Opinion Magazine
Number of visits: 9677574
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સરકારને સત્તા અને શોષણ સિવાય બીજા કશામાં રસ નથી …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|2 July 2021

મધ્યપ્રદેશના શિક્ષણ મંત્રીને માતાપિતાનાં એક ડેલિગેશને રજૂઆત કરી કે કોરોનામાં સ્કૂલો બંધ રહી છે તો પૂરી ફી વસૂલવાનું વાજબી નથી. હાઈકોર્ટે પણ આદેશ આપ્યો છે કે સ્કૂલો ચાલુ નહીં થાય ત્યાં સુધી ટ્યૂશન ફી નહીં વસૂલાય, છતાં ઘણી સ્કૂલો પૂરી ફી વસૂલે છે. આ રીતે ફી ભરી ભરીને તો અમે મરી જઈશું, એવું વાલીઓએ કહ્યું તો, શિક્ષણ મંત્રીએ કહ્યું કે મરી જાવ ! આ ડેલિગેશનમાં મહિલાઓ પણ હતી, પણ એની શરમ છોડીને શિક્ષણ મંત્રીએ કહ્યું કે મરી જાવ. આ એટલી ઉદ્ધતાઈથી કહેવાયું કેમ જાણે વાલીઓનું મંત્રીશ્રી પૂરું કરતાં હોય ! જો કે, ગુજરાતના શિક્ષણ મંત્રીએ માણસાઈ નથી છોડી. એમણે ફીમાં રાહત આપવાનું કહ્યું જ છે, તો સામે શાળા સંચાલકો દબડાવે છે કે રાહતનો વધુ પડતો આગ્રહ શિક્ષણ મંત્રી રાખશે તો તેઓ કોર્ટમાં જશે. અહીં બેશરમી સંચાલકોને પક્ષે છે. એટલે સરકાર કે લોકો કોઈ પણ, ખોટ ખાવા તૈયાર નથી. સંચાલકો જાણે છે કે તેઓ મફતનું શોધી રહ્યા છે. અગાઉ આ જ લોકોએ વાલીઓને લૂંટીને મોં માંગી ફી અનેક બહાને વસૂલી જ છે ને અત્યારે વાલીઓના ધંધાધાપા બંધ છે, નોકરીનાં ઠેકાણાં નથી ને રાહતની ખરેખર જરૂર છે ત્યારે થોડી ખોટ ખાવા સંચાલકો તૈયાર નથી. એમણે તો નફામાં જ ખોટ ખાવાની છે, પણ એટલી માણસાઈ પણ આ સંચાલકો દાખવતાં નથી એ રીતે તેઓ મધ્ય પ્રદેશના શિક્ષણ મંત્રી કરતાં કોઈ રીતે ઊતરતા નથી.

મંત્રી કક્ષાના માણસો કેટલા અવિવેકી ને ઉદ્ધત હોય છે એનો બીજો દાખલો ગઈ ચોથી જૂને છત્તીસગઢ સરકારમાં ત્રણ વખત મંત્રી રહી ચૂકેલા ભા.જ.પી. નેતાએ પૂરો પાડેલો. એમણે કહેલું કે જેમને મોંઘવારી નડતી હોય તેમણે ખાવા-પીવાનું અને પેટ્રોલ ભરાવવાનું છોડી દેવું જોઈએ. તેમનું કહેવાનું પણ આડકતરી રીતે તો એ જ હતું કે જેમનાથી મોંઘવારી સહન ન થતી હોય તેમણે ખાવાપીવાનું છોડી દેવું જોઈએ, બીજા શબ્દોમાં, મરી જવું જોઈએ. જે પ્રજાએ મત આપીને સત્તા આપી તે એ સાંભળવા કે મોંઘવારી સહન ન થતી હોય તો મરી જાવ ! આ સાચું હોય તો તાત્કાલિક અસરથી એ મંત્રીને પદ પરથી ઉતારી મૂકવા જોઈએ, પણ એવા ચમત્કારો તો થાય ત્યારે ખરા. મંત્રીઓનો આવો વાણીવિલાસ મિથ્યાભિમાનનું ને છીછરાપણાનું પરિણામ છે ને પ્રજા જો સભાન થઈ તો તેમણે ભોગવવું પડશે. ભા.જ.પ.નો સાધારણ કાર્યકર પણ નાક પર માખી બેસવા ન દેતો હોય તો મંત્રીઓ હવામાં ઊડે તેની નવાઈ નથી. ભા.જ.પી. શાસકો એવી ગ્રંથિથી પણ પીડાય છે કે જે પણ વિરુદ્ધ મતો આવે છે તે વિપક્ષના જ છે, પણ બધું જ વિરુદ્ધનું તે વિપક્ષનું નથી. જે ફરિયાદ કરે તે વિપક્ષી જ હોય એવી ગેરસમજમાંથી આજના સત્તાધીશોએ બહાર આવી જવાની જરૂર છે. વિપક્ષ સત્તા મેળવવા શાસકોનો મિથ્યા પ્રચાર કરે તે સમજી શકાય, પણ મોંઘવારીથી પીડાતી પ્રજા આ કે તે પક્ષની જ હોય એ જરૂરી નથી. તે સામાન્ય નાગરિક પણ હોય ને કોઈ પક્ષની દલાલી ન કરતો હોય એવું શક્ય છે. એ પણ જવા દઈએ, અડધો મહિનો રોજ પેટ્રોલના ભાવ વધે છે એ વિપક્ષ તો નથી વધારતો ને? એની અસર વિપક્ષને જ થાય છે એવું કઈ રીતે કહી શકાય? દૂધનાં લિટરે બે રૂપિયા વધ્યા એ તો સાચું છે ને? કાલે જ જાહેર થયું છે કે તેલ, ડિટરજન્ટ, ચા, સાબુ, શેમ્પૂ, જામ, નુડલ્સ, ટૂથપેસ્ટ, બેબીફૂડ વગેરેના ભાવ છેલ્લા ત્રણ મહિનામાં 40 ટકા સુધી વધ્યા છે. ત્રણ મહિનામાં કોઈ સરકારમાં આટલા ભાવ વધ્યા નથી, તો એનું નિયંત્રણ કરવાને બદલે મંત્રીઓ કહે છે – મરી જાવ ! આ યોગ્ય છે?

પ્રજા તો મરશે કે કેમ તે ખબર નથી, પણ મંત્રીઓએ ભાવિ વિચારી લેવું જોઈએ. અનેક સત્તાઓ આવી આ દેશમાં અને ગઈ, એટલે કોઈ અનંત કાળ રહેતું નથી, એ દરેક સરકારે સમજી લેવાનું રહે છે. એવું પણ નથી કે પ્રજા દૂધે ધોયેલી છે. એ પણ સરકારનું જોઈને જ શીખે છે. પ્રજાના પ્રતિનિધિઓ કઈ રીતે વર્તે છે એનો એક ઓર દાખલો જોઈએ. જિલ્લા પંચાયતની એક પ્રાથમિક શિક્ષિકાને ફરજ પર પાછી લેવા શિક્ષક સંઘના પ્રમુખે ઉપરી અધિકારીઓને નામે લાખો રૂપિયાની લાંચ માંગી. શિક્ષિકાએ કોઈક કારણસર રાજીનામું આપ્યું હતું ને તે પાછું ખેંચવાની કોશિશમાં તેની પાસેથી મોટી રકમ માંગવામાં આવી. એટલી રકમ ન હોવાનું કહેતાં પ્રમુખે શિક્ષિકાને લોન લઈને પણ ચોક્કસ રકમ ભરપાઈ કરવાનો આગ્રહ રાખ્યો. આ શરમજનક છે.

એમ લાગે છે કે આ દેશને શિક્ષિતોએ કર્યું છે એટલું નુકસાન અભણોએ નથી કર્યું. જો કે એમને તક ન મળી હોય એમ બને. ગુજરાતના રાજ્યપાલે બે દિવસ પર જ કહ્યું કે શિક્ષણની ફેક્ટરીઓ ચાલે છે ને શિક્ષકોને પગાર જોડે જ મતલબ હોય છે. આ સ્થિતિ રાજ્ય કે સમાજને ઉન્નતિ તરફ ન લઈ જઈ શકે એવું રાજ્યપાલને લાગે છે. કોરોના કાળમાં નકલી ઇન્જેકશનો કે દવાઓ વેચાયાં કે ઓક્સિજનની ચોરી થઈ એ કામ કોઈ અભણ ખેડૂતે કે મજૂરે નથી કર્યું. એ શિક્ષિતોએ કર્યું છે. આ વિધાન કોઈ સાધારણ માણસનું નથી, એ રાજ્યપાલનો સંતાપ છે ને તે સાવ ખોટો છે એમ કહી શકાય એમ નથી.

આ બધું બન્યું છે આત્મનિરીક્ષણના અભાવમાં. કોઈ સરકારને કશુંક ખોટું થઈ રહ્યું છે એવું લાગતું જ નથી. બધું ખોટું નહીં જ હોય, પણ બધું જ સાચું છે એવું ય ક્યાં છે? કોઈ મંત્રી વાલીઓને મરી જવાનું કહે કે કોઈ પૂર્વ મંત્રી મોંઘવારી નડતી હોય તો લોકોને ખાવાપીવાનું છોડી દેવાનું કહે તે યોગ્ય છે? જે પ્રજાના મતથી મંત્રી બનવાનું થયું હોય એ મંત્રી પ્રજાના મોતની કામના કરે એ શરમજનક છે. સવાલ એ છે કે આટલી ઉદ્ધતાઈ આવી કઈ રીતે? કોઈ મનોરોગી પણ ન વર્તે એ રીતે મંત્રીઓ વર્તે ને તેની સામે કોઈ પગલાં ન લેવાય તો બીજો મંત્રી વધુ ઉદ્ધત બને એમાં નવાઈ નથી. આમ જ ચાલતું આવ્યું છે ને ચાલશે, કારણ આવા લવારા કરનારને કોઈ શિક્ષાત્મક પગલાંનો સામનો કરવાનું ભાગ્યે જ બને છે. એને કારણે કેટલાકની હિંમત વધે છે.

રાષ્ટ્રીય સ્તરે જોઈશું તો પણ જણાશે કે પ્રજાહિતની વિચારણા ઓછામાં ઓછી થાય છે. પેકેજો જાહેર થતાં રહે છે ને લોકોની બેહાલીમાં ફરક પડતો નથી એ હકીકત છે. મોટે ભાગે તો સત્તા કઈ રીતે ટકી રહે, કયા રાજ્યમાં કોને તોડવાથી ભા.જ.પ.નું શાસન આવે એમ છે કે આવનારી ચૂંટણીઓમાં મત કઈ રીતે પોતાના પક્ષમાં આવે એમ છે એની ગણતરીઓમાં જ શાસકોનો ઘણો સમય જાય છે. એમ ન જ થવું જોઈએ એવું કહેવાનું નથી, પણ હવે કામથી નહીં, દામથી મત મેળવાય છે. એને માટે કૈં પણ કરવું પડે એની કોઈને છોછ નથી. સાધનશુદ્ધિ એ હવે આઉટડેટેડ શબ્દ છે. એક તરફ હિન્દુ રાષ્ટ્રનું સંકીર્તન ચાલે છે ને બીજી બાજુ ભાવિક ભક્તો લઘુમતી વિરુદ્ધ ઓકાય એટલું ઝેર ઓકે છે. એ બધાં સાવ ખોટાં છે એવું પણ નથી, પણ જે કોઈ આદર્શ નક્કી થાય એને વફાદાર તો રહેવું જોઈએ ને ! ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક છે. મુખ્ય મંત્રી કટ્ટર હિંદુવાદી વલણ ધરાવે છે તે જગજાહેર છે, પણ એ સમીકરણ આ વખતની ચૂંટણીમાં બહુ કામ લાગે એમ નથી, કારણ આંદોલન લંબાવાને કારણે ખેડૂતોના મત મળવાની શક્યતાઓ ઘટી છે, એ સ્થિતિમાં ચૂંટણી જીતવી હોય તો લઘુમતીના મત તરફ નજર નાખવા સિવાય છૂટકો નથી. આમ તો લઘુમતીના મત પણ બહુ મળે એમ નથી, પણ ટ્રિપલ તલાકને મુદ્દે મહિલાઓને તો લાભ જ થયો છે, તો થોડું જોર વધારે લગાવાય તો લઘુમતી મહિલાઓના મતો મળે એમ બને, પણ  વાત એ નથી. આમ ભક્તજનો લઘુમતીની વિરુદ્ધ પ્રચાર કરતાં ફરે છે, પણ જરૂર તો તેમની પણ છે જ એ ધ્યાને લેવા જેવું છે. લઘુમતી ના ખપે, પણ તેના મત ખપે એ તો બરાબર નથી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રીને પણ લઘુમતીના કલ્યાણની યોજનાઓ તૈયાર કરવાનું કહી દેવાયું છે. આ થાય છે એનો જરા જેટલો ય વાંધો નથી, વાંધો એ છે કે ભૂતકાળમાં અનેક ઉપદ્રવો લઘુમતીએ કર્યા છે ને કરે છે, છતાં તે આ દેશમાં જ છે ને તેના મતનું પણ મૂલ્ય છે તો તે રીતે પણ વિચારવાનું રહે છે.

બીજું, માત્ર ચૂંટણીલક્ષી વિચારણા કરીને સરકાર અટકી જાય તે ચાલે એમ નથી, કારણ દેશનો સામાન્ય નાગરિક આરોગ્ય વિષયક પ્રશ્નોથી તો પીડાય જ છે, આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ તે કરી રહ્યો હોય તો તેને મોંઘવારીથી મારવામાં માણસાઈ નથી. લઘુમતીના શંકાસ્પદ મતો માટે વિચારવું પડતું હોય તો આ તો સિક્યોર્ડ મતો છે, એનું અહિત કરીને તો સરકાર રચવાનું જ શક્ય નથી. ઇચ્છીએ કે સરકાર ચૂંટણી ઉપરાંત પણ પ્રજા હિતનું એવું પગલું ભારે જે પ્રજાને ખરેખર અનુભવાય. અસ્તુ !

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 02 જુલાઈ 2021

Loading

નિષ્ઠા અને પ્રામાણિકતાનું પ્રતીક એટલે ઇન્દુભાઈ

મનીષી જાની|Profile|2 July 2021

મને યાદ આવે છે ૧૯૭૫નો એ દિવસ. તારીખ-મહિનો સ્મૃતિમાં નથી. પણ વડોદરામાં સાવ છેવાડાના લોકો માટે કંઈક કરી છૂટવા માટેની મથામણ માટેનું સંમેલન. ખાસ કરીને, ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ ઘણી-બધી ચર્ચાઓ થઈ. આ સંમેલન યોજનારા હતા જૂના સમાજવાદીઓ અને ગરીબો-વંચિતો વચ્ચે કામ કરનારી સંસ્થાઓના અગ્રણીઓ. સંમેલન રંગપુર આશ્રમના હરિવલ્લભભાઈ પરીખ અને ઝીણાભાઈ દરજીની આગેવાનીમાં મળી રહ્યું હતું. ત્યાં સનતભાઈ, અરુણાબહેન મહેતા, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહ ચૌધરી, સત્યમ્‌ પટેલ ઉપસ્થિત હતા. આ સંમેલનમાં ખેતમજૂરોના લઘુતમ વેતનને લઈ એક વિશાળ રેલી કાઢવાનું નક્કી થયું અને ‘ગુજરાત ખેત-મજદૂર વિકાસ પરિષદ’ એવું સંગઠન ઊભું કરવાની વાત થઈ.

ઇન્દુભાઈને યાદ કરતાં આ ઘટના એટલા માટે યાદ આવી કે, એ જ વર્ષે; પછી ‘ગુજરાત ખેત વિકાસ પરિષદ’ સંસ્થાનો પાયો નંખાયો અને એ સંસ્થામાં પછીથી ઇન્દુભાઈ જોડાયા. ‘નયામાર્ગ’ આમ તો વર્ષો પૂર્વે ‘સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિ’નું મુખપત્ર હતું, પણ બંધ પડતાં સનતભાઈએ ચલાવ્યું. અને ૧૯૮૧થી ‘નયામાર્ગ’, ઇન્દુભાઈના વડપણ હેઠળ ચાલવા માંડ્યું અને ગુજરાતનું એક નોંધપાત્ર સામયિક બની રહ્યું.

૧૯૭૫ના એ વડોદરા સંમેલનમાં હાજર રહેનારામાંથી માધવસિંહજી અને અમરસિંહ ચૌધરી તો તે પછીના દસકામાં તાકતવર નેતાઓ બન્યા ને ગુજરાતના મુખ્ય મંત્રી પણ બન્યા. સનતભાઈ ગુજરાતના નાણાં પ્રધાન બન્યા. ઝીણાભાઈ દરજી ગુજરાતના ‘વીસ મુદ્દા કાર્યક્રમ અમલીકરણ સમિતિ’ના અધ્યક્ષ બન્યા, જે પદ પણ કેબિનટ પ્રધાન કક્ષાનું હતું. આવા સશક્ત નેતાઓના પીઠબળ સાથેની, સત્તાની નજીકની સંસ્થાના આગેવાન તરીકે ઇન્દુભાઈએ સતત ચાર દાયકા લગી કામ કર્યું. પણ સત્તા, સંપત્તિ ને હોદ્દાની ઝાકઝમાળ વચ્ચે તેઓ જળકમળવત્ રહ્યા.

ઇતિહાસ એવું કહે છે અને આપણે સૌએ અનુભવ્યું છે કે, સત્તાધારી પક્ષ સાથે જોડાયેલી સંસ્થા કે આગેવાનો ક્યાંક ને ક્યાંક પોતાના ધ્યેયથી ચલિત થઈ જતાં હોય છે તેમ જ સગવડ, સુવિધાઓ અને ભંડોળને લઈ તેમની જીવનશૈલી અને જીવનમૂલ્યો પણ બદલાતાં જોવા મળે છે. પરંતુ, ઇન્દુભાઈ આ ચાર દાયકા આપણી સાથે જીવ્યા છે, હાથમાં પ્રતિબદ્ધ કલમ ને વિવિધ પ્રવૃત્તિઓમાં આપણી સાથે ચાલ્યા છે. તેમના જીવનના અંત સુધી આપણે તેમના વ્યક્તિત્વથી નજદીકી અનુભવી છે. તેમની પાસે ન હતી ભારે સંપત્તિ કે મકાનો કે જમીનો. ખરેખર તો સત્તાધારી પક્ષના નેતાઓ સાથે જોડાયેલી સંસ્થાને કારણે તેમને આ બંને બાજુએથી સતત પીડા-યાતના જ સહન કરવાની આવી.

વંચિતો-શોષિતોની તરફદારીને લઈ, સરકાર સાથે જોડાયેલાં સ્થાપિત હિતોની સામે પડે અને બીજી બાજુથી જ્યારે વંચિતો-શોષિતોના કોઈ મુદ્દે ધાર્યું પરિણામ ન આવે તો ‘તમે તો કૉંગ્રેસી, સરકાર સાથે મેળાપીપણામાં ચાલનારા …. પછી ન્યાય ક્યાંથી અપાવવાના!’ – એવી ગાળો પણ ખાવી પડે, એવું પણ જોયું છે. ૧૯૮૩માં તો ખુદ ઝીણાભાઈને મુખ્ય મંત્રી માધવસિંહજી સામે, ‘તમે મૂડીવાદીઓ માટે કામ કરો છો’ એમ કહીને જાહેરમાં બગાવત કરવી પડેલી.

એ અરસામાં જ શેરડી કામદારો જે મોટેભાગે સ્થળાંતરિત મજૂરો જ હતા, તેમની બદતર હાલત વિશે ‘નયામાર્ગ’માં ઇન્દુભાઈએ લેખ પ્રગટ કર્યો હતો. એ લેખ અને જૉન બ્રેમાનના અભ્યાસકાર્યને લઈને ‘લોક અધિકાર સંઘ’ દ્વારા ગિરીશભાઈ પટેલની આગેવાની હેઠળ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. લઘુતમ વેતન માટેની માગણી સાથેનો આ કેસ ઘણો લાંબો ચાલ્યો. દક્ષિણ ગુજરાતના સમૃદ્ધ ખેડૂતો દ્વારા ચાલતી શેરડી ઉત્પાદન સહકારી મંડળીઓએ સંગઠિત થઈ, સરકારી તંત્રોને સાધી, આ શેરડી કામદારોનાં શોષણના ચરખા ચાલુ રાખવા તમામ પ્રકારના ખેલ પાડેલા. અમે જ્યારે શેરડી કામદારોના ઇન્ટરવ્યૂ રૅકોર્ડ કરી હાઈકોર્ટમાં મૂકવા માટે કામ કરતા ત્યારે કામદારોને મોટા ખેડૂતોનો ખૂબ ડર લાગતો. ક્યાંક હાટમાં કે દૂર લઈ જઈ તેમની સાથે વાત કરવી પડતી. ઝીણાભાઈ જે સહકારી મંડળીઓ સાથે જોડાયા હોય, એની સામે જ ઇન્દુભાઈ, એ જુલમી શોષણ સામે લેખ છાપે એ એક મોટી વિરલ ઘટના અમને તે સમયે લાગી હતી.

ઇન્દુભાઈનો પરિચય આમ તો ૧૯૮૧માં જ, અનામત સામે થયેલાં તોફાનો વખતે વધુ થયેલો. આમ તો સરકાર ચલાવનારા વંચિતો, તક-વંચિતો ને શોષિતોના મતોથી જ ચૂંટાયેલા હતા. છતાં ય અનામત વિરોધીઓ આગળ ઝૂકી રહ્યા હતા. અનામતના સમર્થકોમાં દલિતો તો હોય જ. દલિત પૅંથર સક્રિય હતું. નાગરિક અધિકારો ને લોકશાહી અધિકારો માટે લડનારા અમારા જેવા કાર્યકરો હતા અને ત્રીજા, કેટલાક ગાંધીપંથના અનુયાયીઓ ને આદિવાસીઓની વચ્ચે ધૂણી ધખાવીને બેઠેલા કર્મશીલો. દલિત પૅંથરના આગેવાનો સાથે તો અમે ૧૯૭૮થી સાથે કામ કરતા હતા ને તેમાં ગાંધીમાર્ગે ચાલનારા ભાનુભાઈ અધ્વર્યુ, ઝીણાભાઈ અને ઇન્દુભાઈની મહત્ત્વની કામગીરીનો ટેકો, ખૂબ જ લઘુમતીમાં હતા એવા અનામત સમર્થકો માટે મૂલ્યવાન બની રહ્યો.

સ્થાનિક છાપાંઓ અનામતના વિરોધીઓની સાથે રહી દલિતો સામે ઝેર ઓકતા જુઠ્ઠા સમાચારો છાપતાં હતાં. દાખલા તરીકે : ‘ગીતામંદિર પર દલિતોનાં ટોળાઓનો હુમલો’. અનામતની તરફેણમાં કામ કરવું કપરું હતું. દલિતોનાં ઘર, ચાલીઓ, ગલ્લાં-રેંકડીઓ ભડકે બળાતાં હતાં, તેવા સમયે ‘નયામાર્ગ’ સામયિકની ભૂમિકા ખૂબ નોંધપાત્ર બની. અનામત વ્યવસ્થાની માહિતી આપતી પુસ્તિકાઓ તેના ઉપક્રમે ઇન્દુભાઈએ પ્રગટ કરાવી અને દલિત-આદિવાસીઓની શિક્ષિત-નોકરિયાત પહેલી પેઢીની અભિવ્યક્તિને ‘નયામાર્ગ’નાં પાનાઓ પર સ્થાન આપવાનું કામ ઇન્દુભાઈએ કર્યું. અને એ પરંપરા ‘નયામાર્ગ’ ચાલ્યું ત્યાં લગી ચાલુ રહી. ઇન્દુભાઈ માત્ર શબ્દોમાં પ્રોત્સાહન આપનારા કે કોરી ચર્ચા કરનારા ન હતા. એ નક્કર કાર્ય કરનારા હતા.

રામજીભાઈ પટેલની આગેવાનીમાં અમે જોડણી સુધારણા આંદોલન પાંચેક વર્ષ ચલાવ્યું. ખાસ કરીને, સંસ્કૃત પર આધારિત આપણી ગુજરાતી ભાષાની જોડણીને લઈ જે નિયમો છે તેમાં, નિયમો કરતાં વિકલ્પ વધારે છે. ખાસ કરીને, હ્રસ્વ-દીર્ઘ-ઇ-ઈ, ઉ-ઊને લઈ. બાળકો જ્યારે ભાષા શીખવાનું શરૂ કરે ત્યાં જ હ્રસ્વ-દીર્ઘ, ઇ-ઈ, ઉ-ઊની ગૂંચવણમાં; ભાષા કેળવણીનો એકડો મંડાય એ પૂર્વે જ તેની મુક્ત અભિવ્યક્તિ રૂંધાય. શિક્ષકો શુદ્ધ-અશુદ્ધ જોડણીના ચક્કરમાં જ લાલ લીટાઓથી તેના ભાષા-રસને છીનવી લે. વળી, આ જોડણીનાં હ્રસ્વ-દીર્ઘને કોઈ વૈજ્ઞાનિક આધાર નથી; એવા અભ્યાસ પરથી અમે સૌ ગુજરાતી જોડણી સુધારણાની ઝુંબેશમાં સતત મંડ્યા રહ્યા.

ઉંઝામાં ગુજરાતભરના ભાષાશાસ્ત્રીઓ, શિક્ષકો, લેખકો ને ભાષાપ્રેમીઓનું વિશાળ સંમેલન યોજાયું. જ્યાં અગ્રણીઓમાં ઇન્દુભાઈ પણ હાજર હતા. ઠરાવો મંજૂર થયા બાદ સૌથી પહેલાં ઇન્દુભાઈએ જ “હવે ઉંઝા સંમેલનમાં નક્કી થયા મુજબની જોડણીમાં જ ‘નયામાર્ગ’ છપાશે એવી જાહેરાત કરી. એ પછી અન્ય સામયિકો પણ ઉત્સાહભેર તેમાં જોડાયાં. અને એ સંકલ્પ એમણે આજીવન નિભાવ્યો. શરૂઆતમાં એમને આ સંકલ્પ પાર પાડવામાં ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી. સૌથી પહેલાં તો પ્રિન્ટિંગ પ્રેસમાં જ. લેખકો તો કહેવાતી અન્ય જોડણીમાં જ લેખો લખીને મોકલે. કંપોઝ કરનારા તે પ્રમાણે જ કામ કરવા ટેવાયેલા. દરેક લેખનું એક ઈ-ઉ પ્રમાણે પ્રૂફ સુધારવાનું ભારે શ્રમભર્યું કામ તો ઇન્દુભાઈના માથે જ આવ્યું!

તેમણે મને ઘણી વાર હસતાં-હસતાં કહેલું કે ‘ફલાણા લેખક ઉંઝા જોડણીથી નારાજ થઈ હવે ‘નયામાર્ગ’માં લખવાની ના પાડે છે …’ પછી ક્યારેક એમ પણ કહે કે, “હવે એ જ લેખક ‘નયામાર્ગ’ને ઉંઝા જોડણીમાં વાંચતાં-વાંચતાં ટેવાઈ ગયા છે, અને હવે ચૂપચાપ પોતાના લેખ ‘નયામાર્ગ’માં પ્રગટ કરવા મોકલી આપે છે.

આ જોડણી સુધારણા આંદોલનને વેગ આપવા અમે ‘ભાષા વિચાર’ નામનું મુખપત્ર શરૂ કર્યું હતું. જેમાં કિરણ ત્રિવેદી અને હું સંપાદક હતા. એકાદ વર્ષ પછી એ મુખપત્ર છપાવવા અને પોસ્ટ કરવા માટેના ખર્ચા પોસાઈ શકે એવા ન રહ્યા ત્યારે મને યાદ છે કે, અમારી એક મિટિંગમાં એમણે તરત જણાવી દીધું કે, ‘નયામાર્ગ’માં આઠ પાનાં હું ભાષાવિચાર માટે આપું છું.’ અને એના પ્રિન્ટિંગનો તમામ ખર્ચ ઉપાડી એમણે પૂરી સ્વતંત્રતા સાથે અમને કામ કરવાની તક આપી. ‘નયામાર્ગ’ના તંત્રી તરીકે એમણે તેમાં છપાતાં ‘ભાષા વિચાર’નાં આઠ પાનાં માટે ક્યારે ય તેમાં શું છાપવાના છો, શું છપાવું જોઈએ એવાં સૂચન પણ નથી કર્યાં. કોઈ પણ પ્રકારની દખલગીરી નહીં કરનારા એવા એમના વર્તનથી મને ઇન્દુભાઈ માટે હંમેશાં અનહદ માન રહેતું. એ જ રીતે અમારી રેશનાલિસ્ટ પ્રવૃત્તિમાં પણ ખૂબ જ સક્રિય. પ્રવૃત્તિ લેખો તો ‘નયામાર્ગ’માં છપાય જ પણ ચર્ચા સભા-સંમેલન એ બધાં માટે ખેતભવનનો હૉલ અમારા માટે કાયમ ખુલ્લો રહેતો.

કોરોના કાળ પૂર્વે છેલ્લું રૂબરૂમાં મળવાનું થયું રેશનાલિસ્ટ ડૉ. સુજાત વલીને જાનથી મારી નાંખવાની ધમકી મળી તે સમયે. ડૉ. વલીના એક લખાણને લઈ કેટલાક રૂઢિચુસ્ત કટ્ટરવાદી ધાર્મિકોએ તેમની વિરુદ્ધ ગોધરામાં સરઘસ કાઢ્યું હતું, તેમને કસ્ટડીમાં પૂરી દેવડાવી પોલીસ કેસ પણ કરાવ્યો. અને પછીથી ‘ઇન્ટેલિજન્સ’નો એવો એક રિપોર્ટ પણ આવ્યો કે, તેમની હત્યાનું કાવતરું ઘડાઈ રહ્યું છે. અગમચેતીમાં શું થઈ શકે એ માટે એક તાત્કાલિક મિટિંગ અમદાવાદમાં યોજાઈ, જેમાં અગ્રણી રેશનાલિસ્ટ સાથીઓ ભેગા થયા હતા. તેમાં ઇન્દુભાઈની સાથે છેલ્લી રૂબરૂ વાત થઈ એવું સ્મરણમાં આવે છે.

તેઓ નિર્ણય લેવામાં, નિશ્ચિત કાર્યના અમલીકરણમાં એકદમ દૃઢ હતા, પણ એવા જ હૃદયથી ઋજુ. મને એક ઘટના કાયમ યાદ રહી ગઈ છે …. ઘણાં વર્ષો પૂર્વે એક વાર અમે અમદાવાદના પંચવટી ચાર રસ્તા પાસે આકસ્મિક ભેગા થઈ ગયા. એ વખતે ઇન્દુભાઈ સ્કૂટર પર હતા, ઘર તરફ જઈ રહ્યા હતા. થોડીક વાતો પછી એકાએક મને કહેવા માંડ્યા, ‘આ શ્રેયસ સ્કૂલવાળા પણ કમાલ છે …! મારા દીકરા અનુજ માટે કહે છે, તમે એને અમારે ત્યાંથી ઉઠાવી લો … એ ભણવામાં બરાબર નથી …!’

મને પણ નવાઈ લાગી કે, શ્રેયસ સ્કૂલવાળા ‘ભણવામાં યોગ્ય નથી’ એવી વાતે બાળકને શાળામાંથી ઉઠાડી લેવાનું કહે છે …! ગળગળા થઈ ગયેલા ઇન્દુભાઈએ આગળ કહેવા માંડ્યું … ‘આ તે કેવા સ્કૂલવાળા! હવે હું એને ક્યાં મૂકું?’ એમ કહેતાં-કહેતાં એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. રસ્તાની વચ્ચે એક વડીલમિત્રનું આમ રડવું મારા માટે દિલાસો આપવા ય મૂંઝવણભર્યું હતું. એમના જીવનના આદર્શ, માત્ર ઘરબહારની જિંદગી માટે ન હતા. મને આ ઘટનાનું સ્મરણ કરતાં હંમેશાં અનુજનો ઉછેર અને એમના આદર્શ યાદ આવી જ જાય છે. વળી, કાયમ એમને ઇસ્ત્રીવાળાં સુઘડ કપડાં, ક્લિન શૅવ અને વ્યવસ્થિત વાળ સાથે જોઉં ત્યારે મને એમના પિતાજી અમૃતભાઈ જાની પણ યાદ આવી જ જાય. હું ઘણી વાર ઇન્દુભાઈને કહું કે, ‘તમારા કરતાં તમારા પિતાજી મારા પહેલા મિત્ર!’

અમૃતભાઈ નાટકના એક ઉત્તમ કલાકાર, રાજકોટ આકાશવાણી પર એમનો અવાજ ગુંજતો. અમદાવાદમાં દીકરાઓ સાથે રહે. જશવંત ઠાકર દિગ્દર્શિત હીન્કમેનમાં તેમણે યાદગાર અભિનય કર્યો હતો. એ પણ એકદમ વ્યવસ્થિત રહે. અમદાવાદમાં નિવાસ દરમિયાન સાંજ પડે ફરવા નીકળે. ક્યારેક મારા ઘરે આવી પહોંચે. એકદમ ક્લિન શૅવ. વ્યવસ્થિત વાળ ઓળેલા હોય. સરસ ઈનશર્ટ કરેલું શર્ટ-પેન્ટ, સૌમ્ય ચહેરો. ક્યારેક જૂની રંગભૂમિનાં સંવાદો-શાયરી સંભળાવે. ઇન્દુભાઈને જોઉં-સાંભળું ત્યારે મને એમનામાં અમૃતભાઈનાં દર્શન થાય … એ જ સૌમ્ય ચહેરો, વિસ્મિત આંખો અને નિર્દોષ સ્મિત. મને કાયમ થતું રહ્યું છે કે, આવું નિર્દોષ સ્મિત …  પ્રામાણિકતા અને નિષ્ઠાને જ વ્યક્ત કરવાનું હોઈ શકે.

સૌજન્ય : ભૂદાનમૂલક ગ્રામોદ્યોગપ્રધાન અહિંસક ક્રાંતિનું પાક્ષિક મુખપત્ર “ભૂમિપુત્ર”; ‘ઇન્દુભાઈ જાની સ્મૃતિ – વિશેષાંક’; 16 જૂન 2021; પૃ. 16-17

https://bhoomiputra1953.wordpress.com/2021/06/22/ભૂમિપુત્ર-૧૬-જૂન-૨૦૨૧ઇન્/   

Loading

રૂમઝૂમતું કંઈક આવ્યું છે ….

દેવિકા ધ્રુવ|Poetry|1 July 2021

હવા, પાણી અને પ્રકાશ જેટલાં પ્રકૃતિ માટે જરૂરી છે, તેટલાં જ માનવ જીવન માટે પણ જરૂરી છે. પ્રતિદિન ખૂબ સહેલાઈથી મળી જતાં આ ત્રણે તત્ત્વો વિશે આપણે ભાગ્યે જ ઝાઝું વિચારીએ છીએ. પણ ટેકનીકલના આ યુગમાં, ક્યારેક એકાદી ક્ષણે, જરા આંખ મીંચીને કુદરતને માણવાની તક લઈશું તો એક અનોખો આનંદ મળશે. વ્હેલી સવારની એવી એક પળની અનુભૂતિ …

રૂમઝૂમતું  કંઈક આવ્યું છે, કોઈ લઈ લો રે, કોઈ લઈ લો.
મઘમઘતું કંઇક ફોર્યું છે, કોઈ ભરી લો રે, કોઈ લઈ લો. 
મીંચી ઉઘડતી આંખ વચાળે ઉજાસ થઈ પથરાતું,
વાદળ-દળને  છેદી, ભેદી, રેશમ-શું સ્પર્શાતું.
સૂર્યકિરણનું તેજ સુંવાળું ચેતન ભરતું આવ્યું છે, કોઈ ઝીલો રે, કોઈ લઈ લો.
સ્મિતની સંગે, અંતર અંગે, ઝળહળ  ઝળહળ  ઝીલી લો  રે, કોઈ લઈ લો …. રૂમઝૂમતું  કંઈક 

બારી મનની ખોલી સૂંઘો, શીતલ પવનની સુરભી.
ખૂલી હવા મદમાતી ગાતી ગુનગુન ગુનગુન ગરબી.
મધુર સાજને તાલે એ તો થનગન થનગન નાચ્યું છે, કોઈ નીરખો રે, કોઈ લઈ લો.
સરસર સરતા સમીરની મસ્તી, ગુલશન ગુલશન જોઈ લો રે, કોઈ લઈ લો ….. રૂમઝૂમતું  કંઈક
 
દડદડ દડીને પરવત પરથી, બનીને ઝરણું રમતું,
ઝીલમીલ ઝરીને, ભળીને બનતું સરિતા મધ્યે મળતું.
ઉછળી ઉછળી ધસમસતું એ દરિયે જઈ સમાયું છે, કોઈ સમજો રે, કોઈ લઈ લો..
બૂંદબૂંદના ગેબી નારા, હરદમ, મનભર સૂણી લો રે, કોઈ લઈ લો. …… રૂમઝૂમતું  કંઈક 

તેજ,પવન, જલ તનમન  ભરતું કણકણમાં ઉભરાયું છે, કોઈ લઈ લો,
કોઈ ઝીલી લો રે, કોઈ જોઈ લો રે, કોઈ સૂણી લો  રે, કોઈ ભરી લો રે … રૂમઝૂમતું  કંઈક

[હ્યુસ્ટન]

e.mail : ddhruva1948@yahoo.com

Loading

...102030...1,8651,8661,8671,868...1,8801,8901,900...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved