Opinion Magazine
Number of visits: 9456361
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શિક્ષણની પથારી ગુજરાતમાં તો ખરી જ, આખા દેશમાં ફરી ગયેલી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|16 April 2025

રવીન્દ્ર પારેખ

2020માં શિક્ષણ નીતિ દેશમાં દાખલ કરવામાં આવી, ત્યારે તેના તરફ સ્વાભાવિક જ અહોભાવથી જોઈ રહેવાયું. એ વાતને પાંચ વર્ષ થયાં, પણ અહોભાવથી વાત આગળ ગઈ નથી. શિક્ષણ નીતિનાં ગુણગાન ચાલે છે, પણ તેનો અમલ કરાવવાના ફાંફાં જ છે. ફાંફાં એટલે છે કે નીતિને થોથાંમાંથી બહાર કાઢીને તેનો અમલ કરાવનાર શિક્ષકોના હાથમાં મુકાઈ નથી. સરકારને એવું હોય કે નીતિનો અમલ શિક્ષકો સિવાય બીજી કોઈ રીતે શક્ય છે, તો એ રીતે પણ તેનો અમલ થવો જોઈએ. જો કે, સ્કૂલોમાં તો એ રીતિ શિક્ષકો દ્વારા જ આગળ ધપાવાય છે. શિક્ષા નીતિનો અમલ શિક્ષકો દ્વારા જ શક્ય હોય તો પૂરતી સંખ્યામાં શિક્ષકો નીમવા જોઈએ, જેથી શૈક્ષણિક કાર્ય અસરકારક રીતે થાય, પણ એવું થતું નથી.

દેશમાં આજે પણ લગભગ 8 લાખથી વધુ જગ્યાઓ પર શિક્ષકો નીમવાના બાકી છે. એટલો ફેર પડ્યો છે કે આગલાં વર્ષોમાં એ સંખ્યા 10 લાખની હતી, તે હવે 8 લાખ પર આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા રાજ્યોને પત્રો લખ્યાં છે. આવાં પત્રલેખનો ટેવવશ થતાં રહે છે ને તેનું પરિણામ એ આવે છે કે ખાલી જગ્યાઓ ખાલી જ રહે છે. પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખરી ખોટી ખાલી જગ્યાઓ પૂરે છે, પણ શિક્ષકોની ખાલી જગ્યાઓ પુરાતી નથી તે હકીકત છે. ભરાતી હોત તો 8 લાખ જગ્યાઓ ખાલી ન હોત !

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એવી સલાહ પણ આપે છે કે શિક્ષકોની જગ્યા ખાલી પડવાની જાણ હોય તો જે તે જગ્યા અગાઉથી જ ભરવાની યોજના કરવાની રહે, પણ એવું થતું નથી. કેન્દ્રીય શિક્ષા મંત્રાલયનું માનવું છે કે નિવૃત્તિને લીધે શિક્ષકોની જગ્યાઓ ખાલી પડવાનું આકસ્મિક નથી, એની શાળા અને શિક્ષણતંત્રને અગાઉથી જાણ હોય જ છે. નિવૃત્ત થનાર શિક્ષકોની યાદી હાજર હોય એ સ્થિતિમાં ત્રણેક મહિના અગાઉ ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો શિક્ષકો નિવૃત્ત થાય તે સાથે ખાલી જગ્યાઓ ભરવાનું સરળ થઈ પડે, પણ રાજ્યોને એ ભાગ્યે જ સૂઝે છે. તેમાં પણ ગુજરાતમાં તો એ વિગતો સરકાર પોતે આપતી હોય છે, પણ ભરતી કરવાની આવે છે ત્યારે તેના હાથ તંગ થઈ જાય છે.

એ પણ નથી સમજાતું કે શિક્ષકોની ભરતી રાજ્યોના હાથમાં હોય તો રાજ્ય સરકાર ઉપરથી આવતા આદેશોની રાહ કેમ જુએ છે? આખા દેશમાં 8 લાખ પદો ખાલી હોય ને એની ભરતી રાજ્યની જ જવાબદારી હોય તો કેન્દ્રીય શિક્ષણ વિભાગે પત્ર લખવાની જરૂર કેમ પડે છે? રાજ્યો કેન્દ્રના આદેશોનું પાલન નથી કરતાં કે જવાબદારી કેન્દ્રની છે ને ગાળિયા તે કાઢે છે? આ ઢોળાઢોળ જ હોય તો આવા રાજકીય ખેલો બંધ થવા જોઈએ.

ચિત્ર તો એવું ઉપસે છે કે કેન્દ્ર ભરતીના પત્રો લખે છે ને રાજ્યો, તેમાંયે ગુજરાત, ઘણું ખરું તો 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર શિક્ષકો રાખીને કારભાર કરે છે. જો સરકાર કોન્ટ્રાક્ટ પર નથી, મંત્રીઓ ભાડૂતી નથી, આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. કામચલાઉ નથી, તો શિક્ષકો હંગામી કેમ? હંગામી એટલા માટે કે શિક્ષકોને કાયમી કરે તો તેમને પેન્શન વગેરે નિવૃત્તિ પછીના લાભો આપવા પડે. માની લઈએ કે સરકાર એટલી ગરીબ છે કે નિવૃત્તિ પછીના લાભો આપી શકે એમ નથી, તો સાંસદોનાં પગારમાં સીધો 24 ટકાનો વધારો ગઈ 24 માર્ચે કઈ ખુશીમાં થયો એ પૂછવાનું થાય. સંસદમાં પગાર 1 લાખ પરથી વધીને સીધો 1.24 લાખ થયો, પેન્શન 25,000થી વધીને 31,000 થયું. વળી આ વધારો એપ્રિલ, 2023થી અપાવાનો છે ને 788 સાંસદોનું એરિયર્સ જ 45 કરોડ 38 લાખ થશે. ધારાસભ્યોની ગ્રાન્ટ 1.5 કરોડથી વધીને 2.5 કરોડ થઈ. આ બધી દિવાળી સરકારને પરવડતી હોય તો શિક્ષકોને જ હોળીનું નાળિયેર કેમ બનાવાય છે?

ગુજરાતમાં શિક્ષકોની ભરતીની વાત નથી થતી એવું નથી. 18 માર્ચે શિક્ષણ મંત્રી વિધાનસભા ગૃહમાં 13,852 વિદ્યાસહાયકોની ભરતીની વાત કરે છે, પણ મંત્રીશ્રી એનો ફોડ પાડતા નથી કે એમાંથી કેટલા નોકરીમાં હાજર થાય છે? કાયમી જગ્યાની રાહ જોઈ રહેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ કામચલાઉ જગ્યાએ શું કામ હાજર રહેવું જોઈએ તેનો ફોડ પણ સરકારે પાડવો જોઈએ. શિક્ષણ મંત્રી તો અધ્યાપક છે. તેઓશ્રી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર છે કે તેમની નોકરી કાયમી છે, તેનો ખુલાસો થવો જોઈએ. તેમણે  ગયા ડિસેમ્બર સુધીમાં 24,700 કાયમી શિક્ષકોની ભરતીની વાત કરી હતી. તેની જાહેરાતો હજી થતી રહે છે, પણ ઓર્ડર કેટલાને અપાયા છે તેનો આંકડો મળતો નથી. જો ભરતી થાય છે, તો આંધ્રની 12,543 અને મધ્યપ્રદેશની 11,035 ને તેમાં ય ગુજરાતની 2,462 શાળાઓ એક જ શિક્ષકથી કેમ ચાલે છે? એનું આશ્ચર્ય જ છે કે ગુજરાતની જ એવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા 87,000થી વધુ છે. એ સંદર્ભે અન્ય રાજ્યોની તો કલ્પના જ કરવાની રહે છે. દેશની વાત કરીએ તો 1.11 લાખ પ્રાથમિક શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે. એમાં વધુ આઘાત લાગે એવી વાત એ છે કે ગુજરાતમાં 274 શાળાઓ એવી છે, જ્યાં એક પણ વિદ્યાર્થી નથી ને શિક્ષકો 382 છે. બીજી તરફ સવાલ એ થાય કે સ્કૂલો પૂરતી છે તો ગોધરા નજીકની વાવડી સ્કૂલમાં 250 વિદ્યાર્થીઓનાં ત્રણ ત્રણ ધોરણો એક સાથે કેમ ને કઈ રીતે ચાલે છે? રાજ્યમાં 25:1ના રેશિયો પ્રમાણે 4.59 લાખ શિક્ષકો હોવા જોઈએ, તેને બદલે 3.94 લાખ જ છે. ટૂંકમાં, 65 હજાર શિક્ષકોની ઘટથી કારભાર ચાલે છે ને આ ઘટ આજની નથી, 2017થી છે. આ અરાજકતા ઊભી કરવામાં આવી છે કે તે કુદરતી છે તે સમજાતું નથી.

કેન્દ્રીય મંત્રાલય તરફથી સંસદને એક રિપોર્ટ સોંપવામાં આવ્યો. તે મુજબ દેશમાં 14.71 લાખ સ્કૂલોમાં 98 લાખ શિક્ષકો છે. તેમાં 8 લાખ જગ્યાઓ હજી ખાલી છે. સૌથી વધારે જગ્યાઓ બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, બંગાળ જેવાં રાજ્યોમાં છે. આમ તો એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલોની યાદીમાં બિહારનું નામ નથી, એટલે ત્યાંની સ્થિતિ આશ્વસ્ત કરનારી હશે એમ ધારી શકાય. એક તરફ શિક્ષકોની સતત તંગી વચ્ચે દેશ ચાલે છે, તો બીજી તરફ 2016માં લેવાયેલી પશ્ચિમ બંગાળ સ્ટેટ લેવલ સિલેક્શન ટેસ્ટના 25 હજાર શિક્ષકો અને બિન-શિક્ષકોની નિમણૂકને હાઇકોર્ટે ગેરકાયદેસર ઠેરવીને સંબંધિત સ્ટાફને બરતરફ કર્યો છે. તે વખતે 24,640 જગ્યાઓ માટે 23 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એ તો ઠીક, પણ સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાનું સમર્થન કર્યું છે ને સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર પ્રક્રિયામાં છેતરપિંડી થઈ છે ને એમાં સુધારાને કોઈ અવકાશ નથી. આવું એટલે થયું છે કે આ ભરતીમાં 5થી 15 લાખ સુધીની લાંચ લેવાનો આરોપ છે. આમાં રાજકીય રોટલાઓ પણ શેકાઈ રહ્યા છે. સુપ્રીમે યોગ્ય ચુકાદો આપ્યો છે એ સ્વીકારવા છતાં 23 લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હોય ને એમાંથી પસંદગી પામેલા બધા જ ઉમેદવારોએ લાંચ ન આપી હોય ને બીજી બધી રીતે તેઓ પસંદગીમાં યોગ્ય ઠર્યા હોય તો પાપડી ભેગી ઇયળ ન બફાય તે પણ જોવાનું રહે.

એ અત્યંત દુ:ખદ છે કે વિદ્યાર્થીઓનું ઘડતર કરવાનું જેનું કામ છે એવા શિક્ષકોમાંથી કેટલાક ભ્રષ્ટાચારી પણ છે. શૈક્ષણિક સંસ્થાઓમાં નોકરી આપનારા ને નોકરી લેનારા ભ્રષ્ટાચારથી ખદખદે છે ને કમાલ એ છે કે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણ વિદ્યાર્થીઓને આપે છે. ભ્રષ્ટાચાર લોહીમાં વ્યાપી વળ્યો છે એવી સ્થિતિમાં શિક્ષણ જગત બચાવવાનું રહે, પણ શિક્ષણને બચાવવાનું જ ન હોય તેમ તે શિક્ષકો વગર ચલાવવાનો ઉદ્યમ આખા દેશમાં ચાલે છે. અપ્રમાણિકતા સાર્વત્રિક છે. સાધન શુદ્ધિના આગ્રહો રહ્યા નથી. સોનાને કાટ લાગે એવો કાળ છે, એવામાં શિક્ષણ નીતિ નવી હોય કે જૂની કોઈ ફેર પડે એમ નથી, કારણ શિક્ષણ માટે શિક્ષકો જ હવે અનિવાર્ય રહ્યા નથી. આમ તો શિક્ષણમાં બહુ સારું થઈ રહ્યાનું ચિત્ર ઉપસાવાય છે, ક્યાંક સારું હશે પણ ખરું, તે સિવાય નજરે તો શતમુખી વિનિપાત જ ચડે છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,14 ઍપ્રિલ 2025

Loading

સ્મિત સાચવી રાખ્યું છે

રોનક જોષી ‘રાહગીર'|Opinion - Opinion|16 April 2025

મેં ખાલીખમ ખીસામાં સ્મિત સાચવી રાખ્યું છે,
મુલાકાતમાં લાગ્યું એવું જાણે રામે બોર ચાખ્યું છે.

ખટખટ ખખડાવ્યા કરું છું હું રોજ દરવાજો,
અંદરથી પૂછે મને અહીં તાળું કોણે વાખ્યું છે?

સમજણ પળોજણ લે બધું તારા ચરણોમાં,
હિસાબ ચૂકતેનું બિડાણ સહી સાથે નાંખ્યું છે.

એકવાર બેવાર નહીં રોજેરોજનું થયું હવે,
તે જ તો આ સપનાઓ જોડે મિલન બાંધ્યું છે.

ભૂખની તો વાત જ ક્યાં રહી છે હવે જીવનમાં,
સુખ શાંતિને સંતોષ નામનું ભાથું તે તો રાધ્યું છે.

e.mail : ronakjoshi226@gmail.com

Loading

તમે સદાબહાર છો અનિલ જોશી, તમે ક્યાં ય ગયા નથી …

સોનલ પરીખ|Opinion - Opinion|16 April 2025

મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી વરસતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું … 

—     અનિલ જોશી 

‘મારી ઇચ્છાઓને પેલે પાર આકાશમાં પહેલવહેલું વાદળું બંધાતું જોઉં છું ને મને થાય છે કે સાંબેલાધારે પાણી વરસતું હોય, ટહુકાના શિખર પરથી મોરલાઓ કેદીની માફક ગબડી પડતાં હોય, મારી છાતીમાં ખીલાની માફક ઠોકાઈ જતું દર્દ વ્હાલુંછમ લાગતું હોય, મારાં વિચારોની અસ્તવ્યસ્ત કેડી ઉપર રખડુ ભરવાડની જેમ પસાર થતા અવાજ જેવું મારું હોવું સાવ વજનરહિત લાગતું હોય, હું ભીંજાતો ભીંજાતો હરિયાળા ખેતરોમાં હડિયાપટી કરતો હોઉં ને મારા પર આકાશમાંથી એક ભયંકર કડાકા સાથે વીજળી પડે ને મારું શરીર ભડથું થઈને ડાંગરની ક્યારીમાં છમકારો બોલાવીને ફેંકાઇ જાય તો એવું ફિલ કરું કે હાશ, મેં શરીર છોડ્યું …’ 

16 ડિસેમ્બર 1924ના દિવસે કવિ અનિલ જોશીએ તેમની ફેસબુક પોસ્ટમાં આ શબ્દો લખ્યા હતા. 6 જાન્યુઆરી 2025માં એક ગીતની એક જ પંક્તિ સાથે હાથ હલાવતા અનિલભાઈની નાનકડી વીડિયો ક્લિપ છે. એ પંક્તિ છે, ‘જાઈએ આપ કહાં જાયેંગે’ મૃત્યુ ઉંબરે આવીને ઊભું હતું ત્યારે હોસ્પિટલના આઈ.સી.યુ.માંથી તેમણે રુમિને ટાંકતો સંદેશો આપ્યો હતો કે ‘આપણે બધા ગેસ્ટ-હાઉસ જેવા છીએ. રોજ કઈં નવું અરાઇવલ હોય છે. જિંદગીમાં પણ – ક્યારેક બીમારી, ક્યારેક સંતાપ, યાતના, શરીરપીડા, ઓપરેશન બધું આવે છે પણ યાદ રાખજો કે અરાઇવલ છે તેનું ડિપાર્ચર પણ હોવાનું જ છે.’ એમની આંખોમાં આ દરેક વખતે એ જ ચિરપરિચિત, જિંદગીને સમજી લઈને એનાથી પાર અને પર થઈ ગયેલી બેપરવાઈની ચમક હતી. એક ગીતમાં અનિલ જોશીએ કહ્યું છે, ‘કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નહીં, મરવા દિયે કોઈ તો મરીએ’ પણ મૃત્યુનો અણસાર અને જીવનની ખુમારી બંને આ પંક્તિઓમાં આબાદ ઝીલાઈ છે, ‘અમે બરફનાં પંખી રે ટહુકે ટહુકે પીગળ્યાં, લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઊઘાડે ડિલે, ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે, ખરતા પીંછાંએ પછડાતી બપ્પોર મૂકીને નીકળ્યાં’ અને ‘મારી કોઈ ડાળખીમાં પાંદડાં નથી, મને પાનખરની બીક ના બતાવો’

સર્જનપ્રક્રિયાની સહજતા અને ગૂઢતા બંનેને અનિલ જોશી વારંવાર વ્યક્ત કરે છે, ‘તું કવિ છે, તારે તો દીવો ઠરી ન જાય એ શરતે વાવાઝોડાની આરતી ઉતારવાની છે.’ ‘ચકલીબાઈથી “ચીં” થઈ જાય તો આભ કહે “ઈર્શાદ”, ધરતીની આ સોડમને શું કાગળિયામાં મઢવી છે?’ એક પોસ્ટમાં તેમણે બશીર બદ્રને ટાંક્યા છે : ‘હજારો શેર મેરે સો ગયે કાગઝકી કબ્રો મેં, અજબ માં હૂં કોઈ બચ્ચા મેરા ઝિંદા નહીં રહતા’ વળી કહે છે, ‘હજી ય કાળી કોતર વચ્ચે આંખ ફફડતી રાતી જી, સાંઢણીઓના વેગે ધબકે પવન ભરેલી છાતી જી, ચણોઠીઓને ઢગલે દાઝ્યા કૈંક કવિના કિત્તા જી, શબ્દોમાં હું એમ પ્રવેશ્યો, જેમ આગમાં સીતાજી’ ઉમેરે છે, ‘ફળિયામાં નાનકડી ચકલી મરી જાય, એનો હૈયે અવસાદ હોવો જોઈએ; શબ્દો તો ખાલી પડિયા કહેવાય, એમાં થોડો પ્રસાદ હોવો જોઈએ’

જિંદગીની તીવ્રતાઓની વાત લઇ આવેલા બે કાવ્યો જુઓ : ‘ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં, કાયા લોટ થઇને ઊડી, માયા તો ય હજી ના છૂટી, ડંખે સૂની મેડી ને સૂના જાળિયા …’ આગળની પંક્તિઓ પણ માણવા જેવી છે : સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ કે અવસરિયા કેમ નથી આવતા, પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા … છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો, કાયાની પૂણીમાંથી નીકળે જે તાર, ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો …

નારીજીવનની વિટંબણા વ્યક્ત કરતું ‘ત્યાગ’ કાવ્ય અદ્દભુત છે : પે’લે પગથ્યે મારી ઓળખ મેલી, ને પછ બીજા પગથ્યે મેલ્યું ગામ. ત્રીજા પગથ્યે મેલ્યાં ગમતીલાં ખેતરાં ને ચોથા પગથ્યે મેલ્યાં કામ. પાંચમાં પગથ્યે આખો દર્યો મેલ્યો ને પછ છઠ્ઠા પગથ્યે મેલી હોડી, સાતમા પગથ્યે મીં તો હલ્લેસાં મેલ્યાં ને આઠમા પગથ્યે મેલી કોડી. નવમા પગથ્યે મેલી વીતકની પોટલી ઈને દસમે પગથ્યે જોઈ, ઈગ્યાર્મે પગથ્યે મેલ્યું વાચાનું ડોળિયું ને બારમે પગથ્યે હું રોઈ …’ 

આવી વિટંબણા ‘સત્તર દા’ડાની મુને લાંઘણ હતી’માં પણ બહુ અસરકારક રીતે વ્યક્ત થઈ છે. ગ્રામીણ વહુવારુ સત્તર દા’ડાની લાંઘણ પછી પારણું કરવા બેસે છે, હજી કોળિયો ભરે ત્યાં સાસુનો હુકમ છૂટે છે, ‘પહેલા ઠાકોરજી જમાડો.’ સસરા કહે છે, ‘ડેલી ખખડી, ભેંસને અંદર લઇ લો’. મેડીથી છાણાં પડે છે ને છાશની ઢોચકી ફૂટે છે એટલે નણંદ છાતી કૂટે છે. આ બધું સગર્ભા વહુ ખમી જાય છે, પણ જ્યારે પતિ પણ ટોકે છે ત્યારે? – ‘હજી કોળિયો ભરું તિયાં પરણ્યાજી બોલિયા : ‘કાંસાની થાળી નથી જડતી?” બે જીવસોતી બે ય આંખ્યુંની માટલીમાં નાની અમથીક તૈડ પડતી’  

અનિલભાઈએ રોમેન્ટિક કાવ્યો ઓછાં લખ્યાં છે, પણ એમનો જિંદગી સાથેનો, માણસો સાથેનો રોમાન્સ અખૂટ છે. ‘હું તો ઊડતી ટિટોડીનો બીકણ અવાજ, મારાં પીંછાં ખોવાઈ ગયા ભીડમાં, જંગલની ટેવ સમો મારો અવતાર છતાં, ઓળખે ન કોઈ અડાબીડમાં’ ‘પિયુજી છાપરાને બદલે જો આભ હોત, બંધાતી હોત હું ય વાદળી રે, માણસ કરતાં હું હોત મીઠાની ગાંગડી તો છાંટો વાગ્યો કે જાત ઓગળી’, ‘પેલ્લા વરસાદનો છાંટો મુને વાગ્યો હું પાટો બંધાવાને હાલી રે, વેંત વેંત લોહી કાઈં ઊંચું થયું ને જીવને તો ચડી ગઈ ખાલી રે’ 

કન્યાવિદાયના સંવેદનને કોણ ભૂલે શકે? – ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મહાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.’ અને ‘દીકરીનો માંડવો જો સૂરજને ઘેર હોત, તો જાણત અંધારું શું ચીજ છે ફળતા આંબામાં જે પાંદડાં ઝૂલે એની ભીતર કઈ મમતાનું બીજ છે’ અનિલ જોશીની કવિતામાં ભાષાની બળકટતા, મજબૂત લય અને સંવેદનોની ગહેરાઈનો ત્રિવેણીસંગમ છે. સુરેશ દલાલે કહ્યું હતું તેમ અનિલની કવિતા શબ્દલય અને ભાવલયના બે કાંઠાની વચ્ચે નદીની જેમ એના વહેણ વળાંક અને નૈસર્ગિક ગતિ સાથે વહે છે. ‘કેડીને ધોરીએ જંગલ ડૂબ્યાં ને અમે કાંઠે ઊભા રહીને ગાતા, રાતા ગુલમ્હોરની યાદમાં ને યાદમાં આંસું ચણોઠી થઈ જાતા’ ગુલમ્હોરનો બીજો સંદર્ભ પણ જુઓ – ‘ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઇ એવું તો મંન ભરી ગાતો, કઈં એવું તો વંન ભરી ગાતો, જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર ક્યાંક કાગડો જ થઈ જાય રાતો’ રંગની વાત નિકળી છે તો રંગભેદ ગીત યાદ આવે, ‘કાળો વરસાદ મારા દેશમાં નથી, નથી પીળો વરસાદ તારા દેશમાં, આપણે તો નોંધારા ભટકી રહ્યા છીએ ચામડીના ખોટા ગણવેશમાં’ 

અનિલ જોશી અને રમેશ પારેખની દોસ્તીની વાત ન કરીએ ત્યાં સુધી લેખ અધૂરો. સુરેશ દલાલ આ બંનેને ‘સારસ્વત સહોદરો’ કહેતા. એક આડવાત, સારસ્વતો માટે એમણે ‘ગુણવંતી ગુજરાતે ઊતર્યાં સારસ્વતોના ટોળાં રે, એકબીજાને વાહો કરતાં માથે આવ્યા ધોળા રે’ એવી મજેદાર પંક્તિ લખી છે. રમેશ પારેખ સાથે એમણે ‘ડેલીથી પાછા મ વળજો હો શ્યામ’ જેવું સુંદર ગીત રચ્યું હતું એ તો આપણે જાણીએ છીએ, પણ એ બંનેએ મળીને મણિલાલ દેસાઇ માટે એક ગીત લખેલું અને સાથે સ્ટેજ પર ગાયું પણ હતું તેની કદાચ ઓછા લોકોને ખબર હશે. આ ગીતમાં એક પંક્તિ છે, ‘દખ્ખણની કોર હવે ઊડતું રે મન જેમ ખેતર મેલીને ઊડે પોલ.’ મૃત્યુ પછી મૃતદેહને દક્ષિણ દિશામાં વિસર્જિત કરાય છે એ પરંપરાગત સંદર્ભને કવિએ કેવી માર્મિક રીતે વ્યક્ત કર્યો છે! 

કવિ ચાલ્યા ગયા છે એવું કહેવાની કોની હિંમત છે, પણ એમની પાછળ રહેલો સન્નાટો આપણને વાગ્યા તો કરશે … 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 02 માર્ચ  2025

Loading

...102030...183184185186...190200210...

Search by

Opinion

  • સાઇમન ગો બૅકથી ઇન્ડિયન્સ ગો બૅક : પશ્ચિમનું નવું વલણ અને ભારતીય ડાયસ્પોરા
  • ગુજરાતી ભાષાની સર્જકતા (૫)
  • બર્નઆઉટ : ભરેલાઓની ખાલી થઇ જવાની બીમારી
  • ચલ મન મુંબઈ નગરી—307
  • દાદાનો ડંગોરો

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved