Opinion Magazine
Number of visits: 9571864
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—92

દીપક મહેતા|Opinion - Opinion|24 April 2021

હુલ્લડ, રમખાણ, તોફાન, અથડામણ : નામ રૂપ જૂજવાં

મુંબઈનું પહેલવહેલું હુલ્લડ કૂતરાને કારણે

મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે : કનૈયાલાલ મુનશી 

સંત કવિ તુલસીદાસે ગાયું છે : ‘ભાખા બહતા નીર.’ એટલે કે ભાષા તો વહેતાં પાણી જેવી છે. જે પાણી વહેતું ન હોય તે બંધિયાર થઈ જાય, વાસ મારે, રોગચાળો ફેલાવે. લોકજીભે ભાષા પણ સતત વહેતી રહે છે, બદલાતી રહે છે, અને તેથી જ ઉપયોગી રહે છે. અંગ્રેજીના Riot શબ્દ માટે એક જમાનામાં આપણાં છાપાં હુલ્લડ કે રમખાણ શબ્દો વાપરતાં. વધુ ભડકામણાં મથાળાંનાં શોખીન છાપાં ‘મુંબઈમાં કોમી દાવાનળ ભભૂકી ઊઠ્યો’ એવું આઠ કોલમનું હેડિંગ પહેલે પાને ફટકારતા. (એ વખતે છાપામાં પાનાદીઠ આઠ કોલમ આવતી, સાત નહિ.) પછી ‘તોફાનો’ શબ્દ વપરાતો થયો. પછી ‘અથડામણ.’ તંત્રી સંસ્કૃતનો શોખીન હોય તો ‘સંઘર્ષ’ વાપરે.

એક જમાનામાં આવાં હુલ્લડ કે રમખાણ થાય ત્યારે છાપાં બંને કોમનાં નામ બેધડક છાપતાં. મૃત્યુ પામેલાના કે ઘાયલ થયેલાના આંકડા પણ કોમવાર છપાતા. બ્રિટિશ સરકારને એ અંગે ખાસ વાંધો પણ નહોતો. ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં પહેલી વાર કૉન્ગ્રેસની સરકાર બની. એના હોમ મિનિસ્ટર હતા કનૈયાલાલ મુનશી, પ્રખ્યાત વકીલ, પ્રતિષ્ઠિત લેખક. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. પહેલાં તો મુનશીએ સમાચાર અને આંકડા કોમવાર ન છાપવા માટે છાપાંઓને તાકીદ કરી. પણ છાપાં માન્યાં નહિ. એટલે ફોજદારી કાયદાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી (પ્રિસેન્સરશિપ) કરવાને લગતો વટહુકમ મુનશીએ જાહેર કર્યો. બીજાં બધાં છાપાંએ તો તેનો અમલ કર્યો. પણ એક અંગ્રેજી છાપાએ તેની સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી અને જસ્ટિસ જોન બોમન્ટને મળવાનું થયું. તેમણે વિજેતાની અદાથી કહ્યું : ‘મિસ્ટર મુનશી, તમારા વટહુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ સહેજ પણ અચકાયા વિના મુનશીએ કહ્યું: ‘જો ફરી રમખાણો થશે અને લોકોની, આપની, અને મારી સલામતી માટે જરૂરી લાગશે તો હું આવો વટહુકમ બેધડક બહાર પાડીશ. મારી ફરજ કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. જો એ જળવાય તો જ આપ નામદાર આપની ફરજ બજાવી શકશો.’

મુંબઈ સરકારના હોમ મિનિસ્ટર કનૈયાલાલ મુનશી

પ્રિય વાચક, આપને થતું હશે કે હમણાં તો મુંબઈ પોલીસની વાત ચાલતી હતી તેમાં આ વાત ક્યાંથી ટપકી પડી? આ વાત ટપકી પડી કારણ પોલીસ અને હુલ્લડને ગાઢ અને સીધો સંબંધ છે. કંપની સરકારનું મુંબઈમાં રાજ શરૂ થયું ત્યારથી છેક ૧૮૩૨ સુધી મુંબઈમાં એક પણ હુલ્લડ થયું હોય તેવું નોંધાયું નથી. પણ ૧૮૩૨ના જૂન મહિનાની છઠ્ઠી તારીખે કૈંક એવું બન્યું કે જેથી મુંબઈમાં પહેલી વાર રમખાણો ફાટી નીકળ્યાં. અને એનું કારણ હતું પોલીસ મેજિસ્ટ્રેટનો એક હુકમ. મુંબઈ માટે રખડતાં ઢોરની સમસ્યા ઘણી જૂની. છેક ૧૭૯૭માં તે વખતના ગવર્નરે રખડતાં ઢોરને પાંજરે પૂરવાનો હુકમ બહાર પાડેલો. હવે પોલીસ મેજિસ્ટ્રેટે રખડતા કૂતરાને માત્ર પકડવાનો જ નહિ, મારવાનો હુકમ બહાર પાડ્યો અને જે હવાલદાર કૂતરા મારીને લાવે તેને કૂતરા દીઠ આઠ આના (આજના ૫૦ પૈસા) આપવાનું જાહેર કર્યું. હવે આ હુકમ કાંઈ નવો નહોતો. દર વરસે બહાર પડતો. પણ અગાઉ રખડતા કૂતરાને પકડીને લઈ જતા અને પછી તેનું જે કરવું હોય તે, લોકોની નજરથી દૂર કરતા. પણ આ વખતે આઠ આનાની લાલચને લીધે હવાલદારો જ્યાં દેખાય ત્યાં કૂતરાને મારી નાખવા માંડ્યા. એટલું જ નહિ, લોકોના બંગલાના કમ્પાઉન્ડમાં બાંધેલા કૂતરાને પણ મારવા લાગ્યા.

આ જોઈને લોકો ઉશ્કેરાયા. કોઈના કમ્પાઉન્ડમાં કૂતરો મારવા માટે ઘૂસેલા બે હવાલદારને લોકોનાં ટોળાંએ સારો એવો મેથીપાક ચખાડ્યો. પછી બીજે દિવસે, એટલે કે ૭મી જૂને, કોટ વિસ્તારની બધી બજારોમાં હડતાલ પડી. સવારના છ વાગ્યાથી ઠેર ઠેર લોકોનાં નાનાં નાનાં ટોળાં ભેગાં થઈને વાતો કરતાં હતાં. સાત વાગ્યા સુધીમાં આ ટોળાં રસ્તા પર ફરીને દુકાનો બંધ કરાવવા લાગ્યાં. નવ વાગ્યા સુધીમાં આ ટોળાંએ ભાંગફોડ શરૂ કરી. કોટની બહારથી આવતી ઘોડા ગાડીઓને તેમ જ પગપાળા આવતા લોકોને પણ અટકાવવાનું શરૂ કર્યું. જો કોઈ વેચવાનો સામાન લઈને આવતું દેખાય તો તેને મારીને તેનો સામાન આંચકી લેતા. દસ વાગ્યા સુધીમાં લોકો અને પોલીસ સામસામે આવી ગયા. એ જ વખતે તોફાનોને ખાળવા માટે સરકારે લશ્કર બોલાવ્યું છે એવી અફવા ફેલાઈ. એટલે ૧૧ વાગ્યા સુધીમાં લોકોનાં ટોળાં પોલીસ ચોકી સામે ભેગાં થયાં. બપોરે બાર વાગે ફરી વાત ફેલાઈ કે લશ્કર આવી રહ્યું છે. પણ લોકોનાં ટોળાંએ એ વાત ગણકારી નહિ.

મુંબઈના રસ્તા પર હુલ્લડ પહેલાં હડતાલ

પણ બપોરે એક વાગે એપોલો ગેટમાંથી ક્વીન્સ રોયલ્સની એક પલટન કિલ્લામાં દાખલ થઈ અને તેને જોઈને લોકો નાસભાગ કરવા લાગ્યા. હિંદુઓ તથા પારસીઓનાં ટોળાં બોમ્બે ગ્રીન (આજનું હોર્નિમેન સર્કલ) અને બજાર ગેટ તરફ ભાગ્યાં. લશ્કરની ટુકડીએ પહેલાં શેઠ એદલજી ફરામજીની દુકાન પાસે થાણું નાખ્યું. પછી સરકારી ગોદામો અને ઓફિસો બહાર ચોકી પહેરો બેસાડ્યો. પછી લશ્કરી અમલદારોએ બધા સરકારી અમલદારો સાથે મિટિંગ કરી. તેમાં બધા મેજિસ્ટ્રેટ, જસ્ટિસ ઓફ પીસ, લશ્કરનો કમાન્ડર, ટાઉન મેજર, નેવીના અમલદારો, વગેરે હાજર હતા. તેમની હાજરીમાં પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે ‘રાયટ એક્ટ’ વાંચી સંભળાવ્યો. તે પછી લશ્કરના સૈનિકો કોટ વિસ્તારમાં ફરીને તોફાનીઓની ધરપકડ કરવા લાગ્યા. બપોરે ત્રણ વાગે પોલીસ અને લોકોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટ શરૂ થઈ અને છેવટે બંને વચ્ચે સમાધાન થયું. છતાં લશ્કરની ટુકડીને આખી રાત કિલ્લાની અંદર જ રાખવામાં આવી અને જરૂર જણાય તો પોલીસની મદદે જવાનો તેને હુકમ અપાયો. પણ તેવી જરૂર પડી નહિ. સાંજે પોલીસના ચીફ મેજિસ્ટ્રેટે જુદી જુદી કોમના આગેવાનોને મળવા બોલાવ્યા અને બીજા દિવસથી બધી દુકાનો ખોલી નાખવા તથા કાયદાનું પાલન કરવા જણાવ્યું. આથી પારસી પંચાયતના વડા તથા હિંદુ મહાજનના મુખિયા રસ્તે રસ્તે ફરીને લોકોને શાંતિ રાખવા અને બીજે દિવસે સવારે બધી દુકાનો ખોલી નાખવા સમજાવવા લાગ્યા. 

મુંબઈના રસ્તા પર હડતાલ પછી હુલ્લડ

આ હુલ્લડ ચાલ્યું તો એક દિવસ, પણ તેને પરિણામે ત્રણ જણે જીવ ખોયા. ‘બોમ્બે ગેઝેટ’ નામના તે વખતના પ્રતિષ્ઠિત છાપાએ ૧૮૩૨ના સપ્ટેમ્બરની આઠમીના અંકમાં નોંધ્યું છે કે હુલ્લડને દિવસે બપોરે એક આબરૂદાર પારસી ગૃહસ્થનો નબીરો કોઈ અંગ્રેજ તેના બંગલામાં ભાડૂત હતો તેની ઓફિસમાં ભાડાને લગતા કોઈ કામસર ગયો હતો. ત્યાંથી પાછો ફરતો હતો ત્યારે તેણે લશ્કરના સૈનિકોને હુલ્લડખોરોની પાછળ દોડતા જોયા. એટલે ગભરાઈને તે પણ લોકોનાં ટોળાં સાથે દોડવા લાગ્યો. પોતાની પાછળ બે સોલ્જર આવી રહ્યા છે એનો ખ્યાલ આવતાં સૌથી નજીકના એક ઘરમાં ઘૂસી ગયો. બીકને કારણે ત્યાં તે બેભાન થઈ ગયો. હુલ્લડ શમ્યા પછી તેને પોતાને ઘરે લઈ ગયા અને ઘણા ઉપચાર કર્યા. પણ ભાનમાં આવ્યા વગર જ અઠવાડિયા પછી તે બેહસ્તનશીન થઈ ગયો. તો બે અંગ્રેજ સોલ્જર પણ માર્યા ગયા હતા, હિંસાને કારણે નહિ, પણ વધુ પડતી ગરમી સહન ન થવાને કારણે.

હુલ્લડના આગેવાનો વિષે જે કોઈ ખબર આપે તેને ૫૦૦ રૂપિયા આપવાની સરકારે જાહેરાત કરી હતી. એ રીતે મળેલી માહિતીને આધારે ૧૮ અપરાધીઓ પર ઓક્ટોબરમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં છ દિવસ કેસ ચાલ્યો. તેમાં દસને અપરાધી ઠરાવીને એક મહિનાથી માંડીને દોઢ વરસ સુધીની કેદની સજા થઈ હતી. એ વખતે જુબાની આપતાં બ્રિટિશ લશ્કરની ટુકડીના વડા કર્નલ બોમગાર્ડે કહ્યું હતું કે આ હુલ્લડ લોકોની ગેરસમજને કારણે થયું હતું અને તેની પાછળ સરકારના કાયદો અને વ્યવસ્થાના તંત્ર સામે થવાનો કોઈ ઈરાદો નહોતો. અમને આવતા જોઈને લોકો વિખરાઈ ગયા હતા અને કોઈ અમારી સામે થયું નહોતું. તેમની આવી જુબાનીને કારણે દસ આરોપીઓને પ્રમાણમાં ઓછી સજા થઈ હતી.

સર જમશેદજી જીજીભાઈ

પારસી જમાત દૂધમાં સાકર ભળી જાય તેમ આ દેશના લોકો સાથે ભળી જવા માટે જાણીતી છે. વળી તેઓ એકંદરે બ્રિટિશ સરકારના ટેકેદારો હતા. છતાં આ હુલ્લડમાં તેમણે આગળ પડતો ભાગ કેમ લીધો? કારણ તેમનો ધર્મ કૂતરાને પવિત્ર માને છે. તેઓ માને છે કે મૃત્યુ પછી રૂહને સ્વર્ગનો રસ્તો કૂતરો બતાવે છે. થોડા દિવસ પછી સર જમશેદજી જીજીભાઈની આગેવાની હેઠળ એક પ્રતિનિધિમંડળ સરકારને મળ્યું. તેમણે કહ્યું કે રખડતા કૂતરાને પકડવા સામે અમારો વિરોધ નથી, પણ મારવા સામે છે. આથી તેમણે એવો વચલો રસ્તો સૂચવ્યો કે રખડતા કૂતરાને પકડવા ખરા, પણ મારવા નહિ. તેને બદલે તેમને મુંબઈની બહાર લઈ જઈને છોડી મૂકવા. સરકારે સમયસૂચકતા વાપરીને આ સૂચન સ્વીકારી લીધું. અને મુંબઈના પહેલવહેલા હુલ્લડનો સુખદ અંત આવ્યો.

ઓગણીસ વરસ પછી, ૧૮૫૧માં મુંબઈમાં પહેલી વાર કોમી રમખાણો ફાટી નીકળ્યાં, અને તેના તો કેન્દ્રમાં જ પારસીઓ હતા. પણ તેની વાત હવે પછી ૮મી મેએ. કારણ આવતે શનિવારે મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે ગુજરાતી-મરાઠીના મેળબંધન વિષે થોડી વાત કરશું.    

(નોંધ: અહીં મૂકેલા હડતાલ અને હુલ્લડના ફોટોગ્રાફ પ્રતીકાત્મક છે. આપણા દેશમાં ફોટોગ્રાફીનું આગમન ૧૮૪૦માં થયું, એટલે ૧૮૩૨ના હુલ્લડના ફોટા લેવાયા જ ન હોય તે દેખીતું છે.)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 24 ઍપ્રિલ 2021

Loading

ગઝલ

રવીન્દ્ર પારેખ|Poetry|24 April 2021

ના કશું કૈં નવું થવાનું છે?
કાલ જેવું જ જીવવાનું છે.
આંસુ જેમ જ વહી જવું હો તો,
આંખમાં સૌએ આવવાનું છે.
હસ્તરેખા જ જો બીજાની હો,
ભાગ્ય ક્યાં આપણું થવાનું છે !
ના જતી હોય તેમ વીતે પળ,
આપણે એમ વીતવાનું છે.
સાથ જે પણ હતા નથી સાથે,
આપણે એકલા જવાનું છે.
છોડવું છે તો છોડતાં જઈએ,
ક્યાં અહીં પાછું આવવાનું છે !
હો હવા પણ રહે ન શ્વાસો તો,
ક્યાં મરણ કોઈ રોકવાનું છે?
યાદ પણ કોઈ ના હવે રાખે,
કામ દુનિયાનું ભૂંસવાનું છે.

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

Loading

ગુરુકાંત દેસાઈ ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો નૈતિક કૃત્ય છે, ગંદું નહીં.

રાજ ગોસ્વામી|Opinion - Opinion|23 April 2021

આ અઠવાડિયે, ઓવર ધ ટોપ (ઓ.ટી.ટી.) મીડિયા પ્લેટફોર્મ પર અભિષેક બચ્ચનની ‘ધ બીગ બુલ’ ફિલ્મ રિલીઝ થઇ છે. તેની કહાની ૧૯૯૨માં હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ આધારિત છે. ‘ધ બીગ બુલ’ એક મહિના પહેલાં જ રિલીઝ થયેલી હંસલ મહેતાની પ્રતિક ગાંધી અભિનીત ‘સ્કેમ ૧૯૯૨’ સિરીઝ પછી આવી છે, એટલે બંનેની સરખામણી થવી સ્વાભાવિક જ છે, પરંતુ અભિષેકને બીજી એક સરખામણીમાંથી પણ પસાર થવું પડશે, અને તે છે ૨૦૦૭ની તેની ફિલ્મ ‘ગુરુ.’ બંને ફિલ્મોનું બેકગ્રાઉન્ડ ગુજરાતી છે અને બંને ફિલ્મોનો હીરો મધ્યમ વર્ગના માણસનાં સપનાંની વાત કરે છે. બંને હીરો કંઇક અંશે કાનૂનની દ્રષ્ટિએ અપરાધી છે, પણ એક મહત્ત્વનો ફર્ક એ છે કે ‘બીગ બુલ’નો હેમંત શાહ તેની લાલચનો શિકાર બને છે, જ્યારે ‘ગુરુ’નો ગુરુકાંત દેસાઈ મૂડીવાદી વિચારધારાનો હીરો સાબિત થાય છે.

‘ગુરુ’ ફિલ્મ આકસ્મિક રીતે બની હતી. અભિષેક બચ્ચને મણિ રત્નમ્‌ સાથે ૨૦૦૪માં ‘યુવા’ ફિલ્મ કરી હતી. એમાં એનું નામ લલ્લન હતું. એકાદ વર્ષ પછી મણિએ અભિષેકને મેસેજ કર્યો, “લલ્લન, બીજી ફિલ્મ કરવા તૈયાર છે?” મણિએ ‘પેકી’ નામની ફિલ્મની પટકથા બનાવી હતી. એમાં એક એવા છોકરાની વાત હતી, જે તેના પેરેન્ટ્સ સાથે સાઈઠના દાયકામાં ઇંગ્લેન્ડ સ્થળાંતર કરી ગયો હતો અને ત્યાં મોટા થયા પછી નસ્લવાદનો ભોગ બને છે, અને તેના પરિણામે તે એક અસામાજિક યુવાન બની જાય છે. 

અભિષેકે હા પાડી અને બધું નક્કી થયું. એક દિવસ મણિ તેને મળવા આવ્યા, અને માઠા સમાચાર આપ્યા, “યાર, ઇન્ટરવલ પછી શું કરવું એ સમજ નથી પડતી. સ્ક્રિનપ્લે બરાબર લખાતો નથી. મારે આ ફિલ્મ નથી કરવી.” અભિષેકે કહ્યું, સારું, જબરદસ્તી તો ન થાય ને. એ રાતે બંને ડીનર પર ભેગા થયા, અને અચાનક મણિએ કહ્યું, “મારા મનમાં એક બીજો વિષય પણ છે. તું કરીશ?” અભિષેક કહે છે કે નેકી ઓર પૂછ પૂછ!

ત્યારે તો ફિલ્મનું નામ ‘ગુરુ’ નક્કી પણ ન હતું. એ એક ઉધોગપતિની ઝીરોમાંથી હીરોની કહાની હતી. મણિ રત્નમે તો આ ફિલ્મ ધીરુભાઈ અંબાણી પર આધારિત હોવાનો પણ ઇનકાર કર્યો છે, પરંતુ ફિલ્મના મજબૂત ગુજરાતી બેકગ્રાઉન્ડ, શેર બજારના વ્યવસાય, મુંબઈના અંગ્રેજી સમાચારપત્ર (રામનાથ ગોયંકાના ‘ધ ઇન્ડિયન એકપ્રેસ’) સાથે લડાઈ વગેરે સંદર્ભો એટલા દેખીતા છે કે દર્શકોના મનમાં ફિલ્મ કાલ્પનિક હોવા અંગે કોઈ શંકા રહી ન હતી.

ફિલ્મ ધીરુભાઈના જીવન પર આધારિત છે કે નહીં તે કરતાં ય મહત્ત્વની વાત એ છે કે ભારતના મુક્ત-બજાર (ફ્રી-માર્કેટ) પરની આ એક માત્ર ફિલ્મ છે. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં લાઈસન્સ રાજના જમાનાના ભારતમાં એક એવા બિઝનેસમેનની વાત કરી હતી જે પૈસા બનાવવાને નૈતિક અધિકાર ગણે છે. ભારત આઝાદ થયું ત્યારે નહેરુવાદી અર્થતંત્રમાં નફો કરવો એ ઘોર પાપ ગણાતું હતું. નહેરુએ તેમના રશિયન સમાજવાદના આધારે ભારતની અર્થવ્યવસ્થા વિકસાવી હતી. ૧૯૨૯માં, નહેરુ કૉન્ગ્રેસના અધ્યક્ષ બન્યા હતા, ત્યારે તેમણે વક્તવ્યમાં કહ્યું હતું કે, “સાચું કહું તો હું સમાજવાદી અને રિપબ્લિકન છું. મને જૂના જમાનાના રાજાઓ-રાજકુમારો કે આધુનિક ઉધોગોના મહારાજાઓમાં વિશ્વાસ નથી.”

નહેરુ આખી જિંદગી ઉધોગપતિઓથી આઘા રહ્યા હતા. તેમને થોડો ઘણો વિશ્વાસ ઘનશ્યામદાસ બિરલા અને જે.આર.ડી. તાતામાં હતો. આઝાદી પછી નહેરુની આર્થિક નીતિથી બિઝનેસ જગત નારાજ થયું હતું. એ લાગણીઓ લઈને મુંબઈના અમુક ઉધોગપતિઓ નહેરુને મળવા ગયા હતા. એ મિટિંગમાં  તાતાએ ભલામણ કરી હતી કે દેશના આર્થિક વિકાસ માટે પબ્લિક સેકટર કંપનીઓ નફો કરે તે જરૂરી છે, ત્યારે નહેરુએ તાતાને પરખાવ્યું હતું, “મારી પાસે નફાની વાત જ ન કરતા; એ ગંદો શબ્દ છે.”

નહેરુની એ વિચારસરણીમાંથી આઝાદ ભારતના લાઈસન્સ-પરમિટ રાજનો જન્મ થયો હતો. આજની પેઢીને કદાચ તેની કલ્પના ન આવે, પરંતુ એક સમયે ભારતમાં ખાનગી ઉધોગ-સાહસોનું ગળું જાત-ભાતનાં નિયંત્રણોથી દબાવી રાખવામાં આવ્યું હતું. ધીરુભાઈ અંબાણીનો ઉછેર એ અંકુશોને તોડીને થયો હતો. એ સરકારી નિયંત્રણોમાંથી જ એક ભ્રષ્ટ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી.

‘ગુરુ’ ફિલ્મ આ ભ્રષ્ટ વ્યવસ્થા સામે ગુરુકાંત દેસાઈ નામના એક બિઝનેસમેનના વિદ્રોહની કહાની છે. ગુરુ તેની આડે આવતા અંકુશોને પોતાની રીતે જ તોડે છે. ઉપર-ઉપરથી કોઈને એવું લાગે કે ગુરુકાંત જેમ જેમ પ્રગતિની સીડી ચઢે છે તેમ તેમ તે ભ્રષ્ટ થઇ જાય અને પૈસા ખવડાવીને પોતાનો સ્વાર્થ સાધે છે. ગહેરાઈથી જુવો તો ખ્યાલ આવે કે હકીકતમાં ગુરુની જે નૈતિકતા છે તે ભ્રષ્ટ વ્યવસ્થાને અનુકૂળ નથી.

ગુરુની લડાઈ વ્યવસ્થા સામે છે, વ્યક્તિઓ સામે નહીં. વ્યક્તિઓ સાથે ગુરુનો જે પ્રેમ, આદર અને કોલ છે, તેમાં તે છલના નથી કરતો. જે સમાચારપત્રના માલિક ‘નાનાજી’ માણિક દાસગુપ્તા (મિથુન ચક્રવર્તી) ગુરુને પાયમાલ કરવા મેદાને પડ્યો છે, તેની વાઈના દર્દથી પીડાતી દીકરી (વિદ્યા બાલન) પ્રત્યે ગુરુનો પ્રેમ જરા ય ઓછો નથી થતો. ધ્યાનથી જુવો તો ગુરુ તેનાં માનવીય મૂલ્યોમાં ભ્રષ્ટ નથી થયો. ઊલટાનો તે તેનાં મૂલ્યોને જીદ્દી બનીને પકડી રાખે છે અને વ્યવસ્થા સાથે ટકરાઈ જાય છે. સફળતા અને સમૃદ્ધિમાં તે બગડી જતો નથી. એ આગળ વધવા અને સ્પર્ધા ઊભી કરવા વ્યવસ્થાને તોડે છે.

ગુરુકાંત દેસાઈ એવા ફ્રી-માર્કેટનો હીરો છે, જેમાં નફો કમાવો એ નૈતિક કૃત્ય છે, ગંદુ નહીં. સૌથી આસાન ભાષામાં ફ્રી-માર્કેટ એટલે માંગ અને પુરવઠાના નિયમ હેઠળ માણસો વચ્ચે સ્વૈચ્છિક લેવડદેવડ. મણિ રત્નમે ‘ગુરુ’ ફિલ્મમાં ગુરુકાંત દેસાઈના માધ્યમથી એક અગત્યનો સવાલ પૂછ્યો હતો: જે કાનૂન ભ્રષ્ટ હોય, તેનું પાલન કરવું એ નૈતિકતા છે? મહાત્મા ગાંધીએ સામાજિક અન્યાય કરતા અંગ્રેજોના અનુચિત કાનૂનને માનવાનો ઇન્કાર કરી દીધો હતો. એટલા માટે તો ગાંધીજીને રાષ્ટ્રદ્રોહી ગણીને તેમની પર ખટલો ચલાવવામાં આવ્યો હતો. કાનૂનની નજરમાં ગાંધીજી અપરાધી હતા, પણ સામાજિક દ્રષ્ટિએ તેઓ નૈતિક હતા.

‘ગુરુ’માં મણિ રત્નમે આર્થિક અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. ગુરુ તેની સાથે થતા આર્થિક અન્યાન્યને રોકવા માટે કાનૂનનો ભંગ કરે તો તે ભ્રષ્ટ કહેવાય? તમે જો રશિયન-અમેરિકન લેખક આયન રેન્ડની મહાનવલકથા ‘ધ ફાઉન્ટનહેડ’ વાંચી હોય, તો તેનો હીરો હોવાર્ડ રોઆર્ક તેમાં પૂછે છે, “એક ભ્રષ્ટ દુનિયામાં એક ઈમાનદાર માણસ કેવી રીતે જીવી શકે?”

હિન્દી ફિલ્મોમાં એક હીરો હોય અને એક વિલન હોય. તમે કલ્પના કરી હતી કે એક દિવસ એવી ફિલ્મ બનશે જેમાં સમાજવાદ વિલન હશે અને મૂડીવાદ હીરો? હિન્દી ફિલ્મોમાં વિલન હંમેશાં ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓ વાપરતો, આલીશાન ગાડી-મકાનમાં રહેતો પૈસાદાર બિઝનેસમેન હોય છે, અને હીરો ગરીબી અને અન્યાયનો માર્યો એક સાધારણ માણસ હોય છે. ‘ગુરુ’માં ગુરુકાંત દેસાઈનો મૂડીવાદ હીરો છે અને સરકારી સમાજવાદ વિલન છે.

ફિલ્મના અંત તરફ ગુરુકાંત દેસાઈ સામે ખટલો મંડાય છે, ત્યારે ‘ધ ફાઉન્ટનહેડ’ જેવો ઘાટ ઘડાય છે. ગુરુનો અપરાધ શું છે? તો તેણે ઈમ્પોર્ટ ડ્યુટી સહિતના અનેક કાનૂનનો ભંગ કર્યો છે. એમાં ગુરુને પાંચ મિનીટ માટે પોતાના પક્ષમાં બોલવા માટે આપવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ અને ફ્રી-માર્કેટને ભેગા કરીને બોલાયેલું એ વક્તવ્ય હિન્દી સિનેમાનો એક યાદગાર સંવાદ છે:

“ખડા હો જાઉં, યા ઇસકે લિયે ભી લાઇસેંસ ચાહીએ? આપ કહેતે મેં કાનૂન કે ખિલાફ હું. ચાલીશ સાલ પહેલે એક ઔર આદમી કાનૂન કે ખિલાફ થા. આજ હમ ઉસ આદમી કો બાપુ કહેતે હૈ. ઉનકે વક્ત મેં ગુલામી કા કાનૂન થા. ઉન્હોને એક નયા કાનૂન બનાયા, હમારી આઝાદી કા … દો કમીજ, એક બીવી ઔર એક સાલે કો લેકે બમ્બઈ આયા થા. સોચા થા કે બિઝનેસ કરુંગા. લેકિન જબ યહાં પહુંચા તો દેખા કી ધંધે કરને કે સારે દરવાજે બંધ હૈ. વો ખુલતે થે તો સિર્ફ અમીરો કે લિયે. સરકારી દરવાજે થે. યા તો લાત મારકે ખુલતે થે, યા જી હજૂરી કરકે. મૈને દોનો કિયા. ઓર આજ મુજે યહાં ખડા કરકે આપ પૂછતે કે એ આદમી સલામ બહોત કરતા હૈ! કિસ બાત સે નારાજ હૈ આપ? મેરી તરક્કી સે? યા મેરી તરક્કી કી તેજી સે? યા ઈસલીયે સબ ખફા હૈ કી એક મામૂલી ગંવાર હદ સે આગે ચલા ગયા હૈ? પૈસે કી કીમત ક્યા હૈ, મેં જાનતા હું. અગર પૈસા બન સકતા થા, તો મૈને બનાયા હૈ, લેકિન સિર્ફ અપને લિયે નહીં, અપને ૩૦ લાખ શેરહોલ્ડર કે લિયે ભી. આપ લોગ સબ મિલકે મુજે રોકના ચાહતે હૈ ના .. મેં અકેલા નહીં હું … મેરે સાથ પૂરા દેશ બઢ રહા હૈ. જો દરવાજે આપ બંધ કરકે રખના ચાહતે હૈ, વો ખુલ રહે હૈં. ટાંગ અડા દી હૈ હમને.”

‘ગુરુ’ ફિલ્મ ભારતની આઝાદીની ફિલ્મ છે, પણ અંગ્રેજી હુકુમતથી નહીં, નેહરુવાદી સમાજવાદથી.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 21 ઍપ્રિલ 2021

Loading

...102030...1,9211,9221,9231,924...1,9301,9401,950...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved