Opinion Magazine
Number of visits: 9680066
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાહા

પરેશ દવે 'નિર્મન'|Opinion - Opinion|13 May 2021

ખોટું તો કેમ બોલાય?
એણે મને સધિયારો આપ્યા કર્યો
એમ કહીને કે હું તારી સાથે જ છું
જો કે એનો એક હાથ મારા ખિસ્સામાં હતો

કહેનારા તો કહે છે કે એને હજાર હાથ છે
દાદીએ કહેલી બાણાસુરની કથા જેવું હશે કંઈક!

ખેર! એ મારા ખિસ્સામાંથી હાથ બહાર કાઢે છે

હું કહું છું ભૈ આટલા બધાં લેવાતા હશે?
એ કહે – હું બધું તારા અને તારી પેઢીની
સ્વાસ્થ્ય, સુરક્ષા ને શિક્ષણ માટે કરું છું
બોલ તારે જગતગુરુ થવું છે કે નહીં?

સાંભળીને મારી છાતી ફૂલીને છપ્પનની થઈ ગઈ
પણ ભાણામાંથી અડધું પીરસણ સ્વાહા થઈ ગયું

શરદી, ખાંસી ને છેલ્લે કોરોના!
કોરોના આવ્યો ને હું એકલો પડી ગયો
એમ્બૂલન્સનું પૂછ્યું તો કે 'વ્યવસ્થાના કુંડમાં સ્વાહા!
પથારી જગ્યા ખોળતી સ્વાહા!
રેમડિસિવર ધંધા જોગ સ્વાહા!
ઓક્સિઝન સિલિન્ડર
ગિલીન્ડર ને કાજ સ્વાહા!
થાકી હારીને ક્યાં ય ના જણાતા હાથને કહું છું –
હે ભસ્માસુર ! કર આ શ્વાસ, આ શરીરને સ્વાહા!

13.5.’21

https://www.facebook.com/paresh.dave.9440/

Loading

કટોકટીકાળમાં અગ્રદૂતોનો બોધ …

કિરણ કાપુરે|Opinion - Opinion|13 May 2021

કોરોનાએ અનેક સત્ય સપાટી પર લાવી દીધા છે. સામાન્ય સંજોગોમાં આ સત્ય આંખ સમક્ષ હોવા છતાં કોઈ જોઈ શકતું નથી. જે ચિત્ર માધ્યમો, આગેવાનો દ્વારા અને આસપાસના વિકાસના મોડલથી ઉપસાવવામાં આવે છે અને ત્યાં સુધી જ સૌની દૃષ્ટિ સીમિત થઈ જાય છે. આ સિલસિલો આજકાલનો નથી, અવિરતપણે સમાજમાં તેની ભજવણી થતી રહી છે. અને એટલે પૂર્વે સમાજના અગ્રદૂતો કહી શકાય તેવાંઓએ આ વિશે પોતાના અનુભવો શબ્દબદ્ધ કર્યાં છે. પ્રજા પ્રત્યે બેદરકારી દાખવવાની અને તેમને ખરા સમયે રઝળતી મૂકી દેવાનો ક્રમ અગાઉ પણ ચાલ્યો છે. પણ આ સ્થિતિ ક્યારે અને કેવી રીતે આવે છે તે વિશે તેમણે કરેલાં મંથન, મનનના થોડાં દાખલા જોઈએ; તો તેનાથી ભવિષ્ય અંગે બોધપાઠ જરૂર મેળવી શકાય.

જેમ કે ટૉલ્સટૉય લિખિત એક સુંદર પુસ્તક છે : ‘ત્યારે કરીશું શું?’ ગુજરાતીમાં આ પુસ્તકનો અનુવાદ નરહરિ પરીખ અને પાંડુરંગ વળામેએ કર્યો છે. નવલકથા હોવા છતાં તેની પ્રસ્તાવનામાં કાકાસાહેબ લખે છે તેમ, “ટૉલ્સટૉયે વર્ણવેલા પ્રસંગો કાલ્પનિક નથી, એણે કરેલી મીમાંસા ‘તાત્ત્વિક’નથી. પુસ્તકની શરૂઆત તો રસ્તા પર ભટકતા ભિખારીઓનાં સુખદુઃખથી થાય છે પણ એનો મુખ્ય વિષય તો આખા મનુષ્યસમાના કલ્યાણનો છે.” આ પુસ્તકમાં એક ઠેકાણે ટૉલ્સટૉય લખે છે તે આજની સ્થિતિનો ચિતાર આપતા હોય તેમ જોઈ શકાય છે. તેઓ લખે છે : “દાક્તરની સ્થિતિ તો એથીયે ખરાબ છે. તે આખી વિદ્યા જ એવી પાખંડ છે કે જે કશું કામ કરતાં ન હોય અ પોતાનું બધું કામ બીજા પાસે કરાવતા હોય તેવાને જ તે સાજા કરી શકે છે. તે શાસ્ત્રીય રીતે કામ કરી શકે તે માટે તેને પાર વિનાનાં ખર્ચાળ સાધનો જોઈએ, ખર્ચાળ દવાઓ જોઈએ, શાસ્ત્રીય અને સ્વચ્છ એવા મોટા ઓરડા જોઈએ, ખર્ચાળ ખોરાક જોઈએ અને ખર્ચાળ સંડાસ જોઈએ. તેની ફી ઉપરાંત આ બધું ખર્ચ ઊઠાવવું જોઈએ. એટલે એક દરદીને તે સાજો કરે તેટલામાં જેમને માથે આ બધા ખર્ચનો બોજો પડે છે તેવા સૌને તો તે ભૂખે મારે. મોટાં મોટાં શહેરોમાં નિષ્ણાતો પાસે અભ્યાસ કરીને તેણે બહુ નામના મેળવેલી હોય છે. ઇસ્પિતાલમાં ખાટલામાં પડી રહેવું જેમને પોસાય એવા જ દરદીઓની તે દવા કરી શકે છે. અથવા સાજા થયા પછી, સાજા રહેવા માટે જરૂરી સાધનો ખરીદ કરી શકે એવા અને છેક ઉત્તરમાંથી દક્ષિણમાં અને દક્ષિણમાંથી ઉત્તરમાં હવાફેર માટે જઈ શકે એવા હોય તથા અમુક પાણીવાળાં સ્થળોએ રહેવા જઈ શકે એવાં હોય, તેવાઓની જ તે દવા કરી શકે છે.”

ટૉલ્સટૉયની તમામ વાતથી વાચક સહમત ન થાય, પણ આજની આપણી સ્થિતિનું કંઈક અંશે થયેલું નિરૂપણ તેમના આ લખાણમાં જોવા મળે છે. આ પુસ્તકમાં માનવજીવનની કડવી વાસ્તવિકતાની રજૂઆત છે અને એટલે જ કાકાસાહેબે પુસ્તક વિશે લખ્યું છે : “એ બહુ ખરાબ ચોપડી છે. એ આપણને જાગ્રત કરે છે, અસ્વસ્થ કરે છે. ધર્મભીરુ કરે છે. આ ચોપડી વાંચ્યા પછી એશઆરામ અને મોજમજાનાં દૂધમાં પશ્ચાતાપનો ખારો કાંકરો પડે છે. જ્યારે પોતાનું જીવન કાંઈક સુધારીએ ત્યારે જ એ મનોવ્યથા ઓછી થાય. માણસાઈને જ સાવ ગૂંગળાવી મારીએ તો તો સવાલ જ નથી.”

માણસાઈને ગૂંગળાવી મારનારાં આપણા આગેવાનો છે અને અત્યારે આવેલી સ્થિતિ તેમની બેદરકારીને આભારી છે. ટૉલ્સટૉયે જેમ બજાર દ્વારા ઊભી થયેલી આપણી સ્થિતિને આલેખી છે, તેવી જ રીતે એરિક ફ્રોમે ‘શાણો સમાજ’ પુસ્તકમાં સત્તાવાદી મૂર્તિપૂજા નામના પ્રકરણમાં આગેવાનો વિશે લખ્યું છે. એરિક ફ્રોમનું આ પુસ્તક કાંતિ શાહ દ્વારા અનુવાદિત થયું છે. અહીં એરિક લખે છે : “ફાસીવાદ, નાઝીવાદ અને સ્ટાલિનવાદમાં સામ્ય એ છે કે તેઓએ વામણા ને વિચ્છિન્ન થઈ ગયેલ માણને એક નવો આશરો ને સહીસલામતી બક્ષ્યાં. આ સમાજવ્યવસ્થાઓમાં માનવીનું પરાયાપણું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. વ્યક્તિને એવો અનુભવ કરાવાઈ રહ્યો છે કે તે શક્તિહીન અને તુચ્છ છે, પણ સાથે તેને એવું શીખવવામાં છે કે તેની બધી જ માનવીય શક્તિઓનું નેતામાં, રાજ્યમાં, પિતૃભૂમિતામાં આરોપણ કરવાનું. અ પોતે તેમને શરણે જવાનું છે તેમ જ તેમની પૂજા કરવાની છે. તે પોતાની સ્વતંત્રતાથી ભાગી છૂટે છે, અને એક નવી મૂર્તિપૂજાનું શરણું સ્વીકારે છે. … આ નવી વ્યવસ્થાઓનું ચણતર એમના કાર્યક્રમો તેમ જ એમના નેતાઓ વિશેના અત્યંત ખુલ્લંખુલ્લાં જુઠ્ઠાણાઓ પર થયું છે. એમના કાર્યક્રમોમાં તેઓએ કો’ક પ્રકારનો સમાજવાદ સિદ્ધ કરવાનો દાવો કર્યો છે, જ્યારે વ્યવહારમાં તેમણે જે કાંઈ કર્યુ તે આ શબ્દના અર્થથી વિરુદ્ધનું હતું. એમના નેતાઓનાં વ્યક્તિત્વો પણ અત્યંત છેતરામણાં હતાં.”

એરિક ફ્રોમની આ વાતનો ઉદ્દેશ આપણા દેશના સંદર્ભમાં સમજીએ તો જાણી શકાય કે કોરોનાનું જોર જ્યારે ઓછું થયું ત્યારે તેનો શ્રેય સરકારના નુમાંઈદગી કરનારાઓએ લીધો અને આજે કોરોના વકર્યો છે ત્યારે તેઓ પોતાની સત્તા વધુ વિસ્તરે તે માટે પ્રચાર કરી રહ્યા છે. વિદેશ ચિંતકોની જેમ આપણી ભાષાના સાહિત્યમાં આવા બોધ સાંપડે છે. મનુભાઈ પંચોળી ‘દર્શક’નું સૉક્રેટીસથી માર્ક્સ નામના પુસ્તકમાં ‘ઈશુ અને તેનો ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “સમગ્ર રાજનીતિના કેન્દ્રમાં પ્રશ્ન એ છે કે રાજ્ય અનિવાર્ય છે, રાજ્યને દંડશક્તિ આપવી અનિવાર્ય છે. પણ તેને દંડશક્તિ કેટલી આપવી? તેના પર કેમ અંકુશ રાખવો? સત્તા એવો નશો ચડાવે છે કે, સત્તા મેળવનારા વધારે ને વધારે સત્તા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્નશીલ રહે છે અને બીજું, તેમને પોતાનાં કૃત્યોનો જવાબ આપવાનું પસંદ નથી.”

આ પુસ્તકમાં જ આગળ ‘રાષ્ટ્રવાદ : દુનિયાનું દોજખ’ નામના પ્રકરણમાં મનુભાઈ પંચોળી લખે છે : “આ દુનિયામાં કોઈ પણ નિમિત્તે કે જરૂરિયાતોના સંદર્ભમાં લોકપ્રિય નેતાઓ-સરમુખત્યારોનાં પ્રજાએ અંધઅનુયાયી થવું અને તેમને સર્વસત્તા સમર્પિત કરવી તે આત્મઘાતક છે. સત્તા હંમેશાં નશો ચડાવે છે અને લૉર્ડ ઍક્ટને ધ્યાન દોર્યું છે તેમ નિરંકુશ સત્તા નિરકુંશ નશો ચડાવે છે અને પછી મનુષ્ય સર્વ ભાન ભૂલી જાય છે. જર્મનો પણ માણસ જ હતા. તેમને સંતાનો-પરિવાર હતાં છતે તેમની અંધ દેશભક્તિના ખ્યાલે નેતાઓના પ્રભાવ સાવ જડ પશુથી પણ હીણાં બનાવ્યાં. એટલે માનવજાતે કોઈ પણ અંધભક્તિ કરવી ન જોઈએ અને હંમેશાં વિવેકનો દીવો પ્રજ્વલિત રાખવો ઘટે.”

કોરોના અગાઉ આવી કટોકટીની કોઈએ કલ્પના પણ નહોતી કરી. જો કે નાની નાની અનેક ઘટનાઓ કટોકટીના એલાર્મરૂપી તો દેશમાં બનતી જ હતી, પરંતુ તેનો બોધપાઠ ન લેવાયો અને આજે દેશ સ્વાસ્થની કટોકટીમાં આવી ચૂક્યો છે. રોજેરોજ કોરોનાનો આંકડો રેકોર્ડ બ્રેક કરી રહ્યો છે. મૃત્યુઆંક વધી રહ્યો છે. તેમ છતાં તેનાં અનુભવને ગાંઠે બાંધીને નિર્ણય લેવાઈ રહ્યા નથી. બંગાળમાં ગત્ મહિનામાં જે ચૂંટણી પ્રચાર થયો તે તેનું ઉદાહરણ છે. અગાઉ રાજ્યમાં પણ એ જ રાહે ચૂંટણી થઈ પછી ક્રિકેટ જલસો થયો.

હવે આ સ્થિતિ કેમ આવી તે વિશે એરિક ફ્રોમ ‘શાણો સમાજ’ પુસ્તકમાં ‘સમજશક્તિ, અંતરાત્મા અને ધર્મ’ નામના પ્રકરણમાં લખે છે : “આજે માણસની બુદ્ધિનો ઘણો વિકાસ થયો છે, પણ તેની સમજશક્તિ ઘણી ઘટી છે. વાસ્તવિક પરિસ્થિતિને એ જેમની તેમ સ્વીકારી લે છે. એ તેને ખાવા માગે છે, તેનો ઉપભોગ કરવા માગે છે, તેને સ્પર્શવા માગે છે, તેને અનુકૂળ બનાવીને પોતાના માટે તેનો ઉપયોગ કરવા માગે છે, પરંતુ એ પૂછતોયે નથી કે તેની પછવાડે શું છે, આજે તે જેવી છે, તેવી શા માટે છે, અને બધું ક્યાં જઈ રહ્યું છે. ગમારપણાનો અર્થ આપણે જો સમજશક્તિપણાનો અભાવ કરતા હોઈએ, તો તે આજે પહેલાં કરતાં વધ્યું છે. આજે લગભગ દરેક માણસ ગીતા કે કુરાનની જેમ છાપું વાંચે છે, તેમ છતાં રાજકીય બનાવી સમજણનો આજે અભાવ છે. આજે આપણને એવા શસ્ત્રાસ્ત્રો બનાવી આપે છે, જેના પર આપણી સમજશક્તિ અંકુશ રાખી શકતી નથી. આપણને ‘શું છે’ તેની ખબર છે, પણ ‘શા માટે’ છે તેની ખબર નથી.”

e.mail : kirankapure@gmail.com

Loading

‘પહેલી વારના વાચનનો હરખ’

નારાયણ દેસાઈ|Opinion - Literature|13 May 2021

મહાદેવની પ્રવૃત્તિઓનો, તેઓ ગાંધીજી સાથે જોડાયા ત્યાર પછી થોડા જ સમયમાં, શંકરની જટામાંથી છૂટેલી ગંગાની જેમ વિસ્તાર થવા લાગેલો. ગાંધીજીનાં વ્યક્તિગત કામો તો હતાં જ. તે ઉપરાંત એમનાં ભાષણોની નોંધો રાખવી શરૂ થઈ. ગાંધીજીનું તે કાળે જે મુખ્ય કાર્ય હોય તેને પત્રો દ્વારા, ચર્ચાઓ દ્વારા અને કોઈ કોઈ વાર નાનીમોટી બેઠકોમાં વાર્તાલાપ દ્વારા સમજાવવાનું  પણ શરૂ થયું. પણ અનેકવિધ પ્રવૃત્તિઓ છતાં મહાદેવ પોતાનો સ્વાધ્યાય નહીં છોડતા. તેઓ નિયમિત રીતે કાંઈક ને કાંઈક વાંચતા, અને તેમાં યે પોતાના કામને અંગે જરૂરી હોય એવું વાચન તો શોધી કાઢીને વાંચતા. એક સ્થળના સ્વાગતનો ભારી ભભકો જોઈ મહાદેવ ડાયરીમાં નોંધે છે, ‘આવા ભારે ભભકાનું વર્ણન તો વૉલ્ટર સ્કોટ જ કરી શકે. સ્કોટ વાંચવો પડશે.’

સાહિત્યની વાત આવી છે તો સાથે સાથે એટલું પણ કહી દઈએ કે મહાદેવભાઈએ જ નહીં, પણ ગાંધીજીએ પણ આ કાળ દરમિયાન ઠીક ઠીક ગુજરાતી સાહિત્ય વાંચ્યું હતું. અવારનવાર ગુરુશિષ્ય વચ્ચે સાહિત્યચર્ચા ચાલતી. સૈનિકભરતીના કામ દરમિયાન ગાંધીજીએ ભોગવેલી મરડાની ગંભીર માંદગી વખતે રોજ સવારે મહાદેવ ગાંધીજીને આનંદશંકર ધ્રુવની हिंदु धर्मनी बाळपोथी વાંચી સંભળાવતા. ‘એમાંથી હું તો રસના ઘૂંટડા પી રહ્યો છું.’ એમ ગાંધીજી કહેતા. મહાદેવભાઈ વાંચતા જાય અને ગાંધીજી ‘હદ વાળી છે, અદ્દભુત ભંડાર ઠલવ્યો છે’ એવા એવા ઉદ્દગારો કાઢે. પોતાના પરમ મિત્ર સી.એફ. ઍન્ડ્રૂઝને લખ્યું :

‘આ નિબંધો શુદ્ધ કાંચન છે. આ પ્રાંતમાં મોટામાં મોટા વિદ્વાન પૈકીના એ છે. આ નિબંધોથી મને ભારે સુખ મળ્યું છે. આત્માના મિલનનો અર્થ વધારે સારી રીતે સમજવામાં તેણે મને મદદ કરી છે.’

મણિલાલ નભુભાઈના कांता નાટક વિશે અભિપ્રાય મિશ્ર હતો : 

‘સારું નાટક છે. કલાત્મકતા છે, પણ અંગ્રેજી ભાવો ઘણા જ છે. જ્યાંત્યાં અંગ્રેજી ભણકારા વાગે છે. તરલાનું પાત્ર અંગ્રેજી નાટકોના પાત્ર જેવું છે. વાંચીને रिचर्ड ध थर्ड અથવા मेकबेथ યાદ આવે. रिचर्ड ध थर्ड વધારે.’

राईनो पर्वत વિશે કહે, ‘વીણાવતીને દાખલ કરીને રમણભાઈએ નાટકની કિંમત ઓછી કીધી છે. પાછલા ભાગમાં જાણે વિધવા પુનર્વિવાહનું ચોપાનિયું લખતા હોય તેવું થઈ ગયું છે. નાટક ઉત્તમ છે એમાં શક નથી. પણ આ ખામી તો છે જ. એણે ખૂબ ચડાવ્યું પણ આગળ જઈને પડ્યા.’

દોલતરામ પંડ્યાના अमरसत्र નાટક વિશેની ચર્ચા એ બંનેને ‘ક્લિષ્ટ’ શબ્દ અંગેની ચર્ચામાં ઉતારી ગઈ :

‘મહાદેવ, ‘अमरसत्र’ તો સારું છે, પાછળથી શ્લોકો પણ સારા આવે છે; પ્લૉટ તો ધૂળ જેવું છે, પણ લખાણ સારું છે અને દોલતરામ પંડ્યા કુદરતી લખતા હોય એવું લાગે છે.’

મેં કહ્યું : મેં વાંચ્યું નથી એટલે શું કહું ? પણ ક્લિષ્ટ શૈલી તો હોવી જોઈએ.

બાપુ કહે : તમે ક્લિષ્ટ કોને કહો ?

મેં કહ્યું : જે વિચાર વધારે સહેલી ભાષામાં મૂકી શકાતો હોય છતાં જે કઠણ ભાષામાં બતાવવાની ખાતર બતાવ્યો હોય, જેમાં કઠણતા એ ભૂષણ નહીં હોય પણ ભારરૂપ હોય તે ક્લિષ્ટ. અને એવી શૈલી દોલતરામ પંડ્યાની ગણાય છે.

બાપુ કહે : ના, સમજવું કઠણ પડે તેને ક્લિષ્ટ નહીં કહેવાય.

મેં કહ્યું : રમણભાઈનો જે સરળતાનો ગુણ છે, તે ગુણ દોલતરામ પંડ્યામાં છે જ નહીં.

તો કહે : તે ખરું, પણ એની કઠણ ભાષાને હું ક્લિષ્ટ નહીં કહું, કારણ, સમજતાં વાર લાગે તેથી આપણે કોઈ ભાષાને ક્લિષ્ટ નથી કહી શકતા.

મેં કહ્યું : જાણી જોઈને ક્લિષ્ટ કરી હોય, વિના કારણ કઠણ કરી હોય તે ક્લિષ્ટ કહેવાય. વિચાર ન સમજાવાને લીધે મણિલાલની ભાષા કઠણ લાગે પણ તે ક્લિષ્ટ નહીં. અલંકારોને લીધે કઠણ લાગે એવી ગોવર્ધનભાઈની ભાષા ક્લિષ્ટ નહીં, પણ શ્લિષ્ટ જ કહેવાઈ છે.

તો કહે કે : હશે. પણ મણિલાલની ભાષા ઘણે ઠેકાણે એવી નથી કે જેને સાદી રીતે બતાવાય છતાં કઠણ રીતે બતાવી હોય ?

મેં કહ્યું : ના.

વાત ત્યાં અટકી. પછી મેં પૂછ્યું :

અંગ્રેજી લેખકોમાં ક્લિષ્ટ ભાષા કોની ?

જરા વિચાર કરીને કહે : આપણને ક્લિષ્ટ લેખકો શીખવાતા નથી, એટલે શું કહેવાય ?

મેં કહ્યું : જોન્સન તો ન કહેવાય.

તો કહે : ના, નહીં જ.

મેં જરા હસતાં હસતાં કહ્યું : ઓસ્ટિનની જ્યુરિસ્પ્રુડન્સ ક્લિષ્ટ કહેવાય.

બાપુ : મને તો નથી લાગી. એની એક પ્રકારની રીત હતી, પણ મને તે તેમાં બહુ રસ પડતો.

મેં કહ્યું : ડાઈસીના જેટલો પ્રસાદ એમાં ખરો કે ?

તો કહે : ના. એ વાત સાચી, પ્રસાદ તો નથી જ. પછી કહે : તમે स्टीवन्स डिजेस्ट ऑफ एविडन्स વાંચેલો ? એના ઉપર હું તો ફિદા છું. આપણે કાયદાનાં પુસ્તકો પણ આપણી ભાષામાં લાવવાં જોઈએ. પણ આપણા વકીલોને ક્યાં ગુજરાતીમાં બોલવું જ છે ? એ લોકોને ભાન ક્યાં છે કે ગુજરાતીમાં એ પુસ્તકો મૂકી દેવાથી પ્રજાને કેટલી ચડાવાય ? અને આપણા સાક્ષરોને તો જાણે સાચી પ્રવૃત્તિ હાથ લાગી જ નથી. રેઢિયાળ પુસ્તકોનું ભાષાંતર કરે, પણ આવું કાંઈ સૂઝે છે ?

મેં કહ્યું : મારે દોલતરામ પંડ્યા વાંચવા જોઈશે. તમે વાંચશો એ મને ખાતરી હતી એટલે જ મેં તમારે માટે કઢાવેલી.

તો કહે : હું તો વાંચવાનો જ. મારે તો ગુજરાતીમાં રેઢિયાળમાં રેઢિયાળ પુસ્તક હોય તે વાંચ્યે જ છૂટકો છે. હા, મને લાગે છે કે, ગુજરાતી બાઇબલ મારાથી ન વંચાય. એનું કારણ એ છે કે અમુક વરસો સુધી એક વસ્તુ અદ્દભુત ભાષામાં વાંચેલી તેની તે જ વસ્તુ બીજી ખરાબ ભાષામાં વાંચવી કઠણ પડે. બાઇબલનું ભાષાંતર કરાવવાનું તો મિશનરીઓને માથે પડ્યું. એટલે ભવ્યમાં ભવ્ય પુસ્તકનું અને અંગ્રેજી સાહિત્યના ઉત્તમ નમૂનાનું ભાષાંતર તે તદ્દન રદ્દી થયું. આપણા સાક્ષરોને એ કરવાનું પણ સૂઝ્યું નથી. ક્યારે સૂઝશે ?

ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય મહાદેવે ગાંધીજી કરતાં ઘણું વધારે વાચ્યું હતું એટલે કોઈક વાર ગાંધીજીને કોઈ લેખકને વાંચીને હરખાતા જુએ તો મહાદેવ માત્ર એટલું જ કહે કે, ‘પહેલી વારના વાચનનો હરખ છે.’

(નારાયણ દેસાઈ લિખિત ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’, પૃ. 154-156)

Loading

...102030...1,9371,9381,9391,940...1,9501,9601,970...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved