Opinion Magazine
Number of visits: 9677555
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્ત્રી-પુરુષ સંસાર રથના ચક્ર(મો) છે ?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2021

હાસ્યલેખ

આદમે પાંસળીમાંથી આનંદ માટે ઈવ સર્જી ત્યારથી સ્ત્રી અને પુરુષ વર્ગ ઊભો થવાની શરૂઆત થઈ, એવું તમારે ન માનવું હોય તો તમારી મરજી, પણ પાંસળીમાંથી સ્ત્રી સર્જાઈ ને ત્યારથી પુરુષની પાંસળીઓ તૂટતી રહી છે, એમ માનવાનું ભાગ્યે જ કોઈ પુરુષ નકારશે. પહેલી કહેવત તો બૂધે નાર પાંસળી જ હતી, પણ પછી અપભ્રંશ ને સ્મૃતિભ્રંશ થતાં પુરુષને અન્યાય કરવા ‘બૂધે નાર પાંસરી’નું ચલણ વધ્યું. સુરતીઓ બુધે ને બદલે બુઢે જ બોલે છે, તેનો વળી જુદો જ અ(ન)ર્થ થાય છે.

એક સવાલ ને ચિંતા સાથે સાથે થાય છે કે સ્ત્રી ન હોત તો પુરુષ શું કાચું ખાતે? એનો જવાબ છે કે સ્ત્રી ન હોત તો પુરુષ પણ ન હોત. તો સારું જ હતું ને ! આમ સાથે હોવાથી શું સ્વર્ગ મળી ગયું? નરક જીવવું એના કરતાં ન હોવું બહેતર છે. આવું ઘણાને લાગે છે, તો પણ નરક છોડવા કોઈ રાજી નથી, કારણ  જેવું છે તેવું નરક છે તો ખરું. સ્વર્ગની તો કોઈ ગેરંટી જ ક્યાં છે? જે દેવતાઓ સ્વર્ગમાં હોવાનું કહેવાય છે તે પણ દેવીઓ સાથે રહે છે એ ભૂલવા જેવું નથી. જો સ્વર્ગમાં દેવીઓ સાથે દેવતાઓ રહે છે ને એમને દેવતા મૂકાઈ ગયા જેવું નથી લાગતું તો પૃથ્વી પર સ્ત્રી સાથે રહેવાથી કોઈ ગરાસ લૂંટાઈ જતો નથી એટલું નક્કી છે. રહી વાત કાચું ખાવાની, તો એ ખરું કે સ્ત્રી વગર પુરુષે કાચું ન ખાધું હોત, મતલબ કે ખાધું જ ન હોત. સ્ત્રીને કારણે પુરુષની હોજરી ભરાઈ છે ને તે બધે હાજરી પૂરતો ને પુરાવતો થયો છે તે ભૂલવા જેવું નથી. 

એક જમાનો હતો જ્યારે સ્ત્રી અબળા કહેવાતી, પણ તેથી રાજી થવાની જરૂર નથી, પુરુષો પણ નબળા કહેવાયા જ છે. 'નબળો માટી બૈરી પર શૂરો', તે એમ જ કહેવાયું નથી. ‘નારી તેરી યહી કહાની …’ કે  ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય,’ ‘દીકરી તો પારકી થાપણ કહેવાય,’ ને દીકરીની સાથે ‘ઠીકરી’નો પ્રાસ બેસાડીને કવિઓએ ચિત્ર એવું ઊભું કર્યું છે કે સ્ત્રી તો જન્મે ત્યારથી જ દુખિયારી હોય છે, પણ આવો ફેલાવો કરવામાં કેટલાક પુરસ્કાર ઈચ્છુક કવિઓનો ફાળો વધારે છે. કેટલાક કવિઓ સ્ત્રૈણ હોય છે એટલે હવે કવિ નહિ, પુરુષ કવિ ને કેટલીક કવયિત્રીઓ સાવ ભાયડા છાપ હોય છે એટલે તેને જુદી પાડવા સ્ત્રી કવયિત્રીઓનાં નામનું સ્ટીકર ચોંટાડવું પડે છે. 

એ વાત સાચી છે કે સમાજ આજે પણ પિતૃસત્તાક રહ્યો છે એટલે સ્ત્રીઓ જનમ જનમથી દુ:ખી રહી છે ને પુરુષ જનમ જનમથી સુખી રહ્યો છે. જોવાની ખૂબી એ છે કે આમ છતાં મૃત્યુનું પ્રમાણ પુરુષોમાં વધુ રહ્યું છે. લાલ કે કાળું લૂગડું સ્ત્રીને જ વધારે પહેરવાનું આવ્યું છે ને વકીલોને બાદ કરતાં પુરુષ ભાગ્યે જ કાળા ડગલામાં દેખાય છે. એ પણ સાચું છે કે દાદાગીરી તો પુરુષ જ કરતો આવ્યો છે, છતાં એ પણ હકીકત છે કે અક્કલનું કે મિલકતનું દેવાળું પુરુષે જ ફૂંક્યું છે. કોઈ સ્ત્રીએ દેવાળું કાઢ્યાનું મારી જાણમાં નથી. આધુનિક સ્ત્રીઓ દેવાળું કાઢતી નથી, પણ તે બેંકોને કે પેઢીઓને ઉઠાડી કે સૂવડાવી મૂકવાની ક્ષમતા ધરાવે છે. વેઇટ લિફ્ટિંગ હવે સ્ત્રીઓ જાહેરમાં કરતી થઇ છે. જે શિવધનુષથી સીતા ઘોડો ઘોડો રમતી હતી તે ધનુષ સ્વયંવરમાં રાવણથી ઊંચકાયું નો’તું. આજે પોતાની (પોતાની જ) પત્ની, પતિ જોગવી શકતો નથી, એની સામે દ્રૌપદી પાંચ પતિઓને જોગવી શકતી હતી તો કેવી રીતે કહેવાય કે સ્ત્રીઓ અબળા છે? હવે સ્ત્રીઓ પુરુષનો ભાર ઉઠાવી શકે છે ને ઊંચક્યા વગર પુરુષને 'ઉઠાવી' પણ શકે છે. સ્ત્રી પુરુષને ઊંચકી પણ નાખે છે ને જરૂર પડ્યે ખભો પણ આપી શકે છે. આ બધું પણ સ્ત્રી અને પુરુષ સાથે હોવાને કારણે જ શક્ય છે. એકલો પુરુષ  ભાજી વગરના પાઉં જેવો છે ને એકલી સ્ત્રી ભાત વગરની દાળ જેવી છે.

એક સમય હતો જ્યારે પુરુષ દારુ પીને સ્ત્રીને મારતો હતો. તેમાં ભાગ દારુ ભજવતો હતો, જ્યારે આજે વગર દારૂ પીધે જ સ્ત્રી, કચરો હોય તેમ પુરુષને ગજવેથી વાળીઝૂડીને સાફ કરી નાખે છે ને વખત આવે તો પતિને પતાવી કે પટાવી પણ શકે છે. એટલે પુરુષ બાવડાં ફૂલાવીને ભલે ફર્યા કરતો હોય પણ સ્ત્રી શક્તિથી સશકતીકરણ સુધી આવી છે તે ભૂલવા જેવું નથી.

એક સમય હતો જ્યારે પરિણીત સ્ત્રી ચૂપ રહેતી, હવે પુરુષ ચૂપ થયો છે, તે એક પ્રકારનું પ્રાયશ્ચિત જ છે. બોલીને બગાડવું તેના કરતાં ચૂપ મરી રહેવું વધારે સારું એ વાત પરિણીત પુરુષ સમજી ગયો છે. અપરિણીત હતો ત્યાં સુધી પુરુષનો સિદ્ધાંત – બોલે તેનાં બોર વેચાય-નો હતો તે પરણ્યાં પછી – ન બોલ્યાંમાં નવ ગુણ-માં પરિણમે છે. આ ક્રમ પરિણીત સ્ત્રીમાં ઉલટાવાઈ જાય છે. તે એટલું બોલે છે કે પુરુષે પૂર્ણવિરામ મૂકવા તરફડવું પડે. એ જ કારણે ઘણા પુરુષોએ કાનથી આપઘાત કર્યા છે. સ્ત્રી શક્તિ છે, તે ભાગ્યે જ આપઘાત કરે છે, બલકે કરાવતી હોય તો નવાઈ નહીં !

એ સાચું છે કે સ્ત્રી સુધરી હોય કે ના સુધરી હોય, પણ સ્ત્રીઓની સ્થિતિ સુધરી છે તે નિર્વિવાદ છે, તેમાં ય કાયદાઓ સ્ત્રીની ફેવર કરતા થયા છે ત્યારથી સ્ત્રીઓ પુરુષોની ફેવર ઓછી જ કરતી થઇ છે. એક સમય હતો જ્યારે દીકરીઓને માબાપ ગાયની જેમ ગમે તેને ખૂંટે બાંધી દેતાં, હવે ખૂંટો દીકરી જાતે પસંદ કરે છે ને ના ફાવે તો ખૂંટો છોડાવી પણ દે છે. હવે તે છેડો મૂકતી નથી, છેડો જ છૂટો મૂકી દે છે. પુરુષ ડરાવતો હતો તે હવે ડરતો થયો છે. ઘરની વહુ એક ફોન પોલીસને કરે તો સાસરું એકવાર તો સળિયા પાછળ ધકેલાઈ જ જાય છે, ભલે પછી સાસરું નિર્દોષ હોય ! ઘરમાં પતિથી ડરતી પત્ની તેની ઓફિસમાં હાથ નીચેના પુરુષોને હાથપગ જોડાવે છે. બોસ જો સ્ત્રી હોય તો કર્મચારીઓ, કામચોરીઓ કરી શકતા નથી, કારણ 'કામ' માંથી જ કોઈ ઊંચું આવતું નથી.

આમ છતાં પુરુષને સરવાળે ઓછો જ અન્યાય થાય છે ને સ્ત્રીને બાદબાકીએ વધારે જ અન્યાય થાય છે. જેમ કે ઘરમાં ચા સ્ત્રી બનાવે છે, પણ હોટેલમાં ચા પુરુષ બનાવે છે. લારી પર કોઈ સ્ત્રી કપ રકાબી ખખડાવતી હોત તો દેશ આટલો ખખડી ગયો ના હોત. ઘરમાં લાડુ – ગાંઠિયા સ્ત્રી બનાવે છે, પણ રસોઈયાઓ પુરુષો છે, કપડાં સ્ત્રી ધૂએ છે, પણ લોન્ડ્રી પુરુષની હોય છે. બહાર હજારોની રસોઈ કરતો રસોઈયો, બૈરી-છોકરાંને ઢોકળાં ય બાફી આપે છે કે? ઘરમાં રાંધવાનું તો બૈરીએ જ ! આવું કેમ?

સમજાવું. કામ કોઈ પણ હોય, પણ જેમાંથી કમાણી થાય છે એ બધાં કામ પુરુષે પોતાની પાસે રાખ્યાં છે ને જે ચા, પાણી લૂગડાંથી કમ્મર ને તમ્મર બેનાં જ લાભ મળતાં હોય એ કામ, 'તું તો ગૃહલક્ષ્મી છે, નારાયણી છે,’ કહીને સ્ત્રીને પકડાવેલાં છે, આમાં પુરુષની બદમાશી જ કામ કરે છે. જો કે, સ્ત્રીઓ પણ હવે પાકી રાયણ થઇ ગઈ છે. તે પણ પતિ તો, ‘બહુ જ કમાય,’ કહીને પતિને પટાવે છે, પેટાવે છે ને સામે આંખો ય પટપટાવે છે. પરિણામ એ આવે છે કે એ પણ સેકન્ડ, ફોર્થ સેટરડેએ માસ સી.એલ. મૂકી દે છે. લગભગ બધાં શહેરોમાં શનિ-રવિની રાતે ઘરમાં તો કોઈ જમતું જ નથી. ડોસા બપોરનું ખાઈ લે છે ને બાકીનાં ઢોસા ઝાપટીને કેલેન્ડરનું પાનું ફેરવી નાખે છે.

લગ્ન સંસ્થાઓ ભગ્ન સંસ્થાઓ થઇ ગઈ છે. પતિ-પત્ની સંસાર રથના ચક્રો કહેવાતાં, હવે,ચક્ર્મો કહેવાય છે. લગ્ન એટલે પ્રભુતામાં પગલાં પાડવાં – એવું કહેવાતું, હવે – લઘુતામાં પગલાં પાડવાં – એવું કહેવાય છે. પારકી થાપણો હવે પારકી સાપણો કહેવાય છે. પુરુષ ઘોડી ચડે ત્યારે દેખાય છે એટલો વરવો ક્યારે ય દેખાતો નથી.ને સ્ત્રી ક્યારે ભૂંડી દેખાય છે,ખબર છે?

ક્યારે ય નહીં!

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

મહાદેવભાઈ અને વૉરેન બફેટ

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|17 June 2021

ઉચ્ચ શિક્ષણની એક સંસ્થામાં અનિકેત અને કમલ અધ્યાપક તરીકે સાથે નોકરી કરે. બંનેની વિદ્યાશાખા જુદી. અનિકેત વિનયન અને કમલ વાણિજ્ય વિદ્યાશાખામાં ભણાવે. ટી બ્રેક કે લંચ બ્રેકમાં સાંપ્રત પ્રવાહોની ચર્ચા થાય. કમલ વોટ્‌સએપ દ્વારા સંચિત સમજ-ગેરસમજને ગુજરાતી અંગ્રેજી મિશ્રિત બોલીમાં ઠાલવે. એને શૅરબજારમાં રસ પડે એટલો બીજી વાતમાં ન પડે. ઑન સ્ક્રીન માર્કેટમાં ફરી વળતા કમલ પાસે ‘ધેટ્‌સ ઇટ ! ઓકે’ ને ‘યા યા !’ના છમકારવાળું મસાલેદાર શબ્દભંડોળ. અનિકેત સૂતરના તાંતણે સમજણનો સેતુ રચ્યા કરે.

એક વખત બન્યું એમ કે ગાંધીજી અને મહાદેવભાઈ દેસાઈની વાત નીકળી. કમલે અત્યંત સહજતાથી કહ્યું, ‘આઈ ડૉન્ટ નો અબાઉટ મહાદેવભાઈ’. બી.કોમ સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા પીએચ.ડી. પદવીધારી અધ્યાપકને મહાદેવભાઈ વિશે તદ્દન અજ્ઞાન પ્રગટ કરતો જોઈ અનિકેતે મહા આશ્ચર્ય વ્યક્ત કર્યું . જવાબમાં કમલે કહ્યું, ‘સો વ્હૉટ ? ડુ યુ નો અબાઉટ વૉરેન બફેટ ?’ આ સવાલ કરતી વખતે વર્તમાનવિશ્વના મહાન ધનવાન વિશે પોતે અનિકેત કરતાં કંઈક વધારે જાણે છે, એવો ગર્વિષ્ઠ ભાવ કમલના ચહેરા પર તરી આવ્યો.

અનિકેતને કમલની સજ્જતા અને સમજ વિશે સહેજ પણ શંકા નહોતી. તેણે ધીમે રહીને કમલને કહ્યું કે વૉરેન બફેટ વિશે મને તમારા જેટલી જાણકારી નથી પણ એક મહત્ત્વની વાત છે, કદાચ તમને ખબર ના પણ હોય.

કમલના કાન સરવા થયા. અનિકેતની જાણકારી વિશે એને ઊંડે-ઊંડે આદર ખરો.

અનિકેતે વૉરેન વિશે કમલને કહ્યું, ‘સાંભળો સાહેબ ! વૉરેન બફેટનો જન્મ નહોતો થયો ત્યારની વાત છે. વૉરેન હજી ગર્ભસ્થ હતા. માતાના ઉદરમાં ઊછરી રહેલા શિશુમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કાર આવે એવા ઉમદા આશયથી તેમના માટે પિતાએ ભારતના પ્રવાસનું આયોજન કર્યું.’

અનિકેતની આ વાત કમલ માટે સાવ નવીનક્કોર હતી. તેણે સરવા કાને સાંભળવાનું ચાલુ રાખ્યું. અનિકેતે આગળ ચલાવ્યુંઃ ‘ગર્ભસ્થ શિશુના સંસ્કારઘડતર માટે જાગૃત બફેટદંપતીને તેમના ડૉક્ટરે ‘આ દિવસોમાં’ લાંબો પ્રવાસ કરવાની ના પાડી છતાં ડૉક્ટરની સલાહને ગણકાર્યા વગર તેઓ તીર્થભૂમિ ભારતમાં પધાર્યા. સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. અમદાવાદથી ભાવનગર તરફ પ્રયાણ કર્યું. ધંધુકાથી સત્યાવીસ કિલોમીટર જેટલા અંતરે વૉરેનની માતાને દુખાવો ઉપડ્યો. ગાડી ઊભી રાખી. ગુજરાતી ડ્રાઇવરે હાઈવે પર ઊભેલા માણસને ડૉકટર કે હૉસ્પિટલ વિશે પૂછ્યું. પરિસ્થિતિ પામી ગયેલા ઠીક-ઠીક જાણકાર એ માણસે કહ્યું, ‘અહીંથી ડાબી બાજુ સાત કિલોમીટર જતાં નાવડા નામનું ગામ આવે છે. ત્યાં ગીતાબહેન નામનાં દાયણ રહે છે. ત્યાં જાવ. કામ થઈ જશે. કરો ફતેહ.’

કમલને આશ્ચર્યમાં ગરકાવ જોઈ અનિકેતે સમાપન કર્યું, ‘સુવાવડ સફળ રહી. વૉરેન બફેટનો જન્મ નાવડામાં થયો. તેમની નાગરિકતા આજે પણ ભારતની છે.’

કમલ માટે આ માહિતી અપૂર્વ હતી. કદાચ કોઈ સેમિનાર કે જ્ઞાનસત્રમાં કામ આવે તેમ સમજી તરત વિગતો વોટ્‌સએપ કરવા અનિકેતને કહ્યું અને ઉમેર્યું’, બૉસ ! સેલ્યુટ “યાર, તમારા નૉલેજ માટે.”

અનિકેતને જરા પણ નવાઈ ના લાગી. બેહોશ પણ ના થયો. અસત્ય ઘટના આધારિત આ સત્યઘટના વાંચી કે સાંભળીને ગૂગલ સર્ચ કરશો નહીં.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 15

Loading

અસ્થિઓ : જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી ધર્મનાં, દેહ પડે પછી ધર્મનિરપેક્ષ

બીરેન કોઠારી|Opinion - Opinion|17 June 2021

કપરા સમયમાં વ્યક્તિનું, સંસ્થાનું કે શાસનનું સૌથી વરવું કે સૌથી માનવીય સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવર્તમાન મહામારીમાં આવાં અનેક ઉદાહરણો જોવા મળી રહ્યાં છે, અને હજી મળતાં રહેશે. કેમ કે, મહામારીનો કપરો સમય હજી પૂરો થયો નથી. કંઈ કેટલા ય વ્યવસાય અને વ્યાવસાયિકોને વિપરીત અસર થઈ છે, જેનો અંદાજ મેળવવો અઘરો છે. એવે વખતે પ્રજ્ઞા અખિલેશે એક ચોક્કસ વ્યવસાયના લોકો પરની અસર વિશે ધ્યાન દોર્યું છે. પ્રજ્ઞા અખિલેશ દિલ્હીસ્થિત ‘ભીમ સફાઈ ટ્રેડ યુનિયન’નાં રાષ્ટ્રીય સેક્રેટરી અને ‘આર.આર.આઈ.’(રિહેબિલિટેશન રિસર્ચ ઇનિશિયેટિવ)નાં કન્વીનર છે. સફાઈ-કર્મચારીઓના વિવિધ મુદ્દે તેઓ અવાજ ઉઠાવતાં રહ્યાં છે, લખતાં રહ્યાં છે અને વાત પણ કરતાં રહ્યાં છે. આ કારણે તેમને ઉપહાસપૂર્વક અપાયેલું વિશેષણ ‘ટૉઇલેટ વુમન ઑફ ઇન્ડિયા’ હવે તો તેમની આગવી ઓળખ બની ગયું છે. તાજેતરના એક લેખમાં તેમણે મૃતકોનાં હાડકાં એકઠાં કરતા લોકો વિશે વાત કરી છે.

સામાન્ય રીતે આવા વ્યવસાય સુગાળવા હોય છે. એટલે કે સૂગ એ વ્યવસાય અંગે નહીં, પણ તેના વિશે વાત કરવા અંગેની હોય છે. મૃતકોનાં અસ્થિને એકઠાં કરીને કૅલ્શિયમ બનાવતાં કારખાનાંને પહોંચાડવાનો આખો ઉદ્યોગ અસ્તિત્ત્વમાં છે. તેમને અસ્થિ વેચવા પર પ્રતિબંધ છે, આમ છતાં આ પ્રવૃત્તિ બરાબર ચાલી રહી હોવાનું પ્રજ્ઞાએ જણાવ્યું છે. આ આખા વ્યવસાયમાં સૌથી નીચેની પાયરી પર અસ્થિ વીણનારા હોય છે. તેમનું કામ દેખીતી રીતે ગંદકીયુક્ત, ગેરકાનૂની અને ઘણે અંશે ગુપ્ત હોય છે. સૌથી વધુ જોખમ તેઓ જ ઉઠાવતા હોય છે. આ વ્યવસાય તેમની આજીવિકા સાથે એ હદે સંકળાઈ ચૂક્યો છે કે એમને માટે એ છોડવો મુશ્કેલ છે. આ પ્રકારનો વ્યવસાય કરતા દરેક કર્મચારીની એ વ્યથા હોય છે કે આમાં તે નથી સ્વેચ્છાએ પ્રવેશતો કે નથી સ્વેચ્છાએ નીકળી શકતો. આવા વ્યવસાયમાંથી તે નીકળી જાય, તો તેને બીજું ‘સ્વચ્છ’ કામ કોણ આપે એ મોટો સવાલ હોય છે.

મહામારીની અસર તળે ઠેરઠેર સામૂહિક અગ્નિદાહ તેમ જ દફનવિધિ થઈ રહી છે. સ્મશાનભૂમિ કે કબ્રસ્તાન તરીકે ઉપયોગમાં લેવાતાં પરંપરાગત સ્થળો ઉપરાંત બીજાં અનેક સ્થળો આ કામ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે. કોવિડની બીજી લહેરમાં એક મોટો વર્ગ આજીવિકાના સ્રોત તરીકે આ કાર્ય સાથે સંકળાતો થયો છે. અલબત્ત, આ નાના વ્યાવસાયિકોનો ગેરલાભ લઈને તેમનું શોષણ થવા લાગ્યું છે. અંતિમ વિધિનાં કેટલાં ય સ્થળો પર સ્થાનિક ગુંડાઓનું વર્ચસ્વ છે, જે અસ્થિ એકઠાં કરનાર પાસેથી અસ્થિ ખરીદે છે અને જરૂરતમંદ તબીબી કૉલેજ, ફૅક્ટરીઓ સુધી તેને પહોંચાડે છે.

આ વ્યવસાયમાં પહેલેથી સક્રિય હોય એવા લોકોએ કૅલ્શિયમ ફૅક્ટરી સુધી અસ્થિઓ પહોંચાડવાની શૃંખલા ગોઠવેલી છે. કેટલાક લોકોએ વિદેશી વેપારીઓ સાથે સંપર્ક કેળવેલા છે અને સીધા તેમને એ પહોંચાડે છે. લૉકડાઉન દરમિયાન અસ્થિના વેપારીઓ પોતાના એજન્ટોને બારોબાર અંતિમ વિધિનાં સ્થળે મોકલી રહ્યા છે, જેમનું કામ મૃતકના અવશેષોમાંથી અસ્થિ વીણવાનું છે.

પ્રજ્ઞા અખિલેશે આ કામ સાથે સંકળાયેલા વિવિધ લોકોને મળીને તેમની કાર્યપદ્ધતિ વિશે અને તેમની મજબૂરી વિશે લખ્યું છે. એવું નથી કે આ સ્થિતિ કોઈ એકલદોકલ સ્થળ કે રાજ્યમાં હોય. વિવિધ રાજ્યોમાં અનેક સ્થળોએ આ ચલણમાં છે.

કોવિડના કાળમાં માનવ-અસ્થિઓ સહેલાઈથી ઉપલબ્ધ બનવા લાગ્યાં છે. સ્મશાનમાંથી અસ્થિ વીણવામાં આવે છે, એમ કબ્રસ્તાનમાંથી પણ એ કરવામાં આવે છે. કેમ કે, અસ્થિઓ જીવિત માનવદેહમાં હોય ત્યાં સુધી જ કોઈ ચોક્કસ ધર્મનાં ગણાય છે. દેહ પડે એ પછી તેમાંનાં અસ્થિઓ ધર્મનિરપેક્ષ બની જાય છે. કૅલ્શિયમની ફૅક્ટરીના કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાતાં વિવિધ ધર્મના મૃતદેહોનાં અસ્થિઓ આખરે ભૂકો થઈને એકમેકમાં ભળી જાય છે અને ફરી એક વાર વિવિધ ઉત્પાદનોના સ્વરૂપે વિવિધ ધર્મના ગ્રાહકો સુધી પહોંચે છે.

અસ્થિની માંગ ખૂબ હોય છે અને તેમાં પ્રાણીઓનાં અસ્થિનો સમાવેશ પણ થાય છે. સામાન્ય સંજોગોમાં પ્રાણીઓનાં અસ્થિ મેળવવાં સહેલાં હોય છે. અલબત્ત, ‘ગૌરક્ષક’ નામની પ્રજાતિના વધેલા ઉપદ્રવ પછી તેમનું કામ પણ મુશ્કેલ બની રહ્યું છે. આમ છતાં, અલબત્ત, પ્રાણીઓનાં અસ્થિ એકઠાં કરવાનું કામ અમુક જાતિવિશેષ પૂરતું સીમિત છે. આ કામ સાથે સંકળાયેલા ઘણા લોકો લૅન્ડફિલ તરીકે ઓળખાતા ઘન કચરો ઠાલવવાના સ્થળે ઊભેલા કચરાના ઢગમાંથી પશુઓના અવશેષો વીણતા હોય છે. સામિષાહારીઓ દ્વારા ફેંકી દેવાયેલા વધ્યાઘટ્યા ખોરાકને તેઓ ફેંદતા રહે છે. મજબૂરીવશ તેમણે એ જ અવશેષો થકી પેટ ભરવાનો વારો આવે એવા સંજોગો હાલ ઊભા થયેલા છે.

આ વ્યવસાય, તેની સાથે સંકળાયેલા લોકોની વાત કદાચ સુરુચિપૂર્ણ ન લાગે, છતાં કઠોર વાસ્તવિકતાને શી રીતે અવગણવી? મૃતદેહોનાં અસ્થિ એકઠાં કરવાનું કામ હોય કે માનવમળનું વહન કરવાનું કાર્ય, આ કોઈ કામ એવું નથી કે વ્યક્તિ સ્વેચ્છાએ કરે.

વળતરની દૃષ્ટિએ આ વ્યવસાય જરા ય યોગ્ય નથી. આરોગ્યનું સૌથી મોટું જોખમ તેની સાથે સીધેસીધું સંકળાયેલું હોય છે. માનવીય ગરિમા જેવો શબ્દ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સાવ અજાણ્યો હોય છે. આમ છતાં ચોક્કસ જ્ઞાતિના હોવાથી આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એમાંથી બહાર નીકળી શકતા નથી. સામાજિક સમાનતા કેટલી સદીઓ સુધી સ્વપ્ન સમાન રહેશે ?

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2021; પૃ. 14

Loading

...102030...1,8831,8841,8851,886...1,8901,9001,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved