Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9299664
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજના સમયમાં આપણે પ્રજા તરીકે સક્રિય રહેવું જરૂરી છે …

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|12 November 2021

ફરી એકવાર સૌને હૃદયપૂર્વક નૂતન વર્ષનાં અભિનંદનો !

સૌની સારી શરૂઆત થાય એમ ઇચ્છીએ, પણ ઇચ્છવાથી એમ ભલું થઈ જતું હોત તો જગતમાં કોઈ દુ:ખી ન હોત. આપણે જાણીએ છીએ કે ઘણું સારું થાય છે, છતાં બધું સારું થતું નથી. બધું જ સારું હોત તો? કલ્પના કરવા જેવી છે. કોઈ દુ:ખી ન હોત ! આંસુ ન હોત ! અછત ન હોત ! બધું જ હાજર હોત ! ક્યાં ય જવાની જરૂર ન હોત ! બધું ઘર બેઠાં જ મળતું હોત ! કાયમ તૃપ્તિ જ હોત ! બધાં જ હસતાં હોત ! કોઈએ કૈં કરવાનું ન હોત ને એમ જ બધાં હસતાં હોત ! સરકારો સારી રીતે ચાલતી હોત ! ટેક્સ કપાય કે ન કપાય એની ચિંતા ન એને હોત, ન પ્રજાને ! કારણ બધું એને કે પ્રજાને મળી જ રહેતું હોત ! કોઈ માંદું ન હોત ! ન દવા હોત, ન દવાખાના ! રોજ જ આનંદ હોત ! રોજ જ હર્ષ ! રોજ જ ઉલ્લાસ ! ચાલતે, આવું હોત તો? ના, આપણે એનાથી પણ ઉબાયાં હોત ! જેમ એકધારું દુ:ખ ત્રાસ આપે છે એમ જ એકધારું સુખ, આનંદ જ આપે એ જરૂરી નથી. એક વસ્તુ નક્કી છે કે જીવન બદલાતું રહે છે ને જે પીડા કે મજા છે તે એ બદલાવાને કારણે ! જીવન કૈં એકસરખી છાપાંની નકલો નથી. આકાશ એક જ છે, એનું એ જ છે, પણ એક સરખું નથી. એના રંગો ય બદલાય છે. દરિયો ભરપૂર છે, તો ય સમૃદ્ધિથી તે ઠરી જતો નથી. તે ઊછળે છે ને કિનારાઓને ઘડતો રહે છે. નદી એક જ છે, પણ એક સરખી નથી, તે વહેતી રહે છે. આ વહેવું જ જીવન છે. જળ વધે છે, ઘટે છે. તેજ વધે છે ઘટે છે. અંધકાર એક જ છે, પણ એક સરખો નથી. જરા વિચારીશું તો સમજાશે કે આ એક સરખાપણું જ મૃત્યુ છે. જીવન બદલે છે ને બદલાય છે. તે પૂરું થાય કે પછી બધું સરખું છે. કોઈ ગતિ નથી. કોઈ ક્રિયા નથી. મૃત્યુ પછી વ્યક્તિ અટકી જાય છે. તેને કોઈ ફેર પડતો નથી- દુનિયા ચાલે કે અટકી જાય તેથી !

ગમ્મત એ છે કે ઘણાં માણસો જીવંત હોય તો તેમને ય કોઈ ફેર પડતો નથી. તે સજીવ ન હોય એમ જ જીવે છે. તે વેઠે છે અથવા તો બીજા વેઠે તેવી સ્થિતિ ઊભી કરે છે. તેની પાસે પ્રતિક્રિયા જ કદાચ નથી. મૃત્યુ પીડા હરીને માણસને સુખી કરી દે છે. કારણ તે પછી કૈં કરવાનું રહેતું નથી. કમાલ એ છે કે ઘણાંને જીવતાં છતાં એ સુખ મળી જાય છે. એને કોઈ ફિકર જ હોતી નથી. કૈં કરવાનું જ જાણે રહેતું નથી. ભાવ વધે છે કે ઘટે છે, કોઈ ફેર પડતો નથી. સરકાર આવે છે કે જાય છે, કોઈ ફેર પડતો નથી. કોઈ મરે છે કે જીવે છે, કોઈ ફેર પડતો નથી. પ્રદૂષણ વધે કે ઘટે, કોઈ ફેર પડતો નથી. અવકાશમાં કોઈ મરચાં ઊગાડે કે માણસ, કોઈ ફેર પડતો નથી. ઘણાં આવાં છે. તેમને વેઠવામાં છે એટલો રસ પ્રતિક્રિયામાં નથી જ ! એઓ જાણી ગયા છે કે કશું તેમના હાથમાં નથી. તેઓ કૈં કરી શકે એમ નથી. તેમણે જીવવાનું છે ને બસ જીવી કાઢવાનું છે. તેમને કશું થતું નથી એવું નથી. બધું થાય છે, પણ નથી જ હાલતા. આવાં બે પ્રકારના માણસો હોય છે. એક અત્યંત અમીર છે, જે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ છે એટલે એ ચૂપ છે. એને કોઈ ફેર પડતો નથી. એક નિર્ધન છે, તે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળે એમ નથી ને કોઈ ફેર પાડી શકે એમ નથી, એટલે તેને કોઈ ફેર પડતો નથી. એ સિવાયના જે છે એમને ઘણો ફેર પડે છે. એ વર્ગ સક્રિય છે. એ રાજકારણમાં છે, નોકરી ધંધામાં છે, સમાજમાં છે, કુટુંબમાં છે. એ સૌથી વધુ પરિવર્તનશીલ છે. એક વર્ગ એવો છે જે કાયદાઓ અને નીતિઓ ઘડે છે. એ સત્તા ભોગવે છે ને બીજો વર્ગ એ છે જે આ કાયદાઓ અને નીતિઓથી પ્રભાવિત છે. સરકાર ખરીખોટી હોય છે, એમ જ પ્રજા પણ ખરીખોટી હોય છે. લોકશાહીમાં પ્રતિનિધિ ચૂંટાય છે ને એને પ્રજા મત આપીને ચૂંટે છે. પ્રજા નબળી હોય તો સરકાર સારી ભાગ્યે જ હોય છે. પ્રજામાં આખી પ્રજા નબળી નથી, એમ જ સરકારમાં આખી સરકાર નબળી ન હોય એમ બને. સાદી વાત એટલી છે કે પ્રજા સજાગ ને સક્રિય હોય ને સરકાર જો ગાફેલ રહે તો વખત આવ્યે તે પાઠ ભણાવી શકે છે.

તાજો જ દાખલો પેટ્રોલ અને ગેસના ભાવ વધારાનો છે. કારણો ગમે તે હોય, પણ સરકારે બેફામપણે  ઈંધણના ભાવ વધાર્યા જ કર્યાં. એવી આગાહીઓ પણ થઈ કે પેટ્રોલ લિટરના દોઢસો સુધી જશે. એ જાય એવી પૂરી શક્યતાઓ હતી. સરકારોને એમ હતું કે ઇંધણનો ભાવવધારો પ્રજા વેઠી લેશે, તો મહામારીને કારણે આવી પડેલી ખોટ ભરપાઈ થઈ જશે. પણ આ વસૂલાતમાં ધડો ન રહ્યો. ઈંધણ પરના વેરાની કમાણી 2014માં 73,000 કરોડ હતી, તે 2020-‘21 માં 3.89 લાખ કરોડ થઈ. આ વધારો 500 ટકાનો હતો. માત્ર એક્સાઈઝ ડ્યૂટીની વાત કરીએ તો ભા.જ.પ.ની સરકાર સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટરે તે 9.42 રૂપિયા હતી, તે હવે વધીને 32.90 રૂપિયા થઈ હતી. આ વધારો 300 ટકાનો હતો. આ વધારો ઈંધણ પૂરતો જ મર્યાદિત ન હતો. તે અનેક ક્ષેત્રોમાં હતો ને પ્રજા મૂંગે મોઢે એ વેઠી રહી હતી. એમ પણ લાગતું હતું કે પ્રજા નિર્માલ્ય અને ઉદાસીન છે. એના હાથમાં કશું નથી, પણ એના હાથમાં એક શસ્ત્ર હતું, મતનું ને તે તેણે વિવિધ રાજ્યોની પેટા ચૂંટણી વખતે ઉગામ્યું ને શાસક પક્ષનો બધો તોર ઊતરી ગયો. 3 નવેમ્બરે પેટા ચૂંટણીનું પરિણામ આવતાં વિધાનસભાની 30 બેઠકોમાં કાઁગ્રેસનો હાથ ઉપર રહ્યો. બંગાળમાં ચારે બેઠકો ટી.એમ.સી.ને મળી. લોકસભાની 3 બેઠકોમાંથી ત્રણે કોઈ એક પક્ષને ન મળતાં ભા.જ.પ., કાઁગ્રેસ અને શિવસેનાને મળી. આ પરિણામ આવતાં હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીએ કબૂલવું પડ્યું કે વધતી મોંઘવારીએ આ પરિણામો આપ્યાં છે. કોઈ પણ સરકારને ચેતી જવા માટે આટલું પૂરતું હતું. પરિણામની અસર એવી પડી કે 4 નવેમ્બરે જ પેટ્રોલ-ડિઝલના ભાવો તૂટયા. એકાએક જ દસેક રૂપિયા સુધી ભાવ ઘટ્યા. ગુજરાત સરકારે પોતાના વેરા ઘટાડ્યા ને સરવાળે પેટ્રોલ 10 રૂપિયા ને ડિઝલ સત્તરેક રૂપિયા સસ્તું થયું.

આ માટે સરકારોનો આભાર માનવો જ પડે, કારણ ઇંધણને મામલે તેણે પ્રજાને પૈસે દિવાળી ન કરતાં પ્રજાને દિવાળીમાં રાહત આપી હતી. જો કે, આ અણધાર્યા ઘટાડાએ સરકારના ઈરાદાઓ અને હેતુઓને ઉઘાડા પાડી દીધા છે. સરકારના ભક્તોએ એવો પ્રચાર પણ કર્યો હતો કે આગલી સરકારે જે ઓઇલ બોન્ડ્સ બહાર પાડેલા તેનું ચૂકવણું હાલની સરકારને પરસેવો પડાવતું હતું ને એ ચૂકવણાં માટે પ્રજા પર ઇંધણનો ભાવ વધારો લાદવો જ પડે એ સ્થિતિ હતી. એવી વાતો પણ હતી કે 100 કરોડ લોકોને મફત રસી આપવા સરકારે ઈંધણ મોંઘું કર્યું. આ જો સાચું હોય તો સરકારે એવું નાટક કરવાની જરૂર ન હતી. ખરેખર તો સરકારે જાહેર કરવું જોઈતું હતું કે રસી મફત આપી શકાય એ માટે ઇંધણનો ભાવ વધારવો જ પડે એ લાચારી છે, તો પ્રજાએ આ વધારો સ્વીકારી લીધો હોત ! એને બદલે પ્રજાની પરવા જ ન હોય તેમ સરકાર ભાવ વધારતી રહી. એને બદલે સરકારે પ્રજાને વિશ્વાસમાં લેવાની જરૂર હતી. આ એ પ્રજા છે, જેણે  વડા પ્રધાનના એક બોલે ગેસની કરોડોની સબસિડી સ્વેચ્છાએ જતી કરી છે. જો સરકારે જાહેર કર્યું હોત કે મફત રસીની સામે પ્રજાએ ઇંધણનો ભાવ વધારો વેઠવો જ પડે એમ છે, તો પ્રજાએ ખુશી ખુશી સરકારને સાથ આપ્યો હોત, તેને બદલે પ્રજાને પોતે લૂંટી રહી છે એવી છાપ સરકારે દૃઢ થવા દીધી. એથી પ્રજાની નારાજગી વધી ને એણે પેટા ચૂંટણીમાં એ નારાજગી પ્રગટ કરી, તે એ હદે કે સરકારને ઈંધણના ભાવ ઘટાડવાની ફરજ પડી.

પ્રજાએ પોતાની છૂપી, પણ લોખંડી તાકાતનો પરચો આપ્યો ને સરકારને તેનું સ્થાન બતાવી દીધું, તો સરકારને પક્ષે એવું પણ સિદ્ધ થયું કે ભાવ વધારો સાચો ન હતો. જો પ્રજા વિફરે તો ભાવ ઘટાડવો પડે એ ફલિત થયું. મતલબ કે ભાવ વધારો પ્રજાના મિજાજ પર અવલંબિત છે, નહીં કે આંતરરાષ્ટ્રીય ભાવો ને સંજોગો પર ! આ બધું પારદર્શક નથી. એ પણ કમાલ જ છે ને કે રોજ વધતાં ભાવો હવે સ્થિર છે ! 2022માં વિધાનસભાની ચૂંટણી ગુજરાત, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં છે. એવું બનવાના પૂરા સંજોગો છે કે ભાવ વધારો ખરેખર જરૂરી થઈ પડે એમ હોય તો ય સરકાર હવે ભાવ નહીં વધારે. જો પ્રજાનો રોષ પેટા ચૂંટણીમાં પરિણામો પર અસર પાડી શકતો હોય તો સરકાર સામે ચાલીને પોતાને વેતરવા પ્રજાના હાથમાં કાતર નહીં જ આપે તે નક્કી છે. એનો અર્થ એવો પણ નહીં કે પ્રજાએ સરકારને બાનમાં લેવાની છે. અપેક્ષા એટલી જ છે કે આજના સમયમાં પ્રજા સક્રિય રહે તો સરકાર મનમાની કરતાં પહેલાં વિચાર કરે.

000

e.mail : ravindra21111946@gmail.com

પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 12 નવેમ્બર 2021

Loading

12 November 2021 રવીન્દ્ર પારેખ
← મધ્યાહ્ન ભોજન યોજના : ભૂખ ભાંગે છે, ભેદ નહીં !
ચલ મન મુંબઈ નગરી—119 →

Search by

Opinion

  • ચોપાસ પ્રદૂષણ અને પ્રદૂષણ નિયંત્રણનું વણવપરાયેલ ફંડ!
  • કોઈ દલિત અધિકારી પણ ન કરી શકે તેવું  કામ પ્રવીણ ગઢવીએ કર્યું !
  • સાર્થક જલસામાં ‘જલસી પડી ગઈ !’
  • સોક્રેટિસ ઉવાચ-૮  : સોક્રેટિસ અને ભારતીય રાજકારણી વચ્ચે એક કાલ્પનિક સંવાદ
  • જમીન 

Diaspora

  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા
  • દ્વીપોના દેશ ફિજીમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દી

Gandhiana

  • બાપુ અને બાદશાહ 
  • ચિકિત્સક બાપુ
  • બાપુ અને બડેદાદા
  • રાષ્ટ્રપિતા
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત

Poetry

  • હાલો…
  • એક ટીપું
  • સાત કાવ્યો
  • એમના પગના તળિયામાં દુનિયાનો નકશો છે
  • બે કાવ્યો

Samantar Gujarat

  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 
  • સરકારને આની ખબર ખરી કે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ
  • અરુણભાઈનું ઘડતર – ચણતર અને સહજીવન

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved