Opinion Magazine
Number of visits: 9456396
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત માતા આજે શોકમગ્ન છે, તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો : અટલ બિહારી વાજપેયી

શેષ નારાયણ સિંહ [અનુવાદ : હિદાયત પરમાર]|Opinion - Opinion|7 April 2025

જવાહરલાલ નેહરુનું 27 મે 1964ના રોજ અવસાન થયું હતું. સંસદમાં ભારતીય જનસંઘના યુવા નેતા અટલ બિહારી વાજપેયીએ 29 મે, 1964ના રોજ સંસદમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું ભાષણઃ આ ભાષણ સંસદના રેકોર્ડનો એક ભાગ છે. 29 મે 1964ના રોજ રાજ્યસભાની કાર્યવાહીમાં પ્રકાશિત છે.

મહોદય,

અટલ બિહારી વાજપેયી

એક સપનું હતું જે અધૂરું રહી ગયું, એક ગીત જે મૌન બની ગયું, એક જ્યોત જે અનંતમાં વિલિન થઈ ગઈ. સ્વપ્ન એક એવા સંસારનું હતું જે ભય અને ભૂખથી મુક્ત હશે, ગીત હતું એક મહાકાવ્યનું જેમાં ગીતાની ગૂંજ અને ગુલાબની સુગંધ હતી. જ્યોત એક એવા દીવાની હતી જે આખી રાત પ્રગટતી રહી, દરેક અંધકાર સામે લડતા રહ્યા અને આપણને રસ્તો બતાવતી, એક સવારે નિર્વાણને પ્રાપ્ત થઈ ગયા .

મૃત્યુ ધ્રુવ છે, શરીર નશ્વર છે. ગઈકાલે, કંચનના જે મૃતદેહને આપણે ચંદનની ચિતા પર ચઢાવીને આવ્યા, તેનો નાશ નિશ્ચિત હતો. પણ શું એ જરૂરી હતું કે મૃત્યુ આટલી ચોરીછૂપીથી આવશે? જ્યારે સંગી-સાથીઓ સૂતા હતા, જ્યારે પહેરેદાર બેખબર હતા, ત્યારે આપણા જીવનનો એક અમૂલ્ય ખજાનો લૂંટાઈ ગયો હતો.

ભારત માતા આજે શોકમગ્ન છે – તેનો સૌથી લાડલો રાજકુમાર ખોવાઈ ગયો. માનવતા આજે ઉદાસ છે – તેના પૂજારી ઊંઘી ગયા. આજે શાંતિ ખોરવાઈ ગઈ – તેનો તારણહાર ચાલ્યો ગયો છે. દલિતોનો સહારો છુટી ગયો. જન-જનની આંખોનો તારો તૂટી ગયો. યવનિકા ભાંગી પડી. વિશ્વની રંગભૂમિના અગ્રણી અભિનેતા તેમના છેલ્લો અભિનય બતાવી અંતરધ્યાન થઈ ગયા.

મહર્ષિ વાલ્મીકિએ રામાયણમાં ભગવાન રામના સંબંધમાં કહ્યું છે કે તેઓ અશક્યનો સમન્વય હતા. મહાન કવિના આ જ વિધાનની ઝલક પંડિતજીના જીવનમાં જોવા મળે છે. તેઓ શાંતિના પૂજારી હતા, પરંતુ ક્રાંતિના અગ્રદૂત હતા; તેઓ અહિંસાના ઉપાસક હતા, પરંતુ સ્વતંત્રતા અને સન્માનની રક્ષા માટે દરેક હથિયારથી લડવાના હિમાયતી હતા.

તેઓ વ્યક્તિગત સ્વતંત્રતાના સમર્થક હતા પરંતુ આર્થિક સમાનતા લાવવા માટે પ્રતિબદ્ધ હતા. સમાધાન કરવામાં તેઓ કોઈનાથી ડરતા ન હતા, પરંતુ કોઈનાથી ડરીને તેમણે સમાધાન કર્યું ન હતું. પાકિસ્તાન અને ચીન પ્રત્યેની તેમની નીતિ આ અદ્ભુત સંયોજનનું પ્રતીક હતું. તેમનામાં ઉદારતા હતી, દૃઢતા પણ હતી. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ ઉદારતાને નબળાઈ તરીકે લેવામાં આવી હતી, જ્યારે કેટલાકે તેમની મક્કમતાને હઠવાદિતા તરીકે માન્યું.

મને યાદ છે, ચીનના આક્રમણના દિવસોમાં જ્યારે આપણા પશ્ચિમી મિત્રો કાશ્મીરના પ્રશ્ન પર પાકિસ્તાન સાથે સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એક દિવસ મેં તેમને ખૂબ ગુસ્સે જોયા હતા. જ્યારે તેમને કહેવામાં આવ્યું કે જો કાશ્મીર પ્રશ્ન પર કોઈ સમાધાન નહીં થાય તો અમારે બે મોરચે લડવું પડશે, તો તેઓ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે જો જરૂર પડશે તો અમે બંને મોરચે લડીશું. કોઈપણ દબાણમાં આવી વાતચીત કરવાની તેઓ વિરુદ્ધ હતા.

મહોદય, જે સ્વતંત્રતા માટે તેઓ લડવૈયા અને રક્ષક હતા, આજે તે સ્વતંત્રતા જોખમમાં છે. આપણે આપણી બધી શક્તિઓથી તેનું રક્ષણ કરવું પડશે. જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના તેઓ હિમાયતી હતા તે આજે પણ મુશ્કેલીમાં છે. આપણે કોઈપણ મૂલ્ય ચૂકવીને પણ તેને કાયમી જાળવી રાખવાનો છે. તેમણે જે ભારતીય લોકશાહીની સ્થાપના કરી, તેને સફળ બનાવી, આજે તેના ભવિષ્ય વિશે પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે આપણી એકતા, અનુશાસન, આત્મવિશ્વાસથી આ લોકશાહીને સફળ બનાવવાની છે. નેતા ચાલ્યા ગયા, અનુયાયીઓ રહી ગયા. સૂર્ય આથમી ગયો છે, આપણે તારાઓની છાંયમાં આપણો રસ્તો શોધવાનો છે. આ એક મહાન પરીક્ષણનો સમયગાળો છે. જો આપણે બધા એવા ઉમદા હેતુ માટે આપણી જાતને સમર્પિત કરી શકીએ કે જેના હેઠળ ભારત મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ બને અને વિશ્વ શાંતિની શાશ્વત સ્થાપનામાં આત્મસન્માન સાથે યોગદાન આપી શકે, તો આપણે તેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં સફળ થઈ શકીશું.

સંસદમાં તેમની ગેરહાજરી ક્યારે ય ભરાશે નહીં. કદાચ તેમના જેવી વ્યક્તિને પોતાના અસ્તિત્વમાંથી ત્રિમૂર્તિને ક્યારે ય સાર્થક નહીં કરી શકે. એ વ્યક્તિત્વ, એ જોમ, એ પ્રતિસ્પર્ધીને સાથે લેવાની ભાવના, એ સૌમ્યતા, એ મહાનતા કદાચ નજીકના ભવિષ્યમાં જોવા નહીં મળે. મતભેદો હોવા છતાં, તેમના મહાન આદર્શો પ્રત્યે, તેમની પ્રામાણિકતા, તેમની દેશભક્તિ અને તેમની અતૂટ હિંમત માટે આપણા હૃદયમાં આદર સિવાય બીજું કંઈ નથી.

આ શબ્દો સાથે હું એ મહાન આત્માને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

‘હેરિટેજ ટાઇમ્સ’માંથી સાદર 
May 2024
સૌજન્ય હિદાયતભાઈ પરમારની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

એક અફલાતૂન લેખકની અફલાતૂન આપકથા 

દીપક મહેતા|Opinion - Literature|7 April 2025

06 એપ્રિલ – આજે ચંદ્રવદન ચીમનલાલ મહેતાનો જન્મ દિવસ 

એ નિમિત્તે થોડીક વાત એમની આપકથા શ્રેણી ‘બાંધ ગઠરિયાં’ વિષે 

ચંદ્રવદન ચી. મહેતા

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા એટલે ઉમાશંકર જોશીએ કહેલું તેમ ‘ચંદ્રવદન એક ચીજ, ગુજરાતે ના જડવી સહેલ.’ અને તેમની બીજી એક અનોખી ચીજ તે તેમની અફલાતૂન આત્મકથા. નિર્જન ટાપુ પર થોડો વખત સાવ એકલા રહેવાનું હોય અને સાથે માત્ર એક જ ગુજરાતી પુસ્તક લઇ જવાની છૂટ હોય તો કયું પુસ્તક સાથે લઈ જવું તે નક્કી કરતાં આ લખનારને જરા ય વાર ન લાગે. હા, થોડી અંચઈ કરવી પડે, કારણ કે સાથે લઈ જવાનું એ પુસ્તક તે ૧૪ પુસ્તક રૂપે પ્રગટ થયેલી આપકથાની ગઠરિયાં શ્રેણી. 

પણ આ જ પુસ્તક કેમ? આ શ્રેણી સાથે હોય તો સુરત, મુંબઈ, ગુજરાત, દિલ્હી, ભારત તો સાથે હોય જ, પણ પોણી દુનિયા પણ સાથે હોય. સી.સી.ની આપકથા તો સાથે હોય જ, પણ ધ્રુવ પ્રદેશ સુધીની ભ્રમણ કથા સાથે હોય, દેશ વિદેશનાં નાટક, રંગભૂમિ, રંગકર્મીઓ, ફિલ્મો, સભા-સમારંભોની ઢગલાબંધ વાતો સાથે હોય, બાળપણમાં જે રેડિયો પરથી ચન્દ્રવદનનો અવાજ પહેલી વાર સાંભળેલો તે ઓલ ઇન્ડિયા રેડિયોની અવનવી વાતો સાથે હોય, અનેક જાણી-અજાણી વ્યક્તિઓની અંતરંગ વાતો સાથે હોય, ગણિતનો કોઈ ખેરખાં પણ ન કરી શકે એવો શૂન્યનો સરવાળો સાથે હોય. 

ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદને પ્રવેશ કર્યો કવિતાથી. અને તેમને સૌથી વહાલું તે તો નાટક. પણ ચન્દ્રવદનનું હૃદય અને કલમ  સોળે કળાએ ખીલે અને ખૂલે છે તે તો ૧૯૫૪થી પુસ્તકરૂપે પ્રગટ થયેલી તેમની આ ૧૪ ગઠરિયાંઓમાં. હા, જાગ્રત અને કર્તવ્યનિષ્ઠ લાયબ્રેરિયન માટે આ શ્રેણી મોટી વિમાસણ ઊભી કરે તેવી છે. આ પુસ્તકોને આત્મકથાના ખાનામાં ગોઠવવાં? કે પ્રવાસવર્ણનોની છાજલી પર? નાટક અને રંગભૂમિ વિશેનાં પુસ્તકોની બાજુમાં રાખવાં? સાહિત્યના રૂઢ પ્રકારોમાંથી કોઈ એક પ્રકારમાં ફીટ થાય તેવું તેનું રૂપ નથી. ચંદ્રવદન પોતે જ ક્યારે ય કોઈ ચોકઠામાં ફીટ થાય એવા ક્યાં હતા? અનેક રૂઢ સાહિત્યપ્રકારોના અજબગજબના કોકટેલમાંથી અહીં ચન્દ્રવદને પોતાના વ્યક્તિત્વને અને વક્તવ્યને હાથ-મોજાંની જેમ બરાબર ફીટ થઈ જાય એવો આગવો ઘાટ નીપજાવ્યો છે. પરિણામે ચન્દ્રવદનના ઘટમાં જે કાંઈ હતું તે બધું જ આ ઘાટમાં ઠલવાયું છે. અહીં આપકથા (લેખક ‘આત્મકથા’ને બદલે ‘આપકથા’તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે) રેખાચિત્ર, પ્રવાસકથા, સ્મરણગાથા, નિબંધ, સમીક્ષા, વિવેચન, ટૂચકા, કિસ્સા, કવિતા, કથા, ઇતિહાસ, ભૂગોળ, જેવા અનેક જુદા જુદા પ્રકારોના ઘટકોનું અત્યંત મદીલું, મારકણું કોકટેલ તૈયાર થયું છે. 

‘બાંધ ગઠરિયાં’ના બે ભાગ ૧૯૫૪માં પુસ્તક રૂપે પ્રગટ થયા તે પહેલાં એમાંનું લખાણ ‘કુમાર’ માસિકમાં હપ્તાવાર પ્રગટ થતું હતું. જન્મ ૧૯૦૧ના એપ્રિલની છઠ્ઠી તારીખે. ૧૯૫૪માં ચન્દ્રવદનની ઉંમર બાવન વર્ષની. નેવું વર્ષની ઉંમરે ૧૯૯૧માં અવસાન થયું. તેને આગલે વર્ષે, ૧૯૯૦માં, છેલ્લી કડી ‘શૂન્યનો સરવાળો’ લખીને પૂરી કરી. અવસાન થયું ત્યારે તે ‘જન્મભૂમિ-પ્રવાસી’માં હપ્તાવાર પ્રગટ થઈ રહી હતી. ૧૯૯૧ના જૂનની ૧૬મી તારીખે તેનો છેલ્લો હપ્તો પ્રગટ થયો. પુસ્તકરૂપે તો છેક ૧૯૯૫માં આ છેલ્લો મણકો પ્રગટ થયો. એટલે કે ચન્દ્રવદનની લગભગ અડધી જિંદગી સુધી આ શ્રેણીનું લેખન-પ્રકાશન ચાલ્યું. ગુજરાતી આત્મકથાના લેખન-પ્રકાશનમાં આ એક રેકર્ડ ગણાય.

આટલા લાંબા ગાળામાં દુનિયા તો બદલાઈ જ, પણ ચંદ્રવદન જેવા ચંદ્રવદન પણ બદલાયા. એમની બદલાતી જતી તાસીર આ ચૌદ પુસ્તકોમાં બરાબરની ઝીલાઈ છે. પહેલાં, ચીડ, અફસોસ, દોષદર્શન વધુ જોવા મળે. પછીના ભાગોમાં શમ, ઉપશમ, અને છેવટે નિર્વેદ અને ‘શાન્તોપિ નવમો રસઃ’ સુધી પહોંચે છે તેમની લેખન જાતરા. ‘બાંધ ગઠરિયાં’ની પ્રસ્તાવનાનું છેલ્લું વાક્ય છે : “હે ભગવાન! જેવી રહી તેવી સહી, આ કાયાની ગઠરિયા હાથ-વાંસે બંધાવી ચિતામાં ખડકાવી દેજે.” સારે નસીબે તેમની આ અરજી ભગવાન સુધી પહોંચતાં ખાસ્સી વાર લાગી. કારણ ગુજરાતની જેમ સ્વર્ગમાં પણ કોઈ પુસ્તકો ખરીદતું કે વાંચતું નહિ હોય. અને ‘લખવાનું તદ્દન બંધ કરવું’ એવી પ્રસ્તાવનામાંની જોહુકમી ચન્દ્રવદનના હૈયા અને હાથે જ માની નહિ. 

આપણા દેશની આખેઆખી રેલવે-સૃષ્ટિને તો તેઓ ગળથૂથી સાથે જ મેળવીને પી ગયેલા. ચૌદ પુસ્તકોની આ આગગાડી પણ સતત બે પાટે ચાલતી રહે છે. એક પાટો છે પોતે જિંદગીમાં જે ભરપૂર જોયું, જાણ્યું અને માણ્યું તેનો, તેમના જીવનની આગગાડીના ડબ્બામાં જુદે જુદે વખતે જે છડિયાં ચડ્યાં-ઉતર્યાં તેમને વિશેનો. તો બીજો પાટો છે જીવનમાં સતત અને સખત રીતે જે નરી અને નકરી એકલતા અનુભવી તેનો. ‘શૂન્યનો સરવાળો’ના છેલ્લા પ્રકરણમાં લખે છે : ‘પચાસ વર્ષથી એ એકલતા સદી ગઈ છે.’ અલબત્ત, આ એકલતા જેટલી શબ્દોમાં પ્રગટ થઈ છે તેના કરતાં વધારે તો શબ્દો વચ્ચેના ખાલીપામાં પ્રગટ થઈ છે. 

પણ ગઠરિયાં શ્રેણીનું સૌથી વધુ આગવું અને મોહક તત્ત્વ તો છે તેની બહુરંગી ભાતીગળ ગદ્યશૈલી. જેવું શીલ તેવી શૈલી એ કથન આ ગદ્યશૈલીને પૂરેપૂરું લાગુ પડે. લેખકના વ્યક્તિત્વની એકેકેક રંગઝાંયનું આબેહૂબ અને પૂરેપૂરું પ્રતિબિંબ ઝીલતું આવું ગદ્ય આપણી ભાષામાં ક્યારેક જ જોવા મળે છે – નર્મદના લેખોમાં, ગાંધીજીની આત્મકથામાં, સરદાર પટેલનાં ભાષણોમાં, સ્વામી આનંદના નિબંધોમાં, — અને આ ગઠરિયાં-શ્રેણીમાં. એ વાંચતા હો ત્યારે જાણે ધસમસતી નદીના પ્રવાહમાં ખેંચાતી નાનકડી હોડીમાં તમે બેઠા હો તેવું લાગે. નદીના પ્રવાહ સાથે આગળ ને આગળ ખેંચાતા જાવ. ક્યારેક ડાબે-જમણે નજર જાય, ક્યારેક ઉપર, ક્યારેક તમારી અંદર પણ જાય. ક્ષણે ક્ષણે દૃશ્યો બદલાતાં જાય, હવાની રૂખ પણ બદલાતી રહે. ક્યારેક ગુલાબી ટાઢ, ક્યારેક કુમળો તડકો, ક્યારેક તાપ-સંતાપ પણ ખરો. તો ક્યારેક વરસાદ ભીંજવે. આવો અનુભવ થાય ગઠરિયાં વાંચતાં. પણ ગઠરિયાંના લેખકનો, અને તેથી તેમના ગદ્યનો મૂળ સ્વભાવ જાતે ભીંજાવાનો, અને બીજાને ભીંજવવાનો. ચન્દ્રવદનના પ્રિય કવિ આખાબોલા અખાની પંક્તિ જરા જુદા અર્થમાં વાપરીને આ ગઠરિયાં માટે કહી શકાય : ‘અક્ષયરસની ચાલે છે નદી.’ ગઠરિયાંનાં ૧૪ પુસ્તકો તો સી.સી., અને માત્ર સી.સી. જ, લખી શકે. અને જે પુણ્યશાળી હોય તે જ તેમની આ આપકથાની ગંગામાં નહાય. 

ચંદ્રવદનભાઈ નાના હતા ત્યારે વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની બે દીકરીઓ મેનાબાઈ અને ઇન્દિરા રાજે સાથે રમતા. એક વાર બંને બહેનોએ લાકડાના ખોખા પર બેસાડી સી.સી.નો રાજ્યાભિષેક કરેલો. ઇન્દિરાબાઈએ પોતાની ફૂમતાંવાળી ટોપી પહેરાવેલી અને મેનાબાઈએ રાજતિલક કરેલું. તલવાર મળી નહિ એટલે જાંબુડાની ડાળખીથી કામ ચલાવેલું. જ્યાં તલવાર ન મળી ત્યાં તાજ તો ક્યાંથી લાવવો? પણ ના. આજે હવે ચંદ્રવદનભાઈને માથે મૂકવા તાજ ક્યાંથી લાવવો એવી વિમાસણ થાય તેમ નથી. કારણ ચૌદ રત્નોવાળો ગઠરિયાં શ્રેણીનો તાજ હવે ચંદ્રવદનભાઈને માથે શોભે છે.   

XXX XXX XXX

e.mail : deepakbmehta@gmail.com

Loading

વધારે જંગલી લોકો તો જંગલની બહાર વસે છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|7 April 2025

રવીન્દ્ર પારેખ

પ્રકૃતિ તેની સાથે થતી છેડછાડના અનેક આઘાતો મનુષ્યજાતને આપે છે, પણ માણસ જાત એટલી સ્વાર્થી ને મતલબી છે કે તે મરવા તૈયાર થશે, પણ સુધરવા તૈયાર નહીં થાય. જંગલમાં વસતા જીવો પર, જંગલો પર થોડી કમાણીની લાલચે મનુષ્ય એટલા અત્યાચારો કરે છે કે વન્ય સંપત્તિ ને જીવોનો સર્વનાશ થઈને રહે. વૃક્ષોના ઉછેરની, પર્યાવરણની વાતો તો ઘણી થાય છે, પણ એકાદ વૃક્ષ વાવવાનું કોઈથી ભાગ્યે જ બને છે. પ્રદૂષણ રોકવાની વાત તો દૂર રહી, હવા, પાણીને પ્રદૂષિત કરવાની એક પણ તક ભાગ્યે જ કોઈ જતી કરે છે. પ્રકૃતિના વિનાશ વગર વિકાસ શક્ય જ ન હોય તેમ, પર્યાવરણ સાથેની મનુષ્યની શત્રુતાના ઢગલો ઉદાહરણો મળી રહે તેમ છે. 

જંગલોના વિનાશ અંગે વર્લ્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના આંકડા આંચકા આપે તેવા છે. પાછલાં વર્ષમાં પૃથ્વી પરથી 1.5 લાખ ચોરસ કિલોમીટર ટ્રોપિકલ જંગલોનો નાશ થયાની વાત છે. એમ કહેવાય છે કે આડેધડ વૃક્ષો કપાવાથી 7.5 બિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં ભળ્યો ને તેને કારણે ઋતુઓમાં થતા ફેરફારો, ગરમીમાં થતો વધારો, બરફ ઓગળવા જેવી અનેક વિટંબણાઓ ગ્લોબલ વોર્મિંગને નામે મનુષ્યને ઘેરતી રહી છે.

અન્ય દેશોની વાત જવા દઈએ તો પણ, ભારતમાં આમ પણ ટ્રોપિકલ જંગલો ઓછાં છે, તેમાં છેલ્લાં 15-16 વર્ષમાં 15,000 ચોરસ કિલોમીટર જંગલોનો વિસ્તાર જોખમાયો છે. બીજી તરફ ભારતીય પ્રજા પર્યાવરણને મામલે સૌથી વધુ બેદરકાર છે. તે પરિણામો વેઠે છે, પણ આ વેઠવાનું પર્યાવરણની ઉપેક્ષાને લીધે છે એવી સભાનતા તેનામાં લગભગ નથી. ઊર્જાનો ઉપયોગ વધ્યો છે, પણ તેની  કાર્યક્ષમતા વધારવાની ચિંતા ઓછી જ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધે છે, પણ તેની ખપત ઘટતી નથી. એ ઘટી હોત તો વાહનો પણ ઘટયાં હોત, પણ તેની ખરીદી વધતી જ જાય છે. દેખીતું છે કે આ બધાંનું પરિણામ ગરમી વધવામાં જ આવે. એનાથી મરી જવાય તો વાંધો નથી, પણ પર્યાવરણનાં વિનાશમાંથી ઉપયોગી કૈં મળતું હોય તો તે માણસ જાતને ખપે છે, એટલે જ તો દંતશૂળ મેળવવા તે હાથીને મારે છે કે પીંછા માટે મોરને મારે છે કે પર્સ માટે સસલાંને મારે છે. ઘરમાં રાચરચીલું વધતું હોય તો વૃક્ષોની સુશોભિત લાશ ઘરમાં વસાવવાનું ભાગ્યે જ કોઈ ચૂકે છે.

વાતો તો વધુ વૃક્ષો વાવોની થાય છે, પણ કપાય છે તે વૃક્ષો જ છે, તે નોંધવાનું રહે. સીધી વાત એટલી છે કે આપણા ચાવવાના ને બતાવવાના જુદા છે. આટલી ભૂમિકા એટલે બાંધી કે હૈદરાબાદ યુનિવર્સિટીને અડીને આવેલાં 400 એકર જંગલોનો ખાતમો બોલાવવાનો આદેશ તેલંગાણા સરકારે આપ્યો છે. કોણ જાણે કેમ પણ જ્યારથી તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી તે સમસ્યાઓ જ સર્જતું રહ્યું છે. સરકારો વૃક્ષના ઉછેરની વાતો તો ઘણી કરે છે, પણ એ વાતો છે, દંભ છે, તે સરકાર પણ જાણે છે, કારણ જંગલો કાપવાનો આદેશ પણ સરકાર જ આપે છે, જેવો તેલંગાણા સરકારે આપ્યો છે. આદેશ આપવાનું કારણ શું, તો કે કોર્પોરેટ આઇ.ટી. પાર્ક બનાવવાનું. આઇ.ટી. પાર્ક દ્વારા કરવું છે શું? તો કે, એ દ્વારા 50 હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ મેળવવું છે ને 5 લાખ નોકરીઓ ઊભી કરવી છે. ઇન્વેસ્ટમેન્ટ અને નોકરીઓ માટે તેલંગાણા સરકારના એ દિવસો આવ્યા છે કે 400 એકર જંગલો કાપવા બુલડોઝરો ફેરવવાં પડે. આવી કારમી ગરીબી ભાગ્યે જ કોઈ બીજી સરકારની હશે. એને માટે તેલંગાણા સરકારે હરણાં, મોર ને અનેક વન્ય જીવોને કાળજું કંપાવનારાં રુદનને ભરોસે છોડી મૂક્યાં છે. વનને ભોગે જીવન શોધતી તેલંગાણા સરકારનો વિરોધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો કરી રહ્યા છે, તો તેમને માથે પોલીસ ઠોકી બેસાડાઈ છે જે લાઠી ચાર્જ કરવા સુધી ગઈ છે. પર્યાવરણ અંગે વિદ્યાર્થીઓને સૂઝે છે, એટલું પણ સરકારને સૂઝતું નથી એ કેવી વિડંબના છે !   

1974માં કેન્દ્ર સરકારે લગભગ 2,300 એકર જમીન હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટી માટે આપી હતી. 2003 અને 2004માં રાજ્ય સરકાર અને યુનિવર્સિટી વચ્ચે જમીન અંગે કરાર થયો હતો. સરકારનું કહેવું છે કે કરાર થતાં આ જમીન હવે સરકારની થઈ ગણાય. એના બદલામાં યુનિવર્સિટીને 397 એકર જમીન અલગથી ફાળવવામાં આવી. 2004માં આંધ્ર સરકારે IMG એકેડેમીને જમીન ફાળવી તો ખરી, પણ તેને  પાછળથી રદ્દ પણ કરવામાં આવી. એ પછી તેલંગાણા રાજ્યની રચના થતાં એ જમીન તેલંગાણા સ્ટેટ ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રા સ્ટ્રક્ચર કોર્પોરેશનને મળી. કોર્પોરેશને માર્ચમાં એરિયાના ડેવલપમેન્ટનો પ્લાન શેર કર્યો ને 30 માર્ચે બુલડોઝર વૃક્ષો કાપવાં મોકલી આપ્યાં. મોરનાં રૂદનનો એ કરુણ વીડિયો ફેલાઈ જતાં વિદ્યાર્થીઓએ કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો. બીજે દિવસે પર્યાવરણવાદીઓ ને સામાન્ય લોકો પણ જોડાયા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે બાયો ડાઈવર્સિટી નહીં રહે તો ભવિષ્યમાં હૈદરાબાદમાં રહેવાનું મુશ્કેલ થઈ જશે. વિદ્યાર્થીઓનું માનવું છે કે તેલંગાણાના મુખ્ય મંત્રી રેવન્ત રેડ્ડીનો ‘જંગલ કાપ’ નિર્ણય વાહિયાત છે. સુપ્રીમ કોર્ટે હાલ તુરત તો યુનિવર્સિટી નજીક કાંચા ગાચી બોવલી જંગલોનાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ મૂક્યો છે ને વૃક્ષોની સુરક્ષા તેલંગાણા સરકાર સુનિશ્ચિત કરશે તેવો આદેશ આપ્યો છે ને બીજો આદેશ થાય તે પહેલાં ત્યાં કોઈ ગતિવિધિ નહીં થાય તેવો આગ્રહ રાખ્યો છે. 

સુપ્રીમે સૂઓમોટો નોંધ લેતાં ટકોર પણ કરી કે આડેધડ વૃક્ષો કાપવાની એવી તે શી ઉતાવળ હતી? રાજ્યના મુખ્ય સચિવ પાસે સુપ્રીમે આ મામલે જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું છે કે વૃક્ષો કાપવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી મેળવાઈ હતી કે કેમ? સુપ્રીમે ત્યાં સુધી કહ્યું છે કે આમાં રાજ્યની કોઈ ભૂલ હશે તો મુખ્ય સચિવ એ જ સ્થળે બનેલી કામચલાઉ જેલમાં જશે. કોર્ટનો કેન્દ્ર સરકારની સમિતિને પણ આ મામલે મુલાકાત લેવાનો ને રિપોર્ટ કરવાનો નિર્દેશ છે. 16 એપ્રિલે સુનાવણી થાય ત્યાં સુધી જંગલો કાપવાનું અટકશે એમ લાગે છે. જો કે, વાત તો એવી પણ છે કે હાઇકોર્ટે પણ વૃક્ષો ન કાપવાનો આદેશ આપ્યો હતો, પણ એ આદેશને પણ ઘોળીને પી જવાયો છે. એવી પણ ખબર છે કે વિકાસને માટે જંગલોનાં ઘણાં વૃક્ષો ઢાળી દેવાયાં છે. 

કેન્દ્ર સરકારે તેલંગાણા સરકાર પાસે રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્રે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની નોંધ લેતાં ઉમેર્યું છે કે રાજ્ય સરકારની વૃક્ષો સાથેની એ કેવી શત્રુતા હતી કે આ અભિયાન રાતના અંધકારમાં ચલાવાયું ને મોર જેવા વન્ય જીવોએ બેઘર થવું પડ્યું? એમાં કોઈ શંકા નથી કે રાજ્ય સરકારનું આ સંવેદનહીન, નિષ્ઠુર અને નિર્દયી અભિયાન છે. જમીન કોણે, કોને, ક્યારે આપી ને કોનો, કેટલો હક હતો એ મુદ્દો જ નથી. મુદ્દો એ છે કે જંગલો કાપવાનું આ કાવતરું છે. એ જ કારણે, દિવસે વિરોધ થશે એ ડરે બુલડોઝરો રાત્રે ચલાવાયાં. આ જંગલમાં 455 પ્રકારની વનસ્પતિઓ અને વન્ય જીવ સૃષ્ટિ વિકસી રહી હતી, તેનો સફાયો થતાં શું બચ્યું હશે તેની અટકળ જ કરવાની રહે છે. 

એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે કુદરતની કે પ્રકૃતિની વિરુદ્ધ માણસ વર્તે છે ત્યારે, થોડો વખત તો પ્રકૃતિ એ  ચલાવી લે છે, પણ પછી એ વિફરે છે તો સિલકમાં ગણી ન શકાય એટલાં આંસુઓ જ બચે છે. માણસજાત એનાથી બેખબર કે અજાણ નથી, પણ અંગત સ્વાર્થ અને મતલબ તેને જોખમો તરફ દુર્લક્ષ સેવવા પ્રેરે છે. એ લાંબું ટકતું નથી. પરિણામ સામે આવે છે, ત્યારે ચામડી તો ઠીક, રૂંવાડું ય બચતું નથી કે ફરકે. હવે તો કોર્ટો પણ ચર્ચામાં છે, છતાં ઈચ્છીએ કે સુપ્રીમ તેલંગાણા સરકારની ચામડી નિર્મમતાથી ને તટસ્થતાથી તપાસે ને ઘટતું કરે. કોર્ટ તો કરશે, પણ આ આખા મામલામાં રાજ્ય સરકાર આર્થિક લાભ ચાટવાના મોહમાં કેવળ અમાનુષી રીતે વર્તી છે તે અક્ષમ્ય છે. તેના ઈરાદાઓ મેલા છે, એટલે તે પાપ અંધારામાં કરે છે. આ ભૂલ નથી, રોકડું પાપ છે. આવી સરકારોને પ્રજા ચાલવા દે છે તે ઉદારતાનું નહીં, પણ કાયરતાનું પરિણામ છે. જે વનને ન સાચવે, તે જીવનને સાચવે એમ લાગે છે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,07 ઍપ્રિલ 2025

Loading

...102030...193194195196...200210220...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved