Opinion Magazine
Number of visits: 9571874
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મુનશીની વાર્તા મારી કમલા અંગે બે ગૂંચવણ

દીપક મહેતા|Opinion - Literature|5 June 2021

‘વિશ્વવિહાર’ના મે ૨૦૨૧ના અંકમાં આદરણીય યશવંતભાઈ મહેતાના લેખ ‘મુનશીની સામાજિક નવલકથાઓ’ના છેલ્લા પેરેગ્રાફના અનુસંધાનમાં થોડુંક :

માત્ર મધુસૂદન પારેખે જ નહિ, મુનશી વિષે પીએચ.ડી. કરનાર ‘સંશોધકો’એ પણ આ વાત લખી છે. અને લખે તે સ્વાભાવિક છે, કારણ મુનશીએ પોતે ૧૯૪૩માં પ્રગટ થયેલ આત્મકથા ‘સીધાં ચઢાણ’માં આ વાત લખી છે : ‘જ્યારે જ્યારે મને કોઈપણ પ્રકારનો તીવ્ર ઉદ્વેગ થતો ત્યારે તેને અવલંબીને કોઈ કાલ્પનિક પ્રસંગ ઊભો કરી, તેને નોંધ દ્વારા વ્યક્ત કરવાની મને નાનપણથી ટેવ હતી, પણ તે અંગ્રેજીમાં જ. ૧૯૧૨ના જૂન કે જુલાઈમાં મને એવો ઉદ્વેગ થયો, ત્યારે ગુજરાતીમાં એ વ્યક્ત થઈ શકશે કે કેમ તેનો પ્રયોગ કરવા મેં ‘મારી કમલા’ નામક ટૂંકી વાર્તા લખી કાઢી. ચંદ્રશેખરે એનાં વખાણ કર્યાં અને ભાષાશુદ્ધિ કરી ‘સ્ત્રીબોધ’માં છાપવા માટે મોકલી આપી.’

આ લખનારે પણ પહેલાં તો આ વાત સ્વીકારી લીધેલી. પણ પછી થયુંઃ ‘સ્ત્રીબોધ’માં એ વાર્તા છપાઈ ત્યારે કેવી દેખાતી હશે? સાથે કાંઈ ચિત્ર-બિત્ર હશે? એટલે ‘સ્ત્રીબોધ’ની ૧૯૧૨ની ફાઈલનાં પાનાં ઉથલાવવા માંડયાં. (સારે નસીબે ‘સ્ત્રીબોધ’ની ઘણાં વર્ષોની ફાઈલ કમ્યુટરવગી છે.) એક વાર નહીં, બે વાર ઉથલાવ્યાં. પણ તેમાં ક્યાં ય ‘મારી કમલા’ વાર્તા જોવા જ ન મળી! સંવત ૧૯૭૩ની દીવાળીના દિવસે જેની પ્રસ્તાવના લખાઈ હતી તે મુનશીનો વાર્તાસંગ્રહ ‘મ્હારી કમલા અને બીજી વાતો’ (પહેલી આવૃત્તિ) સદ્ભાગ્યે મળી ગયો. એક પાનાની મુનશીની પ્રસ્તાવનામાં લખ્યું છેઃ ‘સને ૧૯૧૧ની સાલથી મ્હેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી ત્યારથી અત્યાર સુધી લખાયેલી વાર્તાઓનો આ સંગ્રહ પ્રગટ થાય છે. ત્હેમાંની ‘મ્હારી કમલા’ સુન્દરી સુબોધમાં, ‘એક સાધારણ અનુભવ’ કપોળમાં, ‘કોકિલા’ ગુજરાતીના દિવાળીના અંકમાં, ‘મ્હારો ઉપયોગ’, ‘ગૌમતિ દાદાનું ગૌરવ’, ‘મ્હારા બચાવમાં’ એ સમાલોચકમાં, ‘એક પત્ર’ અને ‘શકુન્તલા અને દુર્વાસા’ ભાર્ગવ ત્રૈમાસિકમાં, ‘નવી આંખે જૂના તમાસા’ વીસમી સદીમાં અને બાકીની ચાર ‘નવજીવન અને સત્ય’માં જુદા જુદા તખલ્લુસ નીચે પ્રકટ થઈ હતી.’ (જોડણી મૂળ પ્રમાણે.) તરત ‘સુન્દરી સુબોધ’ની ૧૯૧૨ની ફાઈલ ઉથલાવવાવું શરૂ કર્યું. (ફરી કમ્પ્યુટરની કૃપાથી.) ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકના, ૩૫૮મા પાને ‘મ્હારી કમલા’ વાર્તા શરૂ થાય છે. વાર્તા કોઈ તખલ્લુસથી પ્રગટ થઈ નથી. ‘મ્હારી કમલા’ની નીચે કૌંસમાં લખ્યું છેઃ ‘લેખકઃ કનૈયાલાલ માણેકલાલ મનુશી. બી.એ.એલ.એલ.બી.’ એટલે કે ‘મારી કમલા’ છપાયેલી ‘સ્ત્રીબોધ’ માસિકમાં નહીં, પણ ‘સુન્દરી સુબોધ’ માસિકમાં. અને કોઈ તખલ્લુસથી નહિ, પણ મુનશીના નામે જ.

પણ મુનશીએ ‘સીધાં ચઢાણ’માં ‘મ્હારી કમલા’ના પ્રથમ પ્રકાશન વિષે માત્ર આટલું જ નથી લખ્યું. બીજું પણ લખ્યું છે અને તે વધુ ગૂંચવાડો ઊભો કરે તેવું છે. ‘‘ગુજરાતમાં ત્યારે એક પ્રખર ને ચીવટવાળા સાહિત્યકાર હતા. જે ગુજરાતી સાહિત્યની રગેરગ પિછાણતા. એમણે સાહિત્યસેવામાં જ જીવનનું સાર્થક્ય ગણ્યું હતું. એમણે ‘સ્ત્રીબોધ’માં છપાયેલી ‘ઘનશ્યામ વ્યાસ’ની વાર્તા વાંચીને એ ‘વ્યાસ’નો પીછો પકડ્યો. આ કોઈ નવો લખનાર છે કોણ? જૂનામાંથી કોઈ આવું લખે તેમ નથી. એમણે ‘સ્ત્રીબોધ’માં તપાસ કરાવી ને ચંદ્રશંકરનો પત્તો મેળવ્યો. ચંદ્રશંકરને લઈ એ મારે ત્યાં આવ્યા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા મારી ઓરડીએ! મેં આવકાર આપ્યો. નરસિંહરાવભાઈએ મુક્ત કંઠે ગુજરાત સાહિત્યક્ષેત્રમાં મને આવકાર આપ્યો.’’

મુનશીની આ વાત આમ તો સીધી, સાદી, સાચી લાગે છે. પણ ઝીણવટથી વાંચતાં કેટલીક મુશ્કેલી ઊભી થાય છે. પહેલી વાત એ કે મુનશીની પહેલી વાર્તા ‘મ્હારી કમલા’ ‘ઘનશ્યામ વ્યાસ’ના તખલ્લુસથી પ્રગટ થઈ જ નહોતી. આપણે અગાઉ જોયું તેમ ‘કનૈયાલાલ માણેકલાલ મુનશી, બી.એ. એલ.એલ.બી.’ એવા પોતીકા નામે જ તે ‘સુન્દરી સુબોધ’ના જૂન ૧૯૧૨ના અંકમાં પ્રગટ થઈ હતી. એટલે નરસિંહરાવભાઈએ ‘ઘનશ્યામ વ્યાસ’નો પીછો પકડવાનો સવાલ જ નહોતો. ‘નવો લખનાર’ કનૈયાલાલ માણેકલાલ મુનશી હતો એ સ્પષ્ટ હતું.

નરસિંહરાવ દિવેટિયાએ ૧૮૯૨થી ૧૯૩૫ સુધી ખૂબ જ વિગતવાર ડાયરી લખી છે જે ૧૯૫૩માં પુસ્તકરૂપે પ્રગટ થઈ હતી. સંપાદકો હતા ધનસુખલાલ કૃ. મહેતા અને રામપ્રસાદ પ્રે. બક્ષી. ડાયરી લખવાની નરસિંહરાવભાઈની પદ્ધતિ વિલક્ષણ હતી. પોતાની પાસે નાની ખિસ્સા ડાયરી સતત સાથે રાખતા. જે કાંઈ બને, જુએ, વાંચે, લખે, સાંભળે, તેની ટૂંકી નોંધ તરત લખી લે. પછી તેને આધારે રોજ રાત્રે મોટા ચોપડામાં વિસ્તૃત નોંધો લખે. વાંદરાથી કોઈને મળવા ગયા હોય તો પોતે કેટલા વાગ્યાની લોકલ ટ્રેનમાં બેઠા, કેટલા વાગે ઉતર્યા તે નોંધે. ટ્રેનમાં કોઈ ઓળખીતું મળ્યું હોય કે નવી ઓળખાણ થઈ હોય તો એ પણ નોંધે. પોતે સામે ચાલીને મુનશીને ઘરે ગયા હોય અને તેમની વાર્તાનાં વખાણ કર્યાં હોય તો એ વાત નરસિંહરાવ પોતાની ડાયરીમાં નોંધે જ નોંધે. પણ તેમની ડાયરીમાં આવો કોઈ પ્રસંગ નોંધાયેલો જોવા મળતો નથી. પણ મુનશી સાથેનો પોતાનો પહેલો મેળાપ નરસિંહરાવભાઈએ ડાયરીમાં નોંધ્યો છે જ. પણ તેની વિગતો મુનશીએ કહી તેના કરતાં સાવ જુદી છે. નરસિંહરાવભાઈ નોંધે છેઃ ‘’વાંદરા – તા. ૨૩-૬-૧૨, રવિવાર. આજે (યુનિયનની સભામાં) એક કન્હૈયાલાલ માણેકલાલ મુનશીનું ઓળખાણ ચંદ્રશંકરે કરાવ્યું. એડવોકેટ માટે ટર્મ ભરે છે. ફેબ્રુ.માં પરીક્ષા આપશે – વાત કાઢતે હેમણે જ કહ્યું કે મ્હારા કાકા હરદેવરામ (ભરૂચના) હતા, સબજજ, ત્હેમને ઓળખતા હશો. હરદેવરામ માસ્તર! મ્હોટા ભાઈની વખતનું ઓળખાણ!’’ (જોડણી મૂળ પ્રમાણે.)

૧૯૪૩માં ‘સીધાં ચઢાણ’ પ્રગટ થઈ તે પહેલાં ૧૯૩૭માં નરસિંહરાવભાઈનું અવસાન થયું હતું. નહિતર મુનશીએ જે લખ્યું છે તે અંગે તેમણે ખુલાસો કર્યો જ હોત. તો બીજી બાજુ નરસિંહરાવ જેવાની બાબતમાં આખી વાત મુનશીએ કશા આધાર વગર ઉપજાવી કાઢી હોય એમ માનવાનું પણ મન ન થાય. એટલે આ ગૂંચ ઉકલ્યા વગરની જ રહે છે.

પ્રગટ : “વિશ્વવિહાર”, જૂન 2021 

Loading

પુન:કલ્પના, પુનર્નિર્માણ, પુન:સ્થાપન

રૂપાલી બર્ક|Opinion - Opinion|5 June 2021

વિશ્વ પર્યાવરણ દિવસ 2021

ફોટો : રૂપાલી બર્ક, કુંબલગઢ

 

મારી વાત અમેરિકી કવિ જૉય્સ કિલ્મરે ‘વૃક્ષો’ શીર્ષકની સુંદર કવિતાના અનુવાદથી માંડવા માગું છું :

વૃક્ષો

મને નથી લાગતું કે ક્યારે ય હું
સુંદર કાવ્ય જોઈ શકીશ વૃક્ષ જેવું.

વૃક્ષ જેનું ભૂખ્યું મોં ચંપાયેલું છે
ધરતીના મધુર વહેતા સ્તને;

વૃક્ષ જે દિવસ આખો ઇશ્વરને નિહાળ્યા કરે
ને એના પાનભર્યા હાથ પ્રાર્થનામાં ઊંચા ધરે;

વૃક્ષ જે પહેરે ઉનાળામાં
રૉબિનનો માળો એના કેશમાં;

જેની છાતી પર બરફ પથરાય
જે હરદમ વરસાદમાં નહાય.

કાવ્યો મારા જેવા મૂર્ખ સર્જે
વૃક્ષ તો માત્ર ઇશ્વર સર્જે.

વિશ્વ પર્યાવરણ દિન ૧૯૭૪થી ઉજવાતો આવ્યો છે. ૧૪૩ દેશોની સરકારો, વેપારી સંસ્થાઓ, વિવિધ સંગઠનો, નાગરિકો પર્યાવરણીય પ્રશ્નો સંદર્ભે અનેક રીતે સક્રિય ભાગીદારી નોંધાવે છે. માનવ પર્યાવરણ સંબંધી સ્ટૉકહોમ કૉન્ફરન્સના પ્રથમ દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૧૯૭૨માં વિશ્વ પર્યાવરણ દિનની જાહેરાતને કારણે અસ્તિત્વમાં આવ્યો. પ્રથમ તબક્કામાં ‘માત્ર એક વિષયવસ્તુ પર આ દિવસ મનાવાતો હતો. ૧૯૮૭થી આ અંગેની પ્રવૃત્તિઓના કેન્દ્રો તરીકે યજમાન દેશોની પસંદગી શરૂ કરવામાં આવી. વર્ષ ૨૦૨૧ માટે યજમાન પાકિસ્તાન છે.

સાચું જ કહ્યું છે કે જંગલ પ્રત્યેનો આપણો વ્યવહાર આપણા પોતાના અને બીજા પ્રત્યેના વ્યવહારનું પ્રતિબિંબ છે. દુ:ખદ બાબત છે કે દર ત્રણ સૅકૅન્ડે એક ફૂટબૉલ પિચ જેવડો અને દર વર્ષે ૪.૭ હૅક્ટર જંગલનો (ડૅન્માર્ક જેટલો વિસ્તાર) ખાતમો થાય છે.  માટે આ વર્ષે યુ.એન.ની થીમ છે : ‘Reimagine, Recreate, Restore’.

World Environment Day 2021ની ઑફિશ્યલ વૅબસાઈટ મારફતે #GenerationRestoration ઝુંબેશમાં જોડાઈ શકાય છે. આ દ્વારા પર્યાવરણ અંગે અઢળક માહિતી ઉપલબ્ધ થશે સાથોસાથ તમારા કાર્યો દ્વારા તમે કઈ રીતે યોગદાન આપી શકો છો, એનું માર્ગદર્શન પણ મળશે. સોશ્યલ મીડિયા મારફતે આ ઝુંબેશને વેગ આપવા માટે ખૂબ બધી સામગ્રી પણ મળશે. આપણી નાનામાં નાની પહેલનું મૂલ્ય હશે. ખાસ કરીને બાળકો, તરુણોને આમાં સાંકળીને કોરોનાકાળમાં સરસ પ્રવૃત્તિ પણ પૂરી પાડી શકાય એમ છે. રસ ધરાવતા વડીલો પણ આમાં શામેલ થઈ શકે છે. It is never too late to start anything good. Shall we?

આજના નિમિત્તે ગુગલ પર વિવિધ પોસ્ટરો મૂકેલાં છે એમાં રસપ્રદ અને ચિંતનશીલ કૅપ્શન્સ છે :

Every tree we plant contributes to the air we breathe.

Let us nurture nature so that we can have a better future.

Don’t be greedy, it’s time to be greeny.

Adopt me! They say my parents were killed by something called development.

He that plants trees loves others besides himself.

The earth does not belong to us. We belong to the earth.

We do not inherit the earth from our ancestors, we borrow it from our children.

Save the earth, we have nowhere to go.

ચાલો, આપણાથી જે થઈ શકે તે કરીએ …

~

e.mail : rupaleeburke@yahoo.co.in

Loading

બારમું પત્યું કે તેરમું ચાલુ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|4 June 2021

ધોરણ 10ની જેમ જ 12ની પરીક્ષા રદ્દ થઈ. રદ્દ થશે એવું લાગતું હતું, તેમાં સી.બી.એસ.ઈ.ની 12ની પરીક્ષા રદ્દ થઈ એટલે ખાતરી થઈ ગઈ કે ગુજરાતની પણ રદ્દ થશે જ. થઈ. જો કે આગળના પ્રવેશ માટે શિક્ષણ વિભાગ કઈ નીતિ નક્કી કરે છે તેનો ફોડ પડાયો નથી, પણ કેન્દ્ર જે નીતિ નક્કી કરશે તેને અનુસરવાની વાત શિક્ષણ મંત્રીએ કરી છે. કોઈ પણ બાબતમાં કેન્દ્રને અનુસરવાની ગુજરાત સરકારની વફાદારી જગ જાહેર છે, એમાં ક્યારેક મંત્રીઓ સ્વતંત્ર નિર્ણય લે છે તે એટલા માટે કે એ નિર્ણય વારંવાર બદલીને પોતાની અનિર્ણયાત્મકતાનો પ્રજાને પરિચય આપી શકે. શિક્ષણની બાબતમાં જ એટલી વખત તઘલખી નિર્ણયો લેવાયા છે કે તઘલખ ઓછો તરંગી લાગે. સરકાર કેન્દ્રને અનુસરવાની વાત કરે છે, પણ તે પણ પૂરું સાચું નથી. એ જો કેન્દ્રને અનુસરતી હોત તો સરકારે જુલાઈમાં 12ની પરીક્ષા લેવાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કર્યો ન હોત, પણ કર્યો ને આખી વ્યવસ્થા કેવી રીતે થશે તેની વિગતો પણ આપી. આ વ્યવસ્થાનો અમલ કરવા, વચ્ચે મહિનાનો સમય હતો. વારુ, કોરોનાનું જોર નરમ પડ્યું હતું અને મહિનામાં આ જ ગતિ રહે તો જોર ઘણું ઓછું થવાની શક્યતા હતી. એ સ્થિતિમાં પરીક્ષા લઈ શકાઈ હોત. 12ના વિદ્યાર્થીઓ 17-18ની આસપાસના હોય છે એટલે એટલા નાના પણ ન હોય કે પોતાની કાળજી લઈ ન શકે. આ પરીક્ષા થઈ હોત તો ઘણી મૂંઝવણો દૂર થઈ હોત, પણ એકાએક સરકારને કેન્દ્રની વફાદારી યાદ આવી અને કેન્દ્રએ 12ની સી.બી.એસ.ઈ. અને અન્ય બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરી તો ગુજરાત સરકારે પણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી દીધી. આમ પણ કેન્દ્ર પીવડાવે એટલું જ પાણી ગુજરાત પીએ છે એટલે આનાથી જુદું કૈં થવાનું ન હતું.

સરકારને કદાચ કોઈ તુક્કો આવે ને એ ફરી પરીક્ષા લેવાની જાહેરાત કરે તો વાત જુદી છે, બાકી, અત્યારે તો પરીક્ષાઓ રદ્દ થઈ છે તે હકીકત છે. પરીક્ષા રદ્દ થવાના મિશ્ર પ્રત્યાઘાતો શિક્ષણ જગતમાં પડ્યા છે, કોઈને પરીક્ષા રદ્દ થવાથી રાહત થઈ છે, તો કોઈને હોશિયાર વિદ્યાર્થીઓની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયાનું પણ લાગે છે. પરીક્ષા રદ્દ થવાની તરફેણમાં અને વિરોધમાં, બંને બાજુ મત પડ્યા છે. તથ્ય બંને પક્ષે છે. બંને પક્ષે સમજ અને સગવડ પ્રમાણે દલીલો પણ થાય છે, પણ એ મામલે વખાણનારને વખોડવાનું ને વખોડનારને ન વખાણવાનું ઠીક નથી. એક વાત નક્કી છે કે રીત ગમે તે હોય, પણ 12ના વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે લાયક ઠેરવાયા છે. એ જુદી વાત છે કે પાત્રતા નક્કી કરવાની રીતો બદલાઈ છે ને એ જે પરિણામ નક્કી કરે તે પ્રમાણે ધારેલી વિદ્યાશાખા કે કોલેજમાં પ્રવેશ મળવામાં મુશ્કેલી થાય એમ બને. આમાં યુનિવર્સિટીઓ, કોલેજો પોતાની નીતિ નક્કી કરે, ખાનગી કોલેજો જુદી જ વેતરણમાં હોય એમ પણ બનવાનું. આ બધાંમાંથી પસાર થતાં વાલી કે વિદ્યાર્થી અધમૂઆ થઈ જાય તો નવાઈ નહીં ! ભણવા કરતાં ભણવાની વ્યવસ્થાઓ જ એટલી જટિલ છે કે આ બધાંમાંથી પસાર થયા પછી વિદ્યાર્થી કે વાલીના હાથમાં મોટે ભાગે નિરાશા જ આવે છે. 12ની પરીક્ષા રદ્દ થઈ એ સાથે જ ખાનગી કોલેજોને ઘીકેળાં થઈ ગયાંની વાતો પણ વહેતી થઈ છે. તે એ રીતે કે વધારે વિદ્યાર્થીઓ કોલેજ પ્રવેશ માટે પાત્ર ઠરતાં જે સીટો ખાલી રહેતી હતી તે ભરાઈ જવાની શક્યતાઓ વધી છે. આમાં એવું થવાનું કે જે પરિણામ આવે તેનાથી વિદ્યાર્થીને સંતોષ ન થાય અને જે વિદ્યાશાખામાં જવાની ઇચ્છા હોય તેનાથી જુદી જ વિદ્યાશાખામાં પ્રવેશ મેળવીને સંતોષ માનવો પડે. વડા પ્રધાને જેમને પરિણામથી સંતોષ ન હોય એમને માટે પરીક્ષાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે ને વફાદાર ગુજરાત સરકાર તેને અનુસરે તો ગુજરાતના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે એમ બને, પણ એવી પરીક્ષાનો વિકલ્પ નજીક જણાતો નથી. સાચું તો એ છે કે પાત્રતા પ્રમાણેનું પરિણામ વિદ્યાર્થીઓને આમ પણ ઘણીવાર મળતું નથી, તો હાલના સંજોગોમાં તો તે મુશ્કેલ જ છે.

કોલેજોએ તો 12ની પરીક્ષા લેવાશે એમ માનીને પ્રવેશના દાખલાઓ પણ ગણી કાઢેલા, એ રીત હવે બદલવી પડે કદાચ. આમાં યુનિવર્સિટીઓ કે કોલેજો પ્રવેશ માટે પોતાની રીતે પ્રવેશ પરીક્ષાઓ યોજે, જે આમ પણ યોજાતી રહે છે તેનો સામનો વિદ્યાર્થીઓએ કરવાનો આવશે. એ નથી સમજાતું કે શિક્ષણ બોર્ડ એક તરફ પરીક્ષાઓ રદ્દ કરતી જાય છે ને બીજી તરફ ગુજકેટ કે જે.ઇ.ઈ. કે નીટ જેવી પરીક્ષાઓ લેવાવાની વાત ચાલ્યા કરે છે, તો પ્રશ્ન એ થાય કે આ પરીક્ષાઓને કોરોના નથી નડતો, તો ગુજરાત બોર્ડને જ કેમ નડે છે? પરીક્ષા લેવાનું એવું  ઓબ્સેશન શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓને થઈ ગયું છે કે તિરસ્કાર છૂટે. આ બધું ગુણવત્તા ચકાસવા થાય તો, તો ધૂળ નાખી, પણ એ નિમિત્તે ઉઘરાવાતી ફી દ્વારા, લાખો-કરોડોની કમાણી થાય એ ઉપક્રમ કેન્દ્રમાં હોય છે. આટલું વેઠયા પછી નોકરી માટે પસંદગી કરવાની વાત આવે છે ત્યારે મેરિટની તો ઐસીતૈસી થાય જ છે. સંસ્થાઓનું પોતાની રીતે પરીક્ષાઓ લેવાનું જ યોગ્ય હોય તો બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓનું પરિણામ, જે તે વર્ષની પરીક્ષાઓ પસાર કરી છે એટલું જ કે બીજું કૈં? મૂળ વાત એ છે કે બોર્ડ કે યુનિવર્સિટીની પરીક્ષાઓ પર જે તે સંસ્થાઓને ભરોસો જ નથી એટલે એ પોતાની રીતે પરીક્ષાઓ લે છે. એવું પણ બન્યું છે કે એક જ યુનિવર્સિટી દ્વારા યોજાતી તમામ પ્રવેશ પરીક્ષાઓને તે યુનિવર્સિટી પોતે જ માન્ય નથી ગણતી. ઉદાહરણ તરીકે નર્મદ યુનિવર્સિટીમાંથી એમ.એ. પાસ થનારે એ જ યુનિવર્સિટીમાં પીએચ.ડી.માં પ્રવેશ મેળવવા એંટ્રન્સ ટેસ્ટ આપવી પડે તો એનો અર્થ જ એ કે યુનિવર્સિટીને પોતે આપેલાં એમ.એ.નાં પરિણામ પર ભરોસો નથી, નહીં તો ટેસ્ટ શું કામ લે?

ખરેખર તો તમામ પ્રવેશ પરીક્ષાઓ કમાણી કરવાથી વિશેષ કોઈ હેતુ સિદ્ધ કરતી નથી. આવી તમામ પરીક્ષાઓ રદ્દ થાય તો વિદ્યાર્થીઓની ફી બચે, સમય અને સંસ્થાઓની મહેનત બચે ને વિદ્યાર્થીઓની તાણ ઘટે. કોઈ પણ પ્રવેશ માટે બોર્ડની કે યુનિવર્સિટીની છેલ્લી પરીક્ષાનું પરિણામ માન્ય ગણીને મેરિટને ધોરણે પ્રવેશ આપી જ શકાય. જો ગોલમાલ બોર્ડની કે યુનિવર્સિટીની પરીક્ષાઓમાં થતી હોય તો જે તે સંસ્થામાં તે ન જ થાય એમ માનવાને કોઈ કારણ નથી. બીજામાં મુકાયેલો વિશ્વાસ, સામાવાળાને પણ પોતાનામાં વિશ્વાસ મૂકવાની તક પૂરી પાડે છે.

પરીક્ષા વગર મૂલ્યાંકન શક્ય જ ન હોય તેમ આપણે સતત પરીક્ષાઓ જ લીધે રાખીએ છીએ. ઓનલાઈન શિક્ષણમાં પણ ભાર પરીક્ષા પર જ મુકાયો છે. એ પરીક્ષાઓ અને એનું મૂલ્યાંકન કેવું થયું છે તે સૌ જાણે છે. એ ઓપન બુક એક્ઝામ જેવું જ રહ્યું છે. સૌના સહકારથી એ કામ થયું છે, એમાં વિદ્યાર્થી તો નામનો જ ભાગીદાર રહ્યો છે. યુનિટ ટેસ્ટ કે મિડ ટર્મ એકઝામને આધાર ગણીને પરિણામ તૈયાર કરવામાં ન્યાય થાય એમ નથી, કારણ બધી સ્કૂલોમાં તેનું ધોરણ એક સમાન રહ્યું નથી. એવી પરીક્ષાઓનું પરિણામ 12 કે 10 માટે આધાર તરીકે લેવાનું ઠીક નથી. ખરેખર તો કોરોના પહેલાંની છેલ્લી વાર્ષિક પરીક્ષાને આધાર બનાવીને પરિણામ નક્કી કરવાનું વધારે સલાહ ભરેલું લાગે છે.

એ તો જે નીતિ નક્કી થાય તે ખરી, પણ માત્ર પરીક્ષા આધારિત મૂલ્યાંકનની પદ્ધતિએ વિદ્યાર્થીના માનસિક વિકાસને ઘણી રીતે રોક્યો છે. કોઈ પણ વિદ્યાર્થી પીએચ.ડી.ની ડિગ્રી મેળવે ત્યાં સુધીમાં તેની ક્રિએટિવિટીને કેટલી તક રહે છે તે વિચારવા જેવું છે. પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાના મારાએ વધુને વધુ ગ્રેડ કે માર્કસ કેવી રીતે મળે એનો જ વિચાર કર્યો છે. ગુણવત્તા એથી સુધરતી હશે, પણ સર્જનાત્મકતાને કે અર્થઘટનને ઝાઝી તક રહેતી નથી. ઉત્તમ શોધ અને ઉત્તમ સર્જન પરીક્ષામાં નિષ્ફળ કે સાધારણ રહેલ વ્યક્તિઓએ કર્યાંના ઘણા દાખલાઓ છે. એનો અર્થ એ થયો કે સર્જનાત્મકતા, શિક્ષણ કે પરીક્ષાથી નક્કી થતી નથી અથવા તો એમ કહી શકાય કે આજની શિક્ષણ કે પરીક્ષા પદ્ધતિ એવી નથી જે ક્રિએટિવિટીને પૂરતો અવકાશ આપે. અહીં એવી દલીલ થઈ શકે કે આવી શિક્ષણ ને પરીક્ષા પદ્ધતિ છતાં સર્જકો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ … વગેરે પાક્યા જ છે. એ સાચું, પણ એમાં શિક્ષણ કે પરીક્ષા કરતાં જે તે વ્યક્તિને મળેલું વાતાવરણ, પોતાની ચેતના ને શક્તિ વધારે જવાબદાર હોય એમ બને. શિક્ષણની, શિક્ષકની એમાં મદદ ખરી જ, પણ એવું પણ અપવાદોમાં હોવાનો સંભવ વધારે છે. મોટે ભાગે તો બધું બીબાંઢાળ અને યાંત્રિક જ વધુ રહે છે.

કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિનો સર્જનાત્મક વિકાસ થાય એવું આટલાં વર્ષ શિક્ષણમાં ગાળવા છતાં, લાખો રૂપિયા ખર્ચવા છતાં ઓછું જ બને છે. સાફ વાત તો એ છે કે ઘણાં વર્ષો શિક્ષણમાં ખર્ચ્યા પછી કેવળ નિરર્થકતાનો જ અનુભવ થાય છે ને રડવાનું છે તે એનું છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 જૂન 2021

Loading

...102030...1,8651,8661,8671,868...1,8801,8901,900...

Search by

Opinion

  • રુદ્રવીણાનો ઝંકાર ભાનુભાઈ અધ્વર્યુની કલમે
  • લોહી નીકળતે ચરણે ….. ભાઇ એકલો જાને રે !
  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved