Opinion Magazine
Number of visits: 9571632
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ મુશ્કેલ સમયમાં (55)

સુમન શાહ|Opinion - Opinion|26 April 2021

પ્રાણવાયુ તો કુદરત આપે છે પણ ઑક્સિજનનો બૉટલ માણસને માણસે આપવાનો હોય છે. તો શું કર્તાહર્તાઓને ભાન ન્હૉતું પડતું કે આ પળે પળે ફેલાઈ રહેલા રોગચાળામાં કેટલા બૉટલ જોઈશે? અને તે ય મુમ્બઇ દિલ્હી જેવાં મહાનગરોમાં ! વ્યવસ્થા એટલે, તન્ત્ર એટલે, આટલી બેહદ અંધાધૂંધી? રસીકરણના વિક્રમી આંકડાની ઘોષણા કરવાથી કેટલો બચાવ કરી શકાશે? એ તો પોલો ખખડાટ છે.

દેશની નિ:સામાન્ય જનતાની હાલાકીઓનો પાર ન્હૉતો ત્યાં આ કોરોના-ચેપ ગાંડા બાવળની જેમ પ્રસરી રહ્યો છે ને સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં છે.

બીજી તરફ, દેશના બુદ્ધિજીવી વર્ગનો જીવ બળી રહ્યો છે. એ રોજ કંઈ ને કંઈ કહે છે, એને સાંભળવાની કે સમજવાની તૈયારી હોય કે નહીં? માણસો પાણિની શંકરાચાર્ય માર્ક્સ કે આઈનસ્ટાઇન જેવાઓએ હાંસલ કરેલાં જ્ઞાન અને વિજ્ઞાનને પચાવીને બેઠેલા છે, એઓ જે કહે છે, એમાં દમ હોય, એ તો સાંભળવાનું કે નહીં? અરે, કોરોના-વિષયના નિષ્ણાત વિજ્ઞાનીઓ કહે છે એમને તો ગણકારવાના કે નહીં?

જુઓ, જ્ઞાન-વિજ્ઞાન હોય કે ન હોય, અરે, બુદ્ધિ પણ ન હોય, શરીર તો હોય જ છે. આહાર નિદ્રા ભય અને મૈથુનથી માણસ બચી નથી શકતો. શરીરમાં, દેહમાં, ચેતના વસે છે, ચેતનાની ચેતના અન્તરાત્મા તેમ જ અન્ત:કરણ પણ દેહમાં જ વસે છે. દેહને નશ્વર ગણનારા જરૂર સાચા છે પણ એમ ગણવાથી તેઓ પણ અમર નથી થઈ જતા.

આ મન્ડેન વર્લ્ડ છે.

અને મૃત્યુ છેલ્લી અને મહામોટી વાસ્તવિકતા છે. દરેક જીવ પ્રત્યેક પળે પોતાના મૃત્યુની નજીક જાય છે. આટલું લખતાં હું ગયો તેમ એટલું વાંચતા મારો વાચક પણ ગયો. આ હકીકતથી ઊંચી કે જુદી હકીકત શી હોઈ શકે?

મૃત્યુને, મહાયુદ્ધોને અને મહામારીઓને ટાળી નથી શકાતાં. પણ એ પછી જે બચે છે એ છે જીવન અને તે સાથે જડાયેલી વાસ્તવિકતાઓ. જીવંત અને રોગગ્રસ્ત શરીરથી વધારે મોટું શું હોય, જેને બચાવવું અનિવાર્ય થઈ પડે?

આગળના જમાનામાં ડોસીઓ ત્યારે પ્હૅરાવાય એવાં પોતાનાં વસ્ત્રો ગડી કરીને પટારામાં મૂકી રાખતી, જોડે ગંગાજળની નાનકડી ટોયલી મૂકી રાખતી, ને સૌને ક્હૅતી – હું મરું તેવારે બેન, યાદ રાખજે. કેટલી સરસ અંગત વ્યવસ્થા ! મને યાદ છે, પરિવારમાં દાદા-દાદી ફોટા પડાવી રાખતા – કેમ કે, પહેલાં ન પડાવ્યા હોય. સુખડનો હાર કોને પ્હૅરાવવાનો !

No oxygen, hospitals overwhelmed …

Picture Courtsey : Arab News, A.P.

એ છેલ્લી વાસ્તવિકતાને, મૃત્યુને, અને રોજે રોજનાં અનેક મૃત્યુને, સહી શકાય એ માટેની જાહેર વ્યવસ્થાઓ આપણી પાસે શી છે?

હૉસ્પિટલો અને સ્મશાનગૃહોમાં જગ્યા ખૂટી પડી છે, પણ સાવ જ નજીકના ભાવિ દરદીઓ ક્યાં જશે? શબને તો ખબર નથી પડવાની પણ એમને ક્યાં મૂકી આવીશું …. રહ્યાં છે એમને સાચવી કે બચાવી લેવાને માટેની વ્યવસ્થાઓ તન્ત્રોએ કરવાની હોય છે, નહિતર એ નમાલાં ગણાય.

મૃત્યુનો મલાજો સચવાવો જોઈએ. વરઘોડાની જેમ વાજતેગાજતે ઠાઠડીને લઈ જતા. માણસ લાઇલાજ થઈ જાય પણ ગૌરવભેર મરે કે આમ ઑક્સિજનના અભાવે મરે?

એને માત્ર અકસ્માત કહીશું?

આ કશી માનવતાવાદી કે નવ્ય માનવતાવાદી ફરિયાદ નથી. આ વાતમાં તો સહજ સરળ માનવ-તા છે.

(April 25, 2021: USA)

Loading

જ્ઞાનના યુગમાં સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકા

રૂપાલી બર્ક|Opinion - Opinion|26 April 2021

આદરણીય વિપુલભાઈ, સ્નેહી પંચમભાઈ, અશોકભાઈ, નીરજ, સાથી વક્તા મિત્રો બાબુ સુથાર, સુદર્શન આયંગર અને દેશ-દેશાવરથી ઑનલાઈન હાજર ઓપિનિયનના વાચકો-ચાહકો. આપ સૌને અમદાવાદથી મારી પ્રેમી સલામ. ઓપિનિયનને રજત રાણ પડાવ સુધી પહોંચાડનાર સુકાની વિપુલભાઈને, એમની પડખે અડીખમ ઊભા રહેનાર એમનાં પત્ની કુંજબહેનને અને એમના મિત્રો-સાથીદારોને ખૂબ ખૂબ અભિનંદન અને દાયકાઓથી વિશ્વભરના ગુજરાતી લેખકો-વાચકો માટે સુલભ મંચ પૂરો પાડવા માટેના એમના સમર્પણ અને અથાગ્‌ પરિશ્રમને નમન.

મંચ પણ કેવો? વિશાળ, વૈવિધ્યપૂર્ણ, પ્રસ્તુત અને સર્વસમાવેશક. મારા વિચારો આપ સર્વની સમક્ષ મૂકવા માટે ઓપિનિયન તરફથી મળેલા આમંત્રણને મારું સૌભાગ્ય માનું છું. જ્ઞાનના યુગમાં સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકાનું તાદૃશ્ય ઉદાહરણ આજની ઑનલાઈન virtual સભા છે. મળીએ છીએ ને — ભલે in person નહીં પણ રૂબરૂ તો થઈએ જ છીએ. ઑનલાઇન શબ્દના સામાનાર્થી તરીકે વપરાતા શબ્દ virtualનો અર્થ વાસ્તવિક પણ થાય છે. આ transition ખૂબ રસપ્રદ છે.

ઔદ્યોગિક યુગથી માહિતી યુગ વટાવીને આપણે જ્ઞાનના યુગમાં પ્રવેશ્યા. ૧૯૭૦માં યુ.એસ.એ.માં સેનાના ઉપયોગ માટે ઇન્ટરનૅટ વિકસાવવામાં આવ્યું અને ૧૯૯૦માં વર્લડ વાઇડ વૅબથી વિશ્વની તાસીર બદલાઈ ગઈ. આપણે વૈશ્વિકરણ તરફ વધ્યાં. (નોંધવું રહ્યું કે હવે ૨૦૨૧માં deglobalisationની પ્રક્રિયાએ વેગ પક્ડયો છે.) ઔદ્યોગિક યુગમાંથી આપણે માહિતી યુગ તરફ પ્રયાણ કર્યું. બીજા શબ્દોમાં ચીજવસ્તુઓના ઉત્પાદન અને ઉપભોગ પર આધારિત અર્થતંત્ર અને સંસ્કૃતિથી ડિજીટલ અને કમ્પ્યુટરાઇઝ્ડ માહિતીના ઉપભોગ તરફ વળ્યાં. દા.ત. દુકાનમાંથી ખરીદાતી વસ્તુનું ઈ-વેચાણ શરૂ થયું — મેળવતા મહિનાઓ લાગતા કે ક્યારેક ના જ મેળવી શકાતાં પુસ્તકો ઝટપટ ઘરઆંગણે પહોંચતાં થઈ ગયાં, પણ સાથે એ પણ થયું કે પુસ્તક commodity બની ગયું. પરિણામે પુસ્તકની sanctity જોખમાઈ. આ વિષે અંત તરફ  બે કિસ્સાની વાત કરી છે. પહેલાં જ્ઞાનના યુગ તરફ વળીએ.

જ્ઞાનનો યુગ એટલે સાદા શબ્દોમાં એવો યુગ જેમાં માનવજ્ઞાનને એ.આઈ. — આર્ટિફિશ્યલ ઇન્ટૅલીજન્સ સશક્ત કરે છે, વધારે છે અને સુગમ બનાવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનું પરિબળ ઉમેરાયું એટલે માનવી સામે અને માનવીય વ્યવહારો સામે મોટા પડકારો ઊભા થયા. પરિણામે  જ્ઞાનના અર્થમાં પણ પરિવર્તન આવ્યું. જ્ઞાનને તજ્જ્ઞોના મગજની ઉપજ અને એમના મગજમાં સંગ્રહિત, પુસ્તકોમાં મુદ્રિત, વિદ્યાશાખાઓમાં વર્ગીકૃત, વગેરે ને બદલે ઉર્જાના એક પ્રકાર, નેટવર્કના તંત્ર તરીકે જોવાવા લાગ્યું. એ જે છે એના માટે નહીં પરંતુ એ શું કરી શકે છે એ સંદર્ભે જ્ઞાનના યુગની વ્યાખ્યા અને મૂલ્ય કરવામાં આવવા લાગ્યું. સ્થિરતાનું સ્થાન પરિવર્તશીલતાએ લીધું છે. માટે ૨૧મી સદીમાં તમામ વ્યવહારોમાં ફેરફાર કરવાની ફરજ પડી છે, જેવાં કે શિક્ષણ, વ્યવસાય, વેપાર, મનોરંજન, સાહિત્ય, વગેરે. મૅન્યુઅલ કામગીરી ઑટૉમેટેડ થઈ અને લાઇબ્રેરીઓ ઈલૅક્ટ્રૉનિકમાંથી ડિજીટલ અને વર્ચ્યુઅલ —library without walls બની. એમાં વળી આજે ગુગલ ટ્રાન્સલેટ એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરી શકે છે. આવનાર સમયમાં ઍપલાઈડ એ.આઈ. શું નહીં કરી શકે?

જ્ઞાનના યુગમાં જ્ઞાનનો સમાજ રચાયો અને જ્ઞાનના સમુદાયો અસ્તિત્વમાં આવ્યાં. અગાઉ કહ્યું એમ સાઈબર અવકાશને લીધે પારંપરિક રાષ્ટ્રની સીમાઓ જેવું કંઇ રહ્યું જ નહીં ને? વિશ્વ ‘ગ્લોબલ વિલૅજ’ બની ગયું. ધરમૂળનું પરિવર્તન તો આ થયું. જ્ઞાનનો સમાજ સીમાવિહોણો સમાજ બન્યો. જ્ઞાનના સ્રોતો તરલ, મુક્તપણે વહેતા થયાં, કોઇ પણ ક્યાંયથી પણ access કરી શકે. આ સુલભતાને લીધે જ્ઞાનની શાખાઓના ચુસ્ત વાડાઓ એકમેકમાં ભળવા લાગ્યા.

આ સમગ્ર પ્રક્રિયામાં ડિજીટાઇઝેશને જબ્બર ક્રાંતિ સર્જી. તમે list of digital archives in the world અથવા India એવું google search કરશો તો ચકિત થઈ જશો. સાહિત્ય ક્ષેત્રની વાત કરીએ તો મોટા ફેરફારો એ આવ્યાં કે જૂનાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકો અને ફોટા-ધ્વનિમુદ્રિત પૂરક સામગ્રીનું ડિજીટાઇઝેશન થવા લાગ્યું. આ ડિજીટલ આર્‌કાઇવ્સ વાચકો, સંશોધકો માટે મોટા આશીર્વાદ સાબિત થયા. જો વ્યક્તિઓ અને સંસ્થાઓ પોતે ન કરી શકે તો એમની પાસેથી દુર્લભ પુસ્તકો અને સામયિકો મેળવી ડિજીટાઇઝ કેવી રીતે કરી શકાય એની ગંભીર અને વ્યાપક ચર્ચા કરી પગલાં લેવાનો સમય આવી ગયો છે. તાજેતરમાં કેટલા ય ગુજરાતી સામયિકો બંધ થઈ ગયાં. દુ:ખદ બાબત છે પરંતુ જો એ ડિજીટાઈઝ ન થાય તો ઔર મોટું નુકશાન થાય! મને યાદ છે એક પુસ્તકાલયના reference વિભાગમાં સામગ્રી refer કરવા ગયેલી ત્યારે એક કબાટમાં પુરાણા ચૂરચૂર થઈ ગયેલાં પુસ્તકોને પારદર્શક પ્લાસ્ટિક બૅગમાં બાંધી હારબંધ મુકેલાં. સ્કૂલની લૅબૉરૅટરીમાં કાચની બરણીઓમાં સચવાયેલા માનવ ભ્રૂણ, મગજ, કાચિંડો વગેરે જોઈ હૃદય ધબકાર ચૂકી જતું એવું થયેલું. It was a painful sight. ડિજીટાઇઝેશન અહીં આશીર્વાદ સાબિત થાય છે. માન્યું કે આ જેટલું બોલવું સહેલું છે એટલું કરવું સહેલું નથી પણ અશક્ય તો નથી જ. નાણાં, સમય, ક્ષમતાના પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે એ આપણે સૌ સમજીએ છીએ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે આવી ઘણી પહેલો થઇ રહી છે. આપણે બધાં યથાશક્તિ પ્રમાણે એમને સહયોગ આપીએ તો એનો વધુ વિસ્તાર થઈ શકે!

મુદ્રણની વાત કરીએ તો પૅજથી સ્ક્રીનનું રૂપાંતર બાળકો અને યુવાનો માટે અનુકૂળ ને કેટલાક પીઢ વાચકો માટે પ્રતિકૂળ સાબિત થયું છે. આજે પુસ્તક પ્રકાશનમાં પ્રિન્ટ સ્વરૂપ જેટલું જ ઈ-બુક લોકપ્રિય બન્યું છે. પહેલા કમ્પ્યુટર પર વંચાતાં તે પુસ્તકો કિન્ડલ જેવાં ખાસ ઈ-રીડર્સ પર, મોબાઇલ પર પણ વંચાવાં લાગ્યાં છે. ને હવે તો ઓડિયો બુક્સ ખૂબ લોકપ્રિય છે. બાળકો અને યુવાનોને સાહિત્ય તરફ આકર્ષવા માટે આ સારો રસ્તો છે. પુસ્તક પ્રેમીઓ તરીકે આપણે પુસ્તકનો હાથમાં સ્પર્શ, એના કાગળની સુગંધના લહાવાની વાત કરીએ છીએ એ કબૂલ પરંતુ એ.પી.જે. અબ્દુલ કલામની આત્મકથા Wings of Fireને ગિરીષ કાર્નાડના અવાજમાં સાંભળવાનો લાહવો પણ લેવા જેવો છે. વાંચન સામગ્રીના ફોરમૅટમાં પરિવર્તનની સાથેસાથે reader mindsetમાં પણ પરિવર્તન થતું ગયું. તજ્જ્ઞોનું કહેવું છે કે આવનાર સમયની ભાષા હાલ વપરાતી ભાષાઓ જેવી નહીં હોય — વિઝયુઅલ હશે. જુઓને જે હદે નવી પેઢીને ઈમોટીકૉન દ્વારા અભિવ્યક્તિ કરવી સરળ લાગે છે! આવા અનેક પરિવર્તનોએ કાગળ-કલમવાળી પેઢીને પજવ્યાં પરંતુ યુવાન પેઢી સ્વાભાવિકપણે as fish take to water એ રીતે અનુકૂળ થઈ ગઈ. આ સંદર્ભે વાત આવે છે સમય-સંજોગના બદલાતા પ્રવાહો સાથે સંતુલન સાધવાની. સાહિત્ય પ્રકાશન, પ્રસારણ, વિતરણને બદલાતા સમયની માંગ મુજબ આયોજિત કરવાં જ પડશે.

આજના વિષયની ચર્ચામાં કોરોનાકાળના overlapને પણ લક્ષમાં લેવો રહ્યો. હાલની વૈશ્વિક મહામારીએ વિશ્વનું સ્વરૂપ બદલી નાખ્યું છે. માનવ ઇતિહાસમાં આ કોરોનાકાળને એક માર્કર તરીકે યાદ રખાશે. ઇ.સ.પૂર્વે અને ઇ.સ. બાદની માફક કોરોનાકાળ પૂર્વે અને કોરોનાકાળ બાદ. ગયા વર્ષનાં લૉકડાઉન દરમ્યાન આ અનુભવ આપણને બધાંને સારી રીતે થઈ ગયો. યુનિકોડ અને 4Gનો જય હો! ટપાલથી ઘરે આવતાં સામયિકો, દૈનિકો બધું ડિજીટલ ફૉરમૅટમાં વાંચતાં નહોતાં થઈ ગયાં? થોકબંધ વાંચન સામગ્રી — આખા ને આખા સાહિત્યના e-collections લોકોએ એકબીજા જોડે શેર કર્યા.  યુ-ટ્યુબ પર ઑડિયો બુક્સનો પણ રાફડો ફાટ્યો, પણ મોટાભાગે અંગ્રેજીમાં. જે વડીલોને આંખની તકલીફને કારણે વાંચનમાં તકલીફ પડતી હોય અને એમનાં ગમતાં પુસ્તકો એમને વાંચી સંભળાવવા કોઈ નવરું ન હોય એમના માટે ઑડિયો બુક્સ ખૂબ જ સગવડભરી રહે. ઘણા વડીલોની વાત પરથી જાણવા મળ્યું. આ દિશામાં આપણે સૌ મળીને કંઈક કરીશું તો બહુ મોટી સેવાનું કાર્ય થશે.

સમયે એવી કરવટ બદલી છે કે ધરતીકંપ બાદ જેમ ભૌગોલિક રચના ફરી જાય એવી રીતે માનવજીવનમાં ધરખમ પરિવર્તનો આવી ગયા છે. ‘New normal’ શબ્દ દૈનિક વપરાશમાં આવી ગયો છે ને અંગ્રેજીમાં કહે છે એમ everything turned topsy-turvy. અગાઉ પરિવર્તન અને સંતુલનનો ઉલ્લેખ કર્યો એમાં હવે અનિશ્ચિતતાનું પાસું ઉમેરાય છે. શૈક્ષણિક, વ્યાવસાયિક, સામાજિક-સાંસ્કૃતિક પ્રસંગોમાં આવ્યાં એમ સાહિત્યિક અને સંલગ્ન પ્રવૃત્તિઓમાં પણ ન ધારેલા ફેરફારો સ્વીકારવાના આવ્યા. યુવલ નોઆ હરારી ઑનલાઇન શિક્ષણ સંદર્ભે કહે છે કે વિશ્વ સ્તરે સમય સાથે કદમ મિલાવવા આ પગલું ભરવાનું જ હતું પણ એમાં ઢીલ થતી હતી. લૉકડાઉનને કારણે એને રાતોરાત અપનાવવાની ફરજ પડી. સ્વપ્ને ય નહીં વિચારેલું એમ ફિલ્મો ઓ.ટી.ટી. પર રીલીઝ કરવાની ફરજ પડી ને વૅબ સીરીઝ લોકપ્રિયતાની ટોચે પહોંચી. મોટા-નાના પડદાના ભેદ ભૂંસાઈ ગયા. આવું સાહિત્ય અને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે અધિવેશનો, વ્યાખ્યાનો, ગોષ્ટીઓ, સેમિનારો, પુસ્તક વિમોચનો, નાટકો-વાર્તાઓના વાચીકમ્‌, કવિ સંમેલનો વગેરે સાથે પણ બન્યું. બધું ઑફ-લાઈનમાંથી ઑનલાઈન થઈ ગયું. એની પણ મજા છે. ટેકનોલોજીએ આપણને ઘેર બેઠા આ સગવડ કરી આપી છે એટલે લૉકડાઉનમાં પણ સાહિત્યિક પ્રવૃત્તિઓ ઠપ ના થઈ ગઈ. આ પણ મોટો આશીર્વાદ રહ્યો.

સામાન્ય રીતે સામયિકો સામગ્રીની, લવાજમની અછતની ફરિયાદ કરતાં હોય છે. પ્રિન્ટ ફૉરમૅટમાં સામયિકોમાં ખાસ કરીને પાનાંની મર્યાદા, મુદ્રણ-વિતરણની સમસ્યાઓ અથવા સીમિત વિષયોનો બાધ હોય છે. ડિજીટલ ક્રાંતિને લીધે જ્ઞાન કે સાહિત્યિક સામગ્રીની માલિકી, એનું નાણાકીય મૂલ્ય, વગેરે પરિમાણોમાં ખૂબ બદલાવો આવ્યાં છે. જ્યારે મોબાઈલ વડે ફોટો પાડી કે સ્કૅન કરીને સામગ્રી મિનિટોમાં વૉટ્સઍપ થઈ શકતી હોય ત્યાં પરંપરાગત રીતે લવાજમ ભરનારાને જ અંક મોકલવો એનો અર્થ રહેતો નથી. મુદ્રિત પુસ્તકોના કિસ્સામાં પણ એવું છે. પાઈરૅટૅડ નકલો તો દસકાઓથી ગ્રૅ માર્કેટમાં વેચાય છે. આ થયું ઘોર વ્યાપારીકરણનું પરિણામ. પણ સાહિત્ય પ્રત્યેના આદર અને સંવેદનશીલતાના અભાવના એથી ય ચોંકાવનારા કિસ્સા સાંભળવા જેવા છે. એક ગુજરાતી સાહિત્યકારે એક પ્રકાશકને ફોન કરી એક પુસ્તક મોકલી આપવા કહ્યું. બીજી જ મિનિટે ઉમેર્યું કે “આમ તો એક વાર્તાની જ જરૂર છે. એવું હોય તો એટલાં પાનાનાં ફોટા પાડી વૉટ્સઍપ કરી દેશો તોય ચાલશે.” આ શ્રીમાનને કોઈ મિત્ર પાસેથી જોઈતા પાનાંનો ફોટો મળી ગયો હોત તો પ્રકાશક સુધી ય ન જાત. ઍમૅઝૉન પર પુસ્તકની નકલ ઑર્ડર કરીને જોઈતાં પાનાં વૉટ્સઍપ પર મળી જતાં ઑર્ડર કૅન્સલ કર્યાનો પણ કિસ્સો બનેલો છે. ૩૦૦ નકલ વેચવા મથતાં પ્રકાશકોની શી દશા થઈ હશે? સિક્કાની આ બીજી બાજુ છે. આ બધાંની વચ્ચે આગળ વધવાનો સકારાત્મક માર્ગ હોય તો કેવો?

બદલાતા સમયમાં જો સામયિકો કે વિચારપત્રોની વાત કરીએ તો ઓપિનિયનનો જ case study કરીએ તો ખૂબ ઉપયોગી સાબિત થાય એમ છે. ઓપિનિયન વૅબસાઈટ અવતારમાં પ્રસ્તુત થયું તે પ્રસંગે અપાયેલા પ્રતિભાવોમાંથી જે મુદ્દા અહીં તારવ્યાં છે એ ઘણાં દિશાસૂચક છે :

૧) સમય સાથે જ નહીં બલકે સમયથી આગળ ચાલતું

૨) સાઈબર વિશ્વનો પહેરેદાર બનતું

૩) સાચી દિશામાં જતું

૪) ઇન્ટરનૅટના યુગમાં આધુનિક અભિગમ રાખતું

૫) વિશ્વમાં ક્યાંયથી પણ વાંચી શકાતું, ઍરપોર્ટ પરથી પણ.

૬)  ઑનલાઈન અવતારમાં ચાલું રહેતું

ઉપરના મુદ્દા પરથી તારવી શકાય કે behind the success story of Opinion is its evolutionary, all-encompassing, inclusive, sustainable character. It is an online  repository of knowledge with high quality standards. આપણે જાણીએ છીએ કે ઓપિનિયનમાં પ્રકાશિત કરવા મોકલેલી સામગ્રી જ નહીં, પરંતુ અન્ય સ્રોતોમાંથી પણ ઉત્તમ સામગ્રીનો સમાવેશ ઓપિનિયન કરે છે. આટલા વિશાળ ફલક પર કાર્યરત રહેવાની ક્ષમતા ધરાવતું આ પ્લૅટફોર્મ અને ખાસ કરીને વિપુલભાઈએ ડિજીટાઇઝેશનનો યત્ન આદર્યો છે ત્યારે બંધ થઈ ગયેલા ગુજરાતી ભાષાનાં નાનાં સામયિકો, જૂનાં અલભ્ય પુસ્તકોને ડિજીટાઇઝ્ડ ફૉરમૅટમાં જાળવવા, ગુજરાતી સમાજની જાણીતી હસ્તીઓના ઑડિયો ઇન્ટરવ્યુ, ગુજરાતી કવિઓના અવાજમાં એમની કવિતાના પઠનનાં રૅકૉર્ડિંગ, વગેરે કંઈક કેટલી ય બાબતે ઓપિનિયન nodal agency બની શકે એમ છે. આ માટે આપણે સૌ ઓપિનિયનને સાથ આપીશું તો આપણા સાહિત્યિક અને સાંસ્કૃતિક વારસાને આપણે યોગ્ય રીતે ભાવિ પેઢીઓ માટે સાચવી શકીશું. પેલું હિન્દી ફિલ્મનું ગીત છે ને …સાથી હાથ બઢાના! … આવો .. ઓપિનિયન સાથે મળીને આપણી ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના પ્રકાશન, પ્રસારણ અને સંવર્ધનની પ્રક્રિયામાં સહકાર આપીએ. આભાર.

~

e.mail : rupaleeburke@yahoo.co.in

24 એપ્રિલ, 2021

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે અવકાશી બેઠકમાં “જ્ઞાનના યુગમાં  સાહિત્ય અને સંલગ્ન  પ્રવૃત્તિઓની બદલાતી ભૂમિકા” વિષય પર રજૂઆત; શનિવાર, 24 એપ્રિલ, 2021)

Loading

વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ અને જય જગત

ભદ્રા વડગામા|Diaspora - Features|25 April 2021

સૌ પ્રથમ તો ૨૫ વર્ષ સુધી ઓપિનિયન મેગેઝીન અને ૪૦ વર્ષથી ગુજરાતી સાહિત્ય અકાદમીને જીવંત રાખી બ્રિટનમાં ગુજરાતી ભાષાને જાળવી રાખવા વિપુલભાઈએ જે ધૂણી ધખાવી છે તે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું; અને મને આ બેઠકમાં બોલવા માટે મને આમન્ત્રણ આપ્યું તે બદલ પણ તેમનો આભાર માનું છું. ગૂગલની એક ડિક્ષનરીમાં ઓપિનિયન શબ્દના ૮૯ સમાનાર્થ શબ્દો આપ્યા છે. જે માટે ગુજરાતીમાં એવો એક જ શબ્દ મળવો મુશ્કેલ છે એટલે એ શીર્ષક ખૂબ વિચારપૂર્વક વિપુલભાઈએ ચૂંટ્યો છે, અને એને સાર્થક કરવા માટે ઓપિનિયનમાં વિવિધ પ્રકારની કૃતિઓ એમણે આપણને પીરસી છે. મારા માટે એક અગત્યની વાત એ છે કે એમની કૃતિઓમાં ભાગ્યે જ તમને જોડણીની ભૂલો જડશે. ભાતભાતની કૃતિઓના સંકલનમાં આવી ચીવટ રાખવામાં એમનો કેટલો સમય જતો હશે, તે હું કલ્પી શકું છું.

આજના વિષય પર આપણે જુદાં જુદાં વ્યક્તવ્યો સાંભળ્યાં, હવે હું તમને એ વિષય પર સચોટ અંગત દ્રષ્ટાંત આપવા માંગુ છું. મારી ૧૦ વર્ષની દીકરીએ મને એકવાર પૂછેલું, “હું ક્ચ્છી, ભાટિયા, ગુજરાતી, પટેલ, હિન્દુ, ઇન્ડિયન, ઇસ્ટ આફ્રિકન એશિયન કે પછી બ્રિટિશ છું?” આ પ્રશ્નમાં તેને કેટલી બધી ભૂમિઓનાં વારસા અને સંસ્કૃતિ મળ્યાં છે એ સમજાઈ જાય છે અને તેનો ડાયસ્પોરિક વિશ્વ કેટલું વિસ્તૃત છે તેનો ખ્યાલ આવે છે. તેના જવાબમાં મેં તેને કહ્યું હતું કે “તું એ બધું છે પણ અગત્યની વાત તો એ છે કે તું એક વ્યક્તિ પણ છે, જેની પોતાની એક આગવી ઓળખ છે.”

હવે એનાથી એક પેઢી આગળ જઈએ તો મારી દીકરી લોકડાઉનને લીધે ૧૫ મહિને મને બ્રિસ્ટલથી મળવા આવી ત્યારે મારી પાંચ વર્ષની દોહિત્રી, જેના પિતા અંગ્રેજ છે, તેણે મને કહ્યું, “નાની, આઈ ફીલ ઇન્ડિયન વેન આઈ કમ ટૂ યોર હાઉસ.” ત્યારે બીજી દીકરીનો પતિ ગ્રીક અમેરિકન છે એટલે એની દીકરીને ઉપર આપેલા બધા વારસ ઉપરાંત ગ્રીસ અને અમેરિકાની ભૂમિના વારસાઓ પણ મળ્યા છે. ૧૫ વર્ષની ઉંમરે આ વિવિધ વારસાને આવરી લેતું એક કાવ્ય પણ તેણે લખ્યું છે. આથી વધુ વિશાળ ડાયસ્પોરિક વિશ્વ કેવું હોઈ શકે?

ઓપિનિયનમાં આપણને ગુજરાતી લોકોના વિવિધ વારસાને આવરી લેતી કૃતિઓ વાંચવા મળે છે, પછી તે લેખ હોય, વાર્તા હોય, કાવ્ય હોય, અનુવાદ હોય, નાટક હોય, વીડિયો હોય કે છબીઓ. પૂર્વ આફ્રિકામાં પહેલવહેલાં જે ગુજરાતીઓ સ્થાયી થયાં તેમાં ભાગ્યે જ કોઈ મેટ્રિક સુધી ભણેલો હશે. અને ત્યારે નવા પ્રદેશમાં સ્થાયી થવામાં પડતી મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય ત્યારે પેટિડો ભરવા ફાંફા મારતાં લોકો પાસે એમના અનુભવો વિષે લખવાની ન તો હતી આવડત કે ન તો હતો અભરખો. પણ વિપુલભાઈએ ઓપિનિયનમાં પૂર્વ આફ્રિકાના ગુજરાતી વસાહિતોનાં અનુભવો અને તેમણે લીધેલી છબીઓ છાપીને એ ઇતિહાસને લેખિત રૂપ આપ્યું છે. વિશ્વમાં ભારતીય વસાહતનો ડાયસ્પોરા સૌથી મોટો છે. કોમનવેલ્થ દેશોમાંથી બ્રિટિશ નાગરિકતા ધરાવતાં લોકોને બાદ કર્યા પછી પણ ૧૮ કરોડ જેટલાં ભારતીય નાગરિકો ભારતની બહાર વસી રહ્યાં છે.

ક્યારેક એવું પણ બને કે અમુક માબાપોએ પોતાનાં બાળકોને વારસાની ભૂમિના સંસ્કારો ન પણ આપ્યા હોય, અથવા તો બાળકોએ તેને અવગણ્યા હોય, પણ એ સંસ્કારો કદી સંપૂર્ણપણે લુપ્ત થતા નથી. આનો દાખલો ઓપિનિયનના એક અંકમાં રંજના હરીશના સુંદરી નામની સ્ત્રી વિશે લખેલા લેખમાં જોવા મળે છે. સુંદરીનાં માતાપિતા ભારતથી મલેશિયા જઈને વસ્યાં હતાં, અને ત્યાંથી પછી અમેરિકા. તેમણે સુંદરીને ન તો ભારતની કે ન તો મલેશિયાની સંસ્કૃતિ વિશે કંઈ સમજાવ્યું હતું. સુંદરીને ત્રણ મહિના સુધી સતત એક જ સ્વપનું આવતું જેમાં તેને એક મહાકાય વાનર પોતાની પાસે બોલાવતો હતો પણ તે વાનર હનુમાન હતા તે વાતથી તે સાવ અજાણ હતી. તે નર્સ હતી એટલે જ્યારે તેની હોસ્પિટલમાં એક ભારતીય નારી દરદી થઈને આવી અને તે હનુમાન ભક્ત હોવાથી તેણે ખાટલા પાસેની ટેબલ પર હનુમાનની છબી મૂકી, ત્યારે એ દરદી સાથે વાત કરતાં સુંદરીએ હનુમાનની વાતો સાંભળી. ત્યાર બાદ એ હનુમાન ભક્ત બની મંદિરમાં એમના દર્શને જતી થઈ. આમ અનાયાસે પણ એના ભારતીય વારસાએ એને જકડી લીધી.

કહેવાય છે કે માતૃભાષા ન આવડતી હોય તો એ ભાષા સાથે સંકળાયેલી સંસ્કૃતિ નથી જળવાઈ શકતી. અમુક અંશે એ સાચું છે પણ બ્રિટનમાં જન્મેલાં ગુજરાતી ભાષા ન જાણવા છતાં અમુક બાળકો અને યુવાનોને મેં ગુજરાતી ભજનો અને ગીતો ગાતાં સાંભળ્યાં છે અને તેમના પર ગુજરાતી વારસાની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.

જો આ વિષય પર વધુ વિચારણા કરવી હોય તો ૨૮/૧૦/૨૦નો ઓપિનિયનમાં વિપુલભાઈએ લખેલો લેખ: ‘બાપીકા ઓરતા: વર્ણ અને વારસાની વાતડિયું’ વાંચવા સૂચવું છું, કેમ કે એમાં ગુજરાતીઓના સંકૂચિત માનસનો પણ ઉલ્લેખ કરેલો છે. એ લેખના સંદર્ભમાં મેં તેમને લખ્યું હતું કે ‘ગુજરાતીપણાની સંકૂચિતતા વિના હું તો ભાટિયા, કચ્છી, ગુજરાતી, ભારતીય, જંગબારી, યુગાન્ડન, અને કેનિયન – દરેક પ્રાંત કે ભૂમિના ઉચ્ચ ગુણોના પલ્લામાં બેસી જ્યારે પણ મોક્કો મળે ત્યારે તેમની જયગાથા માણી, બ્રિટિશપણામાં રાચું છું.’

અને આખરે ‘જય જગત’ના સંદર્ભમાં મારે ઉમાશંકર જોશીના કાવ્યની પંક્તિઓને થોડો વળાંક આપવો છે:

જે નહિ નહિ જ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી
એ તે કેવો ગુજરાતી
જે વસ્યો છે સાગરપાર

પછી ભલે હોય તે
આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એડન કે કેનેડા,
જાપાન, ન્યૂઝીલેન્ડ,પાકિસ્તાન, કે ફીજી,
બ્રિટન, મલેશિયા, મસ્કત કે મોરિશિયસ,
યુએસએ, હોંગકોંગ કે શ્રી લંકા,
અને એ વસાહતના દેશોનાં નામે તેની ન ઉછળે છાતી?

૧૮/૦૪/૨૦૨૧

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “વારસાની ભૂમિ, ડાયસ્પોરા વિશ્વ જેમ જ ‘જય જગત’” નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 18 ઍપ્રિલ 2021)

Loading

...102030...1,9191,9201,9211,922...1,9301,9401,950...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved