્યાંથી કાઢવો નહીં ને જ્યાં નથી ત્યાં ધરાર આપીને મૂળ અંગ્રેજીમાં વાચકો એ માણે એવી આપની મંછાને હાનિ પહોંચાડવી નહિ. કેમ કે આખરે, એ આપની અભિવ્યક્તિની તરાહનો જ એક ભાગ બની રહે છે. પરામર્શક પણ આ જ મતના હતા, અથવા કહો કે આ બધી બાબતો સાબૂત હોવા છતાં એ નિર્ણયની પહેલ તો એમના થકી જ થઈ. અમારા આ નિર્ણયથી ગુજરાતીની જેમ જ ‘અંગ્રેજી ભાષા-સાહિત્ય-પત્રકારત્વ’ની પણ એક આખી કૅટેગરી જન્મી – એ આડલાભ.

વારુ, સિંગાપોરનો આપનો પ્રવાસ તો કોઈ પણ ગુજરાતીને, નાગરિક સમાજ કોને કહેવાય એ જાણવાની ભૂખ હોય તો એ સંતોષવાનું ભાથું પૂરું પાડે એવો બની રહ્યો છે. હિમાલયના પ્રવાસનો અંગ્રેજી અનુવાદ The Himalaya : A Cultural Pilgrimage (અનુવાદક – અશોક મેઘાણી, પ્રકાશક : કેન્દ્રિય સાહિત્ય અકાદમી, દિલ્હી, ૨૦૧૪) પ્રકાશિત થયા ટાંકણે એને આવકારતા દીપક મહેતાના વાયા ‘ગુજરાતમિત્ર’ ઓપિનિયન ઓનલાઇનમાં ઉદ્ધૃત થયેલા લેખમાં તેઓ કહે છે, “કાકાસાહેબે પુસ્તકના નામમાં ભલે ‘પ્રવાસ’ શબ્દનો ઉપયોગ કર્યો. હકીકતમાં એ ‘પ્રવાસ’ કરતાં વધુ તો ‘યાત્રા’ હતી. અનુવાદકે પુસ્તકના નામમાં ઉચિત રીતે જ ‘પિલ્ગ્રિમેજ’ શબ્દ પ્રયોજ્યો છે. પણ આ યાત્રા કેવળ ધાર્મિક ઉદ્દેશથી નથી થઈ. તેની પાછળ ભારતની સંસ્કૃતિને જાણવાની નેમ પણ હતી.” આરબ દેશો અને સિંગાપોરના આપના પ્રવાસ પણ જાણે એ દેશોની સંસ્કૃતિને જાણવા માટેની નેમ હોય એમ બની ઊભરી આવે છે.

પુસ્તક અંગે લખવા જેવું બીજું ય ઘણું છે, ‘વ્યક્તિ વિશે – પુસ્તક વિશે’નો વિભાગ તો એક અલગ જ પ્રકરણ માગી લે, પણ પહેલી મુલાકાત કે પહેલા પત્રમાં બહુ ન બોલાય-લખાય, એવું વડીલો પાસેથી જ શીખવા મળ્યું છે, એટલે આટલેથી અટકું … ને પત્રના પ્રારંભે તો સ્વાભાવિક જ, પણ હવે ચહીને જયન્ત પંડ્યાને સંભારું. આપની સાથેના એક સંવાદને યાદ કરતાં એમણે લખ્યું છે : “‘જીવન ફરીથી જીવવા મળે તો તમે શું કરો?’ એવા પ્રશ્નના જવાબમાં એમણે મને (એટલે કે આપે એમને) કહેલું. ‘ફરી જીવવાનો વારો આવે તો વિદ્યાના પરિવેશમાં જીવવાનું પસંદ કરું.’” આપનું આ પુસ્તક વાચકોને પણ વિદ્યાના પરિવેશમાં લઈ જશે એવી ખાતરી છે ને વ્યક્તિગત વાચકો ઉપરાંત શૈક્ષણિક-સાહિત્યિક ને સાંસ્કૃતિક સંસ્થાઓ માટે પણ પોતાની આર્કાઇવ્ઝનો હિસ્સો બની રહેશે એવો વિશ્વાસ છે.

બસ, વધુ તો શું કહું … વિદેશ વસતી ગુજરાતી પેઢી માટે પોતાના દાદા-પરદાદાની વાત અને ભારતીય ગુજરાતીઓ માટે વિદેશ વસતા ગુજરાતી સમાજની વાત-પહેલા જ પ્રકરણમાં પેટલીકર, બ.ક. ઠાકોર વગેરેને ટાંકીને કહેવાઈ છે એ ‘એક પ્રજા તરીકે ગુજરાતી’ બની રહેવાની વાત – લઈને આવતું આ પુસ્તક સૌ ગુજરાતીઓને ‘વિશ્વ ગુજરાતી’ બનવા માટેની યાત્રાનું એક ‘આગે કદમ’ બની રહે એવી આશા સાથે …

Email: ketanrupera@gmail.com

એક ગુજરાતી, દેશ અનેક : લેખક – ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રી, સંપાદક : કેતન રુપેરા, પરામર્શન : વિપુલ કલ્યાણી પ્રકાશન : 3S, Publication, પ્રાપ્તિસ્થાન : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ – અમદાવાદ – 380 009, પ્રથમ આવૃત્તિ, માર્ચ 2021 પાકું પૂઠું, સાઈઝ : 5.5” x 8.5”, પૃ. 352 (16+336), રૂ.500 • £ 15

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 08-10

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 08-10

Loading

સદ્‌ગત કિશન ગોરડિયા

બીરેન કોઠારી|Opinion - Opinion|15 April 2021

ચારેક દાયકા પર ચુનીકાકા થકી એમનો પરિચય થયો, અને યથાપ્રસંગ કિશનભાઈના વિચારઘોડા તેમ કાર્યવલણોની હણહણાટીને પગરવ (ને કંઈક કર્ણમંત્ર) એવો એ તાંતણો હમણાં લગણ વણતૂટ્યો ચાલ્યો. છેલ્લે, ઘણું કરીને ફેબ્રુઆરીમાં એમનો ફોન આવ્યો ત્યારે મુદ્દો એમણે વિચારેલ મરણોત્તર આયોજનનો હતો. વચલાં વરસોમાં એક તબકકે ‘નિરીક્ષક’ તંત્રી કને કોઈ નિયમિત આવકસ્રોત નથી એ લક્ષમાં આવતાં એમણે પ્રતિમાસ વ્યક્તિગત માનધનની વિચારણા કરી મને પૂછ્યું પણ હતું. મેં વિનયસર અસ્વીકાર કરી વળતું સૂચવ્યું હતું કે ઠીક લાગે તો અને અનુકૂળતા હોય ત્યારે ‘નિરીક્ષક’ની કિંચિત્‌ બાલાશ જાણશો તો જરૂર ગમશે. બીરેનભાઈએ એમની જીવની પર કામ કરેલું છે. એમની કલમે લખાયેલો આ નાનો શો અંજલિલેખ, વાચકોની સેવામાં.

— તંત્રી, “નિરીક્ષક”

મુંબઈના ’દોસ્તી બિલ્ડર્સ’ના સ્થાપક, ’સદ્‌ભાવના સંઘ’ના પ્રણેતા કિશનભાઈ ગોરડિયાએ ૬ એપ્રિલ, ૨૦૨૧ની વહેલી સવારે,  ૮૮ વર્ષની વયે વિદાય લીધી. તેમની જીવનસફર બહુ વિશિષ્ટ બની રહી હતી.

ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. માતાની તબિયત નરમગરમ રહ્યા કરતી હતી. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. કિશનભાઈને જાણ થઈ કે પિતાજીને માથે દેવું થઈ ગયેલું છે.

આ દેવું ચૂકતે થઈ શકે એ માટે કિશનભાઈએ મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.

એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સના ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો પરિચય ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્ય સાથે થતો ગયો અને તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક  સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.

એ જ રીતે કિશનભાઈએ સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ એવા સંજોગો ઊભા થતા રહ્યા કે તેમણે વ્યાવસાયિક બાબતોમાં ઊંડા ઉતરવું પડતું. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું. વડાલામાં રહેવા આવી શકાય એવું ત્યારે વિચારી શકાય એમ જ નહોતું, પણ કિશનભાઈએ હિંમત કરી. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ ‘દોસ્તી બિલ્ડર્સ’નું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ દસ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.

કિશનભાઈનું ખેંચાણ પહેલેથી સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. કટોકટી દરમિયાન અનેક કાર્યકર્તાઓને તે મદદ કરતા રહ્યા હતા. સર્વોદયને લગતી પ્રવૃત્તિઓમાં તે ઘણા સક્રિય રહેતા અને કાર્યકરોના હિતની સતત ખેવના કરતા રહેતા.

૨૦૦૬માં તેમણે ‘સદ્‌ભાવના સંઘ’ની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું.  ‘સદ્‌ભાવના’નો અર્થ કેવળ કોમી સદ્‌ભાવનાને બદલે તેમણે ઘણો વ્યાપક રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. ‘સદ્‌ભાવના સંઘ’ના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. પોતાની સંપત્તિ તે સમાજને અર્પણ કરવા ઇચ્છતા હતા અને એ અંગે વિવિધ લોકો સાથે તે અવારનવાર ચર્ચા કરતા. પોતાનો પૂર્ણ સમય તે ‘સદ્‌ભાવના સંઘ’માં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારીરિક વિપરીતતા હોવા છતાં તે ‘સદ્‌ભાવના સંઘ’માં લગભગ નિયમિત આવતા.

છેલ્લાં ચારેક વર્ષથી તેમની જીવનકથાના આલેખન માટે મારે તેમની સાથે ગાઢ સંપર્કમાં રહેવાનું બનેલું. ૨૦૧૬માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે માન્યા. એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ મારા ધ્યાનમાં આવી, જે સાચી હોવાની પ્રતીતિ દરેક મુલાકાત વખતે થતી રહી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતાં કે પોતાની જાતનું પણ એ તદ્દન નિષ્ઠુરપણે વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. કોઈ સવાલનો જવાબ વિસ્તારથી આપતાં તે ફંટાઈ જાય તો તેમને ખ્યાલ આવી જતો અને પછી જાતે જ કહેતા, ’હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?’

અમારી કાર્યપદ્ધતિ એવી ગોઠવાયેલી કે અગાઉથી મુલાકાત નક્કી કરીને હું મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમની સાથેની વાતચીતનો કાર્યક્રમ વડાલાના ’સદ્‌ભાવના સંઘ’ ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી સાંજે વડાલાથી તે મને તેમના વાહનમાં લઈને નીકળતા અને સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અમારી વચ્ચે અનેક પ્રકારની નિખાલસ વાતચીત થતી. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.

તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબહેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર ઉપસ્થિત હતાં. એ બેઠકમાં અમે જરૂરી સુધારાવધારા  કરતા ગયા. એક યા બીજાં કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો, છતાં અમારો ટેલિફોનિક સંપર્ક ચાલુ હતો.

વચ્ચે તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને સ્વસ્થતાપૂર્વક પૂછેલું કે પોતાની પાસે કેટલો સમય રહ્યો છે. અમારી વાતચીતમાં તેમણે એક વાર જણાવેલું કે પોતે દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને એ પછી રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરી શકે?

ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર અમારી વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડિંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’

તેમની જીવનકથાનું શીર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વળતી મુસાફરી દરમિયાન એ કહે, ’આજે ‘ભોમિયા વિના ભમવા’તા મારે ડુંગરા’ કવિતા મેં વાંચી. મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.’ મેં સૂચવ્યું, ’તો આપણે એની પરથી જ શીર્ષક વિચારીએ ને!’ એ રીતે અમે ’ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા’ શીર્ષક નક્કી કરેલું. અલબત્ત, આ જીવનકથાનું પ્રકાશન ઠેલાતું રહ્યું હતું.

૨૨ માર્ચે કિશનભાઈને કોવિડ-૧૯ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઉપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારીરિક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે ૬ એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો.

તેમનાં પત્ની રસિકાબહેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબહેન, પુત્રી સાધનાબહેન, જમાઈ નૈમિષભાઈ અને તેમનાં સંતાનો – એમ સમસ્ત ગોરડિયા પરિવાર કે ‘સદ્‌ભાવના સંઘ’નાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર – શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાશે.

E-mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 11-12

Loading

સદ્‌ગત અરવિંદ દેસાઈ

ઉત્તમ પરમાર|Opinion - Opinion|15 April 2021

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..!

અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ સાચા અર્થમાં એવો સમાજસાધના કરનારાને પારકી છઠ્ઠીના જાગતલ જીવન સાધક હતા.

મહાજનીય પરંપરાના, જમણેરી, મૂડીવાદ, મધ્યમ વર્ગીય માનસિકતાવાળા ગુજરાતમાં જો તમે જમીનદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓની અમાનવીય શોષણ મુલક જીવનશૈલીને પુરસ્કૃત કરો અથવા ચલાવી લ્યો તો એ સ્થાપિત વર્ગો તમને દાતા પોતાની સંસ્કૃતિ મુજબ અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ તમારી પાસે કરાવીને તમને મહાન લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરીને તમારું દેવતુલ્ય બહુમાન કરી આપે.

પરંતુ જો તમે એ જ જમીનદાર, જાગીરદાર, ઉદ્યોગપતિ, વેપારીને ત્યાં કામ કરતા “શ્રમદેવતાના” શ્રમના આર્થિક સામાજિક મૂલ્ય માટે કે એ શ્રમિકના શ્રમના લઘુતમ વેતન ધારા માટે કે તેના કામના સમય માટે ન્યાયની અપેક્ષા રાખો કે ન્યાય માટે લડત આપો તો આ સ્થાપિત વર્ગો તમને આતંકવાદી, નકસલવાદી કે વર્ગવિગ્રહના પિતા તરીકેનું બહુમાન કરીને તમારું ચારિત્ર્યહનન સાતત્યપૂર્વક કરતા રહે છે. અરે તમારા પર શારીરિક હુમલાઓ કરી કરાવીને હત્યા કરવા સુધીના આયોજન કરતાં હોય છે.

મહાત્મા ગાંધીએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ અને ભારતીય આઝાદીનું જનવાદીકરણ કરીને પ્રત્યેક વ્યક્તિના સમાન હક અને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી માટેનું જન આંદોલન શરૂ કર્યું ત્યારે તેમના એ વિચારની અરવિંદભાઈ દેસાઈ અને તેમના પિતાજી છોટુભાઈ દેસાઈ પર એવી અસર પડી કે આ બંને માથાફરેલ બાપ દીકરાઓ અનાવલા મટીને હળપતિ સમાજના પારકી છઠ્ઠીના જાગતલ એવા ‘છોટુ દુબળી’ અને ‘અરવિંદ દુબળી’ બની ગયા.

આજે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજમાં જેટલું પણ આર્થિક-સામાજિક સશક્તિકરણ થયું છે તેનું શ્રેય છોટુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈની ત્રિપુટીને જાય છે.

જુગતરામ દવે કહેતા હતા કે મારું વેડછી આંદોલન સફળ રહ્યું છે તેનું સૌથી મોટું શ્રેય ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગથી લઈને ડેડિયાપાડા સુધી જે હળપતિ આદિવાસીઓ માટેની આશ્રમશાળાઓની શૃંખલા રચાઈ છે તેનું મહત્તમ શ્રેય અરવિંદભાઈ દેસાઈને જાય છે.

પોતાના જ સ્થાપિત વર્ગના મિત્રો સાથે સહજીવન જીવતા જીવતા હળપતિ સમાજને સામાજ્કિ ન્યાય અપાવવા માટે પોતાના જ મિત્રો દ્વારા અરવિંદ ભાઈને નિ:વસ્ત્ર કરીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો છતાં તેની જરા પણ કટુતા ધારણ કર્યા વગર અરવિંદભાઈએ પોતાના મિત્રો સાથે મિત્રતા જાળવીને હળપતિઓને સામાજિક ન્યાય અપાવ્યો છે.

અરવિંદભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના ઉદ્દેશવાળી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લઈને મહાત્મા ગાંધાની કલ્પનાનાં શિક્ષિત બનીને મહાત્મા ગાંધીની કલ્પના મુજબ જ સમાજના સશક્તિકરણ માટે સમર્પિત થઈ ગયા હતા.

આવા હળપતિ સમાજના કલ્યાણ મિત્ર અને રામ મનોહર લોહિયા જેને ‘કજાત ગાંધીવાદી’ કહે છે તેવા મહાત્મા ગાંધીને પ્રિય એવા અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ આપણને અલવિદા કરી ગયા છે.

ચાલો, આપણે સૌ કહેવાતા સંત અને કહેવાતા ભગવાનને રવાડે ચઢવાનું પડતું મૂકીએ અને સાચા અર્થમાં હૃદયપૂર્વક જેના ભાગ્યમાં સામાજિક અને રાજકીય આઝાદીના ફળો નથી આવ્યા તેમની પડખે ઊભા રહીને તેમનું આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ કરવામાં આપણી જાતને સમર્પિત કરીએ, … આ જ અરવિંદ ભાઈને સાચી શ્રધ્દ્ધાંજલિ.

E-mail : kimeducationsociety@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 12

Loading

...102030...1,9701,9711,9721,973...1,9801,9902,000...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved