Opinion Magazine
Number of visits: 9676754
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વસંત-રજબ બેલડી

પીયૂષ મુકુન્દ પારાશર્ય|Opinion - Opinion|2 August 2021

દર વર્ષે જગન્નાથજીની યાત્રા સમયે વસંત હેગિપ્ટે અને રજબઅલી લાખાણીનું તીવ્ર સ્મરણ થઈ આવે. આજના સમયમાં આવા રાષ્ટ્રભક્તોનું હોવું એ જ વિચારી શકાતું નથી. આ બંનેના સ્મરણાર્થે આપણે ત્યાં ગુજરાત કે દેશમાં શું થઈ રહ્યું છે?

આ બંને કોઈ પક્ષના કે ધર્મના ન હતા. માનવધર્મ તેમનો ધર્મ હતો અને અન્યને નહીં, પણ પોતાની જાતને વફાદાર હતા અને આત્માના અવાજને જ અનુસરતા હતા. પોતે અન્યને અંતરાયરૂપ બને છે કે તેવું જરા પણ વાતાવરણમાંથી જણાય તો પોતાનું કાર્યક્ષેત્ર બદલાવી નાખતા. રજબઅલી તો ૧૯૩૦ના સમયમાં કરાંચીથી કાઠિયાવાડના લીંબડી ગામે આવ્યા અને કૉલેજના અભ્યાસ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાયા. સ્વાતંત્ર્યની પ્રવૃત્તિઓ માટે ભાવનગર રાજ્યના તત્કાલીન દીવાન અનંતરાય પટ્ટણીનો પૂરો સાથ હતો. ઉંમરના પ્રમાણમાં તેમની દેહ્યદ્રષ્ટિ ખૂબ જ સરસ હતી. ભાવનગરના સુપ્રસિદ્ધ બોરતળાવમાં સાથે બોટિંગ કરતાં અનંતરાયે આશ્ચર્ય વ્યક્ત કરતાં રજબઅલી માત્ર ૧૬ વર્ષના છે, તે માનવા તૈયાર નહતા, પણ કમનસીબે તે વખતના ભાવનગરના કેટલાક રાજકારણીઓ રજબઅલીના વધતા જતા પ્રભાવથી ખિન્ન હતા. તેથી રજબઅલીએ તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર ભાવનગરથી અમદાવાદ કરી નાખ્યું. ભાવનગરમાં હતા, ત્યારે રજબઅલી અને તેમના મિત્રોની પ્રવૃત્તિઓનું સ્થળ ભાવનગરમાં સત્યનારાયણ મંદિર રોડ પર હાલમાં આવેલા કલાક્ષેત્રના મકાનમાં રહેલું, જેમાં ઝવેરચંદ મેઘાણીના જમાઈ અનિલભાઈ શાહ અને ચિત્તરંજન પાઠક, પ્રેમશંકરભાઈ ન. ભટ્ટ અને મહેન્દ્રભાઈ મેઘાણી સાથે જોડાયેલા રહેતા. આ બધા જ સ્વાતંત્ર્યસેનાનીઓ હતા, પણ દેશ સ્વતંત્ર થયા પછી આવા સેનાનીઓને અપાતું માસિક પેન્શન કોઈ લેતા હતા, તેવું યાદ નથી. મહેન્દ્રભાઈ મેઘાણીની વય ૯૬ વર્ષની છે. પ્રેમશંકરભાઈએ શાન્તિનિકેતનમાં ભાવનગર રાજ્યની સ્કૉલરશિપથી અભ્યાસ કર્યાનું જાણમાં છે.

રજબઅલી ભાવનગર હતા, ત્યારે તેમના અનુયાયીઓની સંખ્યા ખૂબ જ મોટી રહેતી અને તેમને કોઈ સામે મળે તો તે વ્યક્તિ તેમને પ્રણામ કરતી. તેમના મોટાભાઈએ (આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં) ગાંધીજીના આદેશને માથે ચડાવીને પોસ્ટ ઑફિસની સરકારી નોકરીનો ત્યાગ કરેલો. પણ ભાવનગરમાં આજે તેમનું કોઈ સ્મારક હોય, તો ધ્યાનમાં નથી, સિવાય કે શહેરની શામળદાસ કૉલેજમાં યોગ્ય જગ્યાએ ગાંધીજી, (ગાંધીજી શામળદાસના છ મહિના માટે વિદ્યાર્થી હતા.) બળવંતરાય મહેતા અને રજબઅલીનું સ્મારક છે. કૉલેજકાળના અભ્યાસ દરમિયાન કૉલેજના પ્રિન્સિપાલ માનનીય ટી.કે. શહાણી પણ રજબઅલીના રંગે રંગાયેલા અને રજબઅલીની જેમ ખાદીનાં અને રો-સિલ્કનાં વસ્ત્રો પહેરતા. નિવૃત્તિના સમય પછી લાંબા સમય સુધી તેઓ ભાવનગર રહેલા અને મેં તેમને આ વસ્ત્રોમાં જોયા છે.

મજાની વાત એ છે કે જૂન ૧૯૪૬માં વસંતરજબની ઘાતકી રીતે હત્યા થયા પછી માત્ર એક જ વર્ષમાં ૧૯૪૭માં તેમના અંગેનો સ્મૃતિગ્રંથ ઝવેરચંદ મેઘાણીના સંપાદનમાં પ્રકાશિત થયો અને આજથી પાંચેક વર્ષ પહેલાં ઇતિહાસવિદ્‌ ડૉ. રિઝવાન કાદરીના પ્રયત્નોથી તે ગ્રંથનું પુનઃપ્રકાશન થયું. આ પુસ્તક હાલમાં અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા લોકોને મળી રહે તેવી વ્યવસ્થાનું જાણમાં છે. અમદાવાદના રાયખડ વિભાગમાં એનું નાનુંશું મ્યૂઝિયમ પણ મુકાયું છે. અમદાવાદ, ગુજરાતમાં આવતા સહેલાણીઓને જેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના દર્શન કરાવવાનો આગ્રહ થાય છે, તેમ આ સ્થળના દર્શનનો યોગ થાય તેવું પણ કરવું જરૂરી છે. ગુજરાતની સાંસ્કૃતિક પરંપરાનું આ તીર્થસ્થળ છે. દરેક ભારતીયના ડી.એન.એ. ટેસ્ટમાં બધા જ સરખા છે, તેવા મોહન ભાગવતના વિધાનને અનુરૂપ આ એક ઘટના બની હતી. મોહન ભાગવત પોતે મહારાષ્ટી્રયન છે, તેવું જાણમાં છે. પણ વસંત હેગિષ્ટે પણ એક મહારાષ્ટી્રયન હતા, તે અંગે મોહન ભાગવત કે ચંદ્રકાન્ત પાટીલને કેટલી માહિતી છે? ચંદ્રકાન્ત પાટીલે રજબઅલીની કબર ઉપર કે રાયખડમાં આવેલા મ્યૂઝિયમમાં માથું ટેકવ્યું છે? કે વસંતનાં પરિવારજનો (ત્રીજી પેઢીના)ના સંપર્કમાં છે? અમદાવાદના મહારાષ્ટ્ર સમાજનું પણ દિશાસૂચન કરું છું. બરાબરને સંજય શ્રીપાદ ભાવે?

માહિતીનો અભાવ કે પ્રજાની નિસ્તેજતા, જે કહો તે પણ દર વર્ષે આ પ્રસંગે બિરાદરી કે તેવી ઘટના કે આદર્શો સાથે નિસબત ધરાવતા સેવાદળ, સેક્યુલર, લોકશાહી આંદોલન અને પ્રકાશભાઈ જેવા થોડા માણસોથી વધારે લોકો પાવન દિવસને યાદ નથી કરતા, સરકારશ્રીએ અને સમાજવાદ તરફ ઝોક ધરાવતી સંસ્થાઓ કે મહાનુભાવોએ દર વર્ષે એક મંચ પર ભેગા થઈને આ ઘટનાનું પવિત્ર સ્મરણ કરવું જોઈએ. સાચો ઇતિહાસ લખવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ સાચી ઘટનાના મજબૂત પુરાવાઓ (ઇતિ હાસ = ઇતિહાસ = આમ હતું, તો આ સત્ય ઘટના જ છે.)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 11

Loading

જવાબદારી અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જાળવવાની

ડંકેશ ઓઝા|Opinion - Opinion|2 August 2021

ગુજરાતના ઘણા મોટા એવા નાટ્યકર્મી ભરત દવે તાજેતરમાં અવસાન પામ્યા, તે નિમિત્તે જે અંજલિ-લેખો લખાયા તેમાં ભાગ્યે જ કોઈએ તેમના ‘અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય’ (2017) પુસ્તક વિશે ઉલ્લેખ કર્યો. આપણે વ્યક્તિને અમુક ક્ષેત્રમાં જાણેઅજાણે સીમિત કે કેદ કરી દેતા હોઈએ છીએ. ભરત દવે એમ માત્ર નાટ્યક્ષેત્રમાં બદ્ધ કરી શકાય તેવા ન હતા! ગુજરાતમાં દેશી રંગભૂમિની ઘણી બોલબાલા હતી. તે પછી દિલ્હી ખાતે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની સ્થાપના થઈ અને તેમાં ગુજરાતના જે તેજસ્વી તારલાઓએ તાલીમ મેળવીને કામ કર્યું, તેમાંના એક તે ભરત દવે.

આજની સામાજિક–રાજકીય સ્થિતિ હરકોઈ વિચારશીલ અને સંવેદનશીલ નાગરિકને અકળાવનારી છે. પ્રત્યેકના મનમાં તેમ જ જાહેર ક્ષેત્રે કામ કરનારાં સંગઠનોમાં આ વિશે લગાતાર વિચારમંથન ચાલી રહ્યું છે. ભરત દવેએ આવા સામૂહિક ચિંતનને આગળ ધપાવવાના એક વિનમ્ર પ્રયાસરૂપે આ પુસ્તક લખ્યું. આજે જે કોઈ પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે, તેની સામે કેવા પ્રશ્નો પુછાય છે, તે ભરત દવેએ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધ્યા છેઃ “શું તમે વિકાસના વિરોધી છો ? તમે હિન્દુઓના વિરોધી છો? સ્વચ્છતાના વિરોધી છો ? રાષ્ટ્રગીત ગાવાના વિરોધી છો ? તમે ભ્રષ્ટાચારને ટેકો આપો છો ? આતંકવાદને ટેકો આપો છો ? દેશદ્રોહીઓને ટેકો આપો છો ? તમે માઓવાદીઓના સમર્થક છો ? ‘કાશ્મીર માંગે આઝાદી’ જેવા નારાને તમે મંજૂર કરો છો? તમે ગૌમાંસ ખાવા દેવાના સમર્થક છો? બોલો, મોઢેથી જવાબ આપો.” ભરત દવે નમ્રતાથી જણાવે છે કે આના જવાબો આપવા માટે તમારામાં રવીન્દ્રનાથ ટાગોર જેવી કક્ષા જોઈએ જેમણે એમ કહેવાની હિંમત દેખાડેલી કે “હું તમારા પ્રશ્નોને જ સરાસર નકારી કાઢું છું, કારણ કે મૂળભૂત રીતે આ પ્રશ્નો જ ખોટા છે અને હું તમારા વિરોધમાં ઊભો છું અથવા તમારો વિરોધ કરું છું, એનો અર્થ એ નહિ કે દેશને હાનિ પહોંચાડી રહેલાં તમામ અપરાધિક તત્ત્વોના સમર્થનમાં હું ઊભો છું!” (‘ઘરેબાહિરે’)

લોકશાહીનું હાર્દ એમાં છે કે દેશમાં પ્રવર્તતાં દૂષણો નાબૂદ કરવા બાબતે સૌ કોઈ સંમત હોય. પરંતુ તેને નેસ્તનાબૂદ કરવાની સરકારી નીતિ-રીતિઓ બાબતે પ્રામાણિક મતભેદ હોઈ શકે. આ ક્ષેત્રના મોટા વિચારક જ્હૉન સ્ટુઅર્ટ મિલે કહેલું કે વાણીની સ્વતંત્રતા માત્ર મનગમતી વાતો કહેવા કે સાંભળવા પૂરતી નથી હોતી. તમને ન ગમતી વાતોને, તમે ધિક્કારતા હો એવી વાતોને, પણ તમે એટલી જ સ્વસ્થતા અને ઉદારતાપૂર્વક સાંભળો એ જ તમારી ખરી કસોટી છે. હાલના અમેરિકી વિચારક ચૉમ્સ્કી પણ કહે છે કે ઇતિહાસમાં સ્તાલિન અને હિટલર જેવા સરમુખત્યારોએ પણ તેમની પ્રજાઓને વાણીની સ્વતંત્રતાનો અધિકાર આપેલો. પણ માત્ર એવી જ વાણીનો, જે તેમને મંજૂર હોય! ભરતભાઈએ ગંભીર ચર્ચાસ્પદ વિષય પર વૈશ્વિક સંદર્ભો સાથે સાંપ્રત સંદર્ભોને જોડીને ભારતમાં આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની શી દશા છે, તેના વિશે ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. જે 368 પાનાંમાં ફેલાયેલું દળદાર પુસ્તક છે.

પુસ્તકમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનો ઇતિહાસ પહેલાં બે પ્રકરણોમાં આલખાયેલો  છે. તે પછી પશ્ચિમી દેશોમાં કલાસ્વરૂપો ઉપરની સેન્સરશિપના કિસ્સાઓ અને તેની વિગતવાર ચર્ચા છે. તે પછી ભારતમાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની બુનિયાદ અને બંધારણીય જોગવાઈઓ સહિત કેટલીક સાંપ્રત ઘટનાઓની ચર્ચા છે. ભારતમાં સાહિત્ય, નાટક, કલા, ફિલ્મ, વ્યંગવિનોદ, ઇન્ટરનેટ અને મુદ્રિત તથા વિજાણુ માધ્યમોની સ્વતંત્રતા અને તેના પરની સેન્સરશિપ વિશે ચર્ચા છે. દેશદ્રોહનો કાનૂન અને ધાર્મિક અસહિષ્ણુતા આપણા દેશમાં કેવી છે, તે વિગતે વર્ણવાયું છે. આજની વૈશ્વિક કસોટીના પાયામાં વિશ્વભરમાં જમણેરી પરિબળોનો જે રીતે ઉદય થયો છે, તેની અભ્યાસપૂર્ણ ચર્ચા પછી ભારતીય રાજકારણ અને જમણેરી પરિબળો હેઠળ વાણીસ્વાતંત્ર્ય અને અસહિષ્ણુતા સંદર્ભે કેવી સ્વતંત્રતા અને અરાજકતા પ્રવર્તે છે, તેની ચર્ચા કરતાં લેખકે પ્રાચીન ભારતમાં વૈચારિક સ્વતંત્રતા કેવી હતી, તેની પણ વિગતો આપી છે.

અંતમાં તેમના સમાપનના શબ્દો છે : “આજના અસહિષ્ણુ જગતમાં આપણને માત્ર હા-જી-હા કરનારાઓનો ખપ નથી, અંતરાત્માના ધીમા પણ મક્કમ અવાજને વિશાળ માનવજાતના આંતરવિવેક સુધી પહોંચાડી શકનારા ‘બળવાખોરો’ જ માનવજાતને વર્તમાન સમસ્યામાંથી ઉગારનારો કોઈ નવો વિકલ્પ ચીંધી બતાવશે.”

પુસ્તકના અંતે જે સંદર્ભસૂચિ આપવામાં આવી છે, તેમાં આ વિષયના મહત્ત્વનાં પુસ્તકો અને કેટલાક લેખોનો સંદર્ભ જોઈ શકાય છે.

આજે સર્વોચ્ચ અદાલત વાજબી રીતે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના અધિકાર પર વારંવાર ભાર મૂકે છે, ત્યારે વહીવટીતંત્ર, સરકાર અને તેમનાં ટેકેદાર વર્તુળો જે રીતે અભિવ્યક્ત થનાર વ્યક્તિ કે વિચારક પર કાયદાકીય અને અન્ય ધોંસ બોલાવે છે, ત્યારે માહોલ ચિંતાજનક સ્થિતિમાં પરિણમે છે. દેશભક્તિ એ કોઈ પ્રદર્શનની ચીજ નથી કે એનું કોઈ વળતર કે લાભ મેળવવાનો નથી. બંધારણ, તેની ભાવના, તે સંદર્ભે ઘડાયેલા કાયદાઓ અને વ્યાપક સમાજના સંદર્ભે કાયદાના શાસનની સ્થાપના અને તે પ્રત્યેની નિસબતમાં પણ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રપ્રેમ વ્યક્ત થઈ શકે છે.

આ તબક્કે એ બરાબર સમજવાનું છે કે દરેકને પોતાની આઝાદી ગમે છે અને બીજો તે જ પ્રકારની આઝાદી ભોગવે તે સામે અતિશય વાંધાવિરોધ હોય છે. લોકશાહી કે બંધારણ કોઈ એક વર્ગસમૂહની આઝાદી કે તેના જતન માટે નથી. તે તો વ્યક્તિ માત્રની આઝાદીનું જતન કરવા માટે છે. અભિવ્યક્તિની સાથે વિચારસ્વાતંત્ર્ય આવી જ જાય છે. પ્રામાણિક મતભેદ અને વિરોધી વિચાર પ્રત્યે સહિષ્ણુતા એ સાચી આઝાદીનો મર્મ છે. ભરતભાઈએ તેમના જીવનમાં છેલ્લાં વર્ષો આવા ચિંતનને સમર્પિત કર્યાં છે. જે દર્શાવે છે કે એક કલાકાર તરીકે અને એક નાગરિક તરીકે તેમને આ મુદ્દો કેટલો પીડતો હશે કે કેટલો નજીકનો લાગતો હશે.

રાજકીય સરકારોને એવું માનવું સદાય ગમતું રહ્યું છે કે જે કોઈ આપણી સાથે નથી તે બધાં આપણી સામે જ છે. આવી ખતરનાક વિચારસરણી ઉપર બંધારણ છે, ન્યાયતંત્ર છે અને કાયદાનું રાજ સ્થાપવાની મસમોટી જવાબદારી છે. સાચા નાગરિકો જ્યારે ટીકાટિપ્પણી કરે છે, ત્યારે તેમને આખા સમાજનું હિત અભિપ્રેત હોય છે તેમને માત્ર ને માત્ર રાજકીય વિરોધીઓમાં ખતવી દેવા એ પાગલપન છે. સત્તા કદી કાયમી હોતી નથી. સત્તા એ તો પ્રજાકલ્યાણનું સાધન માત્ર છે. જે નસીબદારોને જ પ્રાપ્ત થાય છે. તે સમયગાળામાં પોતાનો નાગરિક કોઇ પણ પ્રકારનું દુઃખ ન અનુભવે તે જવાબદારી ચૂંટાયેલી સરકારની હોય છે. તે સાથે એ પણ સમજવાનું છે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય પર વાજબી નિયંત્રણો સાવ સ્વાભાવિક છે. કારણ કે કોઈ પણ પ્રકારની કોઈની પણ આઝાદી અમર્યાદ ન હોઈ શકે!

(અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય, લેખક – ભરત દવે, ગૂર્જર સાહિત્ય પ્રકાશન, અમદાવાદ – 380 015, પ્રથમ આવૃત્તિ 2017, પાનાં 276, કિ. રૂા.400)

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 09

Loading

‘ગ્રેપ્સ ઑફ રોથ’ નવલકથા અને સંઘર્ષ કરનારાઓની દાસ્તાં

પ્રક્ષાલી દેસાઇ|Opinion - Opinion|2 August 2021

લેખિકા મધ્ય પ્રદેશનાં આદિવાસીબહુલ જિલ્લા ઝાબુઆમાં નઈ તાલીમ પ્રેરિત આદિવાસી બાળકોની શાળાનું સંચાલન કરી રહ્યાં છે. કોરોના દરમિયાન પગપાળા નીકળેલા આપણા દેશના સ્થળાંતરિત શ્રમિકોની વેદના અને પીડાના સંદર્ભમાં એમણે સ્ટાઇનબેકની પ્રથિતયશ નવલકથાને સાંકળવા સાથે સરકાર અને કઠિત સુખી વર્ગનું વાસ્તવચિત્ર અહીં પ્રસ્તુત કર્યું છે.

− પ્ર.ન.શા.,

તંત્રી “નિરીક્ષક”

વિશ્વસાહિત્યમાં દમિત પીડિત માનવોનાં અનેક આલેખનો ઘણી વાર બહુ જ સારી રીતે થયાં છે. તે કેટલીક વાર કાલ્પનિક કે વાસ્તવિક પણ હોય, પરંતુ પીડા, વેદના, દમનનું ચિત્રણ અઘરું જ હોય છે, કારણ કે કલ્પના હોય તો પણ તે પીડાને લેખકે ભોગવવી પડતી હોય છે, તે વગર પીડાનું આલેખન શક્ય નથી. એક એવી નવલકથા જે છે કાલ્પનિક, પરંતુ જે સમયે તે લખાઈ હતી, ત્યારે આ નવલકથાએ તે વખતની અમેરિકાની રૂઝવેલ્ટની સરકારને હચમચાવી દીધી હતી. સન ૧૯૩૯ના વર્ષમાં એક અમેરિકન પત્રકાર જોન સ્ટાઇનબેકે આ નવલકથા લખી હતી.

અમેરિકન લેખિકા જુલિયા વર્ડ હોવે સન ૧૮૬૨માં એક આખ્યાન લખ્યું હતું Battle Hymn of the Republic. એમાં એક કવિતા હતી. તે કવિતામાં એક પંક્તિમાં આવતાં એક શબ્દ પરથી જોન સ્ટાઇનબેકે પોતાની નવલકથાનું નામ ‘ગ્રેપ્સ ઓફ રોથ’ રાખ્યું હતું. નવલકથાની ભાષા એકદમ સરળ જૂના અમેરિકન અંગ્રેજીવાળી, સમજવામાં અઘરી નહીં તેવી છે. જ્યારે આ નવલકથા છપાઈને આવી ત્યારે તરત જ એની ૧૪ મિલિયન પ્રતો વેચાઈ ગઈ હતી. આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર પારિતોષિક મળ્યાં હતાં. ત્યાર પછી એના પરથી ટિ્‌વન્ટિયેથ સેન્ચ્યુરી ફોકસના જોન ફોર્ડે એ નામે ફિલ્મ પણ બનાવી.

જ્યારે આ લખવામાં આવી, ત્યારે અમેરિકામાં Great Dust Bowl એટલે ધૂળ ભરેલી આંધીઓ સતત આવી હતી, જેથી આખા અમેરિકાની ખેતીમાં બહુ જ નુકસાન થયું હતું અને હાથથી કામ કરનાર ખેતીના મજૂરોની હાલત કફોડી થઈ ગઈ હતી. કેટલા ય મજૂરો રોજગાર વગરના થઈ ગયા હતા અને આખા અમેરિકામાં મહામંદી આવી હતી. રોજગાર અને કામની શોધમાં હજારો મજૂરોએ તે સમયે અમેરિકાના એક પ્રાંતથી બીજા પ્રાંતમાં હિજરત કરી હતી, બેશક રોજીરોટીની શોધમાં, તે હિજરત દરમિયાન તે લોકોએ કેવાં દુઃખોનો સામનો કરવો પડ્યો હતો, તેનું આલેખન લેખકે આ નવલકથામાં કર્યું છે. દર્દને વાચા આપવા માટે જ આ નવલકથા રચવામાં આવી હતી. આ નવલકથાનાં પાત્રો એકદમ સામાન્ય પરિવારનાં અને આપણા પોતાનાંમાંથી એક હોય એવાં લાગે છે. પાત્રોનું એટલું સરળ ચરિત્રચિત્રણ કરવામાં આવ્યું છે. વાંચકોને તેથી તે પોતીકાં લાગે છે.

નવલકથાનો આરંભ ઓકલેહમા પ્રાંતની ખડકાળ અને ધુસર ભૂમિવાળા પ્રદેશથી થાય છે. સન ૧૯૩૦નો દુર્ભાગ્યશાળી દશક ચાલી રહ્યો છે, સાથે કુદરત પણ રિસાઈ ગઈ છે. વરસાદ બિલકુલ નથી પડ્યો, અત્યંત ધૂળવાળી આંધીઓના આવવાથી બધાં ખેતરોમાંની ખેતી નષ્ટ પામી છે. ભારી તાપથી ધરતી ફાટી ગઈ છે. દૂર-દૂર સુધી સુસવાટા મારતો પવન ધૂળની ડમરીઓથી આખા વિસ્તારમાં તોફાન મચાવી રહ્યો છે. ખેતીની બરબાદીથી ખેડૂતો કંગાળ થયા છે અને તેમાં પણ મોટા ખેડૂતોને ત્યાં કામ કરતાં મજૂરવર્ગના ખેડૂતોની સ્થિતિ બહુ જ ખરાબ થઈ રહી છે. નવલકથાનો આરંભ જ એટલો વિષાદપૂર્ણ છે કે વાંચક હવે આગળ શું થશે-ની ફિકર કરવા લાગે છે.

કોઈ એક મજૂર કુટુંબનો દીકરો કે તેનું નામ ‘ટોમ’ છે, તે કોઈ કારણથી જેલમાં હતો. તે છૂટીને જઈ રહ્યો છે પોતાને ગામ. તેમનો પરિવાર ગામમાં ‘જોડ’ પરિવારને નામે ઓળખાતો હોય છે. જ્યારે તે ધૂળવાળી ખેતરોની પગદંડીઓ પર થઈ ને ચાલી રહ્યો હોય છે ત્યારે એને ચર્ચનો પાદરી જેનું નામ ‘જિમ કેસી’, તે મળે છે. તેણે ર્નિણય લીધો હોય છે કે તે હવે ચર્ચનું પાદરીપણું છોડીને માનવસેવાના કાર્ય કરવાનું વિચારી રહ્યો છે. તે ‘ટોમ’ સાથે ચાલી પડે છે. બંને જ્યારે ગામમાં પહોંચી જાય છે, ત્યારે ત્યાં એ લોકોને ખબર પડે છે કે ‘ટોમ’નો પરિવાર કામની શોધમાં કોઈ સંબંધીને ત્યાં ગયો છે, આ સમાચાર એમના જ ગામનો ‘મ્યુલી ગ્રાવસ’ નામની એક વ્યક્તિ તેમને આપે છે, સાથે-સાથે પરિસ્થિતિ વિષે વાત કરતાં એમ પણ કહે છે કે મહામંદીને કારણે મોટાં જમીનદારો પાસે જે નાના ખેડૂતો એ જમીન ગીરવી રાખી હતી, તે માટે જમીનદારોના માણસો લોકોને રંજાડી રહ્યાં છે, ખેતી માટે નાના ખેડૂતોએ બૅન્કથી લોન લીધી હતી, તે ભરપાઇ નહીં થવાથી બેન્કના કર્મચારીઓ વારે-વારે લોકોને પરેશાન કરી રહ્યાં છે, આ બધું ઓછું હોય તેમ જમીનદારોએ નિર્ણય લીધો છે કે હવે તેઓ ખેતરોમાં કામ કરાવવા મજૂરોને રાખવાના નથી, ટ્રૅક્ટર જેવાં આધુનિક યંત્રોથી ખેતી કરશે, એટલે મજૂરોની રોજી તો ગઈ. આ વાંચતાં આપણને લાગે કે આપણા દેશના સંદર્ભમાં ક્યાં કશું બદલાયું છે? તે જ હાથના શ્રમની સામે યંત્રો અને આવારા પૂંજીની રમત! આજની તારીખમાં પણ ભારતના કેટલા ય ભાગોમાંથી રોજીરોટીની શોધમા મજૂરોનાં ટોળાં ને ટોળાં ગામડાંઓથી મહાનગરો તરફ ભાગતાં જ રહે છે. નવલકથામાં આગળ જોઈએ તો ‘ટોમ જોડ’ અને ‘જિમ કેસી’ જ્યાં એમનો પરિવાર ગયો છે, તે ગામ પહોંચે છે. ત્યાં બધાં મળીને એક નિર્ણય કરે છે કે કૅલિફોર્નિયા જવું જોઈએ, ત્યાં દ્રાક્ષ અને સંતરાંઓના બગીચાઓમાં ઘણું કામ મળી રહે તેમ છે.

હવે આખો પરિવાર ઘરવખરી બાંધે છે. બચેલા પૈસામાંથી કોઈ જૂની ટ્રક જેવી ગાડી ખરીદે છે, તેમાં સુધારો કરીને તેઓ નીકળે છે, પરિવારમાં ઘરડાં દાદાદાદી, માતાપિતા, ગર્ભવતી બહેન ‘રોઝ’ તેનો પતિ એક નાનો ભાઈ, ‘ટોમ’ પોતે અને ‘જિમ કેસી’ આટલાં જણ નીકળ્યાં છે. રસ્તો ઘણો લાંબો છે ઓકલહમાંથી કૅલિફોર્નિયા અંદાજે ૨,૩૩૪ કિલોમીટર છે. ખબર નહીં તે વખતે ત્યાંના રસ્તા કેવા હશે? એ તો આજના સમયમાં અમેરિકા પૂંજીવાદનો ડંકો આખા વિશ્વમાં વગાડી રહ્યું છે, પરંતુ એ ચમકની પાછળ કેટલા ય ખૂની સંઘર્ષોની દાસ્તાનની કાળી વાતો હશે! રસ્તામાં એરિઝોનાનો રણપ્રદેશ પણ પસાર કરવાનો હતો, પરિવારજનોની માંદગી, વાહનની  ગરબડી, પેટ્રોલના ઊંચા ભાવ, બીજા પ્રદેશવાળાઓની નફરત, પ્રાદેશિક મોસમનો માર વગેરે સહન કરતાં આગળ ને આગળ વધે છે. લેખક જોન સ્ટાઇનબેકૅ એ એવી રીતે લખ્યું છે કે આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. આ વાંચતાં ગયા વર્ષે કોરોનાને લીધે પગપાળા નીકળેલ આપણા દેશના પ્રવાસી મજૂરોની કરુણ સ્થિતિ યાદ આવી ગઈ આપણા દેશના જુદા-જુદા પ્રાંતોથી મજૂરી કરવા ગયેલા લોકોની ૪૦થી ૪૫ ડિગ્રી તાપમાં પગપાળા ઘરે પાછાં જવાની ત્રાસપૂર્ણ ઘટના ભારતના ઇતિહાસમાં પણ કાળા અક્ષરોએ જ લખાશે.

કેટલા ય કિલોમીટર ચાલતાં લોકો, ઘરડાં બીમાર, નાના છોકરાઓને ઊંચકી ચાલતી માતાઓ, નાનાં બાળકોને ખભે નાખી ચાલતાં ૧૦થી ૧૨ વર્ષના, વગર ચપ્પલે ચાલતાં કિશોર-કિશોરી, ગર્ભવતી મહિલાઓ, કોઈની રસ્તામાં જ પ્રસૂતિ થઈ, તો કેટલા ય રસ્તામાં મોતને ભેટતાં લોકો, આવાં લાચાર છતાં એક આત્મસમ્માન લઈ ચાલતાં લોકો, કરોડો સલામ કરવાનું મન થાય, કોઈ કેવી રીતે મર્યા તો કોઈ કેમ, કોઈ રેલગાડીના પાટા પર સૂતેલા કપાઈ મર્યા, કોઈ બીમારી અને ભૂખતરસથી મર્યાં, પણ બચ્યાં એટલા ઘરે પહોંચીને રહ્યાં તેઓ પાસે કોઈ બીજો વિકલ્પ જ નહોતો. ઇતિહાસ સાક્ષી છે, જેમણે સંઘર્ષની સામે હથિયાર નાંખ્યાં નથી એમની જીત જ થઈ છે. આપણા દેશના ખાધેપીધે સુખી લોકોએ તે વખતે એમ કહ્યું કે “શું જરૂરત હતી ગામ તરફ ભાગવાની ?!” “રેલગાડીના પાટે શું કામ સૂઈ ગયાં ?!” આપણા દેશનું દુર્ભાગ્ય છે કે આપણી શિક્ષણપ્રણાલી દેશના નાગરિકોને સંઘર્ષ અને મહેનત કરતા લોકોની વ્યથા સમજવાની કેળવણી નથી આપી શકતી. આ નવલકથાનો ‘જોડ’ પરિવાર પણ રસ્તામાં ઘરડાં દાદા અને દાદીને બીમારીને કારણે ગુમાવી બેસે છે, પરંતુ તેમની નિયતિ છે કે તેઓએ આગળ વધવું જ રહ્યું, એટલે તેમને રસ્તામાં જ દફનાવી તેઓ આગળ વધે છે નવલકથા જ્યારે તેના અંત તરફ ગતિ કરતી હોય છે, પરિવાર એક નદીકિનારે વિશ્રામ માટે રોકાય છે. ‘ટોમ’નો નાનો ભાઈ ત્યાં જ રોકાઇને કામ શોધવાનો નિર્ણય લે છે. આ રીતે એક સદસ્ય ત્યાં છૂટો પડી જાય છે. હવે પૈસા પણ ખૂટ્યા છે. આગળ વધતો પરિવાર રસ્તે આવતાં ખેતરોમાં છૂટક મજૂરી કરતાં-કરતાં આગળ વધે છે. ત્યાંના જમીનદારોએ મજૂરો માટે વસાહતો બનાવી રાખી હોય છે. એક સારી વસાહતમાં રહેવાનું અને સારું કામ પણ મળી જાય છે. ઘરનો મોટો છોકરો ‘ટોમ’ ત્યાંનાં મજૂરો સાથે મળી એક સંગઠન ઊભું કરે છે અને મજૂરોના હક્કની લડાઈ લડે છે. ‘જિમ કેસી’ એને સક્રિય સહકાર આપે છે. ‘રોઝ’ જે ગર્ભવતી છે, તે પોષણયુક્ત આહાર માટે વલખાં મારે છે. પરિવાર તેના માટે સાદું દૂધ પણ લાવી શકતો નથી. મજૂરોના હક્કની વાત કરવાવાળા ‘ટોમ’ને ખૂનના ગુનામાં ખોટી રીતે ફસાવી દેવામાં આવે છે, ‘જિમ કેસી ‘માનવતા માટે’ તે ગુનો પોતાના માથે લે છે, તે જાણે છે; ટોમ નિર્દોષ છે અને પરિવારને ટોમની જરૂરત છે. ‘ટોમ’ને કારણે તે વસાહતમાંથી પૂરા પરિવારને કાઢી મૂકવામાં આવે છે. ત્રાસ સહન કરતો પરિવાર આખરે સપનાંના પ્રદેશ કૅલિફોર્નિયા પહોંચે છે. ત્યાં કામ મળે છે, પરંતુ બહુ જ ઓછી મજૂરી પર, ફળોના બગીચાના માલિકોએ અસ્થાયી વસાહતો બનાવી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. ‘રોઝ’નો પતિ પરિવારને છોડી અન્ય જગ્યાએ કામ શોધવા નીકળી જાય છે. ‘રોઝ’ એકલી પડી જાય છે, માતા અને પિતા ‘જોડ’ ખૂબ ધીરજ રાખીને સહુને સાચવે છે, આ વસાહતમાં પણ ટોમ મજૂરોના હક્ક માટેનું સંગઠન બનાવે છે, બધા મજૂરો એકઠાં થઈને માલિકો અને સરકારની સામે આંદોલન કરતાં રહે છે.

આ પ્રવૃત્તિને કારણે ‘ટોમ’ને ફરી એક વાર જેલ જવાનું થાય છે. ‘જિમ કેસી’ પહેલેથી જ જેલમાં છે, ‘રોઝ’ને મૃત બાળક અવતરે છે : એટલું ઓછું હોય તેમ કૅલિફોર્નિયા વિસ્તારમાં ભયંકર પૂર આવે છે. દ્રાક્ષ અને સંતરાંઓના બગીચા ઊજડી જાય છે, મજૂરોની રોજીરોટી પણ પૂર પોતાની સાથે વહાવી જાય છે અને હવે આ નવલકથાનો અન્ત અને પરાકાષ્ઠા તો ત્યારે આવે છે કે પરિવારની બચેલી પેલી ત્રણ વ્યક્તિ, માતા,પિતા અને ‘રોઝ’ પૂરથી બચવા એક ખંડેરમાં આશરો લે છે, તે ખંડેરના અંધારા ખૂણામાં એક ઘરડો ડોસો અંતિમ શ્વાસ ગણતો પડ્યો હોય છે. ‘રોઝ’ તેની પાસે જાય છે અને ખોળામાં પેલી વ્યક્તિનું માથું લે છે અને બાળકની જેમ એને પોતાનાં સ્તનનું દૂધ પીવડાવે છે. અને અહીયાં બધું જ મરી ગયું હોય, ખોવાઇ ગયું હોય, ત્યાં માનવતા જીવી જાય છે ! વાંચક અહીંયાં સ્તબ્ધ છે, હા, બિલકુલ આપણાં પન્નાલાલ પટેલની નવલકથામાં આવે છે તેમ દુકાળની સ્થિતિમાં નવલકથાની નાયિકા, ભૂખથી વ્યાકુળ નાયકને સ્તનપાન કરાવે છે તેમ જ ! જીવન આ જ છે ! આ જ છે માણસથી માણસનો સંબંધ! એવા  માનવો કે જે સંઘર્ષમાં પણ માનવતાને વરેલાં છે. તેને માટે ઘરમાં સુરક્ષિત બેઠેલા અનેક પ્રશ્ન ઉઠાવીને વાત કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત થાય ?! પણ ભાઈ ઇમ્યુન સિસ્ટમ તો એવાં જ લોકોની મજબૂત થશે જે લોકો વિપરીત સ્થિતિમાં પણ પોતાનો માર્ગ બનાવતા શીખતાં રહશે : તે કૌવત તેઓના ડી.એન.એ.માં આરોપિત થઈ જશે, એ લોકોની આવનારી પેઢી વધુ મજબૂત થઈને પોતાનો હક્ક માંગવા આવશે, તો આશ્ચર્ય નથી. એકબીજા માટે વિચારવું, સહુને સાથે લઈ ચાલવું, મદદ કરવી પર્યાવરણનું ધ્યાન રાખવું, ઓછાં સાધનોમાં જીવન ચલાવવું, આ બહુ જ સુવિધાયુક્ત જીવન જીવવાવાળાની આવનારી પેઢીઓ નહીં કરી શકે, કારણ કે વર્તમાન શિક્ષા પ્રણાલીના પાઠ્યક્રમમાં જીવનસંઘર્ષ, મહેનત, હાથના કામનું  સમ્માન જેવા અવસરો જ જોડવામાં આવ્યાં નથી. સુવિધાયુક્ત જીવન જીવતા હોવા છતાં કેટલા ય લોકોને જીવન સામે બહુ જ ફરિયાદો છે, કેટલાક તો એવાં પણ છે કે એવું વિચારે છે અમારાં સંતાનો જો અભાવો સહન કરશે, તો એ પણ બુદ્ધની જેમ સંસારથી વિરક્તિ થઈ જશે ! પણ માફ કરજો મને, આવનારી પેઢીની કોઈ તાકાત જ નથી બુદ્ધની જેમ વિચારવાની !!

જ્યારે જોન સ્ટાઇનબેકને લોકોએ પૂછ્યું, આવી નવલકથા લખવાનો વિચાર કેવી રીતે આવ્યો ? ત્યારે જવાબમાં જોન સ્ટાઇન બેકૅ કહ્યું, “આ મહામંદી અને તેના દુષ્પ્રભાવો માટે લાલચી અને હરામી લોકો જવાબદાર છે. હું તેમના ચહેરા પર શરમનું લેબલ લગાવવા માગું છું, એટલે લોકોનાં સ્નાયુતંત્રને હલાવી નાખે એવી આ નવલકથા લખવાનું અભિશપ્ત કાર્ય મે કર્યું છે.” તે જમાનામાં આ નવલકથાને બૅન કરવામાં આવી હતી અને તેને ફળોના બગીચાના માલિકો દ્વારા સળગાવવામાં આવી હતી. આ નવલકથાનું પ્રકાશન થયું (૧૯૩૯) અને મહેનતકશો માટે અવાજ ઉઠાવતાં સંગઠનો અને લોકોએ સરકાર પર ખૂબ દબાવ બનાવ્યો. લેખક પર રશિયાના એજન્ટ હોવાનો આરોપ મુકાયો. સાથે-સાથે આ નવલકથાને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર ઇનામની ઘોષણા કરવામાં આવી. સાથે જ તે સમયની રૂઝવેલ્ટ સરકાર હરકતમાં આવી, એક તપાસ સમિતિ શ્રીમતી રૂઝવેલ્ટના નીચે નિમાઇ અને કૅલિફોર્નિયાના બગીચાઓમાં કામ કરતાં પ્રવાસી મજૂરોની સ્થિતિનું અધ્યયન કરવામાં આવ્યું. તપાસમાં સામે આવ્યું કે આ નવલકથામાં જે વર્ણન છે, એના કરતાં પણ મજૂરોની સ્થિતિ બદતર છે. તરત જ સરકારે ત્યારના શ્રમકાયદાઓમાં ભારે પરિવર્તન કર્યું કે જે મજૂરોના હક્કની વાત કરે.

નવલકથામાં વર્ણિત Weed Patch Campની જગ્યા આજે પણ ઐતિહાસિક ધરોહરના રૂપે સરકારે સંગ્રહિત કરીને રાખી છે. નવલકથાના શીર્ષક ‘ગ્રેપ્સ ઓફ રોથ’ને મેટાફર સમજીએ, તો એક એવો ગુસ્સો જે જમીનથી જોડાયેલા લોકો દ્વારા ઊઠ્યો અને લોકોને ક્રાંતિ માટે પ્રેરિત કર્યા.

આપણા દેશમાં કોરોનાકાળ દરમિયાન શું થયું ? સરકારે કોરોનાકાળ દરમિયાન પ્રવાસી મજૂરો માટે શ્રમ કાયદાઓમાં બદલાવ કરી કામના કલાકો જ વધારી દીધા ! વર્ષ ૨૦૦૮ના પછી ખેડૂતોની આત્મહત્યાના આંકડાઓ શું સૂચવે છે? કોરોના પછી વાવાઝોડાં જેવી કુદરતી આફતનો પણ સામનો કરવો પડ્યો. આપણી સરકારે ભૂમિ અધિગ્રહણ કાયદાને સહેલો બનાવી ખેડૂતોને પોતાની જમીનથી અપદસ્થ કરી દીધા !

કહેવાય છે કે કળા અને સાહિત્યની વિધિઓ દેશ અને સમાજમાં બદલાવ લાવી જ શકે છે, તે આ જોન સ્ટાઇનબેકની નવલકથાની બાબતમાં તો સાચું જ છે.

સૌજન્ય : “નિરીક્ષક” 01 ઑગસ્ટ 2021; પૃ. 07-08

Loading

...102030...1,8331,8341,8351,836...1,8401,8501,860...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved