Opinion Magazine
Number of visits: 9674733
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—113

દીપક મહેતા|Opinion - Opinion|25 September 2021

જ્યારે મુંબઈનાં એક હજાર મકાન બળીને ખાખ થઈ ગયાં

૧૮૦૩ની એ આગ પછી બોમ્બે ફાયર બ્રિગેડની સ્થાપના થઈ

‘ભાગો, ભાગો. આગ લાગી છે, આગ.’ વહેલી સવારે મુંબઈના કોટ વિસ્તારમાં આવી બૂમાબૂમ મચી ગઈ. એ દિવસ હતો ગુરુવાર, મહિનો હતો ફેબ્રુઆરી, તારીખ ૧૭. અને વરસ ? વરસ હતું ઈ.સ. ૧૮૦૩. પહેલવહેલી બૂમ સંભળાઈ તે ઘોડાના એક તબેલા બહારથી. કારણ આગ શરૂ થઈ હતી એ તબેલામાંથી. એ તબેલો તો આજે ક્યાંથી હોય? પણ એ જગ્યાએ આજે ઊભી છે ૧૮૪૯માં બંધાયેલી સર જમશેદજી જીજીભાઈ પારસી બેનવલન્ટ ઇન્સ્ટિટ્યૂશનની મોટી ઈમારત. આગ લાગી ત્યારે એ જગ્યા અરદેશર દાદીભાઈની માલિકીની હતી, પણ ઓળખાતી હતી હરજીવન લાલાની વાડી તરીકે. એ વખતે મુંબઈમાં હજી શિયાળા જેવી ઋતુ પણ હતી. એટલે બનવા જોગ છે કે વહેલી સવારે ઘોડાના સાઈસો તાપણું કરીને બેઠા હોય. હુક્કો ગગડાવતા હોય. એ દિવસે સવારથી પવન જોરથી ફૂંકાઈ રહ્યો હતો એવું તો નોંધાયું છે. એટલે બનવા જોગ છે કે એકાદો તિખારો ઊડીને પડ્યો હોય તબેલામાં સંઘરેલા સૂકા ઘાસની ગંજી પર. અને શરૂ થઈ ગઈ હોય આગ. તબેલામાં બાંધેલા ઊંચી ઓલાદના બધા જ ઘોડા એ આગમાં હોમાઈ ગયા હતા.

આગ જ્યાંથી શરૂ થયેલી એ જગ્યાએ આજે ઊભેલી ઈમારત

કમનસીબે જોરદાર પવનને કારણે આગ આજુબાજુની ઈમારતોમાં જોતજોતામાં ફેલાઈ. બપોર થઈ. સાંજ પડી. પણ અગન દેવતા ખમૈયા કરતા નહોતા. ફોર્ટ કહેતાં કોટ કહેતાં કિલ્લાની અંદરનું આખું મુંબઈ અગ્નિમાં સ્વાહા થઈ જશે કે શું એવી દહેશત ફેલાઈ હતી. એટલે લોકો બપોરથી જ પોતાનાં ઘર રેઢાં મૂકી બહારકોટના વિસ્તારમાં જતા રહ્યા હતા. કોઈ સગાંવહાલાંને ત્યાં, કોઈ ધરમશાળામાં. તો કેટલાકે રસ્તાની ધારે કામચલાઉ ‘ઘર’ બનાવી દીધું હતું. સરકારી સેક્રેટરિયેટમાંથી બધાં મહત્ત્વનાં કાગળિયાં, દસ્તાવેજ કાઢીને સલામત જગ્યાએ મૂકી દેવાયાં હતાં. બધા વેપારીઓએ પોતપોતાની દુકાનો ખાલી કરીને માલ સલામત જગ્યાએ ખસેડી દીધો હતો. યાદ રહે, એ વખતે મુંબઈમાં નહોતા પાણીના નળ કે નહોતી મોટર—ગાડી. પાણી માટે શહેરમાં આવેલાં નાનાં મોટાં તળાવો અને કૂવા પર બધો આધાર રાખવો પડતો. અને મોટાં તળાવો બધાં કોટની બહાર. એટલે જેટલાં બળદ ગાડાં મળ્યાં, જેટલી ઘોડા ગાડી મળી, તે બધાંનો ઉપયોગ સરકારે આગ ઠારવા માટે પાણી લાવવા કર્યો. પણ ના, સરકારે વેઠની મજૂરી કરાવી નહોતી. બધું થાળે પડ્યું તે પછી ગાડા-ગાડી દીઠ એક દિવસના ચાર રૂપિયા લેખે સરકારે મહેનતાણું ચૂકવી દીધું હતું.

મલબાર હિલ પરથી દેખાતી આગ

બપોર પછી પવને દિશા બદલી. કિલ્લાની અંદર કંપની સરકારના લશ્કરની આર્મરી કહેતાં શસ્ત્રાગાર. તેમાં ભરેલો દારૂગોળો. બદલાયેલા પવનને ખભે ચડીને આગ એ આર્મરી તરફ આગળ વધવા લાગી. એક તો આગની તારાજગી. એમાં જો દારૂગોળો સળગે તો તો આખા કોટ વિસ્તારનું આવી બને. અફવાઓનું બજાર ગરમ થયું. કોઈ કહે કે સરકારે બધો દારૂગોળો દરિયામાં વામી દીધો. કોઈ કહે સૈનિકોને નાનાં-મોટાં વહાણોમાં દરિયે મોકલી દેવાના છે. પણ હકીકતમાં ગવર્નર સર જોનાથન ડંકન જાતે આખો દિવસ કોટમાં ફરીને બચાવ કાર્ય પર સતત ધ્યાન રાખી રહ્યા હતા. થોડે દૂર દરિયામાં કંપની સરકારનાં વહાણો ઊભાં હતાં. નોકાસૈન્યના વડા વાઈસ એડમિરલ રેનિયરને તાબડતોબ વહાણ પરથી બોલાવીને તેમની સલાહ અને મદદ લેવામાં આવી. પાયદળના વડા જનરલ નિકોલ પણ સાથે જ હતા. બંનેએ મદદ માટે સૈનિકોને બોલાવી લીધા. પણ રાતે ત્રણેક વાગ્યે આગનું જોર ઘણું નરમ પડી ગયું. આર્મરીની ચિંતા ટળી હતી. જો કે પછીના ત્રણ દિવસ સુધી કોટ વિસ્તારમાં નાની-મોટી આગ જોવા મળતી હતી. આ આગમાં કોટની લગભગ પોણી બજાર અને એક હજાર જેટલાં મકાનો નાશ પામ્યાં એવો અંદાજ હતો. લશ્કરની પાંચ બરાકો પણ ભસ્મીભૂત થઈ હતી.

જ્યાં જુઓ ત્યાં ધૂમાડાના ગોટેગોટા

આ આગમાં આટલી તારાજી થઈ એનાં કેટલાંક કારણો હતાં. પહેલું એ કે આખો વિસ્તાર ખૂબ જ ગીચ. ઘણાં મકાન લાકડાનાં. તો ઘણાંનું છાપરું વાંસ કે ઘાંસનું. વળી અહીં માત્ર સરકારી ઓફિસો જ હતી એવું નહોતું. વેપારીઓનાં ગોદામોમાં જ નહિ, ખુલ્લામાં પણ જાત જાતનો સામાન ભર્યો હતો. આજનું હોર્નિમેન સર્કલ ત્યારે કપાસનું મોટું બજાર હતું અને બોમ્બે ગ્રીન તરીકે ઓળખાતું. કપાસની ગાંસડીઓ વહાણમાં ચડે એ પહેલાં મેદાનમાં પડી રહેતી – ચોમાસા સિવાય.

જ્યારે ઘોડા ખેંચતા આગનો બંબો

એ વખતે કોટની અંદરની મોટા ભાગની વસ્તી અંગ્રેજોની. એમનાં રહેઠાણો આગમાં તારાજ થવાથી હવે રહેવું ક્યાં એ મોટો સવાલ. નવરોજી સોરાબજી શેઠનું કુટુંબ અંગ્રેજોની વહારે ધાયું. કોટ વિસ્તારમાંની તેમની હવેલી આગથી બચી ગઈ હતી. કુટુંબ બીજે રહેવા ગયું અને આખી હવેલી સરકારને સોંપી દીધી – અંગ્રેજોને રહેવા માટે. તો બેઘર બનેલા પારસીઓને રહેવાની વ્યવસ્થા શેઠ પેસ્તનજી બમનજી વાડિયાએ પરેલમાં આવેલા પોતાના બંગલા લાલબાગમાં અને તેના કંપાઉંડમાં તંબુઓ તાણીને કરી હતી. ૧૯મી ફેબ્રુઆરી ૧૮૦૩ના અંકમાં બોમ્બે કુરિયર અખબાર લખે છે : ‘આ બનાવથી મુંબઈના લોકોમાં જે ગભરાટ, દહેશત, અને ભય ફેલાયાં છે તેનું ખરેખરું વર્ણન કરવાનું અમારું ગજું નથી. હજારો ‘દેશીઓ’નાં ટોળેટોળાં પોતાની બચેલી ઘરવખરી માથે લઈને બહારકોટના વિસ્તારોમાં અહીંથી તહીં ભટકતા જોવા મળતા હતા. એમની આંખોમાં એક બાજુ ભય હતો તો બીજી બાજુ આંસુ. જેમના માથા પર છાપરું રહ્યું નહોતું એવા સેંકડો લોકોએ કાં રસ્તાની ધારે કે પછી ખુલ્લાં ખેતરોમાં રહેવાનું ઠરાવ્યું હતું.’ (હા, એ વખતે મુંબઈમાં ખેતરો પણ હતાં! યાદ કરો ખેત વાડી વિસ્તાર.)

પણ આ આગ લાગવાનું કારણ શું? લોકોમાં એ અંગે જાતજાતની અફવા ફેલાઈ હતી. પણ આગ પછી તરત જ, ૨૨મી ફેબ્રુઆરીએ બોમ્બે ગવર્નમેન્ટે લંડનમાં બેઠેલા કંપની સરકારના ડાયરેક્ટરોને જે અહેવાલ મોકલ્યો તેમાં લખ્યું હતું કે આ એક ગંભીર અકસ્માત જ હતો. તેની પાછળ બીજું કોઈ કારણ હતું એમ માની શકાય તેમ નથી. અલબત્ત, એક વખતે એવી બીક લાગતી હતી કે આગ આપણા લશ્કરના શસ્ત્રાગાર સુધી પહોંચશે તો ત્યાં સંઘરેલ દારૂગોળાનો ભયંકર વિસ્ફોટ થશે, અને તો આખો કોટ વિસ્તાર હતો ન હતો થઈ જશે. પણ સારે નસીબે પવનની દિશા બદલાઈ અને એ ભય ટળી ગયો. આગ શાંત થયા પછી પણ બે-ત્રણ દિવસ બળતો કાટમાળ દૂર કરવામાં ગયા. આ કામમાં આપણા સૈનિકોએ ઘણી બહાદુરી અને સમજદારીથી કામ કર્યું હતું. આ આગમાં સ્થાવર-જંગમ મિલકતને, સરકારી તેમ જ ખાનગી મિલકતને પુષ્કળ નુકસાન થયું છે. તેની સરખામણીમાં જાનની ખુવારી ઘણી ઓછી થઈ છે. જો કે તેનો ચોક્કસ આંકડો મેળવવાનો સરકારને હજી સમય મળ્યો નથી કારણ તેનું બધું ધ્યાન પરિસ્થિતિને થાળે પાડવા તરફ રોકાયું છે. જો કે પછી પણ આ આંકડા સરકારે ક્યારે ય જાહેર કર્યા નહિ.

અહેવાલમાં કહેવામાં આવેલું કે આ બનાવે બીજી એક ભયાનક શક્યતા તરફ પણ ધ્યાન દોર્યું છે. આપણા લશ્કરનું શસ્ત્રાગાર કિલ્લાની અંદર, પણ દરિયા કાંઠાથી ઘણું નજીક છે. દુશ્મનનું કોઈ વહાણ દરિયામાંથી જ એ ભાગ પર તોપના બે-ચાર ગોળા ફેંકે, તો પણ બધાં શસ્ત્રો અને દારૂગોળો ભયંકર વિસ્ફોટથી નાશ તો પામે જ, પણ પારાવાર તારાજી પણ ફેલાવે. અને એ તારાજી પછી શસ્ત્રાગાર પૂરતી મર્યાદિત ન રહે, આખા ફોર્ટ વિસ્તારને પણ ઝપેટમાં લઈ લે.

અને ગવર્નમેન્ટ ઓફ બોમ્બે માત્ર આ અહેવાલ મોકલીને, તેના જવાબની રાહ જોતી બેસી ન રહી. થોડા જ વખતમાં તેણે ‘ટાઉન કમિટી’ની નિમણૂંક કરી અને ભવિષ્યમાં આવો બનાવ ટાળવા માટે શું શું કરી શકાય તે અંગે સૂચનો આપવા તેને જણાવ્યું. આ કમિટીએ એક સૂચન કર્યું કે ફોર્ટ વિસ્તારનાં મકાનોની ઊંચાઈ પર મર્યાદા મૂકવી. બીજું, બે મકાનો વચ્ચે ચોક્કસ અંતર રાખવું. ત્રીજું, રહેણાંકનાં મકાનોમાં માલ-સામાન માટેનાં ગોદામને પરવાનગી ન આપવી. એ વખતે કોટ વિસ્તારની કુલ વસ્તી ૧૦,૮૦૦ હતી, તે ઘટાડવી. આ સૂચનને પરિણામે સરકારે બહારકોટનાં ગિરગામ, માંડવી, અને ભીંડી બજાર જેવા વિસ્તારોનો ઝડપી વિકાસ કરવાનું કામ હાથ ધર્યું. પણ સૌથી મોટું અને મહત્ત્વનું કામ સરકારે કર્યું તે બોમ્બે ફાયર બ્રિગેડની એ જ વરસે સ્થાપના કરવાનું. જો કે વરસો સુધી તે પોલીસના વડાના હાથ નીચેનું એક ખાતું હતું. એ વખતે તેની પાસે માત્ર ઘોડાથી ખેંચાતા આગ-બંબા હતા. છેક ૧૮૮૭ના એપ્રિલની પહેલી તારીખે બોમ્બે ફાયર બ્રિગેડ એક અલગ એકમ બનીને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભાગ બન્યું.

એ વખતે મુંબઈમાં રોકડા ત્રણ છાપાં, ત્રણે અંગ્રેજી. અને તેમાંથી એકે છાપાના આ અરસાના અંકો મળવા અતિ દુર્લભ. બીજું, ૧૮૫૫ સુધી હિન્દુસ્તાનમાં કેમેરા અને ફોટોગ્રાફી અજાણ્યાં. એટલે એ આગના ફોટા તો ક્યાંથી મળે? હા, ચિત્રકારોએ દોરેલાં બે-પાંચ ચિત્રો મળે છે. ૧૯મી સદીની ઘણી બ્રિટિશ નવલકથામાં આગની ઘટનાનું નિરૂપણ જોવા મળે છે, અને ઘણી વાર તે પાત્રો અને પ્રસંગોને અણધાર્યો વળાંક આપે છે. આપણી ભાષામાં સુરતની આગ વિષે ઠીક ઠીક લખાયું છે. પણ મુંબઈની આ આગ વિષે ભાગ્યે જ કોઈએ લખ્યું છે. અને આજે તો આ આખી ઘટના આપણી સામૂહિક સ્મૃતિમાંથી પણ લોપ થઈ ગઈ છે. પણ ૧૮૦૩ના ફેબ્રુઆરીની ૧૭મીએ જે બન્યું એણે મુંબઈનો નકશો તો થોડો બદલ્યો જ, પણ લોકોના જીવનને પણ કેટલેક અંશે બદલી નાખ્યું. ઓમ, અગ્નયે સ્વાહા! આ આગ ન લાગી હોત તો? કદાચ સરકારની અને લોકોની આંખ ઊઘડી ન હોત.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 સપ્ટેમ્બર 2021

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (10)

સુમન શાહ|Opinion - Literature|25 September 2021

મારા તરફથી છેલ્લી સલાહ એ કે વાર્તાકારે બધી સલાહો સાંભળી લીધા પછી પોતાની સર્જકતાને પૂછવું. સર્જકતા વ્હાલસોઇ સખી છે. એને રસકલાના બધા રસ્તાની ખબર છે.

ટૂંકીવાર્તાના લેખન માટે અપાયેલી જુદી જુદી સલાહની ચર્ચાને અહીં વિરામ આપું છું.

આજે વાત કરું, ટૂંકીવાર્તાના સટ્રક્ચરની – સંરચનાની.

મનુષ્યના કે પ્રાણીમાત્રના શરીરને ધારણ કરે છે, હાડપિંજર. બિલ્ડિન્ગ પણ સ્ટ્રક્ચર પર ઊભું હોય છે. દરેક હાડકું એક એકમ છે એમ ગણી લઈએ, તો સમજાશે કે હાડપિંજરની સંરચના એકથી વધુ એકમોનો સમવાય છે. કોઈપણ સાહિત્યકૃતિ, ટૂંકીવાર્તા પણ, એકમોનો સમવાય હોય છે. દરેક હાડકું પોતાને ભાગે આવેલું કામ કરે છે, તે જ રીતે વાર્તાનો પ્રત્યેક એકમ પણ પોતાનું કામ કરે છે, એટલે કે દરેક એકમ ફન્ક્શનલ હોય છે.

મનુષ્યદેહના હાડપિંજર પર માંસમજ્જા રક્ત ને ત્વચા ને વળી એ પર મનપસંદ પોશાક ને આભૂષણો હોય, તેમ વાર્તામાં પણ હોય – પણ શું? શબ્દો ! શબ્દો સિવાયનું કશું નહીં. વાર્તાનો દરેક શબ્દ એનો એકમ છે. શબ્દોનાં બને છે વાક્યો, વાક્યો અલંકૃત પણ હોય. અને વાક્યોના બને છે ફકરા અને ફકરાથી સરવાળે એક ભાષાદેહ ઊભો થાય છે.

જુઓ, વાર્તાનો ભાષાદેહ ઓછામાં ઓછી ૪ વસ્તુઓ જરૂર દર્શાવશે :

૧ : અમુક વ્યક્તિના કે તેના સમ્બન્ધમાં આવેલી વ્યક્તિઓના જીવનમાં કશુંક બન્યું છે, બની રહ્યું છે, બનવાનું છે, તે વસ્તુની કથાને.

૨ : તેમના દ્વારા થતી વાતોને, તેમની વચ્ચેના સંવાદોને, અને ક્રિયાઓને.

૩ : ક્રિયાઓથી સરજાયેલી ઘટનાને અને પરિસ્થિતિને.

૪ : ઘટના ઘટી હશે જે સ્થળમાં તેને અને જે સમયમાં ઘટી હશે, તેને.

સમજો કે આટલું કોઈ પણ વાર્તા માટે અનિવાર્ય છે. એને આપણે સંરચના કહીએ, તો એ પર ખડી હોય છે વાર્તા.

આ સંરચના વિના વાર્તા અસંભવ છે. સંરચના તો જોઈશે જ. કથન, આલેખન અને કથનસૂર સંરચના ઉપરાન્તનાં વાનાં છે. કશીક વ્યંજના અને કશુંક રસતત્ત્વ પણ સંરચના ઉપરાન્તની ચીજો છે.

ધારો કે વાર્તાકાર વ્યક્તિઓને ઓછી કરી નાખે, સંવાદને કમ કરી નાખે, ક્રિયાઓને નામની જ રાખે, ઘટનાને ઘટાડી નાખે, સ્થળ-સમયને લકીર જેવા કરી નાખે, ભલે; પણ એ બધું એની મરજી પર નિર્ભર રહેવાનું છે. એ એની સર્જકતાનો મામલો હશે. પણ યાદ રહે કે ઘટાડ્યા પછી પણ જે રહેશે તે ઓછામાં ઓછી પણ સંરચના જ હશે.

ઘટનાતત્ત્વના હ્રાસની વાતમાં તો ઘટના ઓછી થવા સિવાયનું કશું જ ઓછું થતું નથી. પરન્તુ, ‘છ શબ્દની વાર્તા’-ને પણ ટૂંકામાં ટૂંકી ટૂંકીવાર્તા – સિક્સ વર્ડ સ્ટોરી – કહેવા લાગ્યા છીએ ત્યારે, મારે કહેવું છે કે એ દાખલાઓમાં પણ સંરચના તેના ન્યૂનતમ રૂપમાં હોય જ છે.

આમ તો, છ શબ્દની નિર્માલ્ય રચનાઓ ફેસબુક વગેરે સોશ્યલ મીડિઆમાં ઘણી મળે છે. પણ કેટલાક નામાંકિત સાહિત્યકારોની કહેવાતી રચનાઓ ધ્યાનપાત્ર હોય છે – એવી ચાર રચનાઓ વિશે કહું :

૧ : જેમ કે, Margaret Atwood પાસેથી આ મળી છે :

Longed for him. Got him. Shit.

હું એને ગુજરાતીમાં મૂકું :

“બહુ ઝંખના કરી એની. મળ્યો. છી:”

જેને ઝંખીએ એ છી: જેવું પણ મળી આવે. અહીં જે મળ્યો તે દેખાવે તો ગોબરો હશે જ, અથવા ન પણ હોય, પણ એ માણસ જુગુપ્સક વાણી-વર્તનનો તો હશે જ હશે. ઝંખના કરનારીની વેદના તો આપણને મૉડેથી સમજાય છે. આ એટલા માટે વાર્તા લાગે છે કે અહીં વ્યક્તિવિષયક કથાવસ્તુ સૂચવાયું છે.

૨ : જેમ કે, Alistair Daniel પાસેથી આ મળી છે :

Without thinking, I made two cups.

હું એને ગુજરાતીમાં મૂકું :

“વગર વિચારે મેં બે કપ ભર્યા.”

એક જ કપ ભરવાનો હતો એ વાતનું ધ્યાન ન રહ્યું હોય પણ બે કપ તો ધ્યાનથી જ ભર્યા હશે ને ! અને, ત્યારે એ કોના ધ્યાનમાં હતો? કે હતી? આ એટલા માટે વાર્તા લાગે છે કે અહીં વ્યક્તિ વડે થયેલી ક્રિયાથી ભૂતકાળમાં બની ગયેલી કથા સૂચવાઈ છે.

૩ : જેમ કે, Joyce Carol Oates પાસેથી આ મળી છે :

Revenge is living well, without you.

હું એને ગુજરાતીમાં મૂકું :

“બરાબર જીવવું, તારા વિના – એ વૅર.”

કોઈના વિના જિવાતું હોય ત્યારે જૂના અથવા તરતના આપણા કોઈ દોષનું જાણે વૅર વસૂલાઇ રહ્યું છે એમ લાગે. પણ બરાબર જિવાતું હોય ત્યારે? ત્યારે એ વૅર ન પણ લાગે, અથવા, ઘણું વસૂલાઈ રહ્યું છે એમ પણ લાગે. રચના કથકની વેદનાને સૂચવે છે, એટલે કે ભાવ-ભાવનાને.

૪ : આપણા સમયના મહાન કથાસ્વામી Hemingway પાસેથી પણ મળી છે, વારંવાર જે ઉદ્ધૃત થતી રહી છે, એ છ શબ્દની આ ટૂંકીવાર્તા :

For sale : Baby shoes, never worn.

હું એને ગુજરાતીમાં મૂકું :

“વેચવાના છે : બેબીશૂઝ, કદી નહીં પ્હૅરાયેલા.”

બેબી છોકરી પણ હોઈ શકે, છોકરો પણ. શૂઝ ઘસાઈ ગયેલાં નથી એમ પણ સમજી શકાય. કથક કોઈ ફેરિયો હશે; બેબીનો પિતા, વાલી કે શું થતો હશે એવો આપણામાં સવાલ ઊગે છે. બને કે એ ફૂટપાથ પર પાથરણું પાથરીને શૂઝને સજાવીને બેઠો હોય. વેચવા માગે છે, વેચાઈ પણ જાય, ન પણ વેચાય. વળી, વિચારતાં સમજાશે કે બેબી વિમાસણમાં જરૂર ક્યાંક ઊભી છે, ભલે દેખાતી નથી. શૂઝ જતા રહેશે એ વાતે એ દુ:ખી હોઈ શકે છે, નવા મળશે એ વાતે એ સુખી હોઈ શકે છે. શૂઝ પણ દેખાય છે. કેવા રંગના હશે? કઈ કમ્પનીના? આપણે ધ્યાન લગાવીએ છીએ કે પ્હૅરાયેલા નથી ક્હૅ છે તે કેટલું સાચું છે. વગેરે.

‘કદી નહીં પ્હૅરાયેલાં’-થી ભૂતકાલીન ક્રિયા અને સમય બન્ને સૂચવાયાં છે. આપણને એ સવાલ પણ થાય છે કે કથકના જીવનમાં એવું શું ઘટ્યું છે કે વેચવા નીકળ્યો છે. શું તે એટલો બધો ગરીબડો હશે કે જૂતાં વેચવા નીકળ્યો? બેબી જેવી બેબી માટે એને કશી દયા નહીં હોય? કથક અને બેબીનાં ભાવ-ભાવનાની ઠીક ઠીક ઝાંખી થાય છે.

Picture courtesy : SlidePlayer

સવાલ એ પણ થવાનો કે હૅમિન્ગ્વેએ આ શું કામ લખી હશે. જો કે, એમણે જ લખી છે એમ પુરવાર નથી થયું.

આ છે એટલી સારી રચનાઓ હમેશાં ઘણું સૂચવતી હોય છે. એટલે ‘છ શબ્દની વાર્તા’-ને હું ધ્વનિની કલા કહું છું. છ શબ્દ તો જોડી કાઢી શકાય પણ એને કલાકૃતિ રૂપે અવતારનારું સર્જનકર્મ બહુ કઠિન છે. સહેલું સમજીને ધસી જનારા ગબડી પડે છે, કદી બેઠા થઈ શકતા નથી.

યાદ રહે કે સંરચનાનો કોઈપણ એકમ જો બરાબર નહીં હોય, લંગડાતો હશે કે ખોડખાંપણવાળો હશે, તો વાર્તા બનશે જ નહીં.

આ વાતો સ્ટક્ચર રૂપે કે સંરચના રૂપે સામે આવે છે ત્યારે ચૉંકાવે છે, બાકી, સંરચના એક પાયાનું લેખનમૂલ્ય છે. વાર્તાકારો જાણ્યે-અજાણ્યે એને જ અનુસર્યા હોય છે. જો કે કેટલાકો ચૂકી ગયા હોય છે. સવાલ વાર્તાની સંરચનાને વિશેની સભાનતાનો છે, સાવધતાનો છે.

= = =

(September 25, 2021: USA)

Loading

ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ : ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

સોનલ પારીખ|Opinion - Opinion|25 September 2021

ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः

पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः ।

वनस्पतयः शान्तिर्विश्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः

सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ॥

ॐ शान्तिः शान्तिः शान्तिः ॥

વર્ષ 1981થી દર 21 સપ્ટેમ્બરના દિવસને યુ.એન. ‘ઈન્ટરનેશનલ ડે ઑફ પીસ’ – વિશ્વ શાંતિ દિવસ તરીકે ઉજવે છે. શાંતિ દિવસ અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ખાસ ઊજવવો પડે તેના બે અર્થ થાય : એક તો શાંતિનું મહત્ત્વ આપણને સમજાઈ રહ્યું છે અને બીજું, શાંતિનું અસ્તિત્વ ખતરામાં છે. હકીકત એ છે કે શાંતિનું અસ્તિત્વ જોખમમાં મુકાય ત્યારે જ આપણને તેનું મહત્ત્વ સમજાતું હોય છે. પણ આપણો અને શાંતિનો મેળ પડતો નથી કારણ કે આપણને તો શાંતિ માટે ને શાંતિના નામે યુદ્ધો, દાદાગીરી, મારપીટ, ધાંધલધમાલ અને કોલાહલ કરવાની ટેવ છે.

યાદ આવે છે શાંતિ માટે વિશ્વ ભરમાં પદયાત્રાઓ કરતા રહેનાર સતીશ કુમાર. એમની આત્મકથાનું નામ છે ‘પાથ વિધાઉટ ડેસ્ટિનેશન’. એમાં એક જગ્યાએ એમણે લખ્યું છે, ‘રસ્તો લાંબો છે. શરીર તૂટી રહ્યું છે – એક પગલું ભરવાનો પણ ઈન્કાર કરે છે પણ આત્માને પાંખો ફૂટી છે. મારો પ્રાણ શાંત અનંત આકાશમાં સ્વતંત્ર અને નિર્ભય વિહાર કરે છે.’

1936માં જન્મેલા સતીશ કુમારે નવ વર્ષની ઉંમરે જૈન સાધુ તરીકે દીક્ષા લઈ બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રત લીધું હતું. આઠ વર્ષ પછી તેમણે સાધુજીવન છોડ્યું અને વિનોબાજીના આશ્રમમાં જઈને રહ્યા. સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહાત્મા ગાંધી સાથે કામ કર્યું. આ બધા અનુભવોથી તેમને સામાજિક પરિવર્તન, અહિંસા અને અધ્યાત્મ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવ્યો.

1962માં તેમણે દિલ્હીથી શાંતિ માટે પદયાત્રા શરૂ કરી. દિલ્હીથી ચાલતા ચાલતા તેઓ અણુસત્તાઓના પાટનગર સમા મોસ્કો, લંડન, પેરિસ અને વૉશિંગ્ટન શહેરમાં ગયા. વિનોબાજીએ કહ્યું હતું તેમ વાહનમાં ન બેસતા, શાકાહાર કરતા અને પાસે પૈસા ન રાખતા. રસ્તામાં આવતાં ગામો, વસ્તીઓ અને લોકોનો જ સંપૂર્ણ આશ્રય. દરેક સ્થળે તેમણે બધાને ભેગા કરી શાંતિ વિશે વાતો કરી. તેમણે જોયું કે લોકો કોઈ પણ દેશના હોય, શાંતિ જ ઈચ્છે છે, શાંતિથી જ રહે છે. તો પછી શું છે, કોણ છે જે શાંતિ તોડે છે? ભાંગફોડ કરે છે? હિંસા કરે-કરાવે છે? 8,000 માઈલની યાત્રા દરમ્યાન આ પ્રતીતિ અને આ પ્રશ્ન સતત તેમની સામે આવતા રહ્યાં. આર્મેનિયાની એક ખેડૂત સ્ત્રીએ તેમને પોતે ઊગાડેલી ચાનાં ચાર પેકેટ આપ્યાં, ‘તમે જે ચાર જગ્યાએ જવાના છો ત્યાંના નેતાઓને આ પેકેટ આપજો. ન્યૂક્લિયર મિસાઈલ છોડવાનો નિર્ણય લેતા પહેલાં તેઓ આ પેકેટમાંની ચા પીએ એવી મારી વિનંતી એમને પહોંચાડજો.’

પછીથી તેઓ ઈંગ્લૅન્ડમાં થોડાં વર્ષ રહ્યાં. 1991માં તેમણે શુમાકર કૉલેજ શરૂ કરી. આ શુમાકર પણ સમજવા જેવી વ્યક્તિ છે. તેમનું પૂરું નામ ઈ.એફ. શુમાકર. તેઓ જર્મન-બ્રિટિશ અર્થશાસ્ત્રી હતા. તેમણે આધ્યાત્મિકતા, સાદગી, અર્થશાસ્ત્ર અને ઈકૉલૉજીને એક સાથે મૂકતી ‘સ્મૉલ ઈઝ બ્યુટિફૂલ’ મુવમેન્ટ શરૂ કરી હતી અને નાના દેશોને ભોગે પોતાની સુખસગવડોનું માળખું ઊભું કરતા મૂડીવાદનો વિરોધ કર્યો હતો. આ કૉલેજ શરૂ કર્યા બાદ સતીશકુમારે ઈંગ્લૅન્ડ, વેલ્સ, સ્કૉટલૅન્ડ, જાપાન અને તિબેટમાં શાંતિ માટે પદયાત્રા કરવાનું ચાલુ રાખ્યું હતું.

1901થી નોબેલ કમિટી દર વર્ષે નોબેલ પીસ પ્રાઈઝ આપે છે. મહાત્મા ગાંધીને શાંતિ માટેનું નોબેલ મળ્યું નહોતું તે માટે થોડા થોડા વખતે ચર્ચા થાય છે. ગાંધીઅભ્યાસી ઉર્વીશ કોઠારીએ એમના એક લેખમાં જણાવ્યું છે કે 1915માં ગાંધીજી ભારત આવ્યા ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું. એટલે 1914થી 1916 સુધી, અને બીજા વિશ્વયુદ્ધ વખતે 1939થી 1943 સુધી, કોઈને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું નહીં. એ સિવાય ગાંધીજીના જીવનકાળ દરમિયાન 1923, 1924, 1928, અને 1932માં પણ નોબેલ પીસ પ્રાઇઝ જાહેર ન થયું. ગાંધીજીને શાંતિનું પ્રાઇઝ ન આપવા બદલ નોબેલ સમિતિએ ખુલાસા કરવા પડ્યા છે અને સમિતિના સભ્યોએ દિલગીરી પણ વ્યક્ત કરી છે. 1948માં ગાંધીજીને નોબેલ આપવા છ જગ્યાએથી ભલામણ થઈ હતી. ચર્ચાવિચારણાઓ પછી એ વખતનું શાંતિ ઈનામ ગાંધીજીના માનમાં કોઈને ન આપવું એવો નિર્ણય થયો હતો! 1989માં દલાઈ લામાને આ પારિતોષિક અપાયું, ત્યારે સમિતિના અધ્યક્ષે કહ્યું હતું કે 'એક રીતે એ મહાત્મા ગાંધીની સ્મૃતિને અંજલિ છે.'

નોબલ પ્રાઇઝની સત્તાવાર વેબસાઇટ પર આ અંગે આખો એક લેખ મૂકવામાં આવ્યો છે. તેનું પહેલું જ વાક્ય છેઃ મહાત્મા ગાંધી વીસમી સદીમાં અહિંસાના સૌથી મજબૂત પ્રતીક સમા છે. એ લેખનું શીર્ષક છે ‘મહાત્મા ગાંધી, ધ મિસિંગ લૉરેટ’ – નોબેલ પ્રાઈઝને ગાંધીજીની ખોટ સાલે છે. ગાંધી તો કહેતા, ‘વિશ્વ માટે જે શાંતિકાર્યો હું કરી શક્યો એ જ મારો પુરસ્કાર છે.’ જીવનભર શાંતિવાદી રહેનાર અને 1915નું સાહિત્ય માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનાર રહસ્યવાદી ફ્રેંચ સર્જક રોમાં રોલાં મહાત્મા ગાંધીને ‘બીજા ઈસુ ખ્રિસ્ત’ ગણતા. તેમણે સરસ રીતે આખી વાતનો બંધ વાળ્યો છે, ‘દરેક ઈનામ કરતાં ગાંધીજી અનેકગણા મહાન છે.’

શાંતિની વાત નીકળે ત્યારે યજુર્વેદના અદ્દભુત શાંતિમંત્રો યાદ આવે:

ઓમ દ્યો: શાન્તિરન્તરિક્ષં શાન્તિ:,
પૃથ્વી શાન્તિરાપ શાન્તિરોષધય: શાન્તિ: ।
વનસ્પતય: શાન્તિર્વિશ્વે દેવા: શાન્તિર્બ્રહ્મ શાન્તિ:
સર્વ શાન્તિ: શાન્તિરેવ શાન્તિ: સા મા શાન્તિરેધિ ।।
ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

કહે છે, ‘હે પ્રભુ, ત્રણે ભુવનમાં, જલમાં, થલમાં ને ગગનમાં, અંતરિક્ષ, અગ્નિ ને પવનમાં, ઔષધિ, વન ઉપવનમાં, સકલ વિશ્વમાં, રાષ્ટ્ર, નગર, ગ્રામ ને ભવનમાં, જીવમાત્રના તનમનમાં, જગતના કણ-કણમાં શાંતિ હો, શાંતિ હો, શાંતિ હો.’

હજારો વર્ષ પહેલાં આની રચના થઈ ત્યારે આકાશ અને અંતરિક્ષ જુદાં છે તેનો સ્પષ્ટ ખ્યાલ લોકોને હતો! સકલ વિશ્વના કણેકણમાં શાંતિ હો એવી પ્રાર્થના પોતે જ કેટલી શાંતિમય છે! મૃત્યુ પછી આપણે શાંતિ પ્રાર્થના ગાઈએ છીએ તેમાં જે સિધાવી ગયો છે એ આત્માને માટે મોક્ષ, સ્વર્ગના સુખ વગેરેની કામના કરવાના સ્થાને કહીએ છીએ, ‘જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો.’ 

આઈન્સ્ટાઈન કહે છે, ‘શાંતિ બળપૂર્વક લાવી શકાતી નથી. એ સમજપૂર્વક જ લાવી શકાય.’ દલાઈ લામાએ કહ્યું છે, ‘જ્યાં સુધી અંતરમાં શાંતિ નહીં હોય ત્યાં સુધી બહારની શાંતિનો અર્થ નથી.’ મહાત્મા ગાંધી કહે છે, ‘શાંતિનો કોઈ માર્ગ નથી, શાંતિ પોતે જ માર્ગ છે.’ ઓશો કહે છે, ‘સ્વતંત્રતા વિના શાંતિ શક્ય નથી. ભય હોય ત્યાં પણ શાંતિ શક્ય નથી.’

ભગવાન બુદ્ધે બહુ માર્મિક વાત કરી છે, ‘પોતાને પણ સામેલ ન કરો ત્યાં સુધી કરુણા અધૂરી રહે છે.’ અને શાંતિ માટે ‘ભૂતને ન વળગો, ભવિષયમાં ન ખેંચાઓ, વર્તમાન પર એકાગ્ર થાઓ.’ શાંતિ વિના પ્રેમ પણ શક્ય નથી. ઓશો કહે છે, ‘પ્રેમ, આંતરિક શાંતિનો પડછાયો છે. શાંતિ ત્યારે જ મળે જ્યારે તમે અપેક્ષા રહિત થાઓ, એકાંતનો આનંદ લઈ શકો.’

ગીતા કહે છે, ‘સત્પુરુષો સર્વથા, સર્વદા અને સર્વત્ર નિર્ભયતાથી ભરેલા હોય છે. તેઓની ક્રિયાઓમાં, વિચારોમાં કે સમજણોમાં સ્થિતપ્રજ્ઞતાનો પ્રભાવ ખૂબ સહજપણે ઝળહળતો હોય છે. સર્વોપરી, સર્વકર્તા અને સર્વશક્તિમાન પરમાત્મસ્વરૂપના ઉત્તમ-નિર્વિકલ્પ નિશ્ચયથી તેમની બુદ્ધિ છલોછલ હોય છે. આથી તેઓ ક્યારે ય, ક્યાં ય પણ, કોઈનાથી પણ, કોઈ પણ રીતે ભય પામતા નથી. તેમનું અંતઃકરણ સદાય શાંત સરોવર જેવું નિર્મળ હોય છે. વાયુરહિત સ્થળમાં મૂકેલ દીવાની જ્યોતની જેમ તેઓની બુદ્ધિ જરા ય કંપ્યા વગર અત્યંત સ્થિરતા ધરી રહે છે.’ આવા સત્પુરુષોના ચિત્તમાં જે વસતી હોય, એનું નામ શાંતિ છે. આપણે મોટે ભાગે અશાંતિના અભાવને શાંતિ માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ.

સંત ફ્રાન્સિસે કહ્યું છે, ‘શાંતિ અને મુક્તિનો માર્ગ એ છે, કે તું તારી ઈચ્છા કરતા બીજાની ઈચ્છને વધારે માન આપ, થોડી ચીજોથી સંતુષ્ટ રહે, નાની જગ્યાએ નાનો થઈને રહે અને એવી પ્રાર્થના કરે કે ‘મારા દ્વારા પ્રભુએ જે ઈચ્છા પૂર્ણ કરવા ધાર્યું હોય તે પૂર્ણ થાય.’

જે મનુષ્ય સુખની ઈચ્છા નથી રાખતો અને અસંતોષથી નથી ડરતો તે શાંતિ મેળવે છે. જીવનમાં આવતાં દુ:ખોને સ્વીકારીએ અને વિચારીએ કે એને કારણે આત્મચિંતનનો અવસર મળ્યો, તો કોઈ ફરિયાદ નહીં રહે. એટલે તો કુંતીએ કૃષ્ણ પાસે દુ:ખ માગ્યું હતું. ખ્રિસ્તી સંતો પણ ઈશ્વર પાસે દુ:ખની માગણી કરતા હોય છે.

અને ‘સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુ:ખ ભાગ્ભવેત્‌’ પછી અને ‘ઓમ સહ નાવવતુ, સહ નૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વીનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ’ પછી   કેટલી સુંદર રીતે બોલાય છે ઓમ શાન્તિ: શાન્તિ: શાન્તિ:

ક્રમશ: ધીમો પડતો અવાજ ગુંજારવ થઈને શમી જાય છે, ને પછી અસ્તિત્વમાં જે મૌન ગુંજન રૂપે આકાર લે છે, શાંતિના એ વિશ્વમાં આપણા સહુનો વાસ હો …

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7791,7801,7811,782...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved