Opinion Magazine
Number of visits: 9680557
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતના દર દસમાંથી સાત બાળકો મજૂરી કરે છે !

ચંદુ મહેરિયા|Opinion - Opinion|22 April 2021

‘યુનિસેફ’નું અનુમાન છે કે કોરોના મહામારીને કારણે લોકોની આવક ઘટતાં અને બેરોજગારી વધતાં બાળમજૂરીમાં પણ વૃદ્ધિ થઈ છે. એક સર્વેના તારણ અનુસાર કોરોનાને કારણે શાળાઓ બંધ હોવાથી બાળશ્રમનું પ્રમાણ ૧૦૫ ટકા વધ્યું છે. છોકરીઓમાં ૧૧૩ ટકા અને છોકરાઓમાં ૫૪ ટકા બાળમજૂરી વધી છે. ૨૦૧૨ થી ૨૦૧૬માં દુનિયામાં બાળમજૂરી એક ટકો ઘટી હતી. પરંતુ કોરોનાની આર્થિક પછડાટ પછી બાળમજૂરીમાં મોટો વધારો થઈ રહ્યો છે. ‘ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઈઝેશન’ના મતે વિશ્વમાં આજે પાંચથી ૧૭ વરસના ૧૫૨ કરોડ બાળમજૂરો છે તે સાત વરસ પછી પણ ૧૨૧ કરોડ તો હશે જ. ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પરંતુ સરકારી આંકડાને નહીં સ્વીકારતા સ્વતંત્ર અભ્યાસો ૪ કરોડ અને શાળા બહાર રહેલાં તમામ બાળકોને બાળમજૂર ગણીને ૧૦ કરોડ બાળકો ભારતમાં બાળમજૂરો તરીકે કામ કરતાં હોવાનો અંદાજ આપે છે.

કાયદા દ્વારા નિર્ધારીત વય કરતાં ઓછી ઉંમરે કામ કરતાં બાળકો એટલે બાળમજૂરો. સંયુક્ત રાષ્ટ્ર સંઘે કામ કરવાની ઉંમર ૧૮ વરસ અને વિશ્વ કામદાર સંગઠને ૧૫ વરસ ઠરાવી છે. ભારતમાં કાયદા દ્વારા કામ કરવાની ઉંમર ૧૪ વરસ નિર્ધારિત કરી હોઈ, ચૌદ વરસ કરતાં નાની ઉંમરના બાળકોને બાળમજૂર ગણવામાં આવે છે. બાળમજૂરી દેશની શરમજનક વરવી વાસ્તવિકતા છે. શાળાએ જવાની ઉંમરે આ દેશના આવતી કાલના નાગરિકોને પેટનો ખાડો પૂરવા મજૂરી કરવી પડે છે. ખેતરો, કારખાનાં, મિલો, હોટલો, દુકાનો અને ઘરોમાં બાળકો કાળી મજૂરી કરે છે. કચરો અને કાગળો વીણે છે, જાહેર સ્થળોએ બૂટપોલીશ કરે છે, ઢોર ચરાવે છે, તો ભીખ પણ માગે છે. પ્રતિબંધિત ખતરનાક વ્યવસાયો, દારૂખાનાંની ફેકટરીઓ, કાચ અને બંગડી ઉદ્યોગ, ચાના બગીચા, ગાલીચા અને તાળા બનાવવાનું કામ, સાડી પર જરી કામ, ઈંટોના ભઠ્ઠા, પાવરલૂમ્સ, સ્લેટ-પેન, બીડી અને હીરા-ઉદ્યોગ તથા નગરો-મહાનગરોના વેશ્યાગૃહોથી માંડીને ઘરનોકર તરીકે આ દેશનું બચપણ કમરતોડ મજૂરીમાં પીસાઈ-પીડાઈ રહ્યું છે.

ભારતમાં ૧૪ વરસ સુધીની ઉંમરના બાળકોની વસ્તી અમેરિકાની વસ્તી જેટલી છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ પાંચથી ૧૪ વરસના બાળકો દેશમાં ૨૫.૯૬ કરોડ છે. તેમાંથી ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પાંચથી ૯ વરસના ૨૫.૩૩ લાખ બાળકો ત્રણથી ૧૨ માસ મજૂરી કરે છે. દેશના પાંચ મોટા રાજ્યો ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં દેશના કુલ બાળમજૂરોના ૫૫ ટકા બાળમજૂરો છે. દેશની કુલ શ્રમશક્તિમાં બાળમજૂરોનો હિસ્સો ૩.૬ ટકા અને દેશની જી.એન.પી.માં તેમનો હિસ્સો ૨૦ ટકા છે. દેશના દર દસમાંથી સાત બાળકો મજૂરી કરે છે. તે પૈકી ૮૫ ટકા ખેતી, ખેતમજૂરી અને પશુપાલનમાં, ૯ ટકા ઉત્પાદન-સેવા અને બાંધકામમાં જ્યારે ૦.૮ ટકા કારખાનામાં કામ કરે છે. જો કે આ સરકારી આંકડા બાળમજૂરી નાબૂદી માટે કામ કરતી સંસ્થાઓ – સંગઠનો સ્વીકારતાં અંથી. અને ખરેખર આનાં કરતાં ઘણાં વધારે બાળકો મજૂરી કરતાં હોવાનું જણાવે છે.

ઔદ્યોગિક વિકાસની સાથે જ દુનિયામાં બાળમજૂરીનો ઉદ્દભવ થયાનું મનાય છે. ભારતમાં ગરીબી અને બેકારીને કારણે બાળમજૂરી પ્રવર્તે છે. અંગ્રેજ શાસનકાળમાં રોયલ કમિશને બાળમજૂરી નાબૂદી અંગે સૌ પ્રથમ વિચારણા હાથ ધરી હતી. આઝાદી બાદ ઘડાયેલા ભારતના બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણના અનુચ્છેદ ૨૩ અને ૨૪માં બાળમજૂરી નાબૂદીની જોગવાઈ છે. અનુચ્છેદ ૨૪માં, ’૧૪ વરસથી નીચેની ઉંમરના બાળકોને કારખાનાં, ખાણો અને ખતરનાક વ્યવસાયમાં મજૂરીએ રાખી શકાશે નહીં’, તેવી સ્પષ્ટ જોગવાઈ છે.

બંધારણના માર્ગદર્શક સિદ્ધાન્તોના અનુચ્છેદ ૩૯(ચ)માં ’બાળકોના સ્વતંત્ર અને ગરિમામય  સમાન વિકાસ અને શોષણ નાબૂદી’ની જોગવાઈ છે. અનુચ્છેદ ૧૫માં બાળકો અને સ્ત્રીઓના અધિકારોની રક્ષા અંગે યોગ્ય કાયદા બનાવવા રાજ્યોને સત્તા અપવામાં આવી છે. તે મુજબ આઝાદી પૂર્વે અને પછી, ૧૯૮૬ના બાળમજૂરી નાબૂદીના કેન્દ્રીય કાયદા સાથે, ૧૨ જેટલા કાયદાઓ દ્વારા, બાળકલ્યાણ માટેની અને બાળમજૂરી પર પ્રતિબંધ મૂકતી કાનૂની જોગવાઈઓ કરવામાં આવી છે. પરંતુ ૨૦૧૬માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એન.ડી.એ. સરકારે પારોઠનું પગલું ભરતાં ‘બાળશ્રમ નિષેધ અને નિયમન સંશોધન વિધેયક’ પસાર કર્યું હતું. આ કાયદાથી દેશમાં પ્રવર્તતી ઘણીખરી બાળમજૂરીને કાયદેસર કરવામાં આવી હતી. વિધેયકનો ઉદ્દેશ તો ૧૪ વરસ સુધીના બાળકોને કુટુંબના વ્યવસાયમાં અને ફિલ્મ_ટેલિવિઝન કાર્યક્રમોમાં કામ કરવાની છૂટ આપવાનો જણાવાયો હતો. પણ વાસ્તવમાં તે બાળમજૂરીના નિક્રુષ્ટતમ રૂપોને અને સરવાળે બાળમજૂરીને કાયદેસર બનાવતું હતું.

૧૯૮૬ના બાળમજૂરી નિષેધ કાયદામાં બાળકોના આરોગ્ય અને સુરક્ષાની દ્રષ્ટિએ ખતરનાક ગણાતા જે ૮૩ વ્યવસાયો હતા તે ૨૦૧૬ના કાયદામાં ઘટાડીને ૩ જ કરી દેવાયા હતા. તેને કારણે પણ આ કાયદાનો ભારે વિરોધ થયો હતો. એટલે સરકારને કેટલીક જોગવાઈઓ નિયમો ઘડતી વખતે પડતી મૂકવી પડી હતી. આ કાયદો પારિવારીક ધંધા રોજગારમાં બાળકોને કામ કરવાની મંજૂરી આપે છે. બાળકોનો મોટો વર્ગ ખેતીના પારિવારીક કામમાં રોકાયેલો રહે છે. શાળા સમય સિવાય બાળકોને ત્રણ કલાક કામ કરવાની છૂટ આપતો આ કાયદો બાળકોના શિક્ષણ પર ભારે અસર કરે છે. વળી આ કાયદો દલિતોનાં બાળકો તેમના જાતિગત વ્યવસાયોમાં જોતરાયેલા રહે તેને પણ જાણે કે મંજૂર રાખે છે. પરિવાર દ્વારા કરાવાતી મજૂરીમાં બાળકોની સામેલગીરી અને શાળા સમય બાદની બાળમજૂરીને આ કાયદો યોગ્ય ઠેરવે છે.

બાળમજૂરીના નામે બાળકોનું કેવું નઘરોળ શોષણ થાય છે તે સર્વવિદિત છે. બાળકો પાસે દસથી બાર કલાક વૈતરું કરાવવામાં આવે છે. તેમને એક જ ઓરડામાં સમૂહમાં રાખવામાં આવે છે. પૂરતું ખાવાનું મળતું નથી, નશીલી ચીજોના સેવનની આદતો પડાય છે. રોટલાના ટુકડા માટે જીવતાં આ બાળકોની હાલત અંગે જસ્ટિસ પી.એન ભગવતીએ તેમના એક ચુકાદામાં જણાવ્યું હતું તેમ, બાળમજૂરો અમાનવીય સ્થિતિમાં જીવે છે, આપણી સભ્યતાથી બહિષ્કૃત છે. જાનવરોથી બદતર જિંદગી જીવતાં  આ બાળકો બંધનોમાં જકડાયેલાં છે અને તેમની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે.

કુટુંબની ઉંમરલાયક વ્યક્તિને મજૂરી ન મળતાં કે અપૂરતી મળતાં તેઓને બાળકોને મજૂરી કરાવવી પડે છે. એટલે જો બાળમજૂરી નાબૂદ કરવી હશે તો એકલા જાગૃતિ કાર્યક્રમોથી નહીં ચાલે. બાળમજૂરોના જે ૨૦ કરોડ માબાપોને માત્ર પેટ ભરવા પૂરતી મજૂરી જ નહીં જીવનયોગ્ય મજૂરી મળવી આવશ્યક છે. ગરીબી અને બેરોજગારી ઘટે તે દિશામાં પૂરતા વેતનવાળી રોજગારીના સર્જનના પ્રયત્નો કરવા પડશે.

બાળમજૂરીની સમસ્યાનો એક ઉકેલ શિક્ષણ છે. જે બાળક શાળામાં નથી, તે મજૂરી કરે છે તે સાદું સત્ય છે. પણ બાળકને મજૂરીએથી શાળાએ લાવવું હશે તો તેના માટે રોજગારી આપતા ગુણવત્તાયુક્ત વ્યવસાયલક્ષી શિક્ષણનો પ્રબંધ કરવો પડશે. બાળકોની કમાણીથી ઘર-કુટુંબની આવકપૂર્તિ થતી હોય ત્યારે બાળકને શિક્ષણ સાથે થોડી આર્થિક રાહત આપવી જોઈએ. આ બધાનો ઉકેલ બાળકને પારિવારીક વ્યવસાયમાં ધકેલવાનો નથી. પ્રાથમિક શિક્ષણનો અધિકાર મહત્ત્વનો છે, પણ બાળમજૂરી કે શિક્ષણના અધિકાર માટેની ૧૪ વરસની ઉંમર યોગ્ય નથી. જો મતદાનની ઉંમર ૧૮ વરસની હોય તો કમાવાની ઉમર ૧૪ વરસની કેમ ?

જે દેશમાં બાળગોપાલની ભક્તિભાવે પૂજા થતી હોય, દરવરસે રામ અને કૃષ્ણના જન્મોત્સવો ધૂમધામથી મનાવાતા હોય, તે દેશમાં બાળકો ખેલવા-કૂદવાની કે ભણવા-ભમવાની ઉંમરે મજૂરી કરે તે સ્થિતિ બંધ થવી જોઈએ. દેશની ઉજળી આવતીકાલ માટે વસુંધરાના આ વહાલાંદવલાંને ખોળે લેવાની અને મૂરઝાતાં ફૂલોને નવપલ્લવિત કરવાની જરૂરિયાત છે. જ્યારે દેશમાં પ્રતિવરસ ૨.૨ ટકાના દરે જ બાળમજૂરી ઘટતી હોય અને કોરોનાકાળમાં વધી હોય ત્યારે વર્તમાન બાળમજૂરીને ખતમ થતાં એકાદ સદી નીકળી જવાની શક્યતા છે. સરકારે પણ બાળમજૂરીને કાયદેસર કરવાના કીમિયો અજમાવવાને બદલે રોજગાર સર્જન અને સર્વને માટે શિક્ષણની રાજકીય ઈચ્છાશક્તિ દર્શાવવી પડશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

‘1232 કિલોમીટર’ : પ્રવાસી મજૂરવર્ગની સ્થળાંતરની દાસ્તાન!

કિરણ કાપુરે|Opinion - Opinion|22 April 2021

આપણી કમનસીબી છે કે બદહાલીને કાયમ માટે ભૂલાવી દેવાનું બનતું નથી; એક નહીં તો બીજી રીતે તે સામે આવે છે. ગત્ વર્ષે લોકડાઉનમાં લાખોની સંખ્યામાં પગપાળા નીકળેલાં મજૂરવર્ગની બદહાલી કાયમ માટે આપણા માનસપટલ પર અંકિત થઈ ચૂકી છે. મહિનાઓ સુધી મજૂરવર્ગ માર્ગો પર રઝળતાં પોતાના વતન જવા મજબૂર થયાં અને હવે જાણે ફરી તે થવા જઈ રહ્યું છે. અનુભવ છતાં ય તે રઝળપાટ આજે અટકાવી શકાતી નથી. આમ આદમીની બદહાલીનું વિષચક્ર આમ ફરતું જ રહે છે. લોકડાઉન દરમિયાન થયેલાં સ્થળાંતર વિષચક્રનું ડોક્યુમેન્ટરી ફિલ્મના માધ્યમથી પૂર્ણ ચિત્ર બતાવવાનું કાર્ય હાલમાં થયું છે. ફિલ્મનું નામ છે : “1232 કિલોમીટર.” સ્થળાંતરીત મજૂરોની વ્યથા-કથા અખબારો અને ન્યૂઝ ચેનલના ફૂટેજમાં તો દર્જ થઈ હતી, પરંતુ ફિલ્મકાર વિનોદ કાપડીએ દિલ્હીથી બિહારના સહરસા જતાં સાત મજૂરોની કથા કહીને સ્થળાંતરની પીડા રજૂ કરી છે.

ફિલ્મકાર વિનોદ કાપડીને સ્થળાંતરની આ પીડાદાયક સફરને વીડિયો દ્વારા કેદ કરવાનું સૂઝ્યું તે તેમના સખાવતના સ્વભાવના કારણે. પોતે પત્રકાર રહી ચૂક્યા છે એટલે આ વિષયને તેઓ તત્કાલ સ્પોટ કરી શક્યા. જો કે જે સાત મજૂરોની કહાની તેમણે વીડિયોમાં કેદ કરી છે તેમાં તેમનો એક માત્ર ઉદ્દેશ મદદનો હતો. ફિલ્મનો આ સિલસિલો આગળ વધ્યો કેવી રીતે તેની પાછળ પણ રસપ્રદ વાર્તા છે. ગત્ વર્ષે લોકડાઉન લાગ્યા બાદ વિનોદ ટ્વિટર પર એક પોસ્ટ જોઈ; જેમાં ચાળીસેક મજૂરોનું એક ગ્રૂપ ગાઝિયાબાદ નજીક પૈસા વિના ભૂખના માર્યા ટળવળી રહ્યું હતું. પહેલાં તો તેમના માટે વિનોદે મદદ મોકલી. મદદ મોકલ્યાના ચાર-પાંચ દિવસ વીત્યા બાદ ફરી ખાવાનું ખૂટી ગયું છે, તેવો વિનોદ પર ફોન આવ્યો. સાથે મજૂરોના આ ગ્રૂપે વિનોદને વારંવાર મુશ્કેલીઓ કહેવાનો સંકોચ પણ જાહેર કર્યો હતો. અને એવું પણ કહ્યું કે અમને કામ આપો અથવા તો અમારા વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી આપો. વિનોદે કહ્યું કે આ બંને વિકલ્પ અત્યારે અશક્ય છે. વિનોદ થોડી થોડી મદદ પહોંચાડી તેમને સાંત્વના આપી.

વિનોદનો સંવાદ તેમની સાથે સતત જારી હતો. એક પછી એક મદદ મળવાની બંધ થઈ અને જ્યારે આ ગ્રૂપે એવું અનુભવ્યું કે તેઓ ફસાઈ ગયા છે ત્યારે તેમણે બિહારમાં આવેલાં પોતાના વતન સહરસામાં જવાનો નિર્ધાર કર્યો. લોકડાઉનનો શરૂઆતનો સમય હતો. રેલ માર્ગથી માંડીને વાહનમાર્ગ બંધ હતો. ઘણાં પાસે વાહનથી જવાનાં પૈસા પણ નહોતા. આ સ્થિતિમાં પગપાળા કે સાઇકલ પર વતન પાછા ફરવાનો માર્ગ જ બચ્યો હતો. પરંતુ વિનોદે જ્યારે તેઓ સહરસા સાઇકલ પર જવાનું વિચારી રહ્યા છે તે વાત સાંભળી ત્યારે તે ડઘાઈ ગયા. આ રીતે જવાના જોખમો પણ કહ્યાં. સામે જવાબ મળ્યો કે, અહીં બેઠા બેઠા મરી જવું કરતાં માર્ગમાં મરવું સારું! બે-ત્રણ દિવસ જ્યારે આ વાતચીત ચાલી ત્યારે તેમાંથી સાત મજૂરોનું એક ગ્રૂપ તો ઓલરેડી બિહાર જવા નીકળી ચૂક્યું હતું. વિનોદે ત્યારે ગાઝિયાબાદથી સહરસાનું અંતર જોયું. હવે તેમને અટકાવવાની વાત તો શક્ય નહોતી. પરંતુ પોતાના અસ્તિત્વ ટકાવવા અર્થે જે પડકાર મજૂરોએ ઝીલ્યો હતો તેને કેદ તો કરી શકાય ને, આ વિચાર વિનોદને આવ્યો. બસ પછી વતન પહોંચવાની પૂરી પીડા અને તેમાં થયેલાં સુખદ અનુભવ વીડિયોમાં સંગ્રહિત થતાં ગયાં. પોતાના સિવાય એક માત્ર આસિસ્ટન્ટ સાથે આ પૂરી સફર ડોક્યુમેન્ટેટ થઈ છે.

લોકડાઉન દરમિયાન વતન પહોંચવાની હાલાકી બયાન કરવા અંગેનો વિનોદનો વિચાર અહીં અમલમાં મૂકાયો, પરંતુ જ્યારથી લોકડાઉન લાગ્યું અને તેની જે સતત ખબરો આવી રહી હતી, તેને લઈને વિનોદ સતત ફોલો-અપ લેતા હતા. આપણી સૌની જેમ તેમણે પણ એવી અનેક કહાનીઓ સાંભળી; જેમાં મજૂરો પાંચસો, સાતસો અને હજાર-હજાર કિલોમીટરની સફર કાપી રહ્યાં હતાં. તેમાંથી અનેક પગપાળા જઈ રહ્યાં છે. ત્યારે તેમને પ્રશ્નો થવા લાગ્યા; આ લોકો જઈ તો રહ્યાં છે પરંતુ શું તેઓ ઘરે પહોંચે છે? ઘરે પહોંચે છે તો કેવી રીતે? તેમને રસ્તામાં શું મુશ્કેલીઓ આવી રહી છે? તેમને ક્યાં ય ખાવાનું મળે છે? સૂવા મળે છે? તેમની સાઇકલ જો ખરાબ થઈ જાય તો તેઓ શું કરે છે? કોઈ બીમાર પડે તો તેઓ શું કરે છે? … આવાં અનેક પ્રશ્નો વિનોદને થયા. અને તેનો જવાબ ખોળવા માટે તેઓએ પ્રયાસ કર્યા. તેના ભાગરૂપે એક માતા તેનાં ત્રણ બાળકો સાથે પાંચસો કિલોમીટર દૂર કાનપુર જતાં હતાં ત્યારે વિનોદ તેમની સાથે અઢીસો કિલોમીટર સુધી ગયા પણ ખરાં. પરંતુ અડધે રસ્તે આવ્યા બાદ તેમની સાથે સંપર્ક ન રહ્યો. આ પછી પણ તેમણે સ્થળાંતરીતો સાથે સફર કરવાનો બે પ્રયાસ કર્યા. જો કે આ ત્રણેય વખત ફિલ્મનો ઉદ્દેશ પૂર્ણ ન થયો, જે ગાઝિયાબાદથી સહરસાના કિસ્સામાં થયો.

આ ફિલ્માંકન કરતી વેળાએ વિનોદ તેના પડકારથી સારી રીતે પરિચિત હતા. પડકાર સંસાધનોનો કે સગવડ નહોતો. બલકે સામાન્ય રીતે જ્યારે આ રીતે કોઈ અન્યની પીડાને ડોક્યુમેન્ટેન્ટ કરવાની થાય ત્યારે તેમાં ‘ગીધ’ જેવી માનસિકતાથી બચવાનો હતો. મતલક કે કોઈના જીવનની કરુણતા દર્શાવીને નફો કમાવવાના વિચારથી. પોતે આવું કશું ન કરી બેસે તેને લઈને વિનોદ સતત સજાગ હતા. તે જાણતા હતા કે આ સફરમાં સંવેદનશીલતા જળવાવી જોઈએ. એક તરફ પોતાનું કામ થાય અને બીજી તરફ માનવીય અભિગમ જળવાય.

આમ બધી જ રીતે પોતાની જાતને કેળવીને જ્યારે વિનોદ અને તેના આસિસ્ટન્ટ વેગનાર કાર દ્વારા ગાઝિયાબાદથી સહરસા નીકળેલા મજૂરોની સફરને વીડિયોમાં કેદ કરવા નીકળ્યા તો તે તેમણે કેટલાંક નિયમો પણ બનાવ્યા હતા. આ નિયમોનો ઉદ્દેશ એક જ હતો કે સાઇકલ પર જઈ રહેલા મજૂરોને ક્યાં ય અજૂગતું ન લાગવું જોઈએ. એક નિયમ તો એ હતો કે એક કલાકમાં તેમની સાથે દસ કે પંદર મિનિટ જ ગાળવી. અંતર રાખીને જ શૂટ કરવાનો નિયમ પણ બનાવ્યો હતો. ઉપરાંત શૂટિંગ કરતી વખતે વિનોદ તરફથી કોઈ સૂચન સ્થળાંતરીત કરી રહેલાં મજૂરોને કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે ડિરેક્ટર પીડા ભૂલીને પણ સૂચન કરતાં હોય છે.

માર્ગમાં મજૂરોની સાથે જતી વેળાએ વિનોદનું તેમની સાથે એક અનુબંધ પણ બંધાયું. આ સફર દરમિયાન ઘણી વખત એવી સ્થિતિ આવી જ્યારે આ સાતમાંથી કોઈને કોઈને કારમાં જગ્યા આપી હોય. વિનોદનું કહેવું છે કે તેઓ જે કાર લઈને નીકળ્યા હતા તેમાં બધાને બેસાડવા તો શક્ય નહોતું અને જ્યાં જ્યાં તેઓ અટવાઈ પડતાં ત્યાં અમે મદદ માટે તૈયાર રહેતાં. વિનોદ અને ક્રૂ મેમ્બર્સ માટે પ્રાથમિકતા મજૂરોની મદદ હતી, નહી કે ફિલ્માંકન. આ અનુભવ પીડાદાયક તો હતો જ, પણ તેમાં અનેક સારી બાબત પણ બની. જેમ કે એક દુકાનદારે આ રીતે સ્થળાંતર કરી રહેલાં મજૂરો માટે સમોસા બનાવી આપ્યા. એક યુથ હોસ્ટલના વિદ્યાર્થીઓ મજૂરો રાતવાસો કરી શકે તે માટે પોતાનો રૂમ આપ્યો. શરૂઆતમાં મુશ્કેલી આવી, પણ પછી અનેક લોકોએ મદદ માટે હાથ આગળ કર્યાં.

વિનોદની આ ફિલ્મ હોટસ્ટાર પર રીલિઝ થઈ ચૂકી છે અને તેમાંથી તેઓ ઘણી કમાણી પણ કરી શકશે. આ ફિલ્મનું મ્યૂઝિક વિશાલ ભારદ્વાજે આપ્યું છે અને તેનાં ગીત ગુલઝારે લખ્યાં છે. સ્વાભાવિક છે જ્યારે આ ફિલ્મ કમાણી કરવાની છે તો તેમાં જે રિઅલ નાયક છે તેમને શું મળશે? આ પ્રશ્ન જ્યારે તેમને ‘ધિ ક્વિન્ટ’ ન્યૂઝપોર્ટલના પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યો ત્યારે વિનોદનો જવાબ હતો : હવે આ લોકો મારા માટે પરિવાર છે અને ફિલ્મમાંથી જે કમાણી થશે તેનો એક મોટો હિસ્સો આ મજૂરોને જશે. આરંભનું પેમેન્ટ તો વિનોદ દ્વારા તેમને થઈ પણ ચૂક્યું છે. વિનોદનું આ વિષયનું એક પુસ્તક પણ આવી રહ્યું છે તેની પણ આવકનો હિસ્સો મજૂરોને જશે. મજૂરોની વાસ્તવિકતા દર્શાવીને તે જ મજૂરોને લાભ કરાવી આપવાનો આનાથી મોટો સોદો કયો હોઈ શકે?

e.mail : kirankapure@gmail.com

Loading

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ તેમ જ ‘જય જગત’

ચિરાગ ઠક્કર|Diaspora - Features|22 April 2021

પ્રસ્તાવના

આમ તો 'જય જગત' વિનોબાજીએ આપણને સૌને આપેલો જીવનમંત્ર છે, પણ મારા માટે તેનો એક અંગત અર્થ પણ છે જેનો ઉઘાડ કરવામાં 'ઓપિનિયન' સામાયિકે મહત્વની ભૂમિકા ભજવી છે. 'ઓપિનિયન' મેગેઝિનના આ રજત રાણ પ્રસંગે એ અંગત વાત અપ્રસ્તુત નહીં ગણાય એમ માનું છું. કારણ કે એ વાત પણ મૂળે તો સ્વથી આગળ વધીને સર્વ સાથે જોડાવાની, માનવમાંથી વિશ્વમાનવ બનવાની દિશામાં અગ્રેસર થવાની જ વાત છે.

જય જગત

તો સૌ પ્રથમ તો આ જય જગતના સ્થૂળ અર્થમાં જય એટલે હું કારણ કે મારા નામ ચિરાગ ઠક્કર પાછળ હું 'જય'નું ઉપનામ અવશ્ય જોડતો હોઉં છું. અને એ જયનાં જગતનો મહત્તમ વિકાસ થયો છે યુનાઇટેડ કિંગ્ડમ નિવાસ દરમિયાન, 'ઓપિનિયન' સામાયિક અને ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’(યુનાઇટેડ કિંગ્ડમ)ના સંસર્ગથી.

વાંચન અને લેખન તો બાળપણથી હાડમાં ઉતરેલી આદત હતી. જ્યારે 2006માં યુ.કે. આવવાનું બન્યું ત્યારે વધારે સમય મળતાં એ પ્રવૃત્તિ પણ વધી. 2008માં બ્લોગિંગ શરૂ કર્યું અને સોશિયલ મીડિયા થકી એ બ્લોગ પહોંચ્યો પંચમ શુક્લ પાસે. તેમણે સામેથી મારો સંપર્ક સાધ્યો, અનિલ જોશીના એક કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું અને હું આ શું હશે તેમ વિચારતો વિચારતો પહેલી વાર તે કાર્યક્રમમાં ગયો. એ કાર્યક્રમ હૃદયને એટલો બધો સ્પર્શી ગયો કે તેના વિષે બ્લોગ ઉપર લખ્યું. અને વિપુલભાઈએ એ લેખ 'ઓપિનિયન' મેગેઝિનમાં લેવા માટે મંગાવ્યો.

મારા માટે એ અત્યંત નવાઈની વાત હતી. ગુજરાતમાં તો સાહિત્યિક સામાયિકોમાં કંઈક છપાય એ માટે કેવાં શામ-દામ-દંડ-ભેદ ચાલતાં હોય છે એના વિષે તો બધાં જાણે જ છે. ગુણવત્તા કરતાં ત્યાં ઓણખાણ મોટા ભાગે વધારે મહત્ત્વની બની રહે છે. માટે મેં એ લેખ સાદર મોકલાવ્યો અને આવી રીતે 'ઓપિનિયન' તેમ જ GLA (U.K.) સાથે મારો પ્રેમસંબંધ શરૂ થયો.

એ પછી જેમ હેરી પોટરના મનોજગતને હોગવર્ટ સ્કૂલના આચાર્ય ડમ્બલડોર વિસ્તારે અને વિકસાવે છે એમ પ્રિય વિપુલ કલ્યાણીએ આ જયના જગતને વિસ્તારવા અને વિકસાવવા માંડ્યું. એમની શૈલી પાછી નિરાળી. એ સીધે-સીધું કશું જ કહે કે સૂચવે નહીં. બધાનો ઓપિનિયન પ્રગટ કરનારા એ પોતે સીધે-સીધો ક્યારે ય પોતાનો 'ઓપિનિયન' રજૂ જ ન કરે. પણ કંઇક એવું વાંચવા તરફ આંગળી ચીંધે કે એવા કોઈ કામમાં સામેલ કરે કે આપણે આપોઆપ વિસ્તાર અને વિકાસની દિશામાં અગ્રેસર થઈએ.

હું બ્લોગ પર જે લખું તેને વિપુલભાઈ 'ઓપિનિયન' મેગેઝિનમાં શબ્દશઃ છાપે. તેમાંથી પાછું ક્યારેક પ્રકાશભાઈ 'નિરીક્ષક'ના પાનાં પર પણ ઉતારે ને ક્યારેક કોઈ બીજા ગુજરાતી સામાયિકમાં પણ છપાય. આમ 'ઓપિનિયન' મેગેઝિન અને GLA(UK)ની ટીમે મારા અવાજને સ્પષ્ટ અને ઘેરો બનાવ્યો.

એ અવાજ લઈને હું સાતેક વર્ષ ડાયસ્પોરાની ભૂમિમાં વીતાવીને વારસાની ભૂમિ પર પાછો ફર્યો. અહીંયા એ સફર ચાલુ રાખી છે અને તેનાં પાયામાં 'ઓપિનિયન' રહેલું છે તેનો ઋણસ્વીકાર કરું છું.

Reverse Racism

આરાધનાબહેન ભટ્ટે જે રેસિઝમ અને રિવર્સ રેસિઝમની વાતની માંડણી કરી, તે વાત ખૂબ મહત્ત્વની છે. મને જીવનના થોડા-ઘણા અનુભવે એમ શીખવ્યું છે કે સામેવાળું આપણાથી કોઈક રીતે અલગ છે એમ દર્શાવવું એ રેસિઝમનો સૂક્ષ્મ પ્રકાર જ છે.

અને એ સૂક્ષ્મ રેસિઝમ ડાયસ્પોરા વિશ્વના આપણા ગુજરાતીઓમાં અને ભારતીયોમાં અવશ્ય જોવા મળે છે. બે અજાણ્યા ગુજરાતીઓ મળે ત્યારે 'તમે કયાં ગામના?' અને 'તમે કેવા?' એવી પૃચ્છા કરવી હજું પણ ત્યાં એકદમ સામાન્ય છે.

આપણે આ પ્રશ્નો પૂછવાનું બંધ કરીને માનવમાંથી વિશ્વમાનવ બનવા તરફ આગળ વધી શકીશું એમ લાગે છે. આ દિશામાં પણ 'ઓપિનિયન' પોતાનો નક્કર અભિપ્રાય રજૂ કરતું રહેશે એવી અપેક્ષા છે.

રતિલાલ ચંદેરિયાનું સ્મરણ

રોહિતભાઈ બારોટે રતિલાલ ચંદેરિયાનું સ્મરણ કર્યું છે. તેમને મારા વંદન. એ વ્યક્તિત્વનો પરિચય તો નહોતો થયો, પરંતુ ઓળખાણ 'ઓપિનિયન' થકી જ થઈ હતી અને અત્યારે તેમના દ્વારા સર્જાયેલી ગુજરાતીલેક્ષિકોન.કોમનો મારા જેટલો નિયમિત ઉપયોગ ભાગ્યે જ કોઈ કરતું હશે.

સૂચક વાત

નટવરભાઈ ગાંધીએ ડાસ્પોરા વિશ્વની બીજી અને ત્રીજી પેઢી વિષે એમ સૂચક વિધાન કર્યું કે એ પેઢીએ "અમેરિકામાં ઉછરીને અમેરિકન ન થવું અને ભારતીય બની રહેવું [તે] પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે." આ પ્રાસ્તાવિક વાતને વારસાની ભૂમિના સંદર્ભે પણ મૂકી શકાય છેઃ "21મી સદીમાં ઉછરીને 21મી સદીના વૈશ્વિક ભારતીય ન થવું અને 19મી કે 20મી સદીનાં ભારતીય બની રહેવું, તે પાણીમાં પલળ્યા વગર તરવા જેવી વાત છે.

'ડાયસ્પોરા' શબ્દ

આ બેઠકમાં લોર્ડ ભીખુ પારેખે ડાયસ્પોરા શબ્દ સામે વાંધો નોંધાવીને કહ્યું કે તેમના અનુસાર ડાસ્પોરા શબ્દમાં અત્યંત લઘુમતીમાં હોવાની અને વતનમાં પાછા ફરવાની ઝંખના હોવી જોઈએ. 42 દેશોમાં વિખરાયેલો ભારતીય સમાજ 22 દેશોમાં નોંધપાત્ર સંખ્યા ધરાવે છે અને મહદઅંશે કોઈ પાછા ફરવાની ઝંખના સેવતું નથી. માટે એ સમાજ માટે 'ડાયસ્પોરા' શબ્દ વાપરવો કેટલો યોગ્ય છે અને તે ન વાપરી શકાય તો ગુજરાતીમાં કયો શબ્દ યોગ્ય રહેશે તેમ પણ તેમણે પૂછ્યું હતું.

જેમ અંગ્રેજી ભાષા વિદેશી શબ્દો યથાતથ સ્વીકારે છે કે તેમાં નવી અર્થછાયા ઉમેરે છે, તેમ ગુજરાતીએ પણ પોતાના યાયાવર સંતાનો માટે 'ડાયસ્પોરા' શબ્દનો બહુધા સ્વીકાર કર્યો છે અને ધીમે-ધીમે તેની અર્થછાય પણ વધારે સ્પષ્ટ બનતી જશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

સમાપન

બેઠકમાં હાજર વિપુલ કલ્યાણી, પંચમ શુક્લ, નીરજ શાહ, અશોક કરણિયા, ભદ્રા વડગામા ઉપરાંત અનિલ વ્યાસ, વલ્લભ નાંઢા, મારા પ્રિય અદમ ટંકારવી, ધવલ વ્યાસ, ધ્વનિ ભટ્ટ એ સૌનાં મધુર સ્મરણ સાથે વિરમું છે.

e.mail : chirag@chiragthakkar.me

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

...102030...1,9611,9621,9631,964...1,9701,9801,990...

Search by

Opinion

  • ચોર ચોરી કેવી રીતે કરે છે? શાની અને કેમ કરે છે?
  • એપસ્ટીન ઇન્ડિયા ફાઇલ્સ: સત્તા, સોદાબાજી અને રહસ્યોનું રાજકારણ
  • સ્માર્ટ ફોનનો સ્માર્ટ ઉપયોગ : નવા વર્ષનો સંકલ્પ
  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved