Opinion Magazine
Number of visits: 9571867
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશનું અને હિંદુનું ભવિષ્ય કેવા હિંદુને પેદા કરવામાં છે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|18 April 2021

ગયા સપ્તાહના લેખમાં મેં લખ્યું હતું કે આઝાદીનાં આંદોલન દરમ્યાન ભારતીય રાષ્ટ્રની સંકલ્પના વિષે પ્રશ્નો પૂછાતા હતા અને ગાંધીજી સહિત કૉન્ગ્રેસના બધા વરિષ્ઠ નેતાઓએ ખુલાસા કરવા પડતા હતા. ગાંધીજીનાં સામયિકોનો એવો એક અંક જોવા નહીં મળે જેમાં આવો સવાલ પૂછવામાં ન આવ્યો હોય અને ગાંધીજીએ જવાબ ન આપ્યો હોય. આનાથી ઊલટું હિંદુ રાષ્ટ્રની સંકલ્પના વિષે હિન્દુ રાષ્ટ્રવાદીએ પ્રશ્ન પૂછ્યા હોય અને હિન્દુત્વવાદી નેતાઓએ ખુલાસા કર્યા હોય એવો એક પણ પ્રસંગ યાદ નથી. સામેથી તો ખુલાસો નથી કરતા, પણ સેક્યુલર હિંદુઓ ખુલાસો માગે છે ત્યારે પણ તેઓ ખુલાસો નથી કરતા. શા માટે? કશુંક ગોપિત છે? કે પછી તેઓ પણ નથી જાણતા કે હિંદુરાષ્ટ્ર કેવું હશે? તમને એક સાચા હિંદુ રાષ્ટ્રવાદી તરીકે એમ નથી લાગતું કે તમારાં સંતાનનાં ભવિષ્ય ખાતર પણ હિંદુ રાષ્ટ્રના સ્વરૂપ વિષે સ્પષ્ટતા હોવી જોઈએ?

હિંદુ હિંદુ રાષ્ટ્રવાદી હોય કે ભારતીય રાષ્ટ્રવાદી, હિંદુ હિન્દુત્વવાદી હોય કે સેક્યુલર; સવાલ તો એક જ છે કે હિંદુ રાષ્ટ્ર માથાભારે હિંદુઓનું હશે કે શક્તિશાળી હિંદુઓનું? લાભ કેવા હિંદુને પેદા કરવામાં છે? દેશનું અને હિંદુનું ભવિષ્ય કેવા હિંદુને પેદા કરવામાં છે?

હવે માથાભારે પ્રજા કેવી હોય અને શક્તિશાળી પ્રજા કેવી હોય એનો તફાવત તો આ લેખમાળામાં પારસીઓ અને ભાયાતોના ઉદાહરણ દ્વારા બતાવી આપવામાં આવ્યો છે. પારસીઓ દુન્યવી અર્થમાં નિર્બળ હોવા છતાં હજુ આજે પણ શક્તિશાળી છે અને ભાયાતો દુન્યવી અર્થમાં બળુકા હોવા છતાં ઇતિહાસ બની ગયા છે. કારણ એટલું જ કે તેઓ માથાભારે હતા, શક્તિશાળી નહોતા.

‘રાજા, વાજા અને વાંદરા એને છેડવાના ન હોય’ અથવા ‘પાણીમાં રહીને મગર સાથે દુશ્મની ન કરાય’ એવી બે કહેવતો તો તમે સાંભળી જ હશે. પહેલી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે સત્તા છે એની પાસે તાકાત છે અને બીજી કહેવત એમ સૂચવે છે કે જેની પાસે તાકાત છે એની પાસે સત્તા છે. આ સ્થિતિમાં તમે સાચા હો તો પણ તમને ન્યાય મળવાનો નથી, કારણ કે એક પાસે સત્તાની તાકાત છે અને બીજા પાસે તાકાતની સત્તા છે. બન્ને સત્ય અને ન્યાયબુદ્ધિને બાજુએ મૂકીને વર્તવાની અનુકૂળતા ધરાવે છે અને કોઈની તાકાત નથી કે કોઈ સવાલ કરે. માટે સમય વર્તીને જીવવામાં ડહાપણ છે એમ આપણા બાપ-દાદાઓ આપણને કહેતા ગયા છે. જેની પાસે સત્તા હોય એ મનસ્વી અને માથાભારે તો હોવાના જ એને સનાતન સત્ય તરીકે માની લેવામાં આવ્યું હતું.

ભારતમાં મુસલમાનોની સત્તા હતી ત્યારે મુસલમાનો માથાભારે હતા એવો હિંદુઓનો અનુભવ હતો. એ અનુભવ ભ્રામક નહોતો સાચો હતો. કેટલાક મુસલમાનો ખરેખર માથાભારે હતા. એક સમયે તો મુસલમાનોને એમ લાગવા માંડ્યું હતું કે તેઓ શક્તિશાળી છે અને હિંદુઓ કાયર છે. હિંદુઓ પણ પોતાને કાયર અને મુસલમાનોને શક્તિશાળી સમજવા લાગ્યા હતા. ગાંધીજીના શાળાના મુસ્લિમ મિત્ર શેખ મહેતાબે ગાંધીજીને કહ્યું હતું કે તમે હિંદુઓ કાયર એટલા માટે છો કે તમે માંસાહાર કરતા નથી અને અમે મુસલમાનો માંસાહાર કરીએ છીએ એટલે તાકાતવાન છીએ. ટૂંકમાં હિંદુઓને મુસલમાનોના માથાભારેપણામાં કાંઈ અજુગતું લાગતું પણ નહોતું. મુસલમાનો પાસે સત્તા છે એટલે મુસલમાનોથી ચેતીને તેમ જ ડરીને જીવવાનું એ તેમણે ગાંઠે બાંધી લીધું હતું.

હિંદુઓને માથાભારેપણા અને શક્તિશાળીપણા વચ્ચેનો ફરક ત્યારે સમજાયો જ્યારે ભારતમાં યુરોપિયનો અને તેમાં પણ ખાસ કરીને અંગ્રેજો આવ્યા. આઠ-નવ હજાર કિલોમીટર દૂરના દેશમાંથી થોડાક સો લોકો આવે અને પહેલાં વેપારમાં અને એ પછી ભારતનાં એક પછી એક  પ્રદેશો ઉપર વર્ચસ્વ કઈ રીતે સ્થાપિત કરી શકે? નથી તેમની પાસે સંખ્યા કે નથી તેમની પાસે તેમનું પોતાનાઓનું બનેલું લશ્કર. તેઓ આક્રમક લૂંટારુ પણ નહોતા જે દેશમાં લૂંટફાટ કરીને જતા રહે. હિંદુઓને આવા આક્રમણકારોનો પણ મોટો અનુભવ હતો. તેઓ નથી ગાળીગલોચ કરતા કે નથી ધોલધપાટ કરતા કે નથી કોઈની કોઈ ચીજને હાથ લગાડતા. તેઓ ટોળામાં પણ ફરતા નથી.

યુરોપિયનો અને અંગ્રેજોને જોઇને વિચારવાની ક્ષમતા ધરાવતા કેટલાક હિંદુઓના મનમાં સવાલ થયો હતો કે આ તાકાતનું એક નવું સ્વરૂપ છે જેનો આપણને અનુભવ નથી. આ એવી શક્તિ છે જે તલવાર, જે તે ઓળખ, ઓળખની સંખ્યા, ટોળાં અને સત્તામાંથી નથી આવતી. તેમને એ પણ સમજાવા લાગ્યું હતું કે આ શક્તિ વધારે મોટી શક્તિ છે અને વધારે શાશ્વત પણ છે. જે વિચારી શકતા હતા એવા હિંદુઓના મનમાં એ પણ સવાલ જાગ્યો કે જો હિંદુઓએ મુસલમાનો જેવા માથાભારે થવું જોઈએ કે અંગ્રેજો જેવા શક્તિશાળી? અને જો શક્તિશાળી બનવું હોય તો હિંદુઓએ સૌથી પહેલાં તો એ શક્તિને ઓળખવી પડશે અને એ પછી તેને અપનાવવી અને કેળવવી પડશે.

૧૯મી સદીમાં આનો પ્રારંભ થયો હતો.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 18 ઍપ્રિલ 2021

Loading

વિશ્વમાં સૌથી વધુ વેક્સિન ઉત્પાદન કરનારા ભારતમાં ક્યાં કાચું કપાયું?

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|18 April 2021

યુ.એસ.એ. અને ભારતઃ બે દેશોની વેક્સિન અંગેની વ્યૂહરચનામાં કોણ બહેતર સાબિત થયું?

સ્મશાનોમાં પીગળી રહેલી ધાતુની ચિમનીઓ, હૉસ્પિટલ્સની બહાર લાંબી કતારોમાં ઊભેલી એમ્બ્યુલન્સ અને શબ વાહિનીઓ તથા હૉસ્પિટલમાં જગ્યા ન મળવાથી દમ તોડી રહેલાં કોરોનાવાઇરસથી સંક્રમિત દરદીઓ અને વિવિધ રાજ્યોમાંથી આવતા આંકડાની વચ્ચે આપણે જીવી રહ્યાં છીએ. આપણે, ભારતે આમ તો સૌથી વધુ વેક્સિન ઉત્પાદનને નામે કૉલર ઊંચા કર્યા હતા અને વ્યવસ્થિત વેક્સિનેશન થશે અને આપણે કોવિડ-૧૯ સામે જીતી જઇશુંનો ખોંખારો પણ ખાધો હતો. પણ છેલ્લા દોઢેક અઠવાડિયાના સમયમાં કેટલી ઘટનાઓ બની.

યુ.એસ.એ.ના પ્રેસિડન્ટ જો બાયડને જાહેરાત કરી કે યુ.એસ.એ.ના બધા જ એડલ્ટ્સ એટલે કે ૧૮ની ઉપર વય ધરાવનારા કોવિડ-૧૯ વેક્સિન આગામી બે અઠવાડિયામાં મેળવી શકશે. આ પહેલાં યુ.એસ.એ. કરેલી જાહેરાત અનુસાર આ સ્થિતિ આવતા ૧લી મે થઇ જાત પણ પરિસ્થિતિ બહેતર થઇ અને આ નિર્ણય જલદી જ લેવાયો.

યુ.એસ.એ.ની વાત એટલા માટે કરવાની કે તેમણે કોઇ મોટા વાયદા નહોતા કર્યા પણ એક વ્યવસ્થાને અનુસરીને વેક્સિનેશનનું કામ આગળ વધાર્યું. આપણે ત્યાં, ભારતમાં આરંભે બધા શૂરા હતા અને અચાનક જ આપણે વહેણની વિરુદ્ધમાં જવા માંડ્યા. વેક્સિનેશન જે જોરશોરથી શરૂ થયું, જે ઝડપથી શરૂ થયું, સોશ્યલ મીડિયા પર સોય લેતા બાવડાંની તસવીરો છલકાઇ છલકાઇને આપણે વેક્સિનનો સ્ટૉક ખલાસ થઇ ગયોના સમાચાર સાંભળ્યા. અનેક રાજ્યોમાં વેક્સિનનો પૂરતો સ્ટૉક ન હોવાના સમચાર હવે આપણે માટે નવા નથી. એમાં પાછા કેસિઝનો આંકડો તો આંખનો પલકારો મારીએ ત્યાં વધી જાય છે. કુંભના મેળામાં વાઇરસનું વર્ચસ્વ કેટલું ફેલાય છે એ તો વખત આવ્યે ખબર પડવાની હશે તો પડશે જ. જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાને WHOએ પણ વખાણ્યું છે, તેના સી.ઇ.ઓ. આદર પુનાવાલાએ કહ્યું પણ છે કે આખા દેશને પુરવઠો પૂરો પાડી શકાય તે પરિસ્થિતિથી હજી અમે છેટાં છીએ અને સંજોગો સ્ટ્રેસફુલ છે.

ભારતની વેક્સિન વિતરણની વ્યૂહરચના નિષ્ફળ ગઇ છે તેમ કહેવામાં હવે આપણે કચવાટ ન અનુભવવો જોઇએ. યુદ્ધ જામ્યું છે અને આપણે હાંફ્યા છીએ, હાર્યા જ સમજો! ભારતની વેક્સિન વ્યૂહરચના પર આપણે ૨૦૨૦ની વાત કરીએ તો માસ્ક, લૉકડાઉન, સેનિટાઇઝેશન એ બધું આપણી જિંદગી બન્યું ત્યારે આપણને કલ્પના ય નહોતી કે આપણને – ભારતને વેક્સિન મળશે. કોરોના વાઇરસને ધ્યાનમાં રાખીને આમે ય કોઇએ સ્પેશ્યલ વેક્સિન તૈયાર તો રાખી નહોતી કારણ કે આ તો અકલ્પનીય સંજોગો જ હતા. આપણે એક રાષ્ટ્ર તરીકે અસંભવને સંભવ કરવાનું હતું, આખી દુનિયા લૉકડાઉનમાં હતી અને કોણ કોના સુધી કેવી રીતે પહોંચશે તેની કોઇને ય ખબર નહોતી. ભારત વેક્સિન ઉત્પાદનને મામલે પાવરહાઉસ રાષ્ટ્ર છે, વિશ્વમાં બનતા કૂલ વેક્સિન્સનાં સાંઇઠ ટકા વેક્સિનનું ઉત્પાદન ભારતમાં જ તો થાય છે. આદર્શ સંજોગો એ હોત કે આ વૈશ્વિક રોગચાળાને નાથવા માટે યુ.એસ.એ. વેક્સિનનું સંશોધન કરત અને ભારત તેનું ઉત્પાદન કરત.

યુ.એસ.એ.ની સરકારે ગયા વર્ષે મે મહિનામાં એક ઝડપી નિર્ણય લીધો. તેમણે એક વિશેષ પ્રોગ્રામ લૉન્ચ કર્યો  – ઑપરેસન રેપ સ્પીડ – અને તે અંતર્ગત વેક્સિન બનાવનાર આઠ મેન્યુફેક્ચરરને કામે લગાડ્યા, તેમની ટ્રાયલ્સ ઝડપથી કરવા કહ્યું. આમાં ખાનગી કંપનીઝ હતી અને સરકાર તરફથી તેમને આર્થિક મદદ પણ મળી તે પણ નાની સૂની નહીં પણ ૧૧ બિલિયન ડૉલર્સની. દરેકનો ઉદ્દેશ એક જ હતો – કોરોનાવાઇરસને નાથે તેવી વેક્સિન શોધી નાખવી.

આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટ, એક ખાનગી કંપની જે સૌથી વધુ વેક્સિનનું ઉત્પાદન અને નિકાસ કરે છે. રોગાચાળો ફાટી નિકળ્યો અને સિરમ ઇન્સ્ટિટ્યૂટે આ પડકાર ઝીલવાનું બીડું ઝડપ્યું, તેમણે ગણતરીપૂર્વકનું જોખમ લેવાનું નક્કી કર્યું. અહીં કંપનીને સરકાર તરફથી ઉત્પાદન ક્ષમતા વધારવા, ઝડપી કરવા માટે કોઇ ભંડોળ મળશે કે કેમ તેની કોઇ ખાતરી નહોતી. ડિપાર્ટમેન્ટ ઑફ બાયોટેક્નોલોજીએ એસ.આઇ.આઇ.એ. વિકસાવેલ વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ માટે અમુક ભંડોળ આપ્યું. ઑગસ્ટમાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે પ્રાઇવેટ ઇક્વિટી ઇન્વેસ્ટર્સ સાથે વાત કરી ભંડોળ મેળવ્યું અને બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પણ તેમને ભંડોળ મળ્યું પણ ભારત સરકાર તેને કોઇપણ ભંડોળ આપ્યું હોય તેવું ક્યાં ય કાને નથી પડ્યું.

આ તરફ યુ.એસ. સરકારે જુલાઇ ૨૦૨૦માં જ ફાઇઝરને ૧૦૦ મિલિયન ડોઝનો ઓર્ડર આપ્યો, તે માટે ૨ બિલિયન ડૉલર્સ ચૂકવ્યા વળી વધારાના ૫૦૦ મિલિયન ડૉઝ લેવાનો વિકલ્પ પણ હાથવગો રાખ્યો. મોડર્ના સાથે પણ ૧૦૦ મિલિયન ડૉઝનો કોન્ટ્રેક્ટ કર્યો. યુ.એસ.એ. કરદાતાઓના નાણાં વેક્સિન માટેના રિસર્ચમાં નાખ્યા તો પ્રાઇવેટ કંપનીના સૌથી પહેલા કસ્ટમર તરીકે પણ યુ.એસ.ની સરકાર ખડી રહી. વેક્સિન કંપનીઓને કેપિટલ મળ્યું એટલે તેમનું કામ ન અટક્યું.

આપણે ત્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટે ૨૦૨૦ના અંત સુધીમાં વેક્સિનનો મોટો જથ્થો તૈયાર કર્યો. પરંતુ અમુક પ્રશ્નોના જવાબ અંગે કોઇ સ્પષ્ટતા નહોતી. ભારત સરકારે પહેલાં ૧૦૦ મિલિયન ડૉઝ, ૨૦૦ રૂપિયા પ્રતિ ડૉઝના ભાવે ખરીદવાનો સોદો કર્યો. ઇન્સ્ટિટ્યૂટમાંથી બીજા દેશોમાં પણ વેક્સિન જવાની જ હતી પણ ભારતમાં તે સૌથી ઓછા ભાવે વેચાઇ રહી હતી. પણ ભારત સરકારે પરચેઝ ઓર્ડર પર સહીં નહોતી કરી, દેશા સૌથી મોટા વેક્સિન ઉત્પાદકને ખબર નહોતી કે આખરે ભારત સરકાર તેમની પાસથી કેટલી વેક્સિન લેશે અને ક્યારે તેમને તેની જરૂર પડશે? હજી જાન્યુઆરીમાં તો તેઓ પરચેઝ ઓર્ડરની અને ક્યાં વેક્સિન પહોંચાડવાની રહેશે તેની સ્પષ્ટતાની રાહ જોતા હતા. વળી મહિને ૬૦ મિલિયન ડૉઝનું ઉત્પાદન કરનારા ઇન્સ્ટિટ્યૂટની ક્ષમતા વધારવાનો સરકાર પાસે સમય તો હતો પણ એવું કંઇ કરાયું નહીં. જાન્યુઆરીમાં ભારત સરકાર તરફથી પહેલો પરચેઝ ઓર્ડર ૧૧ મિલિયન ડૉઝિસનો મળ્યો. આ તરફ યુ.એસ.એ.એ ફાઇઝર અને મોડર્નાના ઓર્ડર વધાર્યા. આ બાજુ યુ.એસ.એ.માં એક કંપની બીજી કંપનીને કામ ઝડપે કરવામાં મદદ કરી શકે તે દિશામાં પણ કામ થતું ગયું. આપણે ત્યાં કેસિઝ વધ્યા તો વેક્સિનની નિકાસ અટકાવી દેવાઇ, અને બીજા દેશો જ્યાં સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી નિકાસ થવાની હતી તેમને રાહ જોવાનું કહેવાયું. સિરમ ઇન્સ્ટિટ્યૂટને એસ્ટ્રાઝેનેકા તરફથી ડિલીવરીમાં વિલંબ કરવા સામે લિગલ નોટિસ પણ મળી ચૂકી છે.

બે દેશ, એક મહાસત્તા, એકને મહાસત્તા બનવાની મહેચ્છા, બન્નેના અભિગમ આ સંજોગોમાં કેવા રહ્યા છે તે ઘણું બધું કહી જાય છે. યુ.એસ.એ.ને સમયમાં શું કરવાની જરૂર હતી તે સમજાયું અને તેમણે તે જ કર્યું. ભારતે એક મજબૂત ખાનગી કંપનીને ‘ઠીક હવે’ પ્રકારના દ્રષ્ટિકોણથી જોઇ અને અંતે ખોટ દેશ અને કંપની બન્નેને ગઇ, પણ કાળમુખા વારઇસને બળુકા થવાનો મોકો મળ્યો.

બાય ધી વેઃ

પ્રગતિશીલ રાષ્ટ્ર હોય ત્યાં અર્થતંત્ર, આવડત, સંશોધન, ક્ષમતા, દૂરંદેશી જેવા શબ્દો માત્ર શબ્દો નથી રહેતા પણ તે વ્યૂહરચનાનો ભાગ હોય છે. કોઇની આવડતથી રાષ્ટ્રનું ભલું થતું હોય તો કોઇ પણ ડર વિના તેની પડખે રહેવું જોઇએ તે સરકારને સમજાવું જોઇએ. આપણે કુંભમેળાની ડુબકીઓમાં રાચીએ છીએ અને પછી વૉટ્સએપ પર શબવાહિનીઓના વીડિયો મોકલી પીડા થઇ હોવાની લાગણી ફોરવર્ડ પણ કરી દઇ છીએ. ‘સાહેબ’ સમજે તો સારું, રોડ શોઝ અને રેલીઝમાં કે કોલકાતાની ચૂંટણી જીતવામાં માણસાઇનું ગળું વધારેને વધારે રૂંધાઇ રહ્યું છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  18 ઍપ્રિલ 2021 

Loading

સંકટગ્રસ્ત સરકારને વધારે સંકટ ટાળવું હતું

રમેશ ઓઝા|Opinion - Opinion|18 April 2021

કોઈનાં ખોટાં વખાણ કરવાં એ ખોટું છે. કદર કરવા યોગ્ય માણસની જાણતા હોવા છતાં કદર ન કરવી એ પણ ખોટું છે. પણ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. ભારતમાં આજકાલ આમ થઈ રહ્યું છે. એવો પ્રચાર કરવામાં આવે છે કે ભારતનું બંધારણ એકલા ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું. એમાં કોઈ શંકા નથી કે ડૉ. આંબેડકરનો બંધારણ ઘડવામાં સિંહ ફાળો હતો, પરંતુ તે તેમના એકલાનું સર્જન નથી. બીજાના ભોગે આપણા સમાજના આઇકન સ્થાપવાની દેશમાં હોડ શરૂ થઈ છે અને તેમાં અસત્યનો સહારો લેવામાં આવે છે.

સત્ય તો એ છે કે ભારતનું બંધારણ ઘડાવાની પ્રક્રિયા ત્રણસો વરસની હતી એ આપણે જોઈ ગયા છીએ. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈનો ટાપુ હસ્તગત કરીને ઈ.સ. ૧૬૮૩ પછીથી તેના વહીવટ માટે તેમના બ્રિટિશ કાયદા, બ્રિટિશ ઢબનું વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર લાગુ કર્યા અને પ્રજાએ વિરોધ કર્યા વિના તેનો સ્વીકાર કર્યો ત્યારથી લઈને ૧૯૩૫માં ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયા એક્ટ ઘડાયો ત્યાં સુધીની હતી.

આ ઉપરાંત બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને ખાતરી થઈ ગઈ હતી કે હવે ભારત ઉપર કબજો જાળવી રાખવો શક્ય નહીં બને એટલે સરકારે સૂચિત આઝાદ ભારતનાં બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. તેની પાછળના બે ઈરાદા હતા. એક તો ભારતની પ્રજાને સંકેત મળે કે હવે આઝાદી મળવાની છે એટલે તે યુદ્ધ દરમ્યાન આંદોલન કરીને વિઘ્ન પેદા ન કરે. સંકટગ્રસ્ત સરકારને વધારે સંકટ ટાળવું હતું. બીજો ઈરાદો નેક હતો. આઝાદી મળતા સુધીમાં ભારતના નેતાઓમાં ભારતીય સંઘરાજ્ય વિષે જો મોટી-મોટી સમજૂતી થઈ જાય તો અરાજકતા પેદા ન થાય. ૧૯૪૨માં બ્રિટિશ સરકારે ભારતીય નેતાઓ સાથે ચર્ચાવિચારણા કરવા સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા હતા અને તેમણે આઝાદ ભારતના બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચા કરી હતી. એ ચર્ચા સંમતિ વિકસે એ દિશાની હતી. એ પછી ૧૯૪૬માં બ્રિટિશ સરકારે લૉર્ડ પેથીક લૉરેન્સના નેતૃત્વમાં ત્રણ કેબિનેટ પ્રધાનોને ભારત મોકલ્યા હતા અને તેમનો પ્રયાસ પણ આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચા કરીને સંમતિ સાધવાનો હતો. ૧૬ મે, ૧૯૪૬ના રોજ તેનો એક મુસદ્દો ત્રિ-મંત્રી પરિષદે ભારતીય નેતાઓ સમક્ષ રજૂ પણ કર્યો હતો.

આનો અર્થ એ થયો કે બંધારણનાં સ્વરૂપ વિષે ૧૯૪૨થી સઘન ચર્ચા શરૂ થઈ હતી અને તેમાં દરેક પક્ષકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે કે ડૉ. આંબેડકરે દલિતોના પક્ષકાર તરીકે તેમને (ડૉ. આંબેડકરને) બહાર રાખવા સામે વિરોધ કર્યો હતો. ડૉ. આંબેડકરનો વિરોધપત્ર ઉપલબ્ધ છે. હવે જ્યારે ભારતમાં રાજ કરવું નહોતું અને એ શક્ય પણ નહોતું ત્યારે સવર્ણ હિંદુઓ સામે દલિતોનો રાજકીય ઉપયોગ કરવાનો ખપ અંગ્રેજો માટે પૂરો થઈ ગયો હતો અને એટલે ડૉ. આંબેડકરને ભૂલી જવાયા હતા. આખી જિંદગી અંગ્રેજોની વફાદારી કેળવ્યા પછી તેમને આ શિરપાવ મળ્યો હતો. ભારતનું બંધારણ ઘડવાની પ્રક્રિયામાં ડૉ. આંબેડકરને સ્થાન અપાવનારા ગાંધીજી હતા એ હકીકત દલિતોએ સ્વીકારવી જોઈએ, બાકી અંગ્રેજો તો તેમને ભૂલી ગયા હતા. આમ સત્ય એ છે કે ડૉ. આંબેડકર બહુ મોડેથી બંધારણ ઘડવાની પ્રક્રિયામાં જોડાયા હતા અને એ પણ ગાંધીજીના કારણે.

આ સિવાય ગોળમેજ પરિષદોમાં ભારતના બંધારણીય સ્વરૂપ વિષે ચર્ચાઓ થઈ હતી. ભારતના નેતાઓએ પાંચ દાયકા આ વિષે ચર્ચા કરી હતી અને ગાંધીજીએ તો દરેક પક્ષકાર સાથે ધીરજ ગુમાવ્યા વિના સંવાદ કર્યો હતો.

તો વાતનો સાર એટલો કે ભારતનું બંધારણ લાંબી પ્રક્રિયાનું પરિણામ છે; જેમાં અંગ્રેજ સરકારનો વહીવટી પ્રયોગ, ભારતીય પ્રજાનો આધુનિક રાજ્યનો સ્વીકાર, ભારતીય નેતાઓ વચ્ચેનો સંવાદ, નેતાઓ વચ્ચે બનેલી બૃહદ્દ સમજૂતી અને ૧૯૪૨થી ૧૯૪૭નાં વર્ષોમાં થયેલી સઘન ચર્ચાનો સમાવેશ થાય છે. કોઈ નવલકથાની જેમ ભારતનું બંધારણ કોઈ એક લેખકે કમરામાં બેસીને લખ્યું નથી. દેશમાં જે તે પ્રજાની અંદર પોતપોતાનાં આઈકન સ્થાપવાની આ જે હોડ ચાલી રહી છે એ ખોટી તો છે જ પણ અન્યાયકારી પણ છે. ખાસ કરીને કનૈયાલાલ માણેકલાલ મુનશીને અને બેનેગલ નરસિંહ રાવને અન્યાય થઈ રહ્યો છે. આ બે જણને એવી રીતે ભૂલી જવામાં આવ્યા છે કે જાણે તેમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. આ જોઈને કોઈ પણ ન્યાયપ્રિય વ્યક્તિને દુઃખ થયા વિના ન રહે. આમાં પણ બેનેગલ નરસિંહ રાવને તો સાવ ભૂલી જવાયા છે.

ઉપર કહ્યું એમ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે સરકારે તેના બાહોશ સનદી અધિકારી બી.એન. રાવને બંધારણીય સલાહકાર બનાવ્યા હતા. તેમણે ભારતીય નેતાઓ સાથે બંધ બારણે કે ખુલ્લી રીતે ભારતીય બંધારણમાં શું હોવું જોઈએ અને શું ન હોવું જોઈએ એ વિષે ચર્ચા કરવાની હતી. આ ઉપરાંત બ્રિટિશ બંધારણ અને જગતનાં લોકતાંત્રિક દેશોનાં બંધારણોમાંથી કઈ બાબતો ભારતને અનુકૂળ નીવડશે તે બતાવવાનું હતું. બંધારણસભાની કેવી રીતે રચના કરવી અને તેનું કામકાજ કેવી રીતે ચલાવવું એ વિષે પણ તેઓ ભારતીય નેતાઓ અને વાઇસરોય સાથે ચર્ચા કરતા હતા. ભારતનું બંધારણ બંધારણસભામાં નહીં, પણ મુખ્યત્વે વીસેક જેટલી તેની પેટા-સમિતિઓમાં ઘડાયું છે એનો શ્રેય પણ બી.એન. રાવને જાય છે. ખુલ્લા વ્યાપક સદનમાં ચર્ચાનો કોઈ અંત નહીં આવે અને બંધારણ ખોરંભે પડશે એવી તેમની સલાહ હતી.

બીજી બાજુ ૧૯૪૨ પછી આઝાદ ભારતનાં બંધારણીય સ્વરૂપ વિષે જ્યારે સઘન ચર્ચા શરૂ થઈ ત્યારે ગાંધીજીએ કનૈયાલાલ મુનશીને એ જ કામ સોંપ્યું હતું જે સરકારે બી.એન. રાવને સોંપ્યું હતું. ૧૯૪૦માં પાકિસ્તાન, મુસ્લિમ પ્રશ્ન અને અહિંસાની બાબતે ગાંધીજી સાથે મતભેદ થતાં મુનશીએ કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને ‘અખંડ હિન્દુસ્તાન’ની ચળવળ શરૂ કરી હતી. મુનશી સાથે મતભેદ હોવા છતાં અને મુનશીએ ગાંધીજી સાથે છેડો ફાડ્યો હોવા છતાં ગાંધીજીએ મુનશીને બોલાવ્યા હતા અને તેમને કહ્યું હતું કે ભારતનાં બંધારણનો એક કાચો મુસદ્દો ઘડી આપો. દેશની સામાજિક-રાજકીય વાસ્તવિકતા જોઇને અને જગતનાં લોકશાહી દેશોનાં બંધારણોનો અભ્યાસ કરીને આ કામ કરી આપો.

મુનશી અને બી.એન. રાવે પ્રચંડ જહેમત ઊઠાવીને ભારતનાં ભાવિ બંધારણની ભૂમિ રચી આપી હતી અને કાચો મુસદ્દો પણ ઘડી આપ્યો હતો. એ પછી ડૉ. આંબેડકર પ્રવેશે છે અને એ પણ ગાંધીજીના કારણે. માટે જ પ્રારંભમાં કહ્યું એમ કોઈનો શ્રેય આંચકી લેવો, શ્રેયનો આખેઆખો હાર બીજાના ગળામાં પહેરાવવો અને પ્રચારનો ઘોંઘાટ કરીને શ્રેયના બીજા અધિકારીઓને ભૂલવાડી દેવા એ ખોટું નથી, ગુનો છે. આને પ્રજાકીય જાગૃતિ ન કહેવાય. પ્રજાકીય જાગૃતિ એને કહેવાય જેમાં જેનું જે હોય તેને તે આપવામાં આવે. જ્યાં ન્યાય ન હોય ત્યાં જાગૃતિ ન હોય.

e.mail : ozaramesh@gmail.com

પ્રગટ :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 18 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9281,9291,9301,931...1,9401,9501,960...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved