Opinion Magazine
Number of visits: 9571863
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

* નિર્બન્ધ અંત્યેષ્ટિ *

પંચમ શુક્લ|Poetry|3 May 2021

ટેરવાંઓ  મ્યૂટ છે ને લાગણી મ્યૂટન્ટ છે,
પ્રશ્નની પીડા જવાબો પાર ને પર્યંત છે.

સાંભળું તો ક્યાંથી મર્મર રક્તની હું સાભળું?
ઉર મહીં વાગ્યા કરે શું? કોઈ ઘેરા ઘંટ છે?

છે જરૂર લક્ષ્મણને મૃતસંજીવનની તે છતાં,
રામની સામે ચીરી છાતી ઊભા હનુમંત છે.

પથ્થરો ઊચકીને સૌના હાથમાં આંટણ પડ્યા છે,
વાંદરાઓ ઝાડ પર પાછા જવા ઉત્કંઠ છે.

અગ્નિને ખોળે નથી કેવળ સીતાનું શીલ, અહીં –
રાજ્યની ને ધર્મની અંત્યેષ્ટિયે નિર્બન્ધ છે.

2 / 5 / 2021

* કોરોનાકાળમાં બંગાળ ઈલેક્શનના પરિણામ પછી.

* પ્રથમ પંક્તિના વિચારબીજનું સૌજન્ય:  ખેવના દેસાઈ 

Loading

અભિવ્યક્તિની આ રૂંધામણ : ટોળાં દ્વારા

અહમદ ‘ગુલ’|Opinion - Opinion|3 May 2021

ઓપિનિયનની રજત જયંતીના શુભ અવસરે વિપુલભાઈ, પંચમભાઈ અને ઓપિનિયનને સહકાર આપનારા તમામ ભાઈઓ અને બહેનોને અભિનંદન પાઠવતાં આનંદ અનુભવું છું.

ઓપિનિયનમાં અભિવ્યક્તિની રૂંધામણ જેવા મુદ્દાઓ સતત ચર્ચામાં રહ્યા છે. ભારત સંદર્ભે વાત કરીએ તો, સરકાર અને વહીવટીતંત્ર દ્વારા થતી અભિવ્યક્તિની રૂંધામણ હવે જગજાહેર છે. ફ્રીડમ હાઉસના અહેવાલ અનુસાર, ભારતમાં પ્રેસ ફ્રીડમ ઉપર સતત આક્રમણ થાય છે. સરકાર આ માટે સંરક્ષણ (securty), બદનક્ષી (defamation), સત્તા સામે વિદ્રોહ (sedition) અને ન્યાયતંત્રનો અનાદાર (contempt of court) જેવા કાયદાઓનો હથિયાર તરકે ઉપયોગ કરે છે. પત્રકારોની કનડગત થાય છે. મોતની ધમકીઓ અપાય છે. એમના પર હુમલા થાય છે. અને ક્યારેક રહેંસી નંખાય છે. 2017માં ચાર અને 2018માં પાંચ પત્રકારોની હત્યા થઈ આને કારણે અહેવાલમાં ભારતને સ્વતંત્ર સમાજોના ક્રમમાં નિમ્ન કક્ષાએ (downgraded) ઉતારાયું, અને આંશિક રીતે સ્વતંત્ર(partly free)નું લેબલ ચોંટાડાયું.

સ્વિડનની ‘વિ-ડેમ ઇન્સ્ટિટ્યૂટ’ની નોંધ અનુસાર ભારતમાં ‘સમૂહ માધ્યમોમાં, નાગરિક સ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિની આઝાદી પરનો કાપ ચરમ સીમાએ છે.’ દેશમાં ચૂંટાયેલી સરકાર ખરી, પણ આ બધા અંકુશોને કારણે આ અહેવાલે ભારતના લમણે ‘electoral autocracy’ની કાળી ટીલી ચોંટાડી.

જગ હસાઈનું વધુ એક પ્રમાણ જોઈતું હોય તો ઇકોનોમિસ્ટ ઈન્ટેલિજ્જન્સ યુનિટ(EIU)ના અહેવાલમાં ભારતની લોકશાહીને ‘તકલાદી લોકશાહી’ [Flattened Democracy] તરીકે ઓળખાવાઈ.

પરન્તુ, મારી દૃષ્ટિએ અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય ઉપર સરકારી અંકુશ કરતાં પણ વધુ ભયાવહ છે ટોળાંનું આક્રમણ, સમૂહ માધ્યમો ઉપર ટોળાંનું આક્રમણ. સમૂહમાધ્યમો ઉપર જાણે ટોળાંનું નિયંત્રણ  [censorship] છે. શું બોલાય શું ન બોલાય − દાખલા તરીકે, તમે અસહિષ્ણુ છો એવું ન બોલાય − શું લખાય શું ન લખાય, શું દર્શાવાય શું ન દર્શાવાય, શું પહેરાય શું ન પહેરાય, શું ખવાય શું ન ખવાય, એ સમાજના દબંગો નક્કી કરે છે. આ ‘પવિત્ર’ હુકમનામાને ન અનુસારને તેઓ ડારે છે, ધમકાવે છે, ભાંડે છે, ધક્કે ચડાવે છે, ને ક્યારેક તો મારી પણ નાંખે છે. ગયે મહિને મધ્ય પ્રદેશના છત્તરપુરમાં રાષ્ટૃીય કક્ષાનું ડૃામા ફેસ્ટવિલ કેટલાક સમૂહો તરફથી હિંસક વિરોધની ધમકીને લીધે રદ્દ થયો. 

આવા સમૂહો ‘વિજલેન્ટી’ કહેવાય છે, અર્થાત્‌ સ્વ-નિયુક્ત વ્યક્તિઓ જે કોઈ પણ પ્રકારની કાયદેસરની સત્તા વગર સમાજ પાસે કાયદાનું પાલન કરાવવાનું પોતાના હાથમાં લે છે. પરિસ્થિતિ એટલી વણસી છે કે, આવા સમૂહો પોતાના કાયદા ઘડે છે, અને તેનું પાલન ન કરનારને સજા કરે છે. આવાં તત્ત્વોની શિરજોરીને લીધે ફિલ્મનિર્માતા, નાટ્યકારો, લેખકો, કવિઓ, હાસ્યકલાકારો, પત્રકારો, અને દૂરદર્શનાળા છડી ગયા છે. ફૂંકી ફૂંકીને ડગ માંડે છે. અભિવ્યક્તિ ઉપર આવા માથાભારે તત્ત્વોનો અંકુશ છે. મીડિયાવાળા એમની ખુશી – નાખુશીને ધ્યાનમાં રાખી વર્તે છે. પરિણામે સમૂહ માધ્યમોની વિશ્વનિયતા જોખમાય છે. સમાજમાં માહિતી અને વૈચારિક આદાનપ્રદાનનો ઢોંગ ચાલતો રહે છે. ખલિલ ધનતેજવીનો શેર છે :

જો હુઆ થા વહ તો અખબારમેં છપા હી નહીં
ઔર જો છપ ગયા ઐસા તો કુછ હુઆ હી નહીં

તથ્યોને સંતાડવા, માહિતીને મચડીને વિકૃત કરવી, ગાઈ વગાડી ખોટી માહિતી [misinformation] ફેલાવવી − આ બધું સામાન્ય બની જાય છે, અને પ્રજાજનોના કોઠે પડી જાય છે.

અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોય એવા મુક્ત સમાજમાં સમૂહમાધ્યમો દ્વારા માહિતીનો પ્રસાર થાય અને વૈચારિક આદાનપ્રદાનથી જનમાનસનું ઘડતર થાય, પણ હવે ટોળાંશાહીની જોહુકમીને પરિણામે આ પ્રક્રિયા અવરોધાય છે. મૂઢ ટોળાંએ હૈસો હૈસો કરી લોકશાહીના આ ચોથા સ્તંભને હચમચાવી દોદળો કરી નાંખ્યો છે.

આ પ્રશ્ન માત્ર અભિવ્યક્તિની રૂંધામણનો જ નથી, મૂળ પડકાર છે, અભિવ્યક્તિના સ્વાતંત્ર્યને પુન: સ્થાપિત કરી, પંગુ લોકશાહી[Flawed Democracy]ને પગભર કરવાનો.

અભિવ્યક્તિની આ રૂંધામણ સામે પ્રત્યેક નાગરિકે અવાજ ઉઠાવવો રહ્યો, પછી એ અવાજ મોટો હોય કે નાનો.

મારા એક શેરથી સમાપન કરું છું :

કેટલો પણ હોય નાનો, હોય જો સાચો અવાજ
લોકના કાનો સુધી નિશ્ચિત પહોંચી જાય છે.

27 James Street, BATLEY, West Yorkshire WF17 7PS [U.K.]

(‘રજત રાણ પડાવે ઓપિનિયન’ અવસરે, “અભિવ્યક્તિની રૂંધામણ ટાઢી પાડતી નાગરિક હિલચાલ નામક અવકાશી બેઠકમાં ‘વાચકસભા’ માંહેની રજૂઆત; રવિવાર, 11 ઍપ્રિલ 2021)

Loading

ભારત તરફ આખા વિશ્વની નજર છે, પણ હવે દૃષ્ટિકોણ બદલાઇ ચૂક્યો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 May 2021

જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી

આમાં એમ છે કે પહેલાં આપણે બહુ ખોંખારા ખાધા અને પછી ખાંસી ખાઇ ખાઇને એવા બેવડ વળ્યા કે આંખમાંથી નીકળતાં પાણી પણ સુકાઇ ગયાં. આખી દુનિયાએ નોંધ લીધી કે આપણી શું વલે થઇ છે, કેટલી બદતર હાલતમાંથી આપણે પસાર થઇ રહ્યા છે. એકે એક ગ્લોબલ મીડિયાના પહેલા પાને અને પ્રાઇમ ટાઇમમાં આપણા દેશમાં બળતી ચિતાઓ દેખાડાઇ. આખી દુનિયા સામે આપણે દ્રષ્ટાંત બેસાડવાની વાતો કરતા હતા, પણ આપણે ત્યાં જે રીતે મોતનું તાંડવ અને હાલાકીનાં દ્રશ્યો સર્જાયાં તે પછી આપણી છાતીનાં પાટિયાં બેસી ગયાં છે. આક્રંદ સિવાય કશું જ અત્યારે કોઇને કાને નથી પડી રહ્યું.

છેલ્લા ત્રણ જ મહિનામાં સંજોગો બદલાઇ ગયા. ભારતમાં કોરોનાવાઇરસનું સેકન્ડ વેવ દુનિયાના બીજા કોઇપણ દેશમાં આવેલા વાઇરસનાં વહેણ કરતાં કંઇક ગણું ઝડપી નીકળ્યું, બલકે સૌથી વધુ ઝડપી સાબિત થયું. વેક્સિનના ડોઝિસની અછત થઇ, હૉસ્પિટલમાં બૅડ્ઝની વાત કરવા જેવું પણ ન રહ્યું તો ઑક્સિજનની તંગીએ ભલભલાના જીવ લીધા. વાઇરસ પર આપણી જીતનો જશ્ન મનાવવામાં આપણે જરા ઉતાવળ કરી દીધી, આપદામાં ઉત્સવ અને અવસર બધું વહેલું શરૂ થઇ ગયું. આટલું ઓછું હતું તેમાં કુંભ મેળો અને રાજકારણના ખેલ પણ થયા. કહેનારા એમ પણ કહે છે કે એક માણસ કેટલે પહોંચી વળે અને લોકો પણ તો ટોળે વળ્યાં જ ને? પણ યથા રાજા તથા પ્રજા, લોકોને એમ લાગે કે દેશના વડાના મતે ‘સબ સલામત’ છે તો પછી લોકો ટોળે વળીને પાંવભાજી અને સેન્ડવિચ ખાવા પણ જાય. અહીં કોઇ એક જણનો વાંક કાઢવાની વાત જ નથી, વાત માત્ર એટલી જ છે કે ઘરના વડા પાસેથી અપેક્ષા રાખવામાં કઇ ખોટું નથી. જો કે દુનિયા આખી ભારતનાં વખાણ કરવામાં હતી ત્યાં તો સક્ષમ રાષ્ટ્રોએ ભારતને મદદ મોકલવી પડી. હવે જો કાલે કોઇ એમ કહે કે ભારતને મદદ મળી તે પાછળ પણ એક જ જણ જવાબદાર છે તો તે ખોટું કારણ કે દક્ષિણ એશિયાઇ દેશોની વાત કરીએ. આપણા સિવાય ભાગ્યે જ કોઇ બીજું રાષ્ટ્ર એવું છે જેની પાસેથી વૈશ્વિક સ્તરે વ્યાપારી કે રાજકીય સંબંધોમાં સ્વસ્થતાની આશા રાખી શકાય. ચીન, જાપાન, પાકિસ્તાન વગેરેના વૈશ્વિક સ્તરે ડિપ્લોમૅટિક સંબંધો કેવા છે તે તમે જાણો છો અને મુસ્લિમ દેશોને આ બધા વૈશ્વિક સંબંધો સાચવવામાં કોઇ રસ નથી. આ સંજોગોમાં ભારતમાં બધું થાળે પડે એમાં અન્ય રાષ્ટ્રોને રસ હોય જ અને તેમાં કંઇ જ ખોટું નથી. આપણા દેશમાં તેમને વ્યવસાયી શક્યતાઓ વર્તાય છે તે કારણથી પણ જો તેઓ આપણને મદદ મળતી હોય તો એમ, મુદ્દો એ છે કે આપણને મદદની જરૂર પડી છે અને બહુ તિવ્રતાથી પડી છે. આપણને બ્રિટન, જર્મની અને યુ.એસ.એ. તરફથી મદદ મળી છે.

વાઇરસની અસર આપણા અર્થતંત્ર પર પડી જ છે અને આ ફાઇનાન્શિયલ યરના બીજા ક્વાટરમાં આર્થિક સ્થિતિ વધુ મંદ પડશે અને વૈશ્વિક વિકાસ દર પર તેનો સીધો પ્રભાવ પડશે તે ચોક્કસ. લૉકડાઉન વગેરેને કારણે ઇંધણની માંગ પણ ઘટી છે અને ખાલી દેખાતા રસ્તાઓનો પ્રભાવ ગ્લોબલ ઓઇલ રિકવરી પર પણ જોખમ બની ચૂક્યો છે. ભારતમાં ક્રુડ ઓઇલની માંગ ઘટશે તો તેની અસર વૈશ્વિક સ્તરે પડશે જ તે સ્વભાવિક છે.

વાઇરસ પણ પ્રેમ જેવો છે, એને કોઇ સરહદ નડતી નથી, એ કોઇની પણ સાડાબારી રાખતો નથી. આ રોગચાળાએ દુનિયા કેટલી સંકળાયેલી છે એ સાબિત કરી દીધું છે. ગમે તેટલા પ્રતિબંધ મુકાય, બોર્ડર્સ સીલ કરાય કે બીજું કંઇ પણ થાય જો ઇન્ફેક્શન ફેલાવાનું હશે તો એક દેશમાં વધારે હશે તો બાજુમાં પહોંચતા જરા ય વાર નથી લાગવાની. વળી આપણે ત્યાં વાઇરસનું નવું વેરિયન્ટ આવ્યું અને તેના કેસિઝની સંખ્યા અધધધ થઇ અને માટે જ વધુ ગંભીર વેરિયન્ટ મ્યુટેટ થાય તેની શક્યતા પણ વધી. ચિંતા એ પણ છે કે આ ડબલ મ્યુટન્ટ વાઇરસ વેક્સિનના પ્રભાવને ઘટાડી દેશે તો શું થશે? સોશ્યલ ડિસ્ટન્સિંગ, લૉકડાઉન વગેરે તો છે જ પણ વેક્સિનેશન પણ અગત્યનું છે અને ભારતમાં હજી સુધી તો માંડ ૧૦ ટકા વસ્તીને પહેલો ડોઝ મળ્યો છે અને ૨ ટકાથી ઓછી વસ્તીનું વેક્સિનેશન પૂરું થયું છે.

બાય ધ વેઃ

‘ધી ગાર્ડિયન' જેવા પ્રતિષ્ઠિત મીડિયામાં ભારતને કોવિડના દોજખનો દરજ્જો મળી ચૂક્યો છે. આપણે ત્યાં થયેલી ચૂંટણીની રેલીઓ અને કુંભના મેળાને પણ સખત વખોડવામાં આવ્યા છે.  ‘વૉલ સ્ટ્રીટ જરનલ’ હોય કે ‘ફાઇનાન્શિલય ટાઇમ્સ' હોય દરેકે સરકારની બેદરકારીની નોંધ લીધી છે, એટલી સૂક્ષ્મ દ્રષ્ટિએ કે વડા પ્રધાને કઇ રેલીમાં માસ્ક નહોતું પહેર્યું તેની પણ ચર્ચા ત્યાંની મીડિયામાં કરવામાં આવી. ભારતની સ્થિત કોઇ વરવાં દુઃસ્વપ્ન જેવી થઇ ચૂકી છે જેના સાક્ષી તરીકે આખી દુનિયા છે. વિશ્વએ રોગચાળાના રાજકારણની ટીકા પણ કરી છે તો આપણી સરકારનો જોઇ લઇશું હમણાં તો જેમ હંકાય છે તેમ હાંકોનો અભિગમ પણ નોંધ્યો છે. 2014ની ચૂંટણી પછી જે રીતે વૈશ્વિક નેતૃત્વમાં એક નવો ચહેરો ઉમેરાયો હતો તે ચહેરા પર હવે સવાલ પણ ઊઠી રહ્યા છે. ભારત પાસેથી બધા રાષ્ટ્રોને અપેક્ષા હતી, પરસ્પર વિકાસનો સ્વાર્થ પણ હતો પણ અત્યારના સંજોગોમાં તેમણે સક્ષમ થવાની શક્યતા ધરાવતા ભારતને મદદ કરવી જ રહી. આપણે બેઠા થવું જ પડશે અને આપણે બેઠા થઇશું જ પણ વૈશ્વિક સ્તરે જે છબી સામે ભવાં તણાયા છે તે દૃષ્ટિકોણ બદલાતા વાર લાગશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  02 મે 2021 

Loading

...102030...1,9101,9111,9121,913...1,9201,9301,940...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved