Opinion Magazine
Number of visits: 9674825
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—115

દીપક મહેતા|Opinion - Opinion|9 October 2021

મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો?

જ્યારે બ્રિટનના શહેનશાહે મુંબઈમાં જોયો ગરબો

ભગિની સમાજમાં ગરબો ‘નાગર’ બન્યો

‘ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’ ગામડાંની ગોરી ગરબો ગાતી, ગરબે ઘૂમતી, ગરબા મહાલતી. ગરબો મહોર્યો ગુજરાતનાં ગામડાંની ધરતીમાં. ત્યારે સીધા-સાદા ગ્રામજનો જેવો જ હતો ગરબો. હૈયેથી હોઠે આવતો અને હોઠેથી મોરની કેકાની જેમ આસપાસ પથરાઈ જતો. એ ગરબો મુંબઈ આવ્યો. આજે વાવાઝોડા અંગે વપરાતો શબ્દ વાપરીને પૂછીએ : ‘પણ મુંબઈમાં ગરબાનો ‘લેન્ડફોલ’ ક્યાં થયો? ક્યારે થયો?’ ગરબો ગુજરાતથી મુંબઈ આવ્યો ૧૯મી સદીમાં. અને એનો લેન્ડફોલ થયો મુંબઈની ચાલીઓના ચોકમાં. મુંબઈમાં મિલ-કારખાનાં આવ્યાં, વેપાર-વણજ વધ્યાં. એમાં કામ કરવા માણસો જોઈએ. એ આવ્યા અંતરિયાળ મહારાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી, દેશના બીજા ભાગોમાંથી. આ ‘બહારના’ને રહેવા માટે બંધાઈ ચાલો. ‘દેશ’ છોડીને આવેલા લોકોએ પોતાની ભૂમિ સાથેનો નાતો કોઈને કોઈ રીતે થોડોઘણો પણ જળવાઈ રહે એ માટે જાતભાતના નુસખા કર્યા. રોજિંદા જીવનમાં તો શહેરી રહેણીકરણી અપનાવ્યા સિવાય છૂટકો નહોતો. પણ વારતહેવારે? ‘દેશ’માં જઈ શકાય તો સૌથી સારું. નહિતર ‘દેશ’ને અહીં લઈ આવવાનો!

મુંબઈની ચાલનો ચોક  – જ્યાંથી મુંબઈના ગરબાની ગાથા શરૂ થઈ

ઘણીખરી ચાલમાં વચ્ચે મોટો ચોક હોય. રોજ સાંજે ચાલનાં ‘બૈરાં’ (એ વખતે વપરાતો શબ્દ) ચોકમાં બેસીને સુખદુઃખની વાતો કરે. ગલઢેરાઓ ભૂતકાળ વાગોળે, છોકરાઓ ‘બેટબોલ’ રમે. એ જ ચોકમાં નવરાત્રીમાં ચાલનાં બૈરાં રાત્રે ભેગાં થઈને ગરબા ‘રમે.’ ગામડાંની ગોરીની જેમ જ. એમાં આયોજન ઓછામાં ઓછું. આવડત ઓછી-વધતી, પણ ઉત્સાહ-આનંદ અઢળક. એ વખતે નહોતી ખાસ વેશભૂષા, નહોતાં સાચાં-ખોટાં ઘરેણાં. નહોતી પ્રકાશ-યોજના, નહોતી સાઉન્ડ સિસ્ટમ. બહુ બહુ તો એકાદ ખોખલો ઢોલ. પણ નવ નવ રાત ચાલના ચોકમાં ગરબો છવાઈ જતો.

બ્રિટિશ સામ્રાજ્યના શહેનશાહ પાંચમા જ્યોર્જ સજોડે ૧૯૧૧ના ડિસેમ્બરની બીજી તારીખે મુંબઈ પધાર્યા ત્યારે બોમ્બે જિમખાના પાસેના મોટા મેદાનમાં શાહી મહેમાનોનું સ્વાગત કરતો ગુજરાતી ગરબો મુંબઈની નિશાળોમાં ભણતી ૨૩૦ છોકરીઓએ રજૂ કરેલો તે શાહી મહેમાનોએ રસપૂર્વક માણ્યો હતો. બધી છોકરીઓએ ગુજરાતનો પરંપરાગત પોશાક પહેર્યો હતો, પણ સાથોસાથ પગમાં બૂટ પહેર્યા હતા. કેમ? કારણ બ્રિટનમાં રાજા-રાણી સામે ઉઘાડા પગે હાજર થવું એ અપમાનજનક ગણાય છે.

આનો અર્થ એ થયો કે ૧૯૧૧ સુધીમાં મુંબઈની ગુજરાતી નિશાળોમાં ગરબા શીખવાતા હતા. એટલે કે ચાલીના ચોકમાંથી ગરબો ગયો નિશાળોમાં. છોડીઓની ઈસ્કોલોમાં ગરબો થોડો ડાહ્યોડમરો, વ્યવસ્થિત થયો. સારું ગાનારા ગાય. સાથે હાર્મોનિયમ અને તબલાંનો સાથ મળ્યો. માસ્તર કે માસ્તરાણી નવા નવા ગરબા શોધી લાવે. ક્યારેક પોતે પણ જોડી કાઢે. બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી સ્કૂલોમાં યુનિફોર્મની બોલબાલા. એટલે ગરબા વખતે એક સરખા રંગ-ભાત-જાતના પહેરવેશ આવ્યા. સૌ સાથે મળીને ગરબે રમે એમ નહિ, પણ ઘૂમનારા અને જોનારા એવા બે વર્ગ પડી ગયા.

નિશાળ પછી ગરબો ગયો કોલેજમાં. ૧૮૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની સ્થાપના થઈ ત્યારથી જ અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓ બી.એ. સુધી શીખવવાની વ્યવસ્થા કરી હતી. ઘણાં વરસ સુધી એલ્ફિન્સ્ટન, ઝેવિયર્સ, અને વિલ્સન એ ત્રણ મુખ્ય કોલેજ. પાઠ્ય પુસ્તકોના અભ્યાસ ઉપરાંત વિદ્યાર્થીઓ જે-તે ભાષા સાહિત્યમાં વધુ અને સાચો રસ લે તે માટે આ કોલેજોમાં – અને પછી બીજી કોલેજોમાં પણ – જુદી જુદી ભાષાનાં ‘સાહિત્ય મંડળ’ શરૂ થયાં. જ્યાં ગુજરાતી સાહિત્ય મંડળ ન હોય એવી એ વખતે ભાગ્યે જ કોઈ કોલેજ. આ મંડળો બીજી પ્રવૃત્તિઓ ઉપરાંત એક વાર્ષિક કાર્યક્રમ – રસોત્સવનું આયોજન કરતાં. એ કાર્યક્રમનું એક મુખ્ય અંગ તે રાસ-ગરબા. ચાલનો અને નિશાળનો ગરબો કોલેજમાં વધુ વ્યવસ્થિત, ઠરીઠામ બન્યો. સંગીત, કોરિયોગ્રાફી, વેશભૂષા વગેરે માટે જાણકાર વ્યવસાયીઓની મદદ લેવાવા લાગી. આ લખનારને કોલેજના અભ્યાસ વખતનો એક પ્રસંગ બરાબર યાદ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજના ગુજરાતી વિભાગના વડા પ્રા. મનસુખભાઈ ઝવેરી, પણ ગુજરાતી સાહિત્ય મંડળના પ્રમુખ પ્રા. ગૌરીપ્રસાદ ઝાલાસાહેબ. એક વખત સાહિત્ય મંડળના રસોત્સવમાં રજૂ કરવા માટે ગરબા-રાસ તૈયાર કરાવવા માટે એક ૨૫-૨૬ વરસના યુવાનને રોકવામાં આવ્યો. ઉંમર ઉપરાંત ઊંચાઈ પણ ઓછી. મોઢા પર દેખાય ભોળપણ. પણ ભોળો નહિ. તેણે પાંચ-સાત ગરબા સૂચવ્યા. તેમાંથી ઝાલાસાહેબે એક લોકગીત પસંદ કર્યું: ‘ગામ લીમડીના બજારે વા’લો મારો ઝૂમે છે.’ એની રજૂઆત અંગે થોડી ચર્ચા થઈ. ઝાલાસાહેબ : ‘ગરબામાં ભાગ લેનારી છોકરીઓનો પહેરવેશ લીમડી ગામની બહેનોના પહેરવેશ જેવો જ હોવો જોઈએ હોં.’ હાજરજવાબી યુવાન કહે : ‘સાહેબ, તમે ચિંતા ન કરો. હું ગયે મહિને જ લીમડી ગયેલો એટલે એમનો પહેરવેશ મને બરાબર યાદ છે.’ અલબત્ત, એ ઠંડા પહોરનું ગપ્પું જ હતું. એ યુવાન આજે ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે સૂરોત્તમ પુરુષોત્તમ ઉપાધ્યાયના નામે ઓળખાય છે.

કનુ દેસાઈની કલ્પનાનો ગામડાનો ગરબો

કોલેજમાંથી ગરબો પહોંચ્યો જાહેર રંગમંચ પર. વીસમી સદીના પહેલા બે દાયકામાં મુંબઈમાં એક પછી એક સ્ત્રી-સંસ્થાઓ શરૂ થઈ. આવી સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ જૂદી જૂદી પ્રવૃત્તિઓ માટે સ્ત્રીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો. ખેતવાડી વિસ્તારમાં ૧૯૧૬માં ભગિની સમાજ સંસ્થાની શરૂઆત થઈ. કોટ વિસ્તારમાં ‘કોટ હિંદુ સ્ત્રી મંડળ’ શરૂ થયું. તો સાંતા ક્રુઝ, જે તે વખતે ‘દૂરનું પરુ’ ગણાતું ત્યાં ૧૯૨૦માં સ્ત્રી મંડળ, સાંતા ક્રુઝની સ્થાપના થઈ. બીજી પણ આવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પણ તેમાં ગરબાને જેટલાં લાડ ભગિની સમાજે લડાવ્યાં એટલાં કદાચ બીજી કોઈ સંસ્થાએ નહિ. આનું એક કારણ એ કે એ પ્રવૃત્તિનું સંચાલન કેટલીક સુશિક્ષિત, સુશીલ, સુરુચિપૂર્ણ બહેનોના હાથમાં ઘણાં વરસો સુધી રહ્યું. સાક્ષરવર્ય આનંદશંકર ધ્રુવનાં પુત્રવધૂ પ્રતિમાબહેન અને લલ્લુભાઈ શામળદાસનાં પુત્રવધૂ મધુરિકાબહેન (વસુબહેન) મહેતા ભગિની સમાજની ગરબા-પ્રવૃત્તિના પાયામાં. ૧૯૪૯થી તેની સાથે સંકળાયેલાં કલ્લોલિની હઝરતે ‘મારો ગરબો ઘૂમ્યો’ સંપાદનની વિસ્તૃત પ્રસ્તાવનામાં જણાવ્યું છે તેમ પહેલો આગ્રહ કવિત્વના ગુણોવાળી કૃતિઓની જ ગરબા માટે પસંદગી કરવાનો. જૂનાં-જાણીતાં ગીતો ઉપરાંત દર વરસે લેખક-પત્રકાર અને સંગીતના ધરખમ જાણકાર જિતુભાઈ મહેતા અને અવિનાશ વ્યાસ પાસે ખાસ નવા ગરબા લખાવવાના જ. એનું સંગીત તૈયાર કરે અવિનાશભાઈ અને બીજા જાણીતા સંગીતકારો. બે મુખ્ય ગાયિકાઓ, સુષમા દિવેટિયા અને વીણા મહેતા. સુષમાબહેનનો કંઠ રૂપાની ઘંટડીના રણકાર જેવો, તો વીણાબહેનનો ઘંટારવ જેવો. પછી તેમની સાથે આવી મળ્યાં અંજની મહેતા અને ઉષા ધ્રુવ અને બીજાં બહેનો. ન્યૂ ઈરા સ્કૂલનાં શિક્ષિકા સૂર્યાબહેન દાણી અને ધ્રુમનબહેન ઠાકોર ગરબાની ગૂંથણી (કોરિયોગ્રાફિ) કરે. પ્લે-બેક કે રેકોર્ડિંગનું નામ નહિ. મુખ્ય ગવડાવનાર પણ બીજી બધી બહેનો સાથે ગરબે ઘૂમતી જાય અને ગવડાવતી જાય.

ઉપર : મધુરિકા મહેતા, વીણા મહેતા નીચે : કલ્લોલિની હઝરત, સુષમા દિવેટિયા

૧૯૬૬થી ભગિની સમાજના ગરબાની બધી જવાબદારી ઉષા હઝરત, સુષમા પટેલ (દિવેટિયા) અને કલ્લોલિની હઝરતે ઉપાડી લીધી. ગરબાનાં ગીતો, તેનું સંગીત, ગરબાની રજૂઆત અંગેના કેટલાક આગ્રહો વધુ દૃઢ બન્યા. ગરબાના ભાવ કે વિષયને અનુરૂપ, અને બધા માટે સમાન વેશભૂષાનો આગ્રહ રખાયો. અને કોસ્ચ્યુમ ભાડે લાવવાનાં નહિ. બહેનોનું ગૌરવ પૂરેપૂરું જળવાય એવાં કપડાં ખાસ દરજી પાસે તૈયાર કરાવવાનાં. કનુ દેસાઈ જેવા ખ્યાતનામ ચિત્રકાર પાસે રંગમંચનું સુશોભન કરાવવાનું. દર વરસે કશુંક નવું-નોખું રજૂ કરવાનું. જેમ કે મંજીરાના ગરબાને બદલે ઘંટનો ગરબો! એવી જ રીતે હિંડોળો, વીંઝણો, અરીસો, નગારું, વગેરેના ગરબા પણ રજૂ કરેલા. એકંદરે રજૂઆત એવી રહેતી કે પરંપરાનું માન જળવાઈ રહે અને સાથોસાથ કશુંક નવું કરવાની લાગણી-માગણી પણ સંતોષાય. એક વરસે ભગિની સમાજના ગરબા જોયા પછી ઉમાશંકર જોશીએ કહેલું : ‘ઘણા વખતથી ખોવાયેલો ગરબો મને આજે અહીં જડ્યો છે.’

જિતુભાઈ મહેતા, કનુ દેસાઈ, અવિનાશ વ્યાસ

અને હા, એ વખતે ગરબા, નાટક કે બીજા કોઈ પણ કાર્યક્રમની ટિકિટો ઘરે ઘરે જઈને વેચવી પડતી. આ લખનારને બરાબર યાદ છે કે ટિકિટ વેચવા કોઈ ક્યારે આવે એની ઘરમાં રીતસર રાહ જોવાતી. ગરબાની સાંજે ૬ કે ૭ નંબરની ટ્રામમાં બેસીને ઘરનાં બધાં ઊતરે હરકિસનદાસ હોસ્પિટલના સ્ટોપ પર. ત્યાંથી ભગિની સમાજના હોલ સુધી ચાલવાનું. પછી એ હોલ નાનો પડવા લાગ્યો એટલે ગરબા સુંદરાબાઈ હોલમાં થાય. ત્યાં ટ્રામ તો જાય નહિ એટલે ભાડાની વિક્ટોરિયા. ગરબા જોયા પછી બે-ત્રણ દિવસ ઘરમાં તેની વાત-ચર્ચા ચાલે. ગુજરાતનાં ગામડાંથી આવેલો ગરબો ભગિની સમાજમાં એક કરતાં વધુ અર્થમાં ‘નાગર’ બન્યો.

ભગિની સમાજ અને તેના જેવી બીજી સંસ્થાઓના ગરબા ‘ક્લાસ’ માટે હતા. તેને ‘માસ’ સુધી લઈ જવાનું કામ કર્યું ઇન્ડિયન નેશનલ થિયેટરે. ૧૯૫૦થી ૧૯૬૦ સુધી દર વરસે આ સંસ્થા ગરબા-રાસ સ્પર્ધા યોજતી. એની શરૂઆત થયેલી ખેત વાડી વિસ્તારમાંની વિલ્સન સ્કૂલના કંપાઉંડથી. મુંબઈની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના હરતા-ફરતા એનસાઈકલોપીડિયા જેવા નિરંજન મહેતા કહે છે કે પછી પ્રેક્ષકો એટલા વધી ગયા કે આઝાદ મેદાનમાં વચ્ચોવચ ચોરસ સ્ટેજ બાંધીને ચારે બાજુ પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવી પડતી. આ હરીફાઈમાં મુંબઈની સ્કૂલ, કોલેજ, જાહેર સંસ્થાઓ તો મોટી સંખ્યામાં ભાગ લેતી જ, પણ ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છથી પણ સંસ્થાઓ ભાગ લેવા આવતી. તેમાં પાછા ગરબા, ગરબી, મિશ્ર રાસ વગેરેના અલગ અલગ વિભાગ. નામાંકિત જાણકારો નિર્ણાયકો. કેટલીક સંસ્થાઓની રજૂઆત તદ્દન અલગ, અને લગભગ દર વરસે ઈનામ જીતી જાય. જેમ કે ચંદન વાડીની ‘દરિયા છોરુ,’ તાડ વાડી મિત્ર મંડળ, ભાવનગરનું ઘોઘા સર્કલ મિત્ર મંડળ, વગેરે. મુંબઈના ગરબાની ગાથા અંગેની વધુ વાતો હવે પછી. ત્યાં સુધી ગણગણતાં રહીએ :

ગરબે રમવાને ગોરી નીસર્યાં રે લોલ.’

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 09 ઑક્ટોબર 2021

Loading

લોકશાહી હવે ઠોકશાહીમાં પરિણમી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|8 October 2021

એક તરફ સત્તાશીલ રાજકારણમાં પ્રવેશવાને વડા પ્રધાનને બે દાયકા થયા છે ને એનું ઉજવણું ચાલી રહ્યું છે તો ઉત્તર પ્રદેશનાં લખીમપુરમાં 8 જીવો અકુદરતી રીતે ગયાં એનું ઉઠમણું ચાલે છે.

કોણ જાણે કેમ, પણ ચૂંટણીઓ આવે છે તેમ તેમ લોકશાહીને લોહીનો નશો ચડે છે. લોકશાહીમાં ચૂંટણી લોહિયાળ થવાની હવે નવાઈ નથી. ચૂંટણીનો ઉદ્દેશ તો લોહી રેડવાનો ન જ હોય, પણ સત્તા હાંસલ કરવાનો એ માર્ગ છે અને સત્તા હવે સંપત્તિનું વરદાન લઈને આવે છે એટલે સત્તાવાંછુંઓ કોઈ પણ રીતે ચૂંટણી જીતવા મરી ફીટે છે. બે પક્ષો પડી જાય છે. જે સત્તામાં છે તે કોઈ પણ રીતે સત્તા ટકાવી રાખવા ચૂંટણી લડે છે ને જે સત્તામાં નથી તે કોઈ પણ ભોગે સત્તામાં આવવા ચૂંટણી લડે છે. એમાં સેવા ગૌણ છે ને સત્તા કેન્દ્રમાં છે. આમ બધું શાંતિપૂર્ણ અને અહિંસક રીતે ચાલવાનો દાવો થતો રહે છે, પણ પરિણામ ઘણુંખરું અશાંતિપૂર્ણ અને હિંસક આવતું હોય છે. પરિણામ કેવું લાવવું એ પ્રજાના હાથમાં છે, એવું કહેવાય છે, પણ સત્તા ને રાજકીય પરિબળોની કોઈ ભૂમિકા ન હોય એવું ઓછું જ બને છે. આ બધું પ્રજાને નામે ને પ્રજાના હિતમાં થતું હોવાનું કહેવાય છે, પણ જાણનારા જાણે છે કે પ્રજાનું મૂલ્ય મતદાનની સાથે જ પૂરું થઈ જતું હોય છે.

એમ પણ લાગે છે કે હાલની લોકશાહી નબળા વિપક્ષ પર નિર્ભર છે. આગળ જતાં વિપક્ષ જ ન રહે એમ બને. વિપક્ષ વધુ નબળો પડે એ રીતે, પૈસા વેરીને તોડાય તો વિરોધ જ ન રહે એમ બને. આવનારાં વર્ષોમાં વિશ્વને વિપક્ષ વિનાની લોકશાહીનું ઉદાહરણ ભારત પૂરું પાડે તો નવાઈ નહીં. લોકશાહીના ચાહકોએ છેલ્લાં થોડાં વર્ષોના અનુભવ પરથી એ શીખવાની જરૂર છે કે કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી ન આપવી. પ્રજાએ કાઁગ્રેસના અને ભા.જ.પ.ના કિસ્સામાં એ અનુભવ્યું છે કે કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી મળે છે તો તે ફાટીને ધુમાડે જાય છે. એ કાઁગ્રેસનાં મામલામાં સાચું છે એટલું જ ભા.જ.પ.ના મામલામાં પણ સાચું છે. પ્રજાએ એ પણ ધ્યાને લેવાનું રહે છે કે મિશ્ર સરકાર કે ભાગીદારી સરકાર પણ ખાસ સફળ રહેતી નથી. એ મોટે ભાગે તૂટે છે ને એ જ ચૂંટણીનાં તાયફાઓની તક ફરી ઊભી કરે છે. જો કે, કેવી સરકાર બનશે એ દરેક વખતે પ્રજાના હાથમાં હોતું નથી, પણ સરકારો ચોંકેલી કે સાવધ રાખવી હોય તો મતદાન ખોબલે ખોબલે કરીને પણ, એ સ્થિતિ ઊભી રાખવી કે કોઈ પણ પક્ષ પ્રચંડ બહુમતીનો ભોગ ન બને. જો એ ભોગ બનશે તો પ્રજાનો ભોગ લેશે એ નક્કી છે.

કોઈ પણ પક્ષને પ્રચંડ બહુમતી મળે છે તો શરૂઆતમાં પ્રજાપ્રિય થવાના પ્રયત્નો સત્તાધીશો કરતા હોય છે. જ્યારે એમ લાગે કે પ્રજા પૂરેપૂરી કાબૂમાં છે તો મગમાંથી પગ નીકળવા માંડે છે. કોઈ પૂછનાર નથી એવું લાગે છે તો મોંઘવારી વધવા માંડે છે. ઉદ્યોગપતિઓએ ચૂંટણી જીતવા આપેલું ફંડ વસૂલવાનો સમય આવે છે. ગેસ, પેટ્રોલ, તેલ, કઠોળ, દૂધ … ને એમ બધું જ મોંઘું થવા માંડે છે. આ બધું ક્યાં સુધી મોંઘું થશે એવું પણ કોઈ પૂછનાર રહેતું ન હોય તો કોઈ પણ સરકાર મનમાની કરે એમાં એનો વાંક કાઢી ન શકાય. એવું એ ન કરે તો મૂરખ ગણાય. સરકારનો અત્યારનો સમય મનમાની કરવાનો છે. આવું હોય તો સરકાર કે સત્તાધારી પક્ષ બહુ જ લોભી થઈ જાય છે. ક્યાંક પણ પક્ષને કે સરકારને પોતાની લોકપ્રિયતામાં ગાબડું પડતું લાગે છે તો મરવા જેવી ફાળ પડે છે. જે પણ પગલાં ભરાય છે એમાં બધું મોટું મોટું પોતાને નામે ચડાવીને ઘણું બધું વિકસ્યું હોવાનું ચિત્ર ઉપસાવાય છે ને કોઈ પણ સ્થિતિમાં પ્રજા દર્શન કરતી બંધ ન થાય એ માટે દેખાડાઓ ચાલુ રખાય છે. દુનિયામાં ને દેશમાં સર્વત્ર પોતાનું વર્ચસ્વ રહે એ માટેના પ્રયત્નો કરવામાં સરકાર કે પક્ષ કોઈ કસર છોડતાં નથી. એમાં ક્યાં ય, કોઈ કાંગરો પણ ખેરવે છે તો કોઈ પણ પગલું લેતાં પક્ષને કે સરકારને જરા જેટલો પણ સંકોચ થતો નથી.

ગયા નવેમ્બરમાં કેન્દ્ર સરકાર ત્રણ કિસાન કાનૂન લાવી જેનો ખેડૂતોને વાંધો પડ્યો ને એમણે એ કાનૂન રદ્દ કરવા આંદોલન ઉપાડયું. એ નિમિત્તે હિંસા, તોડફોડ પણ થઈ. આ કાયદા ઘડતી વખતે જેને માટે કાયદા ઘડાયા તેમને વિશ્વાસમાં લેવાનું સરકારે મુનાસિબ ન માન્યું. ખેડૂતોને લાગે છે કે આ કાયદા ઉદ્યોગપતિઓના હિતમાં ઘડાયા છે ને એમાં ખેડૂતને ગુલામી સિવાય કૈં હાથમાં આવે એમ નથી. ખેડૂતો વાત કરવા તૈયાર છે ને સરકાર પણ વાત કરવા તૈયાર છે, પણ વાત એટલે થતી નથી, કારણ સરકાર કાયદા રદ્દ કરવા તૈયાર નથી ને ખેડૂતો તે રદ્દ થવા જ જોઈએ એવી જીદ પકડીને બેઠા છે. એમાં ફેબ્રુઆરી, 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણી છે ને ખેડૂતો ગાંઠતા નથી એટલે સરકારને ફાળ પડે છે કે ઉત્તર પ્રદેશમાં હારવાનું તો નહીં થાય ને !

બીજી તરફ ખેડૂતો મચક આપતા નથી એટલે કોઈ પણ રીતે ખેડૂતોનું આંદોલન કચડવાના પ્રયત્નો ચાલે છે.  ખેડૂતોને દેશદ્રોહી કે ખાલિસ્તાનવાદી ગણાવીને તેમનો જુસ્સો તોડવાના પ્રયત્નો પણ થાય છે ને તેના જ એક ભાગ રૂપે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ ખેડૂતોને બહુ ગાળો ભાંડી. એનો વિરોધ કરવા કિસાનો લખીમપુર ખેરીમાં ભેગા થયા ત્યારે ચાર ખેડૂતોને જીપથી કચડી નાખવામાં આવ્યા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ તીવ્ર ગતિથી પોતાની ગાડી, આગળ જઈ રહેલા ખેડૂતો પર ચડાવી દીધી અને ચાર ખેડૂતોને મારી નાખ્યા. એ પછી ઉશ્કેરાયેલા ખેડૂતોએ એ ગાડીને ફૂંકી મારી ને એમાં જે અંધાધૂંધી થઈ એમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો ને એમાં બીજા ચારેકનાં મોત થયાં. આશિષ મિશ્રા ઘટના સ્થળેથી છટકી જવામાં સફળ થયો. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ કરી, પણ આરોપીની તે હજી ધરપકડ કરી શકી નથી તે સૂચક છે. પિતા કેન્દ્રમાં મંત્રી છે એટલે કોઈ પોતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે એવા તોરમાં પુત્રે હત્યાકાંડ સર્જ્યો છે ને એમાં તથ્ય પણ એટલે લાગે છે કે મંત્રી પિતાએ પુત્રને બચાવવા એવું પણ ચલાવ્યું છે કે ઘટના સમયે પુત્ર તો કોઈ અખાડામાં હાજર હતો. ખેડૂતોએ મંત્રી પિતાનું રાજીનામું માંગ્યું છે, પણ ગૃહ મંત્રી અમિત શાહે મંત્રીશ્રીને અભયદાન આપ્યું છે એટલે રાજીનામું તો ભૂલી જવાનું જ રહે છે. પુત્રને બચાવવાનું પણ સ્પષ્ટ જ છે એટલે એને પણ કશું થાય એમ લાગતું નથી. ઘટનાની આસપાસ વડા પ્રધાન પણ લખનૌ હતા, ત્યાંથી લખીમપુર દૂર ન હતું, પણ તેમણે ત્યાં જવાનું સ્વીકાર્યું નથી, એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ સરકારે એ બાબતે પણ કાળજી લીધી કે અન્ય પક્ષના નેતાઓ પણ ઘટના સ્થળ સુધી ન પહોંચે. જરૂર પડી તો નેતાઓને પરાણે રોકવામાં આવ્યા.

એક તરફ તાલિબાનો છે જે કોઈને પણ મારીને જાહેરમાં લટકાવી દઈને ધાક જમાવે છે, બીજી બાજુ ભા.જ.પ.ની સરકાર છે જે ખેડૂતોનું આંદોલન તોડવા તેમની પર ગાડી ચડાવી દઈને મોતને ઘાટ ઉતારીને ભય ઊભો કરવા માંગે છે. બીજો સિનારિયો એવો છે કે વિપક્ષો પીડિતોને મળવા પડાપડી કરે છે. એમને કૈં પીડિતોને માટે બહુ વહી જાય છે એવું નથી, પણ એમણે પણ ચૂંટણી લડવી છે ને આમ કરવાથી જો મત ખેંચાઈ આવતા હોય તો એ બધા કૈં પણ કરવા તૈયાર છે. એ જ કારણ છે કે ઉત્તર પ્રદેશની સરકાર કરતાં વધારે સહાય એમણે પીડિતોને કરી છે. ઉત્તર પ્રદેશે 45 લાખની અને પંજાબ, છત્તીસગઢે 50-50 લાખની સહાય પીડિતોને જાહેર કરી છે. જોઈએ ઉત્તર પ્રદેશની પ્રજા આ ખેલને કેવી રીતે લે છે તે ! મૃતકોને નામે વળતર આપીને છૂટી જવાનો કે મતને નામે મદદ કરવાનો આખો ઉપક્રમ વિચાર માંગે છે. ઉત્તર પ્રદેશની સરકારે લખીમપુરમાં થયેલા હત્યાકાંડ પછી હિંસાને વકરવા નથી દીધી તેની નોધ લેવી પડે, પણ હત્યારાને પકડીને તેને સજા કરાવવાનું સહેલું નથી. સહેલું એટલે નથી કારણ, હત્યારાનો પિતા કેન્દ્રમાં મંત્રી છે અને તેના પર કેન્દ્રના ચાર હાથ છે.

એમ લાગે છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણી હજી ઘણા ખેલ દેખાડશે ને તેમ તેમ ઘણાંની માનસિકતા છતી થતી જશે, પણ લખીમપુરની ઘટનાએ નૈતિક્તાનો પૂરેપૂરો છેદ ઉરાડ્યો છે એ નક્કી છે. ક્યાં ય કોઈ સારપ બચી નથી. ઘણા ચહેરાઓ પરથી નકાબ જ નથી ઊતર્યો, ચામડી પણ ઊતરી ગઈ છે. એક જ ન્યાય બચ્યો છે – મારે તેની તલવાર. કોઈ પણ રીતે ચૂંટણીમાં જીત એ જ એક માત્ર લક્ષ્ય તમામ પક્ષો ને સરકારોનું રહ્યું છે. જીતવા માટે જ બધું થાય છે ને જીતવા માટે કોઈ પણ રીતિ, નીતિ મહત્ત્વની નથી. મહત્ત્વની છે જીત. એ કઈ રીતે જીતાય તેનું મહત્ત્વ નથી, જીતાય તે મહત્ત્વનું છે. જરૂરી છે જીત. જીતે તે સિકંદર, બાકીના બંદર. એ કેવો મોટો ચમત્કાર છે કે કોઈ કાળે ન હતા એટલા બંદરો વચ્ચે આપણે જીવવાનું આવ્યું છે.

મેરા ભારત મહાન …

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ઑક્ટોબર 2021

Loading

વિવેચન વિશે મારાં મન્તવ્યો

સુમન શાહ|Opinion - Literature|8 October 2021

વિવેચન કરવાનો અધિકાર કોનો? (1)

ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા ઘરે ગુજરાતી સાહિત્યનાં એક અધ્યાપકબહેન આવેલાં. અલકમલકની વાતો ચાલેલી. મને એકાએક કહેવા લાગ્યાં : સુમનભાઈ, તમે નામાંકિત સાહિત્યકાર છો, મારાથી વિવેચક થવાય? મારે થવું છે, શું કરવું જોઈએ? મેં કહ્યું : હું પોતે હજી વિવેચન શીખી રહ્યો છું, તમને શું કહી શકું? : થોડું પણ કહો : મેં કહેલું કે મને જેટલું આવડે છે એને આધારે બે વાત કરું. પછી મેં એમને જે કંઈ કહ્યું હશે તે બધું અત્યારે યાદ નથી.

પણ અમારી વાતોનો સારરૂપ મુ્દ્દો એ હતો કે – વિવેચકપદવાંચ્છુએ શું કરવું જોઇએ.

વિવેચક શી રીતે થવાય. વિવેચન કોણ કરી શકે. ટૂંકમાં, વિવેચન કરવાનો અધિકાર કોનો?

એ બહેન વિવેચક ન થયાં, કાવ્યો કરે છે, વિભાગીય અધ્યક્ષ થયાં, હવે કદાચ નિવૃત્ત છે. હું નમ્રતાપૂર્વક કહું કે વ્યક્તિ અધ્યક્ષ હોય કે પ્રમુખ, મહેનતુ વિદ્યાર્થી હોય કે સાહિત્યનો કોઈ અઠંગ વાચક, સામયિકનો દુરારાધ્ય અથવા પરમ સરળ તન્ત્રી હોય કે સમ્પાદક, વિવેચન ન કરી શકે.

મારે વિવેચક થવું છે …. I want to be a critic …  

Pic courtesy : Reedsy

એ ત્રીસ વર્ષના મારા વિદ્યાવ્યાસંગને પ્રતાપે મારું મન્તવ્ય બંધાયું છે કે એ જ અધ્યક્ષ, એ જ પ્રમુખ, એ જ વિદ્યાર્થી, એ જ વાચક, એ જ તન્ત્રી કે સમ્પાદક વિવેચન જરૂર કરી શકે, કરી શકે અને કરી જ શકે – જો એની પાસે નીચે દર્શાવેલી ૧૧ વસ્તુઓ હોય :

૧ :

ધારો કે એ ચન્દ્રકાન્ત બક્ષીકૃત ‘આકાર’ નવલકથાનું વિવેચન કરવા ચાહે છે. સૌ પહેલાં એણે એ કૃતિનું શબ્દ શબ્દમાં વાચન કર્યું હોવું જોઈશે – જેને સઘન વાચન, નિકટવર્તી વાચન કે ક્લોઝ રીડિન્ગ કહેવાય છે. એવું વાચન ભાવનમાં પરિણમે અને કૃતિનો રસાનુભવ કે કલાનુભવ શક્ય બને. રસાનુભવ વિવેચનની પૂર્વશરત છે.

નવલકથા કેટલી મોટી છે, બધું ક્યારે વાંચી રહીશ, એવા મનોભાવથી ઉપર ઉપરથી જોઈ જાય કે ગગડાવી જાય, તે ન ચાલે.

‘આકાર’ વિશે બીજા વિવેચકે લખેલું વિવેચન વાંચીને પોતાનું ઠઠાડી કાઢે, તે પણ ન ચાલે.

૨ :

એની પાસે બક્ષીની અન્ય નવલકથાઓનો ઠીક ઠીક પરિચય હોવો જોઈશે. ‘અન્ય’-નો અર્થ એ કે ‘આકાર’ પૂર્વેની અને તે પછીની.

૩ :

એને નવલકથાના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિની પાકી સૈદ્ધાન્તિક જાણ હોવી જોઈશે. એ પણ ખરું કે એને લઘુનવલ કે મહાનવલના સિદ્ધાન્તોની પણ જાણ હોવી જોઈશે. એ સાહિત્યવિશ્વના ત્રણ મુખ્ય ઉપખણ્ડ અને તેમની વચ્ચેના ભેદ જાણતો હોવો જોઈશે – ડ્રામેટિક પોએટ્રી – નૅરેટિવ પોએટ્રી – લિરિકલ પોએટ્રી. ‘પોએટ્રી’-નો અહીં અર્થ લેવાનો છે, સાહિત્ય. 

૪ :

એની પાસે વિશ્વ-નવલકથાના ઇતિહાસની આછીપાતળી પણ ઐતિહાસિક રૂપરેખા હોય, તો સારું થશે.

પરન્તુ એની પાસે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસનું અને ગુજરાતી નવલકથાના વિશિષ્ટ ઇતિહાસનું સાદ્યન્ત જ્ઞાન નહીં હોય, તે નહીં જ ચાલે. એને ખબર પડવી જોઈશે કે બક્ષી પૂર્વે ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે હતી, એટલું જ નહીં, એને એ પણ ખબર હોવી જોઈશે કે બક્ષી પછી ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે બદલાઈ હતી.

૫ :

કથાસાર આપી દેવો કે ઘટનાઓની અને પાત્રોની પરિસ્થતિઓની પોતાના શબ્દોમાં વાતો લખી નાખવી, તે વિવેચન નથી.

નવલકથા એક સર્જન કહેવાય. એમાં બધું સરસ રીતે ગૂંથાયું હોય. વિવેચન કરનારને એ આખી ગૂંથણી ઉકેલતાં આવડવું જોઈશે. ઉકેલાયું હોય એટલે મહત્ત્વના એકમો એના ધ્યાનમાં આવ્યા હોય. એ એકમો એકમેકને શી રીતે પ્રભાવિત કરે છે એ બધું એ સરસ રીતે કહી શકવો જોઈશે.

યાદ રાખો કે સર્જન સંશ્લેષણ છે, વિવેચન વિશ્લેષણ છે. યાદ એ પણ રાખો કે સર્જન કાળજીભર્યું સંશ્લેષણ છે, વિવેચન પણ કાળજીભર્યું વિશ્લેષણ છે.

વિવેચકે કૃતિ નામના પંખીનાં પીછાં જોવાનાં ને તપાસવાનાં જરૂર પણ યાદ એ રાખવાનું કે એણે એવી ફૅંદાફૅંદી નથી કરવાની કે પંખી બચારું મરી જાય !

૬ :

સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, રસમીમાંસા, પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને ટી.ઍસ. એલિયટ અને ‘નવ્ય વિવેચન’ લગીની પશ્ચિમની સાહિત્યમીમાંસાનો – બન્ને પરમ્પરાઓનો – એ અભ્યાસુ હોવો જોઈશે. કેમ કે એ સમૃદ્ધ પરમ્પરાઓએ જ વિવેચનપદાર્થને વિધ વિધે ઓળખાવ્યો છે. વિવેચકપદવાંચ્છુની એ પ્રાથમિક શાળાઓ છે.

૭ :

એણે પોતાની ભાષાના નીવડેલા વિવેચકોને વાંચ્યા હોવા જોઈશે. એણે વિશ્વખ્યાત વિવેચકોને વાંચ્યા હોય તો ઉપકાર થશે.

૮ :

એની પાસે વિવેચનને માટેના શબ્દોનું ભંડોળ હોવું જોઈશે. એ ભંડોળ અથવા વૉકેબ્યુલરી સામાન્યપણે બે પ્રકારની છે : મૅટાફોરિકલ અને મૅથડોલૉજિકલ. નવલકથાની ચર્ચા કરતી વખતે ‘જન્મ’ ‘ઉછેર’ ‘વિકાસ’ ‘નાભિશ્વાસ’ ‘મરણ’ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, તે મૅટાફોરિકલ. મૅથડોલૉજિકલ આપણે ત્યાં ખાસ વિકસી નથી, છતાં, આપણે કથાવસ્તુની સંરચના, તેનું સ્થાપત્ય, તેનું શિલ્પ એમ જાણ્યે-અજાણ્યે પ્રયોજીએ છીએ ખરા.

૯ :

એણે સાહિત્યવિવેચનની પરિભાષામાં લખવું જોઈશે. પારિભાષિક સંજ્ઞાઓ દૂધમાં સાકર ભળે એમ એના લેખનમાં ભળીને એકરસ થઈ ગઈ હોય તો ખૂબ આવકાર્ય ગણાશે. પણ પરિભાષા વિનાનું લેખન નિ:સામાન્ય હોય છે, એની એણે ફૉમ રહેવી જોઇશે.

૧૦ :

એના લેખનમાં ગુજરાતી ભાષાની જોડણી સચવાઈ હોય, વાક્યરચનાઓમાં પસંદગી-ધરી અને અન્વય-ધરીનું સામંજસ્ય હોય, વાક્યો વાક્યતન્ત્રનું માન રાખતાં હોય, શબ્દો શબ્દાર્થશાસ્ત્ર અનુસારના હોય, એ બધી અનિવાર્યતા છે. એ કોઈ ગુજરાતી જાણતો સામાન્ય નાગરિક નથી કે જેમતેમ લખી પાડે તે નભી જાય.

વિવેચકો પ્રત્યક્ષપણે સાહિત્યકલાના અને પરોક્ષપણે પોતાની માતૃભાષાના રખેવાળ હોય છે.

૧૧ :

એના એ મહત્ત્વાકાંક્ષી લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એથી એના લેખનને વિવેચનનનો માભો મળશે. એકલું વર્ણન કે એકલી સમજૂતી, વિવેચન નથી. માત્ર અર્થઘટન કે માત્ર મૂલ્યાંકન તો, શક્ય જ નથી. આ ચારેય વાનાં લેખનમાં ક્રમે ક્રમે દેખા દે છે. ક્યારેક એકાદ દીર્ઘ ફકરામાં ચારેય સમ્મિલિત પણ જોવા મળે છે.

આ ૧૧ વસ્તુઓ નવલકથા ઉપરાન્ત, પ્રકાર અનુસાર, કવિતા ટૂંકીવાર્તા નિબન્ધ નાટક વગેરે બધા જ સાહિત્યપ્રકારોને લાગુ પડે છે.

આ ૧૧ વસ્તુઓ પાયાની છે. વિવેચનની ઇમારત એ પર ઊભી હોય છે. છતાં, અપવાદ રૂપે કશાકમાં લગીર છૂટછાટ લેવાઇ હોય, તો ચાલી શકે છે. પણ એટલી મોટી છૂટ નહીં લઈ શકાય કે ઇમારત વિકસે એ પહેલાં જ ધબૂસ થઈ જાય.

તાત્પર્ય, વિવેચકપદવાંચ્છુએ આ ૧૧ વસ્તુઓના આગ્રહી બનવું. જાત જોડે રાખેલો એ આગ્રહ એના અધિકારને દૃઢથી સુદઢ કરશે.  

= = =

(October 8, 2021: USA)

સૂચના :

1. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.

2. સૂચના : આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રો નૉંધ લેશે.

Loading

...102030...1,7651,7661,7671,768...1,7801,7901,800...

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—328
  • આનંદ તેલતુંબડેની જેલડાયરી
  • જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?
  • આવ્યા આવ્યા દિવસો હડતાલના …
  • ૧૪૪મી કલમનો મનસ્વી ઉપયોગ : મૂળભૂત અધિકારોનું હનન છે.

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • ગઝલ – 1/2
  • સખીરી તારો એ હૂંફાળો સંગાથ …
  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved