Opinion Magazine
Number of visits: 9674760
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટાગોરનો અને બલરાજ સહાનીનો કાબુલીવાલા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 September 2021

અફઘાનિસ્તાનમાં હિન્દી સિનેમાના દર્શકો ઘણા છે. ૧૯૯૦ના દાયકા સુધી બોલીવૂડ માટે અફઘાનિસ્તાન એક મોટું માર્કેટ હતું. ત્યાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે પણ કાબુલ અને મજારે-શરીફનાં થિયેટરોમાં હિન્દી ફિલ્મો હાઉસફુલ જતી હતી. 'ઇન સર્ચ ઓફ ન્યુ અફઘાનિસ્તાન' નામના પુસ્તકમાં લેખક સુરજીત સરકાર લખે છે કે, "ત્યાંના પ્રદેશોમાં માથાકૂટો વચ્ચે પણ બોલીવૂડનો પ્રભાવ પૂરા અફઘાનિસ્તાન પર સાફ દેખાય છે. ભારતીય ઉપમહાદ્વીપ સાથે ઘેરો સાંસ્કૃતિક સંબંધ હોવાના કારણે બોલીવૂડ ફિલ્મો ત્યાં ઘણી લોકપ્રિય છે."

એ જ કારણ છે કે હિન્દી સિનેમાના સર્જકો અવારનવાર અફઘાનિસ્તાનને તેમની ફિલ્મોનો વિષય પણ બનાવતા રહ્યા છે. એમાં ફિરોઝખાનની 'ધર્માત્મા' (૧૯૭૫), અમિતાભ બચ્ચનની 'ખુદા ગવાહ' (૧૯૯૨), ફિરોઝખાનની જ 'જાનશીન' (૨૦૦૩), કબીર ખાનની 'કાબુલ એકપ્રેસ' (૨૦૦૬), સૈફ અલી ખાનની 'એજન્ટ વિનોદ' (૨૦૧૨) અને સંજય દત્તની 'તોડબાઝ'(૨૦૨૦)માં અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ હતી.

આઝાદ ભારતના લોકોને અફઘાનિસ્તાનનો પહેલો પરિચય થયો 'કાબુલીવાલા'થી. ૧૯૫૭માં એ નામથી તપન સિંહાએ બંગાળીમાં ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ એટલી લોકપ્રિય થઇ કે બંગાળી ડિરેક્ટર હેમેન ગુપ્તાએ બલરાજ સહાનીને લઈને હિન્દીમાં 'કાબુલીવાલા' બનાવી હતી.

અફઘાનીસ્તાનના પઠાણ લોકો અત્યંત વિશ્વાસપાત્ર અને દયાળુ હોય છે તેવી ભારતના લોકોમાં જે છાપ છે, તે ઊભી કરવાનું શ્રેય જાય છે 'કાબુલીવાલા'ને. પ્રકાશ મહેરાએ 'ઝંઝીર' ફિલ્મમાં આવી છાપ પરથી જ શેરખાન(પ્રાણ)નું પાત્ર ઊભું કર્યું હતું, જે બહાદુર પણ છે અને વફાદાર પણ છે.

આ હેમેન ગુપ્તા કલકત્તામાં અંગ્રેજો સામે વિદ્રોહ કરવા બદલ જેલમાં પુરાયા હતા અને જેલમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો હતો. જેલમાંથી છૂટીને તે સુભાષ ચંદ્ર બોઝના અંગત સચિવ બન્યા હતા. ૧૯૩૯માં તે કલકત્તાના ન્યુ થિયેટર ફિલ્મ સ્ટુડીઓમાં હેલ્પર તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં તેમણે ‘દ્વંદ્વ’નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. બંગાળમાં તેમણે મોટા ભાગની ફિલ્મો આઝાદીની ચળવળ પર બનાવી હતી.

મુંબઈમાં આવ્યા પછી, ૧૯૫૨માં તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી પૃથ્વીરાજ કપૂર અને ગીતા બાલીને લઈને 'આનંદમઠ' નામની યાદગાર ફિલ્મ બનાવી હતી. એ તેમની પહેલી હિન્દી ફિલ્મ. બંકિમચંદ્રએ જ લખેલું અને પૂરા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રેરણાદાયી રહેલું 'વંદે માતરમ' ગીત 'આનંદમઠ'માં ગીતા રોયે ગાયું હતું. ૧૯૬૬માં તેમની છેલ્લી ફિલ્મ સુભાષ ચંદ્ર બોઝ પર હતી.

કહે છે કે દરેક ફિલ્મ સર્જક તેની કારકિર્દીમાં એક ફિલ્મ એવી બનાવે છે, જે તેને સિનેમાના ઇતિહાસમાં અમર બનાવી દે છે. હેમેન ગુપ્તાની કારકિર્દીમાં ‘કાબુલીવાલા’ એ સીમાચિહ્ન હતું. કરુણાનું જો કોઈ નામ પાડવામાં આવે તો તેને ‘કાબુલીવાલા’ કહેવામાં આવે. કાબુલથી એક પઠાણ સૂકો મેવો વેચવા માટે કલકત્તા આવે અને વતનમાં તેની રાહ જોતી દીકરીના વિરહમાં બંગાળી પરિવારની પાંચ વર્ષની મિની સાથે સ્નેહના તાંતણે બંધાઈ જાય તે કહાની એટલી સાદી પણ મર્મસ્પર્શી હતી કે બંગાળી-હિન્દી સિનેમાના બે દિગ્ગજ સર્જકોને તેના પરથી યાદગાર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી.

‘કાબુલીવાલા, કાબુલીવાલા, તુમ્હારી થૈલી મેં ક્યા હૈ?’ મિનીના એ શબ્દો કાયમ માટે એ લોકોની સ્મૃતિમાં જડાયેલા છે જેમણે રવીન્દ્રનાથ ટાગોરની આ વાર્તા વાંચી હશે. ટાગોરે ૧૮૮૨માં, તેમના બંગાળી મેગેઝીન ‘સાધના’ માટે આ વાર્તા લખી હતી. એક જમાનામાં આ વાર્તા ભારતની મોટા ભાગની સ્કૂલોના અભ્યાસક્રમમાં હતી. વાર્તા કૈંક આવી હતી :

રહમત નામનો પઠાણ પૈસા કમાવા માટે તેની મા વગરની દીકરી અમીનાને દાદી પાસે મૂકીને ભારત આવે છે. અમીના તેને જવા દેતી નથી, પણ પઠાણ બળજબરીથી નીકળી જાય છે અને યાદગીરી રૂપે અખબારના પાના પર દીકરીના હાથની છાપ સાથે લઇ જાય છે. કલકત્તામાં એ ઘેર-ઘેરફરીને સૂકો માવો વેચે છે, પણ તેનો દેખાવ એવો છે લોકો ‘બાવો તને પકડી જશે’ કહીને તેમનાં સંતાનોને તેનાથી બીવડાવે છે.

જો કે એક સ્થાનિક લેખકની દીકરી મિનીને ‘બાબા’ની બીક નથી લાગતી અને તે પઠાણ સાથે દોસ્તી કરે છે. મિનીને બહુ બોલવા જોઈએ છીએ અને પઠાણ પ્રેમથી તેની બકબક સાંભળે છે. પઠાણ તેને સૂકો માવો આપે છે, તેની તૂટેલી ઢીંગલી સાંધી આપે છે અને તેને અવનવી વાર્તાઓ કહે છે. ધંધો કર્યા પછી પઠાણ પાછા વતન જવાની તૈયારી કરે છે અને તેની પાસેથી કબુલની શાલ ખરીદનાર પાસેથી ઉધારીના પૈસા લેવા જાય છે. પેલો પૈસા આપવાને બદલે પઠાણ અને તેના પરિવારને ગાળાગાળી કરે છે. ગુસ્સે અને અપમાનિત થયેલા પઠાણથી અકસ્માતે તેનું ખૂન થઇ જાય છે.

પોલીસ પઠાણને પકડી લે છે. કોર્ટમાં સરકારી વકીલ પઠાણને ખોટું બોલવાની સલાહ આપે છે, પણ પઠાણ જજ સામે જે થયું હતું તે કહી દે છે. તેની ઈમાનદારીથી ખુશ થઈને જજ તેને ફાંસીને બદલે ૧૦ વર્ષની કેદની સજા કરે છે. પઠાણ તેની દીકરી અમીના અને મિનીની યાદમાં કેદ ભોગવે છે. જેલમાંથી નીકળીને તે મિનીને મળવા જાય છે, પણ મિની હવે મોટી થઇ ગઈ છે, અને પઠાણને ભૂલી ગઈ છે. પઠાણને આઘાત લાગી જાય છે, ખાસ તો એવી બીકથી કે તેની દીકરી અમીના પણ તેને ભૂલી નહીં ગઈ હોય ને?

પઠાણને હવે જલદીથી વતન જવું છે, પણ તેની પાસે પૈસા નથી. જો કે મિનીનો પિતા તેને મદદ કરે છે અને અંતે પઠાણ અમીનાને મળવા માટે અફઘાનિસ્તાન જવા રવાના થાય છે. ટાગોરની વાર્તા મિનીના પિતાના મોઢે હતી, અને તેનું પહેલું વાક્ય હતું, “મારી પાંચ વરસની છોકરી મિનીને ઘડીભર બોલ્યા વગર રહેવાતું નથી.” વાર્તાના અંતે છેલ્લું વાક્ય હતું, “મેં થોડાક રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા અને કહ્યું – રહમત! તું તારી દીકરી પાસે દેશ જતો રહે.”

એક સદી પહેલાં લખાયેલી આ વાર્તા એટલી લોકપ્રિય હતી કે તેના પરથી હિન્દી ફિલ્મ ન બને તો જ નવાઈ હતી, અને બિમલ રોયે હેમેન ગુપ્તાના નિર્દેશનમાં ‘કાબુલીવાલા’ને પડદા પર ઉતારી હતી. તેમાં બલરાજ સહાનીએ પઠાણની, બેબી સોનુએ મિનીની, સજ્જન કુમારે (તેની આ છેલ્લી ફિલ્મ) મિનીના પિતાની, ઉષા કિરણે મિનીની માતાની અને બેબી ફરીદાએ પઠાણની દીકરી અમીનાની ભૂમિકા કરી હતી. વાર્તા સજ્જન(ફિલ્મમાં તેનું એ જ નામ છે)ના મોઢે હતી. પોતે લેખક છે. ઘણા લોકો માને છે કે રવીન્દ્રનાથ ટાગોરે પોતાના પરથી જ સજ્જનના પાત્રની કલ્પના કરી હતી.

ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતી અને ટેકનિકલી એટલી શુદ્ધ ન હતી, પરંતુ બલરાજ સહાનીના શાનદાર અભિનયથી તે યાદગાર બની ગઈ હતી. બલરાજ સહાની અસલી જીવનમાં તેમના માનવતાવાદી અભિગમ માટે જાણીતા હતા અને તેમની ફિલ્મો પણ એ જ ભાવનાની પ્રતિબિંબિત કરતી હતી. આપણે અગાઉ જેની વાત કરી હતી તે ‘ગરમ હવા’ અને ‘કાબુલીવાલા’ બલરાજ સહાનીની કારકિર્દીની બે મહત્ત્વની ફિલ્મો છે.

બીજું, ‘કાબુલીવાલા’નાં બે ગીતો અત્યંત હૃદયસ્પર્શી અને યાદગાર સાબિત થયાં હતાં : ‘અયે મેરે પ્યારે વતન તુજ પે કુરબાન’ અને ‘ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં સે’ આજે પણ સિનેમા પ્રેમીઓની જુબાન પર છે. ગીતકાર-નિર્દેશક ગુલઝારની ગીતકાર તરીકેની કારકિર્દી ‘ગંગા આયે કહાં સે’ ગીતથી થયી હતી. એ વખતે જ તેમણે બિમલ રોયના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ગુલઝાર ૧૦ વર્ષના હતા ત્યારે તેમણે ટાગોરની કવિતા ‘ધ ગાર્ડનર’નો ઉર્દૂ અનુવાદ વાંચ્યો હતો અને ટાગોરના એવા પ્રેમમાં પડી ગયા કે મોટા થતાં સુધીમાં તો ટાગોરનું બધું સર્જન વાંચી નાખ્યું હતું અને તેમની કવિતાઓનો અનુવાદ કર્યો હતો.

મજાની વાત એ છે કે ૨૦૧૭માં, ડેની ડેન્ઝોગ્પાને લઈને દેવ મેઢેકરે ‘કાબુલીવાલા’ની રિમેક ‘બાયોસ્કોપવાલા’ તરીકે કરી ત્યારે તેનાં ગીતો ગુલઝારે જ લખ્યાં હતાં. ફિલ્મના લેખક અને નિર્માતા સુનીલ દોશીએ ત્યારે કહ્યું હતું કે, “ગુલઝાર સાબ ટાગોરના ચાહક છે. ૧૫ વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું માત્ર ટાગોર જ બાળકો અને પરિવારો માટે ઉત્તમ વાર્તાઓ લખી શકે છે.”

‘બાયોસ્કોપવાલા’માં વાર્તા થોડીક બદલવામાં આવી હતી. તેમાં કાબુલનો પઠાણ રેહમત ખાન બાયોસ્કોપમાં બાળકોને સિનેમા બતાવવાનું કામ કરે છે. તેમાં એ તેની દીકરીની ઉંમરની છોકરી મિનીના પરિચયમાં આવે છે. એક દિવસ અચાનક મિની તેની જિંદગીમાંથી ગાયબ થઇ જાય છે. વર્ષો પછી મિની (ગીતાંજલિ થાપા) જ્યારે ફ્રાંસમાં ડોકયુમેન્ટરી ફિલ્મ મેકરનું કામ કરતી હોય છે ત્યારે તેને ખબર પડે છે કે બાળપણમાં તેના પિતાનું અફઘાનિસ્તાનમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ હતું. મિની તેનાં કારણોની તપાસ કરવા અફઘાનિસ્તાન જાય છે અને બાયોસ્કોપવાલાને મળે છે, જે તેને બાળપણમાં વાર્તાઓ કહેતો હતો.

શરૂઆતમાં, ‘બાયોસ્કોપવાલા’માં ડેનીના જ દોસ્ત અમિતાભ બચ્ચનને લેવાની યોજના હતી, પણ કોઈ કારણસર બચ્ચન ન કરી શક્યા એટલે ડેનીએ રેહમતની ભૂમિકા કરી હતી. અગાઉ, ૧૯૯૨માં ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને સ્વાભિમાની બાદશાહ ખાન અને ડેનીએ વફાદાર દોસ્ત ખુદા બક્ષની ભૂમિકા કરી હતી. અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ પરની એ પણ એક અગત્યની ફિલ્મ હતી. તેની વાત ફરી ક્યારેક.

તાલિબાનોની વિજયકૂચથી અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની ૨૦૧૫માં નવી દિલ્હીની મુલકાતે આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારે રવીન્દ્રનાથ ટાગોરનો આભાર માનવો છે. ‘કાબુલીવાલા’એ અમને એક એવી બ્રાન્ડ આપી છે જે લાખો રૂપિયા ખર્ચો તો ય ન મળે. હું તો ટાગોરને વાંચીને જ મોટો થયો છું.”

પ્રગટ : ‘બ્લોક બસ્ટર”, નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 ઑગસ્ટ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—111

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2021

મુંબઈ શહેરનાં સ્મરણો ભીનાં ભીનાં

ઉતારુ કહે ત્યાં ઊભી રહે ઘોડાની ટ્રામ

જ્યારે થિયેટરોમાં લાઉડ સ્પીકર જ નહોતાં

વીર કવિ નર્મદે ‘મારી હકીકત’ લખીને આપણી ભાષામાં આત્મકથા લખવાની પહેલ કરી. ત્યારથી માંડીને આજ સુધીમાં આપણને ઘણી બધી આત્મકથાઓ કે સ્મૃતિકથાઓ મળી છે. તેમાંના ઘણા લેખકોએ મુંબઈ શહેર વિષે લખ્યું છે. એ લેખકોએ પોતાના જમાનાના મુંબઈનો જે આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે તેમાંથી આજે થોડાં અલપઝલપ દૃશ્યો. 

જ્યારે મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

એક જમાનામાં મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

સ્વામી આનંદ એટલે તળપદા શબ્દભંડારના સ્વામી. સ્વામી હતા, પણ શુષ્ક સહેજ પણ નહોતા. એમના જેવું ભાતીગળ, ઘટ્ટ પોત ધરાવતું ગદ્ય બહુ ઓછા લેખકો પાસેથી મળ્યું છે. એક જમાનામાં સ્વામીએ મુંબઈમાં જોયેલી ઘોડાની ટ્રામ. કેવી હતી એ ટ્રામ? સ્વામીના શબ્દોમાં જ જોઈએ.

‘કોટ, કાલબાદેવી, ગિરગામ, ધોબીતળાવ, ભાયખળા, વગેરે મોટા રસ્તાઓ પર ઘોડાની ટ્રામો ચાલતી. રેલ ગાડીના નાના ડબ્બા જેવડી ટ્રામમાં છથી આઠ લાકડાની બાસ્ટીઓ જડેલી હોય. અકેક પર ૪-૫ ઉતારુ બેસે ને ટ્રામને બે ઘોડા ખેંચે. ટ્રામની બેઉ બાજુઓ ખુલ્લી ને નીચે ચડવાનાં ફુટબોર્ડ જડેલાં. ચડવા-ઉતરવા માગનારું ડ્રાઈવરને ‘સબૂર’ કહે. ડ્રાઈવર હાથમાંની લોઢાના સુંવાળા હેન્ડલવાળી લોખંડી બ્રેકને ઘુમરડો દઈને દોડતા ઘોડાઓને રોકે. ઉતારુ ચડી કે ઉતરી જાય એટલે વળી પાછો બ્રેકને છોડીને ઘોડાને ચલાવે. ઘોડા ૨૫-૩૦ ઉતારુ બેઠેલ સ્થિર ઊભેલી ટ્રામને ૧-૨-૩ સખત આંચકા મારીમારીને ગતિમાં મૂકે ને ટ્રામ જમીનસરસા ચોડેલા ખાંચોવાળા લોખંડી પાટા પર ચાલવા માંડ્યા પછી દોડીને તાણવા લાગે. ઘોડા ઊંચી ઓસ્ટ્રેલિયન તોખમના, ને ઘણે ભાગે લશ્કરી લીલામોમાંથી આણેલા. મોટા કદાવર અલમસ્ત હોય, પણ આ ટ્રામોના આંચકા ખમી ખમીને ૨-૪ વરસમાં એમની છાતી તૂટી જાય. તે વખતમાં લોકોમાં અતિ વસમી  અંગમહેનતનું કામ કરનારને માટે ‘બાપડો ટ્રામના ઘોડાની જેમ લાદોડા તાણી તાણીને ટૂટી ગયો’ એવી કહેવત પ્રચલિત હતી.'

— સ્વામી આનંદ

(‘બચપણનાં બાર વરસ’માંથી)

*

મુંબઈ ગમતું હતું, કેમ, તે તો કોણ જાણે

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા લેખક તરીકે સૌથી વધુ ખૂલે અને ખીલે છે તેમની આત્મકથા ‘બાંધ ગઠરિયાં’ શ્રેણીનાં પુસ્તકોમાં. જોઈએ એમની નજરે મુંબઈ.

'આ એ જ મુંબઈ જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. સૂરતમાં ભણતાં છતાં એમ તો ઘણી વાર મુંબઈના આંટા માર્યા હતા. ત્યારે દિવાળી તો મુંબઈની જ. ફટાકડા, હલવો અને રોશની. રાતે રોશનીમાં ચાર કલાકે ગાડી એક મહોલ્લામાંથી બહાર નીકળે. પાનસોપારી, પતાસા, વહીપૂજા, બોણી, લક્ષ્મીપૂજન નાળિયેર, કંકુચોખા, છડી, કાપડના તાકા, સિલિક (સિલ્ક), આલપાકો, વૂલન-ટસોરનાં ભવ્ય ભભકાબંધ કપડાં, રોશની, વાજાં, ફટાકડા, અને મીઠાઈ વગેરેની ચાર દિવસ મુંબઈમાં મોજ ઊડતી. આજની હરકિસનદાસ હોસ્પિટલની જગ્યામાં ‘અલ્હંબ્રા’ સિનેમા ચાલતો, ત્યાં ‘બ્રોકન કોઈન’ની કલેજા ઉથલાવી નાખનારી, દિલ ધડકાવનારી આઠ હપતાની ચાલુ સાઈલન્ટ ફિલમ જોતા. ફિલમમાં સમજ ના પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું, તે ગાળામાં એ એનો તરજૂમો બોલતો. અને નહિ તો પણ, કોઈ લુચ્ચો આદમી કોઈ ઓરતને ઉઠાવી જતો, કોઈ આફત આવતી કે મારામારી થતી, એવી કટોકટીની ઘડીએ એ પણ ઉશ્કેરાઈને બનાવોનું બયાન કરતો. ત્યારે ટોકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ સ્પીકર પણ નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો ત્યારે ખરેખર મજા આવતી. મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે.'

— ચંદ્રવદન મહેતા

(‘બાંધ ગઠરિયાં’માંથી)

*

પુસ્તકોનાં કબાટ લોકો માટે હંમેશાં ખુલ્લાં

આપણી ભાષાની ટૂંકી વાર્તાના ઘડતર અને ચણતરમાં ગુલાબદાસ બ્રોકરનો ફાળો મહત્ત્વનો છે. આત્મકથનાત્મક પુસ્તકોની શ્રેણીમાં તેમની જીવનકથાની સાથોસાથ મુંબઈની વિકાસગાથા પણ આલેખાઈ છે. સાંભળીએ વિલે પાર્લેના એક અનોખા પુસ્તકપ્રેમીની વાત.

‘વિલે પાર્લેના સ્ટેશન રોડ ઉપર એક ગૃહસ્થ એવા રહેતા હતા કે એ પોતે જ એક સંસ્થારૂપ બની ગયા હતા. એમનું નામ હતું દશરથલાલ જોશી. બર્મામાં એ પહેલાં રહેતા પણ પછી નિવૃત્ત થઈને વિલે પાર્લેમાં સ્થાયી થવા આવ્યા હતા. એમણે પોતે એક સરસ મકાન બાંધ્યું હતું. અને એ જમાનાની ભાવનાને અનુરૂપ એને ‘લિબર્ટી લોજ’ જેવું પ્રેરક નામ આપ્યું હતું. એ દશરથભાઈ પુસ્તકોના ગજબ શોખીન. એ જમાનામાં એમની પાસે લાખેક રૂપિયાનાં પુસ્તક હશે. એ ૧૯૩૩-૩૪ની સાલના લાખ રૂપિયાનાં હોં! ને માત્ર એ પુસ્તકોને ઘરમાં ગોંધી રાખી તેનું જ્ઞાન પોતે જ પામવાના શોખીન નહિ. જેને એમાંથી જ્ઞાન મેળવવું હોય તેમને માટે એમના ઘરના દરવાજા અને પુસ્તકોના કબાટ હંમેશાં ખુલ્લા રહેતા. જેને જે જોઈએ એ એમાંથી લઈ જાય. ગમે એવું અપ્રાપ્ય પુસ્તક હોય તો ય કોઈને લઈ જવાની ના નહિ. એ વિશેની એકાદી નોંધ પણ ન રાખે. એમ કરવામાં એમને કંજૂસાઈ પણ લાગે અને સરસ્વતીનો દ્રોહ પણ લાગે.'

— ગુલાબદાસ બ્રોકર

(‘સ્મરણો ભીનાં ભીનાં’માંથી)

*

મુંબઈ ક્રૂર શહેર છે

ચંદ્રકાંત બક્ષી એટલે તેજાબી વિચાર, વાણી અને વર્તન. ‘કાણાને કાણો જ કહીએ’માં માનનારા. પાલણપુર અને કલકત્તાના આશક બક્ષીને મુંબઈ કેવું લાગ્યું?

‘મુંબઈને પણ ઘણા રંગોમાં જોઈ લીધું છે. અહીં હોલસેલ બજારના આડતિયાઓ જેવા મીઠા સ્વભાવના કલાકારો છે. અહીં કલાકારો વેપારી ભાષા બોલે છે. અહીં ઘણા કલાકારો માટે પૈસાદારના હીપ-પોકેટમાં ઘૂસી જવું એ જીવનભરની મહત્ત્વકાંક્ષિત ઇતિ છે. મુંબઈનું હવામાન મૌલિક સર્જન માટે ઉપકારક નથી. ઘણા બધા સંબંધોની ઘણી બધી રેશમી જાળોમાં જ કલાકાર અટવાયા કરે છે. જિન્દગીનાં ખંડિયેરો પાછળ મૂકીને આવેલા માણસ માટે અહીં ઘણું નવું નવું શીખવાનું છે.

મુંબઈ. સમયની જીવલેણ પકડમાં બલખાઈને મૂર્ઝાઈ જતી જવાન ચામડીઓ. ફાઉન્ડેશન ક્રીમનો ચળકાટ. સો રુપિયાની નોટો પર ચીતરેલા આદર્શો. વેજિટેરિયન ગૃહસ્થાશ્રમો. કાળા રંગનું પુણ્ય. નિયોન લાઈટોનો પરાગ. સોનેરી રંગના ઈમ્પોર્ટેડ અમેરિકન ધુમાડાઓ. મારુતિ વેનના સ્લાઇડિંગ દરવાજાની બહારથી શરૂ થતો ઝોપડપટ્ટીનો દેશ. પોતપોતાની આગમાં તડપતા સુખીદુઃખી ધનપતિઓ. ફૂલેલાં વિશેષણો માટેની લૂંટાલૂંટ. રોટી તોડનારી આંગળીઓના કાળા નખ. સડકો પર યારીની હવા. તાજી રાખ અને ચીમલાયેલાં ફૂલો અને બાળકોના પસીનાની વાસથી ફાટતી રાત. મુંબઈ ક્રૂર શહેર છે. માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે.'

— ચંદ્રકાન્ત બક્ષી

(‘બક્ષીનામા’ ભાગ ૩માંથી)

*

મહારાજ મેન્શન એટલે જાણે એક સંયુક્ત કુટુંબ

મહારાજ  મેન્શન

સંગીત, નાટક, નૃત્ય, ફિલ્મ, વક્તૃત્ત્વ વગેરેમાં સક્રિય રસ ધરાવતાં પ્રીતિ જરીવાળા મુખ્યત્વે લેખક અને સંપાદક છે. ‘મધ્યાહને સૂર્ય’ નામના પુસ્તકમાં તેમણે ગઈ કાલના મુંબઈના કેટલાક અંશોને ફરી જીવતા જાગતા કર્યા છે. આ પુસ્તકની મદદથી જઈએ ‘મહારાજ મેન્શન.’

અમારું બિલ્ડિંગ મહારાજ મેન્શન એટલે કે જાણે એક સંયુક્ત કુટુંબ. અમારા બિલ્ડિંગનાં નાના-મોટાં અમે સૌ તહેવારો ધામધૂમથી ઉજવીએ. ભાદરવા મહિનામાં ગણપતિ આવે. મારે ઘેર પહેલા માળે, બીજા માળે, અને ત્રીજા માળે ગણપતિ આવે. ગલીમાં મોટા ગણપતિ આવે. ગલીમાં પણ દસેદસ દિવસ વિવિધ કાર્યક્રમો હોય. સવારથી ગલીમાં મોટા અવાજે રેકોર્ડ વાગવાની શરૂ થઈ જાય. ગણપતિને ધરાવવાના લાડુ મમ્મી આગલા દિવસે જ બનાવી લે. પપ્પા રાત જાગીને ગણપતિનું ડેકોરેશન કરે. લાઈટનાં તોરણો પણ હોય. અમે પણ ડેકોરેશનમાં આવડે એવી મદદ કરીએ. સાંજના સાત વાગે એટલે બિલ્ડિંગમાં ઘેર ઘેર કહેવા નીકળીએ, ‘મારે ત્યાં આરતી થાય છે, ચાલો …’ બિલ્ડિંગના એકેએક જણ આરતીમાં આવે. આગળથી બધા કહી જાય ‘આજે અમે પ્રસાદ ધરાવીશું.’ જેના ઘરનો પ્રસાદ હોય તેને ગણપતિની આરતી ઉતારવાનો લહાવો મળે. મારે ઘેર આરતી પૂરી થાય એટલે બીજા માળવાળાં ઉન્નતી અને પ્રત્યુષ ઘોષણા કરે, ‘હવે મારે ત્યાં આરતી થાય છે.’ બીજા માળે, અને પછી ત્રીજા માળે આરતી થાય. આમ એક-બે કલાક તો ત્રણે ઘેર ગણપતિની આરતી કરવામાં જાય. આજે ત્રીસ-ચાલીસ વર્ષ પછી પણ ગણેશોત્સવ દરમ્યાન મારા પિયરના બિલ્ડિંગમાં ગણપતિની આરતી તો થાય છે, પણ હવે કોઈ કોઈના ઘેર આરતીમાં જતું નથી. આરતી માટે કંઈ ટી.વી.ની સિરિયલો જોવાની જતી કરાય?

— પ્રીતિ જરીવાલા

(‘મધ્યાને સૂર્ય’માંથી)

*

અમૃત વાડી : યાદોની વણજાર

મુંબઈની એક ચાલ

કળા અને સાહિત્યનાં પ્રેમી સોનલ વિજય વ્યાસનું પહેલું પુસ્તક ‘ચંદ્રોદય’ તાજેતરમાં પ્રગટ થયું છે જેમાં તેમણે અગાઉ પોતે જ્યાં રહેતાં હતાં એ અમૃતવાડી ચાલ તથા ત્યાંના લોકો અને તેમના જીવનનાં સ્મરણોને વાગોળ્યાં છે. એ પુસ્તકનો એક અંશ.            

મારી ‘અમૃતવાડી’ નામ મનમાં આવે કે યાદોની વણજાર જાણે આવી જાય. આ અમૃતવાડી એટલે મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં વી.પી. રોડ પર આવેલી અમારી વિશાળ ચાલી. મારી અમૃતવાડી અનોખી હતી. તે સમયે આવી ચાલીને ‘માળો’ પણ કહેતાં. અમૃતવાડી બીજી બધી ચાલીઓ કરતાં જૂદી. વચ્ચે ખાસ્સી મોટી વાડી – જગ્યા, અને એની ફરતે રૂમો. બે રૂમો વચ્ચે બારણું. કોઈ કોઈ પોતાના તરફનું બંધ કરે, અને ખૂબ સારો સંબંધ હોય તો ન પણ કરે. અત્યારના લોકો આની કલ્પના પણ ના કરી શકે. બારણું જો કે વાર તહેવારે જ ખૂલે. ચાલીવાળાનાં મનની માફક. કોઈના પણ સારા-માઠા પ્રસંગે એ ખૂલે. કોઈ આનાકાની કે અણગમો નહિ. અને ૧૦ X ૧૦ની ચાર રૂમનો વૈભવ જ વૈભવ.

— સોનલ વિજય વ્યાસ

(ચંદ્રોદય’માંથી)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2021

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (6)

સુમન શાહ|Opinion - Literature|4 September 2021

ટૂંકીવાર્તામાં શું શું હોવું જોઇએ એ અંગે જાત જાતની વાતો અને સલાહો સાંભળવા મળે છે.

પણ ફોડ પાડીને કોઇ ભાગ્યે જ સમજાવે છે, એવી પૂર્વધારણાને કારણે, કે વાર્તાકારો બધું સમજે છે. પણ કોઈ કોઇ વાર્તાકારો સમજવા માગતા જ નથી, એમને એમ હોય છે કે – મારે સલાહની ક્યાં જરૂર છે, મારું તો વરસોથી સરસ મજાનું ચાલે છે … ખૅર …

કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ હોવી જોઈએ. આજે, એની વાત કરું :

૧૩ : ટૂંકીવાર્તામાં પ્રૅગ્નન્ટ મૉમેન્ટ :

પ્રૅગ્નન્ટ હોવું એટલે? કશાકથી સભર હોવું. ગર્ભવતી નારીનો દેહ સભર હોય છે, એમાં માનવજીવ ધબકતો હોય છે, પણ હજી અવતર્યો હોતો નથી. એ ખરું, પણ ગર્ભવતી નારી હમેશાં સ્પૃહા કરવા યોગ્ય હોય છે તેમ જ ઘણી મનોરમ દીસે છે.

ગર્ભવતી

Picture Courtesy : All free Download

એ જ પ્રકારે, વાર્તાની એ ક્ષણ અર્થસભર હોય છે. એ એવી ક્ષણ છે, જ્યાં થઈ ગયું તે અને જે થવાનું છે તે, સાથોસાથ સૂચવાય છે. આગળની વાર્તા, અવતરવાને સળવળતી હોય છે, પણ બધું અસમંજસ અને અકળ રહે છે. પુત્ર કે પુત્રી? – ગર્ભવતીને પણ ક્યાં જાણ હોય છે ! તેમ છતાં, એ ક્ષણે વાર્તા પણ સ્પૃહા કરવા યોગ્ય અને મનોરમ અનુભવાય છે.

એ ક્ષણે ત્યાં વાર્તાપટમાં સૂચક યતિ આવ્યો હોય છે. એને કારણે વાચકમાં કુતૂહલ જાગે છે, વાચકને થાય છે કે વાર્તામાં હવે શું યે થવાનું હશે. સ્પષ્ટતા નથી મળતી. અવરોધ અથવા નાનકડો વિરામ સરજાય છે. એવું લાગે વાર્તા જાણે ત્રિભેટે આવી ઊભી છે, સામે બીજા બે રૂપાળા રસ્તા છે. કથકને નથી સમજાતું કે કયા રસ્તે આગળ ધપવું – ગમતીલી વિમાસણ થાય છે.

એ ક્ષણને નાનકડો વાણીવિરામ કહી શકીએ. રોજિંદા વ્યવહારમાં પણ વ્યક્તિ આપણને વાતનો ઊથલો આપે એ માટે આપણે એને નથી તાકી રહેતા? એ ક્ષણે મૉં આપણું જરા ખુલ્લું રહી ગયેલું નથી હોતું? – લગભગ એના જેવું.

એ બરાબર, પણ વાર્તાકારે એવું શું કર્યું કે ક્ષણ ગર્ભવતી થઈ એ જાણવું બાકી રહે છે. કશો પણ ગર્ભ રાતોરાત નથી બંધાતો, બંધાય તે પૂર્વે કેટલીક ચૉક્કસ ક્રિયાઓ થવી અનિવાર્ય હોય છે. કલામાં એ ક્રિયાઓ સરવાળે તો સર્જનપ્રક્રિયા છે.

કથક

FreeIconsPNG

વાર્તામાં ઊભા કરાયેલા એ નાનકડા વિરામ પછી થનારો સ્ફોટ રસપ્રદ હોય છે. એ પૂર્વે કથકે ક્રમે ક્રમે સ્થળ-કાળની અને પાત્રોનાં વાણી-વર્તનની તેમ જ પરિસ્થિતિની વીગતો આપી હોય છે, જરૂર જેટલી – ન વધુ – ન ઓછી. કથકની હરેક ચાલ સર્જનાત્મક હોય છે. પોતે જે કરતો-કહેતો હોય એમાં વાચકને જોડે, પટાવે, છેતરે ને એમ એને સતત સંડોવતો રહે, તૈયાર કરતો રહે. તાત્પર્ય, વાચકની સહભાગીતાને સંકોરે છે. સહભાગીતા વિના ગર્ભ કેમ કરી બંધાવાનો? વાચક પણ સક્રિય થઈને ધારણાઓ કરે છે કે આગળ હવે આમ થશે, તેમ થશે. જો કે કથક ધાર્યું કરનારો હોય છે એટલે કેટલીયે વાર વાચકની ધારણાને ખોટી પાડે છે. ટૂંકમાં, વાચકને સાથે રાખીને વાર્તાને રચતો રચતો કથક બધું અર્થસભર કરતો રહે છે ને એ પછી આગળની વાર્તાને અવતરવા દે છે.

એ અર્થસભરતા ક્યારે કયા સ્થાને આવતી હોય છે, સામાન્યપણે વાર્તાના અમુક વિકાસ પછી, છતાં, એ વિશે ચૉક્કસ ન કહી શકાય કેમ કે એ, વાર્તાકારે માંડેલી વાર્તા સાથે સંકળાયેલી સર્જકતાનો મામલો છે.

પણ મારે ઉમેરવું છે કે વાર્તામાં મુકાયેલો કલાત્મક અન્ત પણ અર્થગર્ભ હોય છે. પૂરી થયા પછી એ આખી વાર્તા વાચકના ચિત્તમાં આગળ ચાલતી હોય છે.

= = =

(September 4, 2021: USA) 

Loading

...102030...1,8001,8011,8021,803...1,8101,8201,830...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved