Opinion Magazine
Number of visits: 9747015
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કવીશ્વર દલપતરામ અને બુદ્ધિપ્રકાશ

દીપક મહેતા|Opinion - Literature|31 May 2021

‘અમારા વાચનારાઓને બહુ ખુશીથી ખબર આપીયે છિયે જે કવેશ્વર દલપતરામ ડાહ્યાભાઈને વરનાક્યુલર સોસાયટીનાં આશીશ્ટેંટ સેક્રીટેરી તથા બુદ્ધિપ્રકાશ ચોપાનીયાના એડીટર ઠરાવા છે.' બુદ્ધિપ્રકાશ જુન ૧૮૫૬ (અહીં અને હવે પછી અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે.)

‘એમની આંખે હરકત થવાથી રાજીનામું મોકલી ગુ.વ. સોસાયાટીના આસિષ્ટંટ સેક્રેટરીની નોકરી તથા આ બુદ્ધિપ્રકાશ ચલાવવાનું કામ છોડી દીધું તે હું ખેદ સહીત જાહેર કરું છુ.’ બુદ્ધિપ્રકાશ માર્ચ ૧૮૭૯

એટલે કે બુદ્ધિપ્રકાશ અને સોસાયટી સાથેનો દલપતરામનો સંબંધ લગભગ ૨૩ વરસનો. અલબત્ત, આ સમયગાળામાં એક યા બીજા કારણસર તેમની જવાબદારી બીજા કોઈએ કામચલાઉ ધોરણે સંભાળી હોય એવું બન્યું છે. ૧૮૫૯ના એપ્રિલની પહેલી તારીખથી આઠ મહિનાની રજા લઈને આંખની તકલીફની સારવાર કરાવવા દલપતરામ મુંબઈ ગયા તે દરમ્યાન આસિસ્ટન્ટ સેક્રેટરી તથા ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી તરીકે રણછોડભાઈ ઉદયરામે જવાબદારી સંભાળી હતી. ૧૮૬૩માં ફાર્બસે દલપતરામને મુંબઈ બોલાવ્યા એટલે ૧૩મી એપ્રિલથી બે મહિના માટે રજા લઈને દલપતરામ મુંબઈ ગયા હતા. એ વખતે બુદ્ધિપ્રકાશના મે ૧૮૬૩ના અંકમાં આ નોંધ છપાઈ છે : ‘બુદ્ધિપ્રકાશના અધિપતિનું હમણાં બે મહિનાની રજા લેઈ મુંબઈ જવું થવાથી આ ચોપાનિયું લખવાનું કામ બીજા એક શખ્સને સોંપવામાં આવ્યું છે … બીજું, ચોપાનિયાના પુંઠાનાં કાગળો અગાઉથી એક તરફ છપાવી મુક્યા છે, તેથી અંગ્રેજી જાહેરખબરમાં ફેરફાર કરી શકાતો નથી.’ ફાર્બસ અને કર્ટીસની સલાહની અવગણના કરીને દલપતરામે સોસાયટીની નોકરીમાંથી રાજીનામું આપીને શેર બજારમાં ઝંપલાવ્યું ત્યારે વ્રજલાલ શાસ્ત્રીની આસિસ્ટન્ટ સેક્રેટરી અને બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે નિમણૂક થઈ હતી. પણ પછી શેર બજાર ભાંગ્યું અને દલપતરામને મોટી ખોટ ગઈ તે ભરપાઈ કરવાની વ્યવસ્થા તો ફાર્બસે કરી જ પણ સાથોસાથ દલપતરામને ફરી નોકરીએ રાખવા કર્ટીસને આગ્રહ કર્યો, અને તેથી દલપતરામ સોસાયટીમાં ફરી જોડાયા. બુદ્ધિપ્રકાશના ઓગસ્ટ ૧૮૬૬ના અંકમાં દલપતરામની સહીથી આ પ્રમાણેની ‘સુચના’ છપાઈ છે : ‘તા. ૯ જુલાઈથી વ્રજલાલ શાસ્ત્રીને બીજું કામ સોંપ્યું છે, અને આસીસ્ટંટ શેક્રેટરીનો ચાર્જ મેં લીધો છે.’

દલપતરામ જોડાયા તે પહેલાં સોસાયટી તરફથી ૧૮૪૯ના મે મહિનાની બીજી તારીખથી ‘વરતમાંન’ નામનું અઠવાડિક શરૂ થયું હતું અને અગાઉ વિદ્યોત્તેજક સભાએ ૧૮૫૦માં શરૂ કરેલું બુદ્ધિપ્રકાશ માસિક ૧૮૫૪ના માર્ચથી સોસાયટીએ પોતાને હસ્તક લીધુ હતું. એ વખતે દલપતરામ સોસાયટી સાથે સીધી રીતે સંકળાયેલા નહોતા એટલે આ બંને શરૂ કરવામાં તેમનો ફાળો નહિવત. બલકે બુદ્ધિપ્રકાશના નવાવતાર વખતે દલપતરામ અમદાવાદમાં જ નહોતા.  ૧૮૫૩ના ઓક્ટોબરમાં ફાર્બસની ભલામણથી તેઓ સાદરાના પોલિટિકલ એજન્ટની સરકારી નોકરીમાં જોડાયા હતા. પણ આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે જોડાયા પછી ૧૮૫૫ના જુલાઈ અંકથી દલપતરામ બુદ્ધિપ્રકાશના તંત્રી બન્યા. એ અંકના પહેલા પાના પર છપાયેલા નિવેદનમાં દલપતરામે લખ્યું : ‘હવેથી સોસાઈટી તરફથી બુદ્ધિપ્રકાશ ચોપાનીયાં(માં) જે છપાશે તેમાં કેટલાએક વિષય મારા બનાવેલા હશે. તો મારી મહેનત સાંમું જોઈને મહેરબાની કરીનેં આ ચોપાનીયું ખુબ દિલ લગાડીનેં તમારે વાંચવું. નેં બીજાઓને વાંચી સંભળાવવું ને જે રીતે એ ચોપાનીયાંનો વધારે ફેલાવ થાય, એ રીતે કરવામાં મેહેનત લેવી જોઈએ, કે જેથી આપણા દેશનું કલ્યાણ થાય. લોકોની બુદ્ધિનો વધારો થાય. એ કામ મોટા પરોપકારનું છે.’

તે પછી તેમણે વાચકો માટે છ સૂચના લખી છે તેમાં પાંચમી આ પ્રમાણે છે : 'આ ચોપાનીયામાં કોઈ વખત ઘણી સારામાં સારી વાત તમને પસંદ પડે એવી છપાય ત્યારે તમારે અમને લખી જણાવવું. કે જેથી અમને માલમ પડે કે આવી વાતો વાંચવાથી તમો ખુશી છો તો પછી તેવી બાબતો વીશેષ લખીશું. જે તે બાબત તમને મુદ્દલ પસંદ ન પડે તો તે પણ લખી જણાવશો તો તે વીશે વીચાર કરીશું.’ પત્રકારત્વનો અગાઉનો અનુભવ ન હોવા છતાં આપસૂઝથી આ વાક્યો લખાયાં છે. અખબાર કે સામાયિકના વાચકને ભાગીદાર બનાવવાની જરૂર આજના કરતાં પણ નવયુગના મંડાણના એ જમાનામાં ઘણી વધારે હતી, અને એ વાત દલપતરામે સ્વીકારી અને જાહેર કરી હતી.

દલપતરામ જોડાયા તે પહેલાંના બુદ્ધિપ્રકાશના અંકો જોતાં જણાય છે કે ખાસ કોઈ ફોકસ વગર તેમાં લખાણો છપાતાં હતાં. તેમાં જે છપાતું તેને બાંધે ભારે નવી માહિતી આપનારાં લખાણ કહી શકીએ. જ્યારે દલપતરામે પોતાના તંત્રીપણા નીચેના પહેલા જ અંકથી બુદ્ધિપ્રકાશને એક ફોકસ આપ્યું. જુલાઈ ૧૮૫૫ના અંકમાં જ ‘ચોપાનીયું વાંચવાથી ફાયદા વીશે’ નામના લેખમાં લખે છે : ‘સ્વદેશનો સુધારો થવાનો ઊપાય આવાં ચોપાનીયાં પ્રગટ કરવાં એથી જ મળી આવશે. દેશનો સુધારો એટલે એ કે જેવા વિલાયતના લોકો વિદ્યા તથા હુનરમાં કુશલ છે, ને એક સંપથી મળીને હરેક કામ કરે છે, તેમ જ આપણા દેશના રાજા તથા પ્રજા એવા સુધરેલા થાય, ને આબરૂ, ધન તથા વિદ્યાનો વધારો કરીને તેનો ઊપભોગ સારી રીતે કરે એવું થાય એનું નામ સુધારો કહેવાય.’ દલપતરામની સુધારાની આ વ્યાખ્યા પુસ્તકિયા નથી પણ વ્યવહારિક છે. સુધારો એ મુખ્ય ઉદ્દેશ. તેની સીડીનાં પગથિયાં ત્રણ : વિદ્યા, હુન્નર, અને સંપ. અને તે માટેનો આદર્શ તે વિલાયતના લોકો. અને સુધારાની જરૂર માત્ર લોકોને જ નથી, ‘આપણા દેશના રાજા’ને પણ છે. અહીં દલપતરામને દેશી રાજ્યોના રાજવીઓ અભિપ્રેત હશે તેમ માની શકાય. પરિણામે બુદ્ધિપ્રકાશના સંપાદનમાં પણ સુધારો કેન્દ્રમાં, અને તેની આસપાસનાં ત્રણ વર્તુળ તે વિદ્યા, હુન્નર, અને સંપ. અને આ માટે આદર્શ વિલાયતના લોકો. એ જ અંકમાં દલપતરામ વણમાગી કબૂલાત આપે છે : ‘આપણા દેશના સુધારા વિશે મહારા તનમનધનથી હું ખુબ મેહેનત લેવા ચાહું છુ.’

અને પછીના વરસોમાં દલપતરામે બુદ્ધિપ્રકાશને અજવાળવા ખરેખર ખૂબ મહેનત કરી છે. ખૂણેખાંચરેથી એ જમાનામાં માહિતી એકઠી કરીને વાચકો સામે મૂકી છે. અને એ માહિતી, કે સુધારાની વાત, બને તેટલી આકર્ષક રીતે, મનોરંજક રીતે પોતાનાં અને બીજાનાં લખાણો દ્વારા રજૂ કરી છે. વાચકોના મનોરંજન માટેનાં તેમના હાથમાં લેખો ઉપરાંત બીજાં બે સાધન : કવિતા અને વારતા. કવિતા મોટે ભાગે પોતે રચેલી. મધ્યકાલીન પરંપરાને અનુસરીને છેલ્લી પંક્તિમાં પોતાના નામની છાપ મૂકતા એટલે ઓળખવી સહેલ. પણ એ જમાનાનાં બીજાં સામયિકોની જેમ બુદ્ધિપ્રકાશમાં પણ ઘણાં લખાણો – ખાસ કરીને ગદ્યલખાણો – લેખકના નામ વગર છપાતાં. એટલે એ કોનાં લખેલાં એ આજે કળવું મુશ્કેલ. પણ જેને આપણે ભલે ટૂંકી વાર્તા ન કહીએ, પણ તેની પ્રોટોટાઈપ તો કહી જ શકીએ એવી ઘણી કૃતિઓ ૧૯મી સદીના બુદ્ધિપ્રકાશના અંકોમાં જોવા મળે જ છે, અને તે બધી નહિ તો તેમાંની ઘણી દલપતરામે લખેલી છે. પણ આમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? કારણ આવી વારતાઓ માટે દલપતરામે જે ઘાટ અપનાવ્યો છે તેમાં આરંભે અને અંતે પદ્યની પંક્તિઓ મૂકે છે, અને અંતની પંક્તિમાં પોતાના નામની છાપ મૂકે છે. એટલે આવી વારતાઓનું કર્તૃત્ત્વ તો દલપતરામનું જ એ સિદ્ધ થાય છે.

દલપતરામની મુખ્ય ઓળખાણ કવીશ્વર તરીકેની. એટલે તેમનાં ગદ્ય લખાણો તરફ થોડું ઓછું ધ્યાન અપાયું છે. વળી તેમની કવિતાનો સંગ્રહ દલપતકાવ્ય (ભાગ ૧, ૧૮૭૯) દલપતરામની હયાતીમાં પ્રગટ થયો. ભલે આંખની તકલીફને કારણે તેમણે પોતે સંપાદન ન કર્યું, પણ તેમની રોજિંદી દેખરેખ નીચે સંપાદનનું કામ તેમના અંતેવાસી બુલાખીદાસ કાળીદાસે કર્યું. કવિ નાનાલાલ કહે છે : ‘બુલાખીદાસ એટલે પ્રજ્ઞાચક્ષુ દલપતવ્યાસજીના લહિયા ગણેશજી … દલપતરામના ઘરનું મુનીમનું રીતનું કામકાજ કરતાં, ને ઘરનાં અંગ જેવા હતા. બુલાખીદાસ એટલે જાણે અમારા છઠ્ઠા ભાઈ. બાર વર્ષના હતા ત્યારથી દલપતરામ કને રહ્યા હતા.’ (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ) પરિણામે, દલપતકાવ્યમાં કવીશ્વરની ઘણીખરી કાવ્યકૃતિઓ સમાવી લેવાઈ છે. અલબત્ત, બુદ્ધિપ્રકાશના અંકો ફંફોસતાં બીજાં થોડાં કાવ્યો પણ મળી આવે ખરાં.

દલપતકાવ્યના પહેલા ભાગની શરૂઆતમાં મૂકાયેલા દલપતરામના લખાણમાં એક વાક્ય આ પણ જોવા મળે છે : ‘સન ૧૮૫૪થી બુદ્ધિપ્રકાશ ચોપાનીઊં પ્રગટ થયું ત્યારથી આજ સુધીમાં મારું લખાણ તેમાં ઘણું છે.’ અહીં ‘લખાણ’ શબ્દથી તેમને ‘ગદ્યલખાણ’ અભિપ્રેત હોવાનો પૂરો સંભવ છે. પણ આજ સુધી દલપતરામનાં આવાં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલાં ગદ્ય લખાણો તરફ નથી ઝાઝું ધ્યાન અપાયું કે નથી તે ગ્રંથસ્થ થયાં. ઈ.સ. ૨૦૦૦માં પ્રગટ થયેલ દલપત ગ્રંથાવલિના બીજા ભાગમાં બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલી છ લેખમાળા અને થોડાક છૂટક લેખો સમાવ્યા છે, પણ હજી ઘણું વધારે ગદ્યલખાણ ગ્રંથસ્થ થવાની રાહ જોઈ રહ્યું છે. આવી કેટલીક લેખમાળા :

૧. રાસમાળાની વાત : ૧૮૫૮-૧૮૫૯ (૧૨ હપ્તા)

૨. રામદાસ શેઠની મુસાફરી ૧૮૬૭ (૭ હપ્તા) કાલ્પનિક નાયક રામદાસની દેશનાં કેટલાંક જાણીતાં સ્થળોની મુલાકાત.

૪. માથેરાનની મુસાફરી : ૧૮૭૦ (૨ હપ્તા. આ જ વરસે મે મહિનામાં મંગળદાસ નથુભાઈના આમંત્રણથી કવીશ્વર અમદાવાદથી માથેરાન ગયા હતા.)

૫. કાવ્યતરંગ (ગદ્ય-પદ્ય મિશ્રણ) ૧૮૭૪-૧૮૭૬ (૨૧ હપ્તા)

આ ઉપરાંત બીજાં ઘણાં છૂટક ગદ્ય લખાણો છે – જેમ કે મુંબઈ અને વડોદરા વિશેના લેખ – જે   આજ સુધી ગ્રંથસ્થ થયા નથી. આપણે કવીશ્વરની દ્વિશતાબ્દી તો રંગેચંગે ઊજવી, પણ તેમનું સાચું તર્પણ કરવું હોય તો બુદ્ધિપ્રકાશમાં પ્રગટ થયેલાં તેમનાં બધાં ગદ્ય લખાણો વહેલી તકે ગ્રંથસ્થ કરી લેવાં જોઈએ.

બુદ્ધિપ્રકાશના જે અંકમાં (માર્ચ ૧૮૭૯) દલપતરામના રાજીનામાની જાહેરાત હતી એ જ અંકમાં સોસાયટીના આસિસ્ટન્ટ સેક્રેટરી અને બુદ્ધિપ્રકાશના તંત્રીની જગ્યા માટેની જાહેર ખબર પણ ઓનરરી સેક્રેટરી મહીપતરામ રૂપરામની સહીથી છપાઈ હતી. તેમાં લખ્યું હતું : ‘અરજ કરનાર ઉમેદવારને ઇન્ગ્રેજી ભાષાનું તથા શુદ્ધ ગુજરાતી ભાષાનું સારૂં જ્ઞાન હોવું જોઈએ. અને તેની જોડે જેને સંસ્કૃત ભાષા આવડતી હશે તેણે નિમાવાની વધારે આશા રાખવી. વિદ્વત્તાની તથા સારી ચાલની ખાતરી કરવી પડશે. હરકોઈ સાધારણ ઇન્ગ્રેજી પુસ્તકનું શુદ્ધ ગુજરાતીમાં ભાષાંતર કરતાં કે તેનો સાર શુદ્ધ ગુજરાતીમાં લખતાં તથા બુદ્ધિપ્રકાશને માટે વિષયો લખતાં તથા નિબંધો રચતાં ઉમેદવારને આવડવું જોઈએ.’ આ જગ્યાએ ફૂલ ટાઈમ કામ કરે તો પગાર મહીને પચાસ રૂપિયા અને પાર્ટ ટાઈમના ૩૦ રૂપિયા! પણ આવી વ્યક્તિ લાંબા સમય સુધી મળી નહિ હોય તેમ લાગે છે કારણ આ જાહેર ખબર છપાયા પછી ઘણા વખત સુધી બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે કોઈનું નામ છપાયેલું જોવા મળતું નથી.

૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે દલપતરામનું અવસાન થયું તે અંગેની નોંધ બુદ્ધિપ્રકાશના મે ૧૮૯૮ના અંકના ચોથા કવર પર છપાઈ છે તેમાં બીજી વિગતો ઉપરાંત લખ્યું છે : ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને અને આ ચોપાનીયાને જન્મ આપી તેનો ઉત્કર્ષ કરનાર તે જ ગૃહસ્થ હતા. માટે તેમના સ્વર્ગવાસથી ગુજરાતને ઘણી રીતની ખોટ પડી છે. આ ચોપાનીયું છપાઈ રહ્યા પછી આ ખબર મળવાથી તેમના વિષે સવિસ્તર હકીકત આવતા અંકમાં આપવામાં આવશે.’ જૂન અંકમાં જીવરામ અજરામરગોર તથા બાઈ એસ્તર ખીમચંદનાં અંજલી કાવ્યો છાપ્યાં છે, પણ અગાઉની જાહેરાત પ્રમાણે ‘સવિસ્તર હકીકત’ જોવા મળતી નથી. માત્ર ‘કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ સી.આઈ.ઈ. સ્મારક ફંડ’ સ્થાપવા માટે ૧૩મી એપ્રિલે મળેલી સોસાયટીની જનરલ સભાનો અહેવાલ છાપ્યો છે. આ અંકમાં સોસાયટીના કોઈ હોદ્દેદારે અંજલી આપી નથી એ જોઈ થોડી નવાઈ લાગે.

શરૂઆઅતથી લિથોગ્રાફ પ્રેસમાં છપાતું બુદ્ધિપ્રકાશ દસ વરસ પછી મુવેબલ ટાઈપ વાપરીને છપાતું થયું તે પણ દલપતરામને પ્રતાપે. ૧૮૪૫ પહેલાં તો અમદાવાદમાં એક પણ છાપખાનું નહોતું. એટલું જ નહિ, ૧૮૬૪ સુધી જેટલાં છાપખાનાં હતાં તે બધાં લિથોગ્રાફ હતાં. ૧૮૬૩ની મુંબઈની મુલાકાત દરમ્યાન દલપતરામ દફતર આશકારા પ્રેસના માલિક બેહરામજી ફરદુનજી મર્ઝબાનને મળ્યા હતા. બેહરામજીએ કહ્યું કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એકે છાપખાનું નથી એ શરમાવા જેવી વાત છે. તમારી સોસાયટી દ્વારા અથવા બીજી ગમે તે રીતે તમારે આવું છાપખાનું શરૂ કરવું જોઈએ. દલપતરામ, રણછોડલાલ હીરાચંદ, કેવળદાસ દેવકરણદાસ, અને જીવણલાલ માણેકચંદ એ ચાર ભાગીદારોએ પાંચ હજાર રૂપિયાના ખર્ચે મુંબઈથી માલસામાન મગાવીને મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું. આ પ્રકારનું અમદાવાદનું એ પહેલું પ્રેસ. શરૂઆતમાં તેનું નામ ‘અમદાવાદ યુનાઈટેડ પ્રેસ કંપની’ રાખવામાં આવ્યું. પછીથી બદલીને ‘યુનાઈટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી’ રાખવામાં આવ્યું. એ વખતે ભાગીદારોની સંખ્યા વધારીને ૧૮ની કરવામાં આવી. દરેક નવા ભાગીદારે એક-એક હજાર રૂપિયા રોક્યા હતા. તેમાંના કેટલાક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નોકરિયાતો હતા. ૧૮૬૪ના જાન્યુઆરી અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ આ નવા પ્રેસમાં છપાવા લાગ્યું. દલપતરામની નિવૃત્તિ પછી પણ ઘણાં વરસ આ જ પ્રેસમાં બુદ્ધિપ્રકાશ છપાતું રહ્યું. આમ, બુદ્ધિપ્રકાશના બાહ્ય કલેવરના રૂપાંતરમાં પણ દલપતરામનો મહત્ત્વનો ફાળો.

આ બધાંને પરિણામે એક જમાનામાં બુદ્ધિપ્રકાશ અને દલપતરામ જાણે કે એકબીજાના પર્યાય જેવા બની ગયા હતા.

xxx xxx xxx

Flat No. 2 Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kala Nagar, Bandra (East), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “બુદ્ધિપ્રકાશ”, મે 2021

Loading

સમતોલ માનવીય શિક્ષણને સમર્પિત કુમારભાઈ

યોગેન્દ્ર વિ. ભટ્ટ|Opinion - Opinion|31 May 2021

કુમારભાઈના નામે વધુ પરિચિત એવા સ્વ. હેમેન્દ્રભાઈ વિ.ભટ્ટ, ગુજરાતના અર્વાચીન અને ગાંધીયુગના એક સમન્વિત, પક્વ, સુફળ જેવા હતા. પિતાજી વિષ્ણુભાઈ ભાવનગરની સુખ્યાત ’દક્ષિણામૂર્તિ’માં પ્રારંભે સ્વ. નાનાભાઈ-ગિજુભાઈના વિદ્યાર્થી અને પછી ત્યાં જ સહકાર્યકર રહ્યા, માતા રસિલાબહેન પણ પછી દક્ષિણામૂર્તિ બાલઅધ્યાપન મંદિરનાં તાલીમાર્થી બન્યાં હતાં. કુમારભાઈને આદરણીય ગિજુભાઈના ખભે તેમ જ બાલમંદિરમાં રમવાનું – ઘડાવાનું પરમ સદ્ભાગ્ય મળ્યું હતું.

કંઈક દેખાવડા અને પ્રથમ પુત્ર તરીકે જન્મીને લાડમાં ઊછર્યા હોવાથી ઘરમાં મોટાભાઈ તરીકે જવાબદારી – ચિંતા સાથે સ્વમાન – સ્વીકાર વિષે થોડા જાગૃત રહેતા લાગતા. જો કે પત્રોેમાં મોટા ભાગની વ્યક્તિઓને એ આખરી સહી કરવા સાથે વંદન જ પાઠવતા. બચપણમાં લાડના ભાગ તરીકે જ લોકભારતીમાં પાડોશી ન.પ્ર. બૂચ દંપતીનું પણ ખાસ્સું હેત તે પામેલા. ચિત્રકામની તેમને કુદરતી બક્ષિશ મળેલી. તરુણવયે ગુજરાતના મોટા ચિત્રગુરુ સોમાલાલ શાહ પાસે ચિત્રની, ખોડીદાસ પરમાર સાથે જ ’તાલીમ લેવા જતાં, પણ પછી પીંછી છૂટી ગઈ. ખોડીદાસભાઈ ઘણીવાર એ માટે અફસોસ વ્યક્ત કરતા. ભાવનગર-અમદાવાદ હાઈસ્કૂલ પછી ’વેડછી આશ્રમ’. પછી ’ગૂજરાત વિદ્યાપીઠ’, અને પછી ગુજરાત યુનિવર્સિટી એમ એમનું ભણતર-ગણતર ચાલ્યું. ગિજુભાઈનાં સ્નેહ-સંસ્કાર-કૌશલની દીક્ષા ઉપર જુગતરામકાકા અને મગનભાઈ દેસાઈ જેવા મહાનુભાવોના સંપર્ક – પ્રભાવનો પણ લાભ મળ્યો. ’સ્નાતક’ તરીકે વિદ્યાપીઠમાં ઘણું ઘડાયા. અનેક સારા મિત્રો પણ મળ્યા. પોરબંદરમાં બી.એડ્. કર્યું અને ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર ડૉ. કે.જી. દેસાઈ પાસે એમ.એડ્. પણ પૂરું કર્યું અને શિક્ષણક્ષેત્રની કામગીરીમાં જ સ્થિર થયા. 

આરંભ સર્વોદય આશ્રમ, શાહપુર(જૂનાગઢ)થી થયો, ત્યાં લોકશાળામાં અને પછી અધ્યાપન મંદિરમાં અધ્યાપક અને આચાર્ય તરીકે ફરજ બજાવી. વિદ્યાર્થીઓ તેમને ચાહતા, માન આપતા. શાહપુરમાં સ્વ.ઇસ્માઇલભાઈ નાગોરી અને સ્વ.અકબરભાઈ નાગોરી પાસે ત્યારે ઉત્તમ યુવાન શિક્ષકોનું જૂથ હતું. તે કાયમ રહ્યું હોત તો તે સંસ્થાએ ભવિષ્યમાં કદાચ ઘણું નામ કાઢ્યું હોત. કુમારભાઈ દંપતી શાહપુરમાં ઘણો લાંબો સમય રહ્યાં તેમાં અકબરભાઈ નાગોરી દંપતીના સૌજન્યનો ય ઘણો ફાળો રહ્યો. મોરારિબાપુ જેવા વ્યક્તિવિશેષ પણ, પોતાના ભૂતકાળના, શાહપુરના તાલીમાર્થી તરીકેના દિવસોને યાદ કરીને, શિક્ષક કુમારભાઈને અવારનવાર ભાવપૂર્વક યાદ કરીને, જાહેરમાં એ વિષે ઉલ્લેખ કરતા રહ્યા છે, અને અમસ્થા પણ, ખાસ સંભારીને ફોન કરીને અનેક વાર ખબરઅંતર પૂછતા રહ્યા છે. કુમારભાઈ પણ મુરારિબાપુના સૌજન્ય અને વિકાસ-સિદ્ધિ માટે કદરપૂર્વક રાજીપો અનુભવતા રહેતા હતા.

શાહપુર (જૂનાગઢ) પછી કુમારભાઈ ’શ્રેયસ’ – અમદાવાદમાં સ્વ. લીનાબહેન (સારાભાઈ) મંગલદાસ પાસે શિક્ષણકાર્યમાં દાયકાઓ સુધી જોડાયેલા રહ્યા. પૂરી નિષ્ઠા-તૈયારીપૂર્વક સમર્પિત થઈને શક્ય એટલું ઉત્તમ કામ-પરિણામ સાધવું … એ કુમારભાઈનો સ્વભાવ હતો, અને શ્રેયસની પરંપરા-અપેક્ષા હતી. એટલે એમનો સહજ સંવાદ-મેળ રચાયો. કાર્ય કરવાનો સંતોષ એ કુમારભાઈની મુખ્ય જરૂરિયાત હતી. એમાં કોઈ પણ પક્ષે મૂંઝવણ-મુશ્કેલી જેવું લાગે, ત્યારે સ્થળ-કામગીરી અંગે ક્યારેક ફેરફાર પણ કરી લેતા.

થોડોક સમય બી.એમ ઇન્સ્ટિટ્યૂટમાં પણ વિશિષ્ટ પ્રકારનાં બાળકો સાથે કામગીરી કરી. પણ ધ્યાન ખેંચે એવી બાબત એ કે પોતાની તબિયત સંદર્ભે આરામની જરૂર હોય અને તક-શક્યતા હોય તો પણ એ જરૂરી પૂરતો આરામ કરી ન શકતા. સાવ આરામને બદલે થોડું ઘણું કામ કરવાથી મારા સ્વાસ્થ્યમાં લાભ થશે એમ જ એમને લાગતું! ૮૭ વર્ષે પણ લગભગ આ જ મનઃસ્થિતિ જળવાયેલી રહી.

કોઈ પણ સંજોગોમાં તેમણે કામની ગુણવત્તા અને કાર્યસંતોષ ન છોડ્યાં. સંપૂર્ણતાના આ આગ્રહને કારણે ક્યારેક એ કોઈને કડક વ્યવસ્થાપક-વહીવટકાર પણ લાગ્યા હોય … એવો સંભવ છે. અન્યનાં કામો કે રજૂઆતમાં અધૂરપ લાગે તો એમનો ’ક્રિટિક’ જાગૃત થઈ જતો. સ્વકેન્દ્રીપણું, બેજવાબદારી, અવ્યવસ્થા જેવું કઈ લાગે ત્યારે, તેમનું મન પાછું પડી જતું. પરંતુ જ્યાં સચ્ચાઈ, નિખાલસતા, નક્કરતા, સહજતા જુએ ત્યાં પૂરા પ્રસન્ન થઈ જતાં … પછી એ રજૂઆત આદિવાસી-સેવિકા ખડકીની બહેન સુજાતા શાહની પણ હોય …. અને ધર્મશાળાના દલાઈ લામાના સાથી રિમ્પોછેની પણ હોય !  

વિશિષ્ટ સ્તરના બૌદ્ધિક તેમ જ વૈચારિક કાર્યક્રમોમાં પણ એમને સામાજિક સભાનતા સાથેનો ઘણો રસ પડતો.

અમદાવાદમાં પ્રો. પુ.ગ. માવળંકરના હેરલ્ડ લાસ્કી ઇન્સ્ટિટ્યૂટના આવા કાર્યક્રમોમાં તેઓ વારંવાર શ્રવણલાભ લેવા જતા. જરૂર જણાય ત્યારે વ્યવસ્થામાં મદદરૂપ બનવા પણ તૈયાર રહેતા. આને કારણે માવળંકર તરફથી ખાસ્સી સદ્ભાવ-મૈત્રીની લાગણી પણ તેઓ પામેલા. આ જ રીતે ગૂજરાત વિદ્યાપીઠના મહત્ત્વના કાર્યક્રમોમાં પણ તેઓ હાજર રહેવાનું પસંદ કરતા અને તેથી ત્યાંના મહામાત્ર રામલાલભાઈ પરીખનો સદ્ભાવ પણ તેઓ પામેલા.

શરીર અને મનથી વિશિષ્ટ જરૂરિયાતવાળા, વંચિત, તેમ જ નિરાધાર બાળકો માટે એ હંમેશાં ખૂબ જ સંવેદનશીલ હતા, એ માટે પૂરા જાગૃત-ચિંતિત-સક્રિય રહેતા હતા. આવાં સૌ બાળકો માટે એમની સહાનુભૂતિ હંમેશ રહેતી. ’શ્રેયસ’ અને ’બી.એમ’માં બાળકો સાથેનાં આ પ્રકારનાં કામોમાં સંકળાવાનું તેમને ઘણું ગમતું. મૂંઝાયેલા-ગૂંચવાયેલા-અકળાયેલાં, બાળકો અને તરુણો સાથે નિરાંતે પ્રેમથી, શાંતિથી નિખાલસ વાતો કરીને તેમને પૂરા સ્વસ્થ બનાવવાના કામમાં તેમને ઘણો રસ-સંતોષ મળતો.

તે સમયગાળામાં ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે કામગીરી મેળવવાની તેમની પાસે ડિગ્રી, લાયકાત, ક્ષમતા અને તક હોવા છતાં તેમણે નાની વયનાં બાળકો-તરુણોનાં શિક્ષણ-ઘડતરનાં કામોમાં જ સક્રિય રહેવાનું પસંદ કર્યું … એ બાબત પણ નોંધપાત્ર લેખાય. ’શ્રેયસ’ અને સ્વ. લીનાબહેનની વિશિષ્ટ શૈક્ષણિક કામગીરી સાથે જોડાઈ રહેવાનો એ જાણે કોઈ વિશિષ્ટ ઋણાનુબંધ લઈને આવ્યા હતા. એક વાર બહાર જઈને પાછા સહજ રીતે ’શ્રેયસ’માં જ ગોઠવાયા હતા. સ્વ. લીનાબહેન તેમની કામગીરીથી ખૂબ સંતુષ્ટ હતાં. કુમારભાઈ છેવટે પથારીવશ થયાં ત્યાં સુધી ’શ્રેયસ’ સંસ્થા સાથેનું તેમનું અવરજવરવાળું અનુસંધાન ચાલુ જ રહ્યું.

એમણે નિવાસસ્થાન બહાર બદલ્યું હતું, પણ શ્રેયસનાં બાળકો અને શિક્ષણે તેમના મન-ચિત્તમાં કરેલું નિવાસ સ્થાન બદલાયું નહોતું. આમ ’શ્રેયસે’ એમના મન-ચિત્તમાં કરેલું નિવાસસ્થાન બદલ્યું નહોતું.

સ્વરાજઆશ્રમ, વેડછીમાં ૧૯૫૦માં તેમણે ખાદી ધારણ કરેલી તે ચકાચક અમદાવાદમાં ય, અમદાવાદની સારી – સુખ્યાત પણ કંઈક શહેરના ઉપલા ’ક્રીમી લેયરવર્ગ’ સાથે જોડાયેલી ’શ્રેયસ’ સંસ્થામાં દાયકાઓ સુધી ખાદીનો ડ્રેસકોડ હોવાથી પણ ખાદી એમને માટે જીવનભર સહજ હતી અને વધુ સહજ બની રહી. અને જીવનના અંત સુધી તેઓ તેને વળગી રહ્યા, કદાપિ તેમાં બાંધછોડ ન કરી. વળી આખરી માંદગીના હૉસ્પિટલના બિછાનેથી પણ એમણે એમના શ્રેયસનાં શિક્ષણકાર્યની ફાઇલો મંગાવવાનું ઇચ્છ્યું હતું.

હા, સાદગી સાથે તેઓ સ્વચ્છતા, સુઘડતા અને કલાગત સુંદરતાના ચાહક હતા … એટલે પોતાના પોશાક, રહેણીકરણી, ઘર અને સંસ્થા-કામોમાં કશું જ બિનજરૂરી ચલાવી લેવાનું તેમને જરા પણ ગમતું નહીં. સફેદ ખાદીનાં કફની-લેંઘો સમયાંતરે તેમની એક આગવી ઓળખ પણ બની રહી.

વર્ષો પહેલાં તેમની જૂની સીધી સાદીકફની પણ તેના કટ-સિલાઈ-માપ સારુ માટે હું મારા ગામડાના દરજીના માર્ગદર્શન માટે લઈ જતો !

ત્રણ-ચાર મહિના થાય એટલે ઘરમાં પથારીઓ-ટેબલો-પુસ્તક, ઘોડા, બૅગો, રેડિયો, ટી.વી. બધું ય રૂમમાં નવા આયોજનથી ગોઠવવા ઉત્સુક થઈ જાય. રૂટિન જીવનવ્યવસ્થામાં આવી સાદી રીતે ય થોડો નાવીન્ય રસ લાવી શકાય છે, તે જોઈને અમે પણ એવા ફેરફારો અમારા ઘરમાં શરૂ કરેલા!

તેમનું સ્ત્રી-દાક્ષિણ્ય પણ ધ્યાન ખેંચે તેવું. ગૃહિણીનાં રોજબરોજનાં કામોમાં મદદ કરવા તે તત્પર હોય. મહેનતવાળાં થકાવનારાં કામો તો પોતે જ કરે, કોઈ કામનો છોછ નહીં, ગૃહિણીની સગવડ-અગવડ, સલામતી, આરામ, સન્માન બધું સચવાય એ અંગે ડગલે ને પગલે સચિંત દેખાય. રમૂજ અને ક્યારેક હળવી ગમ્મત પણ કરે. સાથે જમવાનું હોય, ત્યારે ભાણાં પીરસાઈ ગયા પછીયે, પત્ની જ્યાં સુધી જમવાનું શરૂ ન કરે ત્યાં સુધી પોતે પ્રથમ કોળિયો પણ હાથમાં ન લે. એમને આમ કરતાં જોઈને અન્યો પણ શિષ્ટાચારે અટકી જતા.

કુમારભાઈ, કામની ગુણવત્તા અને સંતોષકારક પરિણામનો આગ્રહ છોડ્યા વિના, જીવનભર નાનામોટા વિદ્યાર્થીઓના સાહજિક, સમતોલ અને માનવીય શિક્ષણ-ઘડતરની મશાલ લઈને સતત આગળ વધતા જ રહ્યા.

ક્યારેક તેનાં સુખદ પરિણામો જોઈને આનંદ, સંતોષ અને સાર્થકતા પણ અનુભવતા.

પૂરાં પચાસ વર્ષ પહેલાંની વાત. શ્રેયસના બાલગ્રામમાં કાંતા કાનન નામની નાની દીકરી વિચરવા-વિકસવા નિવાસમાં આવેલી. કન્યા ઘણી પ્રાણવાન-શક્તિભરી … એટલે પોતાનાં બાળસહજ પરાક્રમો-તોફાનોથી બધાને મથાવ્યા કરતી. કુમારભાઈએ પણ તેના સ્વસ્થ વિકાસઘડતરમાં રસ લીધેલો. મોટી થઈને ભણીગણીને તે કન્યા બહારના જગતમાં ગઈ. એની રીતે આગળ પણ વધી … અને દક્ષિણમાં શ્રી શ્રી રવિશંકરના બૅંગાલુરુ-આશ્રમે-કેન્દ્રના વ્યવસ્થાપકમંડળની એક કુશળ અને મહત્ત્વની માનનીય સભ્ય બની રહી. તેને વર્ષો બાદ શ્રેયસ અને હેમેન્દ્રભાઈ ખૂબ યાદ આવ્યાં. એણે પ્રયત્નો કરીને સરના સંપર્કનંબરો મેળવ્યા … છેલ્લા દિવસોમાં અચાનક એક દિવસે એ ફોનમાં ટહુકી ! મને ઓળખી ? હું બાળપણમાં તમને બધાને થકવનારી પેલી તોફાની કાંતા કાનન બોલું છું! અને પછી એણે નિરાંતે પોતાની વાતો કરી, કુમારભાઈ દંપતીની વૃદ્ધાવસ્થાની, તબિયતની મુશ્કેલીની વાતો જાણી … તબિયતનાં ખબરઅંતર પૂછ્યા. ઘણા સમયે મળવાનું થતાં થોડી લાગણીશીલ બની … અને પછી કહે – સર, હવે તમારે બીજો કશો જ વિચાર કરવાનો નથી, બીજે ક્યાં ય જવાનું નથી. તમે બંને અહીં અમારાં આશ્રમ-કેન્દ્રમાં રહેવાં આવી જાઓ. તમારી બધી વ્યવસ્થા-જવાબદારી હું જ કરીશ. વિમાનસેવા શરૂ થાય એ માટે આ કોરોનાનું જરા શાંત થવા દો. હું જ તમારા માટે પ્લેનની ટિકિટ બુક કરાવીને જ તમને મારી સાથે લઈ જવા માટે જાતે જ ત્યાં આવીશ. તમે તૈયાર રહેજો. હું ફોન કરીશ અને તમને ગમશે પણ ખરું. બોલો ક્યારે આવો છો? … આ સાંભળી કયો શિક્ષક ધન્યતા ન અનુભવે? કાંતાબહેનને પણ આદરણીય સર અને બહેનને બૅંગાલુરુ લઈ જવાની પોતાની હોંશ અધૂરી રહી ગયાનો અફસોસ તો થશે! 

એમણે એમના પોતાના જીવનના અને શૈક્ષણિક કામગીરીના અનુભવો લખવાનું શરૂ કર્યું હતું. તે પૂરું થઈ શક્યું હોત, તો સારું થાત. પણ ઈશ્વરેચ્છા બલિયસી !

એમના માતૃ-પિતૃ-શ્વશુરપક્ષમાં વિશાળ પરિવારના જનોમાં પણ એ જુદા તરી આવતાં હતાં. તેમના સૌ સ્વજનો માટે હાર્દિક દિલસોજી અને સદ્ગત માટે શાંતિપ્રાર્થના !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2021; પૃ. 10-11

Loading

માઈન્ડ અને પોલિટકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના અપશુકન ?!

રમેશ ઓઝા|Opinion - Opinion|30 May 2021

ગયા અઠવાડિયે દિલ્હીમાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી અને દેશને જણાવવામાં આવ્યું હતું કે એ મહત્ત્વની બેઠક હતી. ના, તમે ખોટું વિચારો છો. એ બેઠક કોરોનાનો મુકાબલો કઈ રીતે કરવો કે ચીનનો સામનો કઈ રીતે કરવો એ માટેની નહોતી. ખાડે ગયેલા અર્થતંત્રને કેવી રીતે પાટે ચડાવવું એ માટેની પણ એ બેઠક નહોતી. એ બેઠક હતી આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે વિજય મેળવવો એ માટેની. એ માટે ખાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને બીજા નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પ્રશ્ન હતો કે કોરોનાના સંકટને મેનેજ કરવામાં મળેલી નિષ્ફળતાને કારણે દેશમાં કેન્દ્ર સરકારે અને ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્નેએ જે રીતે નાક કપાવ્યું છે એ પછી મતદાતાઓને કઈ રીતે રીઝવવા.

મેં મારી કોલમમાં હજુ અઠવાડિયા પહેલાં જ લખ્યું હતું કે ફાસીવાદી શાસકોને શાસનમાં એટલે ધોરણસરના રાજકાજમાં રસ હોતો નથી. તેમની એવી કોઈ પ્રાથમિકતા હોતી નથી અને આવડત પણ હોતી નથી. જો નિષ્ફળતા મળે તો શરમ પણ અનુભવતા નથી. જગતનો ઇતિહાસ આમ કહે છે. જોઈએ તો ઇતિહાસ તપાસી જુઓ.

તેમને રસ હોય છે અપરિપક્વ માનસ ઉપર કબજો કરવામાં અને પરિપક્વ માનસ ધરાવનારા લોકો પાસેથી રાજકીય વિકલ્પ છીનવી લેવામાં. અંગ્રેજીમાં આને ઓક્યુપાઇન્ગ માઈન્ડ સ્પેસ અને ઓક્યુપાઇન્ગ પોલિટિકલ સ્પેસ કહેવામાં આવે છે. જે વિચારે છે, પ્રશ્ન કરે છે, અસંમત થાય છે, વધારે સારા વિકલ્પની શોધ કરે છે તેની પાસે કોઈ રાજકીય વિકલ્પ જ બચવો ન જોઈએ. આને માટે રાજકીય પ્રતિસ્પર્ધીઓને યેનકેન પ્રકારેણ ખતમ કરી નાખવાના. તેમના કાર્યકર્તાઓને, નેતાઓને અને લોકપ્રતિનિધિઓને ખરીદો અને ડરાવો. ચૂંટણીમાં ચૂંટણીપંચને દબાવીને તેમ જ મબલખ રૂપિયા ખર્ચીને વિરોધીઓને તોડી નાખો. ધીરેધીરે વન નેશન વન પાર્ટીની સ્થિતિ પેદા કરવાની જેમ બ્રાઝિલ, તુર્કી અને જગતના બીજા ઘણાં દેશોમાં જોવા મળે છે.

હવે બન્યું છે એવું કે દેશમાં રાજકીય પ્રતિસ્પર્ધીઓની પોલિટિકલ સ્પેસ ખતમ કરવામાં આવે એ પહેલાં કોરોનાનું સંકટ વકર્યું અને એ એટલી હદે વકર્યું કે માઈન્ડ સ્પેસ જાળવી રાખવાની બાબતે પણ પડકાર પેદા થયો છે. જો મુસલમાનનું બુરું થતું હોય તો આપણું ભલે ધનોતપનોત નીકળી જાય એવું ખારીલું વિકૃત માનસ ધરાવનારા હિંદુઓને છોડીને બાકીના હિંદુઓ વિચારવા લાગ્યા છે કે શાસકો આવા તો ન જ હોય. માણસ જ્યારે વિચારવા લાગે ત્યારે તે ભૂતકાળમાં બનેલી ઘટનાઓનાં, કહેવાયેલા શબ્દોનાં, છાતી ઠોકીને કરવામાં આવેલા નિવેદનોનાં અને વાયદાઓનાં બિંદુઓને જોડવા લાગે છે. પાંચ વરસ પછી અત્યારે અચાનક નોટબંધીની ચર્ચા નીકળી છે, એ આનું પ્રમાણ છે. લોકો સમગ્રતામાં વિચારતા થયા છે કે સાહેબના શાસનમાં તો શાસનનો જ અભાવ છે. દુનિયા આખી આમ કહે છે અને જગતભરના રાજકીય નિરીક્ષકો એક અવાજે આવા અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ અભિપ્રાયો પણ ભારતમાં લોકો સુધી પહોંચી રહ્યા છે.

આટલું ઓછું હોય એમ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં અને પંચાયતોની ચૂંટણીઓમાં જોઈએ એવી સફળતા મળી નથી. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં તો નાક કપાયું છે. ટૂંકમાં માઈન્ડ સ્પેસ અને પોલિટિકલ સ્પેસ ઉપર કબજો કરવાના મિશનમાં કોરોનાના કારણે અધવચ્ચે અપશુકન થયું છે.

જો ધોરણસરનું શાસન કરનારા ધોરણસરના શાસકો હોત તો સંકટ સામે વિજય મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત. સંકટને દૂર કરવામાં ઉપયોગી થાય એવા માણસોની મદદ લીધી હોત. લોકોનો સામી છાતીએ સામનો કર્યો હોત. રાજ્યોને મદદ કરી હોત. મીડિયા દ્વારા પ્રજા સાથે રોજેરોજ સંવાદ કર્યો હોત. લોકોની ફરિયાદ સાંભળી હોત. વડા પ્રધાન અને બીજા પ્રધાનો ચોવીસે કલાક લોકોની વચ્ચે હોત, જે રીતે ૨૦૧૮માં કેરળમાં આવેલા પૂર વખતે કેરળના મુખ્ય પ્રધાન અને તેમની ટીમ લોકોની વચ્ચે હતા. દરેક પ્રકારના મીડિયાનો પ્રજા સાથે સંવાદ કરવા, તેનું માર્ગદર્શન કરવા અને મનોબળ ટકાવી રાખવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હોત, જે રીતે વિન્સ્ટન ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટનમાં કર્યું હતું.

પણ આ બધા ધોરણસરના શાસનમાં માનનારા ધોરણસરના શાસકોનાં લક્ષણો છે. આપણા શાસકોને તો લોકો મરી રહ્યા છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતવી એની ચિંતા છે. ઉચ્ચ સ્તરની તાકીદની બેઠક સંઘના નેતાઓ સાથે યોજવામાં આવી હતી. એક તો માઈન્ડ સ્પેસ કબજે કરીને જે ઘેટાંઓને વાડામાં પૂર્યાં છે એ નાસી ન જવાં જોઈએ અને એ માટે સોશ્યલ મીડિયા ઉપર અંકુશ મુકવાની તજવીજ શરૂ કરી છે. વિધિનો ખેલ જુઓ, એક સમયે ઘેટાંઓને વાડામાં પૂરવાં માટે જે માધ્યમોનો ઉપયોગ કર્યો હતો, એ માધ્યમોનો અત્યારે ડર લાગે છે. ‘જે પોષતું તે મારતું -’ એવી કવિ કલાપીની પંક્તિ છે. જે માધ્યમો ઉપર જયજયકાર થતો હતો ત્યાં હવે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે અને ફિટકાર વરસી રહ્યો છે. આ સ્થિતિમાં કોરોના-ફિયાસ્કોનો લાભ વિરોધ પક્ષોને મળવો ન જોઈએ. જો માઈન્ડ સ્પેસ ઉપરનો કબજો ઢીલો પડે અને વિરોધ પક્ષોને રાજકીય સરસાઈ મળે તો પોલિટિકલ સ્પેસ ઉપરનો કબજો પણ અઘરો થઈ જાય.

કોરોના સંકટનો સામનો કરવાની જગ્યાએ સોશ્યલ મીડિયાની આઝાદી (હકીકતમાં પ્રજાની અભિવ્યક્તિની આઝાદી) ઉપરની તરાપ, વિરોધ કરનારાઓને જેલમાં પૂરવા અને નદીઓમાં શબ વહેતાં હોય ત્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી કઈ રીતે જીતવી, એ માટેની તાકીદની બેઠક એવી આ ત્રણ ઘટનાઓને સાથે જુઓ તો શા સંકેત મળે છે? એ જ કે હવે પછીનાં ત્રણ વરસ દેશ માટે અઘરા હશે. આ એવા શાસકો છે જેઓ સત્તા નહીં છોડવા માટે આકાશ-પાતાળ એક કરશે. ઘણું એવું બનશે જેની તમે કલ્પના પણ નહીં  કરી હોય!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 મે 2021

Loading

...102030...1,9371,9381,9391,940...1,9501,9601,970...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved