Opinion Magazine
Number of visits: 9571833
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોત પહેલાં મરતો નથી હું

મૂકેશ પરીખ|Opinion - Opinion|22 May 2021

કારણ હોય તો પણ ઉકળતો નથી હું,
અને મીઠી વાતોથી પીગળતો નથી હું.

બિરદાવું છું સહુના પ્રયાસો-પ્રગતિને,
દ્વેષ કે ઈર્ષ્યાથી કદી સળગતો નથી હું.

ઈંધણ ખૂટે તો ગોપાઈ રહું અંધારામાં,
ઉધારનું તેલ લઈને પ્રજ્વલતો નથી હું.

રમૂજી છું હાસ્યના ફુવારા ફેલાવતો રહું,
ગમે ત્યાં ગમે તેની સામે રડતો નથી હું.

ઈશ્વરે આપ્યું છે જે પ્રસાદ જ સમજુ છું,
હાથ લંબાવી કદી ય કરગરતો નથી હું.

સાવ ઝિંદાદિલ અને અલ્લડ છું ‘મૂકેશ’,
મોત ના આવતા પહેલાં મરતો નથી હું.

e.mail : mparikh@usa.com

Loading

સચ્ચાઈથી શાસન કરવા જતાં કોઈ સરકાર ઊથલી પડ્યાંનું સ્મરણ છે?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|21 May 2021

અંગ્રેજોએ આ દેશને લૂંટયો, પણ તેણે પોતાના હેતુઓ માટે કેટલુંક એવું કર્યું કે આઝાદીનાં 75માં વર્ષે પણ આપણે તેમની ઇમારતોમાં, પુલો પર, શાળાઓનાં મકાનોમાં, ઓફિસો ને વ્યવહારો ચલાવીએ છીએ. જો કે, અંગ્રેજોમાં હતી એટલી વફાદારી આપણી, આપણા દેશ માટે છે કે કેમ તે દરેકે પોતાને પૂછવા જેવો પ્રશ્ન છે. આઝાદીનાં શરૂઆતનાં વર્ષોમાં આપણામાં પણ ઈમાનદારી ને વફાદારી હતી, પછી ભ્રષ્ટાચાર વધતો આવ્યો ને આજે તો એ ચરમ સીમાએ છે. એમાં સરકારથી માંડીને નાનામાં નાનો માણસ પણ આવી જાય. આ બધું છતાં વાતો તો ઈમાનદારીની ને સચ્ચાઈની જ થાય છે એ કેવું?

આમ થાય છે તે બેવડાં ધોરણોને કારણે. પ્રજા ભ્રષ્ટ છે, તો સરકાર પણ અપ્રમાણિક છે. બધાં જ સચ્ચાઈ દાખવી શકે, પણ કોઈ તેમ કરે એમ નથી, કારણ એમ કરવા જતાં હરામનો પૈસો જતો કરવો પડે ને એને માટે કોઈ તૈયાર નથી. પ્રજા દેખાડો કરે છે તો સરકાર સારું ચિત્ર આપવામાં માને છે. કોરોના આવ્યો માર્ચ, 2020માં. તે જોખમી છે એ વાતની ખબર બધાંને હતી, પણ પ્રમાણમાં કેન્દ્ર સરકાર વહેલી જાગૃત થઈ અને ક્યાં લાગુ કરવા જેવું છે એનો લાંબો વિચાર કર્યા વગર, આખા દેશમાં લોકડાઉન લાગુ કરી દીધું. એની આર્થિક વિકાસ પર સીધી અસર પડી. એ પછી બીજી લહેરમાં જ્યાં ઝડપી ને પૂરાં લોકડાઉનની જરૂર હતી, ત્યાં છાશ પણ ફૂંકીને પીવા જેવું થયું. એમાં બીજી લહેર ઘાતક પુરવાર થઈ. લોકો ઓક્સિજનની, વેન્ટિલેટરની, ઈન્જેક્શન્સની કમીને કારણે મર્યાં ને સરકારે ઢાંકપિછોડો જ કર્યા કર્યો.

પહેલી લહેર આથમી તે સાથે જ લોકો ને સરકારો કોરોના પર વિજય મેળવી લીધાના વહેમમાં રાચ્યા. લગ્નો, ક્રિકેટ ને ચૂંટણીસભાઓમાં એટલી ભીડ થઈ કે કોરોના વધારે ઝનૂનથી પાછો ફર્યો. સરકારો ઘાંઘી થઈ અને બધું કાબૂમાં હોવાનું નાટક ચાલ્યું. ટેસ્ટ બંધ કે ઓછા કરી દેવાયા જેથી સંક્રમણનો આંકડો ઓછો બતાવી શકાય. આ બધું ઓછી આવક બતાવીને ટેક્સ બચાવવા જેવું હતું. સરકાર ઈલાજ વિચારવાને બદલે સાચું છુપાવવામાં પડી, પણ મૃત્યુને સરકારની શું પડી હોય? તેણે સ્મશાનની ચીમનીઓ ઓગાળીને ભયાનકતાનો ચિતાર આપી દીધો. કોર્ટોએ સરકારની આ બેદરકારીને માનવહત્યાનું નામ આપ્યું. સાચા આંકડાઓ જાહેર કરવાની તાકીદ કરાઈ ત્યારે માંડ સરકાર સાચું કહેવા બેઠી. વત્તાઓછાં લોકડાઉન થયાં ને બધી રાજ્ય સરકારો ખાતર પર દિવેલ કરવા તૈયાર થઈ. ગુજરાત સરકારે થોડા દિવસ પર જ કબૂલ્યું કે માર્ચ-એપ્રિલ, 2020માં જ 61,000 ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ થયાં હતાં. આના પરથી વિચારી લેવાનું રહે કે સરકારે કેવુંક છુપાવ્યું હશે !

અસત્ય એ સરકાર માત્રની ઓળખ છે. જો કે, ખોટું કરવાથી જ સરકારો પાછી સત્તા પર આવતી રહી છે એટલે સાચું કરવાથી શું થાય તે કોઈ સરકાર જાણતી જ નથી. ખોટું કરવાથી સરકારો ટકી ગઈ હશે, પણ કેટલીકવાર સરકારો ઊથલી પણ છે. એ હકીકત છે કે કૉન્ગ્રેસ સાચું કરવાથી ગઈ નથી. લગભગ સિત્તેર વર્ષ કૉન્ગ્રેસી શાસન દેશ પર રહ્યું હોવા છતાં જો સરકાર જઈ શકતી હોય તો ભા.જ.પ.ની સરકારને તો દાયકો ય થયો નથી. તે એવા કોઈ વહેમમાં ન રહે કે તેનું શાસન અમર છે. પ્રજા છેતરાય છે ખરી, પણ લાંબા સમય સુધી છેતરાતી નથી. એ સારી વાત છે કે સરકાર સાનમાં સમજી છે. તે એ પણ સમજી છે કે સત્યનો માપદંડ જ નિર્ણાયક બને છે. પ્રજા ગમે એટલી મૂરખ ને ભ્રષ્ટ કેમ ન હોય, સત્તા જ્યારે પણ બદલાઈ છે, ઓછી ભ્રષ્ટતા જ માપદંડ બની છે.

હાલની સ્થિતિ જોઈએ તો સંક્રમણના આંકડાઓ ઘટી રહ્યાં છે, પણ એક જ દિવસમાં 4,529 મોતનો ભારતમાં નોંધાયેલો આંકડો ચિંતા ઉપજાવનારો છે. કેસો ઘટવાને કારણે મીડિયા કોરોનાનાં વળતાં પાણી- કહીને હરખાવા માંડયું છે, આવો હરખ કરવા જતાં અગાઉ વીત્યું છે, એટલે જરા પણ રાજી થવા જેવું નથી. વડા પ્રધાને વધતાં મોતથી સાવધ રહેવાનું કહ્યું જ છે. અત્યાર સુધીમાં 2.83 લાખ મોત દેશમાં થઈ ચૂક્યાં છે. કોરોનાને લાગે વળગે છે ત્યાં સુધી મરણના આંકડાઓ સરકાર પાસે નાના અને મીડિયા પાસે મોટા જ રહ્યા છે.

એ સાચું કે આખા દેશમાં મહામારી ફેલાયેલી હોય ત્યારે તંત્રો બધે પહોંચી ન વળે, પણ સમય હોય, સાધનો હોય ત્યારે અરાજકતા જ ફેલાય એવું તો ન વર્તી શકાય ને ! વાવાઝોડું ત્રાટક્યું અને તેણે જે તબાહી સર્જી તેમાં સરકારનો વાંક ન કાઢી શકાય, કારણ અગાઉથી સાવચેતીનાં પગલાં લીધાં હોય, પછી વિનાશ સર્જાય તો લાચાર થઈને જોઈ રહેવું પડે. આ બધું છતાં વડા પ્રધાને તારાજીનો અંદાજ મેળવ્યો ને હજાર કરોડની સહાય કરી તથા મૃતકોને નામે 2 લાખ જાહેર કર્યા. તેમાં મુખ્ય મંત્રીએ રાજ્ય તરફથી મૃતકોને, દરેકને 4 લાખ ઉમેર્યા. મુખ્ય મંત્રીએ પોતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. આ બધું સરકારને જમાપક્ષે મૂકી શકાય, પણ આઇ.સી.યુ.માં આગ લાગે ને દરદી આગમાં બળી મરે ને આવું એકથી વધારે વખત થાય, એ સરકાર માટે સહાનુભૂતિ ન રહેવા દે એ શક્ય છે.

વાવાઝોડા, આગ, ભૂકંપ જેવી આફતોમાં લોકો મરે છે તો સરકાર મૃતકોનાં કુટુંબને આર્થિક સહાય આપે છે. તેમાં હેતુ તો કુટુંબીજનોને આવી પડેલી આપદામાંથી બેઠા કરવાનો છે. કોરોના જેવી મહામારીમાં સાધારણ લોકો સારવારનો બોજ ઉપાડી શકતાં નથી. તેમાં જો કમાનાર વ્યક્તિનું જ મૃત્યુ થાય તો કુટુંબને બેઠાં થવાનું મુશ્કેલ થઈ પડે છે. કોરોનાથી ભાંગી પડેલાં એવાં કુટુંબોને સરકાર આર્થિક સહાય કરે તો કુટુંબીજનો પર ઉપકાર જ થશે. એવાં તો ઘણાં હોય એવો વિચાર ઘણાંને આવે, પણ બધાંની વાત અહીં નથી. જે ખરેખર મદદને પાત્ર છે એવાં કુટુંબોની સહાય માટે જ આ કહેવાનું છે. એનો દુરુપયોગ પણ થઈ શકે, પણ એ તો ક્યાં નથી થતો? મુશ્કેલ છે થોડું, પણ નીચલા મધ્યમ વર્ગનાં કુટુંબોને પાંખમાં લઈ શકાતાં હોય તો લેવાનું સૂચન માત્ર છે.

રસીકરણને મામલે વ્યવસ્થિત વિચારણાની જરૂર છે. દિલ્હીમાં, રસી વિદેશોને આપી દેવાઈ તેના પોસ્ટર લાગ્યા તો ધરપકડ થઈ અને એફ.આઇ.આર. દાખલ કરવામાં આવી. સરકારો આજકાલ બહુ આળી થઈ ગઈ છે. સરકારનો વિરોધ કરી કરીને જ આજની સરકારો બની છે એ ભૂલવા જેવું નથી. એ વિરોધ જો દેશદ્રોહ હોય તો આજના બધાં શાસકો જેલમાં હોવા જોઈએ. સરકારનો વિરોધ દેશદ્રોહ નથી. સરકારો જો લોકશાહીમાં માનતી હોય તો રીસાઈ જવાનો આ એટિટ્યૂડ તેણે બદલવો ઘટે.

કોરોનાની રસી ન હતી ત્યારે તે આવે તેની રાહ જોવાતી હતી. રસી આવી ત્યારે પણ લોકો તે લેવા અંગે ઉદાસીન હતાં, પછી સરકારે ફોન પર, ટી.વી. પર, અખબારોમાં રસી એ જ એક માત્ર ઈલાજ છે એમ ચલાવ્યું. એમાં પહેલાં 60+ અને ડોક્ટર્સ, કોરોના વોરિયર્સને રસી આપવાનું શરૂ થયું. એ પૂરું થાય તે પહેલાં 45+ના એજ ગ્રૂપને, એ પતે તે પહેલાં 18+ને રસી આપવાની જાહેરાત થઈ. એનું રજિસ્ટ્રેશન પૂર જોશમાં ચાલ્યું. બીજી તરફ રસીકરણનો ઉત્સવ કરવાનું વડા પ્રધાને જાહેર કર્યું. આ બધું ચાલ્યું ત્યારે એ જોવાયું નહીં કે રસી છે કે નહીં? બધે રસી, રસી થઈ રહ્યું ને રસીનો દુકાળ પડ્યો. જુવાનિયાઓને કલાકો લાઇનમાં ઊભા રહ્યા પછી પણ રસી મળતી ન હતી. બીજી તરફ રસી મુકાવ ઝુંબેશ તો ચાલુ જ હતી. અમેરિકાથી, રશિયાથી રસીની વાતો આવતી રહેતી હતી પણ રસી અંતર્ધ્યાન હતી અને કોરોનાને કારણે લોકો તો મરતાં જ હતાં. વાવાઝોડું આવ્યું એ દરમિયાન રસીકરણ બંધ રહ્યું. કાલથી રસી આપવાનું વળી ચાલુ થયું છે, પણ તે દરિયામાં ખસખસ જેવું છે. આજની તારીખમાં પણ, કોઈ પણ ગ્રૂપમાં પૂરી રસી અપાઈ રહે એટલી રસી નથી. જો રસી નથી તો જુદા જુદા સમૂહને રસી મૂકવાની જાહેરાત મૂરખ જ બનાવે છે કે બીજું કૈં?

રસી નથી એની સ્પષ્ટતા કરવાને બદલે કઈ કઈ જગ્યાએથી કરોડો ડોઝ આવવાના છે એની જાહેરાતો થતી રહે છે. ગુજરાતમાં કોવેક્સિનના 3-4 મહિનામાં 2 કરોડ ડોઝ બનશે, તેમાંથી રાજ્યને 1 કરોડ ડોઝ મળશે કે દિવાળી સુધીમાં સેંકડો કરોડ ડોઝ રસીના મળશે એવી જાહેરાતો થાય છે, પણ આજે રસીની ખેંચ છે એવું કબૂલતાં સરકારને ક્યાં દુ:ખે છે તે નથી સમજાતું. આટલી તંગી છે તો દેશની દવા બનાવનારી કંપનીઓને ફોર્મ્યુલા આપીને રસી બનાવવાનું કહી શકાયને, પણ એ બાબતે ઓછું જ વિચારાય છે.

કમાલ તો એ છે કે બે ડોઝ વચ્ચેનો ગાળો પણ લંબાઈને 90 દિવસનો થઈ ગયો છે. જે રસીનો બીજો ડોઝ 28 દિવસમાં લેવાનો હતો તે 90 દિવસ લંબાયો તેમાં કારણ તો રસીની અછતનું લાગે છે. ભલે એમ તો એમ, પણ આ સમય દરમિયાન રસીની કોઈ અસર ન રહેવાની હોય તો આ લંબાવેલા સમયનો કોઈ અર્થ રહેશે ખરો? મીડિયા પણ 28ના 90 દિવસ થાય છે તો પૂછતું નથી કે આમ કરવાનું કારણ શું છે? 28નો ગાળો ખોટો છે કે 90નો કે બંને સાચા છે ને તે ક્લિનિકલી ઓકે છે કે રસીની અછતને કારણે છે તેની કોઈ વાતો બહાર આવતી નથી. કોઈ કહે છે 90 દિવસ, તો મીડિયા કહે છે 90 દિવસ. કોઈ સવાલ નહીં. આટલાં આજ્ઞાંકિત ને વફાદાર તો હવે કૂતરાં પણ રહ્યાં નથી, એનો નંબર હવે બીજો છે. પહેલા નંબર માટે ભક્તો અને મીડિયા વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે, જોઈએ કોણ જીતે છે તે –

0 0 0

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 મે 2021

Loading

લૂઝ કનેક્શન (13) : હાસ્ય અને રુદન

સુમન શાહ|Opinion - Opinion|21 May 2021

સુરેશ જોષીના એક કાવ્યની પંક્તિ છે : હસી શકે તો હસજે જરા વધુ : ‘સન્નિધાન’-ના તેમ જ ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે યોજેલા અભ્યાસ શિબિરોમાં મારું વ્યાખ્યાન સમ્પન્ન થાય પછી વિદ્યાર્થીઓ ઑટોગ્રાફ તો માગે જ પણ આગ્રહ કરે કે કશીક પંક્તિ લખી આપો. વીસેક વર્ષ થઈ ગયાં. ભાવનગર તો ગણ્યા ગણાય નહીં એટલા બધા કવિઓનું ગામ, મારે લખવું શું? હું ‘સુમન શાહ’ સહી કરતો ને અવતરણ ચિહ્ન સાથે લખી દેતો, “હસી શકે તો હસજે જરા વધુ”.

મને એવી જ પણ સામે છેડેની પંક્તિ રચવાનું મન થાય છે : રડી શકે તો રડજે જરા વધુ : કેમ કે સમ્બન્ધોમાં મને હાસ્યની જરૂરત વરતાય છે તેમ રુદનની પણ વરતાય છે.

મારી એવી સમજ છે કે બે સમ્બન્ધીનાં મન હાસ્યથી તેમ રુદનથી સ્વસ્થ રહે છે, કેળવાય છે. કનેક્ટેડ કેબલ્સ ચોખ્ખા અને મજબૂત થઈ જાય છે, તૂટી જવાનો ડર ટળે છે. બીજી રીતે કહું કે સમ્બન્ધમાં હાસ્ય અને રુદનને હું ઊંજણ ગણું છું – એક એવું ગ્રીઝ, એવું લુબ્રિકન્ટ, એવું ઑઇલ, જેથી સમ્બન્ધની સ્નિગ્ધતા – ચીકાશ – ભીનાશ જળવાઈ રહે છે, કાટ તો લાગતો જ નથી. સમ્બન્ધ ચિરંજીવી બની રહે છે.

એક વાર ભાવનગરની એક વિદ્યાર્થિનીએ પૂછ્યું : સર, હસી શકે તો – એવું કેમ કહ્યું છે? : મેં એને કહ્યું, તને યોગ્ય સવાલ થયો છે. જો, ખાસ સંજોગો ન હોય તો આપણે નથી હસતાં. ઘણી વાર તો બધાં હસે, પણ આપણને હસવું ન આવે, ખરું કે નહીં? : હા સર, એવું કેટલીયે વાર બને છે, મને તો એ બધાં મૂરખાં લાગે : પણ ક્યારેક એવું બનતું હશે કે બધાં ન હસતાં હોય, પણ તું હસતી હોય, બને છે? : હા સર, જરૂર બને છે : સમજવાનું એ છે કે કેટલીયે બાબતે આપણે નથી હસી શકતાં, પણ જો શકીએ, તો સુરેશ જોષીના કાવ્યની આ પંક્તિ એમ કહે છે કે – હસજે જરા વધુ. કેમ કે તે વખતનું એ હાસ્ય આપણું પોતાનું હોય છે, કીમતી હોય છે. એ હાસ્ય સહજ હોય છે, કેમ કે આપણે દેખાદેખીથી ન્હૉતાં હસ્યાં. એ હાસ્યને અટકાવવાનું નહીં, વધારવાનું, બરાબર? : હા સર, સમજાઈ ગયું, સરસ.

કોઈનું પણ મનોસ્વાસ્થ્ય બરાબર છે, એ કેમ જાણવું? પૂછવું કે દિવસમાં તમે હસ્યા ખરા? કેટલું? કેટલી વાર? બને છે એવું કે પત્ની હસમુખી, પતિ મૂજી. પતિ હસમુખો, પત્ની મૂજી. પોતે બોલકણો, મિત્ર મીંઢો. આમ તો આ વસ્તુ સ્વભાવગત છે. સ્વભાવે હસમુખને કે સ્વભાવે મૂંજીને, સ્વભાવે બોલકણાને કે મીંઢાને, બદલી ન શકાય, પણ શકાય તો શકવું. બને કે કોઇક વાર તો એ મૂંજી મલકાઈને હસી જ પડે. બને કે કોઇક વાર તો એ મીંઢો ચપચપ બોલવા માંડે ..

રસશાસ્ત્રીઓએ શૃંગાર રસને શ્રેષ્ઠ ગણ્યો છે – રસરાજ. પણ ભવભૂતિએ ‘એકો રસ: કરુણ’ – કહીને સૂચવ્યું છે કે રસ હોય તો એક જ છે, કરુણ. શૃંગાર વગેરે પણ કરુણનાં જ રૂપો છે, નિમિત્ત ભેદે એ જુદા લાગે છે – જેમ એક જ જળમાં ઊઠતા તરંગોને કારણે જળ ભિન્ન ભિન્ન ભાસે છે.

ભવભૂતિ અને વિશ્વનાથ જેવા કાવ્યાચાર્યો કરુણને સુખાત્મક પણ ગણે છે. વાત સાચી નથી? રંગમન્ચ પર પુત્રના અવસાનને કારણે શોકગ્રસ્ત માતાનું રુદન પ્રેક્ષકોને ‘સુન્દર’ અને ‘રસપ્રદ’ લાગે છે. કરુણનો આ રસ-પરક મહિમા મને ખૂબ ગમ્યો છે.

પણ પેઇનનો, એટલે કે કરુણનો, જીવન-પરક મહિમા નિત્શે કરે છે. લાઇફને એ બ્યુટિફુલ કહે છે. પણ કેમ, તો કહે છે – બીકૉઝ ઇટિઝ પેઇનફુલ.

પરન્તુ મારી દૃષ્ટિએ સૌથી મુશ્કેલ હાસ્યરસ છે. તમે ગમે તેટલું સરસ લખ્યું હોય પણ સામો માણસ હસી શકે જ નહીં તો? કોઈને સરળતાથી રડાવી શકાય એ શક્ય છે પણ કોઈને હસાવી શકાય એ મોટે ભાગે અઘરું છે. કેટલાક દાખલામાં તો ગલીપચી કરો તો પણ એ કામ નિષ્ફળ નીવડે છે. આપણે કરેલો જોક અફલાતૂન હોય પણ પેલો તો જેમનો તેમ, ટાઢો પથરો ! મરકે તો દોરા જેટલું. આપણે છોભીલા પડી જઈએ.

યાદ કરો, હસતાં મનુષ્યો આપણને ગમી ગયાં હોય છે. હસતા ચ્હૅરાની અકારણ યાદથી આપણે મલકી પડીએ છીએ. વર્ગમાં એવો વિદ્યાર્થી ભાગ્યે જ મળે જે વાતે વાતે હસતો હોય. ચાલુ વ્યાખ્યાનમાં વાત ભલે ને હળવી કે ગમ્ભીર હોય, અમારી એવી એક વિદ્યાર્થિનીને હસવું બહુ આવતું. તાકી નજરથી એને સૂચવી શકાતું કે સંભાળ … વિદેશમાં અમારાં એક બેન છે, બિન્દુ. પણ હસે એટલું બધું કે ‘બિન્દુ’ ન લાગે …

એક સત્ય આપણે સૌ સ્વીકારીશું કે એવાંઓનાં હાસ્ય નિર્દોષ હોય છે. ઉપરાન્ત, એ હાસ્યની એક જુદી હકારાત્મક અસર પણ થતી હોય છે. જરૂરી ન હોય છતાં કોઈ વાર અધ્યાપક એને હસવું આવે એવું ચાહીને બોલે છે. બધાંને એ હસતી સહ-વિદ્યાર્થિનીની ગેરહાજરી સાલતી હોય છે. વાત બહુ ગૂંચવાઈ હોય ને ટૉપિક ચેન્જ કરવાની જરૂર લાગતી હોય તો બધાં બોલી ઊઠે છે – અરે, બિન્દુબેનને બોલાવો, વાત તરત પતી જશે.

હાસ્ય ગામ્ભીર્યને ઑગાળી નાખે છે. એક કામચલાઉ પણ અતિ જરૂરી રીલિફ મળે છે. નહિતર સંભવ છે કે જીવનના કોયડાઓ આપણને મૂંઝવી મારે, કશાક ડેડ-એન્ડ પાસે આપણે બેસી પડીએ.

હા, એ ખરું કે હસી શકીએ એવા સંજોગો જીવનમાં સ્વલ્પ અને દુષ્કર હોય છે. સમજીએ તો ઘણુંક રુદનમય જ છે. પણ એટલે જ એનું એક આગવું મૂલ્ય છે. જરાક વિચારો કે કાયામાં રુદનની સગવડ જ ન હોત તો શું થાત …

આંસુવદનને જોઈને એમ ન કહી દેવાય કે – તું પોચટ છું, સૅન્ટિ છું. કોઈનાં આંસુ જોઈને દયા ન આવવી જોઈએ પણ વિશ્વાસ પડવો જોઈએ કે સાચકલું દિલ છે એની પાસે. વ્યક્તિને થવું જોઈએ કે હું અને મારી વાત એમાં ઠરી શકીશું, સમ્બન્ધાઈ શકાશે એની જોડે.

પ્રેમસમ્બન્ધ કે કોઈ પણ માનુષ્યિક સમ્બન્ધ રુદનથી, આક્રન્દથી, વિલાપથી પુરવાર થાય છે.

કોઈનાં આંસુ આપણને એના અને આપણા જીવનદુ:ખમાં સહભાગી થવાનું નિમન્ત્રણ આપે છે. એ તો ખરું જ પણ પ્રેમમય સહજીવન જીવ્યાં હોય એવાંઓની કરુણ જીવનકહાણી આપણને રસભીનાં કરી દે છે, ઘણું બળ પાય છે. મારી પાસે એવાં સમ્બન્ધી-જોડાંના દાખલા નથી, પણ સાહિત્યમાંથી તો ઘણા છે.

રામ વિલાપ કરે છે. તુલસીદાસના રામ વદતા હોય છે – હે ખગ મૃગ હે મધુકર શ્રેની, તુમ્હે દેખી સીતા મૃગનૈની?

કવિ કાલિદાસનો વિરહી યક્ષ જે કંઈ કહે છે એ બધું મેઘને જ કહે છે, પણ મારું મન્તવ્ય છે કે જોડેજોડે એ પોતાની જાતને પણ કહે છે. એને ભાન છે કે પ્રિયાએ બધી રાત્રિઓ સંતાપ અને આંસુથી ગાળી છે. મેઘને જણાવે છે કે મારું શરીર વિરહથી સુકાઈ ગયું છે એવું એના મનમાં મારું ચિત્ર આલેખતી હશે. વિયોગ અને દુઃખના સ્મરણથી આંસુ ઉભરાઈ આવ્યાં હશે. એ આંસુને લીધે એ ચિત્રાલેખન અધૂરું રહી ગયું હશે. એને પડતું મૂકીને એ કોઇ બીજા વિનોદમાં પ્રવૃત્ત થતી હશે. કહે છે, ચન્દ્રને જોતાંમાં જ એને આંસુ ઉભરાઈ આવે છે. એ ઉદ્રેકને છુપાવવા આંખો ઢાંકી દે છે, પણ પાંપણ દબાતાં આંસુ તો સરી પડે છે.

Pic courtesy : Pinterest — TRAGICOMEDIA

પોતાની સમગ્ર અવસ્થાને યક્ષ કરુણાજનક ગણે છે, એને એમ પણ થાય છે કે એથી વનદેવતાઓની આંખમાંથી, વૃક્ષોમાંથી, આંસુ સરે છે. એ આંસુને યક્ષે અને કાલિદાસે મોતી જેવાં કહ્યાં છે.

યક્ષનું આ અવર્ણિત આક્રન્દ છે. મન્દાક્રાન્તા છન્દનું ભાવવાહી અને એકધારું ગાન કરવાથી સમજાશે, મને તો હમેશાં સમજાયું છે. ‘મેઘદૂત’-ના પહેલા પહેલા રસાનુભવથી હું દ્રવી ગયો’તો. આંખ કિંચિત્ ભીની થઈ ગઈ’તી. જીવનના તળિયે સૂતેલી કરુણતાની સણક અનુભવાયેલી. મારા એ રસાનુભવમાં રસશાસ્ત્રીઓ ભલે ને ‘વિઘ્ન’ જોતા, ’દોષ’ જોતા …

ડૅસ્ડેમોનાએ બેવફાઈ કરી છે એ વાતે ધૂંવાંપૂંવા ઑથેલો એની હત્યા કરવાને તત્પર થઈ ગયો છે. એ પળે બોલે છે –

પુટ આઉટ ધ લાઈટ, ઍન્ડ ધેન પુટ આઉટ ધ લાઇટ.

આ દીવો બુઝાવી દઉં ને પછી આ દીવો – એટલે કે, ડૅસ્ડેમોનાનો જીવનદીપ. મીણબત્તી બુઝાવી દે છે ને ડૅસ્ડેમોનાની હત્યા કરે છે.

પરન્તુ મારું અર્થઘટન છે કે ઑથેલોનો એ નિશ્ચય દોદળો હતો કેમ કે હત્યા પ્રિય પત્નીની થવાની હતી ને એના પોતાના હાથે થવાની હતી. એ ઘડી જાતે વૉરી લીધેલા સમ્બન્ધનાશની ઘડી હતી. એનું અંતર તો રડતું’તું. એ બોલેલો પણ ખરો કે –

શૂડ આઈ રીપેન્ટ મી, બટ વન્સ પુટ આઉટ ધાય લાઇટ.

એની એ મનોયાતના જીવલેણ નીવડે છે, ઑથેલો આત્મહત્યા કરે છે. કરુણની એ અવધિ હતી. શેક્સપીયરે લખેલી ચાર ટ્રેજેડીમાં આ મને ઉત્તમ લાગી છે.

જે સ્ત્રી કે પુરુષ કદી રડે જ નહીં એને શું કહીએ? દુ:ખ પારાવારનું હોય તો રડાય પણ નહીં એ હું સમજું છું પણ ક્યારેક તો માણસને ઝળઝળિયાં આવે કે નહીં? કોઈનાં આંસુ જોઈને માણસ ઢીલું તો પડે કે નહીં? પ્રાણીઓ હસે છે કે રડે છે એની મને ખબર નથી, પણ બાજુના ફળિયાની ગાયની આંખો નીચે દ્રવ મેં ઘણી વાર દેખેલું. એ આંસુ હતાં કે કેમ, નથી ખબર, પણ એનું ભોડું પડી ગયેલું દેખાતું હતું … 

જો કે શું હાસ્ય કે રુદન, બન્ને વચ્ચેનો સમ્બન્ધ એક જ સિક્કાની બે બાજુ જેવો છે. ૧૯૬૬-થી ૭૨ દરમ્યાન કપડવણજમાં હું પ્રૉફેસર હતો. એક સહકાર્યકર મિત્રનું અવસાન થયેલું. એમની દીકરી રડતાંરડતાં બધી કથની ક્હૅતી’તી ને પિતાની ખાસિયતો યાદ કરતી’તી. પણ વાતમાં ને વાતમાં એક વળાંક પર એ હસી પડી. ગાલ પરનાં આંસુ સાથેનું એનું હાસ્ય જોઈ હું સ્તબ્ધ થઈ ગયેલો. મારી બા એમની બે દીકરીઓને ધ્યાનમાં રાખીને અવારનવાર બોલતી : મારી એક આંખ હસે છે ને બીજી રડે છે : કેમ કે નાનીની સરખામણીમાં મોટીનું ભાગ્ય ઘણું ઊંચું – આસમાને. બૅકેટે ‘વેઇટિન્ગ ફૉર ગોદો’ પર ટૅગ લગાડી છે – અ ટ્રેજીકૉમેડી. આપણી પ્રવર્તમાન જીવનશૈલીમાં કાં ટ્રેજેડી, કાં કૉમેડી, એવું બ્લૅક ઍન્ડ વ્હાઇટ નથી રહ્યું. નથી નરી ટ્રેજેડી, નથી નરી કૉમેડી. બૅકેટના એ નાટકમાં ટ્રેજેડી અને કૉમેડીની સદીઓ પુરાણી નાટ્યપરમ્પરાઓનું નિરસન થયું છે.

હાસ્ય અને રુદન વચ્ચે બહુ છેટું નથી, પાતળી રેખા છે. પડખે આ, તો પડખે આ. આપણે શકીએ તો બન્નેમાં આવ-જા કરી શકીએ …

= = =

(May 21, 2021: USA)

Loading

...102030...1,8831,8841,8851,886...1,8901,9001,910...

Search by

Opinion

  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved