Opinion Magazine
Number of visits: 9572333
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સદ્‌ગત કિશન ગોરડિયા

બીરેન કોઠારી|Opinion - Opinion|15 April 2021

ચારેક દાયકા પર ચુનીકાકા થકી એમનો પરિચય થયો, અને યથાપ્રસંગ કિશનભાઈના વિચારઘોડા તેમ કાર્યવલણોની હણહણાટીને પગરવ (ને કંઈક કર્ણમંત્ર) એવો એ તાંતણો હમણાં લગણ વણતૂટ્યો ચાલ્યો. છેલ્લે, ઘણું કરીને ફેબ્રુઆરીમાં એમનો ફોન આવ્યો ત્યારે મુદ્દો એમણે વિચારેલ મરણોત્તર આયોજનનો હતો. વચલાં વરસોમાં એક તબકકે ‘નિરીક્ષક’ તંત્રી કને કોઈ નિયમિત આવકસ્રોત નથી એ લક્ષમાં આવતાં એમણે પ્રતિમાસ વ્યક્તિગત માનધનની વિચારણા કરી મને પૂછ્યું પણ હતું. મેં વિનયસર અસ્વીકાર કરી વળતું સૂચવ્યું હતું કે ઠીક લાગે તો અને અનુકૂળતા હોય ત્યારે ‘નિરીક્ષક’ની કિંચિત્‌ બાલાશ જાણશો તો જરૂર ગમશે. બીરેનભાઈએ એમની જીવની પર કામ કરેલું છે. એમની કલમે લખાયેલો આ નાનો શો અંજલિલેખ, વાચકોની સેવામાં.

— તંત્રી, “નિરીક્ષક”

મુંબઈના ’દોસ્તી બિલ્ડર્સ’ના સ્થાપક, ’સદ્‌ભાવના સંઘ’ના પ્રણેતા કિશનભાઈ ગોરડિયાએ ૬ એપ્રિલ, ૨૦૨૧ની વહેલી સવારે,  ૮૮ વર્ષની વયે વિદાય લીધી. તેમની જીવનસફર બહુ વિશિષ્ટ બની રહી હતી.

ચુનીલાલ ધરમશી ગોરડિયા અને ચંદ્રભાગાબહેનનાં કુલ છ સંતાનોમાં કિશનભાઈ ચોથા ક્રમે હતા. ચાવંડ અને મહુવામાં બાળપણનાં આરંભિક વરસો વીતાવ્યાં પછી પોતાની પાંચ-છ વર્ષની ઉંમરે પરિવાર સાથે કિશનભાઈને મુંબઈ આવી જવાનું બન્યું. માતાની તબિયત નરમગરમ રહ્યા કરતી હતી. કિશનભાઈની બાર વર્ષની વયે માતાનું અવસાન થતાં ઘરની જવાબદારીનો અહેસાસ તેમને તીવ્રપણે થયો. પિતાજીની તબિયત પણ અસ્થિર રહેવા લાગી. કિશનભાઈને જાણ થઈ કે પિતાજીને માથે દેવું થઈ ગયેલું છે.

આ દેવું ચૂકતે થઈ શકે એ માટે કિશનભાઈએ મેટ્રિક પાસ થયા પછી આગળ અભ્યાસ કરવાનો વિચાર માંડી વાળ્યો. પોતાને માર્ગદર્શન આપે એવું કોઈ હતું નહીં. તેમણે જાતે જ એ નિર્ણય લીધો અને નોકરી શોધવા લાગ્યા. એક સર્જિકલ કંપનીમાં નોકરી મળી.

એ પછી તેમનાં નોકરીનાં ક્ષેત્ર બદલાતાં રહ્યાં. તેમણે શિક્ષક તરીકે કામ કર્યું, વળી પાછા સર્જિકલ કંપનીમાં આવ્યા. બિલકુલ આ જ રીતે તે ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સના ક્ષેત્રે આવ્યા. આ સમયગાળા દરમિયાન તેમનો પરિચય ગાંધીસાહિત્ય અને સર્વોદયસાહિત્ય સાથે થતો ગયો અને તેનાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા. તેમનો જીવ આ ક્ષેત્ર તરફ પ્રબળ ખેંચાણ અનુભવતો હતો, પણ પારિવારિક  સંજોગો તેમને એ તરફ જતાં રોકતા હતા. ઈમ્પોર્ટ-એક્સપોર્ટ લાયસન્સનું કામ તેમણે સ્વતંત્રપણે શરૂ કર્યું ત્યારે એ ક્ષેત્રે રહેલા ફરજિયાત ભ્રષ્ટાચારનો તેમને ખ્યાલ આવ્યો. એવે વખતે કેદારનાથજીએ તેમને સમાધાન સૂચવ્યું.

એ જ રીતે કિશનભાઈએ સાબુનું એક કારખાનું સંભાળ્યું. જેમ જેમ તે વ્યવસાયના ક્ષેત્રને છોડીને સેવામાર્ગે જવા વિચારતા એમ એવા સંજોગો ઊભા થતા રહ્યા કે તેમણે વ્યાવસાયિક બાબતોમાં ઊંડા ઉતરવું પડતું. ૧૯૭૦ના દાયકાના ઉત્તરાર્ધમાં તેમણે વડાલામાં એક જમીન રાખી અને પહેલવહેલું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું. વડાલામાં રહેવા આવી શકાય એવું ત્યારે વિચારી શકાય એમ જ નહોતું, પણ કિશનભાઈએ હિંમત કરી. આ એક એવો પાયો હતો કે જેના પર આખી ભાવિ ઈમારત તૈયાર થવાની હતી. આગળ જતાં કિશનભાઈના પુત્ર દીપકભાઈએ ‘દોસ્તી બિલ્ડર્સ’નું સુકાન સંભાળ્યું અને પોતાની સૂઝ વડે તે મુંબઈના શ્રેષ્ઠ દસ બિલ્ડરોની હરોળમાં બિરાજ્યા.

કિશનભાઈનું ખેંચાણ પહેલેથી સામાજિક કાર્યો પ્રત્યે હતું. તેમણે હવે એ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે, સામાજિક કાર્યોમાં તેમનું મુખ્ય લક્ષ્ય નાગરિકોના ઉત્થાન પ્રત્યે વિશેષ હતું. એ અંગેનાં વિવિધ કાર્યો તે કરતા રહ્યા. કટોકટી દરમિયાન અનેક કાર્યકર્તાઓને તે મદદ કરતા રહ્યા હતા. સર્વોદયને લગતી પ્રવૃત્તિઓમાં તે ઘણા સક્રિય રહેતા અને કાર્યકરોના હિતની સતત ખેવના કરતા રહેતા.

૨૦૦૬માં તેમણે ‘સદ્‌ભાવના સંઘ’ની સ્થાપના કરી અને આ કાર્યો માટે નક્કર આયોજન કર્યું.  ‘સદ્‌ભાવના’નો અર્થ કેવળ કોમી સદ્‌ભાવનાને બદલે તેમણે ઘણો વ્યાપક રાખ્યો હતો. એ અનુસાર નાગરિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો તે યોજતા હતા. ‘સદ્‌ભાવના સંઘ’ના મૂળમાં વિનોબાજીએ આપેલી આચાર્યકુળની વિભાવના હતી, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના લોકો સંકળાય અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરે એ ખ્યાલ મુખ્ય હતો. કિશનભાઈ પોતે ટ્રસ્ટીશીપના સિદ્ધાંતને અનુસરતા હતા, જેમાં પોતે પોતાની સંપત્તિના માલિક નહીં, પણ ટ્રસ્ટી હોવાની ભાવના હતી. પોતાની સંપત્તિ તે સમાજને અર્પણ કરવા ઇચ્છતા હતા અને એ અંગે વિવિધ લોકો સાથે તે અવારનવાર ચર્ચા કરતા. પોતાનો પૂર્ણ સમય તે ‘સદ્‌ભાવના સંઘ’માં જ આપતા હતા. છેલ્લે છેલ્લે શારીરિક વિપરીતતા હોવા છતાં તે ‘સદ્‌ભાવના સંઘ’માં લગભગ નિયમિત આવતા.

છેલ્લાં ચારેક વર્ષથી તેમની જીવનકથાના આલેખન માટે મારે તેમની સાથે ગાઢ સંપર્કમાં રહેવાનું બનેલું. ૨૦૧૬માં તેમની જીવનકથા આલેખવાનું સૂચન વડીલમિત્ર રમેશ ઓઝાએ કર્યું ત્યારે ખુદ કિશનભાઈ પોતાની જીવનકથા લખાવવા બાબતે ખચકાતા હતા. અમે એક મુલાકાત ગોઠવી. એમાં મેં જીવનકથાના આલેખન અંગેની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કર્યો. તે માન્યા. એ પહેલી મુલાકાતમાં તેમના વ્યક્તિત્વની કેટલીક લાક્ષણિકતાઓ મારા ધ્યાનમાં આવી, જે સાચી હોવાની પ્રતીતિ દરેક મુલાકાત વખતે થતી રહી. તેમની વિશ્લેષણ શક્તિ અને મૂલ્યાંકનક્ષમતા એવાં તીવ્ર હતાં કે પોતાની જાતનું પણ એ તદ્દન નિષ્ઠુરપણે વિશ્લેષણ કરતા. તે બોલવાનું શરૂ કરે એટલે અસ્ખલિતપણે બોલતા. કોઈ સવાલનો જવાબ વિસ્તારથી આપતાં તે ફંટાઈ જાય તો તેમને ખ્યાલ આવી જતો અને પછી જાતે જ કહેતા, ’હું બીજી વાત પર જતો રહ્યો, નહીં?’

અમારી કાર્યપદ્ધતિ એવી ગોઠવાયેલી કે અગાઉથી મુલાકાત નક્કી કરીને હું મુંબઈ બે યા ત્રણ દિવસ માટે જતો. બપોરથી સાંજ સુધી તેમની સાથેની વાતચીતનો કાર્યક્રમ વડાલાના ’સદ્‌ભાવના સંઘ’ ખાતે રહેતો. ખરી મઝા એ પછીની હતી. તેમનું નિવાસસ્થાન નેપિયન સી રોડ પર, જ્યારે હું પેડર રોડ પર મારા કાકાને ત્યાં ઉતરતો. આથી સાંજે વડાલાથી તે મને તેમના વાહનમાં લઈને નીકળતા અને સહેજ ફરીને મને પેડર રોડ પર ઉતારીને આગળ વધતા. આ કલાક-સવા કલાક દરમિયાન અમારી વચ્ચે અનેક પ્રકારની નિખાલસ વાતચીત થતી. આને કારણે એક વિશિષ્ટ આત્મીયતા અમારી વચ્ચે થઈ ગયેલી.

તેમની જીવનકથાનું આલેખન ક્યારનું પૂરું થઈ ગયું હતું. ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં ખાસ ત્રણ દિવસ એમણે ફાળવ્યા. આ ત્રણ દિવસ દરમિયાન મેં એમની જીવનકથાનું વાંચન એમની સમક્ષ કર્યું. સાથે વર્ષાબહેન (વિદ્યા વિલાસ) જેવા તેમનાં જૂનાં સાથીદાર ઉપસ્થિત હતાં. એ બેઠકમાં અમે જરૂરી સુધારાવધારા  કરતા ગયા. એક યા બીજાં કારણોસર તેના પ્રકાશનમાં વિલંબ થતો રહ્યો, છતાં અમારો ટેલિફોનિક સંપર્ક ચાલુ હતો.

વચ્ચે તેમની તબિયત લથડી ત્યારે તેમણે ડૉક્ટરને સ્વસ્થતાપૂર્વક પૂછેલું કે પોતાની પાસે કેટલો સમય રહ્યો છે. અમારી વાતચીતમાં તેમણે એક વાર જણાવેલું કે પોતે દોઢ વર્ષનું આયોજન કરેલું છે. આ સમજતાં મને અડધી સેકન્ડ થયેલી અને એ પછી રીતસર એક લખલખું પસાર થઈ ગયેલું. કોઈ માણસ આ હદની હેતુલક્ષિતાથી પોતાના વિશે વાત કરી શકે?

ગયે વરસે કોવિડની સ્થિતિ દરમિયાન ફોન પર અમારી વાતચીત થઈ ત્યારે તેમણે એ જ રીતે કહેલું, ‘મારા બિલ્ડિંગમાં એક પછી એક એમ બે જણનાં મૃત્યુ થયાં. હવે સૌથી મોટો હું જ છું એટલે મારો વારો છે.’ મેં હસીને કહેલું, ‘પુસ્તક પ્રકાશિત કર્યા વિના અમે તમને જવા નહીં દઈએ.’

તેમની જીવનકથાનું શીર્ષક પણ વાતવાતમાં સૂઝેલું. એક વાર અમારી વળતી મુસાફરી દરમિયાન એ કહે, ’આજે ‘ભોમિયા વિના ભમવા’તા મારે ડુંગરા’ કવિતા મેં વાંચી. મને લાગ્યું કે એ કવિતા મને જ લાગુ પડે છે.’ મેં સૂચવ્યું, ’તો આપણે એની પરથી જ શીર્ષક વિચારીએ ને!’ એ રીતે અમે ’ભોમિયા વિના ભમ્યો હું ડુંગરા’ શીર્ષક નક્કી કરેલું. અલબત્ત, આ જીવનકથાનું પ્રકાશન ઠેલાતું રહ્યું હતું.

૨૨ માર્ચે કિશનભાઈને કોવિડ-૧૯ને કારણે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાનો દેહ સમાજનાં કાર્યો માટે ઉપયોગી બની રહે એ બાબતે સતત સભાન રહેતા કિશનભાઈ અનેક શારીરિક તકલીફોનો સામનો એક યોદ્ધાની જેમ કરતા આવ્યા હતા. પણ આ યુદ્ધ જીવન સાથેનું તેમનું અંતિમ યુદ્ધ બની રહ્યું. આખરે ૬ એપ્રિલના રોજ વહેલી સવારે તેમણે દેહ છોડ્યો.

તેમનાં પત્ની રસિકાબહેન, પુત્ર દીપકભાઈ, પુત્રવધૂ સેજલબહેન, પુત્રી સાધનાબહેન, જમાઈ નૈમિષભાઈ અને તેમનાં સંતાનો – એમ સમસ્ત ગોરડિયા પરિવાર કે ‘સદ્‌ભાવના સંઘ’નાં સભ્યો તો ખરા જ, પણ કિશનભાઈના સંપર્કમાં આવ્યાં હોય એવા સહુ કોઈને એક વડીલ-મિત્ર – શુભચિંતક ગુમાવવાની લાગણી કિશનભાઈની વિદાયથી અનુભવાશે.

E-mail : bakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 11-12

Loading

સદ્‌ગત અરવિંદ દેસાઈ

ઉત્તમ પરમાર|Opinion - Opinion|15 April 2021

ભારતીય સંસ્કૃતિ અને ભારતીય સમાજ વ્યવસ્થામાં કહેવાતા ભગવાન બની જવું સહેલુ છે, પરંતુ હૃદયમાં સામાજિક ન્યાય માટેનો આતશ જલતો રાખીને શોષિતો, વંચિતો, પીડિતો, શ્રમિકો અને ગરીબોની પડખે ઊભા રહેવું એ સૌથી અઘરામાં અઘરી જીવન સાધના છે, સમાજ સાધના છે ..!

અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ સાચા અર્થમાં એવો સમાજસાધના કરનારાને પારકી છઠ્ઠીના જાગતલ જીવન સાધક હતા.

મહાજનીય પરંપરાના, જમણેરી, મૂડીવાદ, મધ્યમ વર્ગીય માનસિકતાવાળા ગુજરાતમાં જો તમે જમીનદારો, ઉદ્યોગપતિઓ, વેપારીઓની અમાનવીય શોષણ મુલક જીવનશૈલીને પુરસ્કૃત કરો અથવા ચલાવી લ્યો તો એ સ્થાપિત વર્ગો તમને દાતા પોતાની સંસ્કૃતિ મુજબ અનેક પ્રકારની સેવા પ્રવૃત્તિ તમારી પાસે કરાવીને તમને મહાન લોકસેવક તરીકે પ્રસ્થાપિત કરીને તમારું દેવતુલ્ય બહુમાન કરી આપે.

પરંતુ જો તમે એ જ જમીનદાર, જાગીરદાર, ઉદ્યોગપતિ, વેપારીને ત્યાં કામ કરતા “શ્રમદેવતાના” શ્રમના આર્થિક સામાજિક મૂલ્ય માટે કે એ શ્રમિકના શ્રમના લઘુતમ વેતન ધારા માટે કે તેના કામના સમય માટે ન્યાયની અપેક્ષા રાખો કે ન્યાય માટે લડત આપો તો આ સ્થાપિત વર્ગો તમને આતંકવાદી, નકસલવાદી કે વર્ગવિગ્રહના પિતા તરીકેનું બહુમાન કરીને તમારું ચારિત્ર્યહનન સાતત્યપૂર્વક કરતા રહે છે. અરે તમારા પર શારીરિક હુમલાઓ કરી કરાવીને હત્યા કરવા સુધીના આયોજન કરતાં હોય છે.

મહાત્મા ગાંધીએ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ અને ભારતીય આઝાદીનું જનવાદીકરણ કરીને પ્રત્યેક વ્યક્તિના સમાન હક અને પ્રત્યેક વ્યક્તિની સમાન ભાગીદારી માટેનું જન આંદોલન શરૂ કર્યું ત્યારે તેમના એ વિચારની અરવિંદભાઈ દેસાઈ અને તેમના પિતાજી છોટુભાઈ દેસાઈ પર એવી અસર પડી કે આ બંને માથાફરેલ બાપ દીકરાઓ અનાવલા મટીને હળપતિ સમાજના પારકી છઠ્ઠીના જાગતલ એવા ‘છોટુ દુબળી’ અને ‘અરવિંદ દુબળી’ બની ગયા.

આજે દક્ષિણ ગુજરાતના હળપતિ સમાજમાં જેટલું પણ આર્થિક-સામાજિક સશક્તિકરણ થયું છે તેનું શ્રેય છોટુભાઈ દેસાઈ, ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈની ત્રિપુટીને જાય છે.

જુગતરામ દવે કહેતા હતા કે મારું વેડછી આંદોલન સફળ રહ્યું છે તેનું સૌથી મોટું શ્રેય ઝીણાભાઈ દરજી અને અરવિંદભાઈ દેસાઈના શિરે જાય છે.

દક્ષિણ ગુજરાતમાં ડાંગથી લઈને ડેડિયાપાડા સુધી જે હળપતિ આદિવાસીઓ માટેની આશ્રમશાળાઓની શૃંખલા રચાઈ છે તેનું મહત્તમ શ્રેય અરવિંદભાઈ દેસાઈને જાય છે.

પોતાના જ સ્થાપિત વર્ગના મિત્રો સાથે સહજીવન જીવતા જીવતા હળપતિ સમાજને સામાજ્કિ ન્યાય અપાવવા માટે પોતાના જ મિત્રો દ્વારા અરવિંદ ભાઈને નિ:વસ્ત્ર કરીને મરણતોલ માર મારવામાં આવ્યો હતો છતાં તેની જરા પણ કટુતા ધારણ કર્યા વગર અરવિંદભાઈએ પોતાના મિત્રો સાથે મિત્રતા જાળવીને હળપતિઓને સામાજિક ન્યાય અપાવ્યો છે.

અરવિંદભાઈ દેસાઈ મહાત્મા ગાંધીના ઉદ્દેશવાળી ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લઈને મહાત્મા ગાંધાની કલ્પનાનાં શિક્ષિત બનીને મહાત્મા ગાંધીની કલ્પના મુજબ જ સમાજના સશક્તિકરણ માટે સમર્પિત થઈ ગયા હતા.

આવા હળપતિ સમાજના કલ્યાણ મિત્ર અને રામ મનોહર લોહિયા જેને ‘કજાત ગાંધીવાદી’ કહે છે તેવા મહાત્મા ગાંધીને પ્રિય એવા અરવિંદભાઈ છોટુભાઈ દેસાઈ આપણને અલવિદા કરી ગયા છે.

ચાલો, આપણે સૌ કહેવાતા સંત અને કહેવાતા ભગવાનને રવાડે ચઢવાનું પડતું મૂકીએ અને સાચા અર્થમાં હૃદયપૂર્વક જેના ભાગ્યમાં સામાજિક અને રાજકીય આઝાદીના ફળો નથી આવ્યા તેમની પડખે ઊભા રહીને તેમનું આર્થિક સામાજિક શૈક્ષણિક અને રાજકીય સશક્તિકરણ કરવામાં આપણી જાતને સમર્પિત કરીએ, … આ જ અરવિંદ ભાઈને સાચી શ્રધ્દ્ધાંજલિ.

E-mail : kimeducationsociety@rediffmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 12

Loading

અડધું અને અડધું

ઉમેશ સોલંકી|Poetry|15 April 2021

ખાટલાનું ઢાળવું
પગનું હલાવવું
કલવર બની ગયું હતું અવાવરુ.
બુટ્ટીમાં ડોલે સરવરના હંસ,
નથણીને મળતો ચંદ્રનો સંગ,
વાળમાં બારમાસી નદીના કાંપનો રંગ.
ચોટલામાં અઘોરીના મારણનું ખેંચાણ,
ઘેલછામાં ખેંચે રિબનનું ફૂમતું લાલ,
પાંથી લાગે કાળી લાદી પર પડેલી દૂઝણી ગાયના આંચળની ધાર.
હસવું તારું ખેંચાતી ડોલમાંથી કૂવામાં પાણીનું પડવું,
બોલવું તારું ખેતરની નીકમાં ખળખળ કરવું,
ન બોલવું તારું શેઢાના ઘાસનું મંદ-મંદ હલવું.
ખાટલેથી એમ તું થઈ ઊભી,
હવાને પંડથી ઠેલી મૂકી,
થોડી ટાઢક વળી થોડી જેહુ ઊડી.
બુઝારાને અડકી રણકી બંગડી,
ગોળાનું પાણી હિલોળાયું ઘડી,
પાણીને ઘટમાં ગતિ મળી.
કબજાનો એક ટાંકો તૂટેલો,
વાદળનો એમાં ટુકડો ઘૂસેલો,
વરસાદ પણ લાગે રસ્તો ભૂલેલો.

આંગળી ફેરવી પોપચાંની પાસ,
ખિસ્સાના ખૂણા પર દેખાયો શાહીનો ડાઘ,
ખોલી અડધી લખેલી ડાયરી લાલ,
વાંચ્યું વચ્ચેથી અડધું પાન.
અડધામાં દોડધામ, ના અડધામાં કામકાજ,
આખામાં અડધું અડધામાં આખાનો ઠાઠમાઠ,
લંબાતી જાય જીવતરની ચીરફાડ,
ગૂંથાતી જાય સંસારની રીતભાત.

(૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ પ્રકાશિત કાવ્યસંગ્રહ ’અણસાર’માંથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 14

Loading

...102030...1,9341,9351,9361,937...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved