Opinion Magazine
Number of visits: 9746427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—116

દીપક મહેતા|Opinion - Opinion|17 October 2021

પારસીઓનાં લગન વખતે ગવાતા ‘બેઠા ગરબા’

પાયધોણી પર લોકો પગ ધોઈને માટીનાં પૂતળાં જોતા

ગુજરાતી રંગભૂમિ પર પહેલો ગરબો ગવડાવ્યો એક પારસીએ

એવણનું નામ શોરાબજી હોરમજી. ગામ મુંબઈ. કામ લગન કે બીજા સપરમા દહાડે પારસીઓને ઘેર જઈ ગરબા ગવડાવવા. અને એ પણ છેક ૧૯મી સદીના મુંબઈ શહેરમાં! એટલું જ નહિ, પોતાના ‘બનાવેલા’ ગરબાની પૂરાં ૪૭૪ પાનાંની ચોપડી પણ તેમણે છેક ૧૮૭૯માં છપાવી હતી. નામ જરા લાંબુ લચક: ‘પારશી સ્ત્રી ગરબા તથા લગનસરામાં બેઠા બેઠા ગાવાના શહવેનાના ગીતો અને ગરબાઓનો સંગરહ.’ અને આ ચોપડીના પહેલા પાના પર લેખકે પોતાની ઓળખ આ રીતે આપી છે : ‘ચીકન છાપનાર અથવા ગરબા ગાનાર.’ એટલે કે લેખક પ્રોફેશનલ ગરબા ગવડાવનાર હતા. હવે, જો એ વખતે કમ સે કમ મુંબઈના પારસીઓમાં ગરબા ગાવા-ગવડાવવાનો ચાલ ન હોય તો કોઈ માણસ પ્રોફેશનલ ‘ગરબા ગવડાવનાર’ કઈ રીતે હોઈ શકે? હા, ગરબા ગવડાવીને બારે મહિના પેટિયું રળી શકાય એમ ન હોય, એટલે ચીકન છાપવાનું કામ પણ કરતા. ના, ના. આ ચીકન એટલે મરઘાં-બતકાં નહિ હોં! એક જાતનું કપડું. એ જમાનામાં ચીકનની સાડી ખાસ્સી પોપ્યુલર. ઘેરમાં લગન હોય તો બે-ચાર તો ખરીદવાની જ હોય. આમ, બંને કામ પારસી કુટુંબોના લગન સાથે સંકળાયેલાં.

આ પુસ્તક છપાયેલું મુંબઈના ‘પરીંતરશ પરેશ’ (પ્રિન્ટર્સ પ્રેસ) છાપખાનામાં, અને તેની કિંમત હતી છ રૂપિયા. આ રકમ એ વખતે ઘણી મોટી કહેવાય. પણ આ પ્રકારનું આ કાંઈ તેમનું પહેલું પુસ્તક નહોતું. દીબાચામાં જણાવ્યું છે કે અગાઉ તેમણે જ ‘રમૂજી ગરબાઓની ચોપડી’ નામના પુસ્તકના ત્રણ ભાગ પ્રગટ કર્યા હતા. ૧૮૭૯માં આ પુસ્તક પ્રગટ થયું ત્યાં સુધીમાં ત્રણે ભાગની બધી જ નકલો ખપી ગઈ હતી, અને હજી માગ તો ચાલુ જ હતી. પણ એ ત્રણ ભાગની કિંમત ૧૧ રૂપિયા હતી. ‘એટલી મોહોટી કીમત’ ઘણાને પરવડતી નહોતી. તેથી તે ત્રણ ભાગમાંથી પસંદ કરેલી કૃતિઓ તથા બીજી કેટલીક નવી કૃતિઓ ઉમેરીને તેમણે આ પુસ્તક તૈયાર કર્યું. આ પુસ્તકમાં શોરાબજીની એક વધુ ઓળખ મળે છે : ‘પુટલાં દેખાડનાર.’ એટલે? જાહેર જગ્યામાં માટીનાં પૂતળાં બનાવી, લોકોને તે બતાવીને બે પૈસા રળી લેતા. કોનાં પૂતળાં બનાવતા હશે? સર જમશેદજી જીજીભાઈ, શેઠ જગન્નાથ શંકરશેઠ, અને એ જમાનાના મુંબઈના બીજા નામીચા આગેવાનોનાં પૂતળાં બનાવતા, મુંબઈના પાયધોણી વિસ્તારમાં.

૧૯મી સદીમાં પાયધોણી

મુંબઈનો એ લત્તો આજે પણ ‘પાયધોણી’ કે ‘પાયધૂની’ તરીકે ઓળખાય છે. મુમ્બાદેવીના મંદિર નજીક આવેલા આ વિસ્તાર આગળ અગાઉ મુંબઈના અને વરલી-મઝગાંવના ટાપુઓને જૂદા પાડતી છીછરી ખાડી હતી. ભરતીને વખતે જ તેમાં પાણી ભરાતું. તે સિવાય કાદવ-કીચડ પથરાયેલો રહેતો. ભરતી ન હોય ત્યારે આ કાદવ-કીચડમાં ચાલીને લોકો એક ટાપુ પરથી બીજા ટાપુ પર આવ-જા કરતા. પણ બીજા ટાપુ પરથી આ બાજુ આવ્યા પછી કાદવથી ખરડાયેલા પગ ધોઈને સાફ કરવા પડતા. એથી એ જગ્યા ‘પાયધોણી’ (પગ ધોવાની જગ્યા) તરીકે ઓળખાઈ. પગ ધોયા પછી થાકેલા લોકો થોડો વખત આરામ પણ કરતા હશે. તે વખતે ‘નાહાની ફી’ આપીને પૂતળાં જોવાનું કેટલાક લોકો પસંદ કરતા હશે. તેવી જ રીતે મુંબઈના ટાપુ પરથી વરલી કે મઝગાંવના ટાપુ પર જનારાઓ અહીં પહોંચે ત્યારે જો ભરતીનાં પાણી પૂરેપૂરાં ઓસર્યાં ન હોય તો રાહ જોવી પડે. ત્યારે નવરાશની પળોમાં થોડાક લોકો પૂતળાં જોતા હશે. મુંબઈની પહેલવહેલી પોલીસ ચોકી પણ પાયધૂનીમાં જ ૧૮૬૦માં શરૂ થયેલી, જે આજે પણ અડીખમ ઊભી છે.  

માટીનાં પૂતળાં બતાવીને કે લગનસરામાં ગીત કે ગરબા ગવડાવીને શોરાબજી કેટલું કમાતા હશે એ તો ખોદાયજી જાણે, પણ થોડીઘણી નિયમિત આવક ચીકનનું કપડું છાપવાના કામમાંથી થતી હશે એમ માની શકાય. એ આવકમાંથી પૈસા રોકીને તેમણે આ ‘અડધો ડઝન જેટલાં’ પુસ્તકો છપાવ્યાં હશે. એ પુસ્તકો વેચતા પણ જાતે જ હશે એમ માનવું પડે કારણ આ પુસ્તકમાં કોઈ વિક્રેતાનું નામ છાપ્યું નથી.

આપણા ‘મુખ્ય ધારા’ના ગરબાઓમાં રમૂજ, હાસ્ય, વ્યંગ, ટીખળ બહુ ઓછાં જોવા મળે છે. પણ જ્યારે પારસીઓ ગાવાના હોય ત્યારે એ ગરબામાં આ બધું ન હોય એવું તો કેમ બને? આ પુસ્તકમાં ‘રમૂજી’ ગરબાઓ સારી એવી સંખ્યામાં છે: રાએજી દેવજીનો રમૂજી ગરબો અશલી, બાર વરસની કણીઆંનો રમૂજી ગરબો, અજબ શરૂખી મુરગાં લેનીની રમૂજી ખુદણી, શોલેપણીઆરીની રમુજી ગરબી, કેરીનો રમૂજી ગરબો, ભાઠેની પોરીની હશવાની નાધલી ગરબી, વગેરે.

૧૯મી સદીમાં ગરબે ઘૂમતી પારસી સ્ત્રીઓ

અહીં સંગ્રહાયેલા બીજા એક પ્રકારના ગરબા પણ ધ્યાન ખેંચે તેવા છે. ૧૯મી સદીમાં ઘણી વાર અંગ્રેજો હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. તેમની લિપિને પણ ‘બનીઅન સ્ક્રિપ્ટ’ તરીકે ઓળખતા. તેમને અનુસરીને પારસીઓ પણ ઘણી વાર બધા હિંદુઓ માટે ‘બનીઆ’ શબ્દ વાપરતા. અહીં આવા ‘બનીઆ’ ગરબાઓનાં પારસી રૂપાંતરો પણ જોવા મળે છે. તેમાંના કેટલાક આ પ્રમાણે છે : ઓધવજીનાં રૂશનાનો ગરબો, વાળાની વીનંનતીનો ગરબો, હીનદુ લોકની માતાનો ગરબો, માહાકાલીનો ગરબો, શીતાની કંઠ કાચરીનો ગરબો, વાણીઆના બાર માશનાં વાલાજીનો ગરબો, વગેરે. આ પ્રકારના ગરબાઓમાં નરસિંહ મહેતા વિશેના બે ગરબા ખાસ ધ્યાન ખેંચે તેમ છે. પહેલો, ભગત નરશઈ મેહેતાની હુંડીનો ગરબો. તેની શરૂઆતમાં લખ્યું છે કે આ ગરબો ખંભાતમાં ઘણા લોકો ગાય છે. પણ તેમાંના ‘હિંદુ લોકોના ઘણા બોલ’ સુધારીને સરળ કર્યા છે જેથી ‘શઘલા લોકોને એક શરખી રીતે ગાવાને બની આવે.’ બીજો ગરબો છે ‘નરશાઈ મેહેતાએ પોતાની છોકરી કુવરબાઈને મોશારૂં કીધુ તેનો ગરબો’. તેની સાથેની નોંધમાં લખ્યું છે : ‘એ ગરબાને વાણીઆં લોકો ઘણો પસંદ કરે છે, તથા હાલમાં આપના લોકો લગંનશરામાં તથા બીજે શરઅવશરે ખુશીથી ગાએ છે અથવા ગવરાવે છે.’ અને હા, આ ગરબો પૂરાં ૩૪ પાનાંનો છે!

સામાન્ય રીતે ગરબા સાથે શબ્દ, સૂર, અને નર્તન સંકળાયેલાં હોય છે. પણ આ પુસ્તકમાં જે ગરબા સંગ્રહાયા છે તે સમૂહમાં ઘૂમતાં ઘૂમતાં ગાવા માટેના નથી, એ રીતે ગાઈ શકાય એમ પણ નથી. દાખલા તરીકે છાપેલાં ૩૪ પાનાંનો ગરબો ઘૂમતાં ઘૂમતાં કઈ રીતે ગાઈ શકાય? પુસ્તકના નામમાં પણ ‘બેઠા બેઠા ગાવાના’ તરીકે આ ગરબાને ઓળખાવ્યા છે. આ પ્રકારના ‘બેઠા ગરબા’ એ સાધારણ રીતે નાગર જ્ઞાતિની વિશિષ્ટતા મનાય છે. નવરાત્રી દરમ્યાન ગુજરાતમાં, મુંબઈમાં, અને બીજે પણ, નાગરાણીઓ બપોરને વખતે આવા ‘બેઠા ગરબા’નું આયોજન આજે પણ કરે છે. પણ આ પુસ્તક જોયા પછી લાગે છે કે એક જમાનામાં પારસી કુટુંબોમાં પણ આવા ‘બેઠા ગરબા’ સારા એવા પ્રચલિત હશે. દેશી રાજ્યોની અને અંગ્રેજ સરકારની નોકરીઓમાં ૧૯મી સદીમાં નાગરો અને પારસીઓ આગળ પડતું સ્થાન ધરાવતા હતા. તેથી એકબીજાથી વધુ પરિચિત થયા હતા. એટલે સંભવ છે કે નાગરો પાસેથી પારસીઓએ આ પ્રથા અપનાવી હોય. તો પારસીઓનું જોઇને નાગરોએ ‘બેઠા ગરબા’ શરૂ કર્યા હોય એમ બનવું પણ અસંભવિત નથી.

કેખુશરો કાબરાજી

ગુજરાતની ઓળખરૂપ ગણાતા ગરબાને મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર લાવવાની પહેલ પણ કરેલી એક પારસીએ. એવનનું નામ કેખુશરો કાબરાજી. ૧૯મી સદીના પ્રતિષ્ઠિત પત્રકાર, લેખક, સમાજ સુધારક, રંગભૂમિ, શાસ્ત્રીય સંગીત, વગેરેના અચ્છા જાણકાર. તેમની ‘નાટક ઉત્તેજક મંડળી’એ શરૂઆતમાં તો પારસી-ગુજરાતી નાટકો સફળતાથી ભજવ્યાં. પણ પછી ચતુર કેખુશરોના ધ્યાનમાં આવ્યું કે મોટી સંખ્યામાં પ્રેક્ષકોને નાટકશાળામાં લાવવા હોય તો ‘હિંદુ’ કથાવસ્તુવાળાં નાટકો પણ ભજવવાં જોઈએ. એ જમાનાના લોકપ્રિય નાટકકાર રણછોડભાઈ ઉદયરામ અને કાબરાજી મિત્રો. એટલે રણછોડભાઈ પાસે માગ્યું નાટક. તેમણે પોતાનું ‘હરિશ્ચન્દ્ર’ નાટક આપ્યું. કાબરાજીને અને તેમની નાટક મંડળીને એ નાટક ગમ્યું તો ઘણું. એટલે રણછોડભાઈની પરવાનગી લઈને કાબરાજીએ ઘણી કાપકૂપ કરી. રણછોડભાઈના નાટકમાં સંસ્કૃત છંદોમાં શ્લોકો હતા, પણ ગીત નહોતાં. અને એ વખતે ગીત વગરનાં નાટક તો ચાલે જ નહિ. ત્રણેક ગીતો રણછોડભાઈએ લખી આપ્યાં. કવીશ્વર દલપતરામનું એક પદ અને એક ગરબી ઉમેર્યાં, અને એક પદ કવિ નર્મદનું ઉમેર્યું. બાકીનાં ગાયનો કાબરાજીએ પોતે લખ્યાં. ખમાજ રાગની ઠુમરી પર અને પીલુ રાગમાં ગવાતી ગરબી પર નાચની તક ઊભી કરી. અને આ નાટકને પ્રેક્ષકોએ માથે ઉપાડી લીધું. એ જમાનામાં એના અગિયાર સો પ્રયોગ થયા. પારસી પ્રેક્ષકોને પણ નાટક એટલું તો ગમી ગયું કે પછી ડોક્ટર જેહાંગીર વાડિયાએ ‘પારસી હરીશચંદર’ નાટક લખ્યું અને તે પણ સફળતાથી ભજવાયું. તેનાં ગીતો લખેલાં વ્યવસાયે સિવિલ એન્જિનિયર એવા પેસી પી. કાપડિયાએ.

હરિશ્ચન્દ્ર નાટકમાં કાબરાજીએ જે ગરબી ગવડાવેલી તેની થોડી પંક્તિ :

થીર ઠરીને કોઈ આ ઠામ રે નથી રહેવાનું,
કરી લો કાંઈ રૂડું કામ રહેશે કેવાનું.
સારા સારા વીર ગયા ને ભૂપ ગયો તજી મોજ રે,
જોરાવર જયકારી જગતમાં ફરતી જેની ફોજ.

આ રચનાને કહી છે ‘ગરબી’ પણ તખ્તા પર ‘સ્ત્રીઓ’ રજૂ કરે છે. અલબત્ત, આ ‘સ્ત્રીઓ’ એટલે સ્ત્રીના વેશમાં પુરુષો. કારણ એ વખતે હજી ગુજરાતી તખ્તા પર સ્ત્રીઓની એન્ટ્રીને વાર હતી.

નોરતાંને વિદાય આપીને હવે તો આપણે શરદ પૂનમની રાતની રાહ જોઈએ છીએ. ત્યારે ૧૮૯૯માં ભજવાયેલા ડાહ્યાભાઈ ધોળશાજીના નાટક ‘વીણાવેલી’ના એક ગરબા સાથે આજની વાત પૂરી કરીએ.

ઊગ્યો સખી સૃષ્ટિનો શૃંગાર હાર
ચાલ, ચાલ, જોવાને ચંદ્રમા.
જો ને પ્રેમઘેલી ભૂમિનારના દેદાર
જો ને ડોલે સૃષ્ટિ આનંદમાં.

આનંદમાં ડોલતી મુંબઈ નગરીની વધુ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 16 ઑક્ટોબર 2021

Loading

કોમી ઓળખના નામે કોણ ધરાવે અભિમાન ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 October 2021

ગયા અઠવાડિયે મેં વાચકોને સલાહ આપી હતી કે આ દુનિયામાં જેઓ તેજસ્વી છે, મેધાવી છે, મૌલિકતા ધરાવે છે, પુરુષાર્થી છે, જેમણે દુનિયાને નવી દિશા આપી છે અને નવી રીતે વિચારતા શીખવાડ્યું છે, જેમણે અલગ કેડી કંડારી આપી છે એમાં એવા કેટલા લોકો છે જે પોતાને હિંદુ તરીકે ઓળખાવે છે અને એનું અભિમાન ધરાવે છે એની એક યાદી બનાવવી જોઈએ. હિંદુ તરીકેની ઓળખ તો ગાંધીજી પણ સ્વીકારતા હતા અને ગર્વ પણ અનુભવતા નહોતા, પણ તેનું અભિમાન નહોતા ધરાવતા. માત્ર હિંદુ નહીં, આ જગતમાં ઉપર કહ્યા એવા પ્રકારના કેટલા લોકો છે જે ખ્રિસ્તી તરીકેની, મુસ્લિમ તરીકેની કે બીજી ધાર્મિક કોમી ઓળખ આગળ કરીને તેનું અભિમાન ધરાવે છે? મેં તો ખાતરીપૂર્વક કહ્યું હતું કે આવા હજાર લોકોની યાદી બનાવશો તો એમાંથી દસ જણ પણ એવા નહીં નીકળે જે ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવતા હોય. માત્ર ભારતમાં અને હિંદુઓમાં નહીં, જગત આખામાં અને દરેક ધર્મોમાં. બીજી બાજુ જે લોકો ધાર્મિક કોમી ઓળખનું અભિમાન ધરાવે છે એ લોકો મૌલિક અને મેધાવી નથી નીવડતા. એવા લોકોનું પ્રમાણ પણ હજારે દસનું નહીં મળે!

શા માટે? કાંઈક તો કારણ હશે જ? તમે એમ તો નહીં જ કહો કે રવીન્દ્રનાથ ટાગોરમાં, ક્ષિતિમોહન સેનમાં, રાહુલ સાંકૃતાયનમાં, સત્યજીત રાયમાં, બર્ટ્રાન્ડ રસેલમાં, આલ્બર્ટ આઇન્સ્ટાઇનમાં, ઉમાશંકર જોશીમાં, હજારીપ્રસાદ દ્વિવેદી વગેરે પ્રકારના મૂઠી ઊંચેરા માનવીઓમાં તમારા કરતાં ઓછી બુદ્ધિ હતી અથવા ઓછા દેશભક્ત હતા. આશ્ચર્ય એ વાતનું છે કે જે લોકોએ આખી જિંદગી ભારતીય વિદ્યાઓનાં ક્ષેત્રો (જેવાં કે ફિલસૂફી, સંસ્કૃત ભાષા અને સાહિત્ય, વ્યાકરણ, અન્ય પ્રાચીન ભારતીય ભાષાઓ, અન્ય પ્રાચ્યવિદ્યાઓ, ઇતિહાસ, સાંકૃતિક ઇતિહાસ, વગેરે)માં મૌલિક કામ કર્યું છે કે કરી રહ્યા છે એવા લોકોમાં પણ હિંદુ તરીકેનું કોમી અભિમાન જોવા નહીં મળે. તેઓ હિંદુ પ્રાચીન વારસાના વારસદાર તરીકે અને એ રીતે હિંદુ હોવાનો ગર્વ અનુભવતા જોવા મળશે પણ અભિમાન ધરાવતા જોવા નહીં મળે. જે લોકો અભિમાન ધરાવે છે એ લોકોનાં કામમાં એ ઊંચાઈ જોવા નહીં મળે. જે લોકોએ હિંદુ વારસાને અને હિંદુ પ્રજાને જગત આખામાં મૂઠી ઊંચેરું સ્થાન અપાવ્યું છે એવા લોકો હિંદુ હોવાનું કોમી અભિમાન નથી ધરાવતા જેવું અભિમાન સંઘપરિવારના લોકો અને તેના સમર્થકો ધરાવે છે.

જેમના થકી આપણે જગતમાં રૂડા દેખાઈએ છીએ એવા હિંદુઓ હિંદુ કોમી અભિમાન ધરાવતા હોય એવું જોવા નહીં મળે અને જે લોકો હિંદુ કોમી અભિમાન ધરાવે છે તેમના થકી આજે જગતમાં આપણે બદનામ થઈ રહ્યા છીએ.

શા માટે? શા માટે જે લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થથી સમૃદ્ધ છે એ લોકો ધાર્મિક કોમી ઓળખથી દૂર રહે છે ને જે લોકો કોમી ઓળખને પાળે અને પંપાળે છે એ લોકો ઐશ્વર્ય અને પુરુષાર્થની બાબતે નાદાર છે. આ હું કહું છું એટલે માની લેવાની જરૂર નથી, તમે પોતે, જો હજુ સુધી યાદી બનાવીને તુલના ન કરી હોય તો હજુ કરી લો અને પોતાની જાતે ખાતરી કરી લો.

આનાં કારણો તો હું આપીશ, પણ એ પહેલાં હિન્દુત્વવાદીઓનાં અને તેમના સમર્થક ગણાતા આજકાલના ભક્તોનાં વિચાર, વાણી અને વર્તણૂક ઉપર એક નજર કરી જુઓ. ભગવતગીતામાં ભગવાન કૃષ્ણે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવ્યાં છે એ રાહે તમે હિન્દુત્વવાદીઓનાં સરેરાશ એક સરખાં જોવાં મળતાં સામાન્ય લક્ષણો ઉપર એક નજર કરો. જોઈએ તો ઇસ્લામનું અભિમાન ધરાવતા ઇસ્લામવાદી મુસલમાનો અને તેના સમર્થક મુસલમાનોનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ અને ખાતરી કરી લો કે કોઈ સમાનતા નજરે પડે છે કે કેમ! હજુ વધુ ખાતરી કરવી હોય તો આ પ્રકારના બીજા ધર્મોના અનુયાયીઓનાં વિચાર, વાણી અને વર્તણૂક પણ તપાસી જુઓ.

જગતના તમામ ધર્મોમાં ધાર્મિક કોમી ઓળખ પાળનારા, પંપાળનારા અને તેનું અભિમાન ધરાવનારા લોકોમાં આટલી સમાનતા તમે એક સરખી જોવા મળશે :

૧. તેઓ વર્તમાન અને તેની વાસ્તવિકતાઓથી દૂર ભાગે છે અને ઇતિહાસમાં રાચે છે.

૨. તેઓ વર્તમાનની ચિંતા નથી કરતા, પણ સુંદર અને સમૃદ્ધ ભવિષ્યનાં સપનાં જુએ છે. જાણે કે ભવિષ્યને વર્તમાન સાથે કોઈ સંબંધ જ ન હોય.

૩. તેઓ તર્કબદ્ધ વાત નથી કરી શકતા. એકાદ-બે વાક્યથી વધારે તેઓ કોઈ દલીલ નથી કરી શકતા.

૪. તર્કબદ્ધ દલીલના અભાવમાં તેઓ અજ્ઞાની હોવાનો કે પક્ષપાતી હોવાનો કે હિંદુ ધર્મ વિરોધી હોવાનો આરોપ કરશે અને છેવટે ગાળોનો આશરો લે છે.

૫. તેમનામાં એકલો જાને રે …નો પુરુષાર્થ જોવા નહીં મળે, તેમનો પુરુષાર્થ ટોળાંમાં ખીલે છે.

૬. જૂનવાણી વિચાર અને વર્તણૂક તેમ જ અંધશ્રદ્ધાનું પ્રમાણ તેમનામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.

આ છ લક્ષણો તમને જગત આખામાં અને દરેક ધર્મમાં ધાર્મિક કોમી અભિમાન ધરાવનારા લોકોમાં એક સરખાં જોવાં મળશે. માન્યામાં ન આવતું હોય તો ખાતરી કરી જુઓ!

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 ઑક્ટોબર 2021

Loading

મૈત્રીથી પ્રેમ તરફ –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 October 2021

કુદરતે સ્ત્રી અને પુરુષમાં એકબીજા તરફનું આકર્ષણ એવું મૂક્યું છે કે તે ખતમ થતું જ નથી. સ્ત્રી કે પુરુષ એકબીજા તરફ ભારોભાર નફરત ધરાવે તો પણ એ બંનેએ આજ સુધી તો એકબીજા પર ચોકડી મારી નથી. એ ખરું કે સ્ત્રી- સ્ત્રી વચ્ચે કે પુરુષ-પુરુષ વચ્ચે પણ પ્રેમ થવાના બનાવો વધ્યા છે, પણ તે સ્ત્રી-પુરુષ વચ્ચેના પ્રેમના અભાવમાં અકુદરતી રીતે વિકસ્યા હોવાનું વધારે લાગે છે. એ સંબંધ જ્યાં હોય ને એમાં સંડોવાનારને કોઈ પ્રશ્નો ન હોય, તો ભલે એનો આનંદ મેળવાતો, પણ આ સંબંધો ફળદાયી નથી. સ્ત્રી-પુરુષના પ્રેમની પરિણતિરૂપ બાળકની પ્રાપ્તિ એ સ્ત્રી-સ્ત્રી કે પુરુષ-પુરુષ વચ્ચેના સંબંધમાં અત્યાર સુધી તો શક્ય નથી બની. એ સંદર્ભે પણ સ્ત્રી-પુરુષનો સંબંધ વધારે કુદરતી છે, એવું નહીં?

એક સમય હતો જ્યારે સ્ત્રી-પુરુષ વચ્ચેનો સંબંધ લગ્નથી પ્રમાણિત થતો હતો. મતલબ કે સમાજ પતિ-પત્નીના સંબંધને જ માન્યતા આપતો હતો. એનો અર્થ એવો નહીં કે લગ્ન બાહ્ય સંબંધો બંધાતા જ ન હતા. એ બધું ત્યારે પણ હતું, જેમ આજે છે. આજે એનું પ્રમાણ વધારે લાગે છે તેનું કારણ છે. જે સમાજમાં એકથી વધુ પતિ કે પત્નીની છૂટ છે ત્યાં એનું પ્રમાણ ઓછું છે, કારણ એવા સંબંધો લગ્નમાં ફેરવી દેવાય છે. એકથી વધુ પત્ની કે પતિની એક સમયે છૂટ હતી, આમ તો બહુપત્નીત્વ જ મુખ્યત્વે અમલમાં હતું એટલે લગ્નેતર સંબંધોનું પ્રમાણ ઓછું હતું. એ પછી એક પતિ-પત્નીત્વનો કાયદો આવ્યો એટલે વધુ પત્ની કે પતિ ન રાખી શકાય એ વાત અમલમાં આવી, એટલે એવા સંબંધો લગ્નેતર સંબંધના ખાનામાં જઈને પડ્યા ને આજની સ્થિતિ તો એવી છે કે લગ્નેતર સંબંધો કે લિવ ઇન સંબંધોનું પ્રમાણ ઘણું છે. એવા સંબંધોનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે પરિણીતોમાં વધારે છે. બે અપરિણીત વ્યક્તિ હોય તો એ તો પરણી શકે, પણ પ્રશ્નો, બેમાંથી એક પરિણીત હોય અથવા એ બે પતિ-પત્ની ન હોય, એવાં પરિણીતો હોય ત્યારે વધારે હોય છે ને આજે છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે એમાં આવા સંબંધો પણ ભાગ ભજવે છે તે નોંધવું ઘટે. 

પણ સવાલોનો સવાલ એ છે કે વિજાતીય આકર્ષણનું પ્રમાણ આજે પણ અકબંધ કેમ છે? એક સમય હતો, જ્યારે સ્ત્રીઓમાં શિક્ષણનું અને નોકરીનું પ્રમાણ ઓછું હતું. સ્ત્રીઓ બહુ બહાર નીકળી શકતી ન હતી. બાળકીઓ ખાસ ભણતી જ નહીં, એટલે કન્યા કેળવણી ઓછી ને મોડી શરૂ થઈ. એ બધું છતાં જાત પાત જોયા વગર પણ પ્રેમ થતો જ અને પ્રેમીઓને એક ન થવા દેવા સમાજ તેનું પૂરું જોર લગાવતો પણ ખરો. મોટે ભાગે તો માબાપ નક્કી કરે ત્યાં જ છોકરા-છોકરી પરણી જતાં ને ન ગમતી વ્યક્તિ જોડે જ ઘણુંખરું જીવન કાઢી નાખવાનું થતું. શરીરની માંગને વશ વર્તીને કજોડાં, માબાપ થઈ જતાં ને એમ ગાડી ઘરેડમાં પડી જતી. એમાં હવે ઘણો ફેર પડ્યો છે. હવે તો એવું છે કે છોકરી પણ છોકરાને લગ્નની ના પાડી શકે છે. પહેલાં ન ગમતી છોકરીને, છોકરો ના પાડી દેતો. એ હક છોકરીને ન હતો. હવે એટલું થયું છે કે છોકરા-છોકરી પસંદગીનાં લગ્ન કરે છે. એ વાત જુદી છે કે એવાં લગ્નો પણ નિષ્ફળ જાય છે ને એવું બને છે કે એરેંજ્ડ મેરેજ સફળ પણ જાય છે.

આજના જમાનાની તાસીર એવી છે કે મૈત્રીનો મહિમા વધારે છે. જો કે, મિત્રો આગલા જમાનામાં પણ હતા જ. હા, વિજાતીય મૈત્રીનો મહિમા આજનું વરદાન છે. કે.જી.,નર્સરીથી જ કદાચ છોકરા-છોકરીઓ મૈત્રી કરતાં થઈ જાય છે. પછી ઉંમર વધે તેમ તેમ મૈત્રીના પ્રકારો પણ વધે છે. કોઈ બોયફ્રેંડ હોય છે, તો કોઈ ગર્લફ્રેંડ હોય છે. ફ્રેન્ડ કરતાં આ ફ્રેન્ડ જરા જુદા હોય છે. એમાં મૈત્રીની ઔપચારિકતાઓ ઉપરાંત, કદાચ લાગણી ને અધિકાર વિશેષ હોય છે. આ મૈત્રીમાં ક્યાંક ને ક્યારેક શરીર પણ ઉમેરાય છે. આ ઉમેરણ ખાનગી હોવાની સંભાવનાઓ વધારે હોય છે. મૈત્રી માબાપ જાણતાં હોય છે. જોકે, શરીર સંબંધથી માબાપને અજાણ રાખવામા આવે છે. આ સંબંધમાં ઉંમરની પુખ્તતા પણ ઘણુંખરું હોતી નથી. આ કાચી ઉંમરનો સંબંધ છે. એમાં સમજ કરતાં ઉતાવળ વધારે છે. મોટે ભાગે આ મૈત્રી નિષ્ફળ જવા જ સર્જાયેલી હોય છે. ઘણુંખરું તો શિક્ષણ પૂરું થાય કે નોકરી દૂર ક્યાંક લાગે તો સમજીને આ મિત્રો છૂટા પડી જાય છે અથવા તો ખરેખર પ્રેમ હોય તો લગ્નની શરણાઈ વાગે પણ છે.

પણ અહીં મૈત્રીની જટિલતા જાણવા જેવી છે. છોકરા-છોકરી નાની ઉંમરે પરિચયમાં આવે છે તો એવાં તમામ સંબંધોમાં, શરૂઆતમાં તો વિશુદ્ધ મૈત્રી જ હોય છે. એ જુદી વાત છે કે વિજાતીય મૈત્રીની પરિણતિ અંતે તો શરીર સંબંધ જ હોય છે. એ પણ સાચું કે કેટલાક મિત્રો મૈત્રીની મર્યાદામાં લાંબો સમય રહે છે. મોટે ભાગના તો તેથી આગળ નથી પણ વધતાં, પણ વાત આગળ ન જ વધે એવું પણ નથી. તો, પ્રશ્ન એ થાય કે કહેવાતી સાદી મૈત્રીમાં એવું શું થાય છે કે તે મૈત્રી ન રહેતાં, પ્રેમમાં પરિણમે છે? ઘણી વાર તો આ પ્રેમ ઓળખાતો જ નથી ને દોસ્તી, છે ! દોસ્તી, છે-નું રટણ ચાલ્યા કરે છે. એ સાથે મીઠું જુઠાણું પ્રેમને ન કબૂલવાનું પણ ચાલે છે. સામેનું પાત્ર જે સાંભળવા તલસી રહ્યું હોય એ પ્રેમનો એકરાર ઘણી વાર તો મૃત્યુ આવી જાય તો પણ નથી થતો. શરીર સંબંધ થઈ જાય, પણ પ્રેમ ન થાય એવું પણ બને છે. પ્રેમ એટલો સરળ છે કે એના જેટલું જટિલ બીજું કૈં નથી. એક જ વાક્ય કહેવાનું હોય કે હું તને ચાહું છું – પણ એટલું નથી કહેવાતું ને બીજું ફાલતું એટલું કહેવાતું હોય છે જેની સીમા નથી.

એવું પણ થાય છે કે મૈત્રીના પ્રકારોમાં અટવાયેલાં પાત્રો પ્રેમને ઓળખી શકતાં નથી. પ્રેમ કોઈના એકરારની રાહ નથી જોતો, એ તો કૈં પણ બોલ્યા વગર થઈ જાય છે. મૈત્રી જાહેર થતી હોય છે ને પ્રેમ છૂપો રહી જાય છે. અહી સંકોચ ભાગ ભજવે છે. સાચું તો એ છે કે અપમાનિત થવાની તૈયારી રાખીને, જેને માટે લાગણી હોય તેની સામે તે પ્રગટ કરી જ દેવી જોઈએ. પ્રેમ ન કહી શકવાનું દુ:ખ એટલું ઘૂંટાતું ને ગુણાતું રહે છે કે છેવટે અફસોસ જ સિલકમાં રહે છે. પ્રેમ શરૂ થવાની કોઈ ચોક્કસ રીત કે રીતો નથી. ઘણા મિત્રો હોય છે. એ બધા સાથે પ્રેમ થતો નથી, પણ કોઈ એક પર નજર પડતી થઈ જાય છે. એ એક કોણ તે પણ નક્કી નથી થઈ શકતું. એવું જ સામે પક્ષે પણ હોઈ શકે છે. કોઈ એકની સાથે વધારે વાત કરવાનું મન આપોઆપ જ બને છે. એની સાથે વાતો થતી જ રહે ને પૂરી જ ન થાય એવું પણ મનમાં થાય છે. એ પાત્ર સામે ન હોય તો પણ તેના જ વિચારોનું રંગીન જાળું ગૂંથાતું રહે છે. મિત્રો મળવાના હોય એમાં એ પાત્ર આવે તો સારું એવી ઇચ્છા થતી રહે છે. પહેલાં મિત્રો માટે તૈયાર થવાનું હતું, હવે કોઈ એક માટે જ તૈયાર થવાનું ગમે છે. એને શું ગમે છે, એની પસંદગી કેવી છે, એના વિચારો કેવા છે એ બધાંમાં અજાણતાં રસ પડવા માંડે છે ને એને ગમતું બધું કરવાનું ગમે છે. એ સાથે જ એવી અપેક્ષા પણ રહે છે કે સામેનું પાત્ર પણ પોતાનામાં રસ લે, એની કાળજી લે.

આમ તો આ બધું મળવામાંથી શરૂ થાય છે ને પછી ન મળવાના પ્રસંગો પડે છે. નથી મળાતું તો નથી ગમતું ને મળાય છે તો હરખનો પાર નથી રહેતો. એ પાત્ર માટે હૈયામાં આંસુ ને હર્ષ બનવાના શરૂ થાય છે. દૂરથી જોતાં જ એને ભેટી પડવાનું મન થાય છે. મિત્રોને ભેટવાનું કેઝ્યુઅલ હોય છે, પણ આ ભેટવાનું જુદું હોય છે. સાવ જુદાં જ સંવેદનો ફૂટે છે. પ્રિય પાત્ર બહારગામથી આવતું હોય તો સ્ટેશને એની રાહ જોવાનું ગમે છે. સ્ટેશને પહોંચવાનું બને એ પહેલાં મન અનેક વાર સ્ટેશનને ખૂણે ખૂણે ફરી વળે છે ને શરીર ખરેખર તો મોડું પડતું લાગે છે. પ્રેમમાં શરીર કરતાં મન હંમેશાં મોડું પહોંચતું હોય છે. ઘણી રાહ જોવડાવીને એ પાત્ર આવે છે તો આથમ્યો હોય તો ય ભીતરે સૂર્યોદય થાય છે ને એ પાત્ર નથી આવતું તો પ્રભાતે પણ અનેક સૂર્યો ડૂબી જતાં અનુભવાય છે. ટ્રેન આવી જાય છે ને નક્કી કરેલા બુકસ્ટોલ પાસે પાત્ર આવતું નથી તો જે ઉતાવળે નજર ભીડમાંથી પ્રિયને શોધે છે એની કોઈ સેલ્ફી શક્ય નથી. કદાચ ઉપરના બુક સ્ટોલ પર તો નહીં રાહ જોવાતી હોય એમ માનીને ઉપર જોઈ આવવાનું મન થાય છે ને તરત જ એમ થાય છે કે એટલામાં પેલું પાત્ર અહીં આવી ચડ્યું તો? પોતાને ન જોતાં ચાલી તો નહીં જાય ને ! ને એવી ફાળ પડે છે કે બુકસ્ટોલ પર જ થાંભલાની જેમ ખોડાઈ જવાય છે. એવે વખતે થાય છે કે માણસને ચાર પાંચ શરીર હોવાં જોઈએ. એક બુક સ્ટોલ પર રાહ જુએ. એક પ્લેટફોર્મ પર બધાં ડબ્બા તપાસી આવે, એક પ્રિયને જ તેના ઘરેથી બુકસ્ટોલ સુધી લઈ આવે ને અહીં કાગ ડોળે રાહ જોઈ રહેલ પાત્રને સોંપે … પણ શરીર બધું મળીને એક જ હોય છે ને એમાં જે પોતે છે તે પેલાં પાત્રને સમગ્રતામાં જીવ રેડીને ચાહે છે.

આટલું મૈત્રીમાં થાય? ના, એ પ્રેમમાં જ શક્ય છે … 

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7881,7891,7901,791...1,8001,8101,820...

Search by

Opinion

  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની
  • શિક્ષણને મામલે આટલી ગરીબ સરકાર ગુજરાતમાં ક્યારે ય આવી નથી …
  • સ્ટ્રેટ ઑફ હોર્મુઝઃ “બહોત કઠિન હૈ ડગર પનઘટ કી …” ભારતની ઊર્જા સુરક્ષા પર સાંકડા માર્ગનો સકંજો
  • ચલ મન મુંબઈ નગરી—334

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved