Opinion Magazine
Number of visits: 9571865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નળથી જળ’ માટે જળ ક્યાં ?

ચંદુ મહેરિયા|Opinion - Opinion|4 June 2021

તરસ્યા ગ્રામીણ ભારત માટે ૨૦૧૯ના સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની રાંગેથી વડા પ્રધાને ‘નલ સે જલ’ યોજનાની ઘોષણા કરી હતી. દેશના જે ૧૯ કરોડ ૧૮ લાખ ગ્રામીણ પરિવારોને પીવાનું પાણી નસીબ નથી, તેમને રૂ. ૩.૬ લાખ કરોડની ‘ગ્રામીણ જલ જીવન મિશન યોજના’ મારફત પાઈપ લાઈનથી સ્વચ્છ પીવાનું પાણી પહોંચાડવાનો સરકારે નિર્ધાર કર્યો હતો. તે પછીના વરસે ‘નળથી જળ’ યોજના વિસ્તારીને તેમાં ૪,૩૭૮ શહેરી વિસ્તારોને પણ સમાવવામાં આવ્યા છે. યોજનાના આરંભ સમયે, ૨૦૧૯માં, દેશના માત્ર ૩.કરોડ ૨૩ લાખ ઘરોને જ નળથી પીવાનું પાણી પહોંચતું હતું. ૨૦૨૪ સુધીમાં સરકાર પીવાનાં પાણીની પહોંચ બહાર રહેલા વીસેક કરોડ પરિવારોને આવરી લેવા માંગે છે. એપ્રિલ ૨૦૨૧ના મધ્ય ભાગ સુધીમાં ૭. કરોડ ૩૬ લાખ પરિવારોને નળથી જળ સુલભ કરી આપી ૩૮.૩૭ ટકા લક્ષ્ય હાંસલ કર્યાનો સરકારનો દાવો છે.

દેશના ૨ રાજ્યો, ૫૨ જિલ્લા ૬૬૩ તાલુકા અને ૪૦,૦૮૬ ગ્રામપંચાયતો હસ્તકના ૭૯,૧૯૬ ગામો ‘નલ સે જલ’ યોજના હેઠળ પીવાનું શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણી મેળવતા થયાં છે. ગોવા અને તેલંગાણા એ બે રાજ્યોએ ૧૦૦ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરીને આ યોજના સંપૂર્ણ પાર પાડી છે. નળથી જળ યોજનાનો સાઠ ટકા કરતાં વધુ લક્ષ્યાંક પૂર્ણ કરાનારા રાજ્યો છે : આંદામાન –નિકોબાર અને પુડુચેરી (૮૮.૨ ટકા), હરિયાણા (૮૫.૬ ટકા), હિમાચલ પ્રદેશ (૭૫.૬ ટકા), સિક્કિમ (૭૩ ટકા,) પંજાબ (૬૮.૯ ટકા), બિહાર (૬૪.૧ ટકા), મહારાષ્ટ્ર (૬૦.૫ ટકા) જે રાજ્યોમાં ૧૦ ટકા લાભાર્થીઓ સુધી પણ યોજના પહોંચી નથી તેમાં પશ્ચિમ બંગાળ ૬.૨ ટકા સાથે મોખરે છે. અસમના ૬.૪, લદ્દાખના ૭.૫૪ અને ઉત્તર પ્રદેશના ૯.૧ ટકા ઘરો સુધી જ નળથી પાણી પહોંચ્યું છે. દસ ટકા કરતાં ઓછી સિદ્ધિ હાંસલ કરનારા યુ.પી. અને લદ્દાખ સહિત નવ રાજ્યો ૨૦૨૨માં તમામને નળથી જળ પહોંચાડી દેવાના છે !  બીજા આઠ રાજ્યો ૨૦૨૩માં અને બાકીના તમામ ૨૦૨૪ સુધીમાં પીવાનાં પાણીવિહોણા પરિવારોને જીઓ ટેસ્ટિંગ કરીને પાઈપલાઈન મારફતે પાણી  પહોંચાડવા પ્રતિબદ્ધ છે.

૮૨ ટકા પરિવારોને નળથી જળ યોજના હેઠળ પાણી પહોંચાડીને ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમે છે. રાજ્યના ૨૦૨૧-૨૨ના બજેટના પૃષ્ઠ ૧૨ પર જણાવ્યા મુજબ ગાંધીનગર, મહેસાણા, પોરબંદર, બોટાદ અને આણંદ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી આ યોજના પહોંચી ચૂકી છે. નર્મદા કેનાલ અને મોટા ડેમ આધારિત પાઈપ લાઈનથી પાણી પહોંચાડવાની નલ સે જલ યોજના માટે રાજ્યના બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યને રૂ. ૧૦૦ કરોડનું વિશેષ અનુદાન આપ્યું છે.

‘નલ સે જલ’ યોજનાનો હેતુ માત્ર પાણીવંચિત પરિવારોને પાણી પહોંચાડવાનો જ નથી. લાંબા ગાળા માટે પાણીના સ્ત્રોત ઊભા કરવા, પાણી સંરક્ષણ, પ્રદૂષણરહિત પાણીની ઓળખ અને પાણીની ન્યાયી વહેંચણી થાય તેવા પ્રબંધનનો હેતુ પણ છે. પૃથ્વી એક જળગ્રહ છે. તેના પોણાભાગ પર પાણી તો છે, પરંતુ તે સમુદ્રોનું છે. તેથી માનવીનો પાણી માટેનો આધાર વરસાદી પાણી, નદીઓનું પાણી અને ભૂગર્ભ જળ પર છે. ભૂજળનું માનવીએ અમર્યાદિત દોહન કર્યું છે તો નદીઓનાં પાણીને દૂષિત કરી પીવાલાયક રહેવા દીધાં નથી. પાણીના અભાવ કરતા સામાજિક-રાજકીય-આર્થિક વ્યવસ્થાના કારણે પાણીની અયોગ્ય વહેંચણી થતી હોવાથી ક્યાંક પાણીની રેલમછેલ છે તો ક્યાંક ચાંગળું પાણી પણ નથી.

પીવા માટે ઉપયોગી ભૂજળનો વેડફાટ અટકાવવા દંડાત્મક સજાની જોગવાઈ ૧૯૮૬ના પર્યાવરણ સંરક્ષણ અધિનિયમમાં છે. પરંતુ તેનો ભાગ્યે જ અમલ થાય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે ઓકટોબર ૨૦૧૯માં ભૂજળની બરબાદી અને દુરુપયોગ રોકવા આદેશ કર્યો હતો. કેન્દ્રીય ભૂજળ બોર્ડે તેનો અમલ કરવા રાજ્યોને પત્ર લખી ઈતિશ્રી માની લીધી હતી. પરિણામે રાજસ્થાન સરકારે શહેરી ક્ષેત્રોમાં ભૂજળના દોહન પરનો પ્રતિબંધ તાજેતરમાં ઉઠાવી લીધો છે. દેશની મોટાભાગની વસ્તીની પાણીની જરૂરિયાત ભૂજળથી પૂરી થતી હોય ત્યારે તેના અયોગ્ય ઉપયોગને રોકવા માટે કોઈ કારગત કદમ ઉઠાવાતા નથી.

ભૂજળનું ઘટતું સ્તર અને તેને કારણે ઊભા થનારા ભાવિ સંકટને ધ્યાનમાં રાખીને ‘અટલ ભૂજળ યોજના’ ઘડવામાં આવી છે. આ યોજના અન્વયે પાણીનું સંકટ સહેતા વિસ્તારોમાં ભૂજળ સંસાધનોનું કાયમી અને નક્કર પ્રબંધન કરવાનું છે. ત્યારે યોજના માટે ફાળવેલા નાણા નહીં ખર્ચીને તંત્રએ તેની અસંવેદનશીલતા દર્શાવી છે. લોકસભા પ્રશ્નના જવાબમાં મળેલી માહિતી મુજબ ૨૦૨૦-૨૧ના વરસ દરમિયાન આ યોજના માટે કેન્દ્રે બસો કરોડ રૂપિયાની ફાળવણી તો કરી હતી પણ માત્ર ચોપન લાખ જ ખર્ચાયા હતા !

૧૯૫૧માં દેશમાં વ્યક્તિદીઠ ૧૪,૧૮૦ લીટર પાણી સહજતાથી ઉપલબ્ધ હતું. ૨૦૫૦ સુધીમાં તે ઘટીને ૩,૧૨૦ લીટર થવાની શક્યતા છે. નીતિ આયોગે ભૂજળનું દોહન આજની ગતિએ ચાલુ રહેશે તો ૨૦૩૦ સુધીમાં દેશની ૪૦ ટકા વસ્તીને પાણીનાં વલખાં પડવાની ચેતવણી આપી છે. એટલે પણ વરસાદી પાણીનો સંગ્રહ અનિવાર્ય છે. વરસે દહાડે આપણે ત્યાં ૪,૦૦૦ અબજ ઘન મીટર વરસાદી પાણી વરસે છે. તેમાંથી ૧,૮૦૦ અરબ ઘન મીટર  વાપરવા યોગ્ય હોય છે. પણ આપણી પહોંચમાં ૧,૧૧૦ અબજ ઘન મીટર વર્ષા જળ છે. જો કે આપણે માત્ર ૭૫૭ અબજ ઘન મીટર જ સંઘરી શકીએ છીએ. તે પૈકી ૪૦૦ અબજ ઘન મીટર જમીનમાં ઊતરે છે અને  દેશના તમામ બંધોમાં  ૨૫૪ અબજ ઘન મીટર પાણી સંગ્રહાય છે. નલ સે જલ યોજનામાં આ મોટા બંધોનું પાણી જ પાઈપ લાઈનથી નળ સુધી પહોંચવાનું છે.

પાણીનો બે-લગામ અને બેફામ ઉપયોગ અટકાવવાની પણ એટલી જ જરૂર છે. મોટે ભાગે ચોખ્ખાં પાણીનો જ ઉપયોગ ખેતીમાં થાય છે. તે અંગે ફેરવિચારની જરૂર છે. એક કિલો ડાંગર પકવવા ૨,૪૯૭ લીટર, કઠોળ માટે ૨,૦૦૦ લીટર, ઘઉં માટે ૧,૫૦૦ લીટર, એક ક્વિન્ટલ શેરડી માટે ૨ થી ૩ લાખ લીટર, એક કિલો ડુક્કરના માંસ માટે ૫,૯૮૮ લીટર અને એક જીન્સ પેન્ટ બનાવવા ૫,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ થાય છે. શું પાણીના આ ઉપયોગ વિશે વિચારવાની જરૂર નથી ? સસ્તી વીજળી અને ભૂગર્ભ જળના ઉપયોગથી મબલખ અનાજ તો પેદા કર્યું, અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી જ નથી બન્યો, જંગી બફર સ્ટોક પણ ઊભો કર્યો છે પરંતુ અન્ન સુરક્ષા પછી હવે જળ સુરક્ષા વિચારીશું કે નહીં ?

શહેરી સુવિધાભોગી સંપન્ન વર્ગ પાણીનો દુરુપયોગ કરે છે એટલે દૂરના વિસ્તારો અને ગામડાંઓને પીવાનું પાણી મળતું નથી. નલ સે જલ  યોજનાની પ્રાથમિકતા દલિત-આદિવાસી બહુલ  વસ્તી ધરાવતા જળવંચિત ગામો, દુકાળ પ્રભાવિત જિલ્લા, રણ વિસ્તારો અને પાણીની નબળી ગુણવત્તાવાળા વિસ્તારો છે. પરંતુ આપણું વહીવટીતંત્ર આવી પ્રાથમિકતાને ગાંઠે ખરું ? ગુજરાતમાં ૨૬.૮૨ લાખ જળવંચિત પરિવારોમાંથી ૧૦.૬૨ લાખ પરિવારો દલિત-આદિવાસી હોવા છતાં યોજનાના આરંભના વરસે જ ગુજરાત સરકારે ૧૧.૧૫ લાખ જળવંચિત પરિવારોને નળથી જળ પહોંચાડવાની દરખાસ્ત ભારત સરકારને કરી હતી. તેમાં માત્ર ૬૨,૦૪૩ જ દલિત-આદિવાસી પરિવારો (દરખાસ્તના કુલ પરિવારોના માત્ર ૫.૮૪ %) હતા. કેન્દ્રમાં અને ગુજરાતમાં બી.જે.પી.ની સરકાર હોવા છતાં કેન્દ્રે ગુજરાતની દરખાસ્તને ‘સમાજના નબળા વર્ગો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવતી’ ગણાવીને પ્રાથમિકતાની યાદ અપાવી સુધારા માટે પરત કરી હતી.

૨૦૨૨માં ગુજરાતમાં અને ૨૦૨૪માં દેશમાં નળ સે જલ યોજના સો ટકા સિદ્ધિ મેળવે તેનાથી શું ઘરે ઘરે પાણી પહોંચી જશે તેમ માની શકાશે ? ગુજરાતમાં જળ સ્રોત વિનાના ૧,૦૨૬ ગામોને ૨૦૧૫-૧૬માં ટેન્કરથી પાણી પહોંચાડવું પડતું  હતું. ૨૦૧૯-૨૦માં તે ગામો વધીને ૧,૧૪૯ થયા હતા. જ્યાં નળ છે પણ તેમાંથી જળનું ટીપું પણ આવતું નથી તેવાં ગામો ગુજરાતમાં ૨૦૪ અને જ્યાં કોઈ પાણી પુરવઠા યોજના પહોંચી નથી તેથી ગામના સ્થાનિક સ્રોતથી પાણી મેળવે છે તેવા ૨૭ જિલ્લાના ૩,૫૦૭ ગામો છે.

નગરો-મહાનગરોમાં આ યોજનાની સફળતા માટે સરકારે અદ્દભુત કીમિયો કર્યો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકામાં ગેરકાયદે નળ જોડાણને રૂ. ૫૦૦નો દંડ લઈને તે કાયદેસર કરી આપી યોજનાની સફળતાનો ગ્રાફ ઊંચો બતાવવાની છે. જાન્યુઆરી ૨૦૨૧ના અંતે અમદાવાદમાં ૩૦,૧૧૯ ગેરકાયદે વોટર કનેકશનો કાયદેસર કરી આપીને સરકાર મહાનગર અમદાવાદના જળવંચિત ત્રીસ હજાર કરતાં વધુ કુટુંબોને પીવાનું પાણી પહોંચાડી દીધું હોવાના યશોગાન ગાઈ રહી છે.

સરકારો તો એની જ મસ્તીમાં મસ્ત રહેવાની છે પણ પ્રજા તરીકે લોકોએ પાણીને ઘીની જેમ વાપરવાની અને વરસાદના પ્રત્યેક ટીંપાને વેડફાતું અટકાવવાની આદત કેળવવાની છે તો જ ભાવિ પેઢીને  પાણી માટે સર્જાનારા પાણિપતથી ઉગારી શકાશે.

e.mail : maheriyachandu@gmail.com

Loading

કવીશ્વર દલપતરામ અને રાસમાળા

દીપક મહેતા|Opinion - Literature|3 June 2021

કવીશ્વર દલપતરામ

'મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.' (અંગ્રેજી રાસમાળાની ૧૮૫૬માં પ્રગટ થયેલી પહેલી આવૃત્તિની પ્રસ્તાવનાના અંશનો અનુવાદ)

'છેલ્લે દિવસે રાસમાળાનાં અસલ દલપત લખ્યાં ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફાર્બસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ.એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફાર્બસ રાસમાળા લખાઈ ને છપાઈ.’ (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ / નાનાલાલ દલપતરામ કવિ, પા. ૧૧૨-૧૧૩) (અવતરણ ચિહ્નોમાં બધે ભાષા-જોડણી મૂળ પ્રમાણે)

‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી ‘રાસમાળાની વાત’

જો આપણે શબ્દો ગળી જનારા નહિ, પણ ચાવીને વાંચનારા હોઈએ તો સવાલ થયા વગર ન રહે કે ફાર્બસ અને નાનાલાલ, બેમાં કોણ સાચું? કોણ નહિ? ફાર્બસની રાસમાળા તેમની મૌલિક કૃતિ, કે દલપતરામની ગુજરાતી કૃતિનો અનુવાદ માત્ર? રાસમાળા એક કે બે? રાસમાળાના ફાર્બસ લેખક કે અનુવાદક? દલપતરામની મહેનતનો જશ ખાટી જવાનો પ્રયત્ન ફાર્બસે કર્યો? કે ફાર્બસની કૃતિ દલપતરામના ખાતામાં જમા કરાવવાની મહેનત નાનાલાલે કરી છે?

ફાર્બસે દલપતરામની સહાય વિષે જે લખ્યું તેનું મૂળ જાત-માહિતીમાં રહેલું છે. નાનાલાલે જે લખ્યું તેનો આધાર? ફાર્બસના અવસાન પછી ‘બુદ્ધિપ્રકાશ’ના ઓક્ટોબર ૧૮૬૫ના અંકથી દલપતરામે ‘આનરએબલ ફારબસસાહેબનું મરણ’ નામની પોતાની લેખમાળા છાપવાનું શરૂ કર્યું હતું. તેમાં ફાર્બસ સાથેની પોતાની છેલ્લી મુલાકાત વિષે લખતાં દલપતરામ કહે છે : ‘એક કામ ઘણી જરૂરનું બાકી છે. તે એ કે રાસમાળામાં હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું તે ગોઠવીને છપાય તો હું જાણીશ કે મારાં બધાં કામ પૂરાં થયાં … એમ કહીને કેટલાંક પ્રકરણો મને સોંપ્યાં. વળી કહ્યું કે અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સાહેબને હું લખીશ, કે તેઓ આ પુસ્તક તમારી મારફતે રચાવીને છાપે.’ પણ પછી આગળ જતાં આ જ લેખમાળામાં દલપતરામ આખી વાતને જૂદો જ વળાંક આપે છે : ‘ફારબસસાહેબના ફરમાવ્યા પ્રમાણે રાસમાળાનાં કેટલાંક અશલ પ્રકરણો ગોઠવીને તેનું પુસ્તક કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું બે ભાગમાં તૈયાર કરીને મેં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના શેક્રેટરી સાહેબને આપ્યું, તથા તે છાપવા સારૂ આશરે રૂ. ૨૦૦)ના કાગળો ફારબસસાહેબે મોકલેલા તે પણ સાહેબ મોસુફને મેં સોંપ્યા. અને એ પુસ્તક રચતાં જે ખરચ થયું તે સોસાયટીએ આપ્યું. તે પુસ્તક સોસાયટીએ મુંબઈની ફારબસ ગુજરાતી સભામાં મોકલ્યું છે.’

એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ

દલપતરામે ઉપરોક્ત લેખમાં જે લખ્યું કે ‘હિંદુ રાજાઓની વાતો જેમાંથી આપણે લીધી છે, તે અસલ પ્રકરણો હું તમને આપું’ તેનાથી નાનાલાલ કાં ગેરમાર્ગે દોરવાયા છે, અથવા તેમની પિતૃભક્તિ તેમને દલપતરામના શબ્દોનું જૂદું (અને ખોટું) અર્થઘટન કરવા પ્રેરે છે, અથવા તો એક પિતૃશોકમાં ડૂબેલા કવિની આ અહોભાવપ્રેરિત કલ્પના છે. તેને હકીકતો સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ‘અસલ પ્રકરણો’ એટલે જે ગુજરાતી હસ્તપ્રતોમાંથી દલપતરામે ઉતારા કરેલા તે, ‘રાસમાળા’નાં અસલ ગુજરાતી પ્રકરણો નહિ. આ બે ચોપડા ૧૮૬૮માં સોસાયટીએ મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાને મોકલ્યા, પણ તેમાંનો ફક્ત કેટલોક જ ભાગ એ સભાએ છેક ૧૯૩૩માં પ્રગટ કર્યો. પોતાના આ ‘પુસ્તક’ની પ્રસ્તાવના પણ દલપતરામે લખી રાખી હતી અને તેમાં તેને ‘ગુજરાતી રાસમાળા’ તરીકે ઓળખાવ્યું હતું. પણ ફાર્બસ ગુજરાતી સભાએ એ નામે નહિ, પણ ‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ એવા નામે એમાંનો કેટલોક ભાગ પ્રગટ કર્યો. એટલે કે, ૧૮૯૮માં દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી આ ચોપડા છપાયા નહોતા. પણ એ છપાયા ત્યારે નાનાલાલ હયાત હતા. બીજી બાજુ ફાર્બસની અંગ્રેજી રાસમાળાનો ગુજરાતી અનુવાદ રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવીને ૧૮૬૯માં ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કર્યો. આની પાછળનું કારણ એ હોવાનો સંભવ છે કે આ સામગ્રી ‘ગુજરાતી રાસમાળા’ તરીકે પ્રગટ કરી શકાય તેમ નથી એવું સંસ્થાના જાણકાર સંચાલકોને લાગ્યું હોય, યોગ્ય રીતે. જે બે ચોપડાનો ઉલ્લેખ દલપતરામ, નાનાલાલ, અને અંબાલાલ કરે છે તે બે ચોપડા (ક્રમાંક ૪૮-૩-૬ અને ૪૮-૧૧) સારે નસીબે આજ સુધી ફાર્બસ ગુજરાતી સભામાં સચવાયા છે, પણ અત્યારે તે અત્યંત જીર્ણ અવસ્થામાં છે. એ જોતાં સ્પષ્ટ જણાય છે કે આ ચોપડામાં જે છે તે રાસમાળા માટે એકઠી કરેલી કાચી સામગ્રી છે. એને કોઈ રીતે ગુજરાતી કે અસલ રાસમાળા તરીકે ઓળખાવી શકાય તેમ નથી.

આ બંને ચોપડા ૧૮૫૬ અને ૧૮૬૫ની વચમાં ક્યારેક, એટલે કે અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ તે પછી, અને ૧૮૬૫માં ફાર્બસનું અવસાન થયું તે પહેલાં લખાયા છે. કારણ, તેમાં અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં પ્રગટ થઈ તેનો ઉલ્લેખ છે. તો બીજી બાજુ મૂળ લખાણ શરૂ કરતાં પહેલાં ‘સાહેબને પૂછવાનું’ એવા મથાળા નીચે ૧૦ મુદ્દા નોંધ્યા છે. તેમાંનો પહેલો મુદ્દો આ છે : 'ગુજરાતી ગ્રંથ બને તેનું નામ સું પાડવું?’ એટલે કે, આ ચોપડો લખાયો ત્યાં સુધી ‘ગુજરાતી રાસમાળા’ નામ નક્કી થયું નહોતું. વળી, ‘રાસમાળા’નો ઉલ્લેખ કરીને દલપતરામ કહે છે : ‘તેમાં જે અસલ પુસ્તકો પરથી પ્રકર્ણાદિ દાખલ કરેલાં છે તેમાના કેટલાએક પ્રકર્ણો મને સોંપીને કહ્યું જે આટલા પ્રકરણોનું એક પુસ્તક ગુજરાતીમાં છપાવીને પ્રગટ કર્યું હોય તો ગુજરાતી વાચનારાઓને ઘણું ઉપયોગી થઈ પડે.’ એટલે કે, આ ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ કરવા અંગેની વાત એ મરણપથારીએ પડેલા ફાર્બસની ‘છેલ્લી ઈચ્છા’ નહોતી, એ અંગે અગાઉ પણ તેમણે દલપતરામ સાથે વાત કરી હતી. આ ઉપરાંત, ‘ગુજરાતી રાસમાળા’ની બીજી એક હસ્તપ્રત (ક્રમાંક ૭૩૮) પણ ફાર્બસ ગુજરાતી સભામાં સચવાઈ છે. તે હસ્તપ્રત ૪૮-૧૧ની ૧૯૩૦માં કરાવેલી નકલ છે. ફાઉન્ટન પેનથી, ઝીણા, પણ અત્યંત સુવાચ્ય અક્ષરે આ નકલ લખાયેલી છે. તેનું લેખન ૧૯૩૦ના નવેમ્બરની ૩૦મી તારીખે વિલેપાર્લેમાં પૂરું થયું છે. મૂળ હસ્તપ્રત આજે અડતાં પણ બીક લાગે એવી દશામાં છે ત્યારે આ નકલ ઘણી મહત્ત્વની બની જાય છે. વળી એને સ્કેન કરીને પણ સાચવી લીધી છે.

 

રાસમાળા ૧ આવૃત્તિ ૧૮૫૬

પોતાના અનુવાદના પહેલા ભાગની પ્રસ્તાવનામાં રણછોડભાઈએ નોંધ્યું છે કે રાસમાળાનો ગુજરાતી અનુવાદ પ્રગટ થાય એવી ફાર્બસની પોતાની જ ઇચ્છા હતી અને તેમણે યોગ્ય અનુવાદકનું નામ સૂચવવા સર ટી.સી. હોપને વિનંતી કરી હતી. એ વખતે તેમણે રણછોડભાઈનું નામ સૂચવ્યું હતું, પણ તે માટે મુંબઈ જઈ ફાર્બસને મળવું જરૂરી હતું, જે એ વખતે રણછોડભાઈ માટે શક્ય નહોતું. એટલે અનુવાદ થઈ શક્યો નહિ. ફાર્બસના અવસાન પછી ફાર્બસ ગુજરાતી સભાએ અનુવાદનું કામ માથે લીધું અને તે માટે એ વખતની રીત પ્રમાણે અનુવાદના નમૂના મોકલવા જાહેર અપીલ કરી. આ રીતે આવેલા નમૂના ચકાસવા માટે એક સમિતિની નિમણૂક કરી. તેણે રણછોડભાઈનો નમૂનો પસંદ કર્યો અને તેથી અનુવાદનું કામ તેમને સોંપાયું.

‘ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ’ પુસ્તક પ્રગટ થયું ત્યારે અંબાલાલ બુલાખીરામ જાની ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી હતા. તેઓ એક વિદ્વાન સંશોધક પણ હતા. પુસ્તક પ્રગટ કરતી વખતે તેના કર્તૃત્ત્વ અંગે તેમણે પૂરી સાવધાની રાખી છે. દલપતરામને પુસ્તકના કર્તા ક્યાં ય ગણાવ્યા નથી. પુસ્તકના ટાઈટલ પેજ પર છાપ્યું છે : 'ગુજરાતના મધ્ય અને ઉત્તરકાળનાં રાજ્યો તથા રાજવંશો સંબંધી સંઘરેલી માહિતીઓ અને કથનીઓ. સંગ્રહી લખનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ.’ એટલું જ નહિ, પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે નિખાલસપણે લખ્યું છે : ‘એકંદર જોતાં ગ્રંથ કેવળ અપરિપક્વ – ટાંચણવાળી દશામાં તૈયાર કરેલો છે, તેમ જ તે સંપૂર્ણ પણ નથી … શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ તે પ્રગટ કરવા ધારણા રાખી ન હતી. પરંતુ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી તે પ્રગટ કરવા માટે પોતાને સોંપવાની માગણી થતાં, તેમ જ આ ગ્રંથ કવીશ્વર પાસે લખાવાયો, ત્યારે તે પ્રગટ કરવાનો મૂળ ઉદ્દેશ હતો એ વિચાર લક્ષમાં લેતાં અમારી સભાએ એની ભાષાશૈલી તેમ જ વસ્તુને એમ ને એમ સાચવી, માત્ર પ્રકરણો પાડી, પ્રગટ કરવાનું કામ મને સોંપ્યું અને તેટલું જ કામ મેં કર્યું છે.’

    

કવીશ્વર દલપતરામના હસ્તાક્ષરમાં એક પાનું

પોતાની લેખમાળામાં દલપતરામ પુસ્તકને ‘કાવ્યદોહનના બીજા પુસ્તક જેવડું  બે ભાગમાં’ તરીકે ઓળખાવે છે. જ્યારે ફાર્બસ ગુજરાતી સભાએ પ્રગટ કરેલું પુસ્તક ક્રાઉન ૧૬ પેજી સાઈઝનાં ૩૭૧ પાનાંનું જ છે (પ્રારંભિક પાનાં અલગ). એટલે અંબાલાલ જાનીએ ભલે લખ્યું નથી, પણ મૂળમાં સારી એવી કાપકૂપ પણ થઈ છે. એ પણ નોંધવું જોઈએ કે આ ‘ગુજરાતી રાસમાળા’ની વાત ફાર્બસના અવસાન પછી જ વહેતી થઈ. ૧૮૫૬માં અંગ્રેજી રાસમાળા પ્રગટ થઈ ત્યારથી ૧૮૬૫ સુધી આવો દાવો કોઈએ કર્યો નથી. અગાઉ જે બે ચોપડાનો ઉલ્લેખ કર્યો છે તેમાં પણ ક્યાં ય આવો દાવો દલપતરામે કર્યો નથી.

પણ દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’ના પ્રકાશન અંગેની સૌથી વધુ ચોંકાવનારી માહિતી તો ‘બુદ્ધિપ્રકાશ’ની જૂની ફાઈલો ફંફોસતાં અણધારી રીતે મળી આવી છે. દલપતરામ, ફાર્બસ અને ‘રાસમાળા’ અંગે આજ સુધીમાં ઘણાંએ લખ્યું છે, ઘણું લખ્યું છે, પણ નવાઈની વાત એ છે કે આજ સુધી કોઈનું એ તરફ ધ્યાન જ ગયું નથી. ફાર્બસની અંગ્રેજી રાસમાળા ૧૮૫૬માં લંડનથી પ્રગટ થઈ. આ પુસ્તક લખવા માટે ફાર્બસ લાંબી રજા લઈને સ્વદેશ ગયા હતા. પુસ્તક પ્રગટ થયું તે પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને ૧૮૫૭ના જાન્યુઆરીની ૧૦મી તારીખે સુરત પહોંચ્યા અને એક્ટિંગ જજ અને એજન્ટ ટુ ધ ગવર્નરની બેવડી જવાબદારી સંભાળી. અને ‘બુદ્ધિપ્રકાશ’ના ૧૮૫૮ના માર્ચ અંક(પાનું ૪૦)થી દલપતરામ ‘રાસમાળાની વાત’ હપ્તાવાર પ્રગટ કરવાનું શરૂ કરે છે. એ વખતે બીજાં ઘણાં સામયિકોની જેમ ‘બુદ્ધિપ્રકાશ’માં પણ આખા વરસના અંકોના સળંગ પાના નંબર અપાતા. ૧૮૫૮ના પાંચમા વર્ષમાં પાના નંબર ૪૦, ૬૩, ૮૦, ૯૮, ૧૧૩, ૧૨૯, ૧૫૨, ૧૬૭, અને ૨૦૯ ઉપર ‘રાસમાળા’ કે રાશમાળા’ શીર્ષક સાથે દલપતરામનું લખાણ પ્રગટ થયું છે. ૧૮૫૯માં પણ પાના નંબર ૩૦ અને ૪૪ ઉપર તે ચાલુ રહે છે. છેલ્લા હપ્તાને અંતે ‘અધૂરું’ લખ્યું છે, પણ તે પછી કોઈ હપ્તો છપાયો નથી. કશી ચોખવટ કર્યા વગર પ્રકાશન આ રીતે અધવચ્ચે કેમ અટકાવી દેવું પડ્યું હશે એ એક કોયડો છે. દલપતરામ ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી હતા અને પોતાનું દરેક લખાણ પહેલાં ‘બુદ્ધિપ્રકાશ’માં છાપતા. ફાર્બસ સાથેનો તેમનો સંબંધ જોતાં ફાર્બસે એ પ્રકાશન અટકાવવા કહ્યું હોય એમ માનવું મુશ્કેલ. એક અનુમાન સૂઝે છે : ૧૮૫૩થી ૧૫ વરસ સુધી ટી.બી. કર્ટિસ સોસાયટીના સેક્રેટરી હતા. ફાર્બસના અવસાન પછી તેમણે દલપતરામની ‘ગુજરાતી રાસમાળા’નું પ્રકાશન એ છાપવા માટે ફાર્બસે ૨૦૦ રૂપિયાના કાગળ મોકલ્યા હોવા છતાં સોસાયટી દ્વારા ન કરતાં દલપતરામના બે હસ્તલિખિત ચોપડા મુંબઈ ફાર્બસ ગુજરાતી સભાને મોકલી દીધા હતા. તો ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થતી લેખમાળા નબળી હોવાનું લાગતાં તેમણે તેનું પ્રકાશન અટકાવ્યું હોય? નહીંતર દલપતરામ પોતાની લેખમાળાનું પ્રકાશન અધવચ્ચે પડતું શા માટે મૂકે?

એવી જ રીતે આ લેખમાળાની શરૂઆત પણ ગૂંચવણ ભરેલી છે. પાંચમા પુસ્તકના ૪૦મા પાના પર પહેલી વાર ‘રાસમાળાની વાત’ મથાળાથી લખાણ છપાયું છે. પણ તેને મથાળે લખ્યું છે : ‘ગયા ચોપાનિયાના પૃષ્ટ ૧૬મેથી સાંધણ. ભાગ ત્રીજો.’ પણ ૧૮૫૮ના પહેલા અંકમાં પાના ૧૩-૧૬ ઉપર ‘રાસમાળા’ મથાળા નીચે નહિ, પણ સ્વતંત્ર રીતે ‘જયશિખરી ચાવડાની વાત’ લખાણ છપાયું છે. અને તેને મથાળે છાપ્યું છે ‘ગયા પુસ્તકમાંના પૃષ્ટ ૧૬૪મેથી સાંધણ.’ ‘ગયું પુસ્તક’ એટલે ૧૮૫૭નું (ચોથું) પુસ્તક. એ વરસના ૧૫૫થી ૧૬૪મા પાના સુધી ‘જયસિખરી ચાવડાની વાત’ છપાઈ છે. એ પહેલાંના કોઈ અંકમાં તેનું પુરોસંધાન જોવા મળતું નથી. એના પરથી અનુમાન કરવું રહ્યું કે ‘જયસિખરીની વાતના’ બે હપ્તાને પછીથી દલપતરામે ‘રાસમાળા’ના પહેલા બે હપ્તા ગણીને નામ બદલીને ‘રાસમાળાની વાત’ કર્યું હશે. એટલે કે, અંગ્રેજી ‘રાસમાળા’ના પ્રકાશન પછી ફાર્બસ હિન્દુસ્તાન પાછા આવ્યા તે જ વરસે દલપતરામે તેની કાચી સામગ્રી ફાર્બસનો, કે તેની રાસમાળાનો ઉલ્લેખ સુધ્ધાં કર્યા વગર ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ કરવાનું શરૂ કરી દીધું હતું!

એટલે, ‘ગુજરાતી રાસમાળા’ પ્રગટ થાય એવી ખુદ ફાર્બસની જ ‘છેલ્લી ઇચ્છા’ હતી, એ ઇચ્છા પૂરી કરવા દલપતરામ આતુર હતા, પણ તેમની હયાતિમાં એ પૂરી થઇ નહિ, એવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી. વળી એવો સવાલ પણ કરી શકાય કે જો આ બે ચોપડા ૧૮૫૭-૫૮-૫૯માં દલપતરામ/સોસાયટી પાસે હતા (એ વગર હપ્તાવાર પ્રકાશન શક્ય ન બન્યું હોય) તો તે પાછા ફાર્બસ પાસે ક્યારે અને શા માટે ગયા? કારણ દલપતરામ કહે છે કે ફાર્બસના અવસાનના થોડા દિવસ પહેલાં મુંબઈમાં થયેલી છેલ્લી મુલાકાત વખતે ફાર્બસે તે પોતાને આપ્યા હતા.    

બીજું, એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે દલપતરામે એકઠી કરેલી સામગ્રીને આધારે જ ફાર્બસે રાસમાળાનું પુસ્તક લખ્યું. પણ આ અર્ધસત્ય છે, અને અર્ધસત્ય હંમેશાં જોખમી હોય છે. દલપતરામે ભેગી કરી આપેલી સામગ્રી ઉપરાંત ડો. ભાઉ દાજી, વ્રજલાલ કાલિદાસ શાસ્ત્રી વગેરે પાસેથી પણ ફાર્બસે પુસ્તકો / હસ્તપ્રતો મેળવેલાં. આ મેળવવા માટે તેઓ પોતે પણ ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ, પ્રયત્નો કરતા. જેના પર ફાર્બસે ઘણો આધાર રાખ્યો છે તે ‘પ્રબંધચિંતામણી’ની હસ્તપ્રત ભેટ આપવા માટે તેમણે ‘રાસમાળા’ની પ્રસ્તાવનામાં મારવાડના જૈન પીરચંદજી ભૂધરજીનો આભાર માન્યો છે. એટલું જ નહિ, પ્રબંધચિંતામણીનો અંગ્રેજી અનુવાદ કરવામાં ‘અનિવાર્ય એવી મદદ’ કરવા માટે પણ તેમનો આભાર માન્યો છે. આ ઉપરાંત પ્રેમચંદ સલાટ અને ત્રિભુવનદાસ તથા ભૂધર દયારામ નામના બે સુતારોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. એટલે કે, દલપતરામ જે કાંઈ શોધી લાવે તે જ માત્ર ફાર્બસનો આધાર નહોતો, બીજાઓની મદદ પણ તેમણે લીધેલી.

દલપતરામે પોતે ઉપરોક્ત લેખમાં નોંધ્યું છે કે ફાર્બસ સરકારી કામે પ્રવાસ કરતા ત્યારે પણ સમય કાઢીને જૈન ગ્રંથભંડારો, મંદિરો, સ્મારકો, ઐતિહાસિક ઈમારતોની મુલાકાત લેતા, નોંધો કરતા, ફોટા પાડી લેતા કે ચિત્રો દોરી લેતા. આ ઉપરાંત તેઓ સિક્કાઓ, શિલા કે તામ્ર લેખોનો અભ્યાસ કરતા, જાણકાર લોકોને મળી તેમની પાસેથી માહિતી મેળવતા – આજની પરિભાષામાં કહીએ તો ફિલ્ડવર્ક કરતા. ‘રાસમાળા’ કશા વિક્ષેપ વગર લખી શકાય તે એક માત્ર હેતુથી સરકારી નોકરીમાંથી લાંબી રજા લઈ ફાર્બસ પોતાને વતન, બ્રિટન, ગયેલા અને ત્રણ વરસ ત્યાં રહેલા. સ્વદેશ જઈને પુસ્તક લખવાથી ફાર્બસને એક મોટો લાભ એ થયો કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીના દફતર, ઇન્ડિયા ઓફિસ લાઈબ્રેરી, બીજાં પુસ્તકાલયો અને સંસ્થાઓમાંથી પણ ઘણી સામગ્રી એકઠી કરીને તેનો ઉપયોગ પુસ્તકમાં કરી શક્યા. આમ, દલપતરામ ફાર્બસના સહાયક જરૂર હતા, મહત્ત્વના સહાયક હતા. પણ તેથી તેમણે ગુજરાતીમાં લખેલા પુસ્તકનો ફાર્બસે તો માત્ર અંગ્રેજીમાં અનુવાદ કર્યો એવું તો કોઈ રીતે માની કે કહી શકાય નહિ.

અંગ્રેજી ‘રાસમાળા’ની પહેલી આવૃત્તિમાં છાપેલાં ફાર્બસે દોરેલાં બહુરંગી ચિત્રોમાંનું એક

જેમ દલપતરામના ચોપડા ફાર્બસ ગુજરાતી સભામાં સચવાયા છે તેમ ફાર્બસના પોતાના હસ્તાક્ષરમાં લખાયેલા ચાર મોટા, લેજર સાઈઝના ચોપડા પણ સચવાયા છે. તેમાંથી બે નંબરના ચોપડામાં ‘પ્રબંધચિંતામણી’નો ફાર્બસે કરેલો અંગ્રેજી અનુવાદ છે, જે આજ સુધી અપ્રગટ રહ્યો છે. પાંચ નંબરના ચોપડામાં શત્રુંજયવર્ણન (સંસ્કૃત), દશેરા બનાવ (ગુજરાતી), જેવી કેટલીક પ્રકીર્ણ કૃતિઓ તથા મૌખિક પરંપરામાંથી ભેગી કરેલી કથાઓ છે. છ નંબરના ચોપડામાં પૃથુરાજરાસો (ગુજરાતી) અને દ્વયાશ્રય (સંસ્કૃત) જેવી કૃતિઓના વિગતવાર સારાંશ અંગ્રેજીમાં લખ્યા છે. આઠ નંબરના ચોપડામાંની સામગ્રી પ્રકીર્ણ પ્રકારની છે. તેમાં કેટલાંક કથા, કિસ્સા, વંશાવળી, શિલાલેખો અને તામ્રલેખોના અનુવાદ જોવા મળે છે. આ સામગ્રી જોતાં લાગે છે કે મોટે ભાગે આ છેલ્લો ચોપડો હશે. એક, ત્રણ, ચાર, અને સાત નંબરના ચોપડા ફાર્બસ ગુજરાતી સભાના સંગ્રહમાં જોવા મળતા નથી. દેશના કે વિદેશના બીજા કોઈ પુસ્તકાલય પાસે એ હોય એવી માહિતી હજી સુધી મળી નથી, પણ શોધ ચાલુ છે.

આ ઉપરાંત ફાર્બસે ‘રત્નમાળ’ નામની કૃતિનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. ફાર્બસના અવસાન પછી તેમના મિત્ર અને ફાર્બસની સાથે બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે કામ કરતા જસ્ટિસ ન્યૂટને આ અનુવાદ બોમ્બે બ્રાંચ ઓફ ધ રોયલ એશિયાટિક સોસાયટી(આજની એશિયાટિક સોસાયાટી ઓફ મુંબઈ)ના સભ્યો સમક્ષ વાંચી સંભળાવ્યો હતો. પછીથી આ સંસ્થાના જર્નલના ૧૮૬૭-૧૮૭૦ના નવમા અંકમાં મોટા કદનાં ૮૦ પાનાંમાં તે છપાયો હતો. રત્નમાળની અધૂરી હસ્તપ્રત દલપતરામે વઢવાણના દેશળજી ગઢવી પાસેથી મેળવી હતી અને ડિંગળ પદ્યમાંથી દલપતરામે ગુજરાતી ગદ્યમાં તેનો અનુવાદ કર્યો હતો. તેને આધારે ફાર્બસે અંગ્રેજી પદ્યમાં તેનો અનુવાદ કર્યો. આ રત્નમાળનો ફાર્બસનો અંગ્રેજી અનુવાદ પહેલાં પ્રગટ થયો, મૂળ કૃતિ પછીથી છેક ૧૯૦૩માં છપાઈ. રેવાશંકર અંબારામ ભટ્ટે તે છપાવી હતી. આ કૃતિના લેખક કૃષ્ણાજી હોવાનું મનાય છે, પણ મૂળ કૃતિ ૧૯૦૩માં છપાઈ ત્યારે તેના ટાઈટલ પેજ પર દલપતરામનું નામ એવી રીતે છપાયું હતું કે કૃતિના કર્તા દલપતરામ હોય તેવો ભ્રમ ઊભો થાય. વઢવાણથી મળેલી આ હસ્તપ્રત પણ ફાર્બસ ગુજરાતી સભામાં સચવાઈ છે.

ગુજરાત બહાર ફાર્બસ ઓળખાય છે તે મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના લેખક તરીકે. ૧૮૫૬માં લંડનની રિચર્ડસન બ્રધર્સ નામની પુસ્તક પ્રકાશક કંપનીએ આ પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું હતું, અલબત્ત, ફાર્બસના ખર્ચે. ફાર્બસે દોરેલાં ચિત્રો પણ તેમાં મૂકવામાં આવ્યાં હતાં. તેમાંનાં કેટલાંક બહુરંગી હતાં. હિન્દુસ્તાનનો, અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રનો ઇતિહાસ લખનારા બીજા લેખકો કરતાં ફાર્બસ એક મહત્ત્વની બાબતમાં જૂદા પડે છે. બીજા ઇતિહાસ લેખકોએ મોટે ભાગે મુસ્લિમ લખાણો, દસ્તાવેજો, વગેરેને આધારે ઇતિહાસ લખ્યો છે. જ્યારે ફાર્બસે મુખ્ય આધાર હિંદુ લેખકોનાં લખાણોનો તથા સ્થાનિક શિલા લેખો, દંતકથાઓ, વહીવંચાના ચોપડા, લોકકથાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેનો લીધો છે. આ અંગે ઝવેરચંદ મેઘાણીએ યોગ્ય રીતે જ ફાર્બસની વિશિષ્ટતા બતાવતાં કહ્યું છે : ‘ગુજરાતની ઇતિહાસદૃષ્ટિને નવું જીવન શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસસાહેબે જ આપ્યું. 'રાસમાળા’ના એ ચિરસ્મરણીય અંગ્રેજ કર્તાએ ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરવા બેસતાં ઇતિહાસના બે ઉપેક્ષિત રક્ષકોને લક્ષ્યમાં લીધા : એક તો વહીવંચાઓને કે ચારણોને, અને બીજા જૂના જૈન પ્રબંધ લેખકોને. સાંપ્રદાયિક દ્વેષ અને વિદ્વત્તાનો ઘમંડ, એ બે જાતના આંખે પાટા બાંધીને બેસનાર દેશીઓ જે ન કરી શક્યા તે એક વિદેશી અમલદારે કર્યું, કેમ કે આ બેઉ અવગુણોથી તે મુક્ત હતો … તામ્રલેખો, શિલાલેખો તેમાં જ રીતસરની તવારીખ-નોંધોનો જ્યાં અભાવ વર્તે છે, ત્યાં આવા લોકકવિઓના રાસો અને પ્રબંધો ઇતિહાસના અન્વેષણ સારુ ઘણા માર્ગદર્શક થઈ પડે છે. ફાર્બસસાહેબે આવી સામગ્રીને આધારે ‘રાસમાળા’ રચી ગુજરાતના ઇતિહાસનું સ્પેડ વર્ક – પ્રાથમિક ખોદાણકામ તો કર્યું જ છે.” (પરિભ્રમણ, નવ સંસ્કરણ, ખંડ ૧, પા. ૫૩૨. લે. ઝવેરચંદ મેઘાણી; સંપાદકો જયંત મેઘાણી, અશોક મેઘાણી. ૨૦૦૯)

એટલે, ‘રાસમાળા’ ફાર્બસની જ કૃતિ. તેને માટેની કેટલીક કાચી સામગ્રી દલપતરામે ભેગી જરૂર કરી આપેલી. અને એ અર્થમાં તેઓ ફાર્બસના સહાયક પણ ખરા. પણ ‘રાસમાળા’ એ મૂળ દલપતરામની કૃતિ, અને ફાર્બસ તો તેના માત્ર અનુવાદક, કે મહેનત બધી દલપતરામની અને જશ મળ્યો ફાર્બસને  તેવી વાત કોઈ રીતે ટકી શકે તેમ નથી.

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

xxx xxx xxx

સૌજન્ય : “નવનીત – સમર્પણ” જૂન 2021; પૃ. 95-105

Loading

રાજાનું આગમન

લેખક : ઉમા વર્થરાજન • અનુવાદ : રૂપાલી બર્ક|Opinion - Short Stories|3 June 2021

Illustration by Vishwajyoti Ghosh (littlemag.com)

વિસરાયેલી નગરી એકાએક ઊંઘમાંથી જાગી. રાજવી હુકમ થયેલો કે યુદ્ધ દરમ્યાન ધ્વંસ થયેલાં મંદિરના પુન:સ્થાપનના ઉદ્ઘાટન માટે રાજાનું ટૂંક સમયમાં આગમન થવાનું છે. પીઠે જાહેરાતો બાંધેલાં પ્રાણીઓ અને દુમદુમ વગાડતા પડીદારો મારફતે નગરીના ખૂણેખૂણે સંદેશો પહોંચાડવામાં આવ્યો.

લાલ નદીને કિનારે નગરી આવેલી હતી. કિનારે વાંસના વન ગાઢ એવાં કે સહેજ અમથી હવાની લહેરકીથી ઝીણો તણખો ને એમાંથી ભડકો થતા વાર ના લાગે. ત્રણ વર્ષ પહેલાં યુદ્ધનો અંત આવ્યો હોવા છતાં હાથીઓના મોટા અવાજ, હણહણતા ઘોડાઓ, સ્ટીલના ટકરાવવાના અવાજ અને લોકોની કરુણ ચીસો આજે પણ કાને પડઘાતી હતી. બળતાં શબોની ગંધ હજુ હવામાં તરતી હતી. સેનાની હાજરીથી બીજી અથડામણની અપેક્ષાએ ગીધ એમના જંગલના નિવાસ-સ્થાનો ત્યજીને નગરીમાં મહાકાય વૃક્ષો પર ખડકાયા હતા. યુદ્ધથી બરબાદ થયેલી નગરી યુદ્ધ પૂર્વે કેટલી રમણીય હતી એની ચાડી ખાતી હતી કાળીમેશ દિવાલો અને પડી ગયેલા છતવાળા ઘરો. રાતના સન્નાટામાં વારેવારે અપશુકનિયાળ પંખીઓના અને કૂતરાના સતત રડવાના અવાજોથી વિક્ષેપ પડતો હતો. ડરનો માર્યો ચંદ્ર ચમકતો નહોતો અને બાળકો માતાઓને દૂધ માટે પરેશાન નહોતા કરતા. ઘોડાના ડાબલા અને સૈનિકોના અટ્ટહાસ્યથી રાત પડઘાતી હતી. ઍનૅસ્થૅસિયાની અસર હેઠળ હોય એમ ઊમાયન સરવા કાને સૂતો હતો, એની આંખો છતને તાકતી હતી.

ઊમાયન અને બીજા અમુક નગરીમાં રોકાઈ ગયા હતાં. જેમણે મોતને હાથતાળી આપેલી તે બધાં જીવ બચાવવા નદી પારના સુરક્ષિત સ્થળોએ ખસી ગયા હતા. ઊમાયન એની માને મૂકીને જવા નહોતો માંગતો એટલે રોકાઈ ગયેલો. ઘણાં ઊમાયનનું સાચું નામ ભૂલી ગયા હતાં. ઓછાબોલો હતો એટલે બધા એને ‘ઊમાયન’ (મૂંગો) કહી બોલાવતા. માત્ર એની મા જ જાણતી હતી એણે અવાજ કેવી રીતે ગુમાવેલો.

રાજાએ એના સૈન્યને નગરીમાં થયેલા બળવાને નાથવાનું સોંપેલું. મવાલીઓ અને ગુનેગારોની ટોળકીઓ સૈનિકો સાથે ફરતી હતી. ક્રૂરતાપૂર્વક એ લોકોએ મકાનેને આગ ચાંપી, મૂર્તિઓ તોડી પાડી, સ્ત્રીઓને વાઢી નાખી અને બાળકોને પીંખી નાખ્યાં. એમના ગયા બાદ નગરી તો જાણે જંગલી હાથીના ટોળાંએ ચગદી નાખેલા શેરડીના ખેતર જેવી હાલતમાં હતી.

એક વખત સેફ્ટી રેઝર સાથે રાખવા માટે ઊમાયનની ધરપકડ થયેલી. ખુલ્લા પગે, પીઠ પછવાડે બાંધેલા હાથ સાથે એને તપી ગયેલી ધૂળિયા શેરીઓમાં ફેરવેલો. રસ્તા પર સૂર્યનમસ્કાર કરવા મજબૂર કરેલો. ત્યારબાદ સૈનિકોએ એના મોઢામાં પત્થરો ભરીને એને પેટમાં લાતોનો માર મારેલો. “અ….મમ…આ….!” એણે દર્દભરી ચીસ પાડી પરંતુ એ શબ્દ એના ગળામાં ફસાઈ ગયેલો.

નમતા પહોરે ઊમાયન અને બીજા અમુક લથડિયા ખાતા નગરીમાં આવ્યા, થાકેલા અને ભૂખ્યા. એક ચકલું પણ ફરકતું નહોતું. શેરીઓ સુમસામ હતી. યમદૂતોના સકંજામાં ફસાવવાના ડરથી એ લોકોમાં પાછું વળીને જોવાની હિંમત નહોતી તેમ છતાં આગળ વધતા ગયા એમના લાંબા પડછાયા એમની પડખે લઈને. આગળ વળાંકે પહોંચ્યા ત્યાં પોતાના પતિઓને શોધતી અમુક સ્ત્રીઓ એમના તરફ ધસી આવી અને એમના ચહેરા તપાસવા લાગી. એમના સ્વજનો નહીં દેખાતા એમણે પોતાના કેશ ખેંચવાના અને માથા-છાતી કૂટવાના શરૂ કરી દીધા. “શું થયું? કંઈક તો બોલો?” એમણે પૂછ્યું. પોતાની માની કેડે લટકતા, મોંમાં એની નાની આંગળીઓ નાખેલા, એક બાળકે નિર્દોષ હાસ્ચ વેર્યું. એના પિતાના મૃત્યુથી એ બેખબર હતો. બીજી એક સ્ત્રીએ ઊમાયનને ખભેથી ઝાલીને ઘેરો નિસાસો નાખ્યો. આજે પણ કૉન્વૅન્ટના કમ્પાઉન્ડમાં કાજુનાં વૃક્ષોનાં પાનના સરસરાટમાં વિધવાઓ અને બાળકોનું રૂદન સંભળાતું હતું.

ઊમાયનને એક સમયે લાગતું કે એ નસીબદાર છે અને સુખી જીવન જીવવા માટે નિર્માયેલો છે. આજે એને એના બાલીશપણા પર શરમ અનુભવાતી હતી. એને ખ્યાલ આવી ગયેલો કે જિંદગી કઠોર અને અસુરક્ષિત હતી અને ડૅમૉક્લીઝની તલવારની માફક મૃત્યુ માથા પર ઘૂમરાતું હતું. જિંદગીથી નાખુશ, એ ચાર દિવાલમાં રહેવા લાગ્યો અને મૌનમાં સમય ગાળવા લાગ્યો. ફસાઈ ગયેલા પ્રાણીની માફક એ ફિક્કો, હતાશ અને આકળવિકળ થઈ ગયો.

અનિદ્રાને કારણે દિવસ અને રાત ઊમાયન સપનાં જોતો. એને આભાસ થતા — લોકોના, અમુકના ડોળા કાઢી લીધેલા હોય એવા, બીજા એવા જેના હાથના અને પગના નખ ખેંચી કાઢેલા હોય, લથડિયા ખાતા, એની સમક્ષ આવીને ન્યાય માગતા. બળતી ચિતાઓ પરથી અર્ધ-બળેલાં શબ ઉછળીને પ્રશ્ન કરતા, “અમારો શો વાંક હતો?” તીવ્ર વેદનામાં મોતના મુખમાં ધકેલાતું માથા વગરનું મરઘું, ઘોડાગાડીથી કચરાઈ જતી સગર્ભા બકરી અને રાહદારીઓ પર હુમલો કરતા શેરીના કૂતરા એને દેખાયા.

ઊમાયનના સ્વપ્નમાં રાજા પણ દેખાયેલો, કરુણાની મૂર્તિ, એના બુદ્ધસમા ચહેરા પર ફરિશ્તા શું સ્મિત. પરંતુ કહેવાતું કે એ છેતરામણું હતું, માત્ર દેખાડો — કે વાસ્તવમાં એ ચાલાક, ક્રૂર, દ્વેષપૂર્ણ, ડંખીલો, રહેમ કે રંજ રહિત પુરુષ, સાક્ષાત્ શેતાન હતો. બીજી પણ કથાઓ હતી — કે એને સફેદ પારેવાં પાળવાનો અને માનવ ખોપડીઓનો હાર ગળામાં પહેરવાનો શોખ હતો. કેટલી ય કથાઓ, ક્યારેક વિરોધાભાસી, ફરતી રહેતી. એવી અફવા હતી કે એના વડવાઓનો દાટેલો મુગટ એણે મેળવી લીધેલો અને પોતે જ ધારણ કરી લીધેલો અને જ્યાં જતો ત્યાં સિંહાસન સાથે લઈ જવાની એને આદત હતી.

દરબારના કલાકારો દ્વારા રાજાને ચાહતથી જેવો દર્શાવેલો એવા જ સ્વરૂપે તે ઊમાયનના સ્વપ્નમાં આવેલો, મોહક સ્મિત ધરાવતો વ્યક્તિ. સવારનો વહેલો પહોર હતો. ધુમ્મસ હજુ ઓગળ્યું નહોતું. મંદિરના ઘંટારવ વચ્ચે પંખીઓ આકાશમાં ઊડાઊડ કરતાં હતાં અને સંતો વેદોચ્ચાર કરતા હતા. શ્વેત વસ્ત્રોમાં સજ્જ, શ્વેત પારેવાને પંપાળતો રાજા નદી કિનારે ચાલી રહ્યો હતો. એની પછવાડે ઊમાયન હતો. રાજાના ઝાકઝમાકથી અંજાઈને સૂર્ય થોડો સંકોચ અનુભવી રહ્યો હતો.

રાજાએ આકાશ ભણી નજર કરતા કહ્યું, “આકાશ સ્વચ્છ થઈ રહ્યું છે. જલદી પ્રકાશ દેખાશે.”

રાજાના ખુશખુશાલ મિજાજથી પ્રોત્સાહિત થઈને ઊમાયને હિંમતભેર કહ્યું, “મહારાજ, તમને નથી લાગતું કે પોહ ફાટે એ પહેલાં આપણે બધાં મૃત્યુ પામી જઈશું? આમેય, ચાલતીફરતી લાશો જ છીએ ને?”

ડોક ફેરવીને રાજાએ ઊમાયન તરફ જોયું અને મલકાટ સાથે બોલ્યો, “યુદ્ધ વખતે યુદ્ધ! શાંતિ વખતે શાંતિ!”

શબ્દો તોલીને ઊમાયને સંકોચ સાથે રાજાને કહ્યું, “તમને નથી લાગતું કે યુદ્ધને પણ એની નૈતિક્તા હોય છે. લોકોએ શો ગુનો કર્યો છે? શિશુઓની, સ્ત્રીઓની, માંદા અને અશક્તની, સાધુઓની હત્યા કરવી શું ઉચિત છે?”

રાજાએ સ્મિત ફરકાવ્યું. “દોડતા રથથી ઘાસ ચગદાવાનું અને જીવ જવાના. એનો કોઈ ઉકેલ નથી. આવી નજીવી બાબતે શું રડે છે? હું બધું … હું બધું … જાણું છું …”

“હા, તમારા માટે બધું શક્ય છે …” ઊમાયન બોલ્યો. રાજાના પગ થંભી ગયા.

“હા, હું ધારું તો બધું શક્ય છે … જુઓ!” રાજા બોલ્યો. એણે હાથમાંથી સફેદ પારેવું રહસ્યમય રીતે ગાયબ  કર્યું અને એની જગ્યાએ સસલાનું લોહી નિતરતું માથું લાવી દીધું!

રાજાની મુલાકાતનો દિવસ જેમ જેમ નજીક આવતો ગયો એમ નગરીમાં ચહલપહલ વધી ગઈ. વરસાદ બાદ બિલાડીના ટોપની પેઠે નવા નાકા ઠેરઠેર ફૂટી નીકળ્યા. નગરીને રમણીય બનાવવા માણસો તનતોડ મહેનત કરવા લાગ્યા. રંગીન છોડવા અને સુગંધિત ફૂલછોડ પાછળ કબરો ઢાંકી દેવામાં આવી. પાડોશમાંથી વૃક્ષો ઉખાડીને નગરીના દ્વાર સુધીના માર્ગની બેઉ બાજુ રોપી દેવામાં આવ્યાં. રાજાની છબીઓ સર્વત્ર લગાવી દેવાઈ.

નાકાઓ પર બળદગાડાંની લાંબી કતારો થવા લાગી. માથા પર પોટલાં લઈ લોકો મુશળધાર વરસાદમાં ધીમી ગતિએ આગળ વધતા હતા. સૈનિકો નિષ્ઠાપૂર્વક સરકાર વિરોધી સામગ્રી શોધતા હતા તે દરમ્યાન પુરુષોને જીભ દેખાડવાની ફરજ પડાતી હતી. નગરીમાં આવી ચડેલી એક ગાયના પેટમાં ક્યાંક હથિયાર સંતાડેલા હોય એ શંકાએ એનું પેટ ચીરી નાખ્યું.

મૂછો પર તાડીના ફીણ સાથે દારુડિયાઓ શેરીઓમાં નાચતા અને મસ્તી કરતા ગાતાં હતાં :

એણે આપ્યું મંદિર અમને
રાજાએ અમારા આપ્યું મંદિર અમને
તે આપશે બીજું ઘણું અમને
જે માગીશું એ આપશે અમને
તીલ્લાના … તીલ્લા … તીલ્લાના …

ઊમાયનના દાદા વરંડામાં સોપારી ખાંડતા હતા. કામ અટકાવી ઢોલ અને ગાયનના ધ્વનિની દિશામાં એમણે નજર ફેરવી. એ દેખતા નહોતા પરંતુ એમના કાન ખૂબ સરવા હતા. બેસુરા સંગીતથી એ ખિન્ન થયા હશે કારણ કે એ સોપારી અને નાગરવેલનાં પાન પૂરજોશથી ખાંડવા લાગ્યા.

“ભેટમાં આપેલા મંદિરનો વિનાશ કરવામાં વ્યક્તિ કેટલો સમય લગાડે?” એ વૃદ્ધે મનોમન વિચાર્યું. વિચારને બાજુએ હડસેલી એણે સોપારી-પાનનું મિશ્રણ મોંમાં મૂકી ચાવવા માંડ્યું.

માત્ર એક દિવસ બાકી હતો. ઘોડાઓના હણહણાટથી ઝોકું ખાતા વૃદ્ધ ઝબકીને જાગી ગયા. સ્ત્રીઓ બહાર ડોકિયા કરી ફટાફટ ઘરની અંદર ચાલી ગઈ. ઊમાયન એની ત્રસ્ત માને એકધાર્યો તાકી રહ્યો. એના હોઠ સુકાયેલા હતા અને આંખોમાં ભય હતો. આકાશ તરફ હાથ ઊંચા કરી એણે પ્રાર્થના કરી.

હંમેશની પેઠે સર્ચ ઑપરેશન માટે ઘેરો નાખવામાં આવેલો. દરેક ઘરમાં સશસ્ત્ર માણસોએ ઘૂસીને પદ્ધતિસરની શોધ આદરી. જતી વેળા એ લોકો ઊમાયનને સાથે લેતા ગયા. એની મા કગરતી રહી. ઊમાયનના વફાદાર કૂતરાએ સૈનિકો સામે ઘૂરકિયાં કર્યા અને એના માલિકના કપડાં ઝાલ્યાં. એ માણસોએ લાત મારીને કૂતરાને ભગાડી દીધો. જેમના ઘરના પુરુષોની ધરપકડ કરી લઈ જવામાં આવતાં હતાં એવી સ્ત્રીઓ રડતી રડતી એમની પૂંઠે જતી હતી. સૈનિકોએ તલવાર બતાવી એમને ડારી. ધૂળની ડમરીમાં એમના પુરુષોને અદૃશ્ય થતા જોઈ લાચાર બનીને એ સ્ત્રીઓ ઊભી રહી ગઈ.

પેલા વૃદ્ધે એમને સાંત્વના આપીને હૈયાધારણ આપી કે એમના સ્વજનોને કશું નહીં થાય. “છે ને, આવતી કાલે રાજા આવવાના છે અને એમને આવકારવા માટે સૈન્યને મોટી મેદનીની જરૂર છે. એટલે આ બધાંને લઈ ગયા છે,” એ બોલ્યા. વાતનું સમર્થન કરતી હોય એમ ગરોળીએ કક … કક અવાજ કાઢ્યો.

નગરીના હકડેઠઠ વિશ્રામગૃહોમાં પુરુષોને પૂરી દીધા હતા. કોઈ બોલતું ન હતું. પોતાના નસીબને ગાળો આપતાં બધાં જમીન પર બેસી રહેલા. ચોકીદારોનું હાસ્ય એમને મનમાં ખૂંચતું હતું.

ઠંડી દિવાલને અઢેલીને ઊમાયને આંખો મીચી. વ્યાપક અંધકારમાં એણે બલિની વેદી પર એક ચમકતી તલવાર જોઈ. એને એવું લાગ્યું કે એ ગળા સુધી જમીનમાં દાટેલો છે અને એક બેકાબૂ હાથી એની ભણી ધસી રહ્યો છે. પછી, સૂસવાટા મારતા પવનમાં જલ્લાદનો ગાળિયો લોલકની જેમ ડોલી રહ્યો છે. પોતાના નિર્વસ્ત્ર શરીર પર એને તાજા ઘા દેખાયા.

એને પોતાનું ઘર દેખાયું. વાળેલું નહોતું. કરમાયેલી પાંખડીઓ અને સૂકાં પાંદડાં વિખરાયેલાં પડ્યાં હતાં. એનું નબળું પાતળું કૂતરું દરવાજા વચ્ચે પડી રહ્યું હતું. બંધ ચૂલા પાસે આળસુ બિલાડીએ લંબાવેલું હતું. રસોડામાં એઠાં વાસણકૂસણ પડી રહેલાં. એના નિદ્રાહિન દાદા ઘર આખામાં કાળા ભમરાની માફક અથડાતા, પડતા, આખડતા ફરતા હતાં. ખાધા વગર, ઊંઘ્યા વગર એની મા આંસુ સારતી સાદડી પર પડી રહેલી. સમય મસમોટી શિલાની માફક માથા પર તોળાઈ રહેલો. ઊમાયન પરોઢની અને તાજી હવાની ઝંખના કરતો રહ્યો.

જેવું અજવાળું થયું કે સેનાના એક કૅપ્ટને બારણું ઉઘાડીને બધાં પુરુષોને બહાર આવવાનો આદેશ કર્યો. નાહ્યાધોયા વગર, લઘરવઘર અને ભૂખ્યાં, એમને બળદગાડાંમાં ભરીને નગરીની શેરીઓમાંથી લઈ જવાયા. ઘંટડીઓના અવાજથી વેપારીઓ એમની દુકાનો ખોલીને નજારો જોતા ઊભા રહ્યાં. અશુદ્ધ જાનવરની માફક ગાડાંમાં ભરીને લઈ જવામાં આવતો હતો એથી ઊમાયન ખૂબ શરમ અનુભવતો હતો. એક જર્જરિત મંદિરને પડખે એક ટાંકાની પાળ અગાડી બધાં પુરુષોને ઠાલવીને હારબંધ બેસવાનો હુકમ કરવામાં આવ્યો.

આકાશમાં ગાઢ વાદળ છવાયેલાં હતાં. “રાજા એની સાથે વરસાદ લાવ્યો છે,” સૈનિકોમાં ગણગણાટ સંભળાયો.

“રાજા અમર રહો!” એક અવાજે ઘોષણા કરી. તે સાથે જ બેન્ડ વાગવા લાગ્યું અને છોકરાં નાચવા લાગ્યાં. તાડી પીનારા અને ચેષ્ટાઓ કરતા મુષ્ઠિયોદ્ધાઓ રાજાની આગળ ચાલતા હતા, નાચતા, ગબડતા ને ગાતા. ત્યાર બાદ રાજા ચાલતો હતો, દબદબાપૂર્ણ, માપીને ડગ ભરતો. લોકો એના પર ફૂલ વરસાવતા હતાં અને સંતો એને આશીર્વાદ આપતા હતા.

રાજાને ખાસ ઊભા કરાયેલા મંચ પર વોળાવવામાં આવ્યો. મોટા અનુમોદન સાથે માનવમેદનીનું સર્વેક્ષણ કરતા રાજાએ લોકો સામે હાથ હલાવ્યો. દિવસ ઠંડો હતો તેમ છતાં રાજાની પડખે ચાલતા ગુણગાાન ગાનારા હવા નાખતાં હતાં. રાજાની પૂંઠે ઉદ્ધત ચેલાઓ ચાલતા હતા, પડ્યો બોલ ઝીલવા અને જરૂર પડે તો પીઠ પણ ખંજવાળી આપવા તૈયાર.

ઊમાયને ગોરંભાયેલા આકાશ તરફ નજર કરી. વરસાદ તૂટી પડવાની તૈયારીમાં હતો. નાનાં પંખીની ચરક જેવડું એક ટીપું એના ચહેરા પર પડ્યું. અનુક્રમે વધુ ટીપાં પડ્યાં. પછી તો જાણે સ્વર્ગ ખૂલી ગયું. વાવાઝોડું ફૂંકાયું ને વીજળીથી આકાશ ચિરાઈ ગયું. રાજાએ લોકોની જે દશા કરેલી એ જોઈને દેવતાઓ દાંત કચરતા હોય એવો વાદળોનો ગડગડાટ  થતો હતો.

રાજા બોલવા ઊભો થયો. મુશળધાર વરસાદમાં પણ મેદની હાલ્યા વગર, લાગણીશૂન્ય બનીને બેસી રહી હતી. રાજા ચકિત થયો હશે?

“મારાં વહાલાં લોકો …”

ઢંકાયેલા મંચ પર સુરક્ષિત રાજાએ વરસાદના અવાજ વચ્ચે પોતાનો અવાજ મોટો કર્યો. વળગાડ પામેલી સ્ત્રીની માફક પવનના ચારે તરફના હુમલા દરમ્યાન ઊમાયન ધ્રુજતો ઊભો હતો.

“આ મંદિરને પુન:સ્થાપિત કરવા આવ્યો છું. બીજી શી માગ છે? કહો!”

માત્ર પવન અને વરસાદે રાજાને ઉત્તર આપ્યો. સૈનિકોના વિકરાળ ચહેરા અને ધારદાર ભાલાના ડરથી મેદની મૌન રહી.

“મારા આવકાર માટે આટલા ભારે વરસાદ વચ્ચે પણ હજારોની સંખ્યામાં તમે હાજર છો એને મારું સન્માન  માનતા પોરસાઉં છું. શું જોઈએ છે તમને મારી પાસેથી? બોલો!” રાજા બોલ્યો.

ઊમાયને ફરી નજર આકાશ તરફ ઊંચી કરી. વરસાદ પોરો ખાવનું નામ લેતો નહોતો. ઊલટાનું વીજળીની ખંપાળીઓ ચમકતી હતી અને આકાશમાં લસરકા પાડતી હતી. કાન બહેરા કરી નાખે એવી વાદળોની ગર્જના સંભળાતી હતી. ધરતી પર પાણી ઘુમરાતું, વમળ સર્જતું, ધસમસતું નવા જળમાર્ગો બનાવતું જતું હતું.

હું તમને ભવ્ય આવાસો બનાવી આપીશ, રસ્તાનું તાત્કાલિક સમારકામ કરાવી આપીશ, જળાશયો પુન:સ્થાપિત કરી આપીશ … સ્ટેડિયમો, અનાજ, રેશમની જરૂર છે તમને? માગો, હું તમને આ બધું અને બીજું કેટલું ય આપીશ પરંતુ ક્યારે ય … નહીં …”

રાજા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલા આંખો આંજી દેતા વીજળીના ચમકારાએ પૃથ્વી અને આકાશને સાંધી દીધા. ડરના માર્યા ઊમાયનની આંખો બંધ થઈ ગઈ. જ્યારે એણે પાછી આંખો ખોલી, રાજા ગાયબ હતો. રહસ્યમય રીતે એ અદૃશ્ય થઈ ગયો હતો.

~

તામીલમાંથી અંગ્રેજી અનુવાદ : એસ. રાજસિંઘમ અને પ્રતીક કાંજીલાલ

(અંગ્રેજી અનુવાદકોની નોંધ : ઊમા વર્થરાજન્‌ શ્રીલંકાના વાર્તાકાર છે. એમના લેખનમાં એમના દેશમાં આંતરવિગ્રહની અમાનવીય અસરો કેન્દ્રમાં છે. રણસિંઘે પ્રેમદાસાના રાષ્ટ્રપતિપદના છેલ્લા ૧૮ મહિના અને ૧૯૯૩ની  મે ડે  રૅલી દરમ્યાન એલ.ટી.ટી.ઈ.ના માનવબોંબ દ્વારા એમની હત્યા સંદર્ભે આ વાર્તા એક બોધકથા છે.)

સ્રોત :  Little Magazine, Special Issue ‘Security’ (Vol VII : Issue 3 &4). littlemag.com

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

...102030...1,8661,8671,8681,869...1,8801,8901,900...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved