Opinion Magazine
Number of visits: 9570993
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મતાધિકાર ન હોય તેવી વ્યક્તિ માટે મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|13 August 2021

આ શીર્ષક વાંચીને ઘણાંનાં નાકનાં ટેરવાં ચડી જવાના છે, પણ કમ સે કમ જે વ્યક્તિ પુખ્ત વયની નથી એને મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ હોવો જોઈએ, એમ તીવ્રપણે કહેવાનું થાય છે. જો 8 વર્ષની બાળકીને બાઇક ચલાવવા માબાપ ન આપતાં હોય તો મોબાઈલ પણ ન જ આપવો જોઈએ, કારણ બાઇકનું છે એથી વધુ જોખમ મોબાઇલનું છે. આપણે બાળકને નાની ઉંમરે, મોટું કરી નાખવામાં ગૌરવ અનુભવીએ છીએ અને તેને પ્રોત્સાહન આપીએ છીએ, પણ એ મુર્ખાઈથી વધારે કૈં નથી. બાળક સાહસિક બને ને એ દિશામાં સક્રિય થાય તો એમાં કશું ખોટું નથી, પણ એ જો ચાલુ ગેસ પર હાથ મૂકવા જાય તો એને આપણે પ્રોત્સાહન આપતાં નથી કે એને સાહસ તરીકે બિરદાવતાં નથી. એ જ રીતે બાળકોનાં મોબાઇલના ઉપયોગને પણ બિરદાવી શકાય નહીં. આજકાલ તો માબાપ સામેથી, બાળકને મોબાઈલનો ઉપયોગ કરવાનું શીખવે છે ને તેનું ગૌરવ લે છે. બાળકને એની ટેવ પડે છે ને પછી ફટાફટ ક્લિક કરવા લાગે છે તો મમ્મીઓ ને પપ્પાઓ હરખથી ઘેલાં ઘેલાં થઈ જાય છે. એક વાર બાળક મોબાઈલનો ઉપયોગ કરતું થઈ જાય છે, પછી આજ માબાપો બાળક મોબાઈલ છોડતું નથી એવી ફરિયાદ પણ કરવા લાગે છે. જો કે, ઘણાં માબાપ તો હવે અણગમો બતાવીને જ રહી જાય છે, કારણ એ બધાં પણ ક્યાંક ને ક્યાંક લાગેલાં હોય છે એટલે મોબાઇલમાંથી પરવારે તો બાળક શું કરે છે તે જુએ ને !

બાળક વધારે ખલેલ ન પહોંચાડે એટલે તેને જેમ કે.જી., નર્સરીમાં ધકેલાય છે, એમ જ ઘરમાં ત્રાસ ન આપે એટલે માબાપ તેને મોબાઈલ પકડાવી દે છે, એટલો વખત તો શાંતિ !

એ ખરું કે મોબાઈલ ઉપયોગી ડિવાઇસ છે. એનાથી વ્યક્તિનો સંપર્ક ઝડપી બને છે ને વિદેશમાં રહેતી વ્યક્તિને વીડિયો કોલ કરીને મહત્ત્વની વાતો શેર કરી શકાય છે, મની ટ્રાન્સફર કે ટ્રેડિંગ સરળ થાય છે, મહત્ત્વના મેસેજિસની આપ-લે શક્ય બને છે, ઓનલાઈન શિક્ષણ જેવી સવલતો ઊભી થાય છે, કોઈ ખેલાડી ગોલ્ડ મેડલ લાવે છે કે કોઈ પર્વત ધસી પડે છે તો તેનો વીડિયો મિનિટોમાં ગમે ત્યાંથી ટપકી પડે છે ને એ જ રીતે પોતાના મોબાઈલ પરથી પણ ક્લિપિંગ્સ શેર કરી શકાય છે. એટલે મોબાઇલ ઉપયોગી છે જ, એ સાથે જ તેના ભયસ્થાનો પણ છે જ ! સ્ત્રી-પુરુષના સંબંધોના અંતરંગ દૃશ્યો મોબાઇલમાં ઝીલીને બ્લેકમેલ કરવાના ઘણા કિસ્સા મીડિયામાં પ્રગટ થતા જ રહે છે, ખરા ખોટા મેસેજિસ દ્વારા વ્યક્તિને ઉશ્કેરવાના, કોઈને ચડાવી મારવાના, કોઈને પછાડવાના બનાવો બનતા જ રહે છે, રાજકીય કે સામાજિક કે ધાર્મિક પ્રચારની પણ ઘણી ખરીખોટી વાતો મોબાઇલના માધ્યમથી ફરતી રહે છે, એમાં સાચું ઓછું જ બહાર આવે છે, મોટે ભાગે તો જાતભાતનો કચરો જ ઠલવાતો રહે છે. સાચી વાત તો એ છે કે સાઇબર સેલની શરૂઆત જ મોબાઇલની ગતિવિધિનું પરિણામ છે. એટલે અનેક સારા ઉપયોગો મોબાઇલના હોય તો પણ, હાથમાં સારું ઓછું જ આવે છે અને એ કચરાના ઢગલામાંથી સોય શોધવા જેવું જ અઘરું કામ બની રહે છે. અફવાઓ પર ધ્યાન ન આપવું એવું કહી કહીને અફવાઓ ફેલાવનારાઓ પણ મોબાઇલમાંથી જ મળી રહે એમ છે.

એ ખરું કે મોબાઇલને કારણે વર્ચ્યુયલ મીટિંગ શક્ય બની, ઓનલાઈન લેક્ચર્સ લેવાતાં થયાં ને દૂર બેઠાં બેઠાં પણ હેતુલક્ષી કામો થયાં. એણે ઘણાં ભૌગોલિક અંતરો ઘટાડીને સંપર્કો વધારી દીધા. મોબાઇલમાં જેમ સભાઓની સગવડો થઈ, એમ જ ઓનલાઈન શિક્ષણનો લાભ પણ મળ્યો. મોબાઇલની મદદથી શિક્ષણની પરોક્ષ વ્યવસ્થાઓ થઈ છે અને ઘણાંને કમાણીનું નવું સાધન પણ મળી ગયું છે, પણ પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણ, ઓનલાઈન, જોઈએ એટલું સફળ થયું નથી. એવું બને કે આ રીતે શિક્ષણ આપવાનું અગાઉ બન્યું ન હતું, એટલે એ સ્ટાર્ટિંગ ટ્રબલ હોય, પણ એ પ્રાથમિક કક્ષાએ સફળ થાય એવી શક્યતાઓ નહિવત છે. એનાથી આંખની અને મનની સમસ્યાઓ પણ થઈ શકે એમ છે. ઓનલાઈન શિક્ષણ અંગે શિક્ષણ વિભાગ થોડો ઉદાસીન પણ છે. પૂરતાં સાધનો નથી, અંતરિયાળ ગામોમાં નેટની સુવિધાઓ નથી એટલે શહેરી કક્ષાએ કદાચ સફળ થાય તો પણ ઓનલાઈન શિક્ષણ ગામોમાં ને આદિવાસી વિસ્તારોમાં સફળ થાય એમ નથી. સફળ કરવાના સરકારના પ્રયત્નો પણ ટાંચા પડે છે.

બીજી મહત્ત્વની વાત એ પણ છે કે સાધારણ કુટુંબમાં એકથી વધુ બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય તો વાલીઓને એ બધાં સંતાનો માટે મોબાઈલ કે લેપટોપ વસાવી આપવાનું પરવડે એમ નથી. વારુ, ઓનલાઈન શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો વ્યવહાર મોટે ભાગે એકતરફી જ જોવા મળ્યો છે. શિક્ષક શીખવે તે વિદ્યાર્થીને સીધું પહોંચે એવી શક્યતાઓ ઓછી જ છે. વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો તેનું નિવારણ તરત આવી જ જાય એ પણ ચોક્કસ નથી હોતું. ટૂંકમાં, ઓનલાઈન પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક તબક્કામાં જ છે ને વર્ગખંડોમાં જ તે વધુ અસરકારક નીવડી આવે એમ બને. વર્ગખંડોમાં અપાતાં પ્રત્યક્ષ શિક્ષણ પછી પણ બાળક મૂંઝાતું હોય, ત્યાં ઓનલાઈન શિક્ષણ કેટલું અસરકારક રહે તે પ્રશ્ન જ છે. એ જ રીતે ઓનલાઈન યોજાતી પરીક્ષાઓમાં પણ ઘણી ગરબડો થઈ છે ને થઈ શકે એમ છે એટલે પણ, ઓનલાઈન શિક્ષણ ને પરીક્ષાઓ યોગ્ય વિકલ્પ જણાતા નથી. આ બધું છતાં ઓનલાઈન પરીક્ષાઓ શિક્ષણ વિભાગ યોજી શક્યું નથી અને વગર પરીક્ષાએ જ પરિણામો આપવાં પડ્યાં છે તે ભૂલવા જેવું નથી. ધારો કે ઓનલાઈન શિક્ષણ ઉત્તમ વિકલ્પ હોય તો પણ, પ્રાઇમરીના વિદ્યાર્થીઓ મોબાઇલથી દૂર રહે એ હેતુ જાળવવા માટે પણ ઇચ્છવા જેવું નથી. કઈ રીતે તે જાણવા વધારે નહીં, એક જ ઘટના જાણવા જેવી છે.

સચિન જી.આઇ.ડી.સી.માં એક પરિણીત પુરુષ તેના ભાઈ સાથે રહે. તેની પત્ની અને દીકરી સહિતનાં ચાર સંતાનો બિહારમાં રહે. ભાઈ પરણી ગયો એટલે જુદો રહેવા ગયો. આ ભાઈ એકલા પડ્યા, પણ પડોશી તરીકે વિશ્વાસુ એટલે બાજુમાંથી બાળકો રમવા આવે ને અંકલ એમને રમાડે ય ખરા. પોતાની પાસે બબ્બે મોબાઈલ, તે દરેકને રમવા આપે. એની એવી ટેવ પડી કે બાળકો રોજ મોબાઇલમાં ગેમ રમવા અંકલને ત્યાં આવે જ !

ગયા સોમવારે રાતના સાડા આઠના સુમારે બંને બાળકો અંકલને ત્યાં ગેઇમ રમવા ગયાં. અંકલે 6 વર્ષના ભાઈને મોબાઈલ રમવા આપ્યો ને એ તો રમતમાં ખોવાઈ ગયો. એવો જ મોબાઈલ અંકલે 8 વર્ષની બાળાને પણ આપ્યો ને એ પણ ફની વીડિયો જોવામાં ખોવાઈ ગઈ ને ક્યાં ય સુધી ખોવાયેલી જ રહી. ઘરે ગઈ ત્યારે માતાએ બાળકીને દુખાવાની ફરિયાદ કરતી ને લોહી નીકળતી હાલતમાં જોઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે અંકલે નાના ભાઈને મોબાઈલમાં વ્યસ્ત રાખીને, તેની હાજરીમાં જ 8 વર્ષની બાળકી જોડે દુષ્કર્મ કર્યું છે. બાળકી મોબાઇલમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે પોતાની સાથે શું થઈ રહ્યું છે તેનો તેને ખ્યાલ જ ન આવ્યો. શ્રમજીવી પરિવાર આ ઘટનાથી ચોંકી ગયો ને વાત પોલીસ સુધી પહોંચી. પોલીસે નરાધમ અંકલની ધરપકડ કરી. એનું તો જે થવાનું હશે તે થશે, પણ દીકરીને ખ્યાલ જ ન આવ્યો એ વધારે આઘાતજનક છે. મોબાઇલનાં વ્યસનનો આ આંખ ઉઘાડતો કિસ્સો છે. મોબાઇલથી સેલ્ફી લેવામાં જીવ ગુમાવવાના બનાવોની હવે નવાઈ રહી નથી. આ અગાઉ મોબાઈલ પર જ બ્લૂ વ્હેલ ને પબ્જી જેવી રમતોનો પવન ફૂંકાયો હતો અને એમાં પણ ઘણાંએ જોખમો વહોર્યાની ઘટનાઓ સામે આવી હતી. સંપર્ક સિવાયની આવી આખી પ્રવૃત્તિ જ આત્મઘાતી છે, વિનાશક છે.

એ સારું હોય કે ખરાબ, આપણે મોબાઈલની ગુલામી ખુશી ખુશી સ્વીકારી લીધી છે. એમાં નાનાં હોય કે મોટાં, સૌ જવાબદાર છે. ખરેખર તો મોટાં વધારે જવાબદાર છે, કારણ તેઓ પોતે તો મોબાઇલથી છૂટી શકતાં નથી ને નાનાંને રમવા માટે મોબાઈલ આપે, અપાવે છે. એની લત લાગી જાય પછી બાળકને તેનાથી દૂર રહેવાનું કહેવાય તો તેની અસર ન પડે એ શક્ય છે, કારણ વડીલો જ એનાથી છૂટી શકતા ન હોય તો તે બાળકોને કયે મોઢે મોબાઇલથી દૂર રહેવાનું કહી શકે?

કોણ જાણે કેમ પણ આપણને ગુલામી વગર ચાલતું નથી. એક લત છૂટે ન છૂટે ત્યાં બીજી લતને ગળે વળગાડી લઈએ છીએ. મોબાઇલના લાભ છે જ, પણ આપણે જ તેનો કઈ રીતે વધારેને વધારે દૂરુપયોગ કરી શકીએ તેની અનેક રીતો વિકસાવી છે. કોઈ પણ વાતનો અતિરેક ઘાતક છે એ કેટલાં નુકસાન પછી શીખીશું તે નથી સમજાતું. નાની નાની આત્મહત્યાઓનું એવું વળગણ છે કે મરવાને જ જીવન માનીને ચાલવાનું ગમે છે સૌને !

વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 13 ઑગસ્ટ 2021

Loading

ન્યાય તોળનારા જ ન હોય તો કોની પાસે ન્યાય માંગશો?

રમેશ ઓઝા|Opinion - Opinion|12 August 2021

અરુણ શૌરી કહે છે કે શાસકો તાનાશાહી વલણ ધરાવતા હોય ત્યારે અદાલતોના, ખાસ કરીને સર્વોચ્ચ અદાલતના દરવાજા સતત ખખડાવતા રહેવું જોઈએ. લોકોના અધિકારોનું રક્ષણ કરવું અને કાયદાના રાજની રખેવાળી કરવી એ સર્વોચ્ચ અદાલતનું બંધારણચીંધ્યું કર્તવ્ય પણ છે એટલે સર્વોચ્ચ અદાલત તેનાથી છટકી ન શકે. એનાથી એક ફાયદો એ થાય કે લોકોને જાણકારી મળે કે દેશમાં ચાલી શું રહ્યું છે. કઈ રીતે શાસકો વિવેક, લોકતાંત્રિક મર્યાદા અને બંધારણનો ભંગ કરી રહી છે. બીજો ફાયદો એ થાય કે સરકારે અદાલતમાં પોતાનો પક્ષ રજૂ કરવો પડે. સંસદમાં જવાબ આપવાથી છટકી શકાય, પણ અદાલતોમાં જવાબ આપવાથી છટકી ન શકાય. એનાથી નાગરિકોને જાણ થાય કે સરકાર પાસે કોઈ તર્કશુદ્ધ દલીલો પણ નથી. આમાં ત્રીજો ફાયદો એ થાય કે અદાલતોમાં બધા જજ કરોડરજ્જુ વિનાના, ડરપોક, કઢીચટ્ટા, બીકાઉ લાલચી હોતા નથી. તેમાંના કેટલાક જજો નાગરિક અને ન્યાયના પક્ષે ઊભા રહેવા જેટલું કાઠું ધરાવતા હોય છે. અદાલત જો નાગરિક અને ન્યાયનો પક્ષ લે તો સરકારને ભારે પડી જાય.

આ સિવાય જજોને ખબર છે કે ન્યાયતંત્રમાં સાઇટેશન એટલે કે પાછલા ચુકાદાઓને પ્રમાણ તરીકે સતત ટાંકવામાં આવે છે. આ વકીલાત અને ન્યાયતંત્રની અનિવાર્ય જરૂરિયાત છે. એક ખટલો એવો નહીં જોવા મળે જેમાં પાંચ-દસ સાઇટેશન ન હોય. અને જ્યારે ખટલો મૂળભૂત અધિકાર વિશેનો હોય, કેન્દ્ર-રાજ્ય સંબંધો અંગેનો હોય કે એવા બીજા ભારતીય રાજ્યના કલેવર અને પ્રાણને લગતા હોય ત્યારે તો એમાં ઢગલોએક સાઇટેશન આપવામાં આવે છે. આને કારણે ભવિષ્યમાં વારંવાર અદાલતોમાં આપણી આબરુની પાઘડી ઉછળવાની છે એ ડરે કેટલાક જજો ન્યાયસંગત ચુકાદા આપે છે. શાસકો તો આવે ને જાય, પણ ભવિષ્યમાં સો-બસો વરસ સુધી દેશની અદાલતોમાં અને કવચિત વિદેશની અદાલતોમાં વકીલો દલીલ કરતી વખતે આપણને હાજર કરવાના છે. આવનારી પેઢી અદાલતોમાં આપણી આવડતની, આપણી પ્રામાણિકતાની અને ન્યાયનિષ્ઠાની કસોટી કરતી જ રહેવાની છે.

ઉદાહરણ આપવું હોય તો ઈમરજન્સીનું આપી શકાય. તમે ઓમ મહેતાનું નામ સાંભળ્યું છે? કદાચ નહીં સાંભળ્યું હોય. ઓમ મહેતા ઈમરજન્સીના દિવસોમાં રાજ્ય કક્ષાના પ્રધાન હોવા છતાં કેન્દ્રના સર્વેસર્વા ગૃહ પ્રધાન હતા અને તેમની જાણકારીમાં અને ટેકા સાથે નાગરિકો સાથે અત્યાચાર કરવામાં આવતા હતા. આજે તેઓ ભુલાઈ ગયા છે, તે ત્યાં સુધી કે તમે નામ પણ નથી સાંભળ્યું. બીજી બાજુ ન્યાયમૂર્તિ પી.એન. ભગવતી, ન્યાયમૂર્તિ એ.એન. રે, ન્યાયમૂર્તિ એમ.એચ. બેગની કુખ્યાતિ તેમનો પીછો નથી છોડતી. તેઓ ખરા ટાણે સત્યની સાથે, ન્યાયની સાથે, બંધારણની સાથે અને નાગરિકના પડખે ઊભા રહેવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વારંવાર તેમણે દેશની અદાલતોમાં આરોપી તરીકે ઊભા રહેવું પડે છે. ન્યાયમૂર્તિ ભગવતી તો એટલી હદે અપરાધભાવ અનુભવતા હતા કે મૃત્યુ પહેલાં તેમણે તેમની ભૂલ સ્વીકારી લીધી હતી અને આડકતરી રીતે માફી માગી હતી. વેચાઈ જવું સહેલું છે, પણ વેચાણખત વરંવાર ટાંકવામાં આવે અને એ પણ સદીઓ સુધી ત્યારે એ બહુ વસમું નીવડતું હોય છે. આને કારણે સાવ બેશરમ જજો હોય એ જ ન્યાય સાથે ખુલ્લેઆમ ગદ્દારી કરે છે અને એવા જજો મોટો સોદો કરી લે છે જે રીતે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ કર્યો હતો.

માટે અરુણ શૌરી કહે છે કે અદાલતોના દરવાજા ખખડાવતા રહેવા જોઈએ. ત્યાં ભલે સંખ્યામાં થોડા પણ પ્રમાણિક અને હિંમત ધરાવનારા જજો બેઠા છે જેને સરકાર ખરીદી શકવાની નથી. તેઓ બંધારણ અને ન્યાયના પક્ષે ઊભા રહેશે. જેમનામાં હિંમત ખૂટે છે એવા, પણ લાજશરમ ધરાવનારા જજો ભવિષ્યમાં તેમના ચુકાદાઓના સાઇટેશનથી ડરીને ન્યાયની વિરુદ્ધ બહુ દૂર નહીં જાય. થોડુંક દહીંદૂધિયું વલણ રાખશે એટલું જ. સાવ બેશરમોને છોડી દો તો પણ એકંદરે અદાલતોનો ઉપયોગ કરીને લોકતંત્ર અને કાયદાના રાજને બચાવી શકાય.

સરકાર આ જાણે છે અને સરકારે ઉપાય શોધ્યો છે, ન રહે બાંસ ન બજે બાંસુરી. જજોની નિમણૂકો જ નહીં કરવાની. સમૂળગા ન્યાયતંત્રનું જ કાસળ કાઢી નાખવાનું. રોજ હજારો નવા કેસ આવતા હોય, કામનો ભરાવો હોય, અમુક ગંભીર કેસોને લઈને માનસિક દબાવ હોય, સમાજની અપેક્ષા હોય, ગંભીર કેસોમાં મીડિયાની નજર હોય અને જજો ઓછા પડતા હોય ત્યારે ન્યાયતંત્ર કેવી ગુંગળામણ અનુભવે એની કલ્પના કરી જુઓ. કોવીડના બીજાં મોજાં વખતે બન્યું હતું એમ ઓક્સીજનની સપ્લાઈ જ બંધ કરી દેવાની. જજો હોય તો કોઈ તમારી રાવ સાંભળશે ને!

પ્રમાણ જોઈએ છે? સૌથી મોટી ટાર્ગેટ કલકત્તાની વડી અદાલત છે, કારણ કે તે કોલકત્તામાં છે.  બંગાળમાં ગજ વાગતો નથી એ તો તમે ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જોઈ લીધું. કલકત્તાની વડી અદાલત માટે ૭૨ જજોની નિમણૂક (sanctioned strength) કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૧ જજો છે અને ૪૧ જગ્યા ખાલી છે. ૭૧ જજોનું કામ ૩૧ જજોએ કરવું પડે છે. કોલકતામાં અડધા કરતાં વધુ અદાલત ખાલી પડી છે. બીજો મોટો ટાર્ગેટ દિલ્હીની વડી અદાલત છે, કારણ કે એ દિલ્હીમાં છે. દિલ્હીની વડી અદાલતમાં કુલ ૬૦ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને અત્યારે તેની પાસે માત્ર ૩૦ જજો છે. ૩૦ જગ્યા ખાલી પડી છે જેને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારથી ભરવામાં આવતી નથી. દિલ્હીની અડધી અદાલત ખાલી પડી છે. ત્રીજી ટાર્ગેટ અલ્હાબાદની વડી અદાલત છે અને એનું કારણ પણ દેખીતું છે. ત્યાં બી.જે.પી.નો સૌથી મોટો રાજકીય દાવ લાગેલો છે અને ઉપરથી મુખ્ય પ્રધાન તુંડમિજાજી તેમ જ આવડત વિનાનો ફૂહડ છે. અલ્હાબાદની વડી અદાલતને કુલ ૧૬૦ જજો ફાળવવામાં આવ્યા છે અને અત્યારે તેની પાસે ૯૪ જજો છે અને ૬૬ જગ્યા ખાલી પડી છે. એ પછી ગુજરાતની વડી અદાલત ટાર્ગેટ છે, કારણ કે ગુજરાતમાં પણ શાસનનાં નામે મીંડું છે. ગુજરાતની વડી અદાલતને બાવન જજો ફાળવવામાં આવ્યા છે, પણ અત્યારે તેની પાસે ૨૮ જજો છે અને ૨૪ જગ્યા ખાલી છે.

આ વિગત પહેલી ઓગસ્ટ ૨૦૨૧ની છે અને તે ભારત સરકારની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. કુલ મળીને ભારતની ૨૫ વડી અદાલતોમાં ૧,૦૯૮ જજોની નિમણૂક કરવાની જોગવાઈ છે અને તેની સામે ૬૪૩ જજો કામ કરે છે અને ૪૫૫ જગ્યાઓ ખાલી પડી છે. લગભગ ૪૦ ટકા જગ્યાઓ ખાલી પડી છે અને તેને ચાહી કરીને ભરવામાં આવતી નથી. સર્વોચ્ચ અદાલતની સ્થિતિ થોડીક સારી છે. સર્વોચ્ચ અદાલતને ૩૪ જજો ફાળવવામાં આવ્યા છે, ૨૬ જજો કામ કરે છે અને આઠ જગ્યા ખાલી પડી છે. એને પણ કદાચ અડધોઅડધ ખાલી કરી નાખવામાં આવશે. ઉપર કહ્યું એમ ન રહે બાંસ ન બજે બાંસુરી.

ન્યાયતંત્ર ગુંગળામણ અનુભવે એ સ્વાભાવિક છે. તમને યાદ હશે કે ૨૦૧૬માં એ સમયના દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ટી.એસ. ઠાકુર એક સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને આજીજી કરી હતી કે મહેરબાની કરીને ન્યાયતંત્રને બચાવો. અમારી પાસે જજો નથી અને ન્યાયતંત્ર તૂટી પડવાની સ્થિતિમાં છે. વડા પ્રધાને તેમના ભાષણમાં દેશના મુખ્ય ન્યાયમૂર્તિની પીડાનો ઉલ્લેખ સુદ્ધા નહોતો કર્યો, પ્રતિસાદ તો દૂરની વાત છે. એ ક્લીપ તમે યુ ટ્યુબ ઉપર જોઈ શકો છો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રડે અને વડા પ્રધાન મોઢું ફેરવી લે? પણ એ ક્યાં નવી વાત છે. આવું તો કોવીડના બીજા વેવ વખતે પણ જોવા મળ્યું હતું અને એ પહેલાં અનેક વાર જોયું છે. 

હવે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ એસ.કે. કૌલ અને હૃષીકેશ રોયે હૈયાવરાળ કાઢી છે. એક કેસમાં સુનાવણી દરમ્યાન આ બે જજોએ કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતની કોલેજિયમે વડી અદાલતોમાં જજોની નિમણૂકો માટે નામ મોકલ્યાં છે, પણ કેન્દ્ર સરકાર ભરતી જ નથી કરતી. તેમણે કેન્દ્ર સરકારના વલણને થાય એ કરી લો એવા ઉદ્દંડ (recalcitrant attitude) તરીકે ઓળખાવ્યું છે. આ પહેલાં ૨૦મી એપ્રિલે સર્વોચ્ચ અદાલતની ત્રણ જજોની બેન્ચે સરકારને જજોની નિમણૂક કરવાનો આદેશ આપ્યો હતો અને તે માટે ૧૮ અઠવાડિયાનો સમય આપ્યો હતો. મુદ્દતના ૧૬ અઠવાડિયા વીતી ગયાં છે, પણ નિમણૂકો કરવામાં આવતી નથી. માટે જજોએ સરકારના વલણને તુંડમિજાજી ઉદ્દંડ તરીકે ઓળખાવ્યું છે. ન્યાયમૂર્તિ કૌલે જૂના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે તેઓ દાયકા પહેલા દિલ્હીની વડી અદાલતમાં જજ તરીકે જોડાયા ત્યારે દિલ્હીની વડી અદાલતમાં જજોની કુલ સંખ્યા ૩૩ જજોની હતી અને તેઓ ૩૨મા ક્રમે હતા.

હવે બે વાત ભક્તરાજને કહેવાની રહે છે. વિદેશી કંપનીઓ ભારતમાં નાણાંનું રોકાણ કરતી વખતે શરત મૂકે કે જો કોઈ મતભેદ કે ઝઘડો થાય તો ખટલો અમારા દેશની અદાલતમાં ચાલશે, ભારતની અદાલતમાં નહીં, કારણ કે ભારતમાં ટાણાસર ન્યાય મળતો નથી, ત્યારે તમે પોરસાશો કે શરમ અનુભવશો? આ છે તમારો દેશપ્રેમ? આવું બની રહ્યું છે. અને બીજું, કાલે તમને ન્યાય જોતો હશે ત્યારે તમે કોની પાસે જશો? કલ્પના કરો કે તમારી સાથે ભયંકર ખોટું થયું હોય, તમારી આંતરડી ન્યાય માટે કકળતી હોય અને સામે ન્યાય તો બાજુએ રહ્યો ન્યાયતંત્ર સાંભળવાની સ્થિતિમાં પણ ન હોય! કલ્પના કરી જુઓ. આ શક્ય છે, કારણ કે તમે એક સામર્થ્યહિન અદના નાગરિક છો. તાળીઓ પાડતા પહેલાં અને સીટીઓ વગાડતા પહેલાં પોતાનું હિત તો જુઓ! કંઈ નહીં તો તમારા સંતાનોને તો સુરક્ષિત ભવિષ્ય આપતા જાવ!

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 12 ઑગસ્ટ 2021

Loading

દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની

સુદર્શન આયંગાર|Opinion - Opinion|12 August 2021

પુસ્તક પરિચય

દેડિયાપાડાનો વન અધિકાર સંઘર્ષ – ૩૨ વર્ષની કહાની – લેખિકાઃ તૃપ્તિ પારેખ – પ્રકાશકઃ અંબરીષ મહેતા – એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ (આર્ચ – વાહિની) વડોદરા, ડિસેંબર ૨૦૨૦. – પ્રત ૫૦૦૦ – પૃષ્ઠ સંખ્યા ૧૬૦ + ૪૦ – સહયોગ રાશિ : રૂપિયા 150/- – મેળવવા માટે : m_ambrish@hotmail.com તેમ જ  truptiparekh1@hotmail.com

આઝાદી પછીની પહેલી પચ્ચીસી આવતા દેશની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો ન હતો. તે જ અરસામાં દેશના નામાંકિત અર્થશાસ્ત્રીઓએ તદ્દન ગરીબીમાં જીવનારાઓની દેશની વસતીનો અંદાજ ૬૦ ટકા ઉપર મૂક્યો હતો. ૧૯૬૭ પછી તો દેશને ખાવા માટે અનાજની પણ આયાત કરવી પડેલી. હરિત ક્રાંતિ શરૂ થયી હતી, પરંતુ તેનાં પરિણામો વ્યાપક સ્તર પર મળે તેમાં હજી ઘણી વાર હતી. ગાંધીજીના ગ્રામ સ્વરાજની વાત તો કોરાણે મૂકાઈ ગયેલી. અલબત્ત, વિનોબાએ ભૂદાનની ચળવળ ચલાવી એક નવી ક્રાંતિ સર્જી હતી પણ તેના વ્યાપક સ્તરે મંગલકારી પરિણામો આવે તેવું કંઈ બન્યું નહીં અને કૃષિ ક્ષેત્રે વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતાના કોઈ નવા કીર્તિમાનો સ્થપાયા નહીં. પરંતુ આઝાદીની થોડાં વરસો પહેલાં અને ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકાઓમાં જન્મેલા ગાંધી, સરદાર, સુભાષ અને આંબેડકરના જીવન અને કવનથી પ્રેરણા પામેલા કઈંક યુવાઓ દેશની પરિસ્થિતિથી વ્યથિત થઈ તેમાં પાયાથી ફેરેફાર કરવા થનગની રહ્યા હતા. ૧૯૭૩ – ૭૬ના અરસામાં ગાંધીયુગના નેતા જયપ્રકાશ નારાયણે આ થનગની રહેલા યુવાનોને દિશા ચીંધી સંપૂર્ણ ક્રાંતિના આંદોલનમાં જોડાવા હાકલ કરી હતી. હજારો યુવાઓ જોડાયા. જે.પી. આંદોલનની પ્રક્રિયામાં છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીની રચના કરવામાં આવી હતી. સમય જતાં તે પૈકી કેટલાક પક્ષીય રાજકારણમાં સક્રિય થયા. થોડીક વ્યક્તિઓ કેંદ્ર સરકારમાં પ્રધાન બન્યા અને રાજ્યમાં મુખ્ય પ્રધાન પણ બન્યા. કેટલાક લોકોએ લોકો તરફ જ રહીને અધિકાર અને ન્યાય મેળવવા સતત પ્રયાસ કર્યો અને એ પ્રક્રિયામાં રાજ્ય સામે સંઘર્ષ પણ કર્યા. આ હરોળમાં એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલોપ્મેન્ટ (આર્ચ) પરિવારનાં રશ્મિ, તૃપ્તિ, અંબરીષ, રાજેશ અને આ લેખક આવે જેઓ વાહિનીના પહેલેથી જ સદસ્યો હતાં.

જે.પી. – નારાયણ દેસાઈ સંચાલિત તરુણ શાંતિ સેનાના રાષ્ટ્રીય સંયોજક અશોક ભાર્ગવ, ડૉ. અશ્વિન પટેલ અને નિમિત્તા ભટ્ટ સાથે રહી છેવાડેના એક ગામમાં બેસી આરોગ્ય અને અનૌપચારિક શિક્ષણ સેવાઓ આપવાનું શરૂ કરેલું તે સમયે ડૉ. અનિલ પટેલે પત્ની ડૉ. દક્ષા પટેલ સાથે જોડાયા. તે સંસ્થા એક્શન રિસર્ચ ઇન કમ્યુનિટી હેલ્થ એન્ડ ડેવલપમેન્ટ (આર્ચ) નામે ઓળખાઈ. આ જૂથ સાથે થોડા જ સમયમાં વાહિનીનાં સભ્યો પણ જોડાયાં. આમ આર્ચ-વાહિની બન્યું.  ગાંધી-વિનોબા-જે.પી. પરંપરા આ પેઢીએ ચાલુ રાખીને કેટલીક અગત્યની સિદ્ધિઓ મેળવી તે પૈકી ગુજરાત રાજ્યમાં મેળવેલી આ સિદ્ધિ નોખી અને નોંધપાત્ર છે. સરદાર સરોવર બંધની મહાયોજનામાં ડૂબમાં જતા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના આદિવાસી કુટુંબોના પુર્વસન માટે સંઘર્ષ કરી યોગ્ય નીતિ ગુજરાત રાજ્ય પાસેથી મેળવીને તે અનુસાર અમલ કરવા માટે આર્ચવાહિનીનું કામ અંતર્રાષ્ટ્રીય સ્તરે જાણીતું છે. તે જ અરસામાં બંધના પાછળના વિસ્તારમાં આવેલ ડુંગરાળ દેડિયાપાડાના જંગલ વચ્ચે આવેલા ગામોમાં આદિવાસી પ્રજાની દારૂણ ગરીબી અને જંગલખાતાની પારાવાર કનડગત સામે આવી જેની સામે યુવા તૃપ્તિએ કમર કસી અને પોતાના જીવનનાં સૌથી મૂલ્યવાન વર્ષો આ કામને સમર્પિત કરી દીધાં. અંબરીષ અને રાજેશ એની પડખે જ રહ્યા. ડૉ. અનિલ પટેલની ભાગીદારી અને માર્ગદર્શન સતત રહ્યા. 

જે.પી. આંદોલનના સમયમાં હિંદી સાહિત્યના શ્રેષ્ઠ ગઝલકાર દુષ્યંત યુવાઓમાં ખૂબ લોકપ્રિય હતા. ભાઈ અંબરીષ એક શેર બહુ બોલ્યા કરે,

सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,

मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।

હાલ નર્મદા જિલ્લામાં સ્થિત આ દેડિયાપાડા તાલુકાના આદિવાસીઓની કહાણી સૂરત બદલવાની કહાણી છે. અલબત્ત શરૂઆત તો ભાવનાત્મક સ્તરે જ થઈ હતી. બિહાર આંદોલન વખતે કવિ વશિષ્ઠ અનૂપની આ કવિતા પણ અમે લલકારતા અને આ ભાવ દેડિયાપાડાના આખા સંઘર્ષ સમયમાં હૃદયમાં રહ્યો જ જે લેખિકાના ઉદ્ગારોમાં ઝળ્ક્યા કરે છે. 

 

इसलिए राह संघर्ष की हमने चुनी

ज़िंदगी आँसुओं में नहाई न हो,
शाम सहमी न हो, रात हो ना डरी
भोर की आँख फिर डबडबाई न हो। इसलिए …


अब तमन्नाएँ फिर ना करें खुदकुशी
ख़्वाब पर ख़ौफ की चौकसी ना रहे,
श्रम के पाँवों में हों ना पड़ी बेड़ियां
शक्ति की पीठ अब ज़्यादती ना सहे,
दम न तोड़े कहीं भूख से बचपना
रोटियों के लिए फिर लड़ाई न हो। इसलिए …

છાત્ર-યુવા સંઘર્ષ વાહિનીનીનાં આ યુવાઓએ ત્રણ દાયકાઓ સુધી સાતત્યપૂર્વક કોરાણે જીવતા આદિવાસી સમાજના એક વિસ્તાર પહેલાં ભરૂચ અને પછી નર્મદા જિલ્લામાં સ્થિત દેડિયાપાડા તાલુકાના ગામેગામ ફરી સંઘર્ષ, સંગઠન અને રચનાની સુંદર હારમાળ રચી છે. આ દસ્તાવેજ તેની કહાણી છે. ગાંધીદર્શનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ કહાણી વ્યક્તિ, સમષ્ટિ અને સૃષ્ટિ વચ્ચે બદલાતા સબંધોની કહી શકાય. આ પુસ્તકની ખૂબી એ છે કે આ એક વાર્તા પણ રજૂ કરે છે અને એક દસ્તાવેજ પણ છે. સામાન્ય રીતે કર્મશીલો કામ તો કર્યા કરે છે પણ પોતાની અને આવનાર પેઢી માટે સ્મૃતિ સાહિત્ય મૂકી નથી જતા, એમના જીવનના અંત સાથે લગભગ વાર્તા પૂરી થઈ જાય છે. કર્મશીલ તૃપ્તિ પારેખે પોતાના કવનની વાર્તા કહેતાં-કહેતાં દસ્તાવેજીકરણ પણ કરી લીધું છે. આ રચનાની શૈલી પણ અનોખી છે. લેખિકાનો એક પરિવાર છે અને આજે પ્રૌઢાવસ્થા વટાવી રહેલી આ કર્મશીલ બહેન એ પરિવારના સભ્યોને જેમાં એની ઉંમરના, એનાથી મોટા, એનાથી નાના અને યુવાનો થતાં યુવતીઓને ઉદ્દેશીને આ પરિવાર કઈ રીતે બન્યો, એના તડકા-છાયા, સફળતા-નિષ્ફળતા, માન-અપમાનની વાત ‘હું આ રીતે જોડાઈ’-થી શરૂ કરી ‘આપણે આમ કર્યું’ ‘આવું થયું’ના ભાવમાં જાણે એક કથા કહી રહી છે. આખા ય લખાણમાં હું અને હુંપણું બહુ જ ઓછું છે અને અનિવાર્યપણે જ પ્રગટે છે. 

ચાર ભાગમાં અને ૨૪ પ્રકરણોમાં વહેંચાયેલા પુસ્તકનો પહેલો ભાગ સંઘર્ષ અને સંગઠન અંગેનો છે. આ ભાગમાં કુલ ચૌદ પ્રકરણો છે. દરેક પ્રકરણ એક વિશિષ્ટ મુદ્દાને અનુલક્ષીને લખાયું છે તેથી વાર્તામાં વાતો ભાગ્યે જ દોહરાય છે. કાળખંડની દૃષ્ટિએ પહેલો ભાગ ૧૯૮૮થી ૨૦૦૦ સુધીનો છે. બીજા ભાગમાં આદિવાસીઓને વન અધિકાર મળે તે માટેના એક રાષ્ટૃવ્યાપી આંદોલનમાં લેખિકા અને સંગઠનના લોકોની ભાગીદારી અંગેનો છે. આ સમયગાળો ૨૦૦૨થી ૨૦૦૮નો છે. આ ભાગ બે પ્રકરણોનો જ છે. પંદરમાં પ્રકરણમાં ગામના લોકો કઈ રીતે રાષ્ટ્રીય આંદોલનમાં જોડાયા અને છેલ્લે કેટલી નાટ્યાત્મક રીતે ૨૦૦૬ના ડિસેંબરના આખરમાં કાયદો બને છે અને તેના નિયમો બનાવતા શું અડચણો આવી તેનું સરસ વર્ણન છે. સોળમાં પ્રકરણમાં કાયદાની મુખ્ય જોગવાઈઓનું સરસ દસ્તાવેજીકરણ થયું છે. ત્રીજો અને ચોથો ભાગ ૨૦૦૮થી ૨૦૧૯ સુધીની ઘટનાઓ અને પ્રક્રિયાઓનો ચિતાર આપે છે. બેઉ ભાગ ચાર-ચાર પ્રકરણોના છે. ત્રીજા ભાગના ચાર પ્રકરણો વન જમીન પર ખાનગી માલિકીના હક્કો મેળવવામાં જે મશક્ક્ત કરવી પડી તે અંગેનો છે. ચોથો ભાગના પહેલા ત્રણ પ્રકરણો માલિકી હક મળ્યા પછી જમીનોના ઉત્પાદક વિશે અને જંગલ પર સામુદાયિક હકોનો નિર્વાહ કઈ રીતે કરવામાં આવી રહ્યું છે અને ગ્રામસભાઓના નવા સ્વરૂપ કેવા પ્રગ્ટ્યા છે તે અંગેનો છે. ૨૪મું અને છેલ્લું પ્રકરણ उद्यमेन ही सिद्धयन्ति कार्याणी न मनोरथै-ને સાચું ઠેરવતા શું બોધપાઠ લઈ શકાય તેનું સુંદર વિશ્લેષણ છે.     

કથાનો આરંભ ૨૦૧૯ના ડિસેંબરમાં દેડિયાપાડા તાલુકાના ડાબકા ગામે યોજાયેલ મોટા સંમેલનથી થાય છે. આજની ખુશી અને ગઈ કાલની યાદોને ટૂંકમાં રજૂ કરી લેખિકાએ સુંદર પ્રવેશિકા લખી છે જેના દ્વારા પછીના પ્રકરણોમાં શું આવશે તેનો ખ્યાલ પાઠકને આવશે. બીજા પ્રકરણમાં લેખિકાનો પીડિત લોકો અને વિસ્તાર સાથેનો પરિચય કયા સંજોગોમાં થાય છે તેની વાત આવે છે. રાજ્ય અને સરકારનો એક અંગ કે વિભાગ એ વન વિભાગ છે જે વનસંરક્ષણનાં નામે જોહુકમી ચલાવનાર વિભાગ છે. તેની આ જોહુકમીનો શિકાર આદિવાસીઓ જ બને છે જેઓ સદીઓથી – વન વિભાગ અસ્તિત્વમાં આવ્યું તે પહેલાં આ વનોમાં વસીને પ્રકૃતિના ખોળે સાદું જીવન ગાળતા હતા. વનવિભાગના આવવાથી તેઓની આજીવિકા પર જ તબાહી આવી અને તે એટલી ગંભીર કે આ પ્રજા થોડાક જ સમયમાં કારમી ગરીબીમાં સપડાઈ વનવિભાગના અમલદારોના રહેમોકરમ પર સબડવા માંડી. આવા અમાનવીય જુલમની એક ઘટનાથી લેખિકાનો સામનો થાય છે. તે આનાથી એટલી હચમચી જાય છે કે એવો નિર્ધાર કરે છે કે હવે પછીનો પોતાનો પૂર્ણ સમય આ જુલ્મોને નિવારવમાં કરશે. જંગલખાતાની ગેરરીતિને કઈ રીતે બંધારણની જોગવાઈનો આધાર લઈ અટકાવે છે અને જમીન ખેડનારને રાહત આપે છે તે વાત બીજા અને ત્રીજા પ્રકરણોમાં સમજાય છે.

ચોથું પ્રકરણ ગામના લોકોની રહેણીકરણીનું ટૂંકુ દસ્તાવેજીકરણ છે સાથે લેખિકાના સાથીઓ પોતાના બાલપણ અને તેમના મોટેરાઓ કઈ રીતે જીવતાં તેનું ફ્લૅશ્બેક તેમની જુબાની છે. અન્યાયની સામે લડાઈનો આધાર સત્ય અને અહિંસા જ હોય અને રહેશે એવો લેખિકાનો નિર્ધાર છે અને ગામના લોકો સાથે શરૂઆતમાં વારંવાર ઘુંટવામાં આવે છે જેનો ઉલ્લેખ પાંચમાં પ્રકરણમાં આવે છે સાથે જ લોકો પોતે કંગાલિયતમાં જીવતા હોવા છતાં જંગલખાતાના અધિકારીઓ અને અમલદારોને મરઘી-દારૂની ભેટ આપ્યા જ કરવી પડે છે તે વાત પણ આવે છે અને કઈ રીતે સત્યને વળગી રહેવાથી નિર્ભયતા આવે છે જેથી આવા પ્રકારની લાંચ-રુશ્વત આપવા પર કાપ આવે છે. આ બાબત જંગલખાતાના અમલદારો સાશ્ચર્ય નોંધે છે.

અહિંસાના માર્ગે સત્યની લડાઈ બે રીતે લડવામાં આવી છે. એક કાયદાકીય રીતે અને બીજું રેલી અને ધરણાં મારફત. પાઠકોને ખ્યાલ આવે છે કે આ વાર્તા કાયદાના જોરે આદિવાસીઓની વનસંપદાને પોતાને હસ્તક કરી સરકાર તેમને સાવ નિરાધાર બનાવી દે છે અને આજીવિકા માટે જંગલની કટાઈ પછી ખુલ્લી પડેલી જમીનોમાં અનાજ માટે ખેતી કરનાર આ આદિવાસીઓને ચોર કરાર કરી તેમને વારંવાર એ જમીનોમાંથી બેદખલ કરવા મથે છે. માત્ર એટલા અન્યાયી જુલમથી સંતોષ ન હોય તેમ મારપીટ અને ધાકધમકીનો જંગલવિભાગનો રોજનો વ્યવહાર. વેઠ પણ ખરી. આવી કપરી સ્થિતિમાં લેખિકાએ કઈ રીતે ધીમે ધીમે પણ મક્કમ રીતે માર્ગ કાઢી, હાઈકોર્ટમાં દાદ માગી, બંધારણમાં આપેલા નાગરિકના મૂળભૂત હકના હવાલાથી જંગલખાતાની કનડગતથી રાહત મેળવી આપી અને તે માટે લોક સંગઠન કઈ રીતે મજબૂતીથી બનાવ્યું અને પોતાના દાખલાથી લોકોના મનમાંથી બીક કાઢી એની વાર્તા દસ્તાવેજી વિગતો સાથે પહેલા ભાગના ચૌદ પ્રકરણોમાં જોવા મળે છે. સાચની લડાઈમાં હિંમતભેર ટકી રહેવાથી બીક ભાગે છે અને સત્ય ટકે છે તે વાત સરસ રીતે મૂકાઈ છે. રેલી અને ધરણાઓની નોબત વનવિભાગ કોર્ટ દ્વારા મળેલા હુકમોનું પણ અનાદર કરી ગામોમાં મનસ્વી રીતે વરતે છે ત્યારે આવે છે અને આ તમામ દેખાવોમાં અને રેલીઓમાં કાંકરીચાળો પણ ન થાય તે અનુશાસન અને પાલન થાય છે ત્યારે પોલીસ પાસેથી પણ ચાહના મેળવે છે તે પણ આ વાર્તામાં જોઈ શકાય છે. ચૂંટાયેલા રાજકારણીઓ અને લોક્સેવકો પણ ત્રાહિત લોકોને રક્ષણ આપતા શું રમતો રમે છે તેનો કિસ્સો પણ બહુ બોધદાયક છે. સરકાર અને વનવિભાગ કઈ રીતે લોકોના અસ્તિત્વને ગણકાર્યા વગર વિકાસની વિશાલકાય યોજનાઓ બનાવી તેની પર્યાવરણીય નકારાત્મક આડ અસરોને ખાળવા સંરક્ષણના પગલાં લે ત્યારે લોકો પર તેની શું અસર થાય છે તે તરફ કેટલા બેદરકાર હોય છે તેની વાર્તા પણ પહેલા ભાગના એક પ્રકરણમાં મળે છે. નર્મદા બંધના કારણે ડૂબમાં જતી વનરાજી સામે નવીન વનીકરણ કરવાને બદલે દેડિયાપાડાના મોટા જંગલ વિસ્તારોને અભયારણ્યમાં ફેરવી નાખે છે અને એ બાબતમાં આ વનાધારિત કુટુંબો જેઓ ત્યાં માંડ રળી ખાય છે તેમેને માહિતગાર પણ કરતા નથી. અભયારણ્યમાં વનસંરક્ષણ એટલું કડકાઈથી થાય છે કે કોઈ ઘાસ-પાંદડાં પણ પરવાનગી વગર ખસેડી ન શકે. વનવિભાગ આ કાયદા હેઠળ લોકોને નવેસરથી દમે છે. પાઠકો માટે બે બાબતો ધ્યાન આપવા લાયક છે. એક, લોકોનું સંગઠન લેખિકાના નેતૃત્વમાં કઈ રીતે કોર્ટ અને રૅલીના સહારે ખેડાણ હક ટકાવી રાખે છે. બીજું, વાડ ચીભડા ગળેના ન્યાયે વનવિભાગ અભયારણ્યના વાંસ કઈ રીતે કાગળની મિલને જૂના કરારના આધારે માત્ર આપવાનું ચાલુ રાખે છે તેટલું જ નહીં પણ વાંસનો તમામ જથ્થો બેદરકારી આડેધડ કપાવી આપી દેવા માગે છે. આ રસ જગાવતી વાર્તા વાંસ પુરાણમાં (પ્રકરણ ૧૩) વાંચવા મળશે. આ પ્રકરણ વાંચતા અનાયાસે સ્વામી આનંદે લખેલું ચરિત્રચિત્રણ મહાદેવથી મોટેરા માં રેલવે પુરાણની યાદ અપાવી જાય છે. આઝાદ ભારતના સત્તાના અહંકારમાં રાચતા અમલદારો ગુલામ ભારતના અંગ્રેજ અમલદારોને પણ પાછા મૂકે એવા કૃત્યો કરતા દેખાય છે. વરસોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડુઓના બળદ કબજામાં લઈ બંધ કરી દે અને સંગઠનથી બળ પામેલા ખેડૂતો એને છોડાવા જાય એવા એક બનાવમાં લેખિકા પોતે વનવિભાગની કચેરીથી છોડાવી લાવેલાં. વિભાગે થોડા દિવસ રહી બળદ ચોરીનો કેસ કરી એમને એક દિવસ ન્યાયિક હિરાસતમાં રહેવાને ફરજ પાડેલી! ખેડા સત્યાગ્રહના ‘ડુંગળીચોર’ની માફ્ક આઝાદ ભારતની આ મહિલા સત્યાગ્રહી ‘બળદચોર’ બને છે. રાજ્યસત્તાની રીતભાતો સરખી – ગોરા સાહેબ હોય કે કાલા સાહેબ. આવી ઘટનાઓની અસર એવી પડી કે ‘આ તુક્તાબેન જરા પણ બીવે નહીં અને આપણા માટે જેલ હો જાય’ તો આપણે શું બીવાનું? સત્યની લડતમાં નિર્ભય થવું જરૂરી અને જાત પર સહન કરવાનું જરૂરી તો જ સત્યાગ્રહ થાય અને સામેવાળા પર અસર થાય. ગાંધીજીની આ જ શીખ અને તેનો પ્રતાપ દેડિયાપાડાના આદિવાસીઓના સંઘર્ષમાં જોવા મળે છે.

પુસ્તકના ત્રીજા ભાગના પ્રકરણો આપણા લોકતંત્રમાં યોગ્ય કાયદો ઘડાય, તેના યોગ્ય નિયમો પણ બને પણ તેનો અમલ થશે જ એની ખાતરી કોઈ આપી શક્તું નથી. સત્ય સાથે સત્ય માટે લડનારાઓએ ગાફેલ રહેવાનું પોસાય એમ નથી. માત્ર એટલું જ નહીં પણ કાયદાને અમલ કરવા માટે હોશિયાર અને લુચ્ચી નોકરશાહી સામે હોશિયાર તો બનવું જ પડે. ચંપારણ સત્યાગ્રહ વખતે ગાંધીજીએ મોટા ગજાના વકીલોને હજારો ખેડૂતોની ટેસ્ટીમનીઓ આધાર પુરાવા સાથે ભેગું કરવાનું કામ સોંપેલું. નીલ બનાવનાર કંપનીના માલિકો અને જમીનદારો ખેડૂતો પર પારાવાર જુલમ ગુજારે પણ દાવો એવો કરેલો કે તેઓ ખેડૂતોને બહુ સારી રીતે રાખે છે. ખેડૂતોનું સત્ય કઈં બીજું જ હતું, ૮,૦૦૦ જેટલી ટેસ્ટીમની ભેગી કરેલી. વન કાયદા હેઠળ ખાનગી દાવાઓ પૂરવાર કરવા કયા પ્રકારની મશક્ક્ત થઈ, શું ખેલ થયા, લોકો કઈ રીતે જી.પી.એસ. અને પી.ડી.એ. મશીનો વિશે જાણકારી મેળવી ઉપયોગ કરવાનું શીખ્યા અને ભાઈ અંબરીષની કુનેહ અને આવડત કઈ રીતે કામ કરે છે એ ત્રીજા ભાગના પ્રકરણોમાં વિગતે જાણવા મળે છે. ગાંધીજી એક મોટા વિદ્વાન પિંકટ પાસે શીખેલા કે હકીકતો તે ત્રણ ચથુર્તાંશ કાયદો છે. આ સિદ્ધાંત પર ભાઈ અંબરીષ અને લેખિકા દાવાઓના પૂરાવા પૂરા પાડે છે. દાવાઓ પૂરાવા સાથે મૂકી કેસ એટલા મજબૂત થાય છે કે ગુજરાત આખામાં તો ખરું જ પણ કદાચ દેશમાં ક્યાંયે આટલા દાવા (૯૦ % ઉપર) પાસ થયા હોવાનો દાખલો નથી.

પુસ્તકનો ચોથો ભાગ એક નવીન પ્રયોગ છે. ઉત્પાદક સંસાધન એટલે કે જમીન પર ખાનગી માલિકીના હક મળે તો વ્યક્તિની સર્જનાત્મકતા કેટલી પૂરબહાર ખીલે છે અને તેમાં પણ જો જાણકારોનું અને સંગઠનનો સહકાર મળે તો સંસાધનની ઉત્પાદકતા કેટલી વધારી શકાય તેની વાત અને વાર્તા ૨૧માં પ્રકરણમાં જોવા મળે છે. સરકારના તાબા હેઠળની પ્રાકૃતિક સંપદા અને સામુદાયિક માલિકી હક હેઠળ આપવામાં આવતા અધિકારો સાથે લોક સંગઠન અને ગ્રામ સભાઓ શું કરી શકે તેની વાત ૨૨ અને ૨૩માં પ્રકરણોમાં જોવા મળે છે. વાંસ પુરાણમાં સરકાર અને ધંધાદારી બળોના ગઠબંધનથી જે નકારાત્મ્કતા ઊભી થાય છે તેની સામે ગ્રામ સભા અને લોક સંગઠન કઈ રીતે જંગલ જેવા સંસાધનનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે તે જાણવા મળે છે. આમ દેડિયાપાડાના ગામોની સૂરત બદલાઈ છે.

સત્ય, અહિંસા અને સત્યાગ્રહ મુશ્કેલ અવશ્ય છે, પણ હિંમતભેર નિર્ભયતાથી લોકાધાર ઊભો કરી ટકી રહેવાથી બંધારણનાં મૂળ મૂલ્યો સ્વતંત્રતા, ન્યાય અને સમાનતા તરફ આગળ વધી શકાય તેની ગવાહી આપતી વાર્તા અને દસ્તાવેજ એટલે આ પુસ્તક.

Plot no. 3,  ARCH Campus, Nagaria, Dharampur 396 050 District Valsad  Gujarat, India

પ્રગટ : “ભૂમિપુત્ર”, 01 ઑગસ્ટ 2021; પૃ. 15-17 તેમ જ 14

Loading

...102030...1,7881,7891,7901,791...1,8001,8101,820...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved