Opinion Magazine
Number of visits: 9570989
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરઃ ‘સબ સલામત હૈ’ની સપાટી નીચે છે બેરોજગારી, દિશાહીનતા, આતંકીઓ અને કોમી પૂર્વગ્રહો

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|5 September 2021

કાશ્મીરમાં સ્વર્ગ છે પણ એક કળી ન શકાય તેવા વમળની સ્થિતિ પણ છે, તેની ઊંડાઇ, તેની ગતિનો ભોગ એ જ લોકો બની રહ્યા છે જે બસ બે ટંકનો રોટલો રળીને જીવવા માગે છે.

જન્માષ્ટમીનો ઉત્સવ આ વખતે એક બીજા કારણોસર ચર્ચામાં રહ્યો. કાશ્મીરમાં ૩૨ વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો એવી તસવીરો, વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વહેતા થયા. આ માત્રને માત્ર વડા પ્રધાનના નેતૃત્વ હેઠળ શક્ય બન્યું હોવાની વાહવાહી પણ મોટે પાયે થઇ. લાલ ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીમાં કાશ્મીરી પંડિતોની હાજરી, તેમનું સરઘસ બધું જ ચર્ચામાં રહ્યું. આ બધાં પછી અગ્રણી વેબસાઇટ્સ પર એવા રિપોર્ટ પણ આવ્યા કે કાશ્મીરમાં જન્માષ્ટમીની ઉજવણી ૩૨ વર્ષમાં પહેલીવાર થવાના દાવા પોકળ છે કારણ કે  ૨૦૦૪ની સાલથી લાલ ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીઓ થતી રહી છે. બીજા એક રિપોર્ટ અનુસાર આંતકીઓ કાશ્મીરમાં ૧૯૮૯માં અરાજકતા ફેલાવી તેના પછી ૨૦૦૭માં કાશ્મીરી પંડિતોએ જન્માષ્ટમીનું સરઘસ લાલ ચોકમાંથી ૨૦૦૭માં કાઢ્યું હતું. કાશ્મીરી પંડિત સંઘર્ષ સમિતિના પ્રમુખ સંજય ટીકુએ શ્રીનગરથી અલ્ટ ન્યૂઝ સાથે વાત કરી તેમાં પણ તેણે કહ્યું હતું કે ૧૯૮૮ની સાલ સુધી દર વર્ષે જન્માષ્ટમી નિમિત્તે શ્રીનગર અને કાશ્મીર ખીણ પ્રદેશના અલગ અલગ હિસ્સાઓમાં જન્માષ્ટમીનું સરઘર નીકળતું પણ ખીણ પ્રદેશમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત થયા બાદ એ ઉજવણી અટકી હતી. ૧૯૯૨ની સાલમાં ફરી શ્રીનગરના વિસ્તારોમાં ઉજવણી થઇ હતી. તેમના જણાવ્યા અનુસાર ૨૦૦૩થી દર વર્ષે આ ઉજવણી થતી આવી છે માત્ર ૨૦૦૮માં અમરનાથ જમીન વિવાદને મુદ્દે, ૨૦૧૦માં તૌફૈલ મટ્ટુની હત્યાને પગલે, ૨૦૧૪માં પૂરને કારણે, ૨૦૧૬માં બુરહાન વાનીના મોતને કારણે અને ૨૦૧૯થી ૨૦૨૦ દરમિયાન આર્ટિકલ ૩૭૦ અને Covid-19ને કારણે આ ઉજવણીઓ ન થઇ શકી. આ જ રિપોર્ટમાં ઇસ્કોન ગ્રૂપના સભ્યએ પણ સ્પષ્ટતા કરી છે કે ૩૨ વર્ષ પછી પહેલીવાર કાશ્મીરમાં જન્માષ્ટમીની ઉજવણી થઇ હોવાનો દાવો સાવ પોકળ છે. આ ઉજવણીની વાતની ચોખવટ વિસ્તારે કરવી જરૂર હતી કારણ કે જેમ ઘણીવાર ખોટી વાતોના ક્રેડિટ ખોટી વ્યક્તિને જાય છે તેવું જ આ વખતે પણ થયું. વાત તો કાશ્મીરના વર્તમાન સંજોગોની છે. જે બદલાવનાં દાવા કરાય છે તે ખરેખર ધરમૂળથી થયા છે કે ઉપરછલ્લાં છે. સામાન્ય સમજણ ધરાવનારને પણ ખ્યાલ હોય જ છે કશું પણ રાતોરાત બદલાઇ નથી જતું, પરિવર્તન અને તે પણ તણાવમાંથી શાંતિની દિશાનું હોય તો તે ધીમું જ હોય. અરાજકતા, વિખેરાયેલી જિંદગીઓ, અસલામતી કશું ય રાતોરાત દૂર નથી થતું.

કેન્દ્ર સરકારે ખીણ પ્રદેશમાં ૨૦૧૯માં બંધારણીય ફેરફાર કર્યા તેને બે વર્ષ થઇ ગયા અને આતંકવાદને ડામવામાં આ પ્રયાસો અમુક સ્તર સુધી સફળ પણ રહ્યા. પરંતુ નવા સમાજિક વહીવટી તંત્ર અને આર્થિક માળખા સાથે ત્યાંના લોકો જોડાઇ નથી રહ્યા. કાશ્મીરમાં અત્યારે જે હાલત છે તેમાં કુશળ રાજકીય દાવપેચ જે ત્યાંના લોકોને આત્મવિશ્વાસ વધારે,  સ્થિરતા ખરેખર વિસ્તરશે તેવી તેમને ખાતરી થાય તેવું સંતુલન દિલ્હી સરકાર જાળવે તેની તાતી જરૂર છે.

કોરોના વાઇરસને કારણે કાશ્મીરમાં જે લૉકડાઉન લાગુ પડ્યું તે એક રીતે તેમને માટે તો ૨૦૧૯ના ઑગસ્ટ મહિનાથી સલામતીના કારણે લાગુ કરેલા ‘લૉકડાઉન’નું વિસ્તરણ જ સાબિત થયું. કાશ્મીરનું રાજકીય લૉકડાઉન ફેબ્રુઆરી ૨૦૨૧માં દૂર થયું અને આ દરમિયાન વહીવટી ફેરફારો કરાયા. હવે જમ્મુ કાશ્મીર પોલીસ ખાતામાં અને અન્ય સરકારી ખાતામાં અને બૅંક સુધ્ધાંમાં મોટી પોસ્ટ પરના પોલીસ અધિકારીઓ હિંદુ છે. ૫ ઑગસ્ટ ૨૦૧૯ પહેલાંની સ્થિતિ આવી નહોતી. મોટા ભાગની ચાવીરૂપ પદવીઓ હિંદુઓને અપાઇ છે, ઘણી ટીમો તો એવી છે જેમાં મુસલમાન સભ્ય છે જ નહીં, આ પહેલાં હિંદુ અને મુસલમાન બન્ને કોમના અધિકારીઓ સાથે એક તંત્રમાં કામ કરતા હોય તેમ હતું. એક રિપોર્ટ અનુસાર જ્યારે ૧૮૪૬થી ૧૯૪૭ દરમિયાન ડોગરાઓએ આ પ્રદેશ પર શાસન કરેલું, ત્યારે તેમણે પણ મુસલમાનોને અધિકારી બનવાનો મોકો નહોતો મળતો પછી તે સૈન્ય હોય કે વહીવટી તંત્ર હોય. ડોગરા અને રાજપૂતોને જ આ ખાતાઓમાં પ્રતિનિધિત્વ મળતું. 

ઑગસ્ટ ૨૦૧૯ અને જુલાઇ ૨૦૨૦ની વચ્ચે કાશ્મીરના અર્થતંત્રની હાલતની વાત કરીએ તો રાજ્યના અર્થતંત્રએ ૪,૦૦,૦૦૦ મિલિયન જેટલું નાણું અને ૧ લાખ જેટલી રોજગારી ગુમાવી છે. આ કામકાજ મોટે ભાગે હસ્તકલા, ટુરિઝમ અને આઇટી સેક્ટરમાં થતું હતું. કાશ્મીરમાં ટૂરિઝમને ફરી જીવંત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ અને તેને માટે આર્થિક પેકેજીઝની પણ જાહેરાત કરવામાં આવી. કાશ્મીરના સફરજનો જેના વ્યાપાર પર ૧.૫ મિલિયન જેટલા કુટુંબો નભે છે તે પણ ખોરવાઇ ગયો છે. સફરજનની ખેતી કરનારા ખેડૂતો દેવાના બોજ તળે દબાયા છે અને તેમને સરકાર સામે ફરિયાદો છે. સરકારે તેમની સમસ્યાઓના જવાબમાં બે સ્ટેટ ઑફ આર્ટ પેસ્ટિસાઇડ ટેસ્ટિંગ લેબ્ઝ ઉત્તર અને દક્ષિણ કાશ્મીરમાં શરૂ કરી છે. કાશ્મીરમાં બેરોજગારીનું પ્રમાણ પણ વધ્યું છે અને ભારતમાં સૌથી ખરાબ બેરોજગારીના દરની યાદીમાં યુનિયન ટેરીટરી ઑફ જમ્મુ એન્ડ કાશ્મીર બીજા ક્રમાંકે આવે છે. સરકારે ક્લાસ ૪ની નોકરીઓની કંઇ સાડા આઠ હજાર જેટલી ખાલી જગ્યા જાહેર કરી તો સવા ત્રણ લાખ જેટલી અરજીઓ આવી.

કાશ્મીરમાં રહેનારા શિક્ષિત યુવાનોને એ ડર છે કે બહાર જશે તો પણ તેમને કામની તક નહીં સાંપડે કારણ કે મુસલમાનો પ્રત્યે લોકોમાં પૂર્વગ્રહો સતત વધી રહ્યા છે. આતંકીઓને કાબૂ લાવવાની સરકારની રીતોમાં ફેક એન્કાઉન્ટર જેવા કિસ્સાઓ પણ બને છે, ગમે ત્યારે ગમે તેનું ચેકિંગ કરાય છે. કાશ્મીરમાં ભા.જ.પા.ના કાર્યકર્તાઓની હત્યા પણ આતંકીઓ દ્વારા થઇ છે. અત્યારે પણ કાશ્મીર ઘાટી પ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરાઇ હોવાના સમાચાર છે.  સ્વાસ્થ્યનો પ્રશ્ન પણ વાઇરસના રોગચાળામાં ખડો છે, ત્યાં નસીબજોગે સંક્રમણ ઘટ્યું છે.

કાશ્મીરમાં સ્વર્ગ છે પણ એક કળી ન શકાય તેવા વમળની સ્થિતિ પણ છે, તેની ઊંડાઇ, તેની ગતિનો ભોગ એ જ લોકો બની રહ્યા છે જે બસ બે ટંકનો રોટલો રળીને જીવવા માગે છે.

બાય ધી વેઃ

કાશ્મીરમાં ‘સબ સલામત છે’, બધું બહેતર થતું જશેનો પ્રચાર પ્રસાર સતત થાય છે પણ ત્યાંના જે લોકો છે તેઓ આ બધા દાવા સાથે સંમત નથી. દિશા હીન જિંદગીઓને મૂળિયાં જડી નથી રહ્યાં. જિંદગીઓ વિખેરાઇ રહી છે, સપાટી પરની સ્વસ્થતા અંદરની અરાજકતાને ઢાંકી દે છે. તાલિબાને દાવો કર્યો છે કે તેઓ કાશ્મીરને મામલે કોઇ દખલ નહીં કરે પણ તેનો વિશ્વાસ કેટલો કરી શકાય? વાઇરસ, આતંકવાદ, બંધારણીય ફેરફારો, મુસલમાનો પ્રત્યેનો પૂર્વગ્રહ જેવું કેટલું ય કાશ્મીરીઓ જીવી રહ્યાં છે, સરકાર કંઇ નથી કરતી તેમ નથી પણ જે કરે છે તે કાશ્મીરીઓના શાંતિપ્રિય જીવન જીવવાની મહેચ્છામાં તેમને કેટલું માફક આવે છે તે તેમને કોઇ પૂછવા નથી જતું. જેમને જવાબ મળે છે તેમના અવાજ બધે પહોંચે તે જરૂરી નથી.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  05 સપ્ટેમ્બર 2021

Loading

ટાગોરનો અને બલરાજ સહાનીનો કાબુલીવાલા

રાજ ગોસ્વામી|Opinion - Opinion|5 September 2021

અફઘાનિસ્તાનમાં હિન્દી સિનેમાના દર્શકો ઘણા છે. ૧૯૯૦ના દાયકા સુધી બોલીવૂડ માટે અફઘાનિસ્તાન એક મોટું માર્કેટ હતું. ત્યાં ગૃહયુદ્ધની સ્થિતિ વચ્ચે પણ કાબુલ અને મજારે-શરીફનાં થિયેટરોમાં હિન્દી ફિલ્મો હાઉસફુલ જતી હતી. 'ઇન સર્ચ ઓફ ન્યુ અફઘાનિસ્તાન' નામના પુસ્તકમાં લેખક સુરજીત સરકાર લખે છે કે, "ત્યાંના પ્રદેશોમાં માથાકૂટો વચ્ચે પણ બોલીવૂડનો પ્રભાવ પૂરા અફઘાનિસ્તાન પર સાફ દેખાય છે. ભારતીય ઉપમહાદ્વીપ સાથે ઘેરો સાંસ્કૃતિક સંબંધ હોવાના કારણે બોલીવૂડ ફિલ્મો ત્યાં ઘણી લોકપ્રિય છે."

એ જ કારણ છે કે હિન્દી સિનેમાના સર્જકો અવારનવાર અફઘાનિસ્તાનને તેમની ફિલ્મોનો વિષય પણ બનાવતા રહ્યા છે. એમાં ફિરોઝખાનની 'ધર્માત્મા' (૧૯૭૫), અમિતાભ બચ્ચનની 'ખુદા ગવાહ' (૧૯૯૨), ફિરોઝખાનની જ 'જાનશીન' (૨૦૦૩), કબીર ખાનની 'કાબુલ એકપ્રેસ' (૨૦૦૬), સૈફ અલી ખાનની 'એજન્ટ વિનોદ' (૨૦૧૨) અને સંજય દત્તની 'તોડબાઝ'(૨૦૨૦)માં અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ હતી.

આઝાદ ભારતના લોકોને અફઘાનિસ્તાનનો પહેલો પરિચય થયો 'કાબુલીવાલા'થી. ૧૯૫૭માં એ નામથી તપન સિંહાએ બંગાળીમાં ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ એટલી લોકપ્રિય થઇ કે બંગાળી ડિરેક્ટર હેમેન ગુપ્તાએ બલરાજ સહાનીને લઈને હિન્દીમાં 'કાબુલીવાલા' બનાવી હતી.

અફઘાનીસ્તાનના પઠાણ લોકો અત્યંત વિશ્વાસપાત્ર અને દયાળુ હોય છે તેવી ભારતના લોકોમાં જે છાપ છે, તે ઊભી કરવાનું શ્રેય જાય છે 'કાબુલીવાલા'ને. પ્રકાશ મહેરાએ 'ઝંઝીર' ફિલ્મમાં આવી છાપ પરથી જ શેરખાન(પ્રાણ)નું પાત્ર ઊભું કર્યું હતું, જે બહાદુર પણ છે અને વફાદાર પણ છે.

આ હેમેન ગુપ્તા કલકત્તામાં અંગ્રેજો સામે વિદ્રોહ કરવા બદલ જેલમાં પુરાયા હતા અને જેલમાં ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો હતો. જેલમાંથી છૂટીને તે સુભાષ ચંદ્ર બોઝના અંગત સચિવ બન્યા હતા. ૧૯૩૯માં તે કલકત્તાના ન્યુ થિયેટર ફિલ્મ સ્ટુડીઓમાં હેલ્પર તરીકે જોડાયા હતા. ૧૯૪૩માં તેમણે ‘દ્વંદ્વ’નામની બંગાળી ફિલ્મ બનાવી હતી. બંગાળમાં તેમણે મોટા ભાગની ફિલ્મો આઝાદીની ચળવળ પર બનાવી હતી.

મુંબઈમાં આવ્યા પછી, ૧૯૫૨માં તેમણે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પરથી પૃથ્વીરાજ કપૂર અને ગીતા બાલીને લઈને 'આનંદમઠ' નામની યાદગાર ફિલ્મ બનાવી હતી. એ તેમની પહેલી હિન્દી ફિલ્મ. બંકિમચંદ્રએ જ લખેલું અને પૂરા ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન પ્રેરણાદાયી રહેલું 'વંદે માતરમ' ગીત 'આનંદમઠ'માં ગીતા રોયે ગાયું હતું. ૧૯૬૬માં તેમની છેલ્લી ફિલ્મ સુભાષ ચંદ્ર બોઝ પર હતી.

કહે છે કે દરેક ફિલ્મ સર્જક તેની કારકિર્દીમાં એક ફિલ્મ એવી બનાવે છે, જે તેને સિનેમાના ઇતિહાસમાં અમર બનાવી દે છે. હેમેન ગુપ્તાની કારકિર્દીમાં ‘કાબુલીવાલા’ એ સીમાચિહ્ન હતું. કરુણાનું જો કોઈ નામ પાડવામાં આવે તો તેને ‘કાબુલીવાલા’ કહેવામાં આવે. કાબુલથી એક પઠાણ સૂકો મેવો વેચવા માટે કલકત્તા આવે અને વતનમાં તેની રાહ જોતી દીકરીના વિરહમાં બંગાળી પરિવારની પાંચ વર્ષની મિની સાથે સ્નેહના તાંતણે બંધાઈ જાય તે કહાની એટલી સાદી પણ મર્મસ્પર્શી હતી કે બંગાળી-હિન્દી સિનેમાના બે દિગ્ગજ સર્જકોને તેના પરથી યાદગાર ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હતી.

‘કાબુલીવાલા, કાબુલીવાલા, તુમ્હારી થૈલી મેં ક્યા હૈ?’ મિનીના એ શબ્દો કાયમ માટે એ લોકોની સ્મૃતિમાં જડાયેલા છે જેમણે રવીન્દ્રનાથ ટાગોરની આ વાર્તા વાંચી હશે. ટાગોરે ૧૮૮૨માં, તેમના બંગાળી મેગેઝીન ‘સાધના’ માટે આ વાર્તા લખી હતી. એક જમાનામાં આ વાર્તા ભારતની મોટા ભાગની સ્કૂલોના અભ્યાસક્રમમાં હતી. વાર્તા કૈંક આવી હતી :

રહમત નામનો પઠાણ પૈસા કમાવા માટે તેની મા વગરની દીકરી અમીનાને દાદી પાસે મૂકીને ભારત આવે છે. અમીના તેને જવા દેતી નથી, પણ પઠાણ બળજબરીથી નીકળી જાય છે અને યાદગીરી રૂપે અખબારના પાના પર દીકરીના હાથની છાપ સાથે લઇ જાય છે. કલકત્તામાં એ ઘેર-ઘેરફરીને સૂકો માવો વેચે છે, પણ તેનો દેખાવ એવો છે લોકો ‘બાવો તને પકડી જશે’ કહીને તેમનાં સંતાનોને તેનાથી બીવડાવે છે.

જો કે એક સ્થાનિક લેખકની દીકરી મિનીને ‘બાબા’ની બીક નથી લાગતી અને તે પઠાણ સાથે દોસ્તી કરે છે. મિનીને બહુ બોલવા જોઈએ છીએ અને પઠાણ પ્રેમથી તેની બકબક સાંભળે છે. પઠાણ તેને સૂકો માવો આપે છે, તેની તૂટેલી ઢીંગલી સાંધી આપે છે અને તેને અવનવી વાર્તાઓ કહે છે. ધંધો કર્યા પછી પઠાણ પાછા વતન જવાની તૈયારી કરે છે અને તેની પાસેથી કબુલની શાલ ખરીદનાર પાસેથી ઉધારીના પૈસા લેવા જાય છે. પેલો પૈસા આપવાને બદલે પઠાણ અને તેના પરિવારને ગાળાગાળી કરે છે. ગુસ્સે અને અપમાનિત થયેલા પઠાણથી અકસ્માતે તેનું ખૂન થઇ જાય છે.

પોલીસ પઠાણને પકડી લે છે. કોર્ટમાં સરકારી વકીલ પઠાણને ખોટું બોલવાની સલાહ આપે છે, પણ પઠાણ જજ સામે જે થયું હતું તે કહી દે છે. તેની ઈમાનદારીથી ખુશ થઈને જજ તેને ફાંસીને બદલે ૧૦ વર્ષની કેદની સજા કરે છે. પઠાણ તેની દીકરી અમીના અને મિનીની યાદમાં કેદ ભોગવે છે. જેલમાંથી નીકળીને તે મિનીને મળવા જાય છે, પણ મિની હવે મોટી થઇ ગઈ છે, અને પઠાણને ભૂલી ગઈ છે. પઠાણને આઘાત લાગી જાય છે, ખાસ તો એવી બીકથી કે તેની દીકરી અમીના પણ તેને ભૂલી નહીં ગઈ હોય ને?

પઠાણને હવે જલદીથી વતન જવું છે, પણ તેની પાસે પૈસા નથી. જો કે મિનીનો પિતા તેને મદદ કરે છે અને અંતે પઠાણ અમીનાને મળવા માટે અફઘાનિસ્તાન જવા રવાના થાય છે. ટાગોરની વાર્તા મિનીના પિતાના મોઢે હતી, અને તેનું પહેલું વાક્ય હતું, “મારી પાંચ વરસની છોકરી મિનીને ઘડીભર બોલ્યા વગર રહેવાતું નથી.” વાર્તાના અંતે છેલ્લું વાક્ય હતું, “મેં થોડાક રૂપિયા કાઢીને તેના હાથમાં મુક્યા અને કહ્યું – રહમત! તું તારી દીકરી પાસે દેશ જતો રહે.”

એક સદી પહેલાં લખાયેલી આ વાર્તા એટલી લોકપ્રિય હતી કે તેના પરથી હિન્દી ફિલ્મ ન બને તો જ નવાઈ હતી, અને બિમલ રોયે હેમેન ગુપ્તાના નિર્દેશનમાં ‘કાબુલીવાલા’ને પડદા પર ઉતારી હતી. તેમાં બલરાજ સહાનીએ પઠાણની, બેબી સોનુએ મિનીની, સજ્જન કુમારે (તેની આ છેલ્લી ફિલ્મ) મિનીના પિતાની, ઉષા કિરણે મિનીની માતાની અને બેબી ફરીદાએ પઠાણની દીકરી અમીનાની ભૂમિકા કરી હતી. વાર્તા સજ્જન(ફિલ્મમાં તેનું એ જ નામ છે)ના મોઢે હતી. પોતે લેખક છે. ઘણા લોકો માને છે કે રવીન્દ્રનાથ ટાગોરે પોતાના પરથી જ સજ્જનના પાત્રની કલ્પના કરી હતી.

ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઈટમાં હતી અને ટેકનિકલી એટલી શુદ્ધ ન હતી, પરંતુ બલરાજ સહાનીના શાનદાર અભિનયથી તે યાદગાર બની ગઈ હતી. બલરાજ સહાની અસલી જીવનમાં તેમના માનવતાવાદી અભિગમ માટે જાણીતા હતા અને તેમની ફિલ્મો પણ એ જ ભાવનાની પ્રતિબિંબિત કરતી હતી. આપણે અગાઉ જેની વાત કરી હતી તે ‘ગરમ હવા’ અને ‘કાબુલીવાલા’ બલરાજ સહાનીની કારકિર્દીની બે મહત્ત્વની ફિલ્મો છે.

બીજું, ‘કાબુલીવાલા’નાં બે ગીતો અત્યંત હૃદયસ્પર્શી અને યાદગાર સાબિત થયાં હતાં : ‘અયે મેરે પ્યારે વતન તુજ પે કુરબાન’ અને ‘ગંગા આયે કહાં સે ગંગા જાયે કહાં સે’ આજે પણ સિનેમા પ્રેમીઓની જુબાન પર છે. ગીતકાર-નિર્દેશક ગુલઝારની ગીતકાર તરીકેની કારકિર્દી ‘ગંગા આયે કહાં સે’ ગીતથી થયી હતી. એ વખતે જ તેમણે બિમલ રોયના સહાયક તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ગુલઝાર ૧૦ વર્ષના હતા ત્યારે તેમણે ટાગોરની કવિતા ‘ધ ગાર્ડનર’નો ઉર્દૂ અનુવાદ વાંચ્યો હતો અને ટાગોરના એવા પ્રેમમાં પડી ગયા કે મોટા થતાં સુધીમાં તો ટાગોરનું બધું સર્જન વાંચી નાખ્યું હતું અને તેમની કવિતાઓનો અનુવાદ કર્યો હતો.

મજાની વાત એ છે કે ૨૦૧૭માં, ડેની ડેન્ઝોગ્પાને લઈને દેવ મેઢેકરે ‘કાબુલીવાલા’ની રિમેક ‘બાયોસ્કોપવાલા’ તરીકે કરી ત્યારે તેનાં ગીતો ગુલઝારે જ લખ્યાં હતાં. ફિલ્મના લેખક અને નિર્માતા સુનીલ દોશીએ ત્યારે કહ્યું હતું કે, “ગુલઝાર સાબ ટાગોરના ચાહક છે. ૧૫ વર્ષ પહેલાં તેમણે મને કહ્યું હતું માત્ર ટાગોર જ બાળકો અને પરિવારો માટે ઉત્તમ વાર્તાઓ લખી શકે છે.”

‘બાયોસ્કોપવાલા’માં વાર્તા થોડીક બદલવામાં આવી હતી. તેમાં કાબુલનો પઠાણ રેહમત ખાન બાયોસ્કોપમાં બાળકોને સિનેમા બતાવવાનું કામ કરે છે. તેમાં એ તેની દીકરીની ઉંમરની છોકરી મિનીના પરિચયમાં આવે છે. એક દિવસ અચાનક મિની તેની જિંદગીમાંથી ગાયબ થઇ જાય છે. વર્ષો પછી મિની (ગીતાંજલિ થાપા) જ્યારે ફ્રાંસમાં ડોકયુમેન્ટરી ફિલ્મ મેકરનું કામ કરતી હોય છે ત્યારે તેને ખબર પડે છે કે બાળપણમાં તેના પિતાનું અફઘાનિસ્તાનમાં વિમાન અકસ્માતમાં મૃત્યુ હતું. મિની તેનાં કારણોની તપાસ કરવા અફઘાનિસ્તાન જાય છે અને બાયોસ્કોપવાલાને મળે છે, જે તેને બાળપણમાં વાર્તાઓ કહેતો હતો.

શરૂઆતમાં, ‘બાયોસ્કોપવાલા’માં ડેનીના જ દોસ્ત અમિતાભ બચ્ચનને લેવાની યોજના હતી, પણ કોઈ કારણસર બચ્ચન ન કરી શક્યા એટલે ડેનીએ રેહમતની ભૂમિકા કરી હતી. અગાઉ, ૧૯૯૨માં ‘ખુદા ગવાહ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને સ્વાભિમાની બાદશાહ ખાન અને ડેનીએ વફાદાર દોસ્ત ખુદા બક્ષની ભૂમિકા કરી હતી. અફઘાનિસ્તાનની પૃષ્ઠભૂમિ પરની એ પણ એક અગત્યની ફિલ્મ હતી. તેની વાત ફરી ક્યારેક.

તાલિબાનોની વિજયકૂચથી અફઘાનિસ્તાન છોડીને ભાગી ગયેલા રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની ૨૦૧૫માં નવી દિલ્હીની મુલકાતે આવ્યા હતા, ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારે રવીન્દ્રનાથ ટાગોરનો આભાર માનવો છે. ‘કાબુલીવાલા’એ અમને એક એવી બ્રાન્ડ આપી છે જે લાખો રૂપિયા ખર્ચો તો ય ન મળે. હું તો ટાગોરને વાંચીને જ મોટો થયો છું.”

પ્રગટ : ‘બ્લોક બસ્ટર”, નામક લેખકની સાપ્તાહિક કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 ઑગસ્ટ 2021

Loading

ચલ મન મુંબઈ નગરી—111

દીપક મહેતા|Opinion - Opinion|4 September 2021

મુંબઈ શહેરનાં સ્મરણો ભીનાં ભીનાં

ઉતારુ કહે ત્યાં ઊભી રહે ઘોડાની ટ્રામ

જ્યારે થિયેટરોમાં લાઉડ સ્પીકર જ નહોતાં

વીર કવિ નર્મદે ‘મારી હકીકત’ લખીને આપણી ભાષામાં આત્મકથા લખવાની પહેલ કરી. ત્યારથી માંડીને આજ સુધીમાં આપણને ઘણી બધી આત્મકથાઓ કે સ્મૃતિકથાઓ મળી છે. તેમાંના ઘણા લેખકોએ મુંબઈ શહેર વિષે લખ્યું છે. એ લેખકોએ પોતાના જમાનાના મુંબઈનો જે આંખે દેખ્યો અહેવાલ આપ્યો છે તેમાંથી આજે થોડાં અલપઝલપ દૃશ્યો. 

જ્યારે મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

એક જમાનામાં મુંબઈમાં દોડતી ઘોડાની ટ્રામ

સ્વામી આનંદ એટલે તળપદા શબ્દભંડારના સ્વામી. સ્વામી હતા, પણ શુષ્ક સહેજ પણ નહોતા. એમના જેવું ભાતીગળ, ઘટ્ટ પોત ધરાવતું ગદ્ય બહુ ઓછા લેખકો પાસેથી મળ્યું છે. એક જમાનામાં સ્વામીએ મુંબઈમાં જોયેલી ઘોડાની ટ્રામ. કેવી હતી એ ટ્રામ? સ્વામીના શબ્દોમાં જ જોઈએ.

‘કોટ, કાલબાદેવી, ગિરગામ, ધોબીતળાવ, ભાયખળા, વગેરે મોટા રસ્તાઓ પર ઘોડાની ટ્રામો ચાલતી. રેલ ગાડીના નાના ડબ્બા જેવડી ટ્રામમાં છથી આઠ લાકડાની બાસ્ટીઓ જડેલી હોય. અકેક પર ૪-૫ ઉતારુ બેસે ને ટ્રામને બે ઘોડા ખેંચે. ટ્રામની બેઉ બાજુઓ ખુલ્લી ને નીચે ચડવાનાં ફુટબોર્ડ જડેલાં. ચડવા-ઉતરવા માગનારું ડ્રાઈવરને ‘સબૂર’ કહે. ડ્રાઈવર હાથમાંની લોઢાના સુંવાળા હેન્ડલવાળી લોખંડી બ્રેકને ઘુમરડો દઈને દોડતા ઘોડાઓને રોકે. ઉતારુ ચડી કે ઉતરી જાય એટલે વળી પાછો બ્રેકને છોડીને ઘોડાને ચલાવે. ઘોડા ૨૫-૩૦ ઉતારુ બેઠેલ સ્થિર ઊભેલી ટ્રામને ૧-૨-૩ સખત આંચકા મારીમારીને ગતિમાં મૂકે ને ટ્રામ જમીનસરસા ચોડેલા ખાંચોવાળા લોખંડી પાટા પર ચાલવા માંડ્યા પછી દોડીને તાણવા લાગે. ઘોડા ઊંચી ઓસ્ટ્રેલિયન તોખમના, ને ઘણે ભાગે લશ્કરી લીલામોમાંથી આણેલા. મોટા કદાવર અલમસ્ત હોય, પણ આ ટ્રામોના આંચકા ખમી ખમીને ૨-૪ વરસમાં એમની છાતી તૂટી જાય. તે વખતમાં લોકોમાં અતિ વસમી  અંગમહેનતનું કામ કરનારને માટે ‘બાપડો ટ્રામના ઘોડાની જેમ લાદોડા તાણી તાણીને ટૂટી ગયો’ એવી કહેવત પ્રચલિત હતી.'

— સ્વામી આનંદ

(‘બચપણનાં બાર વરસ’માંથી)

*

મુંબઈ ગમતું હતું, કેમ, તે તો કોણ જાણે

નાટ્યમહર્ષિ ચંદ્રવદન મહેતા લેખક તરીકે સૌથી વધુ ખૂલે અને ખીલે છે તેમની આત્મકથા ‘બાંધ ગઠરિયાં’ શ્રેણીનાં પુસ્તકોમાં. જોઈએ એમની નજરે મુંબઈ.

'આ એ જ મુંબઈ જેને જોવા જવાના એ કાળે સૌ કોઈને કોડ થતા. સૂરતમાં ભણતાં છતાં એમ તો ઘણી વાર મુંબઈના આંટા માર્યા હતા. ત્યારે દિવાળી તો મુંબઈની જ. ફટાકડા, હલવો અને રોશની. રાતે રોશનીમાં ચાર કલાકે ગાડી એક મહોલ્લામાંથી બહાર નીકળે. પાનસોપારી, પતાસા, વહીપૂજા, બોણી, લક્ષ્મીપૂજન નાળિયેર, કંકુચોખા, છડી, કાપડના તાકા, સિલિક (સિલ્ક), આલપાકો, વૂલન-ટસોરનાં ભવ્ય ભભકાબંધ કપડાં, રોશની, વાજાં, ફટાકડા, અને મીઠાઈ વગેરેની ચાર દિવસ મુંબઈમાં મોજ ઊડતી. આજની હરકિસનદાસ હોસ્પિટલની જગ્યામાં ‘અલ્હંબ્રા’ સિનેમા ચાલતો, ત્યાં ‘બ્રોકન કોઈન’ની કલેજા ઉથલાવી નાખનારી, દિલ ધડકાવનારી આઠ હપતાની ચાલુ સાઈલન્ટ ફિલમ જોતા. ફિલમમાં સમજ ના પડે તેમને સમજાવવા એક વક્તા-ઉસ્તાદ રહેતો. ફિલમમાં જ્યારે જ્યારે વચમાં અંગ્રેજી લખાણ આવતું, તે ગાળામાં એ એનો તરજૂમો બોલતો. અને નહિ તો પણ, કોઈ લુચ્ચો આદમી કોઈ ઓરતને ઉઠાવી જતો, કોઈ આફત આવતી કે મારામારી થતી, એવી કટોકટીની ઘડીએ એ પણ ઉશ્કેરાઈને બનાવોનું બયાન કરતો. ત્યારે ટોકીની તો વાત જ ક્યાં, પણ લાઉડ સ્પીકર પણ નહોતાં, ને છતાં આ બંદો બુલંદ અવાજે રોનકદાર જબાનમાં બધું સમજાવતો ત્યારે ખરેખર મજા આવતી. મુંબઈ ગમતું હતું. કેમ, તે કોણ જાણે. ઘડાતું, બંધાતું, સમૃદ્ધ શહેર હતું એથી હશે? કોણ જાણે.'

— ચંદ્રવદન મહેતા

(‘બાંધ ગઠરિયાં’માંથી)

*

પુસ્તકોનાં કબાટ લોકો માટે હંમેશાં ખુલ્લાં

આપણી ભાષાની ટૂંકી વાર્તાના ઘડતર અને ચણતરમાં ગુલાબદાસ બ્રોકરનો ફાળો મહત્ત્વનો છે. આત્મકથનાત્મક પુસ્તકોની શ્રેણીમાં તેમની જીવનકથાની સાથોસાથ મુંબઈની વિકાસગાથા પણ આલેખાઈ છે. સાંભળીએ વિલે પાર્લેના એક અનોખા પુસ્તકપ્રેમીની વાત.

‘વિલે પાર્લેના સ્ટેશન રોડ ઉપર એક ગૃહસ્થ એવા રહેતા હતા કે એ પોતે જ એક સંસ્થારૂપ બની ગયા હતા. એમનું નામ હતું દશરથલાલ જોશી. બર્મામાં એ પહેલાં રહેતા પણ પછી નિવૃત્ત થઈને વિલે પાર્લેમાં સ્થાયી થવા આવ્યા હતા. એમણે પોતે એક સરસ મકાન બાંધ્યું હતું. અને એ જમાનાની ભાવનાને અનુરૂપ એને ‘લિબર્ટી લોજ’ જેવું પ્રેરક નામ આપ્યું હતું. એ દશરથભાઈ પુસ્તકોના ગજબ શોખીન. એ જમાનામાં એમની પાસે લાખેક રૂપિયાનાં પુસ્તક હશે. એ ૧૯૩૩-૩૪ની સાલના લાખ રૂપિયાનાં હોં! ને માત્ર એ પુસ્તકોને ઘરમાં ગોંધી રાખી તેનું જ્ઞાન પોતે જ પામવાના શોખીન નહિ. જેને એમાંથી જ્ઞાન મેળવવું હોય તેમને માટે એમના ઘરના દરવાજા અને પુસ્તકોના કબાટ હંમેશાં ખુલ્લા રહેતા. જેને જે જોઈએ એ એમાંથી લઈ જાય. ગમે એવું અપ્રાપ્ય પુસ્તક હોય તો ય કોઈને લઈ જવાની ના નહિ. એ વિશેની એકાદી નોંધ પણ ન રાખે. એમ કરવામાં એમને કંજૂસાઈ પણ લાગે અને સરસ્વતીનો દ્રોહ પણ લાગે.'

— ગુલાબદાસ બ્રોકર

(‘સ્મરણો ભીનાં ભીનાં’માંથી)

*

મુંબઈ ક્રૂર શહેર છે

ચંદ્રકાંત બક્ષી એટલે તેજાબી વિચાર, વાણી અને વર્તન. ‘કાણાને કાણો જ કહીએ’માં માનનારા. પાલણપુર અને કલકત્તાના આશક બક્ષીને મુંબઈ કેવું લાગ્યું?

‘મુંબઈને પણ ઘણા રંગોમાં જોઈ લીધું છે. અહીં હોલસેલ બજારના આડતિયાઓ જેવા મીઠા સ્વભાવના કલાકારો છે. અહીં કલાકારો વેપારી ભાષા બોલે છે. અહીં ઘણા કલાકારો માટે પૈસાદારના હીપ-પોકેટમાં ઘૂસી જવું એ જીવનભરની મહત્ત્વકાંક્ષિત ઇતિ છે. મુંબઈનું હવામાન મૌલિક સર્જન માટે ઉપકારક નથી. ઘણા બધા સંબંધોની ઘણી બધી રેશમી જાળોમાં જ કલાકાર અટવાયા કરે છે. જિન્દગીનાં ખંડિયેરો પાછળ મૂકીને આવેલા માણસ માટે અહીં ઘણું નવું નવું શીખવાનું છે.

મુંબઈ. સમયની જીવલેણ પકડમાં બલખાઈને મૂર્ઝાઈ જતી જવાન ચામડીઓ. ફાઉન્ડેશન ક્રીમનો ચળકાટ. સો રુપિયાની નોટો પર ચીતરેલા આદર્શો. વેજિટેરિયન ગૃહસ્થાશ્રમો. કાળા રંગનું પુણ્ય. નિયોન લાઈટોનો પરાગ. સોનેરી રંગના ઈમ્પોર્ટેડ અમેરિકન ધુમાડાઓ. મારુતિ વેનના સ્લાઇડિંગ દરવાજાની બહારથી શરૂ થતો ઝોપડપટ્ટીનો દેશ. પોતપોતાની આગમાં તડપતા સુખીદુઃખી ધનપતિઓ. ફૂલેલાં વિશેષણો માટેની લૂંટાલૂંટ. રોટી તોડનારી આંગળીઓના કાળા નખ. સડકો પર યારીની હવા. તાજી રાખ અને ચીમલાયેલાં ફૂલો અને બાળકોના પસીનાની વાસથી ફાટતી રાત. મુંબઈ ક્રૂર શહેર છે. માણસને મર્દ બનાવી નાખે છે અથવા તોડી નાખે છે.'

— ચંદ્રકાન્ત બક્ષી

(‘બક્ષીનામા’ ભાગ ૩માંથી)

*

મહારાજ મેન્શન એટલે જાણે એક સંયુક્ત કુટુંબ

મહારાજ  મેન્શન

સંગીત, નાટક, નૃત્ય, ફિલ્મ, વક્તૃત્ત્વ વગેરેમાં સક્રિય રસ ધરાવતાં પ્રીતિ જરીવાળા મુખ્યત્વે લેખક અને સંપાદક છે. ‘મધ્યાહને સૂર્ય’ નામના પુસ્તકમાં તેમણે ગઈ કાલના મુંબઈના કેટલાક અંશોને ફરી જીવતા જાગતા કર્યા છે. આ પુસ્તકની મદદથી જઈએ ‘મહારાજ મેન્શન.’

અમારું બિલ્ડિંગ મહારાજ મેન્શન એટલે કે જાણે એક સંયુક્ત કુટુંબ. અમારા બિલ્ડિંગનાં નાના-મોટાં અમે સૌ તહેવારો ધામધૂમથી ઉજવીએ. ભાદરવા મહિનામાં ગણપતિ આવે. મારે ઘેર પહેલા માળે, બીજા માળે, અને ત્રીજા માળે ગણપતિ આવે. ગલીમાં મોટા ગણપતિ આવે. ગલીમાં પણ દસેદસ દિવસ વિવિધ કાર્યક્રમો હોય. સવારથી ગલીમાં મોટા અવાજે રેકોર્ડ વાગવાની શરૂ થઈ જાય. ગણપતિને ધરાવવાના લાડુ મમ્મી આગલા દિવસે જ બનાવી લે. પપ્પા રાત જાગીને ગણપતિનું ડેકોરેશન કરે. લાઈટનાં તોરણો પણ હોય. અમે પણ ડેકોરેશનમાં આવડે એવી મદદ કરીએ. સાંજના સાત વાગે એટલે બિલ્ડિંગમાં ઘેર ઘેર કહેવા નીકળીએ, ‘મારે ત્યાં આરતી થાય છે, ચાલો …’ બિલ્ડિંગના એકેએક જણ આરતીમાં આવે. આગળથી બધા કહી જાય ‘આજે અમે પ્રસાદ ધરાવીશું.’ જેના ઘરનો પ્રસાદ હોય તેને ગણપતિની આરતી ઉતારવાનો લહાવો મળે. મારે ઘેર આરતી પૂરી થાય એટલે બીજા માળવાળાં ઉન્નતી અને પ્રત્યુષ ઘોષણા કરે, ‘હવે મારે ત્યાં આરતી થાય છે.’ બીજા માળે, અને પછી ત્રીજા માળે આરતી થાય. આમ એક-બે કલાક તો ત્રણે ઘેર ગણપતિની આરતી કરવામાં જાય. આજે ત્રીસ-ચાલીસ વર્ષ પછી પણ ગણેશોત્સવ દરમ્યાન મારા પિયરના બિલ્ડિંગમાં ગણપતિની આરતી તો થાય છે, પણ હવે કોઈ કોઈના ઘેર આરતીમાં જતું નથી. આરતી માટે કંઈ ટી.વી.ની સિરિયલો જોવાની જતી કરાય?

— પ્રીતિ જરીવાલા

(‘મધ્યાને સૂર્ય’માંથી)

*

અમૃત વાડી : યાદોની વણજાર

મુંબઈની એક ચાલ

કળા અને સાહિત્યનાં પ્રેમી સોનલ વિજય વ્યાસનું પહેલું પુસ્તક ‘ચંદ્રોદય’ તાજેતરમાં પ્રગટ થયું છે જેમાં તેમણે અગાઉ પોતે જ્યાં રહેતાં હતાં એ અમૃતવાડી ચાલ તથા ત્યાંના લોકો અને તેમના જીવનનાં સ્મરણોને વાગોળ્યાં છે. એ પુસ્તકનો એક અંશ.            

મારી ‘અમૃતવાડી’ નામ મનમાં આવે કે યાદોની વણજાર જાણે આવી જાય. આ અમૃતવાડી એટલે મુંબઈના પ્રાર્થના સમાજ વિસ્તારમાં વી.પી. રોડ પર આવેલી અમારી વિશાળ ચાલી. મારી અમૃતવાડી અનોખી હતી. તે સમયે આવી ચાલીને ‘માળો’ પણ કહેતાં. અમૃતવાડી બીજી બધી ચાલીઓ કરતાં જૂદી. વચ્ચે ખાસ્સી મોટી વાડી – જગ્યા, અને એની ફરતે રૂમો. બે રૂમો વચ્ચે બારણું. કોઈ કોઈ પોતાના તરફનું બંધ કરે, અને ખૂબ સારો સંબંધ હોય તો ન પણ કરે. અત્યારના લોકો આની કલ્પના પણ ના કરી શકે. બારણું જો કે વાર તહેવારે જ ખૂલે. ચાલીવાળાનાં મનની માફક. કોઈના પણ સારા-માઠા પ્રસંગે એ ખૂલે. કોઈ આનાકાની કે અણગમો નહિ. અને ૧૦ X ૧૦ની ચાર રૂમનો વૈભવ જ વૈભવ.

— સોનલ વિજય વ્યાસ

(ચંદ્રોદય’માંથી)

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 04 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7621,7631,7641,765...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved