Opinion Magazine
Number of visits: 9456461
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પ્લેન ક્રેશ

નરેન્દ્ર ત્રિવેદી|Opinion - Opinion, Opinion - Short Stories|4 April 2025

વિશાખા અમદાવાદની એક કોમર્શિયલ બેન્કની બ્રાન્ચમાં બ્રાન્ચ મેનેજર હતી. તેને મુંબઈમાં એક સેમિનાર એટેન્ડ કરવાનો હતો, એટલે મુંબઇ ગઈ હતી. સેમિનાર પૂરો થયા પછી તેણે જોયું કે અમદાવાદની ચાર વાગ્યાની ફ્લાઈટમાં ટિકિટ મળી શકે તેમ છે. તેણે ટિકિટ બૂક કરી અનુપમને ફોન કર્યો, “અનુપમ, હું મુંબઈથી ચાર વાગ્યાની ફ્લાઈટમાં આવું છુ., તું મને એરપોર્ટ ઉપર લેવા આવી શકીશ?”

 “ના, મારે બહુ કામ છે. તું તારી રીતે ટેક્સી કરીને ઘરે જતી રહેજે.” અનુપમ દોશીને કમ્યુટર હાર્ડવેર સપ્લાયની કંપની હતી અને બિઝનેશ પણ ખૂબ સારો ચાલતો હતો. વિશાખાનો ફોન આવ્યો, ત્યારે તે તેની કંપનીની ચાર-પાંચ લેડીઝ કર્મચારી સાથે બેસી ગપ્પા બાજી કરતો હતો. અનુપમ ધારત તો વિશાખાને એરપોર્ટ ઉપર લેવા જઈ શક્યો હોત. એક લેડીઝ કર્મચારીએ કહ્યું પણ ખરું, “સાહેબ, આપણે અત્યારે કંઈ કામ નથી, તમે મેડમને પીકઅપ કરવા જવું હોય તો જઈ શકો છો.”

 “ના રે! ના, તમારી આવી સરસ કંપની છોડીને તેને ક્યાં લેવા જાવ.” લેડીઝ કર્મચારીઓએ એકબીજા સામે જોઈને આંખ મિચકારી હતી.

અનુપમે, વિશાખા સાથે તેનાં મમ્મી-પપ્પાના આગ્રહથી લગ્ન કર્યાં હતાં. વિશાખા સંસ્કારી ઘરની દીકરી હતી એટલે અનુપમનાં મમ્મી, પપ્પા તેને પસંદ કરતાં હતાં પણ અનુપમ, વિશાખાને રૂઢિચુસ્ત અને આધુનિક સમાજની રહેણી કરણીમાં પછાત માનતો હતો. વિચારોના મતભેદના લીધે બંને વચ્ચે ટ્યુનિંગ થઈ શક્યું નહોતું. વિશાખા માનતી કે આધુનિકતા સ્વીકારવી જોઈએ પણ સાથે સાથે સમાજની, સંસ્કારની ગરીમા પણ જાળવવી જોઈએ. એટલે તેને ક્લબ-કલચર બહુ પસંદ નહોતું. આધુનિકતાના અંચળા નીચે ફ્રી સ્ટાઇલ, બેફામ અને બેહૂદુ જીવવામાં નહોતી માનતી. જ્યારે અનુપમને આ બધું પસંદ હતું એટલે પતિપત્ની હોવા છતાં એકાકી અને અલગ અલગ જિંદગી જીવતા હતાં.

“આપ અનુપમ દોશી બોલો છો?”

 “હા, હું અનુપમ દોશી બોલું છું, આપ કોણ બોલો છો?”

 “હું સિટી હોસ્પિટલમાંથી ડૉક્ટર બોલું છું. વિશાખા દોશી આપના સંબંધી છે?” 

“હા, મારી પત્ની છે, પણ વાત શું છે એ તો કહો?”

 “તેમની મુંબઇથી આવતી ફ્લાઇટને લેન્ડિંગ સમયે અકસ્માત થયો છે અને વિશાખાબહેનને બહુજ ગંભીર ઇજાઓ થઈ છે. અત્યારે આઈ.સી.યુ.માં દાખલ કર્યાં છે તમે જલદી આવો. કદાચ ઇમરજન્સી ઓપરેશન પણ કરવું પડે.” અનુપમને પહેલી વખત અફસોસ થયો કે હું વિશાખાને એરપોર્ટ ઉપર લેવા ગયો હોત, તો ટ્રીટમેન્ટ માટે જે સમય વેડફાયો તે બચી જાત. વિશાખા માટે મનમાં ચિંતા ઊભી થઈ.

અનુપમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો, પણ વિશાખા આઈ.સી.યુ.માં હતી. એટલે મળી તો ન શક્યો. દરવાજાના કાચમાંથી વિશાખાને જોઈને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ડૉક્ટર આવ્યા. તેણે કહ્યું, “સારું થયું તમે આવી ગયા પણ બેન્કના ઉચ્ચ અધિકારીને ખબર પડી એટલે એ લોકો તરત જ આવી ગયા હતા. તેમની જવાબદારી ઉપર તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. સોરી, અમે તમારી રાહ જોઈ શકીએ એટલો સમય અમારી પાસે નહોતો.” બ્રાન્ચનો બધો સ્ટાફ હાજર હતો. 

“અનુપમભાઈ, તમે જરા પણ ચિંતા ન કરતા. વિશાખાબહેન જ્યાં સુધી આંખો નહીં ખોલે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી.” આજે પહેલીવાર અનુપમને સંબંધોનું મૂલ્ય સમજાયું. તેની ઓફિસમાં બધાને ખબર હતી, છતાં કોઈ આવ્યું નહીં. અરે! ફોન કરીને પૂછ્યું પણ નહીં. જ્યારે વિશાખાના બેન્કના સ્ટાફે પોતાની જવાબદારીએ તાત્કાલિક ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી. અનુપમને સમજાયું કે જેની પાછળ હું સમય અને પૈસા ખર્ચ કરતો હતો, એ તો પૂર્ણ પણે પ્રોફેસનલ સંબંધો નીકળ્યા. આધુનિકતાનો એક જ ચહેરો આજ સુધી અનુપમે જોયો હતો, આજે તેને આધુનિકતાનાં બીજા ચહેરાના દર્શન થયા અને એ મનોમન ધ્રુજી ગયો. તેણે આવી તો કલ્પના જ નહોતી કરી કે આધુનિકતાનાં અંચળા નીચેના સંબધો આટલા ખોખરા હોય છે.

ત્રીજે દિવસે વિશાખાએ આંખો ખોલી. ડોકટરે કહ્યું, “જુઓ કોણ આવ્યું છે. અનુપમ દોશી સતત ત્રણ દિવસથી તમે આંખો ખોલો તેની રાહમાં, ચિંતામાં ઘરે પણ નથી ગયા.” વિશાખાએ ધીમેથી આંખ ખોલી, અનુપમ સામે જોયું. આંખથી હસીને કહ્યું મને સારું છે ચિંતા ન કરતો. અનુપમે હાથના ઇશારાથી સાંત્વના આપી.

વિશાખાને, સ્પેશિયલ ડીલક્ષરૂમમાં ફેરવાવમાં આવી, “અનુપમ, આપણે આવા મોંઘા રૂમની જરૂર નથી, મને તો સેમી ડીલક્ષરૂમમાં પણ ફાવશે.”

“વિશુ”, વિશુ નામ સાંભળી વિશાખા ચમકી. અનુપમને જ્યારે જ્યારે વિશાખા ઉપર બહુ પ્રેમ ઉભરાતો ત્યારે વિશુ કહી બોલાવતો … “તે બરોબર સાંભળ્યું છે. આજથી હું તને વિશુ જ કહીશ અને બીજું તારે સ્પેશ્યલ ડીલક્ષ રૂમની જરૂર નથી પણ મારે છે. મેં ઓફિસમાં પણ કહી દીધું છે, તું સપૂર્ણપણે સ્વસ્થ ન થાય ત્યાં સુધી ઓફિસનું કામ હું ઘરેથી, તારી પાસે રહીને કરીશ.” વિશાખાના અંતરમનમાં એક છૂપી ઊર્મિની લહેર દોડી ગઈ.

વિશાખાને હોસ્પિટલમાંથી રજા આપી. બ્રાન્ચનો આખો સ્ટાફ તેના સ્વાગત માટે ઘરે હાજર હતો. અનુપમે જોયું કે તેની ઓફિસ સ્ટાફમાંથી બે વ્યક્તિ સિવાય કોઈ હાજર નહોતું. “અનુપમભાઈ, તમે નસીબદાર છો કે વિશાખાબહેન જેવાં તમારા જીવનસંગિની છે. અમારા ઉપરી અધિકારી હોવા છતાં એક ઘરના સદસ્ય હોય એમ અમારું ધ્યાન રાખે છે અને અમે જે કંઈ કર્યું છે તે, તેનું ઋણ ચૂકવવા માટે કર્યું છે. છતાં ય અમારી દૃષ્ટિએ તો એ અપૂરતું છે.” અનુપમે બધાનો આભાર માની વિદાય આપી.

અનુપમનાં મમ્મીપપ્પાને ખબર પડતાં તેઓ પણ આવી ગયાં હતાં. તેઓ અનુપમના વિશાખા સાથેના વર્તનથી દુઃખી હતાં અને મનમાં બીક હતી કે અનુપમે વિશાખાનું બરોબર ધ્યાન નહીં રાખ્યું હોય. પણ, આવ્યા પછી પરિસ્થિતિ જોઈને સંતોષ થયો કે આખરે અનુપમને વિશાખા સમજાણી.

“મમ્મીપપ્પા. હું, તમારાથી તમે મારા વિશાખા સાથે આગ્રહ કરી લગ્ન કરાવ્યાં એટલે બહુ નારાજ હતો. પણ, તમે વિશાખાને સમજવામાં સાચા હતા. હું આધુનિકતાના ખોટા ખ્યાલ અને દંભથી ભરમાઈ ગયો હતો. સાચા સંબંધો શું છે એ અને તેનું મૂલ્ય મને આજે સમજાઈ ગયું. વિશાખાની ટ્રીટમેન્ટમાં જરા પણ સમય ન બગડે એટલે હું પહોંચું એ પહેલાં તેની બેન્કના ઉચ્ચ અધિકારીએ જવાબદારી લઈ ટ્રીટમેન્ટ શરૂ કરાવી દીધી હતી. એ જ બતાવે છે કે વિશાખા આધુનિક રહનસહન વાળી નહીં હોવા છતાં તેના વિચારોનું મૂલ્ય કેટલું ઊંચું છે. આજે મને સમજાઈ ગયું કે માણસની રહેણીકરણી ગમે તેવી હોય પણ તે પરખાય છે વિચારોથી, બુદ્ધિમતાથી …..”

“બેટા, તને સાચું સમજાયું એ જ અમારા માટે ઘણું છે. તું ને વિશાખા સુખી રહો એથી વિશેષ અમારે તારી પાસેથી કંઈ ન જોઈએ.” વિશાખાએ અનુપમ સામે જોયું. અનુપમની આંખોમાંથી અવિરત પ્રેમ વરસી રહ્યો હતો. જાણે કહેતો હોય `દેર આયે દુરસ્ત આયે`. હવે હું તારો જ છું.

ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com

Loading

સાત હાઈકુ

વસુધા ઈનામદાર|Poetry|4 April 2025

નિશાનું વન,

સોનેરી દાતરડે.

વાઢ્યું પરોઢે !

°

સૂર્ય ખીલેથી,

ઉતરીને, લટકે

દીન ઝૂંપડે !

°

સંતાનો માટે,

પ્રાર્થે છે જન્મદાતા.

વૃદ્ધાશ્રમમાં !

°

પ્રગટે જ્વાળા,

સ્મશાન ગૃહમાં, ને

થયો સૂર્યાસ્ત !

°

પાપની મુક્તિ,

ત્રિવેણીના સંગમે,

ને કુંભ મેળો !

°

હૃદયે રામ !

તોય અગ્નિ પરીક્ષા ?

પુત્રી ધરાની !

°

કેસરી રંગ,

પલાશનાં પાલવે.

ને શૌર્ય ગાથા !

સડબરી, બોસ્ટન
e.mail : inamdarvasudha@gmail.com

Loading

બેન્ક એટલે મોટી લોન માફ ને નાનો ગ્રાહક સાફ !

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 April 2025

રવીન્દ્ર પારેખ

જી.એસ.ટી. આમ તો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું ટૂંકું રૂપ છે, પણ તે ‘લાઈફ ટાઈમ સર્વિસ ટેક્સ’ છે, એટલે તેને ‘એલ.ટી.એસ.ટી.’ તરીકે ઓળખવો જોઈએ. એ આજીવન કેદની જેમ આજીવન કર છે. જેમ ‘નામ તેનો નાશ’ છે, તેમ ‘બિલ તેનો ટેક્સ’ પણ છે. ખાલી શ્વાસ પર ટેક્સ નથી એટલો સરકારનો ઉપકાર ! જો કે, ઓક્સિજન સિલિન્ડર લો તો ટેક્સ લાગે એ પણ ખરું. એટલે બધે રસ્તે ટેક્સ વસૂલાય છે કે વાત ન પૂછો. હોસ્પિટલમાં જન્મો તો બિલ પર જી.એસ.ટી. લાગે. પરણો ને પાર્ટીપ્લોટ, કેટરિંગ રાખો તો ટેક્સ, હનીમૂન હોટેલમાં થયું તો બિલ પર જી.એસ.ટી., જીવો તો જી.એસ.ટી., મરોને બારમા, તેરમાની ખરીદીનું બિલ બન્યું તો તેના પર 5 ટકા, 12 ટકા, 18 ટકા જી.એસ.ટી. સગવડ પ્રમાણે લાગે જ ! મર્યાં પછી પણ ટેક્સમાંથી મુક્તિ નહીં. મકાન, દુકાન, સ્મશાન એમ દરેક સ્થળે ટેક્સ લાગે જ ! જી.એસ.ટી.થી પૂરું ન થાય, તો બીજા અનેક નામે ટેક્સ લાગે તે પણ ખરું. આવક પર તો ઇન્કમટેક્સ લાગે, પણ જેની આવક મજૂરીમાંથી છે ને ટેકસેબલ નથી, તે પણ પારલેની બિસ્કિટ ખરીદે તો ટેક્સ લાગે. એ જ રીતે દવા લો, દારૂ લો, સોનું લો, ચાંદી લો … ટેક્સ લાગે લાગે ને લાગે જ ! તે જાહેરમાં જ લાગે એવું નહીં, ખૂણેખાંચરેથી પણ લાગે. આટલો બધો ને આટલી રીતે ચામડી ઊતરડી નાખે એટલો ટેક્સ લેવાય, એની સામે પ્રજાને મળે છે શું? એની હાલત તો બોર આપીને કલ્લી કાઢી લીધા જેવી જ છે. એવી કોઈ હાઈ ક્વોલિટી કે વર્લ્ડ ક્લાસ સર્વિસ સરકાર પ્રજાને આપતી નથી. ક્યાંક આપતી હોય તો તે પણ ટેક્સથી મુક્ત નથી. સર્વિસ અપાય કે ન અપાય, સર્વિસ ટેક્સ લાગે છે. જી.એસ.ટી. કલેક્શનની પાછી મોટા ઉપાડે જાહેરાત પણ થાય છે. જેમ કે, જી.એસ.ટી. કલેક્શન માર્ચ, 2025માં 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડથી વધુ છે. ગુજરાતની વાત કરીએ તો 73,000 કરોડ જી.એસ.ટી.ની આવક થતાં ગયાં વર્ષ કરતાં 14 ટકાનો વધારો થયો છે. કમનસીબી એ છે કે નાનામાં નાનો માણસ પણ જી.એસ.ટી.ની બહાર નથી, ભલે પછી તે સરકારી અનાજ મફત જ કેમ ન મેળવતો હોય. તે દવા ખરીદે કે દારૂ, ટેક્સ લાગે એ નક્કી ! 

ટેક્સનું આટલું પિંજણ એટલે કર્યું કે સરકાર જ નહીં, બેન્કો પણ સર્વિસને નામે અનેક રીતે જે ચાર્જ વસૂલે છે તે સામાન્ય ગ્રાહકને તો લૂંટવાનું જ કામ કરે છે. પહેલી એપ્રિલ, 2025થી મિનિમમ બેલન્સ ખાતામાં નહીં રહે તો દંડ લાગશે. એમ દંડ લાગતાં લાગતાં ખાતું ખાલી થઈ જાય તો નવાઈ નહીં ! બીજી બેન્કના એ.ટી.એમ.માંથી ત્રણ વખત પૈસા ઉપાડો તો ચાર્જ નહીં લાગે, પણ તે પછી ઉપાડ્યા તો એન્ટ્રી દીઠ 25 રૂપિયા ચાર્જ લાગશે. 1 મેથી ફ્રી લિમિટ પૂરી થયા પછી એ.ટી.એમ.માંથી દરેક એન્ટ્રી માટે વધારાના 2 રૂપિયા ચૂકવવાના થશે. મતલબ કે 17ના હવે 19 થયા. એ જ રીતે બેલન્સ ચેક કરવાના 6 રૂપિયા હતા, તે રૂપિયો વધીને 7 થયા. મિનિમમ બેલન્સ પેનલ્ટીના રૂપમાં વિત્તીય વર્ષ 2022’-23માં 3,500 કરોડ બેન્કોએ વસૂલ્યા છે. ધારો કે ખાતાનો ઉપયોગ ઓછો થાય છે તો ઈન એક્ટિવિટી ફી-ને નામે પણ 100-200 ચાર્જ વર્ષે લાગે છે. બેન્ક સ્ટેટમેન્ટ જોઈતું હોય તો સ્ટેટમેન્ટ ઇસ્યુ કરવાનો ચાર્જ 50થી 100 રૂપિયા છે. SMS એલર્ટના માધ્યમથી ખાતાની સ્થિતિ જાણવાના દરેક ક્વાર્ટરના 20થી 25 વસૂલાય છે. ઓનલાઈન પેમેન્ટ હોય તો તેની ટ્રાન્જેક્શન ફી લેવાય છે. કેટલીક બેન્કો પરાણે લોન આપે છે ને ગ્રાહક તે લે, તો તેનો પ્રોસેસિંગ ચાર્જ 1થી 3 ટકા અલગથી વસૂલાય છે. ગ્રાહક લોન વહેલી ભરપાઈ કરવા માંગે તો પ્રિ-ક્લોઝર ચાર્જિસ લાગે છે. સહી બદલવી હોય કે નૉમિની ડિટેઇલ્સ ચેન્જ કરવી હોય તો 200 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શન વસૂલાય છે. આમ અનેક રીતે ગ્રાહક ખંખેરાતો રહે છે ને ઘણી વાર તો ખંખેરાયા પછી ખબર પડે છે કે ખંખેરાયો છે. ટાર્ગેટ પૂરો કરવા ઘણી વાર બેન્કના સાહેબો ગ્રાહકને જરૂરી નહીં એવા પ્રોડક્ટ્સ વેચે છે. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીનો રિપોર્ટ એવું કહે છે કે વાર્ષિક સાડા ત્રણ લાખ ફરિયાદોમાંથી વીસ ટકા ફરિયાદો આવી બિનજરૂરી પ્રોડક્ટ્સ ગ્રાહકોને વેચવાની છે. સેબીનો રિપોર્ટ કહે છે કે ત્રીસ ટકા ઈન્વેસ્ટર્સ મિસ લીડિંગ ઇન્ફોર્મેશનના શિકાર છે. 

સાધારણ ગ્રાહક સરકારી બેંકમાં જાય છે તો તેનું પાસબુક કમ્પ્લિટ કરાવવા જેવું કામ પણ ધક્કા ખાવા સિવાય કે એક કાઉન્ટર પરથી અન્ય કાઉન્ટર્સ પર અટવાયા સિવાય થતું નથી. બેન્કો ગ્રાહકો પર નિર્ભર છે, પણ સ્ટાફનો વર્તાવ એવો હોય છે કે ગ્રાહકને બેન્કો નભાવે છે. એક સમય હતો જ્યારે બેન્કોમાં રિસેસ, ગ્રાહક સેવા ખોરવાય નહીં એ રીતે સ્ટાફ લેતો હતો, હવે તો રિસેસ વખતે શટર પાડી દેવામાં આવે છે ને ગ્રાહક સાથે કોઈ સંપર્ક રહે જ નહીં એમ સ્ટાફ રિસેસ ભોગવે છે. રિસેસ નથી હોતી, ત્યારે પણ સ્ટાફનાં વર્તનમાં ઝાઝો ફરક જણાતો નથી. આર.બી.આઈ.ના ગવર્નરે વિત્તીય વર્ષ 2023-‘24ના રિપોર્ટમાં કહ્યું છે કે 95 શિડ્યુલ્ડ કમર્શિયલ બેંકોમાં 1 કરોડથી વધુ ફરિયાદો કસ્ટમર સર્વિસની છે. ટૂંકમાં, 45 ટકાથી વધુ ગ્રાહકો બેન્કિંગ વ્યવસ્થાથી અસંતુષ્ટ છે. ગ્રામીણ ક્ષેત્રોમાં બેન્કિંગ આજે પણ દયનીય સ્થિતિમાં છે. આમ છતાં નાનામાં નાની સર્વિસ માટે પણ, ગ્રાહકોને લૂંટવાની એક પણ તક બેન્કો જતી કરતી નથી એ હકીકીત છે.

સવાલ એ થાય કે ગ્રાહક જોડે આવું ઓરમાયું વર્તન બેન્કો કેમ કરે છે? એનો સીધો જવાબ છે, મોટા લોનધારકો, ઉદ્યોગપતિઓ અને તંત્રો દ્વારા ઊભું કરાતું દબાણ. હાલ્યા માલ્યા જેવા કેટલા ય કહેવાતા ઉદ્યોગપતિઓ હજારો કરોડની મોટી લોન ભરપાઈ ન કરીને વિદેશ ભાગી ગયા ને વર્ષો સુધી ન તો એ પરત આવ્યા કે ન તો લોન પરત આવી. તે ભાગ્યા કે તેમને ભગાડવામાં આવ્યા તે નથી ખબર, પણ બેન્કોને એને લીધે ફટકો તો પડ્યો જ ! હાલના નાણાં મંત્રીએ 26 માર્ચ, 2025ને રોજ કહ્યું છે કે 31 ડિસેમ્બર, 2024 સુધીમાં લોન લઈને ભાગી ગયેલા નવ લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે અને 749.83 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ પણ દરિયામાં ખસ ખસ જેવું જ છે. સરકાર ભલે કહે કે સપ્ટેમ્બર, 2024માં શિડ્યુલ્ડ કમર્શિયલ બેન્કોની ગ્રોસ નોન-પરફોર્મિંગ એસેટ્સ (NPA) ઘટીને 2.5 ટકાના નીચા સ્તરે આવી ગઈ છે ને ગયાં નાણાકીય વર્ષમાં બેન્કોએ 1.41 લાખ કરોડનો નફો કર્યો છે, પણ એ સામાન્ય ગ્રાહકો પાસેથી ખરી ખોટી રીતે નાના મોટા ચાર્જિસ વસૂલવાથી શક્ય બન્યું છે. 

સાધારણ માણસને લોન આપતી વખતે જે ચીકાશ બેન્કો કરે છે કે 10 લાખની લોન ભરપાઈ ન કરનાર ખેડૂતનું ખેતર લીલામ કરી શકે છે, એવી ‘કાળજી’ મોટી લોન લેનાર ઉદ્યોગપતિઓની લેવાતી નથી. તે લોન ન ભરે કે અડધી પડધી ભરે તો પણ ચલાવી લેવાય છે કે પૂરી ન ભરે તો પણ માંડી વળાય છે. 10 વર્ષનાં શાસનમાં કેન્દ્ર સરકારે 16 લાખ કરોડ રૂપિયાની લોન માંડી વાળી છે. રાઇટ-ઓફની સૌથી મોટી રકમ 2 લાખ કરોડ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની છે. 2008માં યુ.પી.એ. સરકારે ખેડૂતોની 60,000 કરોડની લોન માફ કરી ત્યારે વિપક્ષોએ ભારે ટીકા કરી હતી, પણ હવે 16.11 લાખ કરોડની લોન માંડી વળાઈ છે, ત્યારે વિપક્ષો ચૂપ છે. સરકાર લોન માફ કરે છે ત્યારે ગજવું સરકારનું ખાલી નથી થતું, પણ બેન્કોની બેલન્સ શીટ પ્રભાવિત થાય છે. મોટી લોન માંડી વાળવાને કારણે બેન્કોનો નફો ઘટે છે, તે એટલે કે આ રકમ નફામાંથી વસૂલવામાં આવે છે. 

નફામાં ખાધેલી ખોટ સરભર કરવા ગરદન નાના ગ્રાહકોને મારવામાં આવે છે. બચત ખાતામાં વ્યાજના દરો ઘટાડવામાં આવે છે, જેથી કરોડો નાના ખાતેદારો ઓછું વ્યાજ મેળવે. જે સેવાઓ મફત અપાતી હતી, એ સેવાઓ પર ચાર્જ લગાવવામાં આવે છે. એક કાળે ચેકબુકનો ચાર્જ વસૂલાતો ન હતો તે હવે વસૂલાય છે. એ જ રીતે મિનિમમ બેલન્સ ન રાખવા બદલ, પાસબુક પ્રિન્ટ કરવા બદલ એમ વિધવિધ વાનાં હેઠળ ચાર્જ વસૂલીને માંડવાળ થયેલી લોન સરભર કરવામાં આવે છે ને એનો ભોગ નાના ગ્રાહકો બને છે. આ ગાયને દોહીને કૂતરાંને પાવા જેવું છે. એમાં કૂતરાં તો તગડાં થાય જ છે, પણ દૂધ નથી આવતું તો ય લોહી દોહવાનું ચાલે છે તે દુ:ખદ છે …  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,04 ઍપ્રિલ 2025

Loading

...102030...195196197198...210220230...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved