Opinion Magazine
Number of visits: 9965214
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઉત્તમ યુનિવર્સિટીનું કામ, સોક્રેટિસની જેમ, લોકોને પરેશાન કરવાનું છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|25 October 2021

રાજકીય અને સામાજિક પ્રક્રિયામાં યુનિવર્સિટીની ભૂમિકા શું હોવી જોઈએ તે સમજવા માટે અમેરિકન સરકારે ૧૯૬૭માં શિકાગો યુનિવર્સિટીમાં કાયદો ભણાવતા પ્રોફેસર હેરી કાલ્વેનની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ સરકારને પેશ કરેલા રિપોર્ટમાં લખ્યું હતું –

"સમાજમાં રાજકીય અને સામાજિક મૂલ્યોનો વિકાસ કરવામાં યુનિવર્સિટીની મોટી અને અનોખી ભૂમિકા હોય છે. આ ભૂમિકા યુનિવર્સિટીના લાક્ષણિક ધ્યેય અને એક સમુદાય તરીકે યુનિવર્સિટીના લાક્ષણિક ચારિત્ર્યથી નક્કી થાય છે. યુનિવર્સિટીનું ધ્યેય જ્ઞાનની શોધ, સુધાર અને પ્રસારનું છે. તેની સમીક્ષામાં સમાજનાં મૂલ્યોનાં તમામ પાસાઓનો સમાવેશ થાય છે. તેના ધ્યેયને વફાદાર હોય તેવી યુનિવર્સિટી સામાજિક મૂલ્યો, નીતિઓ, રિવાજો અને વ્યવસ્થાઓને મજબૂત પડકારો આપતી રહે છે. તેની રચના જ એવી હોય છે કે તે પ્રવર્તમાન સામાજિક વ્યવસ્થા સામે અસંતોષ પેદા કરે છે, અને તેના સ્થાને નવી વ્યવસ્થાનું સૂચન કરે છે. ટૂંકમાં કહીએ તો, એક ઉત્તમ યુનિવર્સિટી, સોક્રેટીસની જેમ, પરેશાન કરે.”

કાલ્વેન કમિટીનો રિપોર્ટ બે જ પાનાનો હતો, પરંતુ સાર્વજનિક મુદ્દાઓ પર યુનિવર્સિટીનો અભિગમ કેવો હોવો જોઈએ તે સંદર્ભમાં છેલ્લા ચાર દાયકાથી અમેરિકા અને અમેરિકા બહારના દેશોમાં આ રિપોર્ટ ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. વધતાઓછા અંશે, આધુનિક યુનિવર્સિટીઓ રાષ્ટ્રોના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ વિકાસનાં કેન્દ્રો રહી છે. આ ત્યારે શક્ય છે, જ્યારે યુનિવર્સિટીઓ સામાજિક પરિવર્તનો લાવવા સક્ષમ હોય, પરંતુ અમુક દાયકાઓથી યુનિવર્સિટીઓની સામાજિક ભૂમિકાઓ પર અંકુશ મુકાતો રહ્યો છે.

જર્મની અને સ્વીડનના સંશોધકો તેમ જ દુનિયાભરના ૨,૦૦૦ નિષ્ણાતોના સહકારથી તૈયાર કરવામાં આવતો ધ એકેડેમિક ફ્રિડમ ઇન્ડેક્ષ કહે છે કે દુનિયાના ૧૭૫ દેશોમાંથી માત્ર ૨૦ ટકા લોકો જ એવા દેશોમાં રહે છે, જ્યાં તેમની શૈક્ષિણક સ્વતંત્રતા સલામત છે. મતલબ એ કે મોટા ભાગના દેશોમાં ઇચ્છા હોય તે ભણવાની, ભણાવવાની અને લખવાની તેમ જ લોકશાહી-તરફી રાજકીય ગતિવિધિઓ પર સરકારોના અંકુશ છે. આ રિપોર્ટ અનુસાર, રાજકીય રીતે આગળ પડતા મુદ્દાઓ પર બોલવાની વિદ્વાનોની આઝાદી ૨૦૧૩થી સતત જોખમમાં મુકાઈ રહી છે. તેનું કારણ એ છે કે દુનિયાભરના સમાજોમાં રાજકીય ધ્રુવીકરણ વધી રહ્યું છે.

અમેરિકન આઈ વી લીગ પ્રકારનું ઉદાર, આધુનિક અને રિસર્ચ આધારિત ભણતર આપવાના ઉત્તમ ઉદેશ્ય સાથે સોનેપત, હરિયાણામાં સ્થપાયેલી ખાનગી અશોકા યુનિવર્સિટીના બે વિદ્વાન ફેકલ્ટી મેમ્બર, પ્રતાપ ભાનુ મહેતા અને અરવિંદ સુબ્રમણ્યમે જે પરિસ્થિતિમાં રાજીનામું આપ્યું, તે ભારતમાં યુનિવર્સિટીઓની ભૂમિકા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. યુનિવર્સિટીઓમાં રાજકીય ગતિવિધિઓ પર સીધો કે આડકતરો દાબ મુકવામાં આવી રહ્યો છે. આ બંને વિદ્વાનોએ સરકારની નીતિઓની ટીકા કરવા માટે થઈને યુનિવર્સિટી છોડવી પડી છે. તેમના રાજીનામા પત્રમાં તેમણે એ ઈશારો કર્યો છે. સૌથી પહેલાં મહેતાએ રાજીનામું આપ્યું. તેમના સમર્થનમાં સુબ્રમણ્યમે યુનિવર્સિટી છોડી.

બંને પોતપોતાની રીતે દેશના અગ્રણી વિદ્વાન છે, પરંતુ વાત એમની નથી. વાત યુનિવર્સિટીની ભૂમિકાની છે. આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતું કે, શૈક્ષણિક સ્વતંત્રતા એટલે જ્ઞાનની શોધનો અને જે સત્ય લાગે તેને લખવાનો અને ભણાવવાનો અધિકાર. એ અધિકારમાં ફરજનો પણ સમાવેશ થાય છે : વ્યક્તિને જે સત્ય લાગે, તેને છુપાવું ન જોઈએ.

અભિવ્યક્તિની આઝાદીમાં શૈક્ષણિક સ્વતંત્રતા નિહિત છે, અને તે માનવ સભ્યતાની સૌથી પ્રાચીન સ્વતંત્રતા છે. ભારતમાં અભિવ્યક્તિની આઝાદીનું પગેરું ઋગ્વેદ, ઉપનિષદ, બુદ્ધનાં વ્યાખ્યાન, સમ્રાટ અશોકના શિલાલેખ ભણી જાય છે. પ્રાચીન ભારતમાં નાલંદા અને વિક્રમશિલા વિશ્વવિદ્યાલયોમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચર્ચાઓ કરવાની જે પરંપરા હતી, તે અકબર બાદશાહના સામ્રાજ્યમાં અકબંધ હતી. ભારતના બંધારણમાં અભિવ્યક્તિની આઝાદીનો સમાવેશ એ રીતે થયો હતો. પશ્ચિમમાં અભિવ્યક્તિની આઝાદી ગ્રીક ચિંતન અને સાહિત્યની પરંપરામાંથી આવી છે.

ઇતિહાસમાં પ્રવર્તમાન વિચારો કે મત સામે પ્રતિમતની એક પરંપરા રહી છે. ગ્રીકમાં સોક્રેટિસે પૌરાણિક રૂઢિઓનો વિરોધ કરીને સાર્વજનિક બૌદ્ધિકની ભૂમિકા અદા કરી હતી અને એટલે જ તેમને ઝેર આપવામાં આવ્યું હતું. યુરોપમાં ગેલીલિયોએ તત્કાલીન ધાર્મિક માન્યતાઓ અને ચર્ચની સત્તાના અભિગમથી વિરુદ્ધ જનસમાજને વૈજ્ઞાનિક સમજ આપવાના પ્રયાસ કરીને આજીવન કારાવાસની સજા વહોરી લીધી હતી. આપણે ત્યાં ગૌતમ બુદ્ધે કર્મ, પૂર્વજન્મ કે આત્માની અમરતાને માનવાનો ઇનકાર કરીને હિન્દુ દાર્શનિકોનો રોષ વહોરી લીધો હતો અને ‘નાસ્તિક’ના લેબલ સાથે તે ભારતમાંથી નિષ્કાષિત થયા હતા. બૌદ્ધિક ઋષિ પરંપરામાં ચાર્વાકે પારલૌકિક સત્તાનો ઇન્કાર કરીને પ્રત્યક્ષ પ્રમાણનો આગ્રહ રાખ્યો હતો. આર્યભટ્ટે જો તત્કાલીન રાજવી જ્યોતિષીઓના મત-માન્યતાઓનો વિરોધ કર્યો ન હોત, તો ગેલીલિયોથી હજાર વર્ષ પહેલાં એ સાબિત કરી શક્યા ન હોત કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે.

ઇન ફેક્ટ, લોકતાંત્રિક રાજવ્યવસ્થાનો આખો વિચાર જ અભિવ્યક્તિની આઝાદીમાંથી આવ્યો છે. માણસે અભિવ્યક્તિની આઝાદીને મહત્ત્વ ન આપ્યું હોત, તો લોકતંત્રનો જન્મ જ થયો ન હોત. લોકતંત્ર વિચાર અને પ્રતિવિચારથી મજબૂત થાય છે, પરંતુ વિચારોની સ્વતંત્રતા દુનિયાભરમાં જોખમમાં છે. સરકારો આઝાદ ખયાલીને પોષતી દરેક જગ્યા પર અંકુશ મૂકી રહી છે, પછી એ યુનિવર્સિટીઓ હોય, મીડિયા હોય કે સાહિત્ય-કળા-સિનેમા હોય.

સરકારોને ઝૂકવાનું કહે તો સાષ્ટાંગ દંડવત્‌ કરવાવાળા હંમેશાં ગમે છે, અને એ મળતા પણ રહે છે. કેમ? સાષ્ટાંગ દંડવત્‌ કરવાની બીજી એક વાસ્તવિકતા એ છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ એકવાર ફરિયાદ કરી કે એની આજુબાજુ ચમચાઓ અને જૂઠું બોલનારાઓ જ છે. ચાણક્યએ હસીને કહ્યું, રાજા હોવાનો એ શાપ છે. રાજાના હાથમાં તલવાર હોય છે, અને બધાને એ તલવારની બીક લાગે છે, ખબર નહીં કઇ બાજુ વીંઝાઇ જાય! એટલે રાજાના આવેગ અને વિચારોથી બચવા એ લોકો ચાપલૂસી કરે છે. હા, તમને એ ગમતા નથી, પણ એમને પેદા કોણે કર્યા? તમારી રાજાશાહીએ.

સૌજન્ય : ‘મોર્નિંગ મ્યૂસિંગ’ નામક લેખકની કોલમ, ‘ઉત્સવ’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 ઑક્ટોબર 2021

https://www.bombaysamachar.com/article/excellent-university-work-like-socrates-to-the-people-to-harass

Loading

જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 October 2021

આપણે બે વાતની ચર્ચા કરી રહ્યા છીએ. એક, શા માટે જેઓ મૌલિક અને મેધાવી છે એ લોકો આસ્તિક હોવા છતાં, શ્રદ્ધાળુ હોવા છતાં, કેટલીકવાર ધાર્મિક હોવા છતાં ધાર્મિક કોમવાદી ઓળખ નથી અપનાવતા? એટલું જ નહીં, પણ જે લોકો ધર્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને અન્ય પ્રાચ્યવિદ્યાઓનો અભ્યાસ કરે છે કે કર્યો છે એવા લોકો પણ ધાર્મિક કોમવાદથી દૂર રહ્યા છે.

બે, જે લોકો ધાર્મિક કોમી ઓળખ ધરાવે છે એ લોકોનું સત્તાના રાજકારણને છોડીને બીજા કોઈ ક્ષેત્રમાં કોઈ યોગદાન જોવા નહીં મળે. જો થોડુંક ક્યાંક મળી આવશે તો એ પણ ફૂહડ પ્રકારનું હશે. અહીં જ એક વાત સ્પષ્ટ કરી દેવી જોઈએ કે જે લોકો સત્તાના રાજકારણમાં સફળ છે કે થયા છે એ લોકો માત્ર ધાર્મિક કોમી રાજકારણ કરે છે, તેમનું અંગત જીવન જુદું છે. મહમદઅલી ઝીણા, સાવરકર, અડવાણી અને સુબ્રમણ્યમ્‌ સ્વામી આનાં ઉદાહરણ છે. જગતમાં આવાં બીજાં અનેક ઉદાહરણ મળી આવશે.

શા માટે? કારણ કે ધાર્મિક કોમી માનસ મેધા અને મૌલિકતાને કુંઠિત કરે છે. ગયા સપ્તાહના લેખમાં કહ્યું હતું એમ ધાર્મિક કોમી માનસ ધરાવતા લોકોમાં છ લક્ષણો એવાં જોવાં મળશે જેની ઉપસ્થિતિમાં મેધા અને મૌલિકતા વિકસી જ ન શકે, ખીલવાની વાત તો બાજુએ રહી. આગળ વધતા પહેલાં એ છ લક્ષણો ફરી નોંધી લઈએ :

૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.

૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.

૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.

૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ ટીકાકાર ઉપર અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.

૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.

૬. જૂનવાણી વિચાર અને વર્તણુક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

***

પાતંજલ યોગસૂત્રમાં બીજું (અને ખરું પૂછો તો વિષયપ્રવેશના પહેલા સૂત્ર પછીનું પહેલું જ) સૂત્ર છે:  योग: चित्तवृत्ति निरोध: ચિત્તની વૃત્તિઓને રોકે, વારે એ યોગ.

આગળ વધતા પહેલાં આ વૃત્તિઓ શું છે એ સમજી લઈએ. બીજા અન્ય પશુઓ અને પક્ષીઓની સરખામણીમાં માનવી સ્મરણશક્તિ અનેકગણી ધરાવે છે. સારા-માઠા અનુભવો માનવી ચિત્તમાં સંઘરી રાખે છે. એ અનુભવજન્ય સ્મરણ આગળ જતાં સંસ્કાર અને પછી વૃત્તિમાં પરિવર્તિત થાય છે. ધીરેધીરે એ વૃત્તિઓ ચિત્તમાં ઘર કરવા માંડે છે અને ઘનીભૂત થવા લાગે છે. એ એટલી હદે ઘનીભૂત થાય છે કે તે માનવીના વ્યવહારને પ્રભાવિત કરે છે. આવો માનવી વૃત્તિગ્રસ્ત થતો જાય છે એટલે સ્વાભાવિકપણે વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે. દૂર ભાગે છે એમ કહેવું પણ ખોટું છે, તે વર્તમાનમાં પ્રવેશી જ શકતો નથી, તેનું ચિત્ત વૃત્તિઓમાં જ રમ્યા કરે છે. તેને ધીરેધીરે તેમાં  સુખનો અનુભવ થવા લાગે છે. અતીતની પીડામાં પણ તે સુખ અનુભવે છે અને પ્રતિશોધ અર્થાત્ વેરવૃત્તિમાં પણ તે સુખનો અનુભવ કરે છે.

વૃત્તિઓમાં બે વૃત્તિ પ્રબળ હોય છે. એક સ્થૂળ વિષયસુખ અને બીજો ભય. આને લગતા જે અનુભવો થયા હોય કે કાંઈ સાંભળ્યું હોય એ વૃત્તિ બનીને ચિત્તમાં ઘર કરી જાય છે. માણસ સતત વિષયસુખના મીઠા વિચારોને અને અનુભવેલી પીડાને વાગોળતો રહે છે. જેટલું વાગોળવાનું પ્રમાણ વધારે એટલું વર્તમાનથી દૂર થવાનું પ્રમાણ વધારે. કલાપીએ કહ્યું છે, ‘માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાવો’, તો મનને સુખ આપે એવા મીઠા વિચારો કરતો, ભૂતકાળનાં જખમો અને પીડાઓને ખોતરીખોતરીને રૂઝાવા નહીં દેનારો અને માણેલું સુખ પાછું ભોગવવાના કે પીડા આપનાર સામે વેર વાળવાનાં સપનાં જોતો માનવી તમને ક્યારે ય વર્તમાનમાં જીવતો જોવા નહીં મળે. એ શક્ય જ નથી. જેમ અંધકાર અને પ્રકાશ સાથે ન રહી શકે એમ ભૂત અને ભવિષ્ય વર્તમાનની સાથે ન રહી શકે.

અને પુરુષાર્થને વર્તમાન સાથે સંબંધ છે. એ પુરુષાર્થ મોક્ષ માટેનો હોય કે ભૌતિક સિદ્ધિ અને સુખ માટેનો હોય, એ વર્તમાનમાં જ હાંસલ કરી શકાય. પુરુષાર્થને ભૂત અને ભવિષ્ય સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી. માટે ભગવાન પતંજલિએ કહ્યું છે કે યોગ એ છે જે ચિત્તની વૃત્તિઓને નિરોધે. તેને રોકે, તેને વારે અને તેનું શમન કરે. આ જરૂરી છે, કારણ કે જિંદગીને માત્ર અને માત્ર વર્તમાન જ સાર્થક કરી શકે, ભૂત અને ભવિષ્ય ન કરી શકે. વેદકાલીન ઋષીઓથી લઈને સ્વામી વિવેકાનંદ જેવા મેધાવીઓએ વર્તમાનમાં જીવીને જીવતર સાર્થક કર્યું હતું માટે આજે આપણે તેમના માટે ગૌરવ અનુભવીએ છીએ. જો તેઓ ભૂતકાળની મીઠી દાસ્તાનો યાદ કરીને, જખમોને જીવતા રાખીને રડતા રહીને અને મહાન ભવિષ્યનાં સપનાં જોતાં રહીને જીવ્યા હોત તો તેઓ મહાન ન થયા હોત. પતંજલિ કહે છે કે તમારે જો તમારા જીવતરને સાર્થક કરવું હોય તો વર્તમાનમાં જીવવું પડશે અને તમારા ચિત્તમાં બેઠેલી અને વિચારી-વિચારીને ઘનીભૂત કરેલી વૃત્તિઓ તેમાં બાધક છે. બાધક શું રસ્તામાં મોટો પહાડ છે જેને તમારે ઓળંગવાનો છે. આયખું એક જ મળ્યું છે. નિર્ણય તમારે લેવાનો છે. વૃત્તિગ્રસ્ત બનીને એટલે કે વૃત્તિઓનો શિકાર બનીને તેને તમારે વેડફવું છે કે પછી પુરુષાર્થ કરીને તેને સાર્થક કરવું છે? જો તમે જીવન સાર્થક કરવા પુરુષાર્થનો વિકલ્પ પસંદ કરવાના હો તો એને માટે તમારે વર્તમાનમાં જીવવું પડશે, બીજો કોઈ વિક્પ જ નથી અને જો વર્તમાનમાં જીવવું હોય તો વૃત્તિઓથી મુક્ત થવું પડશે.

યોગ આ છે. બાબા રામદેવ યોગના નામે જે કસરત કરાવે છે એ યોગ નથી. પણ એટલું માનવું પડે કે બાબા રામદેવ પોતે પુરુષાર્થી છે. એ લોકોને ભવ્ય ભૂતકાળનો વારસો યાદ કરાવીને અને એ વારસાને પાછો જીવતો કરવાના ભવિષ્યનાં સપનાં બતાવીને વર્તમાનમાં ધંધો કરે છે. માદળિયાં બંધાવનારાઓ અને ઝાડફૂંક કરનારા બંગાળી બાબાઓ પણ વર્તમાનમાં જીવે છે અને ડરેલાઓને તેમ જ લાલચ ધરાવનારાઓને ભૂત અને ભવિષ્યમાં રાખે છે. મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં વૃત્તિઓનું નિરોધન કઈ રીતે કરી શકાય અને એ દ્વારા વૃત્તિમુક્ત થઈને વર્તમાનમાં પુરુષાર્થી કઈ રીતે થઈ શકાય તેની પ્રક્રિયા બતાવી છે.

મહર્ષિ પતંજલિ એક છેડે છે તો બીજા છેડે એવા લોકો પણ છે જે માનવી વર્તમાનમાં ન પ્રવેશે એમાં સ્વાર્થ ભાળે છે. જેમ પતંજલિએ માનવીને વર્તમાનમાં લઈ આવવાની પ્રક્રિયા વિકસાવી છે એમ બીજા છેડાના લોકોએ માનવી ભૂત અને ભવિષ્યના વિચારો કરતો વૃત્તિગ્રસ્ત બનીને આયખું વિતાવે એની પ્રક્રિયા વિકસાવી છે. વર્તમાનમાં જીવતા મુક્ત અને પુરુષાર્થીને ટોળાંમાં ફેરવી ન શકાય, તેને વાપરી ન શકાય અને તેમને તેનો ઉપયોગ કરવો છે.

એ કેવી પ્રક્રિયા છે એની વાત હવે પછી.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 ઑક્ટોબર 2021

Loading

પર્યાવરણની કટોકટીને કારણે ચાર ધામ યાત્રા સ્વધામ યાત્રામાં ફેરવાઇ જાય તેવી આફત આવી પડી

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|24 October 2021

કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ, તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે

મોક્ષના દ્વાર ખૂલે, બધા પાપ ધોવાઇ જાય એ માટે ચાર ધામની યાત્રા હિંદુ સંસ્કૃતિમાં લાંબા સમયથી અગત્યની રહી છે.  બદ્રીનાથ, દ્વારકા, પુરી અને રામેશ્વરમ્‌ – આ ચારેય ધામની યાત્રા હિંદુઓએ કરવી જ રહી એવું આદિ શંકરાચાર્યએ કહ્યું છે. વળી ઉત્તરા ખંડમાં યમનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથને છોટા ચારધામ કહેવાય છે અને ચાર દિશાના ચાર ધામ કરતાં આ છોટા ચારધામની યાત્રાનું મહત્ત્વ ક્યારે ય ઘટ્યું નથી.  શિયાળામાં બરફને કારણે આ ચાર ધામ બંધ રહેતા હોય છે, અને છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉત્તરા ખંડમાં આવેલા આ છોટા ચાર ધામના પર્યાવરણની એવી વલે થઇ છે કે ચાર ધામમાં મોક્ષના દરવાજાનો માર્ગ તો ખુલતાં ખુલશે પણ સ્વધામનો દરવાજો જ ફટાક દઇને ખૂલી જાય તેવી દહેશત શ્રદ્ધાળુઓમાં ફેલાઇ છે.  ૨૦૧૬માં વડા પ્રધાને આ ઉત્તરા ખંડમાં આવેલા આ ચારેય ધામ વચ્ચે કનેક્ટિવીટી વધે એટલે ચાર ધામ હાઇ વે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

વાઇરસના ભરડામાં જરા હળવાશ અનુભવાઇ, એટલે ‘ફુલ્લી વેક્સિનેટેડ’ શ્રદ્ધાળુઓએ તો ઉત્તરા ખંડ જવાના પ્લાન બનાવ્યા. ટુરિઝમ ઇન્ડસ્ટ્રી તો વાઇરસને કારણે વેન્ટિલેટર પર છે જ પણ વેક્સિનેશનને કારણે અને લોકોમાં વાઇરસનો ભય જરા ઘટવાને કારણે (જો કે ગુજરાતીઓએ તો બહુ પહેલાં જ વાઇરસને ‘ઠીક હવે’-વાળું સર્ટિફિકેટ આપી દીધું હતું.) ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં જરા હલચલ થઇ. છેલ્લા એક અઠવાડિયાં નૈનિતાલ અને તેની આસપાસના જિલ્લાઓમાં વરસાદે જે હાલત કરી છે, તેમાં ક્લાઇમેટ ક્રાઇસિસ – શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો પર્યાવરણીય કટોકટીની ગંભીરતાનો વરવો ચહેરો અને પ્રભાવ આપણે ફરી એકવાર વેઠ્યો છે.

કુદરતી આફતોની તીવ્રતા સમયાંતરે વધતી ચાલી છે. ગમે કે ન ગમે પણ વાસ્તવિકતા એ છે કે આ બધી કુદરતી આફતો ખરેખર તો માનવ સર્જીત જ છે. આ ક્લાઇમેટ ઇમર્જન્સીને જો ગંભીરતાથી નહીં લેવાય તો શું વલે થઇ શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. વળી આ હાલત માત્ર ઉત્તરા ખંડમાં જ છે તેમ નથી, કેરળમાં પણ ઘર ધસી પડ્યાં છે તો આસામમાં તો ફ્લેશ ફ્લડ્ઝ, જંગલી પ્રાણીઓની અવદશા વિશે આપણે અગાઉ વિગતવાર વાત કરી છે. છેલ્લા ચાર દિવસમાં થયેલા મોતના આંકડા અગાઉ મૃત્યુ પામેલાની યાદીમાં ઉમેરો છે.  હિમાલયમાં ગ્લેસિયર્સનું પીગળવું, દરિયાની સપાટી ઉપર આવવી, તીવ્ર ટ્રોપિકલ તોફાનો, પૂર અને અંધાધૂંધ વરસાદ વિશે ઇન્ટરગવર્મેન્ટ પેનલે તો પહેલાં જ આગાહી કરી હતી પણ મને ખાતરી છે કે આવી આગાહીઓ તો પહેલાં પણ થઇ હશે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ખડા થતા ચક્રવાતી તોફાનો દેશ આખામાં ખડી થયેલી પર્યાવરણીય આફતનું કારણ છે. આમ જોવા જઇએ તો જેને પર્યાવરણવિદ્ ‘રિટ્રીટીંગ મોનસૂન’ કહે છે તે સંજોગોમાં કેરળ અને ઉત્તરા ખંડમાં વરસાદ થયો છે જે કુદરતી ચક્રનો ભાગ છે પણ વરસાદની તીવ્રતા કોઇ ભોગે સાધારણ માની શકાય તેવી નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે કુદરતી આફતોનું પ્રમાણ વધ્યું છે તે જો આપણે એક રાષ્ટ્ર તરીકે ક્લાઇમેટને સંતુલિત કરવાના લક્ષ્ય પર ધ્યાન આપવાનો સમય ક્યારનો ય પાકી ગયો છે. જાનમાલનું નુકસાન થાય જેની અસર ફુડ સિક્યોરિટી પર પણ પડે. અંગ્રેજીમાં જેને ‘ડોમિનો ઇફેક્ટ’ કહીએ છીએ આ એવી જ કંઇ વાત છે, કે એક તરફ કંઇક ઘટના ઘટે તેનો પ્રભાવ એક પછી એક બાબતો પર, જોડાયેલી કડીઓની માફક પડતો જાય.  હવાનું પ્રદૂષણ, આકરી ગરમી વગેરેને કારણે દરિયાના પાણીનું તાપમાન પણ વધે જે તોફાનોને વધુ ચક્રવાતી બનાવે.

અત્યારે ભારતના ૭૫ ટકા જેટલા જિલ્લાઓ આકરા મોસમનો ભોગ બની ચૂક્યા છે અને બનતા રહેશે. ચાળીસ ટકાથી વધુ જિલ્લાઓમાં પર્યાવરણીય અસંતુલન થયું છે જેમ કે જ્યાં પૂર આવતાં હતાં ત્યાં હવે દુકાળ જેવા સંજોગો થાય છે, અને જ્યાં દુકાળ પડતો ત્યાં અતિવૃષ્ટિ થાય છે. વૈશ્વિક સ્તરે બદલાતી આબોહવા પણ અચોક્કસ વરસાદ પર અસર કરે છે.  ઉનાળામાં દરિયાઇ બરફ પીગળે એટલે ચોમાસું પાછું ખેંચાય પણ જતા જતા ઝપાટો બોલાવીને જાય. માત્ર ભારતની જ વાત કરીએ તો જે ખેડૂતો જી.ડી.પી.માં ૧૬થી ૨૦ ટકા જેટલું યોગદાન આપે છે, તેમાં નિયમિતતા રહે તેવી શક્યતાઓ ઓછી છે, કારણ કે વરસાદની અચોક્કસતાને પગલે તેઓ પાક અંગે કોઇ જ યોગ્ય પ્લાનિંગ નથી કરી શકતા. 

કોરોના વાઇરસના રોગચાળાને પગલે આપણે ન્યુ નોર્મલ શબ્દનો ઉપયોગ કરતાં શીખી ગયા પણ કમનસીબે મોસમની અરાજકતા અને અંધાધૂંધી પણ આપણા દેશ માટે ન્યુ નોર્મલ બની ગયાં છે.  ક્યાંક વાદળ ફાટે છે, ભેખડો ધસે છે તો ક્યાંક સાવ સૂકું ચોમાસું જાય છે.  હવામાન ખાતું વરસાદને માટે ભલે જે આગાહી કરે પણ સરેરાશ આંકડા તોફાનોમાં ધોવાઇ જાય છે.  જૂનમાં ધમધોકાર શરૂ થતો વરસાદ જુલાઇ અને ઑગસ્ટમાં ગાયબ થઇ જાય છે અને પછી ચોમાસાની ઋતુ જવાનો વખત થાય ત્યાં તોફાનો, ચક્રવાત, પૂર જેવા સંજોગો ખડા થાય. ચોમાસાની ઋતુમાં કોઇ સાતત્ય જ નથી, તેમાં દર મહિને કે પંદર દિવસે ફેરફાર આવતા રહે છે.  બદલાતા મોસમની અસર દેશના અર્થતંત્ર પર, ખેડૂતોની જિંદગીઓ પર, પાણીની સ્થિતિ પર પણ પડે છે. મોસમમાં આવી તીવ્ર સ્થિતિ થવા પાછળ એક માત્ર કારણ હોય છે ક્લાઇમેટ ચેન્જ! પશ્ચિમી હિમાલયના પ્રદેશોમાં અતિવૃષ્ટિ તો દક્ષિણમાં વરસાદનું કોઇ નામોનિશાન નહોતું.  એક સંશોધન અનુસાર ટૂંક ગાળાનો અને આકરો વરસાદ વૈશ્વિક સ્તરે વિસ્તરતી સ્થિતિ છે. ક્લાઇમેટમાં ગરમી વધતી જશે તેમ તેમ વાદળ ફાટવાના બનાવો પણ અવારનવાર બનશે.

આ જ સંજોગો રહ્યા તો ચાર ધામ યાત્રા સ્વધામનું સરનામું બની જાય તેવી હાલત થતી રહેશે અને હિંદુ શાસ્ત્રોમાં જે સ્થળોનું મહત્ત્વ છે, અર્થતંત્ર માટે જે પ્રદેશો અગત્યનાં છે તેની હાલત વખતો વખત બદતર થતી જશે.

બાય ધી વેઃ

સરકારના અભિગમની વાત કરીએ તો ટૂંકા ગાળાના લાભ ખાટવામાં લાંબા ગાળાનું વિચારવાનું ચૂકી જવાય છે. ઇલેક્ટ્રીક વાહનોની રેસમાં આગળ આવવા પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. પર્યાવરણને કોઇ અગ્રિમતા અપાતી નથી. પીગળી રહેલાં ગ્લેશિયર્સ, વાદળોનું ફાટવું, અંધાધૂંધ વરસાદ સામે પગલાં લેવા હશે તો આપણે કુદરતને એક મિલકત – એક એસેટ તરીકે જોવી પડશે તો જ તેના સાચા રસ્તા મળી શકશે. નદીઓ જળવાય, જંગલો જળવાય, પહાડી વિસ્તારો પણ જળવાય – અહીં ક્યાં ય ‘એનક્રોચમેન્ટ’ ન થાય તે જોવાની જવાબદારી સરકારની છે, પણ માળું આપણે ત્યાં મોટું માથું નર્મદાની મુલાકાતે જવાનું હોય તો મગરોનાં સરનામાં બદલી દેવાય છે એમાં પર્યાવરણની ચિંતા ક્યારે થશે તે વિચારવું રહ્યું. કુદરતને અગત્યના સ્રોત તરીકે જોઇ તેની જાળવણી સલામતી માટે થાય તે જરૂરી છે પ્રગતિને નામે કુદરતનું નિંકદન નિકળશે તો જિંદગીઓનો આમ જ કચ્ચરઘાણ વળી જશે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  24 ઑક્ટોબર 2021

Loading

...102030...1,8311,8321,8331,834...1,8401,8501,860...

Search by

Opinion

  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે
  • ચલ મન મુંબઈ નગરી—347

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved