ગળામાં હોય એટલું જોર વાપરી, કચકચાવી, ’ભારતમાતાની જય’ બોલતો ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી રોજબરોજ ભારતમાતાની લીલામી કરી રહ્યો છે. રોજ છાપું સવારે ઉઘાડીએ ને વાંચવા મળે કે આ વેચ્યું, પેલું વેચ્યું. ગુજરાતમાં ભૂજની હોસ્પિટલ, GMDCના કડી પાણીના પહાડ, આબાદ ડેરી વેચવાનો મહાવરો હતો તે કેન્દ્રમાં પહોંચતાં ખપ લાગ્યો છે. વળી, આ પક્ષની ખૂબી એ છે કે કોર્પોરેટ હિતો માટે કામ કરતી આ પાર્ટી પોતાની વેપારી પ્રવૃત્તિને ઢાંકવા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભગવી ચૂંદડી ઉપરથી ઓઢાડે છે. હમણાં હવે લક્ષદીપના છત્રીસ રમણીય ટાપુ વેચવાનો સોદો થવાની ગંધ આવી રહી છે. લક્ષદીપના નવા વહીવટદાર પ્રફુલ્લભાઈ પટેલ ડિસેમ્બર-૨૦૨૦માં નિમાયા ને તાબડતોબ એપ્રિલમાં ચાર નવા કાયદાઓ લાવ્યા. કાયદાઓ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે.
આ લક્ષદીપની વસ્તી કેવળ સિત્તેર હજાર છે. માત્ર દસ ટાપુ પર જ લોકો રહે છે. વસ્તીવધારાનું પ્રમાણ અતિ ઓછું, ૧.૪% છે; ગુનાખોરીમાં દેશમાં અંતિમ ક્રમે છે. સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ૯૬% છે! માછીમારી, નાળિયેરી અને દોરડાં બનાવવાનો વ્યવસાય કરે છે. ૯૩% મુસ્લિમબહુલ વસતિવાળું આ કેન્દ્રશાસિત સ્થળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આક્રમણ માટે સર્વોત્તમ સ્થળ છે. પ્રદૂષણ પણ નથી.
લક્ષદીપને સ્માર્ટ સિટી બનાવવા માટે વહીવટદાર તરીકે પ્રફુલ્લભાઈ પટેલને મૂકાયા છે. ગુજરાતના રાજનેતા, અમિત શાહે ગુજરાતમાં ગૃહ મંત્રી પદ થોડો સમય છોડવું પડેલું ત્યારે ગૃહમંત્રાલય સંભાળનાર, પછી દીવ-દમણ દાદરાનગર હવેલીના વહીવટદાર. આજ લગી લક્ષદીપમાં IPS કે IAS અધિકારીને જ વહીવટીદાર તરીકે મૂકવામાં આવતા હતા, પહેલીવાર રાજનેતા – જે રાજનેતા પોતાના મૃત્યુ માટે જવાબદાર છે એવી ચિઠ્ઠી લખીને સાત વાર ધારાસભ્ય બનેલા મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી એ પ્રફુલ્લભાઈ પટેલ.
લોકસભાની ચૂંટણીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનો ઢંઢેરો પીટનાર ભા.જ.પે. એક પણ સ્માર્ટ સિટી બનાવ્યું નથી અને લક્ષદીપને હવે સ્માર્ટ સિટી બનાવવું છે. ’લક્ષદીપ વિકાસ અધિનિયમ-૨૦૨૧’ ઘણાં સંદર્ભમાં વિશિષ્ટ છે. અહીં વિકાસનો બોજો – ખર્ચ – સ્થાનિક લોકોને માથે છે. વળી, ફરજિયાત વિકાસ જે કાંઈ સ્માર્ટ સિટીની વચ્ચે આવે એ દૂર કરો. વળી, વિરોધ ન થાય એ માટે ’એન્ટી ગુંડા એક્ટ’ બનાવ્યો! ગુનાખોરીમાં ય લક્ષદીપ ભારતમાં અંતિમ સ્થાને છે. યુ.પી., બિહારમાં સત્તાવાળી સરકાર અહીં, ગુનાખોરીનો કાયદો કેમ બનાવે છે? માત્ર લોકશાહી રીતે અમાનવીય, નિર્દય, મૂળવિહોણા વિકાસના વિરોધીઓને અટકાવવા જ. વળી આ કાયદા અનુસાર ધરપકડ પછી, કારણ આપ્યા વિના સીધા જેલમા એક વરસ માટે મૂકી શકાશે! UAPAની જેમ જ આ પણ લોકશાહીનું હનન છે! લક્ષદીપની અભિનેત્રી-દિગ્દર્શિકા આયેશા સુલતાનાએ જેવો વિરોધ કર્યો કે એના પર ’રાજદ્રોહ’નો કેસ જ દાખલ થયો!
કોર્પોરેટ માટે પડાવતી જગા માટે આખા દેશમાં બીજો ઊહાપોહ ન થાય એ માટે હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ થઈ શકે એવું વચ્ચે મૂકી દેવાનું આ પક્ષને ફાવે છે. તેથી સ્માર્ટ સિટી માટે લેવા દેવા ન હોય તેવા ફેરફારો પણ આ ચાર કાયદામાં છે.
ભા.જ.પ.શાસિત ગોવા, મેઘાલય, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં ગૌ-માંસ પ્રતિબંધ નથી. હમણાં જ આસામની ચૂંટણી વખતે રાડો પાડી પાડીને ગૌ-માંસ પર પ્રતિબંધ નહીં લગાવીએ એમ કહેનાર ભા.જ.પે. જ્યાં ૬૫% લોકો બીફ ખાય છે એ લક્ષદીપમાં ગૌ-માંસ પર પ્રતિબંધ મૂક્યો! એટલું જ આંગણવાડીઓ, શાળાઓમાં મધ્યાહન ભોજનમાં માંસાહાર બંધ! ગૌ-માંસનો કાયદો તોડનારને ૧૦ વર્ષની સજા, ૭૫ લાખ દંડ!
ગુજરાતમાંથી ગયેલા વહીવટદાર, વડા પ્રધાન પણ ગાંધીજીનો રેંટિયો કાંતનાર હોય એ લક્ષદીપમાં જઈને એક સુધારો એવો કરે છે કે શરમથી માથું ઝૂકી જાય. આઝાદી પછી આજ લગી લક્ષદીપમાં દારૂબંધી છે લાયસંસવાળા માટે ૩૬માંથી એક દ્વીપના રિસોર્ટમાં પરવાનગી વાળી દુકાન છે. ત્યાંથી દારૂબંધી હટાવી દેવાઈ! અહીં જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ફુગ્ગો ફૂટી જાય છે. સહેલાણીઓ માટેનું સ્વર્ગ જો ખાનગી માલિકોના ચરણે ધરવું હોય તો દારૂ પરના પ્રતિબંધને હટાવીને જ ચિયર્સ કરી શકાય! હવે લક્ષદીપ દારૂબંધીમુક્ત!
આ દારૂબંધીનો પ્રતિબંધ હટાવવાથી જે ગુનાખોરીમાં અંતિમ રાજ્ય છે ત્યાં ગૂનાખોરી વધી પણ શકે, વળી, આ ભલે મુસ્લિમબહુલ પ્રદેશ હોય પણ એ ગણાય છે અનુસૂચિત જનજાતિ (S.T.) આખું રાજ્ય અહીં અનુસૂચિત જનજાતિ છે. એમની સાંસ્કૃતિક ભાતમાં પણ આ ’વિકાસ’ ગોટાળો કરશે. લોકડાઉનની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન હતો. ડિસેમ્બર, ૨૦માં પ્રફુલ્લભાઈના પગલાં થયાં ને પ્રવેશનારને ૧૪ દિવસ કવોરંટાઇનના કાયદો દૂર કરાયો! જાન્યુઆરીથી જૂન’૨૧માં છ હજાર કેસ આવી ગયા! તેથી ’લક્ષદીપ બચાવો’ આંદોલન શરૂ થયું છે. જે I.A.S. એ CAA સંદર્ભે રાજીનામું આપ્યું તે કન્નન ગોપીનાથે પ્રફુલ્લભાઇ પટેલ સાથે દાદરા નગર હવેલીમાં કામ કર્યું છે. એણે આ વિકાસની વાતો પોકળ છે તે જણાવ્યું છે. પંચાયતની ચૂંટણીના નિયમો પણ બદલ્યા છે. રહીસહી લોકશાહી છીનવશે. બે બાળકોથી વધુ બાળકોવાળા ચૂંટણી નહીં લડી શકે. આપણી સંસદમાં ૩૦૩ ભા.જ.પ. સાંસદોમાંથી ૯૬ સાંસદ બેથી વધુ બાળકો ધરાવે છે. પ્રફુલ્લભાઇ પટેલે જતા વેંત હંગામી સરકારી કર્મચારીઓને પણ દૂર કર્યા છે. તેથી ખાનગીકરણની શંકાને બળ મળે છે. એથી પ્રજામાં અસંતોષ થયો છે.
કોર્પોરટ હિતને લક્ષમાં રાખી, ધાર્મિક લાગણી ભડકાવવી અને પોતાનો કક્કો ખરો કરવો એેવી નીતિ ધરાવતી આ સરકાર છે એનું વધુ એક ઉદાહરણ લક્ષદીપમાં આવેલા કાયદાઓ પૂરું પાડે છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 09