Opinion Magazine
Number of visits: 9674846
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મનહરલાલ ચોકસી એટલે મનહર અંતરજ્યોત

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|29 September 2021

આ લખું છું તે 28 સપ્ટેમ્બર, મહાન ગાયિકા લતા મંગેશકરની જન્મ તારીખ છે. એ તારીખ સંદર્ભે મનહરલાલ ચોક્સી કહેતા કે ચોક્કસ સમય, તારીખનું કાળગણનાની રીતે મહત્ત્વ છે. એક દિવસ વહેલો જન્મ થયો હોત તો હું પણ લતા મંગેશકર જેવો મહાન ગાયક થયો હોત, પણ 29 સપ્ટેમ્બર, 1929ને રોજ જન્મ્યો એટલે ગાયક ન થયો. મનહરભાઈએ હજારોની સંખ્યામાં કુંડળીઓ અને કાર્ડ જોયાં હશે ને ભવિષ્યકથન કર્યું હશે, પણ મને એમાં રસ ઓછો જ પડ્યો છે. એવા કેટલા દાખલાઓ છે જેમાં કોઈને કહ્યું હોય કે તમારે ત્યાં આ તારીખે, આ રાશિનો દીકરો આવશે. એ સાચું પડતું. હું ગમ્મત કરતો. માબાપને પોતાને સંતાનની ખબર નથી એના જન્મની તારીખ ને રાશિ તમે કેવી રીતે નક્કી કરો છો? આ તો એવું લાગે છે કે એ જન્મમાં તમારી કોઈ ભૂમિકા છે. મનહરભાઈ ને બીજા મિત્રો હસતા. એમણે જ્યોતિષનું પાટિયું ઘર પર માર્યું હોત તો લાખો રૂપિયા કમાયા હોત, પણ ન તો પૈસા બનાવ્યા કે ન તો લોકોને બનાવ્યા.

હું બહુ ગંભીર દેખાઉં છું, પણ મિત્રો જાણે છે કે હું ખાસું હસાવી શકું છું. મારી આ જાત ભગવતીભાઈ જાણે. એમણે કહ્યું કે તું સુરતી કવિ-લેખકો વિષે હળવો લેખ કર. મને પણ થયું કે એ કરવા જેવું છે. મેં મનહરભાઈ પર હળવો લેખ લખ્યો ને ભગવતીભાઈને ઘરે મિત્રો સમક્ષ વાંચ્યો. લેખમાં જ્યોતિષ, ગઝલને લગતી વાતો ઉપરાંત એમની બેન્કની નોકરી અંગે પણ લખ્યું. મનહરભાઈ સ્વભાવે બહુ નરમ. બેંકમાં અધિકારી હતા, પણ તેમની હાથ નીચેના પણ તેમને રડાવી જતાં. તે એ હદે કે એમનું માથું ચડતું ને ક્રોસિન એ વરિયાળીની જેમ લેતા ને ઊલટી થતી ત્યારે એમને ને ઘરનાંને શાંતિ થતી. આ બધી વાતો મેં હળવાશથી લખી, પણ લેખ પૂરો થતાં મનહરભાઇએ કહ્યું કે બીજું બધું બરાબર છે, પણ બેંકનું લખાણ કાઢી નાખજો, મારે સાંભળવાનું થશે. બોલતા બોલતા એ અને મનુભાભી રડી પડ્યાં. મેં કહ્યું કે મને તમારા કરતાં લેખ કૈં વધારે નથી. તમને રડાવવા આ લખ્યું નથી. એ લેખ મેં રદ્દ કર્યો ને એ સાથે જ સુરતી લેખકો પરની મારી હળવી કલમ અને કોલમ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું.

મનહરભાઈની હું બહુ ગમ્મત કરતો. એમની સાથે લગ્નમાં જમવા જવામાં જોખમ. વિવેકી એટલા કે ખાવું હોય તો પણ પીરસનારને સામેથી ના પાડતા. પીરસનાર ઉતાવળમાં હોય એટલે આગળ નીકળી જતો ને બાજુમાં બેસવાને કારણે હું પણ એમની જેમ ખાલી પેટે જ હાથ ધોતો. આ માણસ જેટલો નિર્દોષ તો મેં કોઈ ભગવાન પણ જાણ્યો નથી. એટલે જ હું એમને 25માં તીર્થંકર કહેતો ને મને લાગતું નહીં કે હું અતિશયોક્તિ કરી રહ્યો છું. ખાવાની કંજૂસાઈ એ પોતાને માટે કરતા, પણ એમને ત્યાં કોઈ જાય તો રસોડા સુધી જવાની ને નાસ્તા ખોળવાની અબાધિત સગવડો હતી. મનુભાભી અન્નપૂર્ણાનો અવતાર હતાં. સાલમુબારક કરવાનો સમય ન હોય તો પણ એમને ત્યાં દળ અને ઈદડા ખાવાનો સમય હું કાઢી લેતો. દર રવિવારે ‘રવિમિલન’માં અમે મધુવન સોસાયટી, ટિમલિયાવાડ, સવારે મળતાં. ભગવતીભાઈ, નયન, બકુલેશ, હું ને બીજા ઘણા આવતાં. કૈં વાંચ્યું, લખ્યું હોય તેની ચર્ચા થતી. એમાં મનહરભાઈ એકલા હોય તો ઉર્દૂ, ગુજરાતી ગઝલોની વાત થતી. શેરનો મર્મ પકડવાની જે શક્તિ મનહરભાઈમાં હતી, એવી બહુ ઓછામાં મેં જોઈ છે. એ ઉત્તમ આસ્વાદક હતા. મરીઝને જેટલો એમણે મારી સમક્ષ ખોલ્યો છે એટલો બીજા કોઈ પાસેથી હું પામ્યો નથી. બીજાના શેરની કલાત્મકતા જેટલી નાજુકાઈથી એ ખોલી આપતા એટલી ઉદારતા એ પોતાની ગઝલ માટે ન દાખવતા. કવિ સંમેલનમાં રજૂઆતમાં, હું બહુ સંકોચ શરૂઆતમાં અનુભવતો, એ સંકોચ એમનામાં છેવટ સુધી રહ્યો. એ સંકોચમાં થતું એવું કે બીજા બોલકા કવિઓ ચીંથરા જેવા શેરની વાહવાહી લૂંટતા ને એમના જેવાના સારા શેરો તરફ ભાવકોનું બહુ ધ્યાન જતું નહીં. 

અમે એમને ઉસ્તાદ કહેતા, પણ એમણે અમને કશું સીધું શીખવ્યું નથી. બીજાની ઉત્તમ વાતો એમણે વાતવાતમાં કરી છે ને એ દ્વારા એમની પાસેથી ઘણું પામવાનું થયું છે. વર્ષો સુધી એમણે ‘ગુજરાતમિત્ર’માં ‘શાયરીની શમા’ નામે કૉલમ ચલાવી જેમાં અનેક ગુજરાતી, ઉર્દૂ શાયરીઓનો આસ્વાદ એમણે મન મૂકીને કરાવ્યો છે. એમને ત્યાં, ભગવતીભાઈને કે નયનને ત્યાં એટલી બધી ફિલબદી કરી છે કે એ બધી સચવાઈ નથી, નહીં તો એનો જ દળદાર ગઝલ સંગ્રહ થઈ શક્યો હોત. ઘણીવાર નયને પંક્તિઓ કાઢી હોય ને અમે એ પંક્તિઓ પર પંદરેક મિનિટમાં ગઝલો લખતા. આમ તો આ રિયાઝ કરવાની કોઈને જરૂર ન હતી, ઉસ્તાદને તો ન જ હતી. એમણે એટલી બધી ગઝલો ને મુક્તકોથી ડાયરીઓ ભરી હતી કે એ.બી.સી.ડી.થી ઝેડ સુધીની ડાયરીઓ, હું લખતો થયો એ પહેલાંથી હતી એટલે વર્ષો પછી પણ મારી ગઝલોની સંખ્યા ન હતી એટલી એમની ડાયરીની સંખ્યા હતી. આમ છતાં ‘અક્ષર’ કે ‘વૃક્ષોનાં છાંયડાઓ મને ઓળખી ગયા’, એવા થોડા ગઝલ કે મુક્તક સંગ્રહોને બાદ કરતાં તેમના વધુ સંગ્રહો થયા નથી તે નોંધવું ઘટે. એ પછી પણ વિવેકી એટલા કે કહેતા કે ગઝલની ગાડી ઉધના પહોંચી ગઈ છે ને હું સુરત પર જ છું. હું ગમ્મત કરતાં કહેતો કે અમે ઉધના પર જ છીએ, પણ એ મુંબઈથી આવતી ગાડીમાં ! જ્યોતિષમાં કે ગઝલમાં એ કદી નકારાત્મક રહ્યા નથી. હું સ્પષ્ટ કહેવામાં માનું અથવા ચૂપ રહું. એ નબળાની પણ વાહ વાહ કરે. હું કહેતો કે એને બોલવા તો દો, પણ એ ન વખાણે તો મનહરલાલ નહીં ! ઘરમાં પણ એ શાંત જ જણાયા છે, પણ ભગવતીભાઈએ મુકુલ માટે ક્યાંક લખ્યાનું યાદ છે કે એ હાથ ઉપાડી શકતા હતા.

‘રવિમિલન’ને ઉપક્રમે અમે એક અનિયતકાલિક શરૂ કરેલું, તર્જની નામે. એનું બીજા અંકનું છાપકામ એક શાયરને સોંપેલું. એ બીજો ને છેલ્લો અંક હતો, પણ પેલા મિત્ર મહિનાઓ થવા છતાં એ અંક છાપતા ન હતા. વાયદાઓથી અમે તંગ આવી ગયા હતા એટલે એક દિવસ એ શાયરને ત્યાં હું, મનહરભાઈ અને કવિમિત્ર ડો. દિલીપ મોદી પહોંચ્યા, સલાબતપરા. ત્યાંથી અમે ત્રણે ચાલતા ચાલતા પહોંચ્યા, ટેકસટાઇલ માર્કેટ. ત્યારે ત્યાં માર્કેટ જેવુ કૈં ન હતું. એક તૂટેલી પાળી પર અમે બેઠા ને મેં શાયરને અંક ક્યારે આપવાના છો એવું ખખડાવીને પૂછ્યું ત્યાં મનહરભાઈએ એકાએક એવો તોલ ગુમાવ્યો કે આવડતી હતી એ બધી જ ગાળ એમણે બેફામપણે દીધી. દિલીપ મોદી તો કદી મિજાજ ન ગુમાવે, પણ એમણે પણ સંભળાવવામાં કૈં બાકી ન રાખ્યું. પેલા મિત્ર તો મનહરલાલને બહુ માને, પણ એ દિવસે એ મનહરલાલને માની ગયા. પરિણામ એ આવ્યું કે અંક અઠવાડિયામાં હાથમાં હતો.

દસમામાં હતો ત્યારે ‘ગુજરાતમિત્ર’ની પૂર્તિમાં ધારાવાહી રૂપે આવતી નવલકથા ‘ઝળહળ અંતરજ્યોત’ હું વાંચતો. ત્યારે નવલકથાનું કૈં ભાન નહીં, પણ વાંચવાનું ગમતું. આવતે હપ્તે શું આવશે એવું કુતૂહલ રહેતું. એ નવલકથાએ શહેરમાં પ્રણયકથાની હવા ઊભી કરેલી. પછી તો એના લેખક મનહરલાલ ચોક્સીને વર્ષો પછી મળવાનું પણ થયું ને એવું થયું કે એમનો શ્વાસ 4 મે, 2005ને રોજ ખૂટ્યો, પણ સાથ ન છૂટ્યો. નવલકથામાં જૈન સમાજનું ને તેનાં રીતરિવાજોનું નિરૂપણ આ અગાઉ થયું ન હતું ને એ પછી પણ થયું હોય એવું મારા ધ્યાનમાં તો નથી. કથાપ્રવાહમાં એ રીતરિવાજો સહજ રીતે વણાઈ ગયાનું ત્યારે લાગેલું. નવલકથાઓ તો મનહરભાઇએ ચાર લખેલી ને વાર્તાસંગ્રહ પણ ‘ગંગાસ્નાન’ કરીને પ્રગટ થયો છે, પણ એમનું મુખ્ય સર્જન ગઝલમાં રહ્યું. ‘મુનવ્વર’ના ઉપનામથી એ ઉર્દૂ શાયરી પણ કરતા.

મનહરભાઈ એ કશાની આશા ન કરી, તો સાહિત્ય, સમાજે પણ એમની બહુ ચિંતા ન કરી. એ પોતાને વેચતા ન હતા કે પોતાનો ભાવ ઉપજાવતા ન હતા એટલે એમની ઉપેક્ષા થઈ. સર્જક સામે ચાલીને પોતાને ન વેચે એટલે તે નકામો છે એવી માન્યતાથી સમાજ અને સાહિત્ય પીડાય છે. એને કારણે મહત્ત્વનો સર્જક ડાબે હાથે મુકાઇ જાય એવું બન્યું છે. એવું મનહરલાલ ચોક્સી સાથે પણ બન્યું છે. એમને નામે ચંદ્રક અપાય છે, પણ એમને કોઈ ચંદ્રક અપાયો નથી એ ભૂલવા જેવું નથી. 

છેલ્લે થોડા શેર ને મુક્તક મૂકું છું તે જોતાં સરળ લાગતા આ શાયરની પણ ઉપેક્ષા થઈ છે એ વાતને સમર્થન આપવાનું કોઈ કારણ રહે. પોતાને વિષે કોઈ અહોભાવ નથી એટલે એ કહે છે :

ચાર અક્ષર યાદ રાખી લો તમે, 
નામ મનહર કૈં બહુ મોટું નથી.

કોઈ શાયરે પત્નીના નામ સાથે લગ્નની તારીખ ગઝલમાં લખી નથી. 

આઠ મે ઓગણીસસો એકાવનને દિ’,
સાત ફેરા હું મનુ સાથે ફર્યો. 

મને ખ્યાલ છે ત્યાં સુધી એમણે આખેઆખી ગઝલ સુરતી બોલીમાં લખી છે. એ પણ અગાઉ કદાચ ન થયેલો પ્રયોગ છે. એમાં સાહસ કરવા છતાં, આદતવશ ફરી ગોઠવાઈ જવાનું બને છે તેની માર્મિક વાત એક શેરમાં આમ કહેવાઈ છે.

લો, જુઓ આવી ગિયો છું બારણે, 
ઢોરને ખીલા વિના ચાઈલું નહીં. 

પ્રેમી, પ્રેમિકાને જોઈ રહ્યો છે એવું પ્રેમિકાને લાગે છે, પણ વાત જુદી જ છે : 

તને એમ છે કે તને જોઉં છું, 
હકીક્તમાં હું તો મને જોઉં છું.

બીજો એક માર્મિક શેર એ રહસ્ય ખોલે છે કે જે નજીક હોય તે નિકટ હોય જ એ જરૂરી નથી : 

સતત તો સાથમાં રહેવાનો કોઈ પડછાયો, 
નજીક હોવું નિકટતા ગણી શકાય નહીં. 

મનહરભાઈની સરળતા છેતરામણી પણ છે. શ્વાસ વધે છે તેમ તેમ મૃત્યુનો વિસ્તાર થાય છે ને એ જિંદગીની છાયામાં વિકસીને કેવું ઉઘાડું પડે છે તેનો આ શેર જુઓ : 

બે કદમ વધે છે એ રોજ શ્વાસની સાથે,
મોત પણ સલામત છે, જિંદગીની છાયામાં. 

મનહરભાઈના શેરોનો આસ્વાદ કરાવવાનો હેતુ નથી. એમના શેર એટલા સરળ છે કે તે ન સમજાવીએ તો વધારે સમજાય. પ્રેમીને તો પ્રેમિકા મળે તે જ ઉત્સવ. એ ન હોય તો ઉત્સવ પણ મૃત્યુનો જ પર્યાયને ! એમના જ આ મુક્તકથી મારી વાત પૂરી કરું : 

લાગણીનું એક ખીલ્યું છે કમળ,
એ જ તો મહેફિલ તણો આધાર છે,
ઉત્સવોની રાહ હું જોતો નથી,
તું મળે છે એટલે તહેવાર છે.

પણ, તમે ન હો એ વાતને તહેવાર કેમ માનીએ, તે તો કહો મનહરભાઈ?

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (11)

સુમન શાહ|Opinion - Literature|28 September 2021

આજે, વાર્તાસર્જનની મારી પદ્ધતિની કેટલીક વાતો કરું :

મારી મોટીબા મરજાદી વૈષ્ણવ હતી. એ જમાનામાં સ્ટૅન્ડિન્ગ કીચન અને ગૅસના ચૂલા ન’તા. ૬૬-૬૭ વર્ષ પહેલાંની વાત છે. માટીનો ચૂલો અને માટીની સઘડી હોય. દર છ-આઠ મહિને મોટીબા ચૂલો અને સઘડી બદલી નાખે પણ શિલ્પી કલાકારની જેમ પૂરી ઝીણવટથી જાતે બનાવે. એક નાની સગડી પણ બનાવતી. શિયાળામાં તાપવા એની ચોફેર બેસવાનું. વધેલી માટીનાં કોડિયાં બનાવે. માટી ગૂંદે કેળવે ઘાટ ઘડે ને પછી ઠરવા દે. છેલ્લે એ પર પૉલિશ માટેનું ભીનું પોતું ફેરવે.

એનું રસોડું સદા સ્વચ્છ સુવ્યવસ્થિત : લાકડાં કૉલસા છાણું કૅરોસિન વચમાં નડે નહીં એ કારણે થોડે આઘે પણ યોગ્ય જગ્યાએ જ ગોઠવી રાખે; દીવાસળીની પેટી પણ. એનું પાણિયારું એટલું ચોખ્ખું કે જોતાં જ પાણી ઠંડું લાગે ને તરત પીવાનું મન થાય. થાળીઓ વાડકા પવાલાં લોટા પીત્તળનાં હોય, એને ચકચકતાં રાખે. રાંધવા બેસે ત્યારે સાલ્લો વગેરે કપડાં બદલી લેતી. જમણ સમ્પન્ન થાય એ પછી અબોટચૉકા કરતી. રસોડાને લીપીગૂંપીને ચોખ્ખું ચણાક બનાવી મૂકે, નાનું આંગણું જોઈ લો.

રાત હોય, ફાણસ સળગતું હોય. ચૂલાના લાકડાને ભૂંગળીથી ફૂંક મારે કે તરત બધું ભડ ભડ થવા લાગે. સઘડીના અંગારાને આંગળાં વતી આઘાપાછા કરે. બાજરીના રોટલા હાથે ટીપતી, કલેડી પર ફૂલીને દડો થાય. ઘર આખામાં મીઠી સુવાસ પ્રસરે. એ પર કણીદાર ઘીનો લોચો રમતો રમતો ફરતો થાય. એ રોટલા, તાંદળજાની ભાજી અને રીંગણનું શાક અને એના હાથનાં ગરમાગરમ દાળ-ભાત માટે હું અધીરો થઈ ગયો હોઉં. કૅરીનું અથાણું ને શેકેલો પાપડ તો હોય જ. એની બનાવેલી બધી જ વાનગીઓ દેખાવે સુન્દર અને હમેશાં રસપ્રદ નીવડે.

આજે આપણે લોકો ઘઉંના ગ્લુટેનથી ડરીએ છીએ, ત્યારે તો ઘઉંની વાનગી આમ જ, ‘ભારે’ ગણાતી. થાળી માટે એક પાટલો ને બેસવા માટે એક પાટલો – એ જ ડાઇનિન્ગ ટેબલ ! બન્ને પાટલા મારે જ પાથરવાના. હાથ-મૉં ધોવાના જ – ક્યાં ક્યાં અડકીને આવ્યો હોઈશ – એ એનું કાયમી વાક્ય. પાણીનો લોટો પણ મારે જ ભરવાનો. આમાનું કંઈ પણ કરવામાં ચૂક થાય તો વઢે.

પણ સંકલ્પ એવો કરાવેલો કે સવારે ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ લીધા પહેલાં જમાય નહીં. મોટીબા સૌ પહેલાં, અંગારાને – અગ્નિને – ઘીનું ટપકું જમાડે, તરત સોડમ આવે. ગાય-ગવાનેક કાઢે, એ પછી જ થાળી પીરસે. અન્નદેવને મારે પ્રણામ કરવાનાં ને કૉળિયો, ના, પ્રસાદ, પ્રસાદ પરના તુલસીપાનને ‘જયશ્રીકૃષ્ણ’ બોલી આરોગવાનું ને પછી જ પહેલો કૉળિયો ભરવાનો. ત્રણેક રોટલા તો આમ જ ઊતરી જતા. દાળભાત હું આંગળાંથી સબડકા બોલાવીને જમતો. બહુ મજા આવી જતી.

હું વાર્તા લખતો હોઉં ત્યારે મોટીબાની આ તકેદારીભરી સ્વચ્છ પવિત્ર ભોજનસર્જના મને યાદ આવે. એ કુનેહ, એ તજવીજ, યાદ આવે. એ સાદી પણ ગમતીલી સજાવટ અને રસોડાનો એ ઘરેલુ શણગાર જોઇને મને વિચારો આવતા કે કશું પણ કલા સ્વરૂપે હોય તો કેવું હોવું જોઈએ. મને થાય, હું મારા વાચકને વાર્તા પીરસું એ પહેલાં એને મોટીબાની રીતે સરજું, સજાવું, શણગારું. હું મને કહેતો – મારા નામે વાર્તાને જોતાં જ વાચકની વાચનભૂખ જાગી જાય, જાગેલી હોય તો તીવ્ર થઈ જાય, એમ થવું જોઈશે.

મોટીબા કરતી એવી પૂર્વતૈયારી કરું … મને યાદ છે, ઇન્ડિપેન વાપરતો ત્યારે ખાતરી કરી લેતો કે નિબ તરડાઈ ગઈ તો નથી ને, ડપકા પડે એવું તો નથી ને. એ પણ તપાસી લેતો કે એમાં પૂરતી શાહી છે કે કેમ – પેનને કાન પાસે લઈ જઈને ખખડાવવાની, આઇ મીન, હલાવવાની. મેં રાઈટિન્ગ ટેબલ પર બેસી કદી નથી લખ્યું. ક્લિપબૉર્ડમાં ૫-૭ કાગળ ફસાવ્યા હોય ને ખૉળામાં રાખીને લખું. એ જ હતું મારું નિજી લૅપટૉપ ! આજે છે એ, મશીની છે.

Picture courtesy : iStock

મોટીબા બન્ને હથેળીથી રોટલો ઘડતી તેમ હું વાર્તાવસ્તુને – કન્ટેન્ટને – ચોમેરથી ઘડું છું, રૂપ આપું છું, ફૉર્મ. એ રોટલો થવા દેતી એમ વાર્તાને હું થવા દઉં છું. એટલે કે આવા લેખ માટે, વાર્તા માટે કે મારા કોઈ પણ લખાણ માટે હું અનેક કલાકો ખરચું છું, એ થઈને રહે તે માટેની રાહ જોતાં હું થાકતો નથી. શબ્દો વાક્યો બદલ્યા જ કરું, બધું સુધાર્યા જ કરું. ક્યારેક તો મને શંકા પડે કે સાલું મને લખતાં નથી આવડતું કે શું !

વાર્તા લખાઈ ગઈ લાગે એટલે એનાં હું અનેક વાચન શરૂ કરું છું. જાણીને નવાઈ થશે કે દરેક વખતે વાર્તાને હું પહેલા વાક્યથી વાંચું છું.

પહેલું વાચન હું મારી માન્યતાવશ કરું છું. માન્યતા એ છે કે મારા શબ્દો જો પોતાની જ મોટાઈ બતાવવા પડ્યા રહે ને સામાના ધ્યાનને બળાત્ ખૅંચી રાખે, તો એ નહીં ચાલે. મારા શબ્દોએ પોતાનું કામ કરીને, બસ, ચાલી જવાનું…

ઍરહૉસ્ટેસની જેમ વર્તું છું. દરેક પૅસેન્જરે બેલ્ટ બાંધ્યો છે કે કેમ કેવી ઝીણી નજરે શોધી કાઢે છે, કેવું તરત કહે છે – સીટ અપરાઈટ પ્લીઝ – એવું જ હું શબ્દો અને વાક્યો જોડે કરું છું. અનુચિત લાગે એ શબ્દને તરત ટપારું, બદલું. વહેમ પડે કે જોડણી ખોટી છે, તરત કોશમાં જોઈને ચૅક કરું છું. વાક્યરચના તપાસું. કર્તા પાછળ ચાલી ગયો હોય કે કર્મ આગળ આવી ગયું હોય, તો બન્નેને સરખાં કરું. તકેદારી રાખું કે વાક્યો કારણ વગર લાંબાં તો નથી થયાં ને, તરત ટૂંકાં કરી નાખું.

દરેક ફકરો કથાવસ્તુનો એકમ ગણાય. પરખી લઉં કે ફકરો એ રીતે વર્તે છે કે કેમ, વસ્તુનું યોગ્ય ક્રમમાં વહન કરે છે કે કેમ. જો એમ ન લાગે તો અદલબદલ કરું છું, જરૂર જણાઈ હોય તો ફરી લખું છું. જોઈ લઉં કે એક ફકરામાં બીજો ઘૂસી તો નથી ગયો ને, ઝટ બન્નેને છૂટા પાડું છું.

બીજું વાચન હું મને એકલાને સંભળાય એમ જરા મોટેથી કરું છું, ખબર પડે કે કયો શબ્દગુચ્છ કથાપ્રવાહને રોકે છે, રૂંધે છે. આખી વાર્તા કે કોઈપણ લખાણ ખળખળ વહેતું ઝરણું હોવું જોઈએ. પરિણામે મને ખબર પડે છે કે ખળખળતું ક્યાં નથી, વાર્તા શ્રવણ-ગુણમાં ક્યાં કમજોર પડે છે. કેમ કે ભાષા લેખન-વાચન માટે છે એ બરાબર પણ મારો મારી જોડે આગ્રહ બંધાયો છે કે મૂળે તો ભાષા કથન-શ્રવણ માટે છે.

ત્રીજું વાચન હું એ માટે કરું છું કે વાર્તામાં ઊંડાણ છે કે કેમ. એવું ઊંડાણ કે જે અધિકારી ભાવકના મનમાં વસી જાય, એને થાય કે વાર્તાના ઘરમાં જઈને વસું. એમ થયું ન લાગે તો એ વાર્તાને ત્યાં ને ત્યાં પડી રહેવા દઉં છું – જોયું જશે, એવા ભાવથી …

ચૉથું વાચન હું એક ભાવક તરીકે કરું છું – જાણે વાર્તા કોઈ બીજાનું સર્જન હોય. એથી મને સમજાય છે કે રચના રસપ્રદ બની છે. તેમ છતાં લાગે કે કશુંક ખૂટે છે, નડે છે, તો, એ સ્થાનોનો પુનર્વિચાર કરું છું – એક જાતનું સૅલ્ફક્રીટિસિઝમ. અને તેને અનુસરતું ઍડિટિન્ગ અને રીરાઇટિન્ગ. એમ કરતાં કદી મને કંટાળો નથી આવતો.

એ ચૉથા વાચનનો અન્ત ત્યારે જ આવે છે જ્યારે વાર્તા હું કોઇ સામયિકને મોકલી દઉં છું. તે પછી પણ સુધારા-વધારા સૂઝે તો સમ્પાદકને વિનયપૂર્વકનો ત્રાસ આપું છું. કૃતિ વાર્તાસંગ્રહ માટે જાય ને છપાઈ જાય, પછી મારું કંઈ ચાલતું નથી. ત્યારે હું દિવ્ય અસંતોષનો આશરો લઈ ખૂશ રહું છું.

જો કે, હમણાં હમણાં મારી વાર્તા હું એક મિત્રને વાંચી બતાવું છું. એને વાર્તાકાર રૂપે વિકસવું છે. વાર્તાસર્જન જેમ શરૂ થયેલું તેમ વાંચવું શરૂ કરું છું. મિત્ર આગળ સર્જનના નાનામોટા કીમિયા, નુસખા, પ્રપંચ, ખુલ્લા કરું છું. વાર્તાને પ્રારમ્ભથી માંડીને અન્ત લગી  ક્રમે ક્રમે શબ્દ શબ્દ કે વાક્ય વાક્ય લઈને ઉકેલી બતાવું છું. શેનાથી શું સધાયું છે એ કહી બતાવવાની મને બહુ લહેર આવે છે કેમ કે એ મને ત્યાં અને ત્યારે જ સૂઝ્યું હોય છે. આ રીતના એકદમના અંગત વાચનથી અમને બન્નેને વાર્તા ઉપરાન્તના કલાસર્જનમાત્રની સમજ પડે છે. એને પાંચમું વાચન કહી શકાય.

= = =

(‘ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો’ – લેખશ્રેણીને અહીં વિરામ આપું છું.)

(September 28, 2021: USA)

Loading

આંસુ : સ્ત્રીનાં અને પુરુષના –

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|28 September 2021

એમ કહેવાતું આવ્યું છે કે સ્ત્રી હસતી સારી નથી લાગતી ને પુરુષ રડતો સારો નથી લાગતો. આમાં સત્ય ઓછું છે. સમજીને હસતું કોઈ પણ સારું લાગે ને બેફામ રડતું કોઈ પણ સારું ન લાગે એવું વ્યવહારમાં ઘણે ઠેકાણે જોવા મળે છે. પુરુષ રડતો સારો ન લાગે એટલે તેણે કદી રડવું જ નહીં, એ વાત બરાબર નથી. રડ્યા ન કરવું, તે બરાબર, પણ રડવું જ નહીં તે બરાબર નથી. પુરુષ દ્રઢ મનોબળ ધરાવે છે, એવું કહેવાય છે, એટલે તેને નાનેથી જ મજબૂત બનાવવાના ભાગ રૂપે રડવાની છૂટ અપાતી નથી. છોકરો રડતો હોય તો એને – એ શું છોકરીની જેમ રડ્યા કરે છે? – જેવું કહીને કે ‘બાયલો’ કહીને ટોકવામાં આવે છે. એનો અર્થ એવો પણ ખરો કે રડવાનો અધિકાર તો છોકરીનો જ છે. કોણ જાણે કેમ પણ આપણે એટલી બધી ગ્રંથિઓનો શિકાર છીએ કે જિંદગીમાં સહજતા જાણે રહી જ ન હોય એવું લાગે. આમ જ થાય ને આમ તો થાય જ નહીં, એ પ્રકારના એટલાં વિધિનિષેધો આપણી જિંદગીમાં ઘૂસાડી દેવાયાં છે કે મુક્ત મને વર્તવાની તકો જ જાણે રહી નથી. ન ખૂલીને હસી શકાય કે ન રડીને હળવા થઈ શકાય એ સ્થિતિ છે. આ બધું આપણે જ ઊભું કર્યું છે ને આપણે જ એને પરંપરાને નામે પાળતાં પણ આવ્યાં છીએ.

સાચી વાત તો એ છે કે હસવું, રડવું એ નૈસર્ગિક ક્રિયાઓ છે. તે સ્ત્રીને કે પુરુષને, બંનેને લાગુ પડે છે. એવું જરા ય નથી કે રડવું સ્ત્રીને ખાતે જમા છે ને હસવું પુરુષને ખાતે જ લખાયેલું છે. સ્ત્રી હસે કે પુરુષ રડે તો આભ તૂટી પડતું નથી. એ બંનેનો અધિકાર છે, પણ રડવાનું સ્ત્રીને અને હસવાનું પુરુષને જ સોંપાયું હોય તેમ સ્ત્રી હસે તો ને પુરુષ રડે તો એ, એકાએક સમાજ સ્વીકૃત બનતું નથી. સ્ત્રી રડ્યા જ કરે  એ સારું નથી, એ જ રીતે પુરુષ હસ્યા જ કરે એ પણ ઠીક નથી. ઘણીવાર તો પુરુષ મોકળે મને રડી શકતો નથી એટલે અનેક રોગોનો અને સમસ્યાઓનો શિકાર બને છે. પીડા મનમાં ઘૂંટાતી રહે અને રડવાની નાનમ લાગે તો એ સ્થિતિ મન પર અમુક પ્રકારનું દબાણ ઊભું કરે છે અને કોઈ સેફ્ટી વાલ્વ ન હોય તો કૂકર ફાટે એમાં નવાઈ નથી. ઘણા પુરુષો ન રડી શકવાને કારણે મૃત્યુ જેવી પીડાનો અનુભવ કરતા હોય છે. સારો રસ્તો એ છે કે કોઈક રીતે વેન્ટિલેટ થવું. જો રડવાથી રાહત મળતી હોય તો રડી લેવામાં કૈં જ ખોટું નથી. પુરુષથી રડાય જ નહીં, એવું ક્યાં ય લખેલું નથી ને લખેલું હોય તો પણ રડી લેવાથી કૈં બહુ મોટું નુકસાન થતું નથી. 

ખરેખર તો હાસ્ય, રુદન એ અભિવ્યક્તિનું માધ્યમ છે. એ દ્વારા કોઈનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન પણ થતો હોય છે. ક્યારેક તો રુદન દ્વારા પોતાની વાત મનાવવાનો પ્રયત્ન પણ સ્ત્રી કરતી હોય છે. એવું મનાય છે કે સ્ત્રી, રડીને કામ કઢાવતી હોય છે, એ રીતે રુદન શસ્ત્ર પણ છે. સ્ત્રી વાતે વાતે રડી પડતી હોય છે. એની આંખોમાં ચકલી વગરનો નળ હોય છે જે કાયમ વહેતો જ રહે છે એવું પણ કહેવાય છે. એને રડવાની ટેવ પડી ગઈ હોય છે, પણ આ વાત બધી સ્ત્રીઓને લાગુ ન પાડી શકાય. જો કે, આજની સ્ત્રી રડવામાં નહીં, પણ રડાવવામાં માને છે. તેનાં આંસુ તો મગરનાં આંસુ છે, એવું પણ કહેવાય છે, પણ આવું બધી સ્ત્રીઓ માટે કહી શકાય નહીં. એક સમયે સ્ત્રી સ્મશાને જતી ન હતી ને હવે તે અગ્નિસંસ્કાર કરતી પણ થઈ છે. કોઈ મરતું તો સ્ત્રી ખૂણે ભરાઈને રડી લેતી. એ સ્થિતિ હવે રહી નથી. તે પુરુષ જેટલી જ તાકાતથી પરિસ્થિતિનો સામનો કરતી થઈ છે. ઓફિસોમાં પણ મહિલા અધિકારીઓ કડક રીતે પુરુષો જોડે કામ પાડતી થઈ છે ને એ રોતલ છે એ વાતને ખોટી પુરવાર કરતી અને ખડખડાટ હસતી પણ થઈ છે. આ બધું અપવાદોમાં હોઈ શકે, પણ તે છે ને એ પરિવર્તન સાર્વત્રિક બને એ દિશામાં તેની ગતિ છે.

એથી ઊલટું પુરુષો ઢીલા અને રોતલ હોય એ સાવ અશક્ય નથી. નાનપણથી જ છોકરાને મજબૂત અને મક્કમ કરવામાં કુટુંબોએ તેનું સહજ રુદન છીનવી લીધું છે. એને કારણે તેનામાં આક્રમકતા અને આક્રોશનું પ્રમાણ વધ્યું છે. આ કદાચ રુદનને વિકલ્પે થયેલો વિકાસ છે. જો રોતલ હોવું અસંતુલન હોય તો ક્રોધી હોવું પણ અસંતુલનનો જ પ્રકાર છે. એટલે જે કામ સ્ત્રી રડીને કરી કે કરાવી શકે છે એ જ કામ પુરુષ આક્રોશથી પણ કરી, કરાવી લે તો તેનું આશ્ચર્ય ન થવું જોઈએ. ખરેખર તો સ્ત્રી કે પુરુષ, બંને મનુષ્ય જાતિનું જ પ્રતિનિધિત્વ કરે છે એટલે સંતુલન કે અસંતુલન બંનેમાં હોઈ શકે, તે કોઈ એકમાં જ હોય એ સ્થિતિ અપવાદ હોઈ શકે, પણ કુદરતી નથી. આંસુ જો નબળાઈ હોય તો આક્રોશ પણ નબળાઈ જ છે, પણ વિચિત્ર વાત એ છે કે આંસુ જો સ્ત્રી પાડતી હોય તો તે નબળાઈમાં ખપે છે ને આક્રોશ જો પુરુષ દર્શાવતો હોય તો એ શક્તિમાં ખપે છે. આ બધું અગાઉની માન્યતાઓનું જ પરિણામ છે. સાચી વાત એ છે કે આંસુ સ્ત્રીને જ આવે ને ક્રોધ પુરુષને જ આવે એવો જાતિભેદ, આંસુ કે ક્રોધ ન જ કરે. એ તો કોઈને પણ આવે. એ કોઈ એક જાતિમાં પ્રગટે તો તે જૂની માન્યતાઓનું પરિણામ છે એમ જ માનવાનું રહે. સ્ત્રીઓ ઘરમાં ને બહાર ક્રોધ નથી જ કરતી કે પુરુષ ઘરમાં કે બહાર રડતો જ નથી એવું નથી, કારણ આ એવી લાગણીઓ છે જે સ્ત્રી અને પુરુષ બંનેમાં મૂળભૂત રીતે પડેલી છે. તેનું પ્રમાણ વત્તુઓછું હોઈ શકે છે, પણ તે કોઈમાં હોય જ નહીં કે કોઈ એકમાં જ હોય એવું હોતું નથી.  

હસવું, રડવું, ગુસ્સે થવું આ બધી બાબતો એ સ્ત્રી કે પુરુષને ધ્યાનમાં રાખીને કુદરતે નક્કી કરી નથી. તે બધી વ્યક્તિઓમાં હોય છે ને તે સમાજ, રીતરિવાજ, નોકરી ધંધાને નિમિત્તે કે અન્ય કારણોસર બદલાય છે કે વધે ઘટે છે. લાગણી સારી બાબત છે, પણ લાગણીનો અતિરેક ઇચ્છનીય નથી. લાગણીને પોષી શકાય, તેના અતિરેકને નહીં. સતત રડવું કે હસવું એ ગુણ નથી, એ જ રીતે સતત ગુસ્સો કરવો પણ ગુણ નથી. તેને પ્રોત્સાહિત ન કરી શકાય. કોઈ બહુ સરસ રીતે હસે તો પણ તેને ક્યાંક તો પૂર્ણવિરામ આવે જ છે. જેમ કોઈ સતત રડી શકતું નથી, એમ જ કોઈ સતત હસી પણ શકતું નથી. કુદરતે જ એવી વ્યવસ્થા કરી છે કે હાસ્ય, રુદન કે ક્રોધ અમુક સમય પછી આપોઆપ જ વિરામ પામે છે. જો આ લાગણીઓ લાંબી ચાલે તો એમાં લાભ કરતાં હાનિની શક્યતાઓ વધુ હોય છે.

એવું બને કે કોઈમાં લાગણીનો અતિરેક હોય તો તેને કાબૂ કરી શકાય. વ્યક્તિ પોતે જ કોઇની ટકોર કે સલાહથી એમાં સુધારો કરી શકે. સારાસારનો વિવેક હોય તે વ્યક્તિ એને વધુ સંયત અને સ્પષ્ટ રૂપ આપી શકે. એ પછી પણ લાગણીઓ કાબૂ ન થાય તો તેનો તબીબી ઉપાય પણ થઈ શકે. એટલું છે કે દરેક વસ્તુ અમુક માપ કે પ્રમાણમાં જ શોભે છે. રુદન હો કે સ્મિત, આક્રોશ હો કે ઉત્તેજના, બધું માપમાં સહ્ય છે, બાકી, અતિ સર્વત્ર વર્જયેત – એમને એમ નથી કહેવાયું.

000

e.mail : ravindra21111946@gmail.com

Loading

...102030...1,7751,7761,7771,778...1,7901,8001,810...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved