Opinion Magazine
Number of visits: 9676912
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આવા શિક્ષકોને કારણે ઊજળી છે …

રવીન્દ્ર પારેખ|Samantar Gujarat - Samantar|18 June 2021

15 જૂન, 2021ના “ધબકાર”માં બીજે પાને એક ફોટો છપાયો છે. એની નીચે શેરીમાં ત્રણ શિક્ષકો બાળકોને શાળાપ્રવેશ માટે વાલીઓને સમજાવી રહ્યા છે – એવું લખાણ છે. એ વાંચીને સવાલ એ થયો કે શિક્ષકોએ આ કામ કઈ ખુશીમાં કર્યું? તપાસ કરતાં ખબર પડી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી દામોદર હરિ ચાફેકર શાળા નંબર 222ના મુખ્ય શિક્ષક ચંદ્રશેખર નિકમનું એ સાહસ હતું. ચંદ્રશેખર નિકમ ચીકુવાડી વિસ્તારમાં રહે છે અને એમની શાળા પાંડેસરા વિસ્તારમાં છે. સ્કૂલનું નવું સત્ર શરૂ થયું એ ગાળામાં 11 જૂનથી ચંદ્રશેખર નિકમ સવારે 8 વાગે ચંદ્રકાંત જાધવ અને સંજય સાવંતને લઈને ક્રિષ્ના નગર, અંબિકા નગર, આવિર્ભાવ સોસાયટી જેવા વિસ્તારોમાં નીકળી પડે છે. 8 વાગે એટલા માટે કે મોડું થાય તો વાલીઓ કામ પર નીકળી જાય ને સંપર્ક મુશ્કેલ બને. વાલીઓને તેમનાં સંતાનો મરાઠી માધ્યમની શાળામાં પ્રવેશ મેળવે તે માટે સમજાવાય છે. એને માટે શિક્ષકોની ટીમ ઘરે ઘરે પેમ્ફલેટ વહેંચે છે ને માઈકમાં પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવાથી કયા લાભ છે તે કહે છે, એ સાથે જ નાગસેન નગર અને તેની આસપાસના વિસ્તારમાં 222 અને 255 નંબરની શાળા આવેલી છે તેનો ખ્યાલ પણ અપાય છે ને સૂચવાય છે કે આ શાળામાં તો વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે જ, પણ બીજા વિસ્તારોમાં રહેતા હોય તેઓ પણ તેમની નજીકની સ્કૂલોમાં પ્રવેશ મેળવે, પણ શિક્ષણથી વંચિત ન રહે.

વિદ્યાર્થી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે તો તેણે ફી તો ભરવાની નથી જ, ઉપરથી વર્ષે તેને 1,100 રૂપિયા સ્કોલરશિપ મળે તે નફામાં. સ્કૂલોમાં અત્યારે મધ્યાહ્ન ભોજનને વિકલ્પે ઘઉં ને ચોખા ચોક્કસ સમય ગાળામાં આપવામાં આવે છે તે બીજો લાભ … આવી ઘણી માહિતી આચાર્ય નિકમ અને તેમનાં સાથી શિક્ષકો આપતા રહે છે. નિકમ સાહેબનો ઉદ્દેશ વધારે વિદ્યાર્થીઓ એમની શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણથી વંચિત ન રહે એ છે. વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓને સમજાવવાના પ્રયત્નો સાહેબે અગાઉ પણ કર્યા જ છે, એટલું જ નહીં, કોરોના નિમિત્તે લોકોને રસી લેવા સમજાવવાનું ને ફંડ ઊભું કરીને અનાજ, તેલ જેવી સામગ્રી ઘરે ઘરે પહોંચાડવાનું કામ પણ કર્યું છે. આ ઉપરાંત વર્ગ શિક્ષણ કે ઓનલાઈન શિક્ષણને વધુ સજીવ બનાવવાના પ્રયત્નો પણ નિકમ તેમની સ્કૂલમાં કરતાં રહે છે. એક તરફ શિક્ષકો, વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળામાં પ્રવેશ લે તે માટે પ્રયત્નો કરે છે તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી પ્રાથમિક શાળા નં. 334 અને પ્રમુખસ્વામી મહારાજ પ્રાથમિક શાળા નં. 346માં 1,600 જગ્યાઓ માટે 3,500 અરજીઓ આવી છે. ત્રણ વર્ષથી અહીં પ્રવેશ માટે ધસારો થાય છે. આમ થવાનું કારણ અહીં અપાતું શિક્ષણ છે. સવારની પાળીના આચાર્યા રમા પદ્માણીએ કહ્યું કે પહેલું વર્ષ હતું ત્યારે વિદ્યાર્થીઓને શોધવા જવું પડતું હતું, પણ હવે પ્રવેશ માટે એટલો ધસારો છે કે ડ્રો કરીને પ્રવેશ આપવો પડે છે. આમ થવાનું કારણ આપતા ચેતન હીરપરા કહે છે કે અહીનું શિક્ષણ સારું હોવા ઉપરાંત મોટું ગ્રાઉન્ડ, લાઈબ્રેરી, રમત-ગમતનાં સાધનો જેવી ઉત્તમ સુવિધાઓ પણ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 15 સભ્યોની સમિતિની ચૂંટણી આવી રહી છે એમાં શાસક પક્ષ વધારે સીટો કેવી રીતે કબજે કરાય એના દાખલા ગણવામાં પડ્યો છે, વિપક્ષ પણ ફાળે આવેલી બે સીટો પર નજર માંડીને બેઠો છે. એ બધાં ચૂંટણી જીતશે ને સમિતિ ચમત્કારો કરશે એવું લોકો તો ખાસ માનતા નથી. એ બધાં જાણે છે કે સરકારમાં કે સંસ્થાઓમાં સમિતિઓ કામ ન કરવા જ બનતી હોય છે અને કદાચ કોઈ કામ થાય પણ, તો તે ન થયા બરાબર જ હોય છે. આમ પણ સમિતિ ને પ્રાથમિક શિક્ષણ વગોવાઈ ચૂક્યાં છે ત્યારે સમિતિની સ્કૂલોમાં શિક્ષણ સુધરે અને ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવવાનો મોહ છોડીને સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે એ માટે નિકમ જેવા આચાર્ય ને તેમનાં શિક્ષકો ગલીએ ગલીએ ફરે એ સુખદ આશ્ચર્ય જ છે. આ મામલામાં સમિતિ પોતે તો નિષ્ક્રિય છે ને તેણે આ બધું કરવાનો શિક્ષકોને આદેશ આપ્યો છે એવું પણ નથી, તો કેમ આ શિક્ષકો ઘરે બેસીને પગાર ગણવાને બદલે સ્વેચ્છાએ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લે એને માટે મથે છે?

જે સ્કૂલમાં ગરીબ વાલી પણ પોતાનાં બાળકને મૂકવા રાજી નથી, એ સ્કૂલમાં ખાનગી શાળામાંથી ઉઠાડીને વાલીઓ બાળકને પ્રવેશ અપાવવા લાઇન લગાવે તો તેવી શાળાઓ માટે માન થવું સહજ છે.

એક તબક્કે સરકારે ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપીને અને પ્રાથમિક સ્કૂલોને બંધ કરતાં જઈને એવું ચિત્ર ઊભું કર્યું કે વાલીઓને થઈ ગયું છે કે સારું શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ અપાય છે. આવામાં પ્રાથમિક સ્કૂલો બંધ ન થાય તો શું થાય? સરકારની દાનત પણ અંદરથી એવી રહી છે કે પ્રાથમિક સ્કૂલો બંધ થાય તો એના શિક્ષકોનો ને વિદ્યાર્થીઓનો બોજો ઉપાડવો મટે. રૂપિયો ફી લેવાની નહીં ને ઉપરથી શિક્ષકોનો પગાર ને સ્કૂલોના ખર્ચા કાઢવાના. એમાં સરકારને બહુ રસ ન હોય એ સમજી શકાય એવું છે. આમ તો આ બધું સરકાર લોકોના પૈસામાંથી જ કરતી હોય છે, પણ આવી ઊઠવેઠ કરવાનું જીવ પર આવે તે પણ ખરું, પણ મફત શિક્ષણની ભૂંગળો વાગી ચૂકેલી એટલે થાય શું? ના છૂટકે બધું ચલાવવું જ પડે એમ હતું. પણ, બધાં કામગરા નથી હોતા, એમ જ બધાં કામચોર પણ નથી હોતા, એ હિસાબે કેટલીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ખાનગી શિક્ષણની સ્કૂલો સામે ટક્કર લઈને એવી મોડેલ સ્કૂલો ઊભી કરી જે આધુનિક સગવડોથી સુસજ્જ હોય. જો કે છાપ એટલી બગડી ચૂકી હતી કે પ્રાથમિક સ્કૂલોમાં ભણાવવા વાલીઓ રાજી ન હતા. ઘણા વાલીઓ તો ઉધાર-ઉછીનું કરીને ખાનગી સ્કૂલોની મોંઘીદાટ ફી ચૂકવતા હતા, તે એવી છાપને કારણે કે શિક્ષણ તો ખાનગી સ્કૂલોમાં જ થાય છે, પણ વાસ્તવિકતા જુદી હતી. ખાનગી સ્કૂલોએ સુવિધાઓ તો ઊભી કરી ને એની બાહ્ય ટાપટીપથી વાલીઓ અંજાયા પણ ખરા, પણ એમને ખબર ન હતી કે આ દેખાડો એમના જ પૈસાથી થઈ રહ્યો છે.

જેમ કેટલીક પ્રાઇમરી સ્કૂલો સારી છે એમ જ કેટલીક ખાનગી સ્કૂલો પણ ઉત્તમ છે, પણ મોટે ભાગના સંચાલકો માટે શાળા એ કમાણીનું સાધન બની ગઈ છે. ફી વધુ ને પગાર ઓછો – એ ખાનગી સ્કૂલની ઓળખ છે. તાલીમી શિક્ષકોને પૂરો પગાર આપવો પડે ને એ આપે તો નફો ઘટે એટલે ખાનગીના સંચાલકોએ સાધારણ ગ્રેજ્યુએટોને ઓછો પગાર આપીને નોકરીએ રાખ્યા. આવા ગ્રેજ્યુએટોને આવક જ ન હતી એટલે એમની પાસે ઓછા પગારની નોકરી સિવાય બીજો વિકલ્પ ન હતો. એનું પરિણામ એ આવ્યું કે શિક્ષણ કથળ્યું. જે સારાં પરિણામો દેખાયાં તે બીજે વધારે ફી ચૂકવીને ખાનગી ટ્યૂશન લીધું તેથી.

આમાં સાધારણ વાલીઓની હાલત કફોડી હતી. સ્કૂલો ફી વધારતી જતી હતી ને ઉપરથી મોંઘી ટ્યૂશન ફી પણ કાઢવાની હતી. એમાં પણ એકાદ બાળક હોય તો સમજ્યા, પણ એક જ ઘરમાં એકથી વધુ બાળકોનું શિક્ષણ વાલીઓને ભારે પડવા માંડ્યું. એમાં કોરોના આવ્યો ને તેણે જગતભરનાં સમીકરણો બદલી કાઢ્યાં. શિક્ષણ ઓનલાઈન થયું. તેણે મોબાઈલ, નેટ, લેપટોપના ખર્ચા વધાર્યા. ઘરમાં બે જણનું ઓનલાઈન ભણવાનું હોય તો એક નેટથી ચાલે, પણ એક મોબાઇલથી ચાલે એમ ન હતું. ટૂંકમાં, ખર્ચા વધ્યા હતા ને લોકડાઉનને કારણે નોકરી-ધંધા અટકી પડ્યાં હતાં. ઉપરથી ખાનગી સ્કૂલો ફી કે અન્ય ખર્ચા ઘટાડવા બહુ તૈયાર ન હતી. આવામાં બે જ વિકલ્પો વાલીઓ પાસે હતા, બાળકને ઉઠાડી લે અથવા પ્રાથમિક શાળામાં મૂકે.

આ સ્થિતિનો ખ્યાલ ચંદ્રશેખર નિકમ જેવા આચાર્યને આવી ગયો હતો એટલે એમણે સાથી શિક્ષકોને લઈને વાલીઓને એ સમજાવવાની કોશિશો કરી કે ખાનગી સ્કૂલ મોંઘી પડતી હોય તો તેમની શાળા 222 કે 255માં બાળકને મૂકે. અહીં ફી કે ચોપડાની કિંમત ચૂકવવાની ન હતી ને ઓનલાઈન શિક્ષણ અહીં પણ શક્ય હતું. ખરેખર તો આ વાલીઓ પ્રાથમિક શિક્ષણ વિશેના ખોટા ખ્યાલોથી ખાનગી સ્કૂલો તરફ ખેંચાયા હતા, બાકી તેમની સ્થિતિ એવી હતી જ નહીં કે ખાનગી સ્કૂલોને આર્થિક રીતે પહોંચી વળે. એમને નિકમ સાહેબની વાતો પહોંચી ને તેની અસર એ પડી કે પ્રાઇમરીમાં પ્રવેશની સંખ્યા વધી. ઉત્રાણ જેવામાં ખાનગી સ્કૂલોથી એટલા વાલીઓ ત્રાસ્યા છે કે ત્યાં પ્રવેશ માટે ધસારો થયો. આ સારું લક્ષણ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજનીતિ ભલે કરે, પણ થોડું અસરકારક શિક્ષણ આપવા અંગે ગંભીરતાથી વિચારે તો ઘણા વાલીઓ ખાનગી સ્કૂલો તરફ, સ્થિતિ ન હોવા છતાં ખેંચાય છે, એમને રાહત થશે ને શિક્ષણનું ધોરણ સુધરશે તો એ સમજ વધશે કે મફત પણ કિંમતી હોય છે. આશા છે સરકાર અને શિક્ષણ સમિતિ પ્રાથમિક શિક્ષણને પોતાનું સમજીને તેનો જીર્ણોદ્ધાર કરશે …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જૂન 2021

Loading

‘શબ્દસૃષ્ટિ’ સામયિક દ્વારા સર્જકો અને ભાવકોને અપાતી ધમકી અંગે નિવેદન :

——, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|18 June 2021

ગુજરાત સરકાર દ્વારા સ્વાયત્તતા ઝૂંટવી લઈ સરકારી બનાવી દેવાયેલી ગુજરાત સાહિત્ય અકાદમી 'શબ્દસૃષ્ટિ' નામનું સામાયિક ચલાવે છે.

આ સામયિકના જૂન-૨૦૨૧ના અંકમાં પૃષ્ઠ ૮૯ પર “ના, આ કવિતા નથી, 'કવિતા'નો અરાજકતા માટેનો દુરુપયોગ છે …" એવા મથાળા હેઠળ એક લખાણ છપાયું છે, જે લખનારનું નામ લખવાની અનિવાર્ય જવાબદારી બાજુ પર મૂકીને લખાયું છે જેને કોઈપણ સરકારી કામકાજની દૃષ્ટિએ અનૈતિક, ગુનાહિત અને જોખમી પ્રવૃત્તિ ગણવી રહી.

વળી કોઈ ચોક્કસ કવિતા વિશે કોઈ લેખક પોતાનાં નામ સાથે પોતાના વિચારો મૂકે, ટીકા કરે, વખોડે એ તો સહજ સ્વીકાર્ય વાત છે જ. તંદુરસ્ત લોકશાહીમાં ટીકા ટીપ્પણ, ચર્ચા, ખંડન-મંડન તો એનાં પ્રાણરૂપ છે.

પરંતુ અહીં કોઈ પણ ચોક્કસ કવિતાનો ફોડ પાડ્યા વિના, કવિનું નામ પણ લખ્યા વિના, તેના વિશે મોઘમમાં ટીકા ટીપ્પણ કરી છે અને જે તે કવયિત્રી ભૂતકાળમાં અકાદમી દ્વારા લાભાન્વિત (ઉપકારદર્શક) કરાયાં છે તેવો વિશેષ ઉલ્લેખ કરાયો છે.

આ કવિતા ખરાબ છે પણ કવિ સારાં છે, એવું હાસ્યાસ્પદ વિધાન કરી, કવિઓએ શું ન લખવું અને શું લખવું એવા ઇશારા દ્વારા સત્તાવાહી કલમે ૧૯૭૫ના કટોકટીકાળ – ઈમરજન્સીને યાદ અપાવે એવી પરોક્ષ ધમકી ગુજરાતના કવિઓ, સાહિત્યકારોને આપવાનો અહીં પ્રયત્ન થયો છે (૧૯૭૫ના કટોકટીકાળમાં, છાપાં- સામયિકોનાં લખાણ માર્ગદર્શિકા પ્રમાણે સરકારી બાબુઓ પાસે મંજૂર કરાવવાનાં રહેતાં.) જે સર્વથા વખોડવા લાયક અને ગુજરાતી સર્જકોનાં સ્વાતંત્ર્ય અધિકારનો મૃત્યુઘંટ વગાડવા સમાન અને કલમ પર હથોડા ઠોકવા સમાન છે.

ખાસ તો, આ કવિતાએ દેશ વિરોધી, વિઘાતક, 'લિટરરી નક્સલ', દેશમાં અરાજકતા ફેલાવવા મથતાં તત્ત્વો, જેવાંઓને પ્રોત્સાહિત કર્યાં છે અને તેઓ બધાં આ કવિના ખભે બંદૂક મૂકી, ફોડીને દેશ વિરોધી કૃત્ય કરી રહ્યાં છે, એવો આક્ષેપ કરીને લોકશાહી ઢબે સર્જનકાર્ય કરી સાંપ્રત સમાજનો અવાજ બનનારા લેખકો અને કવિતાના લાખો ભાવકો તરફ ઉશ્કેરણીભર્યું વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન જે તે નનામા લેખકે કર્યો છે તે અત્યંત આઘાતજનક છે. અને ગરવી ગુજરાતી સાહિત્યની પરંપરાનું ગળું દબાવતાં, લોકશાહી માળખામાં કામ કરતી આ સરકારી સંસ્થાએ લોકહિત વિરુદ્ધ જે પ્રથા ઊભી કરવાના દરવાજા ખોલ્યા છે તે જોખમી અને ફાસીસ્ટ વલણ ધરાવે છે, જેને અમે સૌ વખોડી કાઢીએ છીએ.

લોકશાહી પરંપરામાં કવિતા લખવી અને કવિતા દ્વારા સમાજના પ્રહરી બનવું, સાંપ્રત ઘટનાઓનું ખંડન-મંડન કરવું, સત્તા ઉપર બેઠેલાઓનાં પગલાં કે નિષ્ક્રિયતાને કલમ દ્વારા વખોડવી એ પણ તંદુરસ્ત લોકશાહીનો હિસ્સો છે એવું અમે માનીએ છીએ. હમણાં જ ગયા અઠવાડિયે દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જે મહત્ત્વની વાત કહેવાઈ છે કે 'સરકારની ટીકા કરવી એ રાષ્ટ્રદ્રોહ નથી’, તેને અહીં યાદ કરી ગુજરાતી ભાષા અને  ગુજરાતને લાંછનરૂપ આ લખાણ પાછું ખેંચાય તેવી અપીલ અમે 'શબ્દસૃષ્ટિ'ના તંત્રી, અકાદમી અધ્યક્ષ અને ગુજરાત સરકારને કરીએ છીએ.

અનિલ જોશી, અભિજિત જોશી, અભિજિત વ્યાસ, અદિતિ દેસાઈ, અમિત દવે, અમિતા શાહ, અમિતાભ મડિયા, અમૃત ગાંગર, આનંદ પંડ્યા, અશ્વિન કારીયા, આતિશ ઇંદ્રેકર છારા, આનંદવર્ધન યાજ્ઞિક, આનંદ મઝગાંવકર, ઇલા જોશી, ઇન્દિરા હિરવે, ઇશ્વરસિંહ ચૌહાણ, ઇલિયાસ શેખ, ઉર્વીશ કોઠારી, ઉત્તમ પરમાર, ઉત્પલા દેસાઈ, કબીર ઠાકોર, કલ્પના સુતરિયા, કરતારસિંહ, કલ્પેશ દલાલ, કમલ વોરા, કમલેશ ઓઝા, કાનજી પટેલ, કિરણ ત્રિવેદી, કિશોર ગૌડ, કિરણ ચૌહાણ, કેતન રૂપેરા, કૌશિક અમીન, કૌશિક મહેતા, કુસુમ ડાભી, કુસુમ પોપટ, ગાલા જોશી, ગાર્ગેય ત્રિવેદી, ગૌરાંગ જાની, ગુલામ મોહમ્મદ શેખ, ઘનશ્યામ શાહ, ચંદુ મેહરીયા, ચિનાર શાહ, જાગૃત ગાડિત, જગદીશ પટેલ, જતીન શેઠ, જયંતિ પટેલ, જયશ્રી સોની, જયેશ દુધરેજીયા, જીગ્નેશ મેવાણી, જોસેફ મેકવાન, જ્યોતિ ભટ્ટ, ઝરણા પાઠક, ઝાકિયા સોમન, ડંકેશ ઓઝા, તખુભાઇ સાંડસુર, તન્મય તિમિર, તિમિર અમીન, દક્ષિણ છારા, દેવ દેસાઈ, દિપક દોશી, દીવાન ઠાકોર, દિલીપ ધોળકિયા, દિપ્તી જોશી, દિવ્યશા દોશી, દુર્ગેશ મોદી, દ્વારિકાનાથ રથ, નફીસા બારોટ, નટુભાઇ નિમ્બાર્ક, નટુભાઇ પરમાર, નટવર ગાંધી, નેહા રાવલ, નેહા શાહ, નિખિલ ગાંધી, નિર્ઝરી સિંહા, પ્રકાશ ન. શાહ, પલ્લવી ગાંધી, પંચમ શુક્લ, પંકિત દેસાઈ, પન્ના ઇરેસ્મસ, પન્ના નાયક, પાર્થ ત્રિવેદી, પરસીસ જિનવાલા, પ્રબોધ પરીખ, પ્રફુલ્લ રાવલ, પ્રતિષ્ઠા પંડ્યા, પ્રવીણ પંડ્યા, પ્રીતિ સેનગુપ્તા, પ્રસાદ ચાકો, ફ્રાન્સિસ પરમાર, બાબુ સુથાર, બારીન મહેતા,  બિનીત મોદી, બીના જાદવ, બિંદુ પ્રસાદ, બિપિન પટેલ, બિપિન શ્રોફ, ભાનુભાઇ પુરોહિત, ભરત મહેતા, ભાર્ગવ ઓઝા, ભાવિક રાજા, ભાવના રામરખિયાણી, માધવી દેસાઇ, મધુભાઇ ભાવસાર, મધુસૂદન વ્યાસ, મહાશ્વેતા જાની, મહેશ યાજ્ઞિક, મલ્લિકા સારાભાઇ, મનહર ઓઝા, મણિલાલ ગાલા, મનીષી જાની, મંજરી મેઘાણી, મીનાક્ષી જોશી, મહેબૂબ દેસાઇ, મેહુલ દેવકલા, મેહુલ મંગુબેન, મિકી દેસાઇ, મીનલ દવે, મોહન ત્રિવેદી, યજ્ઞેશ દવે, યશવંત મહેતા, યોસેફ મેકવાન, રજની દવે, રાજા પાઠક, રમણ સોની, રમેશ બાપોદરા, રમેશ ઓઝા, રમેશ સવાણી, રામસાગર પરિહાર, રાજેશ ઠાકર, રાજુ પટેલ, ઋતા શાહ, રીતિ શાહ, રોહિત પ્રજાપતિ, રુચિર જોશી, રૂપા મહેતા, રૂપાલી બર્ક, લાલુભા ચૌહાણ, ડો. વિજય મહેતા, વજેસિંહ પારગી, વર્ષા ગાંગુલી, વીણા પંડ્યા, વૈભવ કોઠારી, વિપુલ કલ્યાણી, શરીફા વિજળીવાલા, શીબા જ્યોર્જ, શેફાલી બલસારી શાહ, સલિલ ત્રિપાઠી, સમીર ભટ્ટ, સમિક્ષા ત્રિવેદી, સંધ્યા ભટ્ટ, સંજય ભાવે, સંજય છેલ, સંજીવ શાહ, સાહિલ પરમાર, સિદ્ધાર્થ ગુજરાતી, સૌમ્યા બલસારી,  સુભાષ જોશી, સુધીરચંદ્ર, સુખદેવ પટેલ, સુમન શાહ, સ્વાતિ દેસાઇ, સ્વાતિ ગોસ્વામી, સ્વાતિ જોશી, સરૂપ ધ્રુવ, હાજીભાઇ બાદી, હનીફ લાકડાવાલા, હરીશ મંગલમ, હર્ષ બ્રહ્મભટ્ટ, હેમંતકુમાર શાહ, હેમંત શાહ, હિરેન ગાંધી, હિમાંશી શેલત.

Loading

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

આરાધના ભટ્ટ|Opinion - Interview|18 June 2021

સાંપ્રત ગુજરાતી ગઝલવિશ્વમાં એક અગ્રેસર અને આદરપાત્ર નામ તે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’. કોઈ સર્જકની સર્જકતા દ્વારા વર્ષોથી એમનો પરિચય હોય, પછી જ્યારે એ સર્જકને રૂબરૂ મળવાનું થાય અથવા એમની સાથે દીર્ઘ વાર્તાલાપ કરવાનું બને ત્યારે સર્જક અને એમનાં સર્જનો અલગ માર્ગે ચાલતાં હોવાનું ક્યારેક દેખાય. આવું થાય ત્યારે ભાવક ચિત્ત મૂંઝવણ અનુભવે. રાજેશભાઈ સાથેનો આ સંવાદ, એઓ એમની રચનાઓને નખશીખ જીવે છે એની પ્રતીતિ કરાવનાર નીવડ્યો. આવી પ્રતીતિ ભાવક માટે સર્વથા પરિતોષની અનુભૂતિ લઈને આવે અને એ પરિતોષ ભાવકની શ્રદ્ધાની પુષ્ટિ કરાવનાર નીવડે છે.

૧૬ ઓક્ટોબર ૧૯૫૫ના દિવસે અમદાવાદમાં જન્મેલા રાજેશભાઈએ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ત્યાર બાદ ચંદ્રકાંત ટોપીવાળાનાં માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી ગઝલ, એના વિવિધ પરીપેક્ષ્યમાં’ વિષય પર શોધનિબંધ પ્રસ્તુત કરી પીએચ.ડી.ની પદવી મેળવી. ગઝલસંગ્રહો ઉપરાંત એમણે ‘ગઝલ સંદર્ભ’, ‘ગઝલ વિમર્શ’, ‘ગઝલ પ્રવેશિકા’ જેવાં ગઝલ મિમાંસાનાં પુસ્તકો આપ્યાં. ઉપરાંત એમણે મરીઝ, શૂન્ય પાલનપુરી અને રમેશ પારેખની ગઝલોના સંપાદનો અને ‘ગઝલવિશ્વ’ સામયિકનું સંપાદન પણ કર્યું.

વાચકો એમની ગઝલો ઉપરાંત ‘લલિતાસહસ્રનામ’ની મિમાંસાની એમની લેખમાળા દ્વારા એમનાથી સુપરિચિત છે. તાજેતરમાં એમને ૨૦૨૧ માટેના કવીશ્વર દલપતરામ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તે પૂર્વે ૨૦૧૪માં એમને વલી ગુજરાતી સન્માન, ૨૦૦૫માં હરીન્દ્ર દવે પુરસ્કાર, ૨૦૧૦માં કુમાર ચંદ્રક, ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કારો એનાયત થયા. ‘લલિતાસહસ્રનામ’ પુસ્તક માટે એમને સંસ્કૃત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર સાંપડ્યો અને શ્રી અરવિંદ સુવર્ણચંદ્રકથી પણ એમને પુરસ્કૃત કરાયા. પ્રસ્તુત સંવાદ એમનો અંતરંગ પરિચય કરાવશે …. 

પ્રશ્ન : આપણી ચર્ચાની શરૂઆત આપના તખલ્લુસથી કરીએ. તખલ્લુસ કેમ? અને બીજો પ્રશ્ન – ‘મિસ્કીન’નો એક અર્થ ખુદના બંદા થાય છે, એમાં ફકીરીનો મર્મ સમાયેલો છે. શું આ જ આપના જીવન અને સર્જનનો સાર છે?

ઉત્તર : મેં જ્યારે ‘મિસ્કીન’ તખલ્લુસ રાખ્યું ત્યારે મને એટલી જ ખબર હતી કે મિસ્કીનનો અર્થ ગરીબ થાય.નવમા-દસમા ધોરણમાં ભણતા છોકરાએ આ તખલ્લુસ રાખેલું. પછી એક મિત્રએ કહ્યું કે તખલ્લુસ રાખવા જેવું છે એટલે મેં રાખ્યું. એની પાછળ કોઈ જ ગણિત કે એ નામ કોઈ રીતે ગમી ગયેલું એવું કશું જ નહોતું. બસ એટલું લાગેલું કે કવિતા છપાય તો આપણા નામ સાથે કોઈ તખલ્લુસ હોવું જોઈએ. પછી સહેજ આગળ જતાં પહેલી વાર એનો અર્થ મને કોઈએ સમજાવ્યો હોય તો એ મરીઝ સાહેબે. એમણે કહ્યું કે મસ્કન એટલે ખૂણો અને મિસ્કીન એટલે ખૂણામાં રહીને બંદગી કરનારો. એ ઉપરાંત અમદાવાદમાં કોઈક મસ્જીદ પાસેથી પસાર થયો હોઉં ને મારા કાને રમઝાન મહિનામાં શબ્દો સંભળાયા છે કે ‘અગર એક દિન રોજા ન રખા તો કિસી મિસ્કીનકો ખિલાયા જાય’. જલન માતરીએ મને એવું કહેલું કે મિસ્કીનનો અર્થ છે જેને એક દિવસ પછી હવે શું ખાવાનો છે એની ખબર નથી. કુરાનમાં એવો ઉલ્લેખ આવે છે કે મિસ્કીન એટલે એવું પ્રતિભાશાળી ઈશ્વર તરફ જતું વ્યક્તિત્વ જેને કોઈ મદદ કરવાની હિંમત પણ ન કરે, બહારથી એ એટલો પ્રતિભાશાળી અને શ્રીમંત લાગે અને એ અંદરથી બધું જ લૂંટાવીને બેઠેલો હોય. અને જેમ જેમ હું અર્થો જાણતો ગયો એમ એમ મને લાગતું ગયું કે આ અર્થ તો હું જીવું છું. અને આમ એ શબ્દ મારા જીવન સાથે જોડાતો ગયો. મને લાગે છે આપણે જીવનમાં જે કઈ બોલીએ છીએ કે જે વિચારીએ છીએ એ આપણા ભવિષ્યનું સર્જક પણ બની જતું હોય છે. કદાચ મિસ્કીન એ મારું ભવિષ્ય હતું અને મેં એને પસંદ કરેલું છે.

પ્રશ્ન : મરીઝથી મિસ્કીન સુધીની ગઝલયાત્રાના મુખ્ય પડાવો આપ કયા ગણો છો? સમય સાથે ગઝલનાં સ્વરૂપો અને મિજાજ બદલાતા રહ્યા છે.

ઉત્તર : લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં મારે ગઝલો વિષે વાત કરવાનું બન્યું હતું. ત્યારે હું વિચારવા લાગ્યો અને મને થયું કે ઓહો, ઘણા બધા શાયરોની ગઝલો મને કંઠસ્થ છે. બીજું મને એ ખ્યાલ પણ આવ્યો કે ઘણા ગઝલકારો ગઝલ લખતા હતા ખરા, પણ શક્ય છે કે એમને એ ગઝલો રજૂ કરતાં ન ફાવી હોય. કુદરતી રીતે મારામાં ગઝલના છંદ, ગઝલનું તત્ત્વ અને રજૂઆત લોહીમાં વણાયેલાં હોય એવું મને લાગે છે. અને એ રીતે હું ગઝલની રજૂઆત કરતો ગયો અને આશ્ચર્ય વચ્ચે એવું બન્યું કે હું ગઝલો બે –અઢી કલાક સુધી બોલી શક્યો. મારી દૃષ્ટિએ ગઝલના પાંચ સ્તબક કહી શકાય. પહેલો તબક્કો જો કહીએ તો અમૃત કેશવ નાયક, કલાપિ, કાન્ત, બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, ત્યાંથી ગઝલની શરૂઆત થઇ. એ પછી આવે છે ગઝલનું બીજું સ્તબક અમૃત ઘાયલ, બેફામ, સૈફ, શૂન્ય, મરીઝ, ઓજસ પાલનપુરી, ગની દહીંવાલા, જલન માતરી, નઝીર દેખૈયા, મકરંદ દવે, શેખાદમ આબુવાલા, મગનભાઈ પટેલ, મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’, રતિલાલ અનિલ, શયદા, શૌકીન, – આ કદાચ ગઝલનો સુવર્ણકાળ છે. એટલા માટે સૂવર્ણકાળ છે કે ગઝલને લોકોને હૈયે અને હોઠે આ સમયગાળાના આ ગઝલકારોએ રમતી કરી છે. આજે પણ શ્રોતાઓ સુધી કોઈક વાત પહોંચાડવાની હોય ત્યારે આ જ શાયરોની ગઝલો, નઝમ, શેર, રૂબાઈનો આશરો લેવો પડે છે. ત્યાર પછીનો, જેને હું ત્રીજો અને બહુ મહત્ત્વનો તબક્કો કહું છું, તે એટલા માટે મહત્ત્વનો છે, કે એ સમયમાં ગઝલ ગુજરાતણ બને છે. કલાપિની ગઝલમાં અને એવા બધાની ગઝલોમાં ઉર્દૂ-ફારસીની અસર જોવા મળે છે. પરંતુ જ્યાં શયદા આવે છે, મરીઝ અને ઘાયલ આવે છે એ બધાની ગઝલોમાં ગઝલ ગુજરાતણ બનતી દેખાય છે. આ ત્રીજો તબક્કો છે જેને હું આદિલ મન્સૂરી, ચિનુ મોદી, જવાહર બક્ષી, બરબાદ જૂનાગઢી, મનહર મોદી, રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ભગવતીકુમાર શર્મા, શ્યામ સાધુ, હરીન્દ્ર દવે … આ બધાએ ગુજરાતણ બનેલી ગઝલને ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડી આપી. હવે ગઝલ ગુજરાતી કાવ્ય તત્ત્વની તદ્દન નજીક છે. અમદાવાદના લોકોને કદાચ આશ્ચર્ય થશે કે અમદાવાદમાં વહેતી નદી સાબરમતી ક્યારેક બરાબર માણેકચોકની વચ્ચેથી વહેતી હતી. પણ નદી ધીરે ધીરે વહેણ બદલતી જતી હોય છે. બસ એ જ રીતે ગુજરાતી ગઝલે પણ પોતાનું વહેણ બદલ્યું છે. એટલે જુવો, મરીઝ સાહેબને સાંભળીએ, ઘાયલ સાહેબને વાંચીએ ત્યારે આપણા ચહેરા પર જે ‘વાહ’ અને ચહેરાના જે ભાવ આવે એ જ વસ્તુ જ્યારે રાજેન્દ્ર શુક્લ, રમેશ પારેખ કે મનોજ ખંડેરિયાની ગઝલો વાંચીએ ત્યારે આપણા ચહેરાની વાહ અને સ્પંદનો કદાચ જુદાં હોય છે, કદાચ વધારે ઊંડા હોય છે. જે સાકીની ગઝલ હતી તે પછી હૃદયની વાતમાં આવી ગઈ હતી તે ગઝલે હવે એની ક્ષિતિજોનો વિસ્તાર કર્યો છે. ચોથો જે તબક્કો છે એની શરૂઆત અદમ ટંકારવી, ઉર્વીશ વસાવડા, ઉદયન ઠક્કર, નયન દેસાઈ, નીતિન વડગામા, મનોહર ત્રિવેદી, મુકુલ ચોકસી, હેમેન શાહ, રઈશ મણિયાર, રશીદ મીર, રાજેશ વ્યાસ, લલિત ત્રિવેદી, શોભિત દેસાઈ, હર્ષ બ્રહ્મભટ્ટ, હર્ષદ ચંદારાણા, હર્ષદ ત્રિવેદી … આ બધાએ અગાઉની પેઢીના ગઝલકારોની ગઝલને લઈને એને વધારે સમૃદ્ધ કરી છે. આજે ગઝલ આપણને ગુજરાતી જ લાગે છે અને એમ કહું તો ચાલે કે આજની ગુજરાતી ગઝલ ઘણી બધી રીતે ઉર્દૂ કરતાં પણ મુઠ્ઠી ઊંચેરી છે.

પ્રશ્ન : આપ અપની પોતાની કેટલીક ગઝલોને અનુ-આધુનિક ગઝલો કહેશો?

ઉત્તર : હા, પણ કોઈ લેબલ લગાડવા ખાતર નહીં. એક ગઝલ બહુ સહજ રીતે લખાઈ હતી – ‘ખાંસે છે વૃદ્ધ ફાધર એ ઓરડો જુદો છે, બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જુદો છે.’ આ ગઝલ લખાઈ, છપાઈ ગઈ અને પછી ચંદ્રકાંત ટોપીવાળાએ જ્યારે વાત કરી કે આમાં ફાધર અને મેમ્બર એ બે કાફિયા અંગ્રેજી આવ્યા છે, ત્યારે આશ્ચર્ય થયું અને છ મહિના પછી મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે હા આ બે કાફિયા અંગ્રેજીના આવ્યા છે અને છતાં એ હઝલ નથી બની. નહીં તો સામાન્ય રીતે અંગ્રેજી શબ્દો ગઝલની અંદર આવે ત્યારે એ હઝલ અથવા હાસ્યની વાત બનતી હોય છે. પણ હું આ સમયગાળાનો છું અને આ સમયગાળાની વ્યાખ્યા હજુ કોઈ થઇ નથી. અમારી પેઢીના ગઝલકારોને નવી પેઢીનો કોઈ વિવેચક પણ મળ્યો નથી એટલે એ વ્યાખ્યાઓમાં બંધાવા કરતાં હું એમ કહીશ કે આદિલ પછીના સમયગાળાના ગઝલકારો પૈકીનો હું એક ગઝલકાર છું.

પ્રશ્ન : આપની લેખનયાત્રા લગભગ ૧૯૭૦ના દાયકામાં શરૂ થઇ. આપે કહ્યું છે કે તે વખતે એક ગઝલ સ્વયંભૂ પ્રગટેલી. આપના ઘરમાં સાહિત્યનુ વાતાવરણ નહોતું, તેમ છતાં આપ સર્જન તરફ વળ્યા તો આપને વાળનાર પરિબળો વિષે, આપના ઉછેર અને બાળપણ વિષે જાણવું છે.

ઉત્તર : બાળપણમાં કવિતા સાથે કોઈ સંબંધ નહોતો, પણ કવિતા જેવા કોઈક લય સાથે સંબંધ હતો. બાળપણમાં કલાકો સુધી હું વહેતા પવનમાં કોઈક લય છે એવું અનુભવી શકતો, બેસીને હું સાંભળતો. બાળપણમાં નદીને જોતો તો મને લાગ્યા કરતુ કે નદીમાં પણ એક લય છે. એ વખતે સમજણ નહોતી, એટલે આ રીતે શબ્દોમાં મૂકી નહોતો શકતો, પણ દરિયાના ઉછળતાં મોજાં જોઉં તો મને એમ લાગે દરિયામાં એક ચોક્કસ લય છે, એક રિધમ છે, એક ચોક્કસ સ્પંદન છે. અને એ સમયે હું બહુ નાનો હતો ત્યારે મને સાધુ થઇ જવાનું મન હતું. મને થયા કરતું હતું કે હું આ જગતને જુદી રીતે જોઉં, પણ આ અંદર શું ચાલતું હતું એ ખબર નહોતી. એવા સમયના ગાળાની અંદર મેં પહેલી આ પંક્તિઓ લખી હતી ‘હૃદયની વેદનાનો આંસુથી અણસાર આપું છું, કથા પૂરી નથી કહેવી નીતરતો સાર આપું છું’. અને આ પંક્તિને ગઝલ કહેવાય એવું ૧૯૭૨ની સાલમાં ઇડરની અંદર સાહિત્ય પરિષદનું જ્ઞાનસત્ર હતું એમાં ગની દહીંવાલા મળ્યા ત્યારે એમણે કહ્યું કે, ‘અરે છોકરા, આ તો તેં ગઝલ લખી છે, આનો મત્લા તો સરસ થયો છે’.

પ્રશ્ન : અને ત્યાર પછી આપે છેક પીએચ.ડી. સુધી ગઝલનો બાકાયદા અભ્યાસ પણ કર્યો. ગઝલ એ પદ્યનું એક અત્યંત બારીક નકશીકામવાળું સ્વરૂપ છે. સહજ સ્ફૂરણાથી માંડીને કસી-ઘસીને પોલિશ કરાયેલા પદ્ય સ્વરૂપે ગઝલ વાચક સમક્ષ પહોંચે છે, એ પ્રક્રિયા સમજાવશો?

ઉત્તર : અહીં હું ઘણા બધાથી કદાચ જુદો પડતો લાગું, પણ મારી ગઝલોમાં તો ‘જો લિખા સો લિખા’ જેવું છે. જે એક વાર લખું છું એ લખી નાખું છું. પછી એને પોલિશ નથી કરતો, એને મઠારતો નથી. કારણ કે હું ચોક્કસ માનું છું કે એ પળે જે ધક્કો આવે છે અને જે લખાય છે એમાં પછી જે કંઈ કરીએ એ કૃતકતા છે. અને મેં એ અનુભવ્યું છે કે એ એક સમયે જે ધક્કો લાગ્યો, જે લખાયું, જે બોલાયું, જે લય આવ્યો એ એટલો બધો સાચકલો હોય છે કે ત્યાં બીજા કોઈ શબ્દો ગોઠવવા મને યોગ્ય નથી લાગ્યા. પ્રત્યેક ગઝલ એક ચોક્કસ મનોસ્થિતિમાંથી પ્રગટે છે. અને એ ગઝલ પોતે જ પોતાનો રદીફ, પોતાનો કાફિયા અને પોતાનો છંદ લઈને આવતી હોય છે, એટલે એને વહેવા દેવાની હોય છે. તો મોટા ભાગની મારી ગઝલો લખાઈ છે અને પછી હું એમાંથી મુક્ત પણ થઇ ગયો છું.

પ્રશ્ન : હા, આપે કહ્યું છે કે ‘મોકલું છું’ રદીફવાળી આપની પંદર ગઝલો એક જ રાતમાં રચાયેલી. આટલી બધી ગઝલો એકી સાથે કઈ રીતે સ્ફુરે?

ઉત્તર : હા, એક જ રાતમાં. ખબર નહીં, મને ગળથૂથીમાંથી મા પછી બીજો કોઈ શબ્દ સમજાયો હોય તો એ કદાચ ગઝલ છે. એટલે હું કહી શકું છું કે કોઇ પણ ગઝલને કઈ રીતે બોલવી કે કઈ રીતે એની રજૂઆત કરવી એ સમજતાં મને બે-ત્રણ સેકંડ જ લાગે છે. પ્રત્યેક ગઝલકાર પાસે હું તીર્થની જેમ જાઉં છું અને એમને માણું છું. પણ મારે મારી ગઝલ ક્યારેક જ મઠારવાની થાય છે, એકાદ શબ્દ આઘો-પાછો કરવા માટે, ક્યારેક જ.

પ્રશ્ન : સર્જનની એ પળોમાં આપ કેવા હો છો?

ઉત્તર : હું મોટે ભાગે ખસી જાઉં છું. કારણ કે હું જે પળે સભાન થયો છું, ગઝલમાં કૃતકતા આવી ગઈ છે. એવે વખતે મને લાગ્યું છે કે હું સભાન થઈને લખી રહ્યો છું. મોટા ભાગે એવું થયું છે કે ગઝલ મેં કોઈ સભાનતા સાથે ન લખી હોય, એક ચોક્કસ પ્રકારના ટ્રાન્સમાં હું વહેતો હોઉં, અથવા તો કોઈક પરિસ્થિતિ મારી પાસે એ લખાવી રહી હોય. સુન્દરમ્‌ને મેં એક વાર પ્રશ્ન પૂછ્યો હતો કે, આ કવિતાઓ તમે કેવી રીતે લખો છો? ત્યારે એમણે એમ કહેલું કે આકાશમાંથી કોઈ પોટલું ફેંકતું હોય ને એમ ફેંકે છે. જાણે કોઈ લખાવતું હોય એમ લખાઈ જાય છે. એ દિવસોમાં મેં એક મત્લા લખી નાખ્યો હતો ‘કોઈ આવીને લખાવી જાય છે, જળ ઉપર પગલાં પડાવી જાય છે.’ મને ખબર છે કે આ બધાં જળ પરનાં પગલાં છે પણ એ કોઈ પડાવે છે અને મને એ પગલાં પાડવાની મજા આવે છે.

પ્રશ્ન : આપે કહ્યું કે ગઝલ આપના લોહીમાં વણાઈ ગયેલી છે. અન્ય કાવ્ય પ્રકારોમાં સર્જનનું શું?

ઉત્તર : હા, તમે બહુ અદ્દભુત વાત પૂછી. હું ગઝલ સિવાય કશું લખી શકું કે કેમ એ મને પણ એક પ્રશ્ન હતો. અને મને ઘણા બધા કવિ મિત્રો દ્વારા, ઘણા બીજા મિત્રો દ્વારા એમ કહેવામાં આવતું કે તું ગઝલ સિવાય બીજું પણ લખ. મારાં થોડાંક કાવ્યો ‘કુમાર’માં, થોડાંક ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ થયેલાં છે, જેને ભજનની પરંપરા કે ગીતની પરંપરા સાથે જોડી શકાય. પણ વચ્ચે એક એવો સમયગાળો આવ્યો કે હું લગભગ પાંચેક વર્ષ સુધી સંપૂર્ણ મૌન થઇ ગયો. અને સંપૂર્ણ મૌન એટલે વિચારો પણ નહીં, બધા જ વિચારોથી મુક્ત. કોઈ એને રાઈટર્સ બ્લોક કહે છે, પણ એવું પણ નહોતું. હું મારું રોજિંદુ કામ કરું, પણ મને એવું ન લાગે કે મારે કોઈ વિચારોની જરૂર છે. ધીરેધીરે મને એવું લાગ્યું કે હવે જીવનમાં હું ક્યારે ય લખી નહીં શકું. મિત્રોને એવું લાગ્યું કે આ બોલતો પણ ઓછો થઇ ગયો છે. પણ એ પાંચ વર્ષ પછીના ગાળામાં મેં ઓચિંતા કાવ્યો લખ્યાં. પછી બસ કાવ્યો લખાતાં ગયાં. એ કાવ્યોની વાત જુદી હતી, મને ત્યારે એવું થયું કે મારાં કાવ્યો ભક્તિ માર્ગ તરફ જઈ રહ્યાં છે. પણ ભક્તિ માર્ગની એક વિશેષતા હું જાણતો હતો, કે આ ઉપનિષદ પરંપરાને લીધે બધા બહુ ઝળહળ ઝળહળ લખે છે, એનાથી મને પૂછવાનું મન થાય કે આવો કંઇક અનુભવ છે ખરો? અનહદ શબ્દ વાપર્યો છે પણ અનહદ શું છે એ ખ્યાલ છે ખરો? આવો પ્રશ્ન મને થાય, કારણ કે મને તો એવો કશો અનુભવ થતો જ નહોતો. અને કોઈક અનુભવ થાય તો એ કાલ્પનિક પણ હોઈ શકે. એ સમયમાં મને ઉપનિષદ મદદરૂપ થયું. એ સમયે સદગુરુની પરંપરા મને મદદરૂપ થઇ. ખ્યાલ આવે છે કે ભક્તિનો આવેશ પણ હોય છે અને ભક્તિનો પ્રવેશ પણ હોય છે. લાકડા પર ઉકળતું પાણી જોયું હશે, એ પાણીની અંદર સહેજ પણ હાથ નાખીએ તો દાઝી જવાય, ચામડી નીકળી જાય. આ અગ્નિનો પાણીમાં આવેશ હોય છે કારણ કે એ પાણી પાછું ઠરી જાય પછી એમાં હાથ નાખો તો કશું નથી હોતું. અમુક સમયે બહુ ઊંચી અવસ્થા છે એવું લાગ્યા કરે અને પછી ફરી ત્યાંથી નીચે ઉતરીએ ત્યારે આપણે સાવ સામાન્ય કક્ષાના માણસ કરતાં પણ ઉતરતાં એવા થઇ જઈએ. તો એ ભક્તિનો આવેશ છે. પણ લાકડું જે સળગાવ્યું છે એમાં જ્યારે અગ્નિનો પ્રવેશ થાય છે ત્યારે લાકડું અંગારો બની જાય છે અને એ જ અંગારો પછી ભસ્મ બની જાય છે. આ અગ્નિનો પ્રવેશ છે. આ આખું રૂપાંતર થઇ ગયું, મનનું. જો ભક્તિ એ મનનો અવેશ જ હોય, એનાથી મનનું રૂપાંતર ન થતું હોય તો કવિતાઓમાં ઝળહળ ઝળહળ લખવાનો બહુ અર્થ નથી, આવું હું સ્પષ્ટપણે માનું છું. મજાની વાત કેવી છે કે એને લીધે બે-ત્રણ વર્ષની અંદર લગભગ પ૦૦ જેટલી કવિતાઓ લખાઈ ગઈ. એ સમયમાં મેં અગાઉ કહ્યું તેમ વિચારો બંધ થઇ ગયા હતા. એ દરમ્યાન હું ખૂબ ફર્યો. મેં હિમાલયની યાત્રાઓ કરી, જંગલોમાં ફર્યો. મેં બીજી અંદરની યાત્રા પણ શરૂ કરી, વાંચતો ગયો. અને જે કાવ્યો આવ્યાં, એમાંનાં એક કાવ્યની વાત કરું તો મને એમ થયા કરતું હતું કે આ કોઈ ચાલીને જાય છે, આ પગપાળા જવાનો અર્થ શું છે? કોઈ ભજન કરતું હોય તો મને એમ થાય કે આ ભજનનો અર્થ શું છે? કોઈ શીર્ષાસન કરતું હોય, યોગમાર્ગી હોય, એને મને પૂછવાનું મન થાય કે પેલો માંહ્યલો તો અંદર બેઠો છે અને તું આ શરીર શું કરવા તોડે છે? આ બધાએ મને કેડીઓ બતાવી અને આ કાવ્યો આવ્યાં. એમાંની એક કવિતાની કડી કહીશ તો તમને મજા આવશે. 'આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની, સિદ્ધાસન કે પદ્માસન કે જપ-તપ પૂજા-પાઠ, કળથી બળથી ઉકેલવાની જેની જેવી ગાંઠ, ભજન મહી પણ ભટકે સઘળે, તારે શું તાળી કરવાની? આ તો કેવળ વિધિ રે મનવા ….. ધૂપ, દીપ, આરતિ નૈવેદ્ય ચંદન, ચોખા ને ગંગાજળ, ખૂણે ખૂણેથી બાવળ જાળાં કાઢીને થઇ જાવું નિર્મળ, મબલખ કાંટા તોયે બોરડી શબરીને વ્હાલી કરવાની, આ તો કેવળ વિધિ રે મનવા ભરચક મન ખાલી કરવાની ……’ મહાવીર સ્વામીને નિર્ગ્રંથ કહ્યા છે. આપણે નિર્ગ્રંથ થવાનું છે. ગ્રંથિઓ છૂટે એ કરવાનું છે. આવાં કાવ્યોનાં દસ પુસ્તક પ્રગટ થયાં એને મેં ‘કાવ્ય-સત્સંગ’ નામ આપ્યું છે. કાવ્યમાં અધ્યાત્મ, અધ્યાત્મમાં કાવ્ય. તો મારાં કાવ્યનું સ્વરૂપ આમ બદલાયું.  

પ્રશ્ન : આપે ગઝલનાં પુસ્તકોં આપ્યાં, ગઝલ મિમાંસાનાં પુસ્તકો આપ્યાં, આપનાં સંપાદનોમાં અન્ય ગઝલકારોની ગઝલોના સંપાદનનાં પુસ્તકો અને ‘ગઝલવિશ્વ’નું સંપાદન પણ છે. સંપાદનકાર્ય વિષે કંઇક કહેશો? એક સર્જક સંપાદન કરવા તરફ કેમ વળે?

ઉત્તર : હું સંપાદન તરફ અચાનક વળી ગયો છું. મને જવાબદારી સોંપાઈ હતી કે મારે સંપાદનનું કામ કરવું. સંપાદન કરવામાં સરળતા એ રહી કે જે ગઝલો આવતી હતી એમાંથી ઉત્તમ ગઝલ કઈ છે એની મને ખબર પડી. પણ એની સાથેસાથે મને એ પણ ખબર પડી કે આપણે જ્યારે કોઈક વિષે અભિપ્રાય આપવાનો હોય છે ત્યારે આપણે બહુ સરળતાથી આપી દેતા હોઈએ છીએ. ‘આ ગઝલ સારી છે, આની બીજી પંક્તિ વધારે સારી છે’ ‘આ ગઝલ આખી નકામી છે, આ ગઝલમાં બીજો શેર સારો છે’ એવું આપણે કોઈને માટે કહી દઈએ છીએ, પણ આપણે આપણા માટે ઓપિનિયન આપવાનો હોય તો ‘સીદીભાઈને સીદકાં વહાલાં’ આપણને આપણી બધી જ ગઝલો સારી લાગે. સંપાદનની ભૂમિકાએ એક સર્જક તરીકે પણ મને ઘડ્યો છે. મને પહેલી વાર જ ખ્યાલ આવ્યો કે મારે પણ મારી અંદર ઘડાતા જવાનું છે. મારા દીકરા શૌનકે મને ફિલ્મ જોતો કર્યો, એણે મને ‘મેટ્રીક્સ’ ફિલ્મ ૨-૪-૫-૬ વાર બતાવી. પછી એણે મને સમજાવ્યું, ક્યારેક એ મને જેકી ચેનની ફિલ્મ બતાવે અને એમાં અમુક દૃશ્ય ન આવે તો એ મને સમજાવે કે એ દૃશ્ય એડિટ કર્યું છે, એટલે સંપાદન હું ત્યાંથી પણ શીખ્યો. હું ક્યાં ક્યાંથી શીખ્યો છું. હિમાલયમાં જતો હોઉં અને હર્ષિલ પાસે અટક્યો હોઉં અને મને યાદ આવે કે અહીં જે પેલી ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મ બનાવેલી, છતાં એનું આવું કોઈ દૃશ્ય તો ફિલ્મમાં આવતું નથી. પછી ખ્યાલ આવે કે એ દૃશ્ય ફિલ્મને અનુકૂળ નહીં હોય એટલે એને એડિટ કરી નાખ્યું. સંપાદક તરીકે હું શીખ્યો કે ગુજરાતી ભાષામાં જે કામ થાય છે એને વધારે સમૃદ્ધ કઈ રીતે કરી શકાય. આપણે ત્યાં કેવા કેવા તેજસ્વી સિતારાઓ પડેલા છે એનો પરિચય પણ થયો.

પ્રશ્ન : આપ મુશાયરાઓમાં પણ વારંવાર દેખાવ છો. મુશાયરાઓ અને કવિ સંમેલનોનો માહોલ ઘણુંખરું જનરંજનનો બનતો જાય છે. આ માહોલમાં આપ શું અનુભવો છો?

ઉત્તર : હા, મુશાયરાઓનો માહોલ લોકરંજનનો હોય એવું લાગે, પણ છેવટે તો ગઝલકારની સજાગતા ઉપર અને એની સભ્યતા ઉપર પણ બહુ મોટો આધાર રાખે છે. પહેલી વાત એ છે કે ગઝલ જેમ છપાઈ એમ એ રજૂ નથી કરવાની. ગઝલ રજૂ કરવાની પણ એક કળા છે. એટલે રજૂઆત તો જોઇશે જ, રજૂઆતમાં નબળા હશો તો નહીં ચાલે. આ પહેલો નિયમ છે. મને એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે. ૧૯૮૨માં હું બે દિવસ કાવ્યપઠન કરવા માટે સિંગાપોર ગયો હતો. પણ એમાં એવું થયું કે ધીરેધીરે કરતાં હું પંદરેક દિવસ રોકાઈ ગયો અને એ લોકોએ મારું કાવ્યપઠન પંદર દિવસ કરાવ્યું. આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ કવિને કાવ્યપઠન માટે પંદર દિવસ રોકે. એ લોકોએ કહ્યું કે પહેલી વાર ગુજરાતી ભાષામાં આટલું બધું કામ થાય છે અને ગુજરાતી ભાષામાં આવી આવી ગઝલો લખાઈ છે એની અમને ખબર પડી. હા, શાયર મુશાયરાઓમાં ગઝલ રજૂ કરતાં કરતાં શરૂઆતમાં થોડો નીચે ઊતરે છે ખરો. પણ એ એટલો જ નીચે ઊતરે, એટલો જ વાંકો વળે, જ્યાંથી પ્રેક્ષકનો હાથ પકડીને એને ઉપર ખેંચી લેવાય. પ્રેક્ષકનો હાથ પકડીને આપણે એને આપણી નજીક, ઉપર લેવાનો છે. આપણે એની જોડે નીચે ઊતરી જવાનું નથી. શાયરે આટલી કાળજી તો રાખવી જ જોઇશે. પણ હા, મનોરંજનના તત્ત્વમાં તાળીઓની ટેવ પડી જાય તો આવું થાય છે. બાકી ઓડિયન્સ બહુ જ સજ્જ અને સમજુ હોય છે અને ઘણી બધી ગઝલો ઓડિયન્સને કંઠસ્થ પણ હોય છે.

પ્રશ્ન : આપની કેટલીક ગઝલો સ્વરબદ્ધ પણ કરાઈ છે. કોઈ ગઝલકાર પોતાની ગઝલોનું સ્વરાંકન સાંભળે ત્યારે એ પોતાની રચનાઓને કેવી રીતે અનુભવે?

ઉત્તર : મારી ગઝલોનાં જે સ્વરાંકનો થયાં છે એ મને ખૂબ ગમ્યાં છે. પણ મજાની વાત એ છે કે મારી બધી જ ગઝલોનાં સ્વરાંકનો મને પરદેશમાં કોઈક ગુજરાતીએ સંભળાવેલા છે. ત્યાં હું ગયો હોઉં અને મને પૂછે કે ‘તમે આ સાંભળી છે તમારી ગઝલ?’ અમર ભટ્ટે સરસ સ્વરાંકનો કર્યાં છે, ઓસમાણ મીરે અને પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયાં છે. આમ તો પરદેશની ભૂમિમાં આપણને કોઈ ગુજરાતી બોલનાર મળી જાય તોયે આપણને આશ્ચર્ય થાય તો આ તો પરદેશમાં આપણને આપણું કંઇક સાંભળવા મળે તો એનો આંનંદ કંઇક જુદો હોય. મારા સ્વરાંકનો સાંભળીને સારું લાગે છે કે સંગીત દ્વારા હું લોકો સુધી પહોંચ્યો. કારણ કે કવિતા છપાઈને કે મુશાયરા દ્વારા લોકો સુધી પહોંચે એના કરતાં સંગીત દ્વારા એ વધારે પહોંચે છે.

પ્રશ્ન : આપને અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે, હમણાં છેલ્લો કવિશ્રી દલપતરામ એવોર્ડ આપને એનાયત થયો. આ સન્માનોનું આપના સર્જક જીવનમાં શું સ્થાન છે?

ઉત્તર : આ સન્માનો મેં સ્વીકાર્યાં છે અને એનાથી મને એવું લાગ્યું કે જે મેં લખ્યું છે એ સ્વીકારાયું છે, લોકો સુધી પહોંચ્યું છે, અને એનો એક આનંદ હોય છે. પણ એને મેં મારા મનમાં બહુ ઊંડે સુધી જવા નથી દીધું. સન્માનને લીધે એમ લાગે કે સમાજે મને સ્વીકાર્યો, સાહિત્યએ મને સ્વીકાર્યો અને મા સરસ્વતિની કૃપા થઇ.

પ્રશ્ન : આપે કરેલું એક અદ્દભુત તત્ત્વ-મિમાંસાનું કામ તે ‘નવનીત સમર્પણ’માં હપ્તાવાર પ્રગટ થયેલું ‘લલિતાસહસ્રનામ’, જે પછીથી પુસ્તક સ્વરૂપે પણ પ્રસિદ્ધ થયું. એના અવતરણ પાછળની પ્રેરણા વિષે અમને કંઇક કહી શકો? એ સમયની આપની મનઃસ્થિતિ વિષે જાણવાની પણ ઈચ્છા છે.

ઉત્તર : લલિતાસહસ્ર અદ્દભુત છે. ભારતીય પરંપરાની દૃષ્ટિએ કહેવા જાઉં તો એ મા સરસ્વતિએ પોતે રચેલું છે. સ્કંદપુરાણની અંદર, બ્રહ્મપુરાણની અંદર આ વાત આવે છે. વિષ્ણુસહસ્ત્રનામમાં એકનાં એક નામ ફરીફરીને આવતાં જણાશે, લલિતાસહસ્રમાં કોઈપણ નામ બીજી વખત નથી આવતું, એ લલિતાસહસ્રની એક વિશિષ્ટતા છે. માતાજીનાં એક હજાર નામ અને એ દરેક નામની પાછળ એક વિશેષ અર્થ સમાયેલો છે, પ્રત્યેકનો એક વિશિષ્ટ સંદર્ભ છે. લલિતાસહસ્ર વિષે લખવાનું મને દીપકભાઈએ નિમંત્રણ આપ્યું હતું. એમને મારી આ ઉપાસના વિષે થોડીક ખબર પણ હતી, એ પોતે પણ એ માર્ગના ઊંડા પ્રવાસી છે. બહેન, મારા જીવનમાં કોઈએ પહેલી વાર મને આ પ્રશ્ન કર્યો છે, અને એના વિષે હું પહેલી વાર આ બોલી રહ્યો છું. ભારતીય પરંપરામાં જેને શ્રીવિદ્યા કહે છે એનો હું ઉપાસક છું. મારા ગુરુના અનેક જ્ઞાની શિષ્યો છે, એ શિષ્યોમાં હું મારી જાતને ઠોઠ ગણું છું. આમ જોવા જાવ તો આદિ શંકરાચાર્ય પાસે પેલા ગિરિની અવસ્થા હતી એવી જ અવસ્થા મારી છે. દીપકભાઈએ આમંત્રણ આપ્યું અને કહ્યું કે રાજેશભાઈ, તમે લખી જ શકશો. આ ‘લખી શકશો’ એમના અવાજમાં હતું ને, એમના અવાજમાં શ્રદ્ધાની જે તાકાત હતી એટલી મારામાં નહોતી. મેં એમને ચાર-પાંચ વાર ફોન પણ કર્યા. મેં એમને કહ્યું કે તમે મને આ કેવું કામ સોંપી રહ્યા છો ખબર છે? દરિયાની ઓળખાણ ….. થી લોકોને કરાવવાની છે, અને મારી પાસે સોનાની ચમચી પણ નથી, મારી પાસે તો સ્ટીલની ચમચી જ છે. મેં મારા ગુરુના આશીર્વાદ માંગ્યા, કે મને આ નિમંત્રણ મળ્યું છે તો હું શું કરું? મને એમણે કહ્યું કે લખો, ગુજરાત માટે લખો અને ગુજરાતી ભાષામાં લખો. મેં કહ્યું કે મારી પાસે કોઈ સંદર્ભગ્રંથો નથી, તો એમણે કહ્યું કે બધા ગ્રંથો આવી મળશે. ફરી પાછો, પહેલાં જેમ હું પાંચ વર્ષ મૌન થઇ ગયો હતો અને પેલા કાવ્ય-સત્સંગ પ્રગટ થયા, એમ હું લખવા બેઠો અને સાડા ત્રણ, પોણા ચાર વર્ષ સુધી હું ઘરની બહાર નથી નીકળી શક્યો. એ સમયમાં હું વહેલી સવારે ઊઠીને પૂજા-પાઠ કરું, ક્યારેક બ્રશ કર્યા વગર કે ક્યારેક સ્નાન કર્યા વગર પણ બેસી રહ્યો હોઉં, અને મા સરસ્વતિની કૃપા બધું સૂઝાડતી હતી. તો જ્ઞાન તરે છે. આપણે એમ માનીએ કે આ બધી માહિતી છે, જીવન નિર્વાહ માટે જરૂરી છે. પણ જેમ સ્મરણ વધતું જાય એમ જ્ઞાન પ્રગટે છે. આ બધા જે સંતો, સદ્દગુરુઓ, મહા કવિઓ થઇ ગયા, નરસિંહ મહેતા કે ટાગોર જેવા, એ બધામાં એ કઈ રીતે પ્રગટ્યું હશે એનો મને ખ્યાલ આવે છે. સાવ ખાલી થઇ જઈએ ત્યારે ક્યાંકથી ઝરણાંની જેમ એ અર્થો ફૂટે છે. આ સાડા ત્રણ-પોણા ચાર વર્ષ દરમ્યાન લખાયું ત્યારે હું કંઈક મૂંઝાઉં, તો મને કોઈક સંદર્ભ ગ્રંથ આપવા આવ્યું હોય અને એમાં કંઈક જોઇને મને થાય કે હા, મારા મનમાં જે અર્થ હતો એ આમાંથી આવ્યો હશે. એક –દોઢ વર્ષ પછી તો એવું થયેલું કે ઘણા બધા અર્થો મને રાત્રે નિદ્રામાં પણ, જાગતાં, હરતા-ફરતાં, બગીચામાં કામ કરતાં પણ સ્ફુરવા મંડ્યા. દાખલા તરીકે હું એક વૃક્ષને રોજ પાણી પાતો. એ સૂકાઈ ગયું હતું. હું એને કહેતો કે તું લીલું થા, તું મારા પિતાજીના સમયનું છું. થોડા સમય પછી એ સૂકાઈ ગયેલા ઝાડમાં કૂંપળો ફૂટી, અને એની ટોચ પર એક ફૂલ ખીલ્યું. તો મને થયું કે વૃક્ષની ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ એટલે ફૂલ. તો આ રીતે ચેતનાનું સર્વોચ્ચ સ્વરૂપ મને અનુભવાયું એક વૃક્ષમાં અને આમ લલિતસહસ્રના અર્થો મને જડતા ગયા. માએ મને શીખવાડવા માટે દીપકભાઈને નિમિત્ત બનાવીને આ કામ કરાવડાવ્યું, જેને લઈને માતાજીના ઉપાસકોને એ ઉપયોગી થયું, ગુજરાતને એ મળ્યું.

પ્રશ્ન : રાજેશભાઈ, સાધના શબ્દના અનેક સંદર્ભો છે. કદાચ આપણે એ શબ્દને વાપરી પણ નાંખ્યો છે અને સાધના એ ચર્ચાનો વિષય પણ નથી. છતાં સાધક હોવું એટલે કેવા હોવું? એ પ્રશ્ન પૂછ્યા વિના રહી નથી શકતી.

ઉત્તર : આમ તો સાધનાને સંબંધ સિદ્ધિ સાથે છે. હું મારે માટે સાધકને બદલે ઉપાસક શબ્દ વાપરું છું. કારણ કે એમાં નજીક બેસતા જવાનું છે. ‘દીપો દિપાંતરમ યથા’ એક અપ્રગટ દીવાએ એક પ્રગટ દીવાની એટલા નજીક જવાનું છે કે પેલા પ્રગટ દીવાની જ્યોત કૂદકો મારીને પેલા અપ્રગટ દીવાને પ્રગટાવી દે. તો એ દીપાંતરની રીતે જ હું ઉપાસનાને મહત્ત્વ આપું છું. સાધના એનો ભાગ છે, સકામ સાધના –નિષ્કામ સાધના એના પ્રકારો છે, પણ એ ક્ષેત્ર તરફ હું નથી વળ્યો. મારું વળી જવાયું, કુદરતી રીતે, ઉપાસના તરફ. એટલે જે ઘણા બધા વિધિ-વિધાન છે એ બધાથી હું દૂર ચાલ્યો ગયો. કઈ રીતે આપણે આપણને ઓળખી શકીએ, આપણને પામી શકીએ એ તરફ ચાલ્યો ગયો.

પ્રશ્ન : એક ઉપાસક-ગઝલકાર દુનિયાદારી સાથે કેવી રીતે સંકળાય છે?

ઉત્તર : નથી સંકળાઈ શકાતું. દુનિયાદારીની દૃષ્ટિએ બહુ ગણતરીબાજ હોવું જોઈએ, બહુ કુશળ, વ્યવહારદક્ષ હોવું જોઈએ, એ રીતે નથી થવાતું. પણ જતે દિવસે દુનિયા આપણને સમજી જાય છે કે આની જોડે ગણતરીથી વાત નહીં કરવી. ક્યારેક અમસ્તા રડવા બેસી જવાય, ક્યારેક સાવ ખાલી થઇ જવાય, ક્યારેક સારા સારા અનુભવો થાય એને પણ કેમ યાદ ન કરીએ? પણ આમ ઉપાસક તરીકે મને દુનિયાદારીમાં ફાવતું નથી, જરઠ વાતોમાં ફાવે નહીં, દુનિયાદારીના રિવાજો પાળવા ફાવે નહીં. મને લાગે છે કે મને પરમ ચૈતન્યએ આ ભૂમિકા ભજવવાની કહી છે, એટલે આ ભૂમિકા ભજવું છું. 

પ્રશ્ન : શું આધુનિક વિશ્વ માર્મિક સાધનાનો મર્મ જાળવી શકે એમ છે?

ઉત્તર : હા, જબરજસ્ત રીતે વાત કરી શકે છે. અત્યારના જે યુવાનો છે, એ આને વધારે ને વધારે સમજતા થયા છે. એક બહુ સાદો દાખલો આપું. જ્યોતિષની વાત છે, બહુ મોટી આધ્યાત્મિક વાત નથી. એક સમયે અગિયાર રૂપિયામાં અને એકાવન રૂપિયામાં અને પાંચ રૂપિયામાં જન્માક્ષર જોવાતા હતા. હવે આજના યુવાનો છે એ કયો ગ્રહ, કયું નક્ષત્ર કઈ દિશામાં છે, એની શું અસર છે એની ચર્ચાઓ કરે છે, હું એને સાંભળું છું, એ લોકોને મળું છું, એ લોકોની સાથે વાત કરું છું. અને મને આશ્ચર્ય અને આનંદ થાય છે. એ લોકો અધ્યાત્મમાં પણ ઊંડા ઉતર્યા છે, એ લોકો શબ્દોના અર્થ સમજી શક્યા છે, એ લોકો ઉચ્ચારોનું વિજ્ઞાન સમજી શક્યા છે. Peace-શાંતિ અને silence-મૌનની વચ્ચેનો ભેદ સમજી શક્યા છે. અને એ લોકો આ તરફ વળશે જ. કારણ કે કોઈ એક દિશામાં ખૂબ આગળ વધી ગયા પછી એ દિશામાંથી પણ પાછા વળવાનું હોય છે. કદાચ એ લોકો વધુ સાચી રીતે સમજશે, કદાચ પૂર્વજોનું જે વિજ્ઞાન હતું એ વિજ્ઞાન આવતી પેઢી આપણને સમજાવશે, એવી મને શ્રદ્ધા છે.

પ્રશ્ન : આપને એવું લાગે છે કે પ્રાચીન સાધના પદ્ધતિ આજે વિધિ-વિધાનમાં અટવાઈ ગઈ છે?

ઉત્તર : અત્યારે આપણી પ્રાચીન પરંપરા અંધશ્રદ્ધામાં અટવાયેલી છે, અજ્ઞાનમાં અટવાયેલી છે. પણ છતાં ય જે સાચો માણસ છે, જેની સૂઝ છે, એને સાચી દિશા મળી જાય છે. બાકી તો દરેક યુગમાં, દરેક ધર્મમાં આ રીતે વિધિ-વિધાનમાં અટવાતા લોકો હશે. છતાં ય હિંદુ ધર્મની એક વિશેષતા છે કે એ મંજાતો રહ્યો છે, ઉપનિષદોના અર્થો પેઢી દર પેઢી નવા નવા થતા રહ્યા છે. ઉપાસના એ ખળખળ વહેતી નદી જેવી છે. એ તાજી ને તાજી રહે છે. એમાં નવા નવા અર્થો ઉમેરનારા પ્રગટ્યા છે.

પ્રશ્ન : ગુરુ અને જ્ઞાનનો સંદર્ભ સમજાવશો?

ઉત્તર : ગુરુ વગર જ્ઞાન શક્ય નથી અને ગુરુ પણ જાણતો હોય છે કે એ ગુરુ નથી. આ એક બહુ મજાની વાત છે. ગુરુ માત્ર શિષ્યના સંદર્ભમાં જ ગુરુ છે. શિષ્ય ન હોય તો એ માત્ર એક સીધોસાદો માણસ છે, જેમ એક સ્ત્રી એક બાળકના સંદર્ભમાં માતા છે, બાકી તો એ સ્ત્રી છે. જ્યારે શિષ્ય હોય ત્યારે એ વ્યક્તિ ગુરુ બની જાય છે અને ત્યારે શિષ્યને એનામાં ગુરુ-તત્ત્વ દેખાય છે. ગુરુ-તત્ત્વ એ એની અંદરની એક ભૂમિકા છે, એક અવસ્થા છે. જ્યારે હૃદયમાંથી કરુણા પ્રગટે છે ત્યારે એક ભૂમિકા પ્રગટે છે. એક વ્યક્તિ માટે એક જ ગુરુ હોઈ શકે, ક્યારેક એક વ્યક્તિ માટે અસંખ્ય ગુરુઓ હોઈ શકે. અરે, ભારતમાં તો મજાની વાત બને છે કે રસ્તામાં ચાલતા હોઈએ અને એક મિકેનિક હોય એને પેલા શીખાઉ છોકરાઓ ઉસ્તાદ કહે. ‘ઉસ્તાદ પંદરકા પાના લાઓ’ ‘ઉસ્તાદ યહ કરના હૈ’. તો એ ગુરુ-શિષ્ય તો કોઈ પણ ભૂમિકાએ છે, દરેક જગ્યાએ છે. પણ જે દુનિયા માટે છે એને આપણે માહિતી કહીએ, પેલું જે ગુરુજ્ઞાન છે એને આપણે અવિનાશી કહીએ છીએ. જે હતું અને જે હશે, એની સાથે એ જ્ઞાન આપણને જોડી આપે છે.

પ્રશ્ન : આપને જીવનમાં ક્યારે ય નિષ્ફળતા કે નિરાશા જેવું લાગ્યું છે?

ઉત્તર : હા, ઉમાશંકરની એક પંક્તિ મને જીવાડી ગઈ છે. ‘મને મળી નિષ્ફળતા અનેક તેથી સફળ થયો હું જિંદગીમાં …’ અને મરીઝનો એક બહુ સરસ શેર છે ‘બની શકે તો શ્રવણના હક મને આપો, કે જિંદગીમાં હું નિષ્ફળ છું, કામયાબ નથી.’ જિંદગીમાં ક્યારે ય સફળ માણસ પાસે કોઈ સલાહ ન લેવી. નિષ્ફળ ગયેલો માણસ કદાચ સાચી અને વધારે સારી સલાહ આપી શકે. હા, જીવનમાં હું નિષ્ફળ ગયો છું એવું મને લાગે છે પણ શ્રદ્ધાએ અને પ્રેમે મને જિવાડ્યો છે. શ્રદ્ધા કોઈપણ પરિસ્થિતિમાં આપણને જીવતા કરે છે, આપણને સમજાવે છે. શ્રદ્ધા જ આપણી નિષ્ફળતાઓને સફળતામાં પરિવર્તિત કરી આપે છે.

પ્રશ્ન : આપણે આ સંવાદનું સમાપન કરીએ તે પહેલાં, આપના જીવનમાંથી આપને લાધેલાં સત્યો વિષે થોડી વાત કરશો?

ઉત્તર : બસ, હું પ્રત્યેક પળને જીવી લેવામાં માનું છું. છેલ્લે એક અદ્દભુત વાત કહેવી છે, જે વાચકો પણ જિંદગીભર યાદ રાખશે, એમને પણ લાગશે કે કશુક નવું સાંભળ્યું. હું નાનો હતો ત્યારથી મને એવી ઈચ્છા હતી કે સાધુ થઇ જવું, ક્યાંક ચાલ્યા જવું. એ સમયગાળામાં હું કેટલા ય લોકો પાસે ગયો હોઈશ. પણ એક વ્યક્તિ પાસે હું અટકી ગયો હતો, કારણ કે એ વ્યક્તિની વિશેષતા એ હતી કે એ પૂજા કરીને એમના રૂમની બહાર આવે, તમારી સામે જુવે પછી તમારી તારીખ બોલે, મહિનો બોલે, સાલ બોલે, અને એ જો બધું સાચું હોય તો તમારા વિશેનું ભવિષ્ય કહી દે. એ વ્યક્તિ મને જીવતી જાગતી ભૃગુસંહિતા લાગતી હતી. લોકો એમની પાસે ખૂબ જતા હતા. આપણે ત્યાં તો નિયમ છે કે આવું કોઈક દુઃખ-દર્દ દૂર કરનારું હોય તો એની પાસે લોકો ઉભરાય. મને એ વ્યક્તિના જ્ઞાનમાં રસ હતો, કે આ વ્યક્તિને આ સૂઝે છે કઈ રીતે. છઠ્ઠા-સાતમાં ધોરણમાં ભણતો છોકરો, અંજાયેલો તો હતો જ, પ્રભાવિત તો હતો જ, એમના પગ દબાવે, એમને સ્તોત્રો સંભળાવે ‘ચિદાનંદ રૂપઃ શિવોહમ્‌ શિવોહમ્‌’. એ હસી પડે. બધા આવીને ચાલ્યા જાય, હું એમની પાસે બેસી રહું, પગ દબાવું, શ્લોક સંભળાવું, ધીરેધીરે એમની પાસે આવનારાની સંખ્યા ખૂબ વધતી ગઈ અને એક દિવસ અચાનક એ ગુમ થઇ ગયા. બધા એમને બાપજી કહેતા, પણ એથી વિશેષ કંઈ નહીં. હું એમ.એ.નું ભણતો હતો ત્યારે મારા ઘર પાસે આવીને કોઈકે કહ્યું કે અહીં રાજેશ નામનો એક છોકરો રહેતો હતો તે ક્યાં છે? મેં કહ્યું કે એ હું જ છું. એ મને કહે કે બાપજી આવ્યા છે અને યાદ કરે છે. હું ગયો, પલંગ પર એક ૯૫ વર્ષ જેટલી વયની એક વ્યક્તિ ટેકો લઈને સૂતી હતી. એ મને જોઇને બેઠા થયા, મારી આંખો ચમકી, એમની આંખો ચમકી. ૯૦-૯૫ વર્ષના વ્યક્તિ, કદાચ એમ કહેવાય કે એ જીવનના છેલ્લા દિવસો તરફ જઈ રહ્યા છે. અને એમણે એટલા બધા આનંદથી મને આવકાર્યો, મારી આંખોમાંથી પાણી વહી રહ્યું. પછી એમણે કહ્યું, ‘ચાલ પગ દબાવ’ એટલે મેં પગ દબાવ્યા. મારો એકનો એક જ પ્રશ્ન હતો, ‘તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ક્યાં જતા રહ્યા હતા?’ એ કશું જ બોલ્યા નહીં, એમણે એટલું જ કહ્યું ‘પ્રસિદ્ધિ પરપોટા જેવી છે’ બીજે દિવસે હું પાછો ગયો તો મને કહે કે ‘તારે કંઈ પૂછવું છે? તારે કંઈ કામ છે? તારે કંઈ જોઈએ છે?’ અને મારાથી પુછાઈ ગયું કે ‘તમે હવે દેહ છોડવા જઈ રહ્યા છો?’ તો મને કહે કે ‘તારે કંઈ પૂછવું હોય તો કહે’. ત્રીજા દિવસે મેં એમને કહ્યું કે ‘તમે અસંખ્ય માણસોને જોયા, ચાહ્યા, તમે ફકીરની જેમ જીવ્યા. આટલું બધું જોયા પછી કંઈ સારરૂપ મને કંઈ કહેવું હોય તો કહો. જીવનમાં મને ક્યારેક સુખ મળે, ક્યારેક દુખી થાઉં, ક્યારેક લૂંટાઈ જાઉં, ક્યારેક કોઈને અપાર પ્રેમ મળે. તો મને એમ લાગે કે જીવી શકાય એવું તમને મળેલું કોઈક સત્ય હોય તો મને કહો’. એમણે મને કહેલું એ સત્ય આજે હું તમને કહું છું. એમણે મારા બંને હાથ પકડી લીધા અને પછી આંખોમાં આંખ પરોવીને કહે છે ‘જીવનભર યાદ રાખજે, મળેલા જ મળે છે. કોઈ છેતરી જાય તોયે સમજવું કે આ મળેલા મળ્યા, કોઈ વરસી જાય તોયે સમજવું કે મળેલા જ મળ્યા. આ ઋણાનુબંધ, આ લેણ-દેણ, આ પ્રારબ્ધ, તમે નામ ગમે તે આપો. આ જગતમાં મળેલા જ એકબીજાને મળીએ છીએ’. એ સંદર્ભમાં મને છેલ્લે બે પંક્તિ યાદ આવે છે ‘હશું કોઈ કાળે, કોઈના સદ્મખંડે, જગાએ જગાનું સ્મરણ ઝાંખું પાંખું’. એટલે ચાલ્યા કરે છે, પુનરપિ જનનમ્‌, પુનરપિ મરણમ્‌’. એ વખતે મને નરસિંહ મહેતા યાદ આવે છે કે ‘હરિનાં જન તો મુક્તિ ન માંગે, માંગે જનમ જનમ અવતાર રે’. 

e.mail : aradhanabhatt@yahoo.com.au

પ્રગટ : “નવનીત સમર્પણ”, મે 2021

Loading

...102030...1,8811,8821,8831,884...1,8901,9001,910...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved