Opinion Magazine
Number of visits: 9456022
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સુપ્રીમને છે એટલી ચિંતા પણ સરકારને નથી …..

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|5 September 2025

રવીન્દ્ર પારેખ

શિક્ષણને મામલે ગુજરાત સરકારે સર્વનાશ વહોરી લીધો હોય એવી સ્થિતિ છે.

એવામાં યોગાનુયોગ આજે શિક્ષક દિન આવ્યો છે, તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ … ગાવાનું મન થાય, પણ એ ગમે એટલા ભાવથી ગાઈએ તો પણ મજાક કરતાં હોઈએ એવું લાગે. દિન વધુ ‘દીન’ લાગે એ દશા આપણે શિક્ષકોની કરી છે.

નવી શિક્ષણ નીતિને નામે રોજ શિક્ષણ વિભાગને તઘલખી વિચારો આવે છે ને તેના અમલના તે તરત જ આદેશો આપે છે. તઘલખને સારો કહેવડાવે એવો એક નિર્ણય એ આવ્યો કે ધોરણ ૩થી 8માં એકમ કસોટી રદ્દ કરીને, 18 ઓગસ્ટથી ત્રિમાસિક કસોટી ફરજિયાત કરવામાં આવી અને ગમ્મત જુઓ કે ૩થી 8માંથી કાઢી નંખાયેલી એકમ કસોટી, ધોરણ 9થી 12માં ફરજિયાત કરવામાં આવી. આમાં લાંબો વિચાર કરવાનો નથી, એટલે તેનો અમલ પણ 11 સપ્ટેમ્બરથી જ કરવાની જાહેરાત 4 સપ્ટેમ્બરના સમાચારમાં કરવામાં આવી છે. આ એકમ કસોટીમાં એકવાક્યતા પણ નથી. એકમ કસોટીના માર્ક્સ માત્ર 9 અને 11 ધોરણની વાર્ષિક પરીક્ષામાં જ ધ્યાને લેવાશે. ટૂંકમાં, બોર્ડની પરીક્ષાઓને તેની સાથે કોઈ લેવાદેવા નથી. એકમ કસોટીના માર્ક્સ બોર્ડની પરીક્ષાઓમાં ધ્યાને લેવાના જ ન હોય, તો એ ધોરણોમાં એકમ કસોટી લેવાથી કયો હેતુ સરશે? બને કે જેમ 3થી 8માંથી ગઈ તેમ એકમ કસોટી 9થી 12માંથી પણ જાય. જરૂર તો એક પરિપત્રની જ છે ને ! એ તો કોઈ પણ તઘલખ ગમે ત્યારે બહાર પાડી શકે એમ છે. એક તરફ ભણાવવા માટે સ્કૂલોનાં, વર્ગોનાં, શિક્ષકોનાં ઠેકાણાં નથી ને છાશવારે પરીક્ષાઓ લેવાતી રહે છે. પરીક્ષા એ જ શિક્ષણ – એવું સૂત્ર હવે પ્રચલિત થયું છે.

40,000થી વધુ શિક્ષકોની કાયમી ભરતી 2017થી અટવાયા જ કરે છે ને કામચલાઉ શિક્ષકોથી ફિક્સ પગારે કામ લેવાય છે. આ હાલત સુધરતી નથી. શિક્ષકોનો દુકાળ સ્કૂલોમાં જ છે એવું નથી. યુનિવર્સિટીઓમાં પણ અધ્યાપકોની ભરતી થતી નથી, એટલે થોડી જગ્યાઓ માટે જાહેરાત આવે છે, તો હજારોની સંખ્યામાં અરજીઓ ખડકાય છે. કાલના જ સમાચાર છે કે વીર નર્મદ યુનિવર્સિટીમાં અધ્યાપકોની 75 જગ્યાઓ માટે 2,000થી વધુ અરજીઓ આવી છે. 2016થી જ નર્મદ યુનિવર્સિટીમાં ભરતી થઇ નથી, ત્યાં 75 જગ્યાઓ ભરવાનું યુનિવર્સિટીને યાદ આવ્યું એ પણ કંઇ નાનીસૂની વાત નથી. અધ્યાપકોની દરિદ્રતા તો જગજાહેર છે, પણ અધ્યાપકોની ભરતીમાં પણ દરિદ્રતા દાખવવાનું સરકાર ચૂકતી નથી. આ મામલે સરકાર એટલી રીઢી થઈ ચૂકી છે કે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ખરાબ રીતે ઝાટકણી કાઢી છે. એથી સરકારને કેટલો ફેર પડશે, એ તો સરકાર જાણે, પણ સુપ્રીમ કોર્ટે અધ્યાપકોની ભરતી અને પગાર બાબતે ચિંતા કરવી પડે એવી સ્થિતિ તો ગુજરાત સરકારે ઊભી કરી જ છે.

હાઈકોર્ટે, સમાન કામ, સમાન વેતનને અનુલક્ષીને સમાન પગારનો નિર્દેશ આપતા, ગુજરાત સરકાર અપીલમાં ગઈ હતી, પણ સુપ્રીમે એ અપીલ ફગાવી દઈને સરકારની રીતિ-નીતિની ઝાટકણી કાઢી હતી. શિક્ષણને મામલે ગુજરાતમાં જે લાલિયાવાડી ચાલે છે, એથી સુપ્રીમે આંચકો અનુભવ્યો હતો. આમ તો આખા દેશમાં શિક્ષકોની સ્થિતિ ઠીક નથી, પણ ગુજરાતમાં તો બદથી બદતર છે. સુપ્રીમે ભારે નારાજગી સાથે જણાવ્યું કે શિક્ષકને સન્માનનીય વેતન ન મળતું હોય તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર … ગાવાનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં શિક્ષણ વિષેની કેટલીક વાતો સુપ્રીમને કદાચ પહેલી વખત જાણવા મળી હોય તો નવાઈ નહીં !

જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે શિક્ષકો આપણી ભાવિ પેઢીનું ભવિષ્ય નિર્માણ કરે છે. એવા શિક્ષકો સાથે આવો વ્યવહાર અક્ષમ્ય છે. કોઈ પણ દેશ માટે તેના શિક્ષકો શરીરની કરોડરજ્જુ સમાન છે. શિક્ષકો જ વિચારો અને નૈતિક મૂલ્યો દ્વારા ભવિષ્યનો દિશા નિર્દેશ કરે છે. એ ગંભીર ચિંતાનો વિષય છે કે શિક્ષકોનાં યોગદાનને પરખવામાં આવતું નથી કે તેની કદર કરવામાં આવતી નથી. શિક્ષકોને નોંધપાત્ર વેતન ન મળે તો જ્ઞાન કે બૌદ્ધિક સફળતાને પણ સાચું સ્થાન નહીં મળે. વધારે ઉલ્લેખનીય ને ચિંત્ય બાબત તો એ છે કે હાઇકોર્ટે તેના ચુકાદામાં સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતનું પાલન કરવાનો સ્પષ્ટ નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો જ હતો, પણ તેની સામે અપીલમાં જવાનું સરકારને યોગ્ય લાગ્યું. એ કેવી રીતે શક્ય છે કે સમાન કાર્ય, સમાન વેતનના સિદ્ધાંતની વિરુદ્ધ સુપ્રીમ ચુકાદો આપે?

સુપ્રીમે રાજ્ય સરકારને સમાન કામ, સમાન વેતનને અનુરૂપ નિર્ણય આપીને, તેની મનસ્વી રીતિ-નીતિ સંદર્ભે પુનર્વિચારણાની ફરજ પાડી છે. સુપ્રીમે સાફ શબ્દોમાં જણાવ્યું છે કે શિક્ષકો સાથેના આ પ્રકારના ખરાબ વર્તન અને અન્યાયને કારણે દેશની વિદ્વત્તા પર ભારે અસર પડે છે. સુપ્રીમે રીતસરનો બળાપો ઠાલવતાં કહ્યું છે કે સમાનતાના દાવાઓ અને ખુલાસાઓ વચ્ચે એ વાત ભારે દુ:ખ પહોંચાડે છે કે કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરને માંડ ૩૦,૦૦૦નું જ વેતન મળે છે ને રેગ્યુલર હોય તે પ્રોફેસરોને સવાથી દોઢ લાખ જેટલો પગાર ચૂકવાય છે. એ કેવળ શોષણ છે કે કરાર આધારિત શિક્ષક કે અધ્યાપક કામ તો કાયમી જેટલું જ કરે છે, પણ તેમને કાયમી કરતાં હજારો રૂપિયા ઓછો પગાર અપાય છે, જે સમાન કામ, સમાન વેતનના સિદ્ધાંતની ઠેકડી ઉડાવવા બરાબર છે. કરાર આધારિત પ્રોફેસરોને ચૂકવાતા પગાર સામે ભારે નારાજગી વ્યક્ત કરતાં એ ચિંતા પણ સુપ્રીમે કરી કે આટલા ઓછા પગારમાં એ પ્રોફેસર પોતાનું ગુજરાન કઈ રીતે ચલાવતો હશે? સુપ્રીમે એ અફસોસ પણ વ્યક્ત કર્યો કે કરાર આધારિત પ્રોફેસરોને બે દાયકાથી આટલો ઓછો પગાર ચૂકવાય છે.

આ જ સ્થિતિ કરાર આધારિત શિક્ષકોની પણ છે. કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોને તો કરાર આધારિત પ્રોફેસરો કરતાં પણ ઓછો પગાર ચૂકવાય છે. એ શિક્ષકો કેવી રીતે ઘર ચલાવતા હશે એ પણ પ્રશ્ન જ છે. લાગે છે એવું કે કરાર આધારિત શિક્ષકો કે અધ્યાપકો રાખીને સરકાર એટલે કારભાર ચલાવે છે કે ઓછા પગારમાં કામ થાય અને કાયમીનો પગાર બચાવાય. શિક્ષકોની કાયમી ધોરણે ભરતી ખાસ થતી નથી, એમ જ અધ્યાપકોની પણ નિમણૂકો ટાળીને કરાર આધારિત અધ્યાપકોથી કામ કઢાય છે. એવું નથી કે શિક્ષકો, અધ્યાપકો મળતા નથી, પણ તેમની ભરતીમાં થતી કરકસર દ્વારા જગ્યાઓ ભરાય જ નહીં તેની કાળજી રખાય છે. કરાર આધારિત શિક્ષકો, અધ્યાપકો મળી રહેતા હોય તો કાયમી જગ્યા માટે ન મળે એવું બને, ખરું? સુપ્રીમે એ મુદ્દે પણ ટકોર કરી કે 2,72૦ ખાલી જગ્યામાંથી ફક્ત 923 પોસ્ટ પર જ કાયમી ભરતી થઈ છે. 158 એડહોક અને 902 કરાર આધારિત ભરતી આસિસ્ટન્ટ પ્રોફેસરોની થઈ છે, જ્યારે 737 જગ્યાઓ હજી પણ ભરવાની બાકી જ છે.

શિક્ષકો, અધ્યાપકોની ભરતી ન કરવાથી જ અસરકારક શિક્ષણ આપી શકાય, એવું સરકારને કઈ રીતે લાગે છે, તે સમજાતું નથી. એકાદ ખાલી પડેલી વિધાયક કે સાંસદની જગ્યા માટે પેટા ચૂંટણી યોજવાનું ચુકાતું નથી, તો હજારો ખાલી જગ્યાઓ રાખીને શિક્ષણની અવદશા નોતરવાનો અર્થ જ એ છે કે સરકારને શિક્ષિતોની જરૂર નથી. શિક્ષિત હશે તો વિચારશે, વાંધા પાડશે ને એકહથ્થુ શાસનમાં તડ પડશે, એટલે નાછૂટકે કામચલાઉથી સરકાર કામ કાઢે છે. સુપ્રીમની વાતો પરથી એવું લાગે છે કે આ કામચલાઉ શિક્ષકો, અધ્યાપકોની યોજના ગુજરાતમાં જ છે. સુપ્રીમની ઘણી પ્રતિક્રિયાઓ એમાંથી આવી છે કે કરાર આધારિત અધ્યાપકોને આટલો ઓછો પગાર મળે છે.

સીધો સવાલ તો એ છે કે એકસરખું કામ કરતી બે સમકક્ષ વ્યક્તિને પગાર સરખો કેમ નહીં? કોઈ વિધાયક, કોઈ સાંસદ, કોઈ મંત્રી ઓછો પગાર નથી લેતો, તો શિક્ષક કે અધ્યાપકને કરાર આધારિત રાખીને, ઓછો પગાર ચૂકવવામાં સરકાર કઈ દેશસેવા કરી રહી છે? ગુરુને બ્રહ્મા, વિષ્ણુ કે મહેશની સાથે રાખીને પ્રાર્થના કરતાં હોઈએ, તો ઓછા પગાર દ્વારા શિક્ષકો, અધ્યાપકોનું શોષણ કરીને, આપણે કયું સન્માન કરીએ છીએ તે કોઈ કહેશે?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 સપ્ટેમ્બર 2025

Loading

‘ઓલ ઇન્ડિયા રેડિયો’ની અતીતમાં નજર

રાજેશ ઘોઘારી|Opinion - Opinion|4 September 2025

આજે મિત્રોના અતિ આગ્રહવશ થઈ અમદાવાદની દર રવિવારે ભરાતી ગુજરીમાં જવાનું થયું. એક જમાનામાં ગુજરીની જે રોનક અને દબદબો હતો તે લુપ્ત થઈ ગયો હોય તેવું લાગ્યું. આઠ દસ વર્ષ પહેલાં જૂનાં પુસ્તકો અને સામયિકોના અસંખ્ય વિક્ર્રેતા આવતા હતા, તેમાંના મોટા ભાગનાએ સામયિકોના પ્રકાશન બંધ થવાથી વ્યવસાય છોડી દીધો હતો. ફક્ત ત્રણ વેપારીઓ જ બજારમાં હતા અને જૂનાં પુસ્તકો રાખતા હતા.

 હું પુસ્તકોને ઉથલાવતો હતો ત્યાં અચાનક એક પુસ્તક હાથમાં આવ્યું. નામ હતું : ‘હિસ્ટરી ઑવ રેડિયો બ્રોડકાસ્ટિંગ ઇન ઇંડિયા’. પણ વિશેષ આશ્ચર્ય એ થયું કે તેના ઉપર અત્યંત મરોડદાર અક્ષરોમાં એક નામ હતું ‘દ્રિજેન મહેતા’. સ્મૃતિએ આળસ મરડી અને મને યાદ આવ્યું કે ભાવનગરની બી.એમ. કોમર્સ હાઈ સ્કૂલમાં પણ દ્રિજેન મહેતા નામના એક શિક્ષક હતા. શુદ્ધ ભાષા, ઉચ્ચારો સ્પષ્ટ, શબ્દોના એક સરખા અરોહ-અવરોહ. એક કે બે વર્ષમાં દ્રિજેનભાઈએ શિક્ષક તરીકેની નોકરી છોડી દીધી હતી અને આકાશવાણીના અમદાવાદ કેંદ્રમાં ઉદ્દઘોષક તરીકે જોડાયેલા. પુસ્તક પરના નામે મારામાં સંચાર કરી દીધો કે રેડિયો પ્રસારણ કઈ રીતે થતું હશે? એક સમય હતો કે જ્યારે રેડિયો દેશના કરોડો લોકોના દિલની ધડકન હતો!

આજથી લગભગ ૮૦ વર્ષ પહેલાં મહાત્મા ગાંધી ફાટી નીકળેલા કોમી તોફાનોથી ગ્રસ્ત હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારમાં જવા માગતા હતા, પરંતુ કોઇ સંજોગોવસાત નિરાશ્રિતોની શિબિરની મુલાકાતે તેઓ જઇ ના શક્યા. તે પછી કોમી હુતાશની ઠારવા તેમણે રેડિયો દ્વારા તેમનો શાંતિ સંદેશ મોકલવા હા પાડી હતી, તા. ૧૨મી નવેમ્બર ૧૯૪૭ના રોજ  ‘ઓલ ઇન્ડિયા રેડિયો’એ ગાંધીજીનો પહેલો અને છેલ્લો લાઇવ મેસેજ બ્રોડકાસ્ટ કર્યો હતો.

ગાંધીજી એક જ વાર રેડિયો પર આવ્યા હતા અને તે દિવસની યાદમાં તા.૧૨મી નવેમ્બરને ‘પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટ ડે’ તરીકે ઊજવવામાં આવે છે. તે ‘જન પ્રસારણ દિન’ તરીકે પણ ઓળખાય છે. એ વખતે ગાંધીજી નહોતા તો વડા પ્રધાન કે નહોતા રાષ્ટ્રપતિ. પરંતુ તેઓ એક સામાન્ય નાગરિકની જેમ આકાશવાણીના સ્ટુડિયોમાં જઇ બોલ્યા હતા.

સમય જલદી બદલાઇ રહ્યો છે.

આઝાદી પછીનું ભારત હવે ૮૦ વર્ષની વયને વટાવી ગયું છે. વર્ષો પહેલાં ‘ઓલ ઇન્ડિયા રેડિયો’ દેશની ધડકન હતો. રેડિયો જ મનોરંજન અને માહિતીના શ્રેષ્ઠ સ્રોત હતો. ક્રિકેટની કોમેન્ટ્રી પણ દેશના લાખો લોકો રેડિયો પર સાંભળી ઝૂમી ઉઠતા. વિજય મરચન્ટ એક જમાનાના શ્રેષ્ઠ રેડિયો કોમેન્ટટેટર હતા. પોલી ઉમરીગર, વિનુ માંકડ અને સલીમ દુર્રાની જેવા ક્રિકેટના ખેલાડીઓની દમદાર રમતની કોમેન્ટ્રી સાંભળી લોકો ભાવાવેશમાં આવી જતા.

રેડિયો પ્રસારણમાં એક નામ બહુ લોક્પ્રિય હતું. ભારતીય રેડિયો અને પત્રકારત્વના શિખર પુરુષ રહેલા જશદેવ સિંહે ૯ ઓલિમ્પિક, ૮ વર્લ્ડ કપ હોકી અને ૬ વિશ્વકપ એશિયન ગેમ્સમાં શ્રોતાઓને અને દર્શકોને મંત્રમુગ્ધ કરી દેતી કોમેન્ટ્રી આપી હતી. એમણે કુલ ૪૭ વખત દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડનો પણ આંખે દેખ્યો અહેવાલ આપ્યો હતો.

અમદાવાદમાં ઓલ ઇન્ડિયા રેડિયો માટેનું રેડિયો સ્ટેશન લાવવાનો યશ સરદાર વલ્લભભાઇ પટેલને ફાળે જાય છે. એ વખતે અમદાવાદ શહેરમાં ૧૦૦ જેટલી કાપડની મિલો હતી. અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર કહેવાતું હતું. લગભગ એક લાખ મજૂરો આ મિલોમાં કામ કરતા હતા. આ સંદર્ભમાં આકાશવાણીના અમદાવાદ મથકેથી મજૂરભાઇઓ માટેનો એક કાર્યક્રમ પ્રસારિત થતો જેમાં શાણાભાઇ અને શકરાભાઇની જોડી લોકપ્રિય હતી. આ નામો હકીકતમાં કાલ્પનિક હતા, પરંતુ ચંદુભાઇ અને ચોખડિયા નામની બે વ્યક્તિઓ શાણાભાઇ અને શકરાભાઇના નામે રોજ લાઇવ કાર્યક્રમ આપતા.

૧૯૬૦ના દાયકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ના હોઇ, રેડિયો ચલાવવા એવરેડી કંપનીની વજનદાર બેટરી જોડવામાં આવતી હતી. શરૂઆતમાં વાલ્વ સિસ્ટમના રેડિયો હતા, પાછળથી ટ્રાન્ઝિસ્ટર્સ આવ્યા. એ જમાનામાં ફિલિપ્સ, મરફી અને નેશનલ ઇકો જેવી બ્રાન્ડના રેડિયો જાણીતા હતા. બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે રોજ સવારે કાર્યક્રમની શરૂઆતમાં ગાંધીજીના અગાઉ રેકોર્ડ થયેલા પ્રવચનોમાંથી કેટલાક અંશ ગાંધીજીના જ અવાજમાં પ્રસારિત કરવામાં આવતા. 

આકાશવાણી સાથે સંકળાયેલા જાણીતા નામોમાં ભાઇલાલભાઇ બારોટ એક જાણીતું નામ હતું. તે પછી વસુબહેન ભટ્ટ વર્ષો સુધી આકાશવાણીના વડાં રહ્યાં. એ જમાનામાં લેમ્યુઅલ હેરી નામના ઉદ્દઘોષક તેમના ઘેરા અવાજમાં ગુજરાતીમાં સમાચાર વાંચતા. તે પછી હસીના કાદરીનો અવાજ જાણીતો બન્યો હતો. મારી સાથે કામ કરી ચૂકેલા સૈફુદ્દીન કાદરીનાં એ મોટા બહેન. કવિ-સાહિત્યકાર તુષાર શુકલ પણ આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના એક અભિન્ન હિસ્સો રહ્યા હતા. આ બધા જ ઉદ્દઘોષકો દ્વિજેન ભાઈના સમકાલીન હતા. 

એક સમયે એવી માન્યતા હતી કે રેડિયો સ્ટેશન પરથી ફિલ્મનાં ગીતોનું પ્રસારણ થવું ના જોઇએ એ કારણે રેડિયો સિલોન ભારતમાં લોકપ્રિય થયો. છેક કોલંબોમાં આવેલું સિલોનનું રેડિયો મથક દર બુધવારે રાત્રે ૮ વાગે બિનાકા ગીતમાલા પ્રસારિત કરતું. અમીન સયાની એક આગવા અંદાજમાં આ કાર્યક્રમનું સંચાલન કરતા. અમીન સયાનીના અવાજ દેશભરમાં જાણીતો હતો. અમીન સયાનીનો પૂર્વજો મૂળ ગુજરાત-કચ્છના હતા. વર્ષો સુધી તેમના અવાજે હિંદુસ્તાનના કરોડો શ્રોતાઓના દિલ પર રાજ કર્યું.

રેડિયો સિલોનની લોકપ્રિયતા જોઇ ભારત સરકારે ઓલ ઇન્ડિયા રેડિયોની એક વધુ શાખા ‘વિવિધ ભારતી’ શરૂ કર્યું, જે રેડિયો સિલોનની લોકપ્રિયતાને પણ આંબી ગયું. આજે પણ રેડિયોની પ્રાઇવેટ એફ.એમ. ચેનલો કરતાં વિવિધ ભારતી સાંભળવું હૃદયગંમ લાગે છે.

એ સિવાય દિલ્હી ઓલ ઇન્ડિયા રેડિયો પર જે એક નામ – અવાજ દેશભરમાં ગુંજતા રહ્યા. તેમાંનું એક નામ છે દેવકી નંદન પાંડે. એ વખતે મોટા ભાગે રેડિયો સમાચારની શરૂઆત આ વાકયથી થતી હતી : ‘નમસ્કાર, યે ઓલ ઇન્ડિયા રેડિયો’ હૈ. અબ આપ દેવકી નંદન પાંડે સે સમાચાર સુનિયે. દેવકી નંદન પાંડેને પણ ‘પદ્મ શ્રી’ સન્માન મળ્યું. પાંડેજી તેમના શુદ્ધ ઉચ્ચારણો માટે જાણીતા હતા. પ્રસંગ અનુસાર તેમના અવાજમાં આરોહ-અવરોહ જોવા મળતો. દા.ત. કોઇ શોકના સમાચાર વાંચતી વખતે તેઓ ઉદાસ અને ગંભીર સ્વરે સમાચાર રજૂ કરતા. આનંદના સમાચાર વાંચતી વખતે તેઓ શ્રોતાઓમાં જોશ ભરી દેતા. તેઓ અલ્મોડાના વતની હતા અને તેમના પહાડી અવાજ માટે જાણીતા હતા.

બહુ ઓછા લોકોને એ વાતની ખબર છે કે ફિલ્મ જગતમાં આવતાં પહેલાં એક્ટર સુનીલ દત્તે પણ રેડિયો સિલોન માટે પોતાની સેવાઓ આપી હતી અને કરોડો લોકો જે અવાજના દિવાના છે તે અમિતાભ બચ્ચનને તેના અવાજ માટે ઓલ ઈંડિયા રેડિયોએ પસંદ કર્યા ન હતા.

શહેરી જિંદગીમાંથી અસલી રેડિયો ગાયબ થઇ ગયો છે. હવે યુવા પેઢી એફ.એમ. વધુ સાંભળે છે. આ રેડિયોનો નવો અવતાર છે. અલબત્ત, શહેરના લોકો ભલે રેડિયોને ભૂલી ગયા હોય, પરંતુ દૂર દૂરનાં ગામડાંઓમાં, પહાડી વિસ્તારોમાં તથા દ્વીપોમાં આજે પણ લોકો રેડિયોને સાંભળે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો પર ‘મન કી બાત’ દ્વારા રેડિયોને ફરી – પુનર્જીવીત કર્યો છે.

એક સમયે રેડિયો આખાયે ભારત ઉપખંડનો આત્મા હતો. સુગમ સંગીત, સીતાર વાદન, સમાચારો, ગ્રામજનો માટેના કાર્યક્રમો, ભજનો દ્વારા રેડિયો ઘરઘરમાં ગુંજતો હતો. સાંજના ૭ વાગ્યાના સમાચારના કાર્યક્રમ પ્રાઇમ ટાઇમ ગણાતો. એ જમાનામાં બધાના ઘરમાં રેડિયો નહોતો તેથી લોકો કોઇના ઘેર, કોઇ પાનબીડીની દુકાને કે ચાની હોટલે જઇ રેડિયો સાંભળતા.

અતીતમાં નજર નાંખીએ તો ૧૯૨૬માં બ્રિટિશ શાસન વખતે અવિભાજિત ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ થયો હતો. તે વખતે એક પ્રાઇવેટ કંપની ‘ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની લિમિટેડ’ને બે રેડિયો સ્ટેશન સ્થાપવાની મંજૂરી મળી હતી, એક મુંબઇ અને બીજી કલકત્તામાં. પરંતુ આ કંપની ૧૯૩૦ સુધી જ ચાલી શકી. તા. ૮ જૂન ૧૯૩૬ના રોજ ઓલ ઇન્ડિયા રેડિયો અસ્તિત્વમાં આવ્યો. એ પછી વર્ષો સુધી રેડિયો ખરીદનારે લાઇસન્સ લેવું પડતું. હવે લાઇસન્સ લેવું પડતું નથી.

યાદ છે ને રોજ સવારે ઓલ ઇન્ડિયા રેડિયો શરૂ થાય તે પહેલાંનો સિગ્નેચર ટયૂન !

31 ઑગસ્ટ 2025
સૌજન્ય : રાજેશભાઈ ઘોઘારીની ફેઇસબૂક દીવાલેથી સાદર 

Loading

અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

સોનલ પરીખ|Gandhiana|4 September 2025

આકાશના તારાઓમાં શુક્ર, ચંદ્રનો જોડીદાર ગણાયો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં કવિઓ થાક્યા નથી. આ તેજસ્વી તારો સમીસાંજે કે વહેલી સવારે કલાક–બે કલાકથી વધુ દેખાતો નથી. ભાઈ મહાદેવ ભારતના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભા પાથરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા

— સ્વામી આનંદ 

મહાત્મા ગાંધી અને મહાદેવભાઇની જોડીને રામકૃષ્ણ પરમહંસ, સોક્રેટિસ અને પ્લેટો, જર્મન કવિ ગટે અને એકરમેન જેવા ઉમદા ગુરુ-શિષ્યો સાથે થઈ શકે, પણ એમ કર્યા પછી પણ અભ્યાસીઓએ નોંધ્યું છે કે મોહન-મહાદેવ જેવો અખંડ અને અવિચ્છિન્ન સંબંધ આમાંના કોઈનો ન હતો. 15 ઑગસ્ટે મહાદેવભાઈની પુણ્યતિથિ છે. એ નિમિત્તે એમને સાદર સ્મરીએ. 

સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ વિશેના દીર્ઘ લેખ ‘શુક્રતારક સમા’માં લખે છે, ‘આકાશના તારાઓમાં શુક્રનો જોટો નથી. એને ચંદ્રનો જોડીદાર ગણ્યો છે. એની આભાપ્રભાનાં વર્ણન કરતાં સંસારના કવિઓ થાક્યા નથી. આમ છતાં આ તેજસ્વી તારાને સમીસાંજે કે વહેલી સવારે કલાક-બે કલાકથી વધુ દુનિયા દેખી શકતી નથી. ભાઈ મહાદેવ પણ આધુનિક ભારતવર્ષના સ્વાતંત્ર્યના ઉષ:કાળે પોતાની એવી જ આભાથી આપણા આકાશને ઝળાંઝળાં કરી, દેશદુનિયાને મુગ્ધ કરી શુક્રતારકની જેમ જ અચાનક આથમી ગયા.’ 

કિશોરલાલ મશરુવાળા જેવા ગાંધીયુગના સર્વતોશ્રેષ્ઠ સમતોલ વિચારવંતે જેમને ‘સર્વેશુભોપમા-યોગ્ય’ કહ્યા છે, એ મહાદેવભાઈ દેસાઈને માટે ગાંધીજી ખુદ કહેતા કે ‘મહાદેવ મારો દીકરો, મારો ભાઈ, મારો મિત્ર, મારો મંત્રી બધું જ છે.’ એક વાર કાકા કાલેલકર વગેરે ગેરસપ્પાનો ધોધ જોવા જતા હતા. મહાદેવભાઈને સાથે આવવા કહ્યું, પણ તેઓ ગાંધીજીના કોઈ કામમાં રોકાયેલા હતા. જ્યારે કાકાસાહેબે ગાંધીજીને મહાદેવભાઈને મોકલવાનું કહ્યું ત્યારે ગાંધીજી સ્મિત વેરતાં બોલ્યા, ‘હું જ એનો ગેરસપ્પા છું.’  

‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ’ એ મહાદેવભાઈના દીકરા નારાયણ દેસાઈએ લખેલું એમના પિતાનું જીવનચરિત્ર. આ શબ્દો મહાદેવભાઈ માટે પહેલવહેલા ઝવેરચંદ મેઘાણીએ વાપર્યા હતા. આ પુસ્તક 1992માં લખાયું. એનાં ઘણાં વર્ષ પહેલાં 1950માં મહાદેવભાઈના મિત્ર, સાથી અને મહાત્મા ગાંધીના અંતેવાસી નરહરિ પરીખે ‘મહાદેવભાઈનું પૂર્વચરિત’ આપ્યું છે. મહાદેવભાઈ અને નરહરિભાઈ પરીખ કૉલેજના અભ્યાસ સમયે એકબીજાના પરિચયમાં આવ્યા, સાથે રહ્યા, સાથે જરા જેટલી વકીલાત કરી, સાથે ગાંધીજી પાસે ગયા અને એમના આજીવન અનુયાયી અને સેવક બન્યા. અંત સુધી મૈત્રીની ગાંઠ અતૂટ રહી.

નરહરિભાઈ લખે છે, ‘મહાદેવભાઈ બાપુજી પાસે ચારિત્ર્યબળની, ભક્તિપૂર્ણ હૃદયની, બુદ્ધિની, વિદ્યાકળાની અને હોશિયારીની સંપત લઈને આવ્યા અને કિશોરલાલભાઇએ લખ્યું છે તેમ, “એક વિદ્વાન ફિલસૂફ, સાહિત્યિક, કવિ, મધુર ગાયક અને કલારસિક હોવા છતાં પરિચર્યા કરનાર નર્સ; કપડાં ધોનાર ધોબી, રાંધીને ખવડાવનાર રસોઈયા; સાફ નકલ કરી આપનાર કારકુન; લખેલું સુધારી આપનાર શિક્ષક, અધૂરું કામ પૂરું કરી આપનાર સહયોગી; મંત્રી; નાજુક કામને કુનેહથી પાર પાડી આપનાર એલચી; વિષ્ટિકાર; પિતૃભક્તિ, સ્વામીભક્તિ, મિત્રભક્તિ, પત્નીપ્રેમ, પુત્રપ્રેમ એવા સર્વે સંબંધોને યથાયેગ્યપણે સંભાળવામાં પરાકાષ્ઠાનો પ્રયત્ન કરનાર તુલાધાર; અને આ બધું છતાં માયા, મોહ વગેરેનાં પ્રલોભનો સામે પોતાની જાતને બચાવતા રહેનાર સાવધ સાધક” – એવા એ બન્યા.’

ગાંધીજી કહેતા, ‘મને કોઈ પૂછે કે મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું તો કહું કે પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ’. તેઓ મહાદેવભાઈને ‘ભક્તિનું અખંડ કાવ્ય’ કહેતા. મહાદેવભાઈએ ગાંધીજીની સાથે એવું તાદાત્મ્ય સાધ્યું હતું કે ચક્રવર્તી રાજગોપાલાચારી તેમને ‘હૃદય દ્વિતીયમ્’ કહેતા. અનેક લેખકોએ નોંધ્યું છે કે ગાંધીજી અને મહાદેવભાઈની વૈચારિક એકતા એવી હતી કે લેખની નીચે સહી જોઈએ ત્યારે જ ખબર પડે કે તે લેખ કોનો છે. ગાંધીજીના કેટલાક ઉપવાસો વખતે જાતે ભોજન લેવા છતાં મહાદેવભાઈનું પણ ગાંધીજી જેટલું જ વજન ઘટતું, અને ગાંધીજીની એક માંદગી વખતે તેમણે તીવ્રપણે એવી પ્રાર્થના કરેલી કે ઈશ્વર તેમનું અડધું આયુષ્ય લઈને ગાંધીજીને બચાવે.

આ મહાદેવભાઈનો જન્મ જાન્યુઆરી 1892માં. શિક્ષક પિતા હરિભાઈ અને ઊંડી ધર્મભાવનાવાળાં માતા જમનાબહેન ઉપરાંત એમના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ તેમ જ ગોધરાના પુરુષોત્તમ સેવકરામ ભગતનો મહત્ત્વનો ફાળો હતો. 

તેમનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં થયું. 1910માં તેઓ તત્ત્વજ્ઞાન તથા તર્કશાસ્ત્ર સાથે બી.એ. થયા અને 1913માં એલએલ.બી. થયા. 1915 જાન્યુઆરીમાં ગાંધીજી ભારત આવ્યા ત્યારે મહાદેવભાઈ મુંબઈમાં ઓરિયેન્ટલ ટ્રાન્સલેટરની ઑફિસમાં કામ કરતા હતા. 1915ના જુલાઈ મહિનામાં તેમની ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત થઈ ને 1917માં તેઓ બધું છોડી ગાંધીજી પાસે આવી ગયા. 1919ની શરૂઆતમાં મહાદેવભાઈએ થોરોના ‘ઓન સિવિલ ડિસઓબિડિયન્સ’નો રાતોરાત સંક્ષેપ કર્યો, ‘કાયદાની સામે થવાની ફરજ’. પ્રેસ કાયદાનો ભંગ કરી એની નાનકડી પુસ્તિકા મુંબઈના હજારો લોકોએ ખુલ્લેઆમ વેચી સવિનય કાનૂનભંગ કર્યો. ગાંધીજીએ મહાદેવભાઈને પોતાના વારસ કહ્યા. 

19૦5માં મહાદેવભાઈનું લગ્ન દુર્ગાબહેન ખંડુભાઈ દેસાઈ સાથે થયું. પત્ની સાથે સુંદર મનમેળ, છતાં મહાદેવભાઈ પત્ની પાસે રહ્યા તે કરતાં ગાંધીજી પાસે વધારે રહ્યા હતા! તેઓ ઘણી વાર કવિ ન્હાનાલાલની નીચેની પંક્તિઓ ગાતાં : ‘પાનાં પ્રારબ્ધનાં ફેરવું રે, માંહી આવે વિયોગની વાત જો, સ્નેહધામ સૂનાં સૂનાં રે.’ નારાયણભાઈ લખે છે, ‘વિયોગ છતાં મહાદેવ-દુર્ગાનાં સ્નેહધામ ભર્યાં ભર્યાં હતાં, સૂનાં સૂનાં નહીં.’ 

19૦9ના ‘નવજીવન’ના પહેલા અંકથી મહાદેવભાઈ તેની સાથે જોડાયેલા રહ્યા અને પ્રસંગોપાત તંત્રી તરીકેની જવાબદારી પણ નિભાવી. 1921માં મોતીલાલ નેહરુના આમંત્રણથી ‘ઇન્ડિપેન્ડન્ટ’ના તંત્રી થયા. 1931માં ઇંગ્લૅન્ડથી ‘યંગ ઇન્ડિયા’નું સફળ રીતે સંપાદન કરેલું. ‘નવજીવન’ની જેમ ‘હરિજનબંધુ’, ‘હરિજન’, ‘હરિજનસેવક’ને પણ તેમની કલમનો લાભ મળ્યો હતો. 1936માં બારમી ગુજરાતી સાહિત્ય પરિષદમાં પત્રકારત્વ-વિભાગના અધ્યક્ષપદેથી આપેલું વ્યાખ્યાન ‘વૃત્તવિવેચન અને વૃત્તવિવેચકો’ તેમની પત્રકાર તરીકેની નિષ્ઠા, પ્રતિભા ને સજ્જતાનો પ્રેરણાદાયી નમૂનો છે. મહાદેવભાઈને 1927માં ‘નવજીવન’માંના લેખો માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળેલું.

ગાંધીસેવા પૂર્વે મહાદેવભાઈએ સાહિત્યસેવામાં પગરણ માંડેલાં. 1915માં કરેલા લૉર્ડ મૉર્લીના ‘ઑન કૉમ્પ્રોમાઇઝ’ના ‘સત્યાગ્રહની મર્યાદા’ નામે અનુવાદે ફાર્બસ ગુજરાતી સભાનું પારિતોષિક મેળવ્યું. 1915થી 1925ના ગાળામાં રવીન્દ્રનાથ અને શરદબાબુનાં કેટલાંક પુસ્તકોના અનુવાદ કર્યા. જવાહરલાલ નેહરુની તેમ જ ગાંધીજીની આત્મકથાના અંગ્રેજી અનુવાદ આપ્યા. કૉંગ્રેસ કમિટીના પંજાબનાં રમખાણોના અંગ્રેજી અહેવાલનો અનુવાદ પણ કરેલો. ગાંધીજીના ‘અનાસક્તિયોગ’ના પોતે કરેલા અંગ્રેજી અનુવાદની પ્રસ્તાવનારૂપે લખેલા ‘માય સબમિશન’ લેખમાં મહાદેવભાઈએ ભગવદગીતાની સૂક્ષ્મ છણાવટ કરી શેક્સપિયર, વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ, બાયરન અને બ્રાઉનિંગ જેવા સાઠ ઉપરાંત પરદેશી ચિંતકોને ટાંક્યા છે! ભારતીય ચિંતકો તો જુદા. ‘એકલો જાને રે’ કે ‘ચિંતા કર્યે ચાલશે ના’ જેવા અનુવાદો આજે પણ મન મોહી લે. આ ઉપરાંત એમણે ચરિત્રગ્રંથો, અમદાવાદની અહિંસક મજૂર-ચળવળનો અને બારડોલીના સત્યાગ્રહનો ઇતિહાસ અને ઘણા અંગ્રેજી-ગુજરાતી પુસ્તકો આપ્યાં છે. પણ ગુજરાતી તેમ જ ગાંધીસાહિત્યને મહાદેવભાઈનું સર્વોપરી અર્પણ તે ડાયરીઓ. ડાયરીઓનો પહેલો ભાગ 1948માં તો વીસમો ભાગ 1991માં પ્રગટ થયો છે. ગાંધીજીના સત્યના પ્રયોગોનો રોજબરોજનો પુરુષાર્થ, ગાંધીજીના સંપર્કમાં આવતી અનેક વ્યક્તિઓ, સંસ્થાઓ, અનેક અંગત-જાહેર ઘટનાઓનાં તથા ગાંધીજીપ્રેરિત રાષ્ટ્રીય જીવનની અનેકવિધ પરિસ્થિતિઓનાં ટાંચણથી માંડી સુરેખ વર્ણનો ભરેલી આ ડાયરીઓ ગાંધીકોશની ગરજ સારે એવી છે. 1955માં એમને આ ડાયરી-સાહિત્ય માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. 

ગાંધીજી 1935માં વર્ધા રહેવા ગયા એ પછીનો સમય મહાદેવભાઈ માટે શારીરિક તેમ જ માનસિક કસોટીઓનો હતો. 1942ના ઑગસ્ટની 9મીથી 15મી તારીખના અઠવાડિયા દરમિયાન ગાંધીજી ઉપવાસ કરશે એ વિચારે મહાદેવભાઈના મનમાં બેસી ગયેલી ફડક જ તેમના અકાળ મૃત્યુનું કારણ બની. આ મૃત્યુનો જખમ છેક સુધી ગાંધીજીને હૈયે રહ્યો. પછીનાં વર્ષોમાં પ્યારેલાલજીને કશુંક કહેવું હોય તો ગાંધીજીના મોંએથી અનાયાસ ‘મહાદેવ!’ સંબોધન સરી જતું. 

અંતે ફરી સ્વામી આનંદે લખેલા શબ્દો યાદ કરીએ : ‘ગીતાજીમાં યોગભ્રષ્ટ આત્માનું વર્ણન આવે છે. શ્રેષ્ઠ પુરુષાર્થ કરતો એ મહાન આત્મા જન્મથી જ દૈવી સંપતિનો ખજાનો ગાંઠે લઈને સંસારમાં આવે છે, અને જોતજોતામાં મહાન સિદ્ધિઓની પ્રાપ્તિ કરી ચાલ્યો જાય છે. ભાઈ મહાદેવ પણ એકએકથી ચડિયાતા દૈવી ગુણોની સંપત લઈને કોઈ અધૂરો રહેલો યોગ પૂરો કરવા આ ધરતી પર આવ્યા હતા …’

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 10 ઑગસ્ટ  2025

Loading

...10...18192021...304050...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved