Opinion Magazine
Number of visits: 9570942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

યે વક્ત કા એલાન વહાં ભી હૈ યહાં ભી …

રાજ ગોસ્વામી|Opinion - Opinion|21 August 2021

બીજા વિશ્વયુદ્ધમાં જે રીતે અનેક દેશોમાં સામાજિક તબાહી આવી, તેનો વિષય લઈને અનેક યુરોપિયન અને હોલીવૂડ ફિલ્મો બની હતી. આપણે ત્યાં વિભાજનની ભીષણતા પણ યુદ્ધથી ઓછી ન હતી, પણ આપણી ફિલ્મોએ તેનું જોઈએ તેટલું વિશ્લેષણ કર્યું ન હતું. ગણવા બેસો તો દસેક ફિલ્મો એવી નીકળે, જેણે ગંભીરતાથી વિભાજનની પીડાને પડદા પર બતાવી હોય. દર વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે તમે આ બધી ફિલ્મોને એક યા બીજી રીતે યાદ કરતા રહેતા હશો. આપણે આજે એક એવી જ ફિલ્મની વાત કરીએ.

ભારત-પાકિસ્તાનના વિભાજનને બે રીતે જોઈ શકાય; વિભાજનનું રાજકારણ અને વિભાજનની હિંસા. ભારતના ટુકડા થયા તેની પાછળ સાંસ્કૃતિક કારણો હતાં અને તેનું પોલિટીકલ સેટલમેન્ટ હિંસામાં પરિણમ્યું હતું, કારણ કે એ કારણોમાંથી પીડાનો જન્મ થયો હતો. વિભાજનની એ શારીરિક અને માનસિક હિંસાને આપણી ફિલ્મોમાં ગહેરાઈથી તપાસવામાં આવ્યો નથી.

હિંસાના નામે લૂંટફાટ, તોફાનો અને બળાત્કારની વાતો ફિલ્મોમાં થઇ છે, પરંતુ વિભાજનના કારણે પરિવારોની લાગણીઓ અને સંવેદનાઓ પર જે હિંસા થઇ હતી તેને મુખ્ય ધારાના ફિલ્મ સર્જકો બહુ સ્પર્શ નથી કર્યો. એ સંદર્ભમાં, એમ.એસ. સથ્યૂએ ૧૯૭૩માં 'ગરમ હવા' ફિલ્મમાં પહેલીવાર એ અલગાવ, મૂળિયાં સોતા ઉખડી જવાની પીડા અને આઇડેન્ટિટીનાં સંકટનું ચિત્રણ કર્યું હતું.

ફિલ્મની શરૂઆત જ કૈફી આઝમીના આ શેર સાથે થતી હતી, જેમાં જમીન પર ખેંચાયેલી રેખાથી દિલોમાં પડેલી તિરાડની પીડા હતી :

તકસીમ હુઆ મુલ્ક તો દિલ હો ગયે ટુકડે
હર સીને મેં તુફાન યહાં ભી થા વહાં ભી

(તકસીમ : વિભાજીત)

મૈસુર શ્રીનિવાસન સથ્યૂ એટલે કે એમ.એસ. સથ્યૂ મૈસુર અને બેંગ્લોરમાં સાયન્સ ભણ્યા હતા, પણ શોખથી ફિલ્મોમાં આવી ગયા હતા. ફિલ્મ નિર્માતા-નિર્દેશક ચેતન આનંદના એ સહાયક બન્યા હતા, અને તેમની ભારત-ચીન યુદ્ધ આધારિત 'હકીકત'માં બેસ્ટ આર્ટ ડીરેક્શનનો ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા.

સથ્યૂના કહેવા પ્રમાણે 'ગરમ હવા' અકસ્માતે બની હતી, પણ આજે તે એવી જ ક્લાસિક ગણાય છે જેવી કમાલ અમરોહીની 'પાકીઝા' ગણાય છે. સથ્યૂ દિલ્હીમાં નાટકો સાથે સંકળયેલા હતા. તેમની સ્ક્રીનપ્લે લેખક પત્ની શમા ઝૈદીના એક નાટકમાં મશહૂર ઉર્દૂ લેખક રાજીન્દર બેદી કામ કરતા હતા. તેમણે વાતવાતમાં ઝૈદીને કહ્યું કે તમે લોકોએ વિભાજન પછી ભારતમાં રહી ગયેલા મુસ્લિમો પર ફિલ્મ બનાવવી જોઈએ. બેદીએ ઉર્દૂ લેખિકા ઈસ્મત ચુઘતાઈના નામનું સૂચન પણ કર્યું હતું.

ઈસ્મત પાસે વાર્તા ન હતી, પણ તેમના દૂરના પરિવારમાં અમુક સભ્યો પાકિસ્તાન જતા રહ્યા હતા અને અમુક સભ્યો ભારતમાં રહી ગયા હતા તેવી એક ઘટના હતી. કદાચ એમાં ઈસ્મતની માતાની જ વાત હતી, જેણે છેલ્લા શ્વાસ સુધી હિંદુઓ વચ્ચે રહેવાની જીદ કરી હતી. ઝૈદી અને સથ્યૂ વાર્તાની તલાશમાં હતા અને આવી સાવ બે લાઈનની વાર્તા પરથી તેમણે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. તેમણે કૈફી આઝમીનો સંપર્ક કર્યો અને આઝમી સાબે ઝૈદી સાથે મળીને વાર્તાને આકાર આપ્યો.

ફિલ્મ બનાવવા માટે સથ્યૂએ ફિલ્મ ફાયનાન્સ કોર્પોરેશનની મદદ લીધી હતી, અને ત્યાંથી તેમને ત્રણ લાખ રૂપિયા ફાળવ્યા હતા. સાવ નાખી દેવાય તેવા બજેટ અને સાવ નાનકડી વાર્તા પરથી સથ્યૂએ 'ગરમ હવા' એવી ગર્મજોશીથી બનાવી કે આજે ૫૦ વર્ષ પછી પણ એવું કહેવાય છે કે પૃથ્વી પર જ્યાં સુધી પાકિસ્તાન રહેશે, ત્યાં સુધી વિભાજનના ઇતિહાસમાં તેને યાદ કરવામાં આવશે.

ફિલ્મ આગ્રામાં જૂતાંના કારખાનાના માલિક સલીમ મિર્ઝા(બલરાજ સહાની)ના પરિવારની આસપાસ ઘૂમે છે.

સમય ભારતની સ્વતંત્રતા પછીનો છે. દેશમાં વિભાજનની આગમાં સળગી રહ્યો છે. બંને દેશોમાંથી સ્થળાંતર ચાલુ છે. હિન્દુઓ પાકિસ્તાન છોડીને ભારત આવી રહ્યા છે, અને મુસ્લિમો ભારત છોડીને પાકિસ્તાન જઈ રહ્યા છે. બંને કોમ 'અપના દેશ'ની તલાશમાં છે. એ બધા વચ્ચે એવા મુસલમાનો પણ છે, જે ભારતને જ પોતાનો દેશ માને છે.

સલીમ મિર્ઝા એવો જ એક મુસલમાન છે, જેને મહાત્મા ગાંધીના સર્વ ધર્મ સમભાવમાં વિશ્વાસ છે. તેને આશા છે કે હિંદુ-મુસ્લિમ એકતા માટે થઈને ખુવાર થઇ જનારા મહાત્માની શહીદી એળે નહીં જાય અને દેશમાં શાંતિનો દીવો પેટાવશે. એક દ્રશ્યમાં એક ઘોડાગાડીવાળો સલીમ પાસે આઠ આનાને બદલે બે રૂપિયાનું ભાડું માગે છે, ત્યારે સલીમ તેની સાથે રકઝક કરે છે. ગાડીવાળો ઉદ્ધતાઈથી સલીમને કહે છે, "આઠ આને મેં ચલના હૈ તો પાકિસ્તાન જાઓ." એ સાંભળીને દુઃખી થયેલો સલીમ કહે છે, "નઈ-નઈ આઝાદી મિલી હૈ તો સબ અપને-અપને મતલબ નિકાલ રહે હૈ."

સલીમને બે દીકરા બાકર (અબુ સિવાની) અને સિકંદર (ફારુખ શેખ) તથા એક દીકરી અમીના (ગીતા સિદ્ધાર્થ) છે. અમીના તેના કાકા હલીમ(દીનાનાથ ઝુત્સી)ના દીકરા કાસિમ(જમાલ હાસમી)ને પ્રેમ કરે છે, પણ બંનેનો પ્રેમ અધૂરો રહી જાય છે. હલીમ તેના દીકરાને લઈને પાકિસ્તાન જતો રહે છે. લગ્ન કરવાના ઈરાદે કાસિમ પાછો આગ્રા આવે છે તો ઉચિત કાગળો ન હોવાથી પોલીસ તેને પકડીને પાછો પાકિસ્તાન મોકલી દે છે. અમીના નાસીપાસ થઇ જાય છે અને તેનાં લગ્ન તેની ફોઈના દીકરા શમશાદ (જલાલ આગા) સાથે કરી દેવામાં આવે છે. એ લગ્નમાં પણ તેને દગો થાય છે અને તે અમીના આત્મહત્યા કરે છે.

સલીમ પર ભારત છોડવાનું દબાણ છે, પણ તે આગ્રામાં જ રહેવાનું પસંદ કરે છે. તેની પર દીકરીની આત્મહત્યા અને પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ મુકવામાં આવે છે છતાં તેના નિર્ણયમાં કોઈ બદલાવ નથી આવતો. તેને વિશ્વાસ છે કે ગાંધીનું બલિદાન એળે નહીં જાય. તે કહે છે, “ગાંધીજી કી કુરબાની રાયગા નહીં જાયેગી, ચાર દિનો કે અંદર-અંદર સબ ઠીક હો જાયેગા.” ધીરે-ધીરે પરિવારના બધા જ પાકિસ્તાન જતા રહે છે. સલીમને કારખાનું ચલાવવા માટે બજારમાંથી પૈસા પણ નથી મળતા કારણ કે મુસ્લિમ હોવાથી તેની પર કોઈને વિશ્વાસ નથી. તેની હવેલી જપ્ત કરી દેવામાં આવે છે.

ત્યાં સુધી કે સલીમને કારખાના પર લઈ જનારો ઘોડાગાડીવાળો પણ સમયની ભયાનકતા સમજે છે. સલીમ હિંદુ-મુસ્લિમ કડવાશ, તોફાન અને રાજનીતિની પરેશાન થઇને એકવાર કહે છે, “કૈસે હરે ભરે દરખ્ત કટ રહે હૈ ઇસ હવા મેં” (આ હવામાં કેવાં હર્યાંભર્યાં વૃક્ષ કપાઈ રહ્યાં છે) ત્યારે ગાડીવાળો કહે છે, “બડી ગરમ હવા હૈ મિયાં બડી ગરમ, જો ઉખડા નહીં વો સૂખ જાયેગા મિયાં.” પણ સલીમ ભારતની જમીન પર સુકાઈ જવાય તો પણ ઉખડવા તૈયાર નથી.

સલીમ ભાડાનું ઘર શોધવા નીકળે છે, પણ મુસ્લિમ હોવાથી કોઈ ઘર નથી આપતું. બધેથી હડધૂત થયાનો અનુભવ એવો છે કે એક ઘરમાં ઘૂસતાં પહેલાં સલીમ સામેથી કહે છે, “પહેલે સુન લીજીએ, મકાન મુજે ચાહીએ, મેરા નામ સલીમ મિર્ઝા હૈ ઔર મેં એક મુસલમાન હું, ક્યા અબ ભી મેં મકાન દેખ સકતા હું?” મકાન માલિક કહે છે, “શૌક સે શૌક સે દેખિયે મિર્ઝા સાહબ, મુજે કિરાયે સે મતલબ હૈ આપકે મજહબ સે નહીં.” એ સાંભળીને સલીમ કહે છે, “જબ સે મકાન ઢૂંઢ રહા હું યે જવાબ સુનને કે લિયે કાન તરસ ગયે થે.”

આ બધા વચ્ચે જાસૂસીની તપાસ તો તેને પરેશાન કરતી જ હોય છે અને અંતે થાકી-હારીને સલીમ ભારત નહીં છોડવાના તેના વચનને ફોગ કરીને પાકિસ્તાન જતા રહેવાનું નક્કી કરે છે. તેનો દીકરો સિકંદર તેનો વિરોધ કરે છે કે આપણે અહીં રહીને જ દેશના વિકાસ માટે કામ કરવું જોઈએ, પણ સલીમ હવે થાકી ગયો હોય છે. તે અને તેનો પરિવાર રેલવે સ્ટેશન તરફ જતો હોય છે ત્યારે રસ્તામાં બેરોજગારીનો વિરોધ કરતું મોટું ટોળું આવે છે. ટોળામાં સિકંદરના દોસ્તો છે. તેઓ સિકંદરને સરકારના વિરોધમાં જોડાવા અપીલ કરે છે. સલીમ સિકંદરને તેમાં જોડાવા ઉત્તેજન આપે છે.

એ પછી સલીમ ઘોડાગાડીવાળાને સૂચના આપે છે કે તે તેની પત્નીને પાછો ઘરે લઇ જાય અને પોતે પણ એ વિરોધમાં જોડાઈ જાય છે. બરાબર એ જ વખતે કૈફી આઝમીની શાયરી હવામાં સંભળાય છે. એ શાયરીમાં જાણે સલીમના મનની વાત હતી :

જો દૂર સે તૂફાન કા કરતે હૈ નઝારા
ઉનકે લિયે તૂફાન વહાં ભી હૈ યહાં ભી
ધારે મેં જો મિલ જાઓગે, બન જાઓગે ધારા
યે વક્ત કા એલાન વહાં ભી હૈ યહાં ભી

ફિલ્મ ભારતના વફાદાર મુસ્લિમોની પીડાની કહાની તો હતી જ, સાથે ભારતની અસલી સમસ્યા બેરોજગારી અને ગરીબીની પણ કહાની હતી. તેનો સંદેશો સાફ હતો કે ભારતની અસલી લડાઈ હિંદુ-મુસ્લિમ વચ્ચે નથી, પણ ભારતીયો અને ગરીબી વચ્ચેની છે.

બલરાજ સહાનીની આ સૌથી ઉત્તમ ફિલ્મ છે. તેને અનેક એવોર્ડ મળ્યા હતા અને દેશ-વિદેશમાં તેનાં વખાણ થયાં હતાં. સેન્સર બોર્ડ તેને પાસ કરવામાં આનાકાની કરતુ હતું તો ઇન્દિરા ગાંધીએ દરમિયાનગીરી કરીંને તેને વિના વિઘ્ને રિલીઝ કરાવી હતી. મુંબઈમાં બાળ ઠાકરેએ રિલીઝ પહેલાં ફિલ્મ જોઈ હતી અને તેના સંદેશાથી ખુશ થયા હતા.

ફિલ્મના અંતે બલરાજ સહાનીનો એક ડાયલોગ હતો : “ઇન્સાન કબ તક અકેલા જી સકતા હૈ?” તેમણે આ ડાયલોગ રેકોર્ડ કરાવ્યો તેના બીજા જ દિવસે, ૧૩ એપ્રિલ ૧૯૭૩ના રોજ, ૫૯ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થઇ ગયું.

પ્રગટ : ‘બ્લોક બસ્ટર’ નામક લેખકની સાપ્તાહિક કોલ, “ગુજરાતી મિડ-ડે”, 14 ઑગસ્ટ 2021

Loading

ગાંધી આશ્રમનું પુનર્નિર્માણ : એક વધુ દૃષ્ટિકોણ

મનસુખ સલ્લા|Opinion - Opinion|21 August 2021

સાબરમતીનો ગાંધી આશ્રમ એના પુનર્નિર્માણની દરખાસ્ત / યોજનાને કારણે અત્યારે ચર્ચામાં છે. એમાં વિવિધ દૃષ્ટિકોણ રજૂ થયા છે. મારી વાત એક વધુ દૃષ્ટિકોણ રૂપે રજૂ કરું છું. (કોઈ વિગત અધૂરી કે અલગ હોઈ શકે. સ્મરણ પરથી લખું છું.)

ગાંધી આશ્રમના પુનર્નિર્માણની વાત લગભગ ૨૦ વર્ષ પહેલાં વિખ્યાત આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશી અને સેપ્ટ વગેરે દ્વારા કમિશ્નર કેશવ વર્માના વખતે શરૂ થઈ હતી. પરંતુ એ અમલમાં ન આવી.

અત્યારે ગાંધી પ્રેમીઓનો વિરોધ એ કારણે છે કે કેન્દ્ર સરકારે 1,200 કરોડની પુનર્નિર્માણની યોજના બનાવી છે. એને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ પોઇન્ટ બનાવશે. ગાંધીજીને ઓળખનારા – સમજનારા સૌ સંમત થશે કે ગાંધીજીનું સ્મરણસ્થાન સાદગીભર્યું, ઔચિત્ય ભર્યું, છેલ્લા માણસ સાથે હૃદયાનુસંધાન કરાવનારું, ગાંધીજીની જીવન સાધનાને પ્રગટ કરનારું અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને જાળવનારુ હોવું જોઈએ. એને ટુરિસ્ટ પોઇન્ટ ન બનાવી શકાય. વિદેશી મહેમાનો પણ મૂળ ગાંધીને પામે એ જાળવવું જોઈએ. આ ભવ્ય વારસા સ્થાન (ગ્રાન્ડ હેરિટેજ પ્લેસ) હોય અને રહે.

અત્યારે લગભગ પાંચેક ટ્રસ્ટોમાં ગાંધી આશ્રમ વહેંચાયેલો છે. જેમ કે સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ. (એની પાસે સૌથી વધુ જમીન છે) ચારેક દાયકાથી એન.ડી.ડી.બી.ને સોંપાયેલ છે. આર્ટિફિશિયલ ઈન્સેમિનેશનના સ્ટોરેજ તરીકે મુખ્યત્વે વપરાય છે. ગોપાલન કે ગોસંવર્ધનનું કોઈ કામ થતું હોય તો જાણમાં નથી. સફાઈ વિદ્યાલય ટ્રસ્ટ સફાઈ જાગૃતિનું કામ કરે છે. એક અન્ય માનવ સાધના ટ્રસ્ટ પણ ચાલે છે. ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ અત્યારે મુખ્યત્વે ખાદીકામ કરે છે. વણાટ, રંગાટ, કાગળ, ચર્મકામ કે તેમાં સંશોધનનું કામ બંધ થયું છે. ગાંધી આશ્રમનો ઘણો ભાગ નિવાસરૂપે ૨૨૫ કે ૨૫૦ જેટલા પરિવારો વાપરે છે.

જે ગાંધી સ્મારક અને સુરક્ષા ટ્રસ્ટ (જેમાં હૃદયકુંજ અને ગાંધીસંગ્રહાલય છે) તરીકે ઓળખાય છે એમાં ઇલાબહેન ભટ્ટ, સુદર્શન આયંગાર, કાર્તિકેય સારાભાઈ વગેરે ટ્રસ્ટીઓ છે.

આ ઉપરાંત વિનય મંદિર, કન્યા છાત્રાલય, વિનોબા નિવાસ, મીરાંબહેન નિવાસ અને બીજાં સ્થાનો છે તે ઉપેક્ષિત જેવાં છે. તેને હેરિટેજના ભાગરૂપે વિકસાવી શકાય.

ગાંધી પ્રેમીઓને ભય છે કે કેન્દ્ર સરકાર વધુ ભવ્ય અને વિશાળ કરવામાં મૂળ આશ્રમને બદલી નાખશે. તો સાથે એ પણ વિચારવું જોઈએ કે બીજાં ચારેક ટ્રસ્ટો છે એને ગાંધી આશ્રમના ભાગરૂપ ગણવા જોઈએ કે નહીં? એ રીતે એને વિકસાવવા જોઇએ કે નહીં?

 આ માટેના ખર્ચ પેટે સરકાર તરફથી ૧,૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. તેનો પણ પ્રશ્ન છે. તો આપણે નવેસર વિચારી શકીએ.

૧. સરકાર રકમ અને નિષ્ણાતોની (આર્કિટેક્ટ, એન્જિનિયર્સ, કલાકારો અને મેનેજમેન્ટ તજજ્ઞોની) મદદ કરે. આખું આયોજન ટ્રસ્ટ, ગાંધી પ્રેમીઓ અને નિષ્ણાતોની બનેલી એક સમિતિને સોંપે. આ સમિતિ જેને આખરી મહોર મારે એટલું નવરચનામાં કરવું / થાય.

૨. હું દસ વર્ષ પહેલાં સેવાગ્રામ આશ્રમમાં ગયો હતો. સેવાગ્રામના પુનર્નિર્માણ માટે આગલી સરકારે દરખાસ્ત કરી હતી. એ દરખાસ્ત સેવાગ્રામના ટ્રસ્ટીઓએ સ્વીકારી નહોતી. મેં જોયું કે મહાદેવ દેસાઈ નિવાસ જર્જરિત હતો. ઈંટો પડી ગઈ હતી. નળિયાં લટકી રહ્યાં હતાં. રિપેરીંગ થતું નહોતું.

સાબરમતી ગાંધી આશ્રમનાં મકાનો તત્કાલીન સંજોગોમાં બંધાયાં હશે. એ પણ જૂનાં થશે. તૂટશે. તો નિષ્ણાતોની મદદથી, જરૂરી એવી સામગ્રીથી, જરૂરી એવા આધારો આપીને, બીજા 50- 60 વર્ષ બધું સરસ રહે એ દિશામાં વિચારવું ન જોઈએ? આ કામ તજજ્ઞોનું છે. આનો વિચાર ગાંધી પ્રેમીઓએ અત્યારથી કરવો જોઈએ.

૩. ગાંધી આશ્રમને સાયલન્સ ઝોન બનાવવો, હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી, આ બધું પણ જરૂરી બનવાનું. એટલું જ નહીં, આ સઘળું જાળવવું, સુધારવું, બદલવું અને કાર્યકર્તાઓના વેતન વગેરેની જોગવાઈ અંગે પણ અત્યારથી વિચારવું જરૂરી છે.

૪. ગાંધી જીવન-કાર્યનો મુખ્ય આધાર લોક સહયોગ દ્વારા લોકશક્તિ નિર્માણનો હતો. તો લોક સહયોગથી જરૂરી રકમ એકઠી કરવી જોઈએ. ગાંધીજીએ ટિળક સ્વરાજ ફાળામાં રૂપિયો રૂપિયો એકઠો કરીને એ જમાનામાં લાખથી વધારેનું ફંડ એકઠું કરેલું. ગાંધી પ્રેમીઓએ આ અંગે વિચાર કરવો જોઈએ.

ગાંધીજી ભારતીય પ્રજા માટે શ્રદ્ધા સ્થાન છે. રતન તાતા, અજીમ પ્રેમજી કે નારાયણ મૂર્તિના કરોડો રૂપિયાની સાથે જ એક અજાણ ગ્રામજનના દસ રૂપિયા કે એક વિદ્યાર્થીના બે રૂપિયા સમિતિએ સ્વીકારવા જોઈએ. તો પછી આર્થિક તાણ નહીં રહે. ગાંધી પ્રેમીઓએ આ માટે આગળ આવવું જોઈએ. ગાંધીવિચારને જીવતો રાખવાનું આ પણ એક માધ્યમ છે. સરકાર બિનશરતી આપી શકે તેટલાં નાણાંની અને નિષ્ણાતોની મદદ આપે. અને બાકીની રકમ લોક સહયોગથી એકઠી થાય. પણ એ જાગૃતિ અવશ્ય રહે કે સામાન્ય માણસના એક રૂપિયાનો સહયોગ પણ ઘણો મૂલ્યવાન છે. ગાંધી પ્રેમીઓ આ અંગેની ઝુંબેશમાં જોડાઈ શકે. સમિતિને મદદ કરી શકે. માસ મીડિયાના આવ્યા પછી આ વિચાર લાખો લોકો સુધી પહોંચાડવાનું બહુ સહેલું છે.

૫. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એવી અપીલ કરી શકાય કે તમે નિ:શુલ્ક યા અલ્પશુલ્ક લઈને તમારી સેવાઓ આ કામ માટે આપો.

૬. ગાંધી આશ્રમના કાયદાકીય પ્રશ્નો પણ હશે. તો જ્યાં કાયદાકીય મદદની જરૂર હોય ત્યાં સરકારી તંત્ર ઉત્તમ સહયોગ આપે. એના માર્ગદર્શન માટે રાજ્યના સચિવ કક્ષાના અધિકારીની સરકારે નિમણૂક કરવી જોઈએ.

૭. ગાંધી આશ્રમ ‘ગાંધીનો આશ્રમ’ની અનુભૂતિ કરાવે તેઓ રહેવો જોઈએ. મહેલ નહીં બની જવો જોઇએ. એ ભાવના સાચી છે, એમ જ કોઈ પણ સ્મારકની જાળવણીની જોગવાઈઓ પણ જરૂરી છે. માત્ર આજનું કોર્પસ ફંડ પૂરતું નહીં થાય. એટલે જેમ ગાંધી આશ્રમનું પુનર્નિર્માણ લોક સહયોગથી થવું જોઈએ તેમ જ તેની કાયમી સંભાળનું આયોજન પણ લોક સહયોગથી થવું જરૂરી છે.

કોઈ દરખાસ્તમાં મર્યાદા કે ઊણપ હોય તો તેમાં શું કરવા જેવું છે એ અંગેની વિચારણામાં અને અમલમાં પણ ભાગીદાર થવું જરૂરી છે. આજના ઘણા પ્રશ્નો “બધુ સરકાર કરશે” એ મનોવૃત્તિમાંથી જન્મ્યા છે. એ નબળાઈને દૂર કરવામાં અને રચાનારી સમિતિને સહયોગ આપવામાં ગાંધી પ્રેમીઓ પાછા નહિ પડે તેવી આશા રાખીએ.

e.mail : mansukhsalla@gmail.com

Loading

સરકારનો ઇરાદો ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો છે તે પ્રજાએ વહેલી તકે સમજી લેવાનું રહે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|20 August 2021

સરકારને ખાનગીકરણની ધૂન ચડી છે ને તેણે અન્ય ક્ષેત્રોને ખાનગી કરવાની સાથોસાથ શિક્ષણને પણ ખાનગીકરણ તરફ ધકેલવાનું શરૂ કરી દીધું છે. પ્રજા તરીકે આપણે એ સમજી લેવાનું રહે કે ‘સેવા’ શબ્દ આઉટડેટેડ થઈ ગયો છે ને કોઈ હવે સેવા કરતું નથી. બધાં જ ધંધો કરે છે ને એમાં શરૂઆત સરકારથી થાય છે. અગાઉ ક્યારે ય ન હતી એવી મૂંગી પ્રજા અત્યારે છે. એને એ ખબર નથી પડતી કે એની ચૂપકીદી અનેક ક્ષેત્રોમાં અનેક અનર્થો સર્જી રહી છે.

શિક્ષણની જ વાત કરીએ તો આ વર્ષથી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સાર્વજનિક યુનિવર્સિટી તરીકે અસ્તિત્વમાં આવી. સોસાયટીએ, યુનિવર્સિટી તરીકે પ્રગટ થવા સરકારમાં અરજી કરી ત્યારે તેણે સ્પષ્ટ કરી દીધું હતું કે તે પોતાની સાથે સેલ્ફ ફાયનાન્સ કોલેજો જ રાખશે અને તેનું સ્ટેટસ ખાનગી યુનિવર્સિટી તરીકેનું જ રહેશે. સરકારે એ શરતે મંજૂરી આપી કે તે એક પણ રૂપિયાની મદદ નહીં કરે. સાર્વજનિક યુનિવર્સિટીને એ મંજૂર હતું ને એને ખાનગી યુનિવર્સિટી તરીકેની મંજૂરી આ વર્ષથી મળી પણ ગઈ. ખાનગી યુનિવર્સિટી બનવાનું સોસાયટીએ કેમ સ્વીકાર્યું તેનો જવાબ હોદ્દેદારો એમ આપે છે કે કેટલાક કોર્સિસ ખાનગી યુનિવર્સિટી તરીકે શરૂ કરવામાં સરળતા રહે ને જરૂરી ફી લઈને તે શરૂ કરી શકાય. એવા કયા કોર્સિસ છે જે ખાનગીમાં જ શરૂ કરી શકાય અને ગ્રાન્ટેડમાં ન થઈ શકે તેનો ખુલાસો થયો નથી, પણ એટલી સ્પષ્ટતા જરૂર થઈ છે કે સાર્વજનિક યુનિવર્સિટી ધંધો કરવાને ઇરાદે જન્મી નથી. સ્પષ્ટતા તો એવી ય થઈ છે કે કેટલાક સેલ્ફ ફાયનાન્સ કોર્સિસમાં સોસાયટી ખોટ પણ કરે છે. આ સાચું હોય તો એમ સ્વીકારવું પડે કે ખાનગી કોલેજો પણ ખોટ કરે છે, તો પ્રશ્ન એ થાય કે ગ્રાન્ટેડમાં અને ખાનગીમાં ફેર શું રહે છે? જો ખાનગીમાં ખોટની શક્યતા રહેતી હોય તો સરકાર ખાનગીકરણ ખોટ ખાવા કરે છે? ખાનગીમાં પણ ખોટ જ જવાની હોય તો ગ્રાન્ટેડનો વેપલો શું ખોટો છે?

સાચું કે ખોટું તો સોસાયટી કે સાર્વજનિક યુનિવર્સિટી જાણે, પણ યુનિવર્સિટી બનવાની ઉતાવળમાં સોસાયટીએ ઘણી ગરબડો કરી છે. સોસાયટી બરાબર જાણતી હતી કે પોતાની 100થી વધુ વર્ષથી ગુજરાતમાં પ્રતિષ્ઠા છે. તેની સાથે એમ.ટી.બી. જેવી શતાબ્દી વટાવી ચૂકેલી કોલેજ ઉપરાંત કે.પી., વિ.ટી. ચોક્સી જેવી નામી ગ્રાન્ટેડ કોલેજો જોડાયેલી છે. જો ખાનગી યુનિવર્સિટી બનવાનું આવે તો આ કોલેજોનું ભાવિ શું, તેનો વિચાર કર્યા વગર સોસાયટીએ સામેથી સરકારને કહી દીધું કે તે યુનિવર્સિટી થાય તો પોતાની સાથે માત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજો જ રાખશે. બીજા શબ્દોમાં, તે ગ્રાન્ટેડ કોલેજોને સાથે રાખવા માંગતી નથી. એટલે થયું એવું કે વીર નર્મદ યુનિવર્સિટી કોલેજોનું જોડાણ રદ્દ કરે એ પહેલાં તો સાર્વજનિક યુનિવર્સિટી એ પોતે જ સાથે જોડાયેલી ગ્રાન્ટેડ કોલેજો સાથેનો છેડો ફાડી નાખ્યો. છેડો ફાડવો જ પડે એમ હતું, કારણ ગ્રાન્ટેડ કોલેજોની ફી ઓછી ને પગાર ધોરણ ઊંચું હતું જેનો બોજ ઉપાડવાનું સાર્વજનિક યુનિવર્સિટી માટે શકય ન હતું. સરકારી ગ્રાન્ટથી એ કોલેજો ચાલે છે. હવે ખાનગી યુનિવર્સિટીને એ ગ્રાન્ટ તો સરકાર આપે નહીં, એટલે ગ્રાન્ટેડને જોડવાની ઇચ્છા હોય તો પણ સાર્વ. યુનિ. એ જોડી ન શકે એ સ્થિતિ છે. સરકારે 2009, 2011 અને 2021માં કાયદામાં સગવડ પ્રમાણે ફેરફારો કર્યે રાખીને લાગતા વળગતા સૌને મૂરખ બનાવ્યા છે. તેના તઘલખી નિર્ણયો મુજબ, સરકારે ખાનગી યુનિવર્સિટી સાથે ખાનગી કોલેજો જ જોડાશે એવું ફરમાન બહાર પાડ્યું. ખાનગી યુનિવર્સિટીને સરકારી કોઈ મદદ નહીં મળે તેવું પણ ઉમેરાયું, પાછળથી ખાનગી સાથે ગ્રાન્ટેડ કોલેજો જોડી શકાશે તેવું આવ્યું ને ગ્રાન્ટેડ કોલેજો ખાનગી યુનિવર્સિટી સાથે જોડાશે તો વિદ્યાર્થીઓને ફીનું ધોરણ ગ્રાન્ટેડનું જ લાગુ પડશે અને અધ્યાપકોનાં પગાર ધોરણમાં ને નિવૃત્તિના લાભોમાં પણ કોઈ ફેર નહીં પડે.

તો સરકાર માઇબાપને એ પૂછવાનું થાય કે જો ફીમાં કે પગારમાં ફેર પડવાનો ન હોય તો નર્મદ યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજોનું જોડાણ ચાલુ રાખવામાં શું તકલીફ હતી? તેને ખાનગી સાથે જોડવાનો આગ્રહ શું કામ? પણ સરકારનો હેતુ અહીં સ્પષ્ટ નથી. તે ગ્રાન્ટેડની ફી અને પગાર, ખાનગી યુનિવર્સિટીને આપવાનું તો કહે છે, પણ કાનૂની રીતે બંધાવા તૈયાર નથી. ધારો કે સરકાર ગ્રાન્ટેડની જવાબદારી ઉપાડે છે તો તેમાં પણ કરામત જ હશે. હાલ બે ત્રણ વર્ષ ધારો કે અધ્યાપકનો પગાર કે નિવૃત્તિના લાભો સરકાર આપે છે કે ફીનું ધોરણ ઓછું રાખે છે, પણ પછી નવા અધ્યાપકો કે નવા વિદ્યાર્થીઓનો બોજ લાંબો સમય તે ઉપાડે એ શક્ય નથી. જો એ જ કરવું હતું તો ગ્રાન્ટેડની હાલની સ્થિતિ ચાલુ રાખતાં તેને કોણ રોકતું હતું? પણ, સરકારનો ઇરાદો સાફ છે. તે ગ્રાન્ટેડનું સ્ટેટસ જ નાબૂદ કરવા માંગે છે. ગ્રાન્ટેડનો લાભ ખાનગી યુનિવર્સિટીને સરકાર આપશે, પણ એ પ્રકરણ લાંબું નહીં ચાલે. આવનારા સમયમાં વિદ્યાર્થીએ વધારે ફી ભરવાનું થશે ને અધ્યાપકે પણ ખાનગીનું ધોરણ અપનાવીને જ નોકરી કરવાનું થશે તે કહેવાની જરૂર નથી.

સાર્વજનિક યુનિવર્સિટી અને એવી બીજી ખાનગી યુનિવર્સિટીની સંખ્યા આવનારા સમયમાં વધવાની છે. ખાનગી ટ્રસ્ટોને યુનિવર્સિટી બનાવવાની લાલચો આપીને તેની સાથે ખાનગી કોલેજો જોડવાનો ધંધો ફૂલેફાલે એવા સંજોગો છે જ, એમાં સાર્વજનિક યુનિવર્સિટી જેવી સંસ્થાઓનો ઉપયોગ કરીને સરકારે શરૂઆત કરી દીધી છે. સરકારને આગળ જતાં બે લાભ છે. શિક્ષણની જવાબદારી ખાનગી સંસ્થાઓ ઉપાડશે ને જેની પાસે પૈસા હશે તે ભણશે ને ભણાવશે, એટલે સરકારની જવાબદારી ખાસ રહેશે નહીં. બીજું, કરવેરાઓ દ્વારા આવક ઊભી કરીને સરકાર પોતાની મજબૂતાઈના માર્ગો ખોળી કાઢશે. સાર્વજનિક યુનિવર્સિટી સ્થપાતાં સરકારને એ ખબર હતી કે યુનિવર્સિટી સાથે ગ્રાન્ટેડ કોલેજો નથી ને એ વીર નર્મદ સાથે જ જોડાયેલી છે, છતાં સરકારે એ કોલેજોનું જોડાણ રદ્દ કરવાનો આદેશ આપ્યો. આ અજાણતાં થયું હોય એવું લાગતું નથી, પણ પરિણામ એ આવ્યું કે ગ્રાન્ટેડ કોલેજો ન તો વીર નર્મદ યુનિવર્સિટી સાથે રહી કે ન તો સાર્વજનિક યુનિવર્સિટી સાથે. સાર્વજનિક યુનિવર્સિટીએ પણ એ ન વિચાર્યું કે વર્ષોથી સાથે રહેલી ગ્રાન્ટેડ કોલેજોનું શું થશે? સરકારને તો કોલેજની ઐતિહાસિકતાની કદાચ બહુ ખબર ન હોય, પણ સોસાયટી તો એ જાણતી હતી કે તે ભવ્ય ઇતિહાસ સાથે સંકળાયેલી હતી. તેનું એક પણ પગલું એવું કેવી રીતે હોય જે ઈતિહાસ અને ભૂગોળ જ બદલી નાખે? એ વિચાર ન થયો ને આજે એ કોલેજો ન ઘરની કે ન ઘાટની સ્થિતિમાં આવી પડી છે. સાર્વજનિક એજયુકેશન સોસાયટી કે એમ.ટી.બી. અને બીજી કોલેજો શરૂ થઈ તે શ્રેષ્ઠીઓના દાનથી ! દાતાઓનો ઇરાદો સસ્તું ને સારું શિક્ષણ અપાય એવો હતો. એમાં કમાઈ ખાવાની દાનત ન હતી. એમણે કલ્પના પણ નહીં કરી હોય કે એમની ભૂમિ પર ખાનગીનો વેપાર શરૂ થશે ને સોસાયટીનો, સરકાર, હાથા તરીકે ઉપયોગ કરીને વાતને ગૂંચવી મારશે. સરકાર ગ્રાન્ટેડનું કોકડું ઉકેલે એમ લાગતું નથી. ઉકેલવાનો ઇરાદો જ ઓછો છે. તે એ રીતે કે થાકી હારીને વિદ્યાર્થીઓ ને વાલીઓ જ ખાનગી કે દૂરની કોઈ ગ્રાન્ટેડ કોલેજમાં જોડાય, કારણ અહીં ઓગસ્ટના વીસ દિવસ વીતવા છતાં એડમિશનનાં ઠેકાણાં નથી ને નજીકમાં ઠેકાણું પડે એમ લાગતું નથી. એટલે જતે દિવસે ગ્રાન્ટેડ કોલેજોમાં કોઈ એડમિશન લેવાવાળું જ ન રહે ને એ કોલેજો બંધ થાય એમ બને. એમ થાય તો સરકારને તો ટાઢે પાણીએ ખસ જશે, પણ સોસાયટી પોતાને કઈ રીતે માફ કરી શકશે એ પ્રશ્ન છે.

સુરતની ગ્રાન્ટેડ કોલેજોની જેમ જ બલિનો બકરો બારડોલીની કોલેજો પણ થઈ છે. એણે તો કોઇની સાથે જોડાવા કોઈ અરજી કરી નથી તો એને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું દબાણ સરકાર કેમ કરી રહી છે તે સમજાતું નથી. બારડોલીની કોલેજોમાં આદિવાસી વિસ્તારોનાં ગામોમાંથી ગરીબ વિદ્યાર્થીઓ આવે છે, એમને ખાનગીની ફી ભરવાની આવે તો ભણવાનું છોડવું જ પડે. એવા વિદ્યાર્થીઓને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું કોઈ રીતે યોગ્ય નથી. સરકાર કહે છે કે એમની ફીમાં વધારો નહીં થાય કે અધ્યાપકોને પણ કોઈ અસર નહીં થાય. એ જો એટલું જ સાચું છે તો વીર નર્મદ સાથે એને જોડાયેલી રાખવામાં શો વાંધો છે? વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણપત્ર મેળવવા જ રાજી ન હોય તો એને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવાનું કોઈ રીતે યોગ્ય નથી. સાર્વજનિક યુનિવર્સિટી થઈ એટલે સુરતની ગ્રાન્ટેડ કોલેજોને વીર નર્મદ યુનિવર્સિટીએ અલગ કરી દીધી, પણ બારડોલી કોલેજ તો કોઈ સાથે જોડાયેલી નથી તો એને અલગ કરવાનું સરકારે અને યુનિવર્સિટીએ કેમ કર્યું તેનો ખુલાસો થવો જોઈએ.

સાચી વાત તો એ છે કે કોઈ વિદ્યાર્થીએ ખાનગી યુનિવર્સિટી સાથે જોડાવાની ઇચ્છા કરી નથી કે નથી તો  અધ્યાપકોએ ખાનગી યુનિવર્સિટીમાં જવું. સોસાયટી યુનિવર્સિટી થાય એવી માંગ વિદ્યાર્થીઓએ કરી છે? નર્મદ સાથેનું જોડાણ રદ્દ થાય એવું વિદ્યાર્થીઓએ કહ્યું છે? જો આમાંનું કશું પણ વિદ્યાર્થીઓએ માંગ્યું નથી તો એમને રઝળતા મૂકવાનું શું કામ યુનિવર્સિટીને સરકાર કરી રહી છે? આ આખા ય વેપલામાં એમનો શું વાંક છે? જો નથી તો એ બધા વિના વાંકે દંડાઈ રહ્યા છે એનો વિચાર કોઈએ જ કરવાનો નથી? ખાનગી યુનિવર્સિટી સામેનો અને સરકાર સામેનો વિરોધ ઊગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સરકારે આ કોકડું ઉકેલવું જોઈએ ને બીજું કૈં સરકાર કરી શકે એમ ન હોય તો સંબધિત કોલેજોને પૂર્વવત્‌ સ્થિતિમાં મૂકીને વહેલી તકે એડમિશન્સ શરૂ કરી દેવાં જોઈએ. બીજું સત્ર 15 નવેમ્બરથી શરૂ થવાની વાત છે, પણ પહેલું ક્યારે શરૂ થશે તે કોઈ કહેશે કે કેમ? કે સીધું બીજું સત્ર જ શરૂ થવાનું છે? અત્યારે તો શિક્ષણ જગત, સમયનો ગુનાહિત બગાડ કરી રહ્યું હોય એમ લાગે છે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 20 ઑગસ્ટ 2021

Loading

...102030...1,7791,7801,7811,782...1,7901,8001,810...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved