Opinion Magazine
Number of visits: 9746312
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસલેખનના પ્રશ્નો

પ્રવીણ ગઢવી|Opinion - Opinion|3 October 2021

વિજ્ઞાન, કોમ્પ્યૂટર, ઈન્ફર્મેશન ટેક્નોલૉજી, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેનો અભ્યાસ શા માટે? દર્શકે કહ્યું છે કે ઇતિહાસ પ્રકાશ અને પ્રેરણા આપે છે, પરંતુ વાસ્તવમાં માણસ ઇતિહાસમાંથી પ્રેરણા કે પ્રકાશ કશું લેતો નથી, ભૂતકાળનો અનુભવ કામમાં લેતો નથી. બલકે ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવાના બદલે તે જ ભૂલો વારંવાર ફરીથી કરે છે. અલબત્ત, દેશના રાજકર્તાઓ અને અધિકારીઓ ઇતિહાસથી અવગત થાય તે ઈચ્છનીય ખરું. અંગ્રેજો આઈ.સી.એસ. થયેલા સનદી અધિકારીઓને લંડનમાં ભારતનો ઇતિહાસ, ધર્મો અને સંસ્કૃતિ ભણાવતા.

પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભારતનો ઇતિહાસ ભણાવવામાં આવે છે. હલદીઘાટીમાં પ્રતાપ જીત્યા હતા, એવા ફેરફારો સરકારો બદલાય ત્યારે ઇતિહાસમાં થતા રહે છે! એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસના પાઠ્યપુસ્તક(જાન્યુઆરી, ૨૦૦૧)માં આર્યોના આગમન કે આક્રમણની વાત જ ઉડાવી દેવામાં આવી છે અને હડપ્પા વિનાશ પછીનાં ૧,૫૦૦ વર્ષમાં સિંધુ તીરે વસતા લોકોએ ઋગ્વેદની રચના કરી, તેવી જ માત્ર નોંધ છે! પછી તરત જ સોળ મહાજનપદો પર ઇતિહાસ ચાલ્યો જાય છે.

કૉલેજમાં પણ ઇતિહાસ એક વિષય તરીકે ભણાવાય છે, પરંતુ તેમાં ચોક્કસ પાઠ્યપુસ્તક નથી. તેથી તટસ્થ પ્રોફેશનલ લેખકોએ લખેલો, પ્રમાણમાં તટસ્થ ઇતિહાસ ભણાવાય છે. વહીવટી સેવાઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઇતિહાસ વિષય રાખી શકાય છે અને વિવિધ ઇતિહાસકારોના ઇતિહાસોનો અભ્યાસ કરવાની મોકળાશ રહે છે.

ઇતિહાસ વાસ્તવમાં ‘ઑબ્ઝેક્ટિવ’ તટસ્થ, ન્યાયિક, નિષ્પક્ષ હોવો જોઈએ. તેને ડાબેરી કે જમણેરી વલણો વળગવાં ન જોઈએ. ઇતિહાસ રાજ્યાશ્રિત નહિ, પણ જનાશ્રિત હોવો જોઈએ, સ્વતંત્ર હોવો જોઈએ. ઇતિહાસ કેવળ રાજકીય નહિ, પરંતુ આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, બાબતોની તેમ જ દલિત, પીડિત જનતાનો, ખેડૂતો-મજૂરો, આદિવાસીઓનાં શોષણ અને તે સામે તેમણે કરેલા વિદ્રોહોનો પણ હોવો જોઈએ. ઇતિહાસ કાલ્પનિક નહિ પણ શક્ય તેટલા પુરાવા પર આધારિત હોવો જોઈએ.

પરંતુ ભારતનો ઇતિહાસ એ દ્રષ્ટિએ અશુદ્ધ છે. તેમાં હકીકતો સાથે કલ્પનાઓનું મિશ્રણ થયેલું જોવા મળે છે. પુરાણો અર્ધઐતિહાસિક છે. તેમાં અનેક ચમત્કારો અને કલ્પનાઓ ભેળવવામાં આવી છે. તેવી જ રીતે આપણાં મહાકાવ્યો – રામાયણ, મહાભારત કે ભાગવત પણ અર્ધ ઐતિહાસિક કથાકાવ્યો છે. તેથી તેમને ઇતિહાસ તરીકે નહિ, પણ સાહિત્યિક કૃતિ તરીકે, કાવ્યરૂપે જોવાં જોઈએ. કાવ્યમાં કવિને કલ્પના કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ ઇતિહાસમાં તેમ ન થઈ શકે. રામ-કૃષ્ણ અવશ્ય ઐતિહાસિક પાત્રો હશે જ, પરંતુ જેટલા મોટા દર્શાવવામાં આવ્યા છે, તેટલા મોટા રાજા હોવા સંભવ નથી. કેમ કે રામ ગંગા ઓળંગે છે કે તરત તેમનું રાજ્ય પૂરું થઈ જાય છે. વળી કોસલ અને કૈકેય રાજ્યો આડોશપાડોશમાં જ હતાં. એ જ રીતે કૌરવો-પાંડવો આજના હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં મર્યાદિત હતા. મથુરા, સૌવિર, ગંધાર, મગધ, ચેદિ વગેરે મોટાં સ્વતંત્ર રાજ્યો હતાં.

મૂળ રામાયણ નાનું હતું અને સમયાંતરે વિશાળ થતું ગયું એમ રામનું ચરિત્ર ‘લાર્જર ઘેન લાઈફ’ થતું ગયું. એવું જ મહાભારત પણ નાનકડું હતું. તે વિશાળ થયું અને પાંડવો-કૃષ્ણ પણ વિશાળતા પામતા ગયા.

તે વેળાનાં શસ્ત્રો મુખ્યત્વે અસિ, ગદા, ચક્ર, ભાલા, તીર વગેરે હતાં. તેને મંત્ર દ્વારા મહાશસ્ત્ર કરવાની કવિકલ્પના કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર(અણુબૉમ્બ)ની પણ કવિકલ્પના કરવામાં આવી છે, તેને સત્ય માની શકાય નહિ.

ભારતનો ઇતિહાસ મોટે ભાગે ઉત્તર ભારતનો જ રહ્યો છે. વિજયનગર સામ્રાજ્યનો અને શિવાજીનો ઇતિહાસ હતા, પરંતુ તામિલનાડુ, કેરળના ઇતિહાસનો પાઠ્યક્રમમાં સમાવેશ થતો નહોતો.

મધ્યકાલીન ભારતનો ઇતિહાસ બહુધા મુસ્લિમ તવારીખકારો દ્વારા લખાયેલો મળે છે. તેઓ રાજ્યાશ્રયી હોવાથી સુલતાનો, બાદશાહોના પરાક્રમોનું અતિશય વર્ણન કર્યું છે. અને માત્ર તેઓ જ બહાદુર હતા અને રાજપૂત રાજાઓ ત્રણસો વર્ષ સુધી મુસ્લિમ સુલતાનોના આક્રમણોને ખાળતા રહ્યા હતા. જયપાલ જેવા રાજાએ તો પરાજય સહન ન થતાં અગ્નિસ્નાન કર્યું હતું. ગુજરાતના રાજા બાળ મૂળરાજે મહંમદ ઘોરીને આબુ પાસે હરાવ્યો હતો, જેણે પછી પૃથ્વીરાજને હરાવ્યા, વગેરે જોવા મળે છે.

ત્યારબાદ અંગ્રેજોએ ભારતનો ઇતિહાસ લખ્યો, પરંતુ તેને તેમણે કોમવાદી બનાવી દીધો અને પ્રાચીન ભારતને હિંદુ સમય, મધ્યકાલીન ભારતને મુસ્લિમ સમય અને આધુનિક ભારતને બ્રિટિશ સમય એમ નામકરણ કર્યું. વળી પોતે જાણે ભારતનો ઉધ્ધાર કરવા સ્વર્ગથી દેવોની જેમ પધાર્યા હોય તેવો દેખાવ કર્યો. અલબત્ત, કંપની સરકારના સમયમાં સતીપ્રથા, બાળવિવાહ, દીકરીના હત્યા જેવા કુરિવાજો બંધ કરાવ્યા, ફૂલે-સાવિત્રીબાઈને કન્યાશિક્ષણમાં મદદ કરી, તે બધું ચોક્કસ પ્રશંસનીય છે. પરંતુ રાણીના ઢંઢેરા પછી તો સામાજિક સુધારા કરવાનું બંધ જ કરી દીધું.

આઝાદીની ચળવળ ચાલતી હતી ત્યારે પંડિત સુંદરલાલ, જવાહરલાલ નહેરુ, સાવરકર વગેરેએ ઇતિહાસ લખ્યા, પરંતુ તે પણ એકાંગી કહી શકાય. નહેરુ હિન્દના સમાજને ઉદાર માને છે, પરંતુ વર્ણાશ્રમ પ્રથા, અસ્પૃશ્યતાના કલંકને લક્ષમાં લેતા નથી, હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને પણ નજરઅંદાજ કરે છે. ખાનખાના, અમીર ખુશરો, કબીર, નાનક, અકબર, દારા શિકોહે સમન્વયના પ્રયાસ અવશ્ય કર્યા હતા. ઉપનિષદોના ફારસી અનુવાદ દારા શિકોહે કર્યા હતા પણ હિન્દુઓએ ક્યારે ય કુરાને શરીફને સંસ્કૃતમાં ન ઉતાર્યું! ઔરંગઝેબ અને ૧૮૫૭ના બળવા પછી અંગ્રેજોએ હિન્દુ-મુસ્લિમ વચ્ચેના વૈમનસ્યને તીવ્ર બનાવ્યું. નહેરુ હિન્દુઓને ઉદાર માને છે. પરંતુ ખરેખર તો મુસ્લિમ સુલતાનો, બાદશાહો વિજેતા હતા, હિન્દુઓ પરાજિત હતા, તેમ છતાં તેઓએ વિશેષ ઉદારતા બતાવી છે. ઔરંગઝેબે પણ તેના વીસ વર્ષના શાસન પછી જજિયાવેરો નાંખ્યો હતો. તેણે મંદિરો અને મસ્જિદો બે ય તોડ્યાં હતાં. મહાકાલેશ્વર અને કામાખ્યા મંદિરને તેણે દાન આપેલું.

પંડિત સુંદરલાલનો ઇતિહાસ પણ એકાંગી છે. તેમણે તે સમયના નવાબોને અત્યંત ઉદાર અને મહાન ગણાવ્યા છે જ્યારે અંગ્રેજોને કપટી ગણાવ્યા છે. ઉપલા વર્ગો અવશ્ય સુખી, સમૃદ્ધ હતા. પરંતુ ખેડૂત-મજૂર તો ભૂખમરામાં જીવતા હતા. છતાં તે વખતના ભારતને તેમણે અત્યંત સમૃદ્ધ, સુખી ચિતર્યું છે.

સાવરકરે ૧૮૫૭ના બળવાને પ્રજાનો સ્વાતંત્ર્યસંગ્રામ ગણાવ્યો છે. પરંતુ વાસ્તવમાં તે નારાજ સૈનિકો, રાજાઓ અને નવાબોનો બળવો હતો. આમ જનતા તેમાં જોડાઈ નહોતી. અલબત્ત, તેનાં ખરાબ પરિણામ તો પ્રજાએ જ ભોગવવાં પડ્યાં અને અંગ્રેજોએ સંયુક્ત પ્રાંતમાં કેટલા ય નિર્દોષ લોકોને આંબાની ડાળે લટકાવી દીધા હતા.

ઇતિહાસમાંથી આપણે હિન્દુ-મુસ્લિમ સમન્વયના પાઠ શીખવા જોઈએ. સુલતાનકાળથી જ સમન્વય શરૂ થયો હતો. અમીર ખુશરોએ મૃદંગમાંથી તબલાં બનાવ્યાં. કબીર-નાનકે બંને ધર્મને એક જ પરમતત્ત્વની બંદગી જેવા ગણાવ્યા. ખાનખાના અને રસખાને કૃષ્ણભક્તિને પણ અલ્લાહની બંદગી જ માની.

પરંતુ આપણે તો હજાર વર્ષ પછી સોમનાથ મંદિરના ધ્વંસનું વેર લેવા નીકળ્યા અને બાબરી મસ્જિદ શહીદ કરી.

ઈસ્લામધર્મી શાસકોએ ભારત પર છસો વર્ષ રાજ કર્યું. જો તેમણે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યું હોત તો ભારત અફઘાનિસ્તાન જેવો દેશ હોત. ફક્ત મહમદ તઘલખ ને ઔરંગઝેબે જ હિન્દુઓ પર જજિયાવેરો નાંખ્યો હતો. અકબરે સમન્વયની શરૂઆત કરી હતી. ઔરંગઝેબ પણ પછીથી ધર્માંધ થયો હતો. તેના પછી ફરી પાછા બન્ને ધર્મીઓ વચ્ચે એકતા અને સૌહાર્દ પેદા થયાં હતાં. પરંતુ અંગ્રેજોને બંનેની એકતા જોખમી લાગતાં ભાગલા પાડવાની કૂટનીતિ અપનાવી અને તેમાં મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભાએ સાથ આપ્યો.

ઇતિહાસનું પુનર્લેખન ન થઈ શકે કે તેને ભૂંસી ન શકાય. અલબત્ત, રાજ્યકર્તાઓ તેવા પ્રયત્ન કરે છે. રશિયામાં પહેલાં સ્તાલિન અને હવે લેનિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું છે. ભારતમાં પણ હવે રાણા પ્રતાપ હલદીઘાટીનું યુદ્ધ જીતે છે અને શિવાજી હિન્દુ રાષ્ટ્રજનક બને છે.

આપણે ભારતમાં આવેલા વિદેશી આર્યો, હૂણો કે મુસ્લિમોને હવે પાછા મોકલી ન શકીએ. જેવો  છે તેવો ઇતિહાસ સ્વીકારી લેવો જોઈએ. એકતા અને આધુનિક શસ્ત્રોના અભાવથી આપણે હાર્યા હતા, ગુલામ થયા હતા. તેમાં હવે શરમ રાખવાનો અર્થ નથી. હવે મુસ્લિમોને કે અંગ્રેજોને ધિક્કારવાનો અર્થ નથી, ભૂતકાળ ભૂલી જવો જોઈએ.

આપણે આર્યોનું આગમન કહીએ છીએ અને મુસ્લિમોનું આક્રમણ કહીએ છીએ; કેમ કે ઇતિહાસ લખનારા આર્ય છે. વાસ્તવમાં આર્ય પણ આક્રમણકારી હતા અને એમણે દસ્યુ, દાસ, અસુર આદિની જમીનો ખૂંચવી લીધી હતી. હવે તો આર્યો મૂળનિવાસી હતા, તેમ સાબિત કરવાના પ્રયાસ ચાલે છે. પરંતુ જો તેમ જ હોત તો વેદોમાં ઈન્દ્રને દસ્યુઓ, અસુરો સાથે લડતો કેમ બતાવ્યો છે?

મુસ્લિમ સુલતાનોએ ધર્મ માટે નહિ પણ રાજ્યલાલસા માટે રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા. ગઝની અને ગોરી બંનેએ અફઘાનિસ્તાન, ઈરાનના મુસ્લિમ સુલતાનો પર હુમલા કર્યા હતા. ફક્ત સોમનાથ મંદિર તોડવા માટે નહિ, પરંતુ તેને લૂંટવા માટે મહમદ ગઝની આવ્યો હતો. અલબત્ત, આજના કોમવાદી, જ્ઞાતિવાદી રાજકારણીઓની જેમ જ લશ્કરને ઉશ્કેરવા માટે તેણે ધર્મનો ઉપયોગ અવશ્ય કર્યો હતો અને ગાઝીઓને લૂંટની લાલચ પણ આપી હતી.

મહમદ ઘોરીએ પણ રાજ્યવિસ્તારની લાલચથી જ પેશાવર, દિલ્હી અને અજમેરના રાજપૂત રાજાઓ પર હુમલા કર્યા હતા.

ઘોરી સાથેના પ્રથમ યુદ્ધમાં અજમેરના પૃથ્વીરાજ ચૌહાણે તેને હરાવ્યો હતો, ભગાડ્યો હતો. પરંતુ વર્ષ પછી બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ હારી ગયા ત્યારે ઘોરીએ તેમને અજમેરના ખંડિયા રાજા બનાવ્યા હતા. થોડા સમય પછી રાજદ્રોહના કારણે ઘોરીએ તેમનો વધ કરી તેમના પુત્રને ખંડિયો રાજ બનાવ્યો હતો. એ જ રીતે ઘોરીએ દિલ્હીના તોમરોને હરાવી ખંડિયા રાજા બનાવ્યા હતા. પરંતુ તેના વાઈસરોય ઐબકે બંને રાજ્યો પડાવી લીધાં અને પૃથ્વીરાજના પુત્રને રણથંભોર ખસેડ્યો. આમ ઘોરીનો હેતુ મુસ્લિમ રાજ્ય સ્થાપવાનો નહિ, પરંતુ કેવળ રાજ્યવિસ્તારનો હતો. અલબત્ત, મુસ્લિમ સુલતાનો મુલ્લા મૌલવીને રાજી રાખવા મૂર્તિખંડન-મંદિરધ્વંસ કરતા રહેતા, તે હકીકત છે.

આ પૃથ્વીરાજને આપણે હીરો બનાવી દીધો છે. જે જયચંદે એને સાથ નહોતો આપ્યો, તેનું કનોજ પણ ઐબકે લૂંટ્યું હતું.

રાણા પ્રતાપ ધર્મ માટે કે રાષ્ટ્ર માટે કે હિન્દુ રાષ્ટ્ર માટે લડતા નહોતા. તેમને મેવાડની સ્વતંત્રતા જોઈતી હતી. તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તો અકબરના સેનાપતિ રાજા માનસિંહ હતા.

એ જ રીતે શિવાજી પણ હિન્દુરાષ્ટ્રની સ્થાપના માટે લડતા નહોતા. પરંતુ પોતાને તેમના પિતા અને ભાઈની જેમ બિજાપુરના નવાબની નોકરી કરવી નહોતી, પરંતુ પોતાનું અલગ રજવાડું ખપતું હતું. તેથી ઔરંગઝેબ બાદશાહ સહિત આસપાસના નવાબો સાથે લડવું પડ્યું હતું.

તેમના લશ્કરમાં મુસ્લિમ સેનાપતિ હતા, તૌ ઔરંગઝેબના લશ્કરમાં હિન્દુ સેનાપતિ હતા. શિવાજીને અફઝલખાનથી એક મુસ્લિમ સરદારે ચેતવીને બચાવ્યા હતા. તેના કહેવાથી શિવાજી વાઘનખ પહેરીને ગયા હતા.

આમ શિવાજીની લડાઈ હિન્દુરાષ્ટ્ર માટે નહિ, પરંતુ પોતાના સ્વતંત્ર રજવાડા માટે હતી. આજના અર્થમાં પૃથ્વીરાજ, પ્રતાપ, શિવાજી કે ટીપુ રાષ્ટ્રવાદી ન ગણાય.

ટીપુ સુલતાન પણ અંગ્રેજો સામે પોતાના રાજ્યની સ્વતંત્રતા માટે લડ્યો હતો. પ્રતાપની જેમ જ એણે કદી શરણાગતિ સ્વીકારી નહોતી. પરંતુ પ્રતાપ હિન્દુ એટલે રાષ્ટ્રીય વીર નેશનલ હીરો ગણાયા પણ ટીપુ નહિ, કેમ કે તે મુસ્લિમ હતો!

શિવાજી તો ઔરંગઝેબ સાથે સુલેહ કરવા આગ્રા ગયા હતા, પરંતુ અપમાન થતાં જેલમાંથી છટક્યા હતા.

હમણાં હમણાં સોશિયલ મીડિયા પર પ્રચાર ચાલે છે કે આઝાદી ગાંધીજીને કારણે નહોતી આવી. પરંતુ અંગ્રેજો ક્રમશઃ આપવાના જ હતા. એટલે તો ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ-૧૯૩૨ બનાવ્યો હતો. બંધારણ પણ આંબેડર નહિ પણ આ ઍક્ટ બનાવનાર અધિકારી રાઉએ બનાવ્યું હતું. એવો દુષ્પ્રચાર થઈ રહ્યો છે.

ભગતસિંહ અને સુભાષ તથા નૌસૈનિકોના બળવાને કારણે અને બીજા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની રાજકીય-આર્થિક હાલત કથળવાને કારણે એટલીએ સામે ચાલીને આઝાદી આપી હતી, એમ ગાઈબજાવીને કહેવામાં આવી રહ્યું છે.

વાસ્તવમાં ગાંધીજીએ આંદોલનો દ્વારા દેશને લોકશાહી માટે તૈયાર કર્યો હતો. ગાંધીનો દેશ પર પ્રભાવ ન હોત તો બ્રિટિશ સરકાર એમની અને કૉઁગ્રેસ સાથે વાટાઘાટો શા માટે કરત? ભારતીય સેનાને સત્તા સોંપી જઈ શક્યા હોત. આઝાદી પહેલાં યોજાયેલી માર્યાદિત ચૂંટણીમાં કૉઁગ્રેસ જ જીતી હતી, તેથી નહેરુ વડાપ્રધાન થયા.

ગાંધીજીએ સરદારને અન્યાય કરી નહેરુને વડાપ્રધાન બનાવ્યા એવો રાજકીય આક્ષેપ થાય છે. હકીકતમાં નહેરુ-સરદાર ગાંધીજીના બે હાથ જેવા હતા. પરંતુ નહેરુની ઓછી ઉંમર અને લોકપ્રિયતાને કારણે ગાંધીજીએ તેમને વડાપ્રધાન બનાવવા ઈચ્છ્યું. સરદારની ઉંમર વધારે હતી અને તેઓ પક્ષમાં અધિક લોકપ્રિય હતા.

એ જ રીતે ગાંધીજી-નહેરુએ સુભાષને અન્યાય કર્યો તેવો પ્રચાર ચાલી રહ્યો છે. સુભાષે અહિંસાનો માર્ગ છોડી હિંસા-લશ્કરી બળનો આશ્રય લીધો. તેથી છૂટા પડ્યા. વિમાની અકસ્માતમાં શહીદ થયા તો નહેરુ પર આંગળી ચીંધવામાં આવી. એમના અંગેની ખાનગી ફાઈલો માટે ઊહાપોહ મચાવાયો, પરંતુ આખરે ફાઈલોમાંથી ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર એવું કશુંયે ન મળ્યું!

આમ હિન્દુત્વવાદી પરિબળો સત્તાનશીન થવાથી ભારતનો આખો ઇતિહાસ નવેસરથી લખવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. નહેરુ-ઈન્દિરા વખતે લખાયેલ ઇતિહાસને ડાબેરી ઇતિહાસ કહી વખોડવામાં આવી રહ્યો છે. સાચા અને બિનસાંપ્રદાયિક ઇતિહાસને ડાબેરીની છાપ મારવામાં આવે છે અને આર્યો મૂળનિવાસી હતા, રાણા પ્રતાપ, શિવાજી હિન્દુ રાષ્ટ્ર માટે લડ્યા હતા, આઝાદી ક્રાંતિકારી ચળવળો અને સુભાષ થકી મળી એવો નવો ઇતિહાસ રચવામાં આવી રહ્યો છે. રશિયામાં જેમ વિશ્વયુદ્ધમાં વિજય અપાવનાર સ્તાલિનનું નામ ભૂંસી દેવામાં આવ્યું, એમ ગાંધીજીનું નામ અને વિશેષ તો નહેરુનું નામ ઇતિહાસમાંથી ભૂંસી નાંખવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે અત્યંત દુઃખદ અને ઘાતક છે.

આ બધા ઇતિહાસલેખનના કૂટપ્રશ્નો છે.

(આપેલ વક્તવ્યના હોમર્વક પરથી)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑક્ટોબર 2021; પૃ. 13-14 તેમ જ 12

Loading

ગાંધીજી સાહિત્યકાર ખરા? હા.

સુમન શાહ|Opinion - Literature|2 October 2021

આજે ગાંધીજયન્તી છે.

ગાંધીજીના સાર્ધ શતાબ્દીવર્ષમાં અનેક મિત્રોએ મને પૂછેલું : ગુજરાતી સાહિત્યમાં ‘ગાંધીયુગ’ શરૂ થયો એ તો બરાબર, પણ તમે ગાંધીજીને સાહિત્યકાર ગણો છો ખરા? : મારો જવાબ ‘હા’ હતો. આજે પણ ‘હા’ જ છે.

ત્યારે લખેલા લેખના કેટલાક અંશ અહીં ફરીથી રજૂ કરું છું :

(૧)

ગાંધીજીએ કવિતા વાર્તા કે નાટક નથી લખ્યાં. તેઓ એવા સર્જક સાહિત્યકાર નથી. પણ સર્જન સિવાયનું બીજું એમણે જે અઢળક લખ્યું છે તે એક તેજસ્વી દર્શન છે. એમણે જે કંઈ સાહિત્ય લખ્યું છે તેમાંનું કેટલું ય, સાહિત્યિક ગુણોથી સમૃદ્ધ છે.

જેમ કે —

‘સત્યના પ્રયોગો’ આત્મકથાના સાહિત્યપ્રકારનું બેજોડ દૃષ્ટાન્ત છે.

કારકિર્દી દરમ્યાન એમણે અસંખ્ય વ્યક્તિઓને પત્રો લખેલા. એ પત્રોમાંના કેટલાક તો પત્રલેખનનો આશય, તેની ભાષા અને શૈલીના ઉત્તમ નમૂના છે.

ગુજરાતી સાહિત્યકારો સામે પૂરી નિસબતથી તાતાં તીર જેવી ફરિયાદો કરી છે. પોતાની દૃષ્ટિમતિ અનુસારના સાહિત્યની ફાંકડી વકીલાત કરી છે. એ નિસબત અને એ ફરિયાદોથી સ્થિર થયેલો એમનો સાહિત્ય સાથેનો લગાવ જરા પણ ન-ગણ્ય નથી.

જેનાથી પ્રભાવિત થયા હોય એવાં કેટલાંક પુસ્તકોના એમણે અનુવાદ કર્યા છે, અને તેને ‘તરજૂમો’ કહેવાની નમ્રતા દાખવી છે.

એમના ગદ્યમાં બેઢંગ વાક્યરચનાઓ નથી એમ નથી પણ ક્યાંક ક્યાંક એમાં અલંકારોની ઉપકારક દ્યુતિ પણ છે.

પરન્તુ –

એમની સાદી સરળ અને પ્રભાવક વાણી જેવું જ એમનું લેખન છે. જેમ એમનો દેખાવ શુષ્ક છતાં મોહક ભાસે છે તેમ એમનું લેખન પણ છે.

ગાંધી-શબ્દનો ઉત્તમોત્તમ વિશેષ છે, આત્માની સચ્ચાઈથી પ્રોજ્જવળ વિચારસૃષ્ટિ, જેમાં ‘સત્ય’ અને ‘અહિંસા’-ના અર્થસંકેતોને અ-પૂર્વ ઊંચાઈ મળી છે. એ બન્ને શબ્દો શબ્દ નથી રહ્યા, વ્યક્તિ અને પ્રજા બન્ને માટે જીવનમન્ત્ર રૂપે વિશ્વ આખામાં પ્રસર્યા છે.

ટૂંકમાં, એમનો સાહિત્ય સાથેનો સમ્બન્ધ નિ:સામાન્ય નથી. તાત્પર્ય, એમને સાહિત્યકાર ગણવામાં કશી તકલીફ ન પડવી જોઈએ.

(૨)

વિચાર-સંવેદન શબ્દોમાં લખાય પણ લેખનને વાચનનાં ખાતરપાણીની હમેશાં જરૂર પડે છે. સાહિત્યકારની કારકિર્દીમાં વાચનની મહત્તા એના લેખનથી જરા ય ઓછી નથી હોતી.

ગાંધીજીએ જેલનિવાસ દરમ્યાન અને અન્યત્ર ખૂબ વાંચ્યું છે..

એમણે પોતે ‘સત્યના પ્રયોગો’-માં અવારનવાર પોતે શું વાંચ્યું, પોતાને તે કેવું લાગ્યું, તેના નિર્દેશો કર્યા છે. ભણતા’તા એ ગાળામાં, ‘શ્રવણપિતૃભક્તિ’ ‘હરિશ્ચન્દ્ર આખ્યાન’ ‘નિબંધોનાં નાનાં ચોપાનિયાં’ અને ‘લીલા પૂંઠાવાળી કહેવતમાળા’ પણ વાંચેલાં.

વિલાયતમાં એમણે ‘ભગવદ્ગીતા’-નો ઍડવિન આર્નોલ્ડે કરેલો અંગ્રેજી અનુવાદ વાંચેલો.

(૩)

પોતાના વાચન-અનુભવોને હમેશાં ખુલ્લા મને વ્યક્ત કરતા. ‘ગીતા’ વિશેનો એમનો ભર્યોભર્યો ઉમળકો તો જુઓ, કહ્યું : ‘મને જન્મ આપનારી માતા તો ચાલી ગઈ, પરંતુ સંકટના સમયે ‘ગીતા’-માતા પાસે જવાનું શીખી ગયો છું. જે મનુષ્ય ‘ગીતા’નો ભક્ત બને છે, તેના માટે નિરાશાની કોઈ જગ્યા નથી …’ :

એટલે સ્તો, એમણે કાકા કાલેલકરની સમ્પાદકીય સહાયથી ‘અનાસક્તિયોગ’ શીર્ષકથી ગીતાનો તરજૂમો કરેલો. રસ્કિનના ‘અનટુ ધિસ લાસ્ટ’-નો ‘સર્વોદય’ નામે તરજૂમો કર્યો ત્યારે પણ કહ્યું કે ‘જેણે મારી જિન્દગીમાં તત્કાળ મહત્ત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ પુસ્તક જ કહેવાય.’

‘રામચરિતમાનસ’ ‘ઈશોપનિષદ’ ‘કુરાન’ ટાગોરકૃત ‘મુક્તધારા’, ‘પાતંજલ યોગદર્શન’, મણિલાલ નભુભાઈ દ્વિવેદી-લિખિત ‘રાજયોગ’, નર્મદ-લિખિત ‘ધર્મવિચાર’, વગેરે એમણે વાંચ્યાં છે.

અનેક મહામનાઓનાં જીવનચરિત્ર વાંચ્યાં છે : ઈસુ, વિવેકાનંદ, કેશવચન્દ્ર સેન, ગેરીબાલ્ડી, વગેરે.

અનેકોનાં લેખનોમાંથી પસાર થયા છે : સૉક્રેટિસ, તૉલ્સતોય, થોરો, એમર્સન, બૅકન, હક્સલી, વગેરે. મારો લેખ પૂરો થઈ જાય પણ આ યાદી પૂરી ન થાય એટલી દીર્ઘ છે.

(૪)

સાહિત્ય વિશેની એમની સમજ નિજી હતી પણ ચૉક્કસ હતી એ કારણે પણ એમને સાહિત્યકાર ગણવા જોઈશે. સાહિત્યકારો પાસે એમણે કોશિયાને સમજાય એવું સરળ સાહિત્ય તો માગ્યું જ પણ બીજું ય ઘણું માગ્યું. એમનાં એ વચનોને કશા ટિપ્પણ વગર રજૂ કરું છું કેમ કે એ સાવ સ્પષ્ટ છે :

૧ : ‘આપણાં ધર્મપુસ્તકો આપણને જેટલો રસ આપે છે તે અત્યારનું સાહિત્ય આપણને નથી આપતું …તુલસીદાસ જેવું, કબીર જેવું, આપણને કોણે આપ્યું છે? … અખાના જમાનામાં આપણને જે કાંઇ મળ્યું છે એ હવે ક્યાં છે?’ :

૨ : ‘હું બાણ ભટ્ટની ‘કાદંબરી’ નથી માગતો પરંતુ તુલસીદાસનું ‘રામાયણ’ માગું છું :

૩ : ‘નવલકથા વાંચવી એ રોગ છે, જગતમાં ઘેર ઘેર એ ફેલાઈ ગઈ છે … એમાં કલ્પનાના ઘોડા સિવાય શું છે?… નવલકથાનું સાહિત્ય ગુજરાતીમાં ન હોય તો ગુજરાતી રાંડીરાંડ નહીં રહે.’ : (‘ગુજરાતી’ પછીનો શબ્દ આ મહાત્મા કોઈ બીજો વાપરી શક્યા હોત ! – સુ૦ )

૪ : ‘સાહિત્યની કલમ ઉઠાવો તો એ જ વિચારથી ઉઠાવજો કે સ્ત્રી એ મારી જનની છે… તમે ચીતરો તો તેને વિકારી ન ચીતરો.’

૫ : 'જીવન, સૌ કળાથી અદકું છે… કળા જીવનની દાસી છે, અને તેની સેવા કરવાનું જ તેનું કાર્ય છે.’ :

૬ : ‘મારું ધ્યેય હમેશાં કલ્યાણનું છે, કળા કલ્યાણકારી હોય ત્યાં સુધી જ તે મને સ્વીકાર્ય છે.’ :

૭ : 'ભાઈ, સત્ય એ જ મૂળ વસ્તુ. પણ તે સત્ય ‘શિવ’ હોય, ‘સુંદર’ હોય. સત્ય મેળવ્યા પછી જ તમને કલ્યાણ અને સૌન્દર્ય બંને મળી રહે :

૮ : ‘તે જ કાવ્ય અને સાહિત્ય ચિરંજીવ રહેશે જે લોકોનું હશે, જેને લોકો મેળવી શકે, સહેજે ઝીલી શકે.’

(૫)

લોકભોગ્યતા, નીતિ-સદાચારનો ઉપદેશ, જનકલ્યાણ, ભાષિક સરળતા, વગેરે સાહિત્ય-ગુણોની એમણે સાગ્રહ હિમાયત કરી એ બરાબર, પણ એમના ધ્યાનમાં એ સત્ય નથી આવ્યું કે એ જ ગુણો સમ્યક્ સાહિત્યમાં કલાની રીતેભાતે આપોઆપ પરિણમતા હોય છે. પણ એવું જુદું સાહિત્ય એમના વાંચવામાં આવ્યું નથી.

ટૂંકમાં, એમનું લિટરરી ઍક્સ્પોઝર સીમિત હતું – મતલબ, સાહિત્યપદાર્થ વિશે તેઓ પૂરા ઉઘડ્યા ન્હૉતા. એટલે, સાહિત્ય પ્રત્યેની એમની દૃષ્ટિમતિ કુણ્ઠિત રહી ગયેલી.

પરન્તુ યાદ રાખવું જરૂરી છે કે દેશને ગુલામીમાંથી મુક્ત કરવો અને અન્ધશ્રદ્ધાગ્રસ્ત પ્રજા અને અબુધ લોકડિયાંને એ માટે બેઠાં કરવાં એ ગાંધી-જીવનનો અગ્રિમ કાર્યક્રમ હતો. સમજાય એવું છે કે એમને અમુક સાહિત્ય ન જ પાલવે ને અમુક જોઇએ જ જોઈએ.

(૬)

ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ માટે પણ્ડિત-યુગથી માંડીને આધુનિક યુગ લગી જે કંઈ ઝુંબેશો ચાલી તેનો એક સાર ગાંધીજી છે અને બીજો સાર સુરેશ જોષી છે.

પહેલામાં, સાહિત્ય ‘કેવું અને કોને માટે’ હોવું જોઇએ તેની અને બીજામાં, સાહિત્ય ‘કેવી રીતે’ લખાવું જોઇએ તેની વિચારણા વિકસી હતી.

પહેલામાં, પ્રજાજીવનનું કલ્યાણ કરે એવા સાહિત્યનો અને બીજામાં, જીવન સમગ્રનો ભરપૂર સાક્ષાત્કાર કરાવે એવી સાહિત્યસાધનાનો આગ્રહ ઘુંટાયો હતો.

એ બન્ને નામો એ વિભિન્ન વિચારધારાનાં પ્રતીક છે. સમકાલીનોએ બન્ને વિચારધારાઓનું મન્થન કરીને સાહિત્યકલાનાં પરમ સત્યો સારવવાનું બાકી છે.

= = =

(October 2, 2021 : USA)

Loading

ચલ મન મુંબઈ નગરી—114

દીપક મહેતા|Opinion - Opinion|2 October 2021

મુંબઈના પોલીસ કમિશનરે સવારે ત્રણ વાગ્યે કરી ગાંધીજીની ધરપકડ

રેવાશંકર ઝવેરીનું ઘર આજે બન્યું છે ગાંધી સ્મારક

ગાંધીજીના ઓરડામાં રાત રહેલા માર્ટિન લ્યુથર કિંગ

સોમવાર, ૪ જાન્યુઆરી ૧૯૩૨. સવારના પોણા ત્રણ. ગામદેવી પોલીસ સ્ટેશનમાંથી એક કાળા રંગની વેન છાને પગલે નીકળે છે. બોમ્બેના પોલીસ કમિશનર જી.એસ. વિલ્સન પોતે એમાં બેઠા છે. સાથે છે ગણતરીના વિશ્વાસુ પોલીસ – ગોરા તેમ જ દેશી. વેન માંડ પાંચ મિનિટ ચાલીને બે માળવાળા મકાન પાસે આવીને ચૂપચાપ ઊભી રહી જાય છે. રસ્તાના નાકા પર ગાંધી ટોપી પહેરેલા કૉન્ગ્રેસના પાંચ સ્વયંસેવક પહેરો ભરતા હતા. તેઓ પેલી કાળી વેનને જતી જુએ છે અને શું થવાનું છે તેનો અંદાજ આવી જાય છે. મકાનનો ચોકીદાર દરવાજો હળવેકથી ખોલે છે. વિલ્સન અને એના સાથીઓ લાકડાનાં પગથિયાં ચડીને ઉપર જાય છે. સહેજ પણ અવાજ ન થાય તેની તકેદારી રાખે છે. પહેલે માળે બે ફ્લેટનાં બારણાં ખુલ્લાં છે અને રાતે ત્રણ વાગ્યે પણ લોકો જાગતા બેઠા છે. વિલ્સન વિચારે છે કે અમે આવવાના છીએ એ વાતની ખબર પડી ગઈ લાગે છે અહીંના લોકોને. આવી વાત છૂપી રાખવાની ગમે તેટલી મહેનત કરીએ તો ય આ લોકોને કોણ જાણે ક્યાંથી ગંધ આવી જ જાય છે. વિલ્સન અને સાથીદારો બીજો માળ વટાવીને પહોંચે છે અગાસી પર. અગાસી સુધી જતા દાદર પર મળે છે ગુનેગારનો દીકરો. જાણે કોઈ મોંઘેરા મહેમાન આવ્યા હોય તેમ વિલ્સન અને તેના સાથીઓને અગાસીમાં તાણેલા તંબુમાં લઈ જાય છે. એક ગાદલા પર સૂતેલા ગુનેગારને તેના સાથીઓ જગાડે છે. એ જાગીને મૂંગો મૂંગો પથારીમાં બેસી રહે છે. પોલીસ કમિશનર વિલ્સન કહે છે : “Mr. Gandhi, it is my duty to arrest you.” પછી વોરંટ વાંચી સંભળાવે છે અને ધરપકડના પ્રતીક રૂપે ગુનેગારના ખભા પર હાથ મૂકે છે.

હા, એ ગુનેગાર તે બીજું કોઈ નહિ પણ મોહનદાસ કરમચંદ ગાંધી. અને જ્યાંથી પોલીસે તેમની ધરપકડ કરી તે બે માળનું મકાન તે મુંબઈના લેબર્નમ રોડ પર આવેલું મણિ ભવન. સો વરસ કરતાં વધુ જૂનું આ મકાન આજે નેશનલ હેરિટેજ સ્ટ્રક્ચરનું માન ધરાવે છે અને આખા દેશમાં આવેલા ગાંધી-સ્મારકોમાં આગવું મહત્ત્વ ધરાવે છે.

આ મકાન રાષ્ટ્રીય સ્મારક તો ૧૯૫૫માં બન્યું, પણ તે પહેલાં તે કોની માલિકીનું હતું? સવાલના જવાબમાં મણિ ભવનના અધ્યક્ષ ડો. ઉષા ઠક્કર જણાવે છે કે આ મકાન મૂળ રેવાશંકર જગજીવનદાસ ઝવેરીનું. અને આ રેવાશંકર તે ગાંધીજીના નિકટના સાથી ડો. પ્રાણજીવન મહેતાના સગ્ગા ભાઈ. ‘ઉષાબહેન, આ વાત કાંઈ હજમ થતી નથી. બે સગ્ગા ભાઈઓમાંથી એકની અટક મહેતા અને બીજાની ઝવેરી?’ વાતનો ફોડ પાડતાં ઉષાબહેન કહે છે, ‘રેવાશંકરભાઈનો ધંધો જરઝવેરાતનો. કાલબાદેવી રોડ પર મોટી દુકાન. એટલે ઓળખાતા ઝવેરી તરીકે. એ પણ ગાંધીજીના મિત્ર અને મજબૂત ટેકેદાર. ગાંધીજી ભણવા માટે લંડન ગયા ત્યારે સૌથી પહેલાં ત્યાં પ્રાણજીવનભાઈને મળેલા. ત્યારથી બંને નજીક આવતા ગયા અને ગાઢ મિત્રો બન્યા. ગાંધીજીએ ‘હિન્દ સ્વરાજ’ પુસ્તક લખ્યું તે મુખ્યત્વે પ્રાણજીવનભાઈ માટે. ૧૯૩૨માં પ્રાણજીવનભાઈનું અવસાન થયું ત્યારે ગાંધીજી જેલમાં હતા. તેમણે લખેલું : ‘જો હું જેલમાં ન હોત તો મારા ખોળામાં ડોકટરે છેલ્લા શ્વાસ લીધા હોત. આ દુનિયામાં તેમના કરતાં વધુ નિકટનો હોય તેવો બીજો કોઈ મિત્ર મારે નથી.’

પ્રાણજીવનભાઈ અને રેવાશંકરભાઈના ત્રીજા ભાઈ હતા પોપટભાઈ. તેમનાં દીકરી ઝબકબાનાં લગ્ન રાયચંદભાઈ ઉર્ફે શ્રીમદ્ રાજચંદ્ર સાથે થયેલાં. એટલે આખા મહેતા કુટુંબને શ્રીમદ્ સાથે સગપણ અને ઘરોબો. ગાંધીજી ભણીને પાછા સ્વદેશ આવ્યા ત્યારે મુંબઈમાં તેમને બંદર પર લેવા પ્રાણજીવનભાઈ ગયેલા અને ગાંધીજીને પોતાને ઘરે લઈ આવેલા. ગાંધીજી ઇન્ગલંડમાં હતા તે દરમ્યાન તેમનાં માતા પૂતળીબાઈનું અવસાન થયેલું પણ કુટુંબીજનોએ એ ખબર ગાંધીજીને આપ્યા નહોતા. એ ખબર સૌથી પહેલાં આપ્યા પ્રાણજીવનભાઈએ. એ સાંભળીને ગાંધીજીને અસાધારણ આઘાત લાગ્યો. તેમને થોડું સાંત્વન મળે તે માટે બીજે જ દિવસે – ૧૮૯૧ના જુલાઈની છઠ્ઠી તારીખે – પ્રાણજીવનભાઈએ પોતાને ઘરે શ્રીમદ્ સાથે ગાંધીજીની મુલાકાત ગોઠવી. કેટલાક કહે છે કે આ પહેલી મુલાકાત મણિ ભવનમાં થયેલી. પણ તો એ ૧૮૯૧ પહેલાં બંધાયું હોવું જોઈએ, જે તેની બાંધણી જોતાં બહુ શક્ય લાગતું નથી. રેવાશંકરભાઈનો પહેલો પરિચય પણ ગાંધીજીને આ જ વખતે થયેલો અને પછી એ બંને પણ આજીવન મિત્રો બની રહેલા. કૌટુંબિક સંબંધ ઉપરાંત શ્રીમદ્ અને રેવાશંકરભાઈ ઝવેરાતના ધંધામાં ભાગીદાર પણ હતા. ૧૯૧૭થી ૧૯૩૪ના અરસામાં ગાંધીજી જ્યારે મુંબઈ આવતા ત્યારે મોટે ભાગે રેવાશંકરભાઈના આ મણિ ભવનમાં જ ઉતરતા.

મણિ ભવનના માનદ્ મંત્રી યોગેશ કામદાર ચોખવટ કરે છે : ગાંધીજી પોતે તો બીજા માળ પરનો એક ચોક્કસ રૂમ જ વાપરતા. નજીકના એક-બે રૂમમાં તેમના સાથીઓ. હકીકતમાં આ મકાન રેવાશંકરભાઈના મોટા સંયુક્ત કુટુંબના રહેણાકનું ઘર. ફક્ત એક રૂમ ગાંધીજી માટે અનામત રહેતો. એ વખતે એ રૂમમાં જે થોડું ઘણું રાચરચીલું હતું તે આજે જેમનું તેમ જાળવી રાખ્યું છે. દરવાજે મઢેલી ગ્લાસ પેનલમાંથી મુલાકાતીઓ એ રૂમ જોઈ શકે છે.

મણિ ભવનની બાલ્કનીમાં ગાંધીજી. સાથે પંડિત જવાહરલાલ નેહરુ, કમલા નેહરુ અને અન્યો

દેશની આઝાદી માટેની લડતનો કોઈ નેતા એવો નહિ હોય જેણે મણિ ભવન આવીને ગાંધીજીની મુલાકાત લીધી ન હોય. કૉન્ગ્રેસ કારોબારીની બેઠકો પણ અહીં ઘણી વાર મળી છે. ભારતના વડા પ્રધાન બન્યા પછી ૧૯૫૯ના માર્ચની ત્રીજી તારીખે પંડિત જવાહરલાલ નેહરુ મણિ ભવનની મુલાકાતે આવેલા ત્યારે તેમણે કહેલું કે ગાંધીજી જ્યારે અહીં રહેતા હતા ત્યારે સ્વતંત્રતા માટેની લડતના મારા જેવા અસંખ્ય સેનાનીઓ અહીં તેમને મળવા આવતા. એટલે મારા જેવા અનેકના મનમાં મોંઘી મૂડીરૂપ સાંભરણો સંઘરાયેલી છે.

મણિ ભવનમાંનો ગાંધીજીનો રૂમ

૧૯૫૯માં રેવરન્ડ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ભારત આવ્યા ત્યારે તેમણે મણિ ભવનની માત્ર મુલાકાત લીધી નહોતી, પણ ગાંધીજી જે રૂમમાં રહેતા એ રૂમમાં એક દિવસ રહ્યા હતા. વિઝિટર્સ બુકમાં તેમણે લખ્યું હતું : ‘ગાંધીજી જે ઓરડામાં રહેતા હતા એમાં એક રાત સૂવાનો મને જે લહાવો મળ્યો તેને હું ક્યારે ય ભૂલી શકીશ નહિ.’ ગાંધીજીની સાંજની પ્રાર્થના સભામાં ભજનો ગવાતાં તેમ રેવરન્ડ કિંગે અને તેમનાં પત્નીએ ખ્રિસ્તી ધર્મની અંગ્રેજી પ્રાર્થનાઓ ગાઈ હતી અને મણિ ભવન સાથે સંકળાયેલાં ઉષાબહેન ત્રિવેદીએ ગાંધીજીને પ્રિય એવાં કેટલાંક ભજન ગાયાં હતાં. આ ઉષાબહેન ત્રિવેદી તે જાણીતા કવિ, સંગીતકાર, ગાયક, અનુવાદક પિનાકિન ત્રિવેદીનાં દીકરી. એક વખત એવો હતો કે મણિ ભવનમાં રોજ એક સાથે ચાર-ચાર ઉષા ઊગતી : ડો. ઉષા મહેતા, ડો. ઉષા ઠક્કર, ઉષા ત્રિવેદી, અને ગાંધીજીનાં પૌત્રી ઉષા ગોકાણી!  

૨૦૧૦ના નવેમ્બરની છઠ્ઠી તારીખ. ૨૪ વાહનોનો કાફલો મણિ ભવનની બહાર આવીને ઊભો રહે છે. તેમાં છે છ મિનિ બસ, એક એમ્બ્યુલન્સ, સુરક્ષા માટેના સરંજામ સાથેની વેન, અને બે લાંબી કાળી લિમોઝીન. તેમાંની એકમાંથી ઊતરે છે અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા. ડો. ઉષા ઠક્કરની સાથે ફરીને રસપૂર્વક બધું જુએ છે, પણ સૌથી વધુ વખત રોકાય છે ગાંધીજીના રૂમમાં. રેવરન્ડ કિંગ આવ્યા ત્યારે હાજર રહેલાં તે ઉષા ત્રિવેદીને મળીને આનંદ પામે છે. વિઝિટર્સ બુકમાં લખે છે : ‘ગાંધી માત્ર ભારતના નહિ, આખી દુનિયાના હીરો છે.’

પ્રેસિડન્ટ ઓબામા અને મિશેલ ઓબામા  મણિભવનમાં, સાથે ડો. ઉષા ઠક્કર

પણ જ્યાં ગાંધીજી રહેતા એ રૂમ ઉપરાંત મણિ ભવનમાં બીજું જોવા જેવું શું છે? અહીં લગભગ ૫૦ હજાર પુસ્તકો ધરાવતી લાઈબ્રેરી છે, ઓડિટોરિયમ છે જ્યાં અવારનવાર કાર્યક્રમ યોજાય છે. ઉપરાંત અહીં કોઈ પણ મુલાકાતી ગાંધીજીના પોતાના અવાજમાં તેમનાં ભાષણો સાંભળી શકે છે. ફોટો ગેલેરીમાંના ગાંધીજીના કેટલાક ફોટા તો દુર્લભ છે. તો મ્યુઝિયમમાં નાનાં નાનાં પૂતળાં દ્વારા ગાંધીજીના જીવન અને કાર્યનો આકર્ષક રીતે પરિચય અપાયો છે. પણ મણિ ભવનની સૌથી વધુ ધ્યાનપાત્ર વાત આ છે : ગાંધીજીના વિચારો અને આદર્શોનો અહીં પૂરેપૂરો આદર છે, પણ કેટલીક સંસ્થાઓમાં જોવા મળતું હઠાગ્રહી ચોખલિયાપણું બિલકુલ ગેરહાજર છે. અત્યારનાં સાધન-સગવડનો ઉપયોગ યોગ્ય રીતે કરવાની તત્પરતા છે, પણ એની પાછળ ગાંધીજી ઢંકાઈ જાય નહિ એની તકેદારી છે. હા, કોરોના કાળમાં બીજાં મ્યુઝિયમોની જેમ મણિ ભવન પણ મુલાકાતીઓ માટે બંધ છે. પણ તેની અફલાતુન વેબ સાઈટ પર જઈને આખા મણિ ભવનની વર્ચ્યુઅલ ટૂર લેવાની સગવડ છે. હવે મહારાષ્ટ્ર સરકારે મોટી રકમનું અનુદાન આપ્યું છે એટલે મકાનના રેનોવેશન ઉપરાંત નવી નવી સગવડો પણ ઉમેરાશે.

ઘણાં વરસ પહેલાં કેન્દ્રની કૉન્ગ્રેસ સરકારે અનુદાન આપેલું એ વખતના એક પ્રસંગ સાથે આજની વાત પૂરી કરીએ. ગ્રાન્ટ મંજૂર કરતાં પહેલાં બે પ્રધાનોએ ઔપચારિક રીતે મુલાકાત લીધેલી. સાધારણ રીતે મંત્રીઓ મોડા પડવા માટે નામચીન. પણ તે દિવસે બંને પ્રધાનો નિયત સમય કરતાં બે મિનિટ વહેલા આવીને સીધા પહોંચ્યા તે વખતના ડિરેક્ટર ડો. આલુ દસ્તૂરની ઓફિસમાં, અને તેમની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. અગાઉ આલુબહેન બોમ્બે યુનિવર્સિટીમાં અધ્યાપક હતાં ત્યારે આ પ્રધાનો તેમના વિદ્યાર્થી. જોતાં વેંત ઓળખી ગયા આલુબહેન પોતાના વિદ્યાર્થીને, અને કહે : ‘તમે વિદ્યાર્થી હતા ત્યારે પણ આટલા જ પંકચુઅલ હતા. એ સારી ટેવ તમે હજી જાળવી રાખી છે એ જોઈને આનંદ થાય છે.’ મણિ ભવને પણ ગાંધીજીની સાંભરણોને યોગ્ય રીતે જાળવી રાખી છે એ જોઈને કોઈને પણ આનંદ થાય.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 02 ઑક્ટોબર 2021

Loading

...102030...1,8001,8011,8021,803...1,8101,8201,830...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved