Opinion Magazine
Number of visits: 9571175
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજકાલનાં શાસકો પોતાની અણઆવડત ને લાચારી છૂપાવવા રાષ્ટૃવાદનો અચંળો ઓઢે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|2 September 2021

અફઘાનિસ્તાનમાંથી સૈનિકો પાછા ખેંચવાનો અમેરિકન પ્રમુખ જો બાયદનનો નિર્ણય યોગ્ય છે કે અયોગ્ય એ વિષે જગત આખામાં ચર્ચા ચાલી રહી છે. પ્રમુખ બાયદને પોતાના નિર્ણયનો બચાવ કરવો પડ્યો છે અને એ પણ એકવાર નહીં વારંવાર. સાધારણપણે અમેરિકામાં આવું બનતું નથી. એક વાર પ્રમુખ કે પ્રમુખના પ્રવક્તા નીતિ-નિવેદન કરે એ પછી એના વિષે ટીકાટિપ્પણી થતી રહે, પણ પ્રમુખ જ્યાં જાય ત્યાં તેમને આંતરીને એકનો એક સવાલ પૂછવામાં આવતો નથી. આ વખતે પ્રમુખે વારવાર ખુલાસા કરવા પડે છે એનું કારણ એ છે કે અમેરિકાએ એક દેશનું નસીબ બદલી આપવાનો નિર્ધાર કર્યો હતો અને અત્યારે તેને તેના નસીબ પર છોડીને અમેરિકનોએ ઉચાળા ભર્યા છે. જગતમાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે અમેરિકનોને આવી મહાન જવાબદારી સોંપી હતી કોણે અને જો જવાબદારી લીધી જ હતી તો અત્યારે જવાબદારી પૂરી કર્યા વિના ભાગે છે કેમ?

બીજું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હુમલા છે. જગતમાં એવો ઝનૂની જ્વર જોવા મળી રહ્યો છે કે એક ગાંડા માણસને લોકો હસી કાઢવાની જગ્યાએ સાંભળે છે. આ માણસે પોતાની બુદ્ધિનું પ્રદર્શન હજુ હમણાં જ અઠવાડિયા પહેલાં કર્યું હતું. પત્રકારોને તેમણે કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ શી ચીજ છે અને અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે તેની તેમને જાણ જ નહોતી. તેમને એમ લાગતું હતું અમેરિકાનું વહીવટીતંત્ર નોકરો ચલાવે છે અને પ્રમુખ તો માત્ર શોભાનો ગાંઠિયો છે. (શોભાનો ગાંઠિયો જેવા શબ્દો તેમણે વાપર્યા નથી, પણ અર્થ એવો જ થાય છે.) બોલો, અને છતાં આ માણસને લોકો સાંભળે છે અને હવે તો તેના ભક્તો પણ છે. આ ટ્રમ્પ વારંવાર બાયદનની ટીકા કરી રહ્યા છે અને કહે છે કે તેમણે અમેરિકાને ભાગેડુ-નમાલું સાબિત કરીને જગતમાં અમેરિકનોનું નાક કાપ્યું છે. આજકાલ પ્રત્યક્ષ મર્દાનગી કરતાં મર્દાનગીના ખોંખારા ફેશનમાં છે. 

વાત એમ છે કે ૨૧મી સદી બેઠી ત્યારથી અમેરિકામાં બે પ્રકારની દિશમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો માને છે કે જગતની પટલાઈ ઘણી થઈ. અમેરિકન અર્થતંત્ર ચીન અને જર્મની સામે માર ખાઈ રહ્યું છે. આ ઉપરાંત અમેરિકન રાજ્યનો મૂડીવાદીઓએ કબજો કરી લીધો છે. અમેરિકાની ૯૫ ટકા સંપત્તિ મુઠ્ઠીભર માણસોના કબજામાં છે. અસમાનતા આસમાને છે. અમેરિકામાં ગરીબ માણસની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડવાની જવાબદારી રાજ્યની છે એટલે રાજ્ય ઉપર બોજો વધી રહ્યો છે. આ બાજુ ચીન આક્રમક છે અને હવે તો માગણી કરવા લાગ્યું છે કે જગતનો આર્થિક વ્યવહાર ડોલરની જગ્યાએ યેનમાં ચાલવો જોઈતો હતો. જ્યારે બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત હતું ત્યારે જગતનો આર્થિક વહેવાર પાઉન્ડમાં ચાલતો હતો. એ પછી અમેરિકા મજબૂત થયું અને આર્થિક વહેવાર ડોલરમાં ચાલ્યો. અત્યારે ચીનનો વારો છે તો જગતનો આર્થિક વહેવાર ચીનના ચલણ યેનમાં ચાલવો જોઈએ. આટલું ઓછું હોય એમ જગત આખાની પટલાઈનો ઠેકો લેવાનો અને પૈસાથી તેમ જ માનવધનથી ખુવાર થવાનું. ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો એવી મોટાઈ નથી જોઈતી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા આવો મત ધરાવતા હતા. તેમણે પટલાઈ ઓછી કરી નાખી હતી અને અમેરિકન અર્થતંત્રને પાટે ચડાવવાની કોશિશ કરી હતી. તેમણે પણ અફઘાનિસ્તાન અને ઈરાકમાંથી અમેરિકન સૈનિકો પાછા ખેંચ્યા હતા. જો બાયદન બરાક ઓબામાના ઉપ-પ્રમુખ હતા અને અત્યારે તેઓ તેમની જ નીતિ અનુસરી રહ્યા છે.

પણ અમેરિકામાં એક વર્ગ એવો પણ છે જે ખુવાર ભલે થઈ જઈએ, પણ અમેરિકાનો છાકો પડવો જોઈએ એમ માને છે. કાઠિયાવાડના બાપુઓ જેવી અમીરાત તેમને ભાવે છે. પછેડી કરતાં ઘણી લાંબી સોડ તાણવામાં તેઓ માને છે. જગત આખામાં આવી સ્થિતિ જોવા મળે છે અને આવું માનનારાઓની સંખ્યા વધી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ જેવા નેતાઓ તેમને રાષ્ટ્રવાદના નશા કરાવે છે અને ખોટી મોટાઈના ઘૂંટડા પીવડાવે છે. આને કારણે અમેરિકન પ્રમુખ કેવી સત્તા ધરાવે છે એની મને જાણ જ નહોતી એવું કહેનાર મૂર્ખ માણસને લોકો સાંભળે છે અને માટે પ્રમુખ જો બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે.

આ તો એક વાત થઈ. જે બીજી વાત આનાથી પણ વધારે મહત્ત્વની છે જેના વિષે જગતમાં ભાગ્યે જ કોઈ બોલે છે. ત્રાસવાદ સામેની લડાઈ અમેરિકાએ અને કેટલાક યુરોપના દેશોએ મળીને લડી હતી જે જગતના સૌથી શક્તિશાળી દેશો છે. તેમની પાસે તાલીમ પામેલું શક્તિશાળી સૈન્ય છે, આધુનિક હથિયારો છે, રેડાર અને સેટેલાઈટ જેવી અન્ય આધુનિક ટેકનોલોજી છે અને છતાં ય તેને નથી અફઘાનિસ્તાનમાં સફળતા મળી કે નથી ઈરાક, સીરિયા કે કોઈ બીજા દેશમાં. અને એ પણ વીસ વીસ વરસની લાંબી લડાઈ પછી. તો પછી શક્તિશાળી કોણ? તાલેબાનો અને ઇસ્લામિક સ્ટેટ સ્થાપવા માગતા ત્રાસવાદીઓ કે અમેરિકા અને તેના મિત્ર દેશો? માત્ર લશ્કરના ભરોસે રાજ્યને શક્તિશાળી માનનારાઓ માટે આ સવાલ છે. અમેરિકાને પાંચ દાયકા પહેલા આવો જ અનુભવ વિએતનામમાં પણ થયો હતો. રશિયાને પણ આવો જ અનુભવ અફઘાનિસ્તાનમાં થયો હતો. શક્તિશાળી કોણ? સ્થાનિક પ્રજાનો ટેકો ધરાવતા કહેવાતા ત્રાસવાદીઓ કે પછી પોતાને સભ્ય અને શક્તિશાળી માનનારા રાજ્યો? બે દાયકાના લશ્કરી ઓપરેશન પછી પણ તાલેબાનોની તાકાતમાં ઊની આંચ નથી આવી એ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહ્યું છે.

બીજો સવાલ એ છે કે તાલેબાનોને કે આઈ.એસ.આઇ.એસ.ના ત્રાસવાદીઓને પૈસા અને શસ્ત્રો કોણ પૂરા પાડે છે? પૈસા તો તાલેબાનો કેફી દ્રવ્યોની ખેતી અને દાણચોરી કરીને કમાઈ લે છે પણ તેમને શસ્ત્રો કોણ આપે છે? આ કોઈ બિહારના ગામડાંઓમાં બનતા દેશી તમંચા નથી કે જેના ઉત્પાદન અને હેરફેર ઉપર નજર રાખવી મુશ્કેલ પડે. આ આધુનિક હથિયારો છે જે મોટી કંપનીઓ બનાવે છે. એવું શું છે કે શસ્ત્રોની સપ્લાઈ લાઈન બંધ નથી થઈ શકતી? શસ્ત્રો બનાવનારાઓ અને તેને ગેરકાયદે વેચનારાઓ શું એટલા શક્તિશાળી છે કે કહેવાતા સભ્ય રાષ્ટ્રો પણ તેમની સામે લાચાર છે? વીસ વીસ વરસ સુધી આધુનિક હથિયારોની સપ્લાઈ લાઈન પણ બંધ ન કરાવી શકે ત્યારે વિચારવું પડે કે ખરેખર શક્તિ ધરાવે છે કોણ?

સાચું કહું? રાષ્ટ્રો/રાજ્યો નિર્બળ છે. શાસકો અને તેમના દ્વારા રાજ્યો સ્થાપિત હિતોના કબજામાં છે. સ્થાપિત હિતોમાં શસ્ત્રઉત્પાદકોનો પણ સમાવેશ થાય છે. શાસકો પોતાની લાચારી છૂપાવવા દેશપ્રેમ અને રાષ્ટ્રવાદનો અંચળો ઓઢે છે. ખોંખારા ખાઈને અને ઘાંટા પાડીને લલકારે છે, જે રીતે અત્યારે અમેરિકામાં ટ્રમ્પ પાડી રહ્યા છે. અત્યારે મોટી સંખ્યામાં તાળી પાડનારાઓ પણ છે એટલે બાયદને વારંવાર પોતાના નિર્ણયનો બચાવ કરવો પડે છે. જો અમેરિકા અને બીજા દેશો પાસે સાચી તાકાત હોત તો બે દાયકા પછી લીલા તોરણે પાછું આવવું પડત? જો સાચી તાકાત હોત તો શસ્ત્રોનો પૂરવઠો રોકી ન શકાયો હોત?

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 02 સપ્ટેમ્બર 2021

Loading

આનંદલોકમાં અઠવાડિયું …..

રમજાન હસણિયા|Opinion - Opinion|2 September 2021

સૂકા મલકમાં ધોધમાર વરસાદ થાય ને જેમ હરખથી તરબતર થઈ જવાય એવું જ કંઈક છેલ્લા અઠવાડિયામાં ક્ષણેક્ષણ અનુભવ્યું. અહીં પ્રેમની વર્ષામાં ન્હાવાનું હતું ને આનંદના સાગરમાં તરવાનું હતું.

ગુજરાતનો લીલોછમ દક્ષિણ વિસ્તાર મુંબઈ જતાં ટ્રેનમાં દર વખતે તેનાં લીલા લોહચુંબકથી ખેંચતો મને. તેમાં વળી વડીલોના પ્રેમનો ચુંબક ભળ્યો ને શ્રાવણ મહિને કેટલાંક જીવતાં તીર્થોની યાત્રાએ સપરિવાર નીકળી પડ્યા દક્ષિણ ગુજરાતના પ્રવાસે.

ત્રણેક વર્ષ પૂર્વે જીવનમાં પ્રવેશેલાં ને સાવ નિકટના આપ્તજન બની ગયેલાં નિરંજનાબહેન ક્લાર્થી, તરલાબહેન શાહ, આદિને મળવું, બાળકોને એમનાં દર્શન કરાવવાં ને ઉત્તમ કાર્ય કરતી સંસ્થાઓ બાળકોને બતાવવી એ મુખ્ય આશય હતો.

આખા પ્રવાસમાં મુખ્ય મુકામ રહ્યું સરદારનું સ્વરાજ આશ્રમ-બારડોલી. ગાંધીના ખોળામાં રમેલાં ને સરદારની છાયામાં બાળપુષ્પ રૂપે પાંગરેલાં નિરંજનાબહેન ક્લાર્થી આ આખા પ્રવાસનો પ્રાણ હતાં. સુરત સ્ટેશને ઉતરવાથી માંડીને પાછા સુરત સ્ટેશન મુકવા સુધીની પ્રત્યેક ક્ષણે જેમનો નિરંતર નેહ નીતરતો સંગ મળ્યો તે નાનીબે’ન.

સરપ્રાઈઝ રૂપે ગાડીમાં હાજર નાનીબે’ને સુરત સ્ટેશને બાળકોને આલિંગન આપી આવકાર્યા ત્યારે એ મિલન વેળાને આંખમાં સ્થિર કરી લેવાનું મન થઈ ગયું. મોટાં નાની ને નાનકડા રામનો સંગ આ દિવસોને મીઠપથી ભરી દેનારો બની રહ્યો.

સરદાર કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા સુમધુર ગીતોથી થયેલ સ્વાગત ભાવવિભોર કરી ગયું. બસોએક આંખોમાં અવિરત છલકાતો પ્રેમ બધાને ભીંજવી ગયો.

રક્ષાબંધનનો દિવસ હતો. આગળ ક્યારેક મારાથી બોલાઈ ગયું હશે કે ક્યારેક મારો હાથ પણ રાખડીઓથી છલકાઈ જશે ! તથાસ્તુ કહ્યા વગર મારી આ મનોકામના નાનીબે’ને પૂરી કરી. સંસ્થામાં ભણતી સોએક દીકરીઓ ને નાનીબે’ન સહિત સૌએ મારા નાનકડા હાથને પ્રેમની રક્ષાથી છલોછલ ભરી દીધો. પોતાના હાથે કાચા સૂતરના તાંતણે બનાવેલી ખાદીની રાખડીઓ મારા હાથ પર બંધાતી રહી, મીઠું મીઠું ગીત ગુંજન સમાંતરે ચાલતું રહ્યું ને અંતરમાં આનંદની છોળો ઉછળતી રહી. ભાઈ બહેનને નહિ બહેન ભાઈને રક્ષણ આપે છે એવી મારી અંગત વાતો કરી બહેનો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવા પણ અહીં જગ્યા મળી.

વ્હાલી નાનકડી બહેનો સાથે ગરબા લઈને ઉજવણીને આનંદભેર સંકેલી. સાંજે આસપાસ સ્વજનોના ઘરે જઈને સૌને મળ્યાં ને એમાં સંધ્યાબહેન ભટ્ટને ત્યાં ગોઠડી માંડી. તેમને પ્રત્યક્ષ મળવાની મજા પડી.

બીજા દિવસની સવારે સવારી ઉમરગામ ભણી ઉપડી. ગીતાબહેન નામે એક મોટું ચુંબક ત્યાંથી ખેંચી રહ્યું હતું. નાનકડી દિવડી, ચંદન તિલક ને હાથમાં અત્તર લગાડીને  ગીતાબહેને વિશિષ્ટ સ્વાગત કર્યું.  બધાએ ભેગાં મળી ભોજન લીધું ને સીધા ઉપડ્યા નારગોલના દરિયે .. બાળકો તો દરિયો જોઈ ગાંડા ગાંડા જ થાય. સાંતાક્લોઝ જેવાં મનીષભાઈએ સૌને આનંદ કરાવ્યો. ગીતાબહેને શીખવાડેલી રમત તો પછી આખું અઠવાડિયું રમતાં રહ્યાં. ઉમરગામના સ્વજનોની સાથે ઢગલા મોઢે વાતો કરી, પેટ છલકાઈ જાય એટલું ખાધું ને પ્રેમનું સંગીત તો બેકગ્રાઉન્ડમાં વાગતું જ રહ્યું.

વળતાં મકરંદભાઈ અને ઈશામાની જગ્યા નંદીગ્રામ જવું જ હતું. આ બધી મારે મન તીર્થભૂમિ જ છે. બાળકો સમજે કે ન સમજે પણ ચિત્તના કોઈ ખૂણે એકાદ નાનકડો સંસ્કાર આ જગ્યાનો પડી જાય તો પ્રવાસ સાર્થક. બંને સાધકોની સમાધિના દર્શન કર્યાં. એ જગ્યાની ચેતનાને આંખોમાં ભરી અમે એ જગ્યાએથી નીકળ્યા પણ જગ્યા અંતરથી હજુ નથી નીકળી.

'મારાં બચ્ચાંઓ કચ્છથી આવ્યાં છે તો લાવને એમને જરા ડાંગનું જંગલ બતાવું. નદી ને ધોધ બતાવું.' આવું કહી નાની અમને લઈ ગયાં ડાંગના જંગલોમાં. આંખ છલકાઈ જાય એટલી લીલપ.  ચોતરફ બસ વનરાજી ને વહેતાં વારિ …

ઉકાઈ ડેમનો પાણીનો જથ્થો જોઈએ તો દરિયો જ લાગે તો જંગલોની ગીચતા ને હરિયાળા મેદાનો જોઈ એમ થાય કે, 'લીલી પછેડી ઓઢીને એની આડમાં ધરતી આ કેવું મીઠું મીઠું ગાય છે !'

પંપા સરોવર ને શબરીધામનું ખેંચાણ થાય એ સ્વાભાવિક છે. બંને ધામના દર્શન કરી આંખ પણ પવિત્ર થઈ. ધીરજની પર્યાય એવી શબરીના ધામમાંથી નીકળતાં મારાથી બોલાઈ ગયું કે મા શબરી રાહ જોતાં શીખવાડજે. પ્રતિક્ષાની આરાધના કરનાર શબરીને ઘેર રામને આવવું પડે એ જ તો છે એનાં સંતત્વનો પરતાપ.

ત્યાંથી અમારો રથ દોડાવતાં ગુલ્લુભાઈ સાપુતારાના વાદળોને વીંધતા પહાડો પર લઈ ગયા. બાળકોના આનંદનો પાર નહિ. બોટિંગની મજા માણી, ખાધું, પીધું, ફોટા પાડ્યા, સાઈકલ ચલાવી, હર્યા, ફર્યા ને મજા કરી. જલસા કરો જેન્તીલાલ સૂત્ર અમારા માટે જ જાણે બનાવ્યું હોય એટલી મજા કરી.

બીજી સવારે  થોડાં વધુ ઊંચા પહાડ પર ચડ્યા. દૂર સુધી લીલાંછમ ડુંગર દેખાય, ઠંડો ગમે એવો વાયુ વાય ને આનંદ કરતાં કરતાં એક એક જગ્યા જોવાતી જાય. વળતા અંધજનો માટેની બહુ મોટી શાળાની મુલાકાતે ગયા. કેવાં કેવાં સ્થળે કેવાં કેવાં લોકો કેવાં કેવાં ઉમદા કામો કરે છે એની પ્રતીતિ આવી જગ્યાએ જઈએ ત્યારે થાય. બ્રેઈલ લિપિની લાયબ્રેરી, કમ્પ્યુટર પર શીખતાં બાળકો જોઈ આંખો છલકાઈ ગઈ.

ત્યાંથી ઊતરતાં  ગિરા ધોધ પહોંચ્યાં. અહાહા ! થઈ જવાય એવી જગ્યા. નદી ને ઝરણાં તો આખે રસ્તે ભાઈબંધની જેમ ભેગાં જ દોડતાં હતાં પણ આ તો પાણીનું એથીયે સુંદર રૂપ ! સફેદ દૂધ વહેતું હોય તેવું આ દૃશ્ય હજુ કીકીમાં કેદ કરી રાખ્યું છે.

રસ્તામાં સાગનાં વૃક્ષો આવ્યાં તો કાજુનાં ઝાડ પણ મેં પહેલીવાર જોયાં. વૃક્ષોનું વૈવિધ્ય પણ આશ્ચર્ય પમાડે તેવું.

પહાડ, જંગલ, નદી, ઝરણાં ને ધોધનો આનંદ લઈ ફરી પહોંચ્યા મુકામ પોસ્ટ બારડોલી.

ગુરુવારની સવારે વાલોડમાં શિક્ષણ ને સમાજસેવાની ધૂણી ધખાવીને બેઠેલાં તરલાબહેન શાહને મળવા નીકળી પડ્યાં. વેડછીનો વડલો કહેવાયેલાં જુગતરામ દવેની જગ્યા સૌએ જોઈ, ત્યાંની ધૂળ માથે ચડાવી તરલાબહેનના ઘરે પહોંચ્યા. અગણિત કુંડામાં શોભતાં ફૂલછોડ અમારાં સ્વાગત માટે ઊભાં હતાં. હસતા હસતા ઘણી વાતો કરી અમે સૌ સંગાથે નીકળ્યાં વનસ્થલી ભણી. ઉર્વીનભાઈ અને પ્રાંશુભાઈ સાથેની વાતો કરવાની મજા પડી.

તરલાબહેન શાહની રાહબરીમાં ચાલતી, ધસમસ વહેતી નદીનાં કાંઠે વૃક્ષોની છાંયમાં આવેલી શૈક્ષણિક સંસ્થા વનસ્થલી જોવાની સૌને ખૂબ મજા પડી. તરલાબહેને આયોજનપૂર્વક સૌ શિક્ષકોની સાથે પ્રથમ ગોઠડી મંડાવી. એક તરફ વાતો ચાલુ હતી ને બીજી તરફ નદી બોલાવી રહી હતી. વધુ સમય તેની ઉપેક્ષા થઈ શકે તેમ ન્હોતી. નદીને નિકટથી જોઈ – અનુભવી પાછા વળ્યા ને ફરી બાળકો સાથે થોડી વાતો કરી. ખાનગીમાં મને તો તેમની અદેખાઈ જ આવી. આવી જગ્યાએ રહીને ભણવાની તો કેવી મજા પડે !

સમૂહ ભોજનમાં શિખંડ ને ખમણ દબાવીને ખાધાં એ તો ખરું જ પણ કચ્છીઓને છાસ ન મળે તો ભાણું અધૂરું લાગે એની કાળજી નાનીબે’ન અને તરલાબહેન બંનેએ બરાબરની લીધેલી. જ્યાં પણ જમીએ ત્યાં અમારા માટે છાસ તો હાજર જ હોય. કાળજી લે તેને મા કહેવાય. ગીતાબહેને પણ સ્વાગતમાં છાશ જ પીવડાવેલી.

આ પ્રવાસમાં એક દિવસ મુંબઈના સ્વજન જયંતભાઈ ગંગર પણ ભળ્યા હતા. બપોર પછી અમને સૌને નાનીએ સરદાર મ્યુઝિયમ અને સરદાર નિવાસ પણ બતાવ્યાં. એમાં એક એક ફોટો કે જગ્યા બતાવતાં બતાવતાં એમનાં ચહેરા પર જે ઉત્સાહ ને તેજ આવી જાય તે જોઈ એમ જ લાગે કે સરદારે જાણે શરીર પ્રવેશ કર્યો ન હોય !

શુક્રવારની સવારે અમે પહોંચ્યા નવસારી. પ.પૂ. આચાર્ય વિજયશીલચંદ્રસૂરિ મહારાજના દર્શને. નાનીબે’નને જોઈને મહારાજ પણ રાજી રાજી. યુવાવયે મુકુલ ક્લાર્થીનાં પુસ્તકોના સેટ વાંચ્યાની વાતો કરી સાહેબજીએ તો નાનીને મળીને લેખકને મળ્યાની ખુશી અનુભવી. એમનાં સત્સંગનો લાભ મળ્યો તે અહોભાગ્ય !

નવસારીમાં જ રહેતાં ગાંધીજીના દીકરા હરિલાલ ગાંધીનાં દોહિત્રી નીલમબહેન પરીખને પણ મળવા ખાસ તેમનાં ઘરે ગયાં. એમનાં બેક પુસ્તકો વિશે પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીમાં વાત થયેલી ત્યારે તેઓ જોડાયેલાં. જીવનનાં નવ દાયકા વટાવી ચુકેલા ને ખૂબ કામ કરી જીવનને સાર્થક કરી શકેલાં નીલમબહેન પણ સૌને મળીને બહુ જ રાજી થયાં. સાવ પાતળી દેહયષ્ટિમાં શોભતું એમનું ગરિમાવંત જીવન જોઈ આંખો ધન્ય થઈ !

ત્યાંથી આપણો રથ આગળ વધ્યો દાંડી ભણી … ઐતિહાસિક દાંડીકૂચનાં ગામો વચ્ચે આવતાં ગયાં ને આખરે દરિયાકિનારે ચપટી મીઠું ઉપાડીને કરાયેલા સવિનય કાનૂનભંગની ભૂમિ પણ આવી.  દાંડીકૂચને સરસ રીતે ઉજાગર કરતું નવું બનેલું સ્મારક જોયું. કૂચ દરમિયાન બનેલી નાનકડી પણ મહત્ત્વની ઘટનાઓના દૃશ્યો જોઈ ઘણું જાણવા મળ્યું. છેલ્લે બાળકોની દરિયામોજ તો ખરી જ ….

છેવટે પરત ફરવાનો દિવસ આવી ગયો. સવારે દીકરીઓ સાથે ફરી થોડી વાતો કરી. એ અગાઉ રમતો રમેલાં, ગીતો ગાયેલાં ને મજા કરેલી તે તો ખરી જ. નાનીબે’ન અને પ્રજ્ઞાબહેન સાથે નિરાંતે બેસીને ખૂબ વાતો કરી. આ બધા દિવસોમાં જે નિરાંત અનુભવી તે છેલ્લે ક્યારે અનુભવેલી તે યાદ નથી.

માના ખોળામાં બાળક નચિંત હોય તેમ અમે સૌએ નાનીને ખોળે મજા કરી. ક્યાંયે કોઈ રોકટોક નહિ, કોઈ સૂચના નહિ, માત્ર ને માત્ર વ્હાલ, વ્હાલ ને વ્હાલ …

સતત પ્રવાસમાં અમારી સાથે હોય, ગમે તેટલો સમય થાય પણ થાકનું નામ તમે ચહેરા પર વાંચી ન શકો, કંટાળો કે આળસ સાથે કોઈ દૂરનો પણ નાતો નહિ. લોખંડી મહિલા બનીને કામ કરનાર નાની અંદરથી કેટલાં કોમળ કોમળ છે ને કેવાં ઉર્જાવાન છે તે તો આ રીતે સાથે રહે તે જ જાણી શકે.

જેમણે હજારો દીકરીઓનાં જીવનમાં જીવતરની કેળવણીનું વાવેતર કર્યું છે એમની ઓથમાં બાળકો અઠવાડિયું રહ્યાં એ જ મારે મન પરમ ભાગ્યની વાત.

સવાર પડે ને લગભગ બે હજાર ફૂલછોડથી શોભતું બારડોલીનું આ નાનકડું શાંતિનિકેતન મહેકી ઊઠે ફૂલોની મહેકથી. પણ એ મહેકની અંદર ભળી હોય નાનીની અસીમ પ્રેમની મહેક. એમની સાથે હીંચકે ઝૂલતા ઝૂલતા ચા પીવાની જે મજા પડે તે તો શબ્દોમાં કેમ કહું ?

એમનાં જ પગલે ચાલતાં પ્રજ્ઞાબહેનનાં કામોની વાત કરવા બેસું તો આનાથી લાબું લખવું પડે. નાનીના વિદ્યાર્થીની ને હવે કલાસ વન મેડિકલ ઓફિસર ડૉ. રામીબહેન ને પ્રજ્ઞાબહેન અમારા માટે થેપલાં વણવા બેસી જાય ત્યારે ગાવું જ પડે કે સબસે ઊંચી પ્રેમ સગાઈ … ચારેક દિવસ ચાલે એટલું ભાથું બાંધી આપે ને એથીયે મોટું જીવનભર ચાલે એવું પ્રેમભાથું પણ ….

ફરી ક્યારે આવશો એવું પુછાય ત્યારે ત્યાં જ રહી જવાનું મન થાય.

એક અઠવાડિયું આનંદલોકમાં રહીને જે મજા કરી તેનાં અહીં તો માત્ર શબ્દછાંટણા જ કર્યાં છે, બાકી તો એક એક દિવસ ને એક એક વ્યક્તિ વિશે લખવા પુસ્તક લખવું પડે, જે માટે પાછા નિરાંતે બારડોલી જવું પડે !!!!

e.mail : ramjanhasaniya@gmail.com

Loading

કૃષ્ણના નામે ફરાળી વાતો!

વિજય ભટ્ટ|Opinion - Opinion|1 September 2021

જય  શ્રીકૃષ્ણ!

આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. કૃષ્ણના નામે ઉપદેશ આપવાની સીઝન!!

મને થયું હું કેમ રહી જાઉં, ઉપદેશ આપ્યા વગર? હવે આજે નોમ તો થઈ! માત્ર પાંચ-છ દિવસ બાકી રહ્યા શ્રાવણ ને પૂરો થવામાં. આવી તક છેક હવે વરસ પછી આવશે.

મને પણ બધા જ્ઞાનીમાં ગણે. મને પણ ફોરવર્ડ કરે. મને લાઈક કરે, તેથી થયું આ પ્લેટફોર્મ સારું છે. બધા મિત્રો જ છે. એટલે વાહ વાહ થશે અને નામ થશે! કહ્યું જ છે ને કે અહં બ્રહ્માસ્મિ ! હું જ બ્રહ્મ છું તો પછી બતાવી દઉં મારું જ્ઞાન આજે.

તો ચાલો, હું પણ કૃષ્ણ-જ્ઞાનીઓ શાહ સાહેબ, વસાવડા સાહેબ, ત્રિવેદી સાહેબ, વૈદ સાહેબ અને પેલા જોશી સાહેબની કોમ્પિટિશન કરું. સહેજ કોપી પણ કરું. ઓશોની થાય છે જ ને?

આ તો ભાઈ શ્રાવણ મહિનો છે! જે ફરાળી હોય તે બધું જ  ચાલે!

લ્યો શરૂ કરું મારું લોક-ઉદ્ધારક જ્ઞાન પ્રવચન?

આ સાંભળ્યા પછી હવે તમે જ કહેશો કે “વિજયભાઈ, આ મોંઘા અને વ્યસ્ત સેલિબ્રિટી વક્તાઓને ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપી અને બોલાવીએ તેને બદલે તમે એમ જ કરો ને …. તમે તો યુ.એસ.એ.માં જ છો તેથી તમને પોષાય. તમારી જાતે જ તમારી ટિકિટ લઇ ને આવી જાવ અમારા શહેરમાં. અમારામાંથી કોઈ એકના ઘરે પોતાનું સમજીને જ રહેજો, એર-બી-એન-બી કે હોટલમાં રહેવાની જરૂર નથી. અમારા ઘરે શુદ્ધ ગુજરાતી ભોજન અને સાંજે અમારી ક્લબમાં તમારું ભાષણ. ભાષણ પછી તાળીઓ અને ફોટા પડાવીશું. બીજે દિવસે તમને થોડું અમારા શહેરની આજુબાજુ ફેરવીશું. વળી લોકલ ન્યૂઝપેપર, ઇન્ડિયન ટી.વી., ઇન્ડિયન ન્યૂઝપેપર વગેરે જો છાપશે તો તમને એક્સપોઝર પણ મળશે. બીજે કોઈ ફરીથી તમને બોલાવશે, તે નફામાં!"

આમ લ્યો પ્રસ્તાવ મેં જ આપ્યો. આપજો આમન્ત્રણ મને.

ચાલો હવે મારી કૃષ્ણસભર, કૃષ્ણથી તરબોળ, કૃષ્ણ-પ્રેરિત વિદ્વતાનું પ્રદર્શન કરું. આ લ્યો કરું શરૂ? પણ હા એક રાધા-કૃષ્ણનો ફોટો પણ મૂકજો મારી પાછળ. હં!  વળી હું તો હીંચકા ઉપર બેસીને જ બોલીશ, જેથી વીડિયો સારો લાગે. બાજુમાં સરસ કૃષ્ણની મૂર્તિ, સાથે એક મોર પીંછનો ફોટો રાખજો. પાછળ મોટા સાહિત્યિક વડીલોના ફોટા અને પેલા એવોર્ડ્સનું કાચનું કબાટ પણ સરસ લાગશે,  કેમ?

ઓકે! તો આઈ એમ રેડી!

રમેશ, કેમેરા બરોબર સેટ કર આઈ-ફોન નો. અને હા, પેલો મારા ઝભ્ભા પરનો પિતામ્બર કલરનો ખેસ લાવો ને. સાહિત્ય કે સંગીતના કાર્યક્રમમાં ગાયકો અને સંચાલકો હંમેશાં સરસ અને પ્રસંગને અનુરૂપ ખેસ પહેરે છે એવો જ!

વળી, પેલા બીજા ભાઈ તો હવે કાનમાં નાનું કુંડળ પણ પહેરે છે. અને નાની ચોટલી પણ સરસ રાખે છે, પણ મારી પત્ની મને એ નહીં કરવા દે. જવા દો!

હા, તો આપણે ક્યાં હતા? હા, આઈફોનનો કેમેરા .. – હા એક જ સ્ટેન્ડ પર ના મુકીશ, રમેશ. થોડો આમ તેમ ફેરવજે. મારો ક્લોસ અપ પણ લેવાય ને. અને જો પિચ્ચર ઈન પિચ્ચર હોય તો તો કૃષ્ણનો ફોટો હંમેશાં મારા ચહેરાની ઉપરની બાજુ આવે એમ ગોઠવજે.

લ્યો, આ ખેસ પણ આવી ગયો! હવે શ્રીમતીજી એક કપ ચા આપે એટલે મારું ઐતિહાસિક ઉપદેશાત્મક કૃષ્ણ-સમર્પિત જ્ઞાન હું  ઉચરીશ!

અરે એક વાત તો રહી ગયી, આ યુટ્યૂબ ઉપર મુકાશે ને? વધારે લોકોને લાભ મળે ને! બિચારાઓનું ભલું થાય એમ જ મારો ઉદ્દેશ છે!

ચાલો હવે શરૂ કરું? ઓકે! સાઇલન્સ, કેમેરા, એક્શન!

કૃષ્ણ એટલે કૃષ્ણ ! જે રાધા સમું કૃષ્ણમય તે બધું જ કૃષ્ણ ! હું, મારું અસ્તિત્વ, મારું હોવાપણું, મારાં શ્વાસ, મારું જીવન એટલે કૃષ્ણ જ! હું જે પાણી પીવું છું તેને હું જમનાનું જળ ગણું .બસ તમે પણ ધારો કે તમે રાધા છો, તમે ગોવાળ છો, તમે ગોપી છો … પછી કૃષ્ણ આપોઆપ તમારી સમક્ષ પ્રગટ થશે.

કટ! એ રમેશ, તું યાર કેમેરા ક્યારેનો ખાલી પકડી ને ઊભો છે, થોડો ક્લોસપ લે. મારા એક્સપ્રેશન આવે. આગળ ચાલવું? હા, ઓકે.

એક વાર તમે કૃષ્ણમય થયા પછી તમને સર્વત્ર વાંસળી જ સંભળાશે. બધે જ કૃષ્ણ સાથે રાસલીલા કરશો, અરે, હશો વઢવાણમાં  પણ વૃંદાવનમાં છો એમ જ લાગશે! રણ લીલાં છમ લાગશે, વિચારોમાં વૃંદાવન આવશે, ગીતમાંથી ગોકુળ ગૂંજશે, ભૂલકાંઓનાં વાળમાં મોરપીંછ દેખાશે, અરે તમને તમારા પટાવાળા મગન ભાઈમાં માધવના દર્શન થશે!  બધું જ કૃષ્ણપૂર્વક થશે.  

તમને પેલા ગુજરાતી કવિઓ શ્રી સુરેશ દલાલ, પ્રિયકાન્ત મણિયાર થી માંડી ને આજકાલના બધા જ કવિઓના કૃષ્ણગીતો આત્મસાત થશે. પછી તો તમે પોતે જ રાધા અને તમે જ પોતે કૃષ્ણ એવી કૃષ્ણસભર લાગણી તદ્દન સહજ! દ્વૈત અને અદ્વૈત બધું જ તમારામાં !  જરા પ્રયત્ન તો કરો, મિત્રો, કૃષ્ણ તમને ગેંડીદડો રમવા બોલાવે છે … તમે ક્રિકેટનું બેટ લઇને ન જાવ પણ હૃદય નો દડો કૃષ્ણને  ધારો!

પત્ની બોલી:

“કટ! .. કટ !..  કહું છું, ખરાબ ન લગાડતા, પણ મારે તો સાચું કહેવું જ પડે, નહીં તો બહારના લોકો હસશે.

 તમારી  એક પણ વાતમાં મને જરા પણ સમજણ ના પડી. વળી એમ થયું કે મારે ખરેખર કરવાનું શું? કેવી રીતે કૃષ્ણમય થવાય? કૃષ્ણપ્રેરિત એટલે? કૃષ્ણપૂર્વક એટલે શું? કૃષ્ણ સમર્પિત એટલે? મને તો મારાં ફુઆ કૃષ્ણકાન્ત ફુઆ જ યાદ આવ્યા. બધું જ ઉપરથી ગયું, પણ એમ લાગ્યું તમે બહુ સરસ શબ્દો બોલ્યા, પણ અર્થ કૈં જ ના સમજાયો. મારે કરવા નું શું? સમજવાનું શું? "

અરે ગાંડી! યાર! એ જ તો મઝા છે આ કૃષ્ણ-ફરાળી વાતોની! આ તો માત્ર વાણી વિલાસ છે.

કશો મતલબ કે સમજણની વાત હોત તો હું ભૂગોળ ઉપર ભાષણ ન કરત?

આ તો કૃષ્ણની વાત છે કૃષ્ણની. કહેવાતા જ્ઞાનીઓ એને અઘરી કરી કરીને આ રોતે લોકોને સમજાવ્યા કરે છે, પણ તેમાં સમજવાનું કે કરવાનું કશું હોતું જ નથી. કૃષ્ણની વાતોના  રૂપકો અને શબ્દોનાં ગતકડાં, વિરોધાભાસવાળા શબ્દો એક બીજાની બાજુમાં મુકીએ એટલે કૈંક નવું, ન સમજણ પડે તેવું લાગે તેથી જે લોકો પોતાને ઇન્ટેલેક્ટયુઅલ ગણતા હોય તેમને થાય કે સાલી સમજણ નથી પડતી પણ કૈંકે સારું જ હોય તેમ લાગે છે, માટે હશે જ, અને આપણને ગમે છે એમ કહો. એટલે લોકો પણ ખુશ અને જ્ઞાનીઓ પોતે પણ ખુશ કે 'કેવી આધ્યાત્મિક, સાહિત્યિક અને કલાત્મક રજૂઆત! બતાવી આપ્યું કે જ્ઞાની છીએ! અધ્યાત્મનાં નામે મનોરંજન.

થોડી લાઈક મળે, થોડી વાહ વાહની કૉમેન્ટ્સ મળે, થોડા અંગત મિત્રો, કે જેમને મેં પહેલાં નવાજ્યા હોય, તેઓ થોડું સરસ લખે મારા માટે … એટલે આપણું કામ પત્યું!  
અહો રૂપમ્મ્‌ અહો ધ્વનિ!

મને આવડી ગયું છે હવે. દરેક વાર-તહેવાર અને ઉત્સવ આવે એટલે મોટી મોટી આદ્યાત્મિક વાત કરીને લોકોને આંજી નાંખીશ મારાં વાણીવિલાસથી.  
હિન્દુસ્તાનમાં કેટલા બધા બાવાઓ, એક્ટરો, સેલીબ્રીટીસ અને એન્ટરટ્રેનર  છે? 
સાલું .. બધાનું ચાલે છે! તો મારું પણ ચાલશે!

કૃષ્ણના નામની બધી જ ફરાળી વાતો ચાલે, ભલે પચે નહીં!


જય શ્રીકૃષ્ણ!

e.mail : vijaybhatt01@gmail.com

Loading

...102030...1,7641,7651,7661,767...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved