Opinion Magazine
Number of visits: 9735702
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

હિતેશ એસ. રાઠોડ|Poetry|24 February 2026

કેટલીક જૂની-પુરાણી, ફાટેલ-તૂટેલ, ડાઘાવાળી
શ્વેત-શ્યામ તસવીરો નિહાળી થયું,
કેવા અલગારી ને સોનેરી દિવસો હતા એ,
કંઈ સાન નહિ, સમજણ નહિ, બસ મજા જ મજા,
ના ફિકર કંઈ કામ કરવાની કે ના કડાકૂટ કમાવાની,
રમવું, ભમવું, ભણવું ને ઘોંટાવું બસ એ જ જીવનમંત્ર હતો,
મોટેરા ક’દિ ડરાવે-ધમકાવે ત્યારે થતું જલ્દી મોટા થઈ જઈએ
ને મોટા બની જીવનની બધી મોજમજા લૂંટી લઈએ,
મોટા થઈ શું પ્રાપ્ત કરી લીધું આટલાં વર્ષોના સરવાળે આજ,
આ દુનિયાભરનું ડહાપણ, ચતુરાઈ ને ચાલાકીઓ પી જઈ,
એક જરઠ યંત્રની જેમ બસ ચાલ્યા જ કરો,
અટકો કે ખોટકાઈ જાઓ ત્યાં થોડું ઉંજણ પૂરી દો,
પેલા ઘાણીએ જોતરેલ બળદની માફક,
ફરી ફરીને બસ બસ ચાલ્યા કરો ચાલ્યા જ કરો,
નથી જોઈતું કોઈ જ્ઞાન ને સમજણ મારે હવે,
કોઈ જો અપાવે એ અણસમજું ને હઠીલું બાળપણ પાછું …

સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com

Loading

મનથી મન તરફ

અનિલ વ્યાસ|Opinion - Short Stories|24 February 2026

સાર્થકે માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ જઈને અન્વેષા સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા ત્યારે, સૂર્યકાંતભાઈ અને નીલમબહેન પાસે અન્વેષાને આવકારવા સિવાય કોઈ રસ્તો નહોતો. એકના એક દીકરાએ આપેલા આઘાતથી તેમનું મન સાવ ઠીંગરાઈ ગયું હતું. નીલમને તો જાણે છાતી પર પથ્થર પડ્યો હોય એમ અન્વેષાની હાજરી પજવતી. અન્વેષા, એમનાથી ઉતરતી સોની જ્ઞાતિની, વળી સાર્થક કરતાં દેખાવે ય ઠીક-ઠાક! એટલે પોતાનો દીકરો છીનવાઈ ગયો હોય એવી લાગણીથી તેઓ દુભાયેલા-દુભાયેલા ફરતા.

સૂર્યકાંત શરૂઆતમાં અફસોસ કરતા; આ એમના પરિવાર સાથે બન્યું? .. સૂર્યકાંત ગૌરીશંકર યાજ્ઞિકનો વંશજ સોનારણને પરણે! એ કંઈ બોલતા નહોતા. એક અજંપો ઘરની દીવાલો વચ્ચે પવનની જેમ વાતો રહેતો.

સાસુ-સસરાના અતડા અને રૂક્ષ વ્યવહારથી ઓછું આવતું છતાં, અન્વેષા બંનેની જરૂરિયાતો, ખાનપાન અને દવાઓ વિશે સાર્થકને પૂછી પૂછીને સઘળું સાચવી લેવાના પ્રયત્નો કરતી.

સૂર્યકાંત રોજની જેમ અખબાર ખોલી મોં અક્ષરો વચ્ચે ઢાંકી દે. છતાં, એ અક્ષરો ક્યારે નીલમબહેનના મોંમાં જઇ બેસશે એની દહેશત રહે છે. નીલમબહેને રસોડામાં જવાનું છોડી દીધું છે. એ સવારે દોઢેક કલાક પૂજા કરે, પછી મંદિર. બપોરે જમીને સીવણ ક્લાસમાં જાય છે, અને સાંજે પતિ સાથે ચાલવા જવાનો નિયમિત ઉપક્રમ.

અન્વેષા એમ.કોમ. થયેલી છે. એ ‘અરિહંત ઈન્વેસ્ટમેન્ટ’માં ફુલટાઈમ કામ કરતી હતી. લગ્ન પછી બપોરે થોડા કલાકો જ કામે જાય છે. એ નોકરીએ જાય ત્યારે, નીલમબહેન સીવણના વર્ગમાં હોય, સાર્થક નોકરીએ એટલે મોટા ભાગે બપોરનો સમય સૂર્યકાંત વાંચવામાં કે એમના મિત્ર મનોજ સાથે ગાળતા.

મનોજે નોંધ્યું છે કે સૂર્યકાંતના સ્વભાવમાં ચીડિયાપણું આવી ગયું છે. નાની વાતમાં મોં ફુલાવી લે, કે ઊભા થઈ આંટા મારે. એમણે બે-ત્રણ વખત પૂછ્યું, “સૂર્યકાંત, તું હમણાંથી બહુ બેચેન રહે છે, દોસ્ત?”

“ના ના, એવું કશું નથી.”

“તારે ન કહેવું હોય તો તારી મરજી. પણ તારા મનમાં કશોક અસંતોષ કે દુભામણ છે.”  એમણે સૂય્યકાંતના ખભે હાથ મૂકતાં કહ્યું હતું.

“હવે તો સાર્થકને પ્રમોશન મળ્યું છે અને અમારી વહુ પણ કમાય છે.” સૂર્યકાંતે મલકાવા જેવું કર્યું. 

મનોજે હળવાશથી કહ્યું “સંપત્તિથી સુખ આવતું હોય તો શું જોઈએ?  ભલે.  તું જ્યારે ઇચ્છે ત્યારે મારી સાથે હળવો થઈ શકે છે.”

“ચોક્કસ.” કહેતાં, સૂર્યકાંતે મનોજ સામે સંતોષભરી નજરે જોયું હતું. જો કે થોડીવાર પછી એ ઘેર જવા નીકળ્યા ત્યારે ગઈ સાંજનું દૃશ્ય આંખ સામે તરવર્યું : રાત્રે જમતી વખતે નીલમે મોંમાં કોળિયો મૂક્યો અને સૂર્યકાંત સામે જોયું, 

“મેડમ દાળમાં મીઠું નાખવાનું ભૂલી ગયા લાગે છે.” 

રસોડામાં ગરમ રોટલી ઉથલાવતી અન્વેષાએ એ સાંભળ્યું. એને બરાબર યાદ હતું કે એણે મીઠું નાખ્યું છે. તે છતાં, એ મીઠાની શીશી મૂકી, ગરમ રોટલી પીરસી પાછી વળી. ત્યાં  નીલમબહેન બોલ્યાં : “ભાત ઠંડો થઈ ગયો છે.” અન્વેષાએ કહ્યું, “લાવો, હું ગરમ કરી આપું.” 

“ના રે, ના. ગરમ કરવાથી સ્વાદ ઓછો બદલાશે?” એમનો સ્વર શાંત હતો, પણ એમાં ઉપાલંભનો ખારો સ્વાદ છુપાયેલો હતો.

રાત્રે, અન્વેષાએ પતિને પૂછ્યું, “દાળમાં મીઠું ઓછું હતું?” 

સાર્થક કહે, “ના. કેમ?”

“આન્ટીને ઓછું લાગ્યું.” કહી અન્વેષા સ્હેજ નિરાશ સ્વરે બોલી, “હું શું કરું? નથી એમને મનાવી શકતી કે નથી ….” એનો અવાજ ઓઝપાઈ ગયો. 

“મા … એવી જ છે, અન્વેષા! તું એની સાથે જે સલુકાઇથી વર્તે છે, એનું પરિણામ મળશે જ.” “પણ ક્યારે?” સાર્થકે એની તરફ જોયું. આંખોમાં સંવેદના હતી, પણ જવાબ નહોતો.

*      *      *

અન્વેષાની નાની-નાની ભૂલો શોધી, સૂર્યકાંત જોડે ચર્ચવાનો ચસકો પડી ગયો હોય એમ, નીલમ મલાવી-મલાવીને પતિ આગળ વહુ-પારાયણ ખોલતી. એ સતત અન્વેષા પર નજર રાખી, મૂલવતી રહે છે. અન્વેષા કચરો વાળતી હોય, ત્યારે કયો ખૂણો છૂટી  જાય છે એની તાકમાં રહે. બારી બહારની પટ્ટી પર આંગળી ફેરવી, ચોંટેલી ધૂળ પતિને દેખાડતા, વહુની લાપરવાહી સાબિત કરવા મથતી.

અન્વેષાના આવ્યા પછી, એમણે ઘરમાં બબ્બે સ્ત્રીઓ હોય પછી નકામો ખર્ચો શું કામ?  એમ કહી કમળાબહેનને ઘરકામ માટે આવવાની ના પાડી દીધી હતી.  અન્વેષાએ પોતું કર્યું હોય તો નર્યા ભીના પોતાથી આરસમાં કેવા ઓઘરાળા ઉઠ્યા!-ની ફરિયાદ : ટોયલેટનું મરઘો પીળો પડતો જાય છે …. ઘણીવાર અન્વેષા દૂધનો ઊભરો જોઈ વિચારતી, ‘મારી અંદર પણ આવું જ ઉકળે છે, પણ બોલી શકતી નથી.’

હા, એ સાર્થક સાથે ઘણીવાર ગુસ્સે થઈ જતી. એક વાર  અકળાઇને બોલી, 

“ઘણીવાર મને એવું થાય છે આપણા કુટુંબમાં હું આઉટસાઈડર છું! તને પરણીને હું ન રહી, ઘરની કે ન ઘાટની!” 

“આવું શું બોલે છે?” સાર્થકે હળવેથી એનો હાથ પકડ્યો. 

અન્વેષાએ એનો હાથ ઝટકાવી નાંખ્યો, “જો, મારાં મમ્મી-પપ્પા તો મારી સાથે સંબંધ નથી રાખતા, અને તારી મમ્મી જુદી જ માટીના ઘડાયેલાં … બેઉ, હજી મારે માટે અંકલ-આંટી જ છે.” બોલતાં, અન્વેષાની આંખો ડબડબ થઈ, ગળામાં ડૂમો આવી ગયો.

સાર્થકનો સ્પર્શ કે સ્નેહથી બોલાતા શબ્દો, એની અંદરની પીડા આગળ નિરર્થક બની રહેતા અનુભવાય છે. ઘણીવાર અન્વેષા એનાં મમ્મી-પપ્પાના ફોટો જોઈ આંસુ સારતી. છતે પરિવારે એ સાવ અનાથ છે. એની ભીની આંખો અને અચકાતો શ્વાસ સાર્થકથી વેઠાતા નહોતા. એણે મનોમન ઘણીવાર વિચાર્યું છે – માતા-પિતાથી અલગ થઈ જવું. પણ મમ્મીનો ચહેરો આંખ સામે આવતા નિર્ણય પાછો પડી જાય છે. અભાવની લાગણી અનુભવતી પત્નીને જાળવી શકવાની અસમર્થતા સામે સતત લડતા રહેવું પડે છે.

એકવાર સૂર્યકાંતે અન્વેષાનો ભીનો ચહેરો જોયો ત્યારે એમના હૃદયમાં કંપારી જેવું અનુભવાયું હતું. એમણે નીલમને કહ્યું, “જો તો, આ છોકરી રડતી હતી કે શું?” નીલમબહેને સ્હેજ વિચાર કરીને કહ્યું, “એના મમ્મી-પપ્પાની યાદ આવતી હશે. કોઈ આટલું  નઠોર  કઈ રીતે થઈ શકતુ હશે?”

“આ તું પૂછે છે?” 

સૂર્યકાંતનો સવાલ સાંભળી નીલમ કોઈ અજાણ્યાને જોતી હોય એમ પતિ સામે જોઈ રહી.

*      *      *

નીલમના નિયમો અને અન્વેષાનું અશબ્દ રડવું સૂર્યકાંતથી સહન થતું નહોતું. પત્નીને સમજાવવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી એટલું સમજાયું હતું કે કોઈ ચમત્કાર જ એમના પરિવારને તૂટતો બચાવી શકશે. ગેરસમજણો અને પૂર્વગ્રહથી પ્રેરિત વિચારસરણી કેમ બદલવી?

હજી ચાર દિવસ પહેલાં, નીલમ મંદિરેથી આવતી હતી. અન્વેષા બારીએ ઊભી હતી, ત્યાં ધબાકો સંભળાયો. એ તરત દોડી. જઈને જુએ તો નીલમબહેન આંગણામાં લપસી પડ્યાં હતાં. એણે ઝડપથી ટેકો દઈ બેસાડ્યાં. તરત રિક્ષા બોલાવીને એમને દવાખાને લઈ ગઈ. રસ્તામાં સતત પૂછતી રહી, “તમે ઓલરાઈટ છો ને, આન્ટી?  ક્યાં વાગ્યું છે? લોહી તો નથી નીકળતું ને?” -ના સવાલો પૂછતી રહી. 

ડૉક્ટરે ચકાસણી કરી સ્મિત સાથે કહ્યું, “કંઈ ગંભીર નથી. થોડો સોજો છે. બરફ લગાવજો. બહુ દુ:ખે તો ગોળી લખી આપું છું, એ આપજો.” પછી નીલમ સામે જોઈ કહે, “વહુરાણીના રાજમાં બે દિવસ સંપૂર્ણ આરામ. શું સમજ્યા?” ત્યારે નીલમબહેનની આંખો સૂર્યકાંતને શોધતી હતી. સાર્થકના પગલાં સાંભળવા કાન તત્પર હતા. 

ત્યાં અન્વેષાએ હળવેથી કહ્યું, “ચાલો ઘરે જઈએ. તમારાથી પગથિયું ઉતરાશે ને?” 

નીલમ ચૂપ રહી, પછી સહેજ અકળાઈને બોલી, “તને કશી સમજણ પડતી નથી! આવું થાય ત્યારે તરત ઘરના માણસને બોલાવવા જોઈએ! આટલું નથી શીખવાડ્યું તારા મા-બાપે?” 

“પણ આંટી, કશી જરૂર નથી. પછી નકામી બધાને ચિંતા કરાવવાની?” સાંભળી, નીલમ કશું બોલી નહીં. રિક્ષાના સળિયે અથડાતા વરસાદના ટીપાં લૂછતી હોય એમ, આંગળીઓ ફેરવતી રહી.

સૂર્યકાંતે અન્વેષાએ બરાબર કર્યું  એમ સમજાવવાનો પ્રયત્ન કર્યો. એટલે નીલમ કર્કશ સ્વરે બોલી ઊઠી, “તમે તો હું મરું એમાં જ રાજી છો ને?  ના દેખવું, ના દાઝવું!”

બે દિવસ પછી, સૂર્યકાંતે મનોજ સાથે ઘરની સ્થિતિની ચર્ચા છેડી. છેલ્લે કહ્યું, “દોસ્ત, ઘરમાં બધું શાંત છે, પણ એ શાંતિ ક્યારેક કાન ફાડી નાખે છે.”

મનોજે પૂછ્યું, “અન્વેષા કેવી છે?” સૂર્યકાંતના ચહેરા પર કંઈક હલનચલન થયું. પછી સહેજ અભિમાનથી કહે, “મારા દીકરાની પસંદ છે.”

“તો વાંધો શું છે?”

“એ શોધવાનું છે. હું તો નીલમને કહું છું, જેવી છે એવી, ભલે, મીઠું ઓછું નાખતી હોય, પણ આપણી વહુ છે. એ ઘરમાં છે, એટલે ઘર છે. પણ નીલમમાતાને તો તું ઓળખે છે. સીંદરીનો વળ કેમ ઉકેલવો?”

મનોજે કશોક નિર્ણય કરતા કહ્યું, “સાંભળ, અમે લોકો આવતા અઠવાડિયે સહ-પરિવાર ચાર દિવસ માટે એક ફાર્મહાઉસમાં રહેવા જઈએ છીએ. તું અને ભાભી જોડાઈ જાવ. વાતાવરણ બદલાશે તો મન પણ બદલાશે.”

ઘેર આવી નીલમને વાત કરી ત્યારે એણે ‘હા.’ પાડી પણ મનમાં વિચારી રહી હતી, ‘અમે જઈશું તો વહુરાણીને જલસો પડી જશે. વળી મારા દીકરાને સોનું … શું ય ચડાવશે?’

શહેરથી ખાસ્સે દૂર આવેલું ફાર્મહાઉસ બહુ જ સુંદર હતું. ધુમ્મસી સવારના વાતાવરણમાં કોઈ સ્વપ્નમાંથી ઉતરતું હોય એમ કળાતું. આંગણામાં ખીલેલાં ગુલાબ અને બારમાસી સાથે, ભોંય પર પથરાયેલાં પારિજાતની ચાદરનો રંગ ઊકલે એ પહેલાં પ્રસરેલી સુગંધથી ફેફસાં મધમધી ઊઠતાં. તરો-તાજા મન નાળિયેરી પર ઠરે ન ઠરે ત્યાં, એની પછીતે વંડી પર ફાલેલાં અપરાજિતાનાં નીલા-આકાશી ફૂલો. એનું ઈજન નીલમને મન, પ્રકૃતિના આશિષ સમું. દૂર-દૂર સુધી ફેલાયેલી હરિયાળી, આમ્રકુંજમાં રમતો પક્ષીઓનો કલરવ, અને પવનમાં ઝૂમતા ઘાસ તરફ દોટ મૂકવા એ થનગની ઊઠી.

સૂર્યકાંત અને મનોજને થયું, સારું થયું નીલમ અહીં આવી. સૂર્યકાંત ચાની ચુસકી સાથે બેઠા હોય, મનોજ અને રશ્મિ, એમના પુત્ર વિવાન અને પુત્રવધૂ ઈશિતા સાથે કશીક હળવી ગપસપ કરતા હોય. 

એ વાતાવરણમાં મનોજ અને ઈશિતાની મીઠી રકઝક નવા જ રંગો ભરે. 

બપોરે ઈશિતા ચામાં ખાંડ નાખવી ભૂલી ગઈ હતી. મનોજે ઘૂંટડો ભરતાં જ કહ્યું, 

“રશ્મિ, તારી ઈશિતા મારી બહુ કાળજી લેનારી.” 

“કેમ ભાઈ? “

“જો ને, મને ક્યાંક ડાયાબિટીસ થઈ જશે એવી બીકથી ચા પણ ખાંડ વગરની પીવડાવે છે!” ઈશિતા મલકાતા મોંએ ભૂલ કબૂલતી નજરે, ચા કપ પાછો લેવા હાથ લંબાવે, ત્યારે મનોજ,

“ના, મોળી ચાનો સ્વાદ ગમે એવો છે,” કહી નીલમ સામે જુએ છે.

બપોરે ઇશિતા પૂછતી હતી, “ભરેલા ભીંડાનું શાક બનાવું, પપ્પા?” 

સૂર્યકાંત સામે જોઈ મનોજ ઉમેરે, “આ મારી દીકરી! ભરેલા ભીંડા એના પ્રિય છે, પણ શાક બનાવશે મારે નામે ખતવીને!”

પ્રકૃતિના ખોળે આવા હળવા, મજાક-મસ્તી, લાગણીભર્યા સંવાદોથી ભરપૂર દિવસો ક્યારે પૂરા થઈ ગયા એ ખબર ન પડી.

નીલમ અને સૂર્યકાંત ઘેર આવતા હતાં ત્યારે બંને ચૂપચાપ મનોજની કુટુંબને સાચવી લેવાની કુશળતાનો વિચાર કરતાં હતાં. પહેલીવાર નીલમને એના બાપુજી યાદ આવ્યા. એ મનોજભાઈ જેવા જ હતા. એક ઘરમાં ત્રણ ભાઇઓનો પરિવાર કેવો હળીમળીને રહેતો! 

અચાનક અન્વેષાની ગભરુ નજર યાદ આવી ગઈ. 

સૂર્યકાંતે પૂછ્યું, “શું થયું? આ મોં કેમ પડી ગયું તમારું?” નીલમ કશો જવાબ ના આપી શકી.

*      *      *

સાર્થકે પૂછ્યું, “પપ્પા, આપણે અન્વેષાનો જન્મદિવસ ઉજવીએ?” 

“કેમ નહિ બેટા, સરપ્રાઈઝ આપીએ. સરસ રેસ્ટોરન્ટમાં જઈએ.” 

“ના, એ નહિ માને. હા … મંદિરને બહાને હું એને બહાર લઈ જાઉં ત્યારે કેક લાવી, થોડી સજાવટ કરીશું. હું એની વ્યવસ્થા કરી દઈશ.” 

“શું કામ? અમે છીએ ને? અમે સજાવીશું, કેમ નીલમ?” 

નીલમ ચૂપ રહી, પણ એના મૌનમાં સહમતિ જોઈ, સાર્થકની પાંપણો ભીની થતી રહી ગઈ.

નીલમે અન્વેષાને જન્મદિવસ નિમિત્તે સોનાનો દાગીનો આપવાનું સૂચવ્યું ત્યારે, સૂર્યકાંતના મનમાં કોઈ અનોખી ભેટ આપવાનો વિચાર હતો. એના જન્મદિવસની આગલી સાંજે એમણે વેવાઈને ફોન જોડ્યો. એક વાર ફોન કપાયા પછી, થોડી તંગ વાતો, માફી અને ખાસ્સી વિનવણી પછી, પ્રકાશભાઈ એટલું બોલ્યા, “અમે નહીં આવી શકીએ. પણ એને મન હોય તો છો આવતી, આશીર્વાદ લેવા.”

જન્મદિવસની સવારે અન્વેષા એમને પગે લાગી ત્યારે સૂર્યકાંતે એના માથે હાથ ફેરવી આશિષ આપી પૂછ્યું, 

“તું મારી સાથે બહાર આવીશ?”

 “ક્યાં? મંદિરે જવું છે, અંકલ?” 

“હા, મંદિર જ. તું તૈયાર હોય તો નીકળીએ.” ત્યાં નીલમબહેને કહ્યું, “હું આવું છું, સાથે.” 

અન્વેષા પોતાના પિયર તરફના રસ્તો જોઈને ચમકી, પરિચિત મકાનો, વૃક્ષો જોવામાં કશું બોલી નહીં.

દરવાજે ખોડાયેલી ઇન્દુની નજર પ્રકાશને પમાય છે, પણ પેલું પુરુષપણું નજર ને કાયા રોકી રાખે છે. ત્યાં બહારથી કારનું બારણું બંધ થવાના અવાજે ચોંકેલી ઇન્દુ દરવાજો ખોલવા હાથ લંબાવે છે. સામે, અન્વેષા ઊભી છે. નાની હતી ત્યારે કહ્યા વગર રમવા જતી રહે કે બહેનપણીના ઘેરથી મોડી આવે ત્યારે ડરતી, કંપતી, નીચી નજરે ઊભી રહેતી એમ. ક્ષણ માટે હવા થંભી જાય છે, જાણે સમય પસાર થયો જ નહોતો. અનુ … આંખ સામે છે … એની ભીનો, ડૂબડૂબ ચહેરો જોતાં જ ઇન્દુની આંખોમાંથી વર્ષોનું રુદન ધારાબદ્ધ થઈને વહેવા લાગ્યું. તેના હોઠ, શરીર થરથરતું હતું. એ અન્વેષાને ભેટી પડી, તેની આંગળીઓ અન્વેષાની પીઠ પર ફરતી હતી. છાતીએ વળગેલો ડૂમો ઓગળતો નથી. સહેજ દૂર, પ્રકાશ હજી એમ જ ઊભો હતો, આગળ જવા, દોડવા ઉપડેલા પગને બાંધીને. તેનો ચહેરો વણઓળખાયેલા દૃશ્ય જેવો લાગે છે. આંખોના ખૂણે અટકેલાં આંસુઓની કિનારમાં દીકરી સહેજ ઝાંખી કળાય છે. અન્વેષા ધીરેથી પિતા પાસે આવી. પેલી તોફાની છોકરી જે એના વાળ ફેંદી નાંખતી .. એના ખભે લટકતી, એનો કોળિયો પોતાના મોંમાં સેરવી લેતી, એ અચાનક રૂમમાંથી બહાર આવીને ઊભી રહી ગઈ, સામોસામ! અન્વેષા નમીને તેને પગે લાગી. દીકરી આખું અસ્તિત્વ ઓગાળી પગમાં મૂકતી હોય એમ અનુભવાયું. એક પળમાં પેલો ગુસ્સો, અહં, જીદ વહી ચાલ્યાં. એની હથેળી ધીમેથી અન્વેષાના માથે સ્પર્શી. તેનો હાથ કંપતો હતો. કંપતા હાથે દીકરીને ઊભી કરી, ગળે વળગાડે ન વળગાડે ત્યાં આંખો વરસી પડી. અન્વેષા બોલી, “પપ્પા … પપ્પા …” સાંભળી, સાવ ડૂમાયેલા અવાજે એટલું જ બોલાયું, “બેટા …..” બાકીના શબ્દો આંસુમાં ડૂબતી તરતી આંખો ઓથે અટકેલાં રહ્યાં.

સહસા ઇન્દુબહેનને ખ્યાલ આવ્યો, વેવાઈ-વેવાણ દરવાજે ઊભાં છે. દુપટ્ટાથી આંખો-ચહેરો લુછતાં કહ્યું, “આવો ને, અંદર આવો.”

રાત્રે ઊંઘ આવતી નથી. સૂર્યકાંત બાજુમાં સૂઈ ગયા હતા. રૂમમાં પંખાનો ધીમો, સતત અવાજ ફરતો હતો. આંખ સામેથી અન્વેષાનો એ ચહેરો ખસતો નહોતો. પ્રકાશભાઈને ઘેરથી નીકળ્યા ત્યારે અનાયાસે એમનો હાથ પકડી, અન્વેષાએ એમની સામે જોયું હતું. ઓશીંગણ ભાવથી ય વિશેષ શું હતું એ ચહેરા પર? એ પળે, સાથે હોવાના રંજનું સ્થાન હુંફે લઈ લીધું હતું કે શું? 

સૂર્યકાંત સામે જોયું. નિરાંતે નસકોરા બોલાવતા પતિએ કહેલું વેણ યાદ આવ્યું, ‘અળખામણી વહુ પર વ્હાલ ન ઉપજે, એ સમજાય છે. પણ તમે સ્નેહવશ, સીવણ ક્લાસમાં પારકી દીકરીઓનો સ્વીકાર કરો છો એ નથી સમજાતું, નીલમ.’ 

સૂર્યકાંતને નીલમના મનનો દ્વેષ અને માનસ સમજાય છે, પણ એને ઓછું કરવાની કે સુધારવાની કળ જડતી નથી, વળી આ ઉંમરે જોહુકમી કરવી ગમતી નથી. 

જો કે, એમણે નોંધ્યું છે, નીલમ હવે રસોડામાં જતી હોય છે. અન્વેષાને શીખવતી નથી, પણ “હું મસાલો કરું છું, તું જો.” કહીને આડકતરો શિક્ષક-ધર્મ નિભાવી લે છે. સહિયારા કામોથી સ્નેહ વધે કે ન વધે, પણ સાસુ-વહુ વચ્ચે સમજણ વિકસે છે.

અન્વેષા પરણીને આવ્યાં પછી પહેલી વાર નીલમે જોયું, એ ઘરેણાં પહેરતી નથી. એમનાથી બોલાઈ ગયું, “સાવ કોરું ગળું ન રાખીએ. મંગળસૂત્ર ક્યાં ગયું?”

અન્વેષાની નજર નમી ગઈ. ‘આ નીલમ આંટી છે?’ 

જો કે, બન્ને વચ્ચે સંવાદનો અભાવ હતો પણ, સાંજે નીલમની સોયમાં દોરો પરોવવાની મથામણ જોઈ અન્વેષાએ નક્કી કર્યું, કાલે એ આંટીને ડૉ. બકુલભાઈ પાસે લઈ જઈ આંખોની તપાસ કરાવી આવશે. 

એમ જ થયું. 

“સોનેરી ફ્રેમના ચશ્માંમાં નીલમ શોભે છે ને, સાર્થક?” સૂર્યકાંતના સવાલના જવાબમાં સાર્થક જોડે અન્વેષાએ પણ માથું હલાવતાં હામી ભરી હતી.

*      *      *

એક સવારે અન્વેષા ઊઠી નહીં, એટલે નીલમને ચિંતા થઈ. ત્યાં કોઈ ઓકતું હોવાનો અવાજ સંભળાયો. સાર્થક બાથરૂમના દરવાજે ઊભો હતો. “કોને ઊલટી થઈ?”

“અન્વેષાને. જો ને મમ્મી, રાત્રે બે વાર ઓકી હતી.” 

“તું જા, હું જોઉં છું,” કહી નીલમે અન્વેષાની પીઠે હાથ મૂક્યો. 

“સાર્થક, હું ડોક્ટરને ત્યાં લઈ જઈશ એને. તું તૈયાર થઇને નીકળ.” 

“એનું ધ્યાન રાખજો, મમ્મી. ને જરૂર પડે તો મને ફોન કરજો. સાંજથી એણે કશું ખાધું નથી.”  સાર્થકના અવાજમા ચિંતા હતી.

“તે છેક હવે બોલાય છે! રાત્રે મને ન ઉઠાડાય? ” ત્યાં અન્વેષાને ઉબકો આવ્યો એટલે એ એની તરફ ફર્યા.

નીલમના મનમાં હતું, કદાચ સારા સમાચાર હશે. પણ ડોક્ટરે ‘આંતરડામાં ઇન્ફેક્શન છે’, કહી એમના હરખને હરી લીધો.

ઘેર આવ્યાં પછી અન્વેષાએ એમને હાથ પકડી પાસે બેસાડ્યા. 

“તમને એવું હતું ને કે હું પ્રેગનેટ છું?”  એનો અવાજ કંઈક ધીમો, ભાવભીનો હતો. 

નીલમે એના કપાળે હાથ મૂક્યો, હળવા સ્મિત સાથે કહ્યું, “હા, એવો વિચાર આવ્યો હતો. પણ હજી ક્યાં તારી ઉમ્મર થઈ છે? હું લીંબુનું શરબત લાવું છું, શાંતિથી પીને સૂઈ જા.”

અન્વેષા ખાસ્સી વાર પછી ઊઠી ત્યારે નબળાઈથી સહેજ નંખાઈ ગયેલી લાગતી હતી. એના માથું ઓશીકા પર સરખું ગોઠવી, ચાદર ઓઢાડી ત્યારે, નીલમને દાયકાઓ જૂનું દુઃખ તાદૃશ થયું. નીલમને પહેલા ખોળે દીકરી જન્મી હતી, પણ મગજનો ભાગ પાણીથી ભરેલો … હાઈડ્રોકેફેલસ બેબી … સહેજ ધીમું રડીને પાંચેક મિનિટમાં દુનિયા છોડી ગયેલી. મોટું માથું … ઢાંકી દો તો એટલી રૂપાળી …… અચાનક અન્વેષા તરફ નજર ગઈ. ‘જો એ જીવતી હોત, તો કદાચ આના જેટલી જ દેખાતી હોત.’ નીલમે વહાલથી અન્વેષાના માથે હાથ ફેરવ્યો. અને એટલાથી સંતોષ ન થયો તો, કપાળે-ગાલે હથેળી ફેરવી. અન્વેષાએ એમની હથેળી પર માથું ટેકવી દીધું. 

એ સાચે જ ઊંઘતી હતી કે નીલમનું વહાલ જવા દેવા નહોતી માગતી? એ સમજાય એ પહેલાં, નીલમની આંખો વરસી પડી.

**સમાપ્ત**
e.mail : anilvyas34@gmail.com

Loading

શિવા પત્રકારત્વ સન્માન સમારંભ  

સંજય સ્વાતિ ભાવે|Opinion - Opinion|24 February 2026

— દેવાંશી જોષી, તેજલ શુક્લ અને યશપાલસિંહ ચૌહાણ તેમ જ તેમનાં સ્વજનોનું સન્માન — 

વિશિષ્ટ એવું ‘શિવા પત્રકારત્વ સન્માન’ વરિષ્ટ પત્રકાર પ્રશાંત દયાળનાં પત્ની શિવાનીની સ્મૃતિમાં ગયા વર્ષથી સ્થાપિત થયું છે. આ સન્માન પચાસ વર્ષથી ઓછી ઉંમરના પત્રકાર અને તેનાં પડકારભર્યા વ્યવસાયમાં પડખે ઊભા રહેનાર પરિવારજનને આપવામાં આવે છે. શિવાનીબહેન અડીખમ રીતે પ્રશાંતની સાથે રહ્યાં હતાં તેનું હૃદયસ્પર્શી બયાન પ્રશાંતના ‘શિવા’ પુસ્તકમાંથી મળે છે. 

શિવા સન્માનનો સમારંભ આ બીજા વર્ષે પણ સૂચક દિવસે એટલે કે ગાંધીજીને પડખે રહેનાર કસ્તૂરબાના જન્મદિવસ 22 ફેબ્રુઆરીએ નવજીવન પરિસરના જિતેન્દ્ર દેસાઈ મેમોરિયલ હૉલમાં યોજવામાં આવ્યો. તેમાં દેવાંશી જોષી અને તેમનાં સાસુ હંસાબહેન, તેજલ શુક્લ અને તેમનાં માતુશ્રી ઈન્દુબહેન, યશપાલસિંહ ચૌહાણ અને તેમના પત્ની ધર્મિષ્ઠાબાને આપવામાં આવ્યું. 

ત્રણેય માધ્યમકર્મીઓએ બે-અઢી દાયકા દબાણો અને પડકારોની વચ્ચે એકંદરે સ્વચ્છ પત્રકારિતામાં કરી છે. તેની ઝલક કાર્યક્રમના આરંભે દર્શાવવામાં આવેલી ત્રણ નમૂનેદાર વીડિયો ફિલ્મ્સ પરથી મળી. પાંચ-પાંચ મિનિટની આ ચુસ્ત ફિલ્મ્સ ‘નિર્ભય ન્યૂઝ’ના ઉજ્જ્વલ ઓઝાએ સૂઝ અને મહેનતથી બનાવી છે.

તેની સાથે સાંભળવા મળેલી, પુરસ્કૃત પત્રકારોના જીવન, કારકિર્દી, સંઘર્ષ અને સિદ્ધિઓનો અસરકારક આલેખ સાંભળવા મળ્યો. તેની સ્ક્રિપ્ટ ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના સંપાદક તેમ જ ગાંધીવિચારના ઉત્તમ અભ્યાસી કિરણ કાપુરેએ લખી હતી. તે સામયિકના આગામી અંકમાં અને  ફિલ્મ્સ નવજીવન ન્યૂઝની યુટ્યૂબ ચૅનલ પર સુલભ બને તેવી આશા રહે છે.

અમદાવાદની બંને પત્રકારોએ પ્રતિભાવમાં તેમના કર્તૃત્વનું શ્રેય પરિવારમાં મળેલા ઉછેર ઉપરાંત માતપિતાએ આજથી બે દાયકા પહેલાં, મહિલાઓ માટે અરૂઢ ગણાતું ક્ષેત્ર પસંદ કરવા માટે આપેલા અવકાશને આપ્યો. સન્માનનો ઉપક્રમ શરૂ કરનાર નોખા પત્રકાર પ્રશાંત દયાળ પ્રત્યે પણ તેઓએ કૃતજ્ઞતા વ્યક્ત કરી.

‘જમાવટ’ ચૅનલથી ઘરેઘરે પહોંચેલાં દેવાંશીએ નોંધપાત્ર વાત કહી – તેઓ સાસુ પ્રત્યે વિશેષ આભારી એટલા માટે છે કે તે એવા દીકરા સંકેતના માતા છે કે જેણે પત્ની દેવાંશી પર ક્યારે ય પતિપણું ચલાવ્યું નથી, અને સાથીપણું નિભાવ્યું છે. સંકેતે હંમેશાં આપેલા આત્મવિશ્વાસ અને મજબૂત ટેકાનું પણ દેવાંશીએ વર્ણન કર્યું.

છેક છેડાની બે બાબતો સામે આવે ત્યારે વૈચારિક અને વ્યવસાયિક સંતુલનની કોશિશનું પણ તેમણે બયાન કર્યું. અપાલા-લોપામુદ્રા અને સીતા-દ્રૌપદી, નર્મદાને કિનારે આવેલા હાફેશ્વર ગામમાં માથે બેડું લઈને દૂર પાણી ભરવા જતી છોકરી,નસ્ટૅચ્યૂ ઑફ યુનિટી અને બાજુના ગામ ઝરવાણીમાં ઝોળીમાં પ્રસૂતિ માટે લઈ જવાતી સ્ત્રી એવા ચોટદાર દાખલા તેમણે આપ્યાં.

‘રામ તમે સીતાજીની તોલે ન આવો’ ભજન અને સીતાની અગ્નિપરીક્ષા કરનાર ભગવાન રામને દેવાંશીએ યાદ કર્યાં. પત્રકાર તરીકે પોતાનાં સમાજાભિમુખ અગ્રતાક્રમ અને આદર્શોનો નિર્દેશ આપવાની સાથે દેવાંશીએ ‘જમાવટ’ની ટીમના ફાળાની પણ નોંધ લીધી. 

તેજલનાં પિતા અરવિંદ શુક્લ, ભાવનગરના તીર્થસ્થાન સમાં, હવે સ્મૃતિશેષ પ્રકાશનગૃહ ‘લોકમિલાપ’થી શરૂ કરીને નવજીવન પ્રકાશનમાં આખર સુધી પુસ્તકોના પ્રસારક રહ્યા. તેમણે અને ઇન્દુબહેને દીકરીને વ્યવસાય પસંદગીના અને લગ્ન ન કરવાના બંને નિર્ણયો અંગે ક્યારે ય કશું કહ્યું નહીં.

સાહસ અને જોખમભરી સ્ટોરી કરતાં રહેનારા તેજલને પણ હંમેશાં મહિલા નહીં પુરુષ પત્રકારો તરફથી ટેકો મળતો રહ્યો છે. તેમણે રસપ્રદ વાત કરી : ‘હું જેન્ડર ભૂલી ગઈ છું.’ તંત્રી જે કામ કરવા માટે દબાણ કરતા હોય તે કરવાનો સાફ ઈન્કાર કરવો પડ્યો હોય એની પણ તેજલે જિકર કરી. તેમની દૃષ્ટિએ દબાણ અવિરત બાબત છે. ‘સમાજ માટે આ ક્ષેત્રમાં આવી છું’ કહેનાર તેજલને પાંચ-છ નોકરીઓ બદલવી પડી છે. 

ભાવનગરના યશપાલસિંહ દસ વર્ષની ઉંમરથી તેમના ફોટોજર્નાલિસ્ટ પિતા હઠીસિંહની સાથે છબિકલાના પાઠ લેતા. હઠીસિંહ એક વખત કવરેજ કરવા ગયેલા ત્યારે એક પોલીસ ઈન્સ્પેક્ટરને બચાવવા જતા તેમને આંખમાં ગંભીર ઈજા થઈ.

પિતાનું કામ બાર વર્ષના નિશાળિયા યશપાલસિંહે ભણતર સાથે ચાલુ રાખ્યું. સમય જતાં સૌરાષ્ટ્રના ઘણાં અખબારો માટે ફોટોગ્રાફી અને પછી રાજ્યની કેટલીક ચૅનલો માટે વીડિયોગ્રાફી કરી. દબાણ તેમ જ ધમકીઓ વચ્ચે તેમણે કરેલા કવરેજ અને વહોરલા જોખમોનાં અનેક દાખલા છે. મોલ્ડીંગ-વેલ્ડિંગનું કામ કરનાર હઠીસિંહ અભાવગ્રસ્ત લોકોને નજીવા દરે સાધનો બનાવી આપે છે. તેમનું અને તેમનાં પત્ની કુંદનબાનું શાલથી સન્માન કરવામાં આવ્યું. 

સહુનાં સન્માન નવજીવનનાં મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈ અને ઝાલાવાડ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ માધવી મહેતાને હસ્તે કરવામાં આવ્યાં. તે બંને ઉપરાંત પ્રશાંત દયાળ અને તેમના દીકરી પ્રાર્થનાએ પ્રાસંગિક વાત કરી. સાહિત્યકાર રામ મોરીએ કાર્યક્રમનું સંચાલન કર્યું. સહુએ રાત્રિભોજનનો સ્વાદ લીધો. વિચાર અને આયોજનની રીતે એક મનભર કાર્યક્રમમાં રવિવારની સાંજ વીતી. 

તસવીર સૌજન્ય : નવજીવન, કોલાજ: નીતિન કાપુરે 
23 ફેબ્રુઆરી 2026 
e.mail : sanjaysbhave@yahoo.com

Loading

...10...18192021...304050...

Search by

Opinion

  • અસત્યના પ્રયોગો  
  • દલિત આંદોલનની દિશા કેવળ અનામત-એટ્રોસિટીમાં ઇતિ નથી
  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved