વિવેચન કરવાનો અધિકાર કોનો? (1)
ત્રીસેક વર્ષ પહેલાંની વાત છે. મારા ઘરે ગુજરાતી સાહિત્યનાં એક અધ્યાપકબહેન આવેલાં. અલકમલકની વાતો ચાલેલી. મને એકાએક કહેવા લાગ્યાં : સુમનભાઈ, તમે નામાંકિત સાહિત્યકાર છો, મારાથી વિવેચક થવાય? મારે થવું છે, શું કરવું જોઈએ? મેં કહ્યું : હું પોતે હજી વિવેચન શીખી રહ્યો છું, તમને શું કહી શકું? : થોડું પણ કહો : મેં કહેલું કે મને જેટલું આવડે છે એને આધારે બે વાત કરું. પછી મેં એમને જે કંઈ કહ્યું હશે તે બધું અત્યારે યાદ નથી.
પણ અમારી વાતોનો સારરૂપ મુ્દ્દો એ હતો કે – વિવેચકપદવાંચ્છુએ શું કરવું જોઇએ.
વિવેચક શી રીતે થવાય. વિવેચન કોણ કરી શકે. ટૂંકમાં, વિવેચન કરવાનો અધિકાર કોનો?
એ બહેન વિવેચક ન થયાં, કાવ્યો કરે છે, વિભાગીય અધ્યક્ષ થયાં, હવે કદાચ નિવૃત્ત છે. હું નમ્રતાપૂર્વક કહું કે વ્યક્તિ અધ્યક્ષ હોય કે પ્રમુખ, મહેનતુ વિદ્યાર્થી હોય કે સાહિત્યનો કોઈ અઠંગ વાચક, સામયિકનો દુરારાધ્ય અથવા પરમ સરળ તન્ત્રી હોય કે સમ્પાદક, વિવેચન ન કરી શકે.
મારે વિવેચક થવું છે …. I want to be a critic …
Pic courtesy : Reedsy
એ ત્રીસ વર્ષના મારા વિદ્યાવ્યાસંગને પ્રતાપે મારું મન્તવ્ય બંધાયું છે કે એ જ અધ્યક્ષ, એ જ પ્રમુખ, એ જ વિદ્યાર્થી, એ જ વાચક, એ જ તન્ત્રી કે સમ્પાદક વિવેચન જરૂર કરી શકે, કરી શકે અને કરી જ શકે – જો એની પાસે નીચે દર્શાવેલી ૧૧ વસ્તુઓ હોય :
૧ :
ધારો કે એ ચન્દ્રકાન્ત બક્ષીકૃત ‘આકાર’ નવલકથાનું વિવેચન કરવા ચાહે છે. સૌ પહેલાં એણે એ કૃતિનું શબ્દ શબ્દમાં વાચન કર્યું હોવું જોઈશે – જેને સઘન વાચન, નિકટવર્તી વાચન કે ક્લોઝ રીડિન્ગ કહેવાય છે. એવું વાચન ભાવનમાં પરિણમે અને કૃતિનો રસાનુભવ કે કલાનુભવ શક્ય બને. રસાનુભવ વિવેચનની પૂર્વશરત છે.
નવલકથા કેટલી મોટી છે, બધું ક્યારે વાંચી રહીશ, એવા મનોભાવથી ઉપર ઉપરથી જોઈ જાય કે ગગડાવી જાય, તે ન ચાલે.
‘આકાર’ વિશે બીજા વિવેચકે લખેલું વિવેચન વાંચીને પોતાનું ઠઠાડી કાઢે, તે પણ ન ચાલે.
૨ :
એની પાસે બક્ષીની અન્ય નવલકથાઓનો ઠીક ઠીક પરિચય હોવો જોઈશે. ‘અન્ય’-નો અર્થ એ કે ‘આકાર’ પૂર્વેની અને તે પછીની.
૩ :
એને નવલકથાના સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિની પાકી સૈદ્ધાન્તિક જાણ હોવી જોઈશે. એ પણ ખરું કે એને લઘુનવલ કે મહાનવલના સિદ્ધાન્તોની પણ જાણ હોવી જોઈશે. એ સાહિત્યવિશ્વના ત્રણ મુખ્ય ઉપખણ્ડ અને તેમની વચ્ચેના ભેદ જાણતો હોવો જોઈશે – ડ્રામેટિક પોએટ્રી – નૅરેટિવ પોએટ્રી – લિરિકલ પોએટ્રી. ‘પોએટ્રી’-નો અહીં અર્થ લેવાનો છે, સાહિત્ય.
૪ :
એની પાસે વિશ્વ-નવલકથાના ઇતિહાસની આછીપાતળી પણ ઐતિહાસિક રૂપરેખા હોય, તો સારું થશે.
પરન્તુ એની પાસે ગુજરાતી સાહિત્યના સમગ્ર ઇતિહાસનું અને ગુજરાતી નવલકથાના વિશિષ્ટ ઇતિહાસનું સાદ્યન્ત જ્ઞાન નહીં હોય, તે નહીં જ ચાલે. એને ખબર પડવી જોઈશે કે બક્ષી પૂર્વે ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે હતી, એટલું જ નહીં, એને એ પણ ખબર હોવી જોઈશે કે બક્ષી પછી ગુજરાતી નવલકથા કેવા સ્વરૂપે બદલાઈ હતી.
૫ :
કથાસાર આપી દેવો કે ઘટનાઓની અને પાત્રોની પરિસ્થતિઓની પોતાના શબ્દોમાં વાતો લખી નાખવી, તે વિવેચન નથી.
નવલકથા એક સર્જન કહેવાય. એમાં બધું સરસ રીતે ગૂંથાયું હોય. વિવેચન કરનારને એ આખી ગૂંથણી ઉકેલતાં આવડવું જોઈશે. ઉકેલાયું હોય એટલે મહત્ત્વના એકમો એના ધ્યાનમાં આવ્યા હોય. એ એકમો એકમેકને શી રીતે પ્રભાવિત કરે છે એ બધું એ સરસ રીતે કહી શકવો જોઈશે.
યાદ રાખો કે સર્જન સંશ્લેષણ છે, વિવેચન વિશ્લેષણ છે. યાદ એ પણ રાખો કે સર્જન કાળજીભર્યું સંશ્લેષણ છે, વિવેચન પણ કાળજીભર્યું વિશ્લેષણ છે.
વિવેચકે કૃતિ નામના પંખીનાં પીછાં જોવાનાં ને તપાસવાનાં જરૂર પણ યાદ એ રાખવાનું કે એણે એવી ફૅંદાફૅંદી નથી કરવાની કે પંખી બચારું મરી જાય !
૬ :
સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, રસમીમાંસા, પ્લેટો-ઍરિસ્ટોટલથી માંડીને ટી.ઍસ. એલિયટ અને ‘નવ્ય વિવેચન’ લગીની પશ્ચિમની સાહિત્યમીમાંસાનો – બન્ને પરમ્પરાઓનો – એ અભ્યાસુ હોવો જોઈશે. કેમ કે એ સમૃદ્ધ પરમ્પરાઓએ જ વિવેચનપદાર્થને વિધ વિધે ઓળખાવ્યો છે. વિવેચકપદવાંચ્છુની એ પ્રાથમિક શાળાઓ છે.
૭ :
એણે પોતાની ભાષાના નીવડેલા વિવેચકોને વાંચ્યા હોવા જોઈશે. એણે વિશ્વખ્યાત વિવેચકોને વાંચ્યા હોય તો ઉપકાર થશે.
૮ :
એની પાસે વિવેચનને માટેના શબ્દોનું ભંડોળ હોવું જોઈશે. એ ભંડોળ અથવા વૉકેબ્યુલરી સામાન્યપણે બે પ્રકારની છે : મૅટાફોરિકલ અને મૅથડોલૉજિકલ. નવલકથાની ચર્ચા કરતી વખતે ‘જન્મ’ ‘ઉછેર’ ‘વિકાસ’ ‘નાભિશ્વાસ’ ‘મરણ’ જેવા શબ્દો પ્રયોજીએ છીએ, તે મૅટાફોરિકલ. મૅથડોલૉજિકલ આપણે ત્યાં ખાસ વિકસી નથી, છતાં, આપણે કથાવસ્તુની સંરચના, તેનું સ્થાપત્ય, તેનું શિલ્પ એમ જાણ્યે-અજાણ્યે પ્રયોજીએ છીએ ખરા.
૯ :
એણે સાહિત્યવિવેચનની પરિભાષામાં લખવું જોઈશે. પારિભાષિક સંજ્ઞાઓ દૂધમાં સાકર ભળે એમ એના લેખનમાં ભળીને એકરસ થઈ ગઈ હોય તો ખૂબ આવકાર્ય ગણાશે. પણ પરિભાષા વિનાનું લેખન નિ:સામાન્ય હોય છે, એની એણે ફૉમ રહેવી જોઇશે.
૧૦ :
એના લેખનમાં ગુજરાતી ભાષાની જોડણી સચવાઈ હોય, વાક્યરચનાઓમાં પસંદગી-ધરી અને અન્વય-ધરીનું સામંજસ્ય હોય, વાક્યો વાક્યતન્ત્રનું માન રાખતાં હોય, શબ્દો શબ્દાર્થશાસ્ત્ર અનુસારના હોય, એ બધી અનિવાર્યતા છે. એ કોઈ ગુજરાતી જાણતો સામાન્ય નાગરિક નથી કે જેમતેમ લખી પાડે તે નભી જાય.
વિવેચકો પ્રત્યક્ષપણે સાહિત્યકલાના અને પરોક્ષપણે પોતાની માતૃભાષાના રખેવાળ હોય છે.
૧૧ :
એના એ મહત્ત્વાકાંક્ષી લેખનમાં ચાર વાનાં વરતાવાં જોઈશે : વર્ણન, અર્થઘટન, સમજૂતી અને મૂલ્યાંકન. એથી એના લેખનને વિવેચનનનો માભો મળશે. એકલું વર્ણન કે એકલી સમજૂતી, વિવેચન નથી. માત્ર અર્થઘટન કે માત્ર મૂલ્યાંકન તો, શક્ય જ નથી. આ ચારેય વાનાં લેખનમાં ક્રમે ક્રમે દેખા દે છે. ક્યારેક એકાદ દીર્ઘ ફકરામાં ચારેય સમ્મિલિત પણ જોવા મળે છે.
આ ૧૧ વસ્તુઓ નવલકથા ઉપરાન્ત, પ્રકાર અનુસાર, કવિતા ટૂંકીવાર્તા નિબન્ધ નાટક વગેરે બધા જ સાહિત્યપ્રકારોને લાગુ પડે છે.
આ ૧૧ વસ્તુઓ પાયાની છે. વિવેચનની ઇમારત એ પર ઊભી હોય છે. છતાં, અપવાદ રૂપે કશાકમાં લગીર છૂટછાટ લેવાઇ હોય, તો ચાલી શકે છે. પણ એટલી મોટી છૂટ નહીં લઈ શકાય કે ઇમારત વિકસે એ પહેલાં જ ધબૂસ થઈ જાય.
તાત્પર્ય, વિવેચકપદવાંચ્છુએ આ ૧૧ વસ્તુઓના આગ્રહી બનવું. જાત જોડે રાખેલો એ આગ્રહ એના અધિકારને દૃઢથી સુદઢ કરશે.
= = =
(October 8, 2021: USA)
સૂચના :
1. આ FB પેજ પર રજૂ થતાં મારાં કાવ્યો, અનુવાદો કે લેખો કૉપિરાઇટથી રક્ષિત છે, તેની સૌએ નૉંધ લેવી. પોતાનું નામ જાહેર કર્યા વિના આમાંનું કશું પણ Share કરનાર સામે યોગ્ય કારવાઈ કરાશે.
2. સૂચના : આ લેખમાં રજૂ થયેલા વિચારો અને મુદ્દાઓ વિશેના જ પ્રતિભાવો સ્વીકારાશે, તેની મિત્રો નૉંધ લેશે.