Opinion Magazine
Number of visits: 9570942
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ટૂંકીવાર્તાની કલા વિશે મારાં મન્તવ્યો (7)

સુમન શાહ|Opinion - Literature|9 September 2021

સલાહ રૂપે કહેવાયું છે કે ટૂંકીવાર્તામાં ટેલિગ્રામના તાર જેવી ‘બ્રીફનેસ’ હોવી જોઇએ.

આજે, એની વાત કરું :

એ વરસોમાં, ખાખી ડ્રેસવાળો ટપાલી પોસ્ટકાર્ડ કે પરબીડિયું બે કે ત્રણ દિવસે પ્હૉંચાડતો હતો. એ માંદો પડ્યો હોય તો બીજો આવે, ક્યારે, ભગવાન જાણે. પણ તારવાળો દોડતો આવતો. તાર અનેકગણા વ્હૅલા મળતા : યુ આર ઍપૉઇન્ટેડ, જોઈન્ સૂન : ફોઇબા ઇઝ નો મૉર, કમ સૂન્ : ટેલિગ્રામવાળા ક્રિપ્ટિક લૅન્ગ્વેજ વાપરતા. આજે તો કોઇ પણ લાંબો કે ટૂંકો મૅસેજ ક્લિક્ વારમાં પ્હૉંચી જાય છે : લેટ અસ મીટ જસ્ટ નાઉ : પળવારમાં પ્રિય પ્રિયાને મળવા દોડતો થઈ જાય છે, સ્કૂટર ધમધમાવતો નીકળી પડે છે.

મૂળે વાત, ટૂંકીવાર્તામાં ‘બ્રીફનેસ’ની છે. બ્રીફનેસ વાણીનો તેમ જ લેખનનો ગુણ છે. વાતને અને વાર્તાને બ્રીફમાં, ટૂંકમાં, કહેવી તે. લાંબું લાંબું બોલ્યા કરતો અધ્યાપક સારા વિદ્યાર્થીને પજવતો હોય છે, મુદ્દા પર આવતાં બહુ જ વાર લગાડે છે. વર્ગમાં મારી બૅન્ચ પરના મિત્રોએ નિયમ બનાવેલો – ખબર ન પડે ને નારાજગી સૂચવાય એ માટે પગમાં પ્હૅરેલાં જૂતાં ફર્શ સાથે ટપટપાવવાનાં કે ઘસવાનાં. થોડી જ વારમાં આખા વર્ગમાં એ ટપટપારાભરી કર્કશતા પ્રસરી જતી ને સાહેબ સમજી જતા. ઍમ એ-નાં પેપર તપાસતાં મને ઠોઠ પરીક્ષાર્થીઓની લુચ્ચાઈ પકડાઈ ગયેલી, પહેલા ફકરામાં લખ્યું હોય એ જ બીજામાં, એ જ ત્રીજામાં, એ જ ચૉથામાં, હસ્તાક્ષર ગૂંચવણિયા !

‘બ્રીફનેસ’ માટે આપણી પાસે સરસ શબ્દ છે, લાઘવ. લાઘવનો એક અર્થ છે, ચપળતા – જેમ કે, વર્ગમાં જૂતાં ટપટપાવીને નારાજગી બતાવવી. લાઘવ તર્કગુણ પણ છે, થોડામાં જ ઘણાનો ખુલાસો મળી જાય, પણ ઊલટું કરો તો તર્કદોષ ઠરે. લાઘવ કળા છે, ‘લઘુ લાઘવી’ કહેવાય છે. શંખેશ્વર પાર્શ્વનાથની કથામાં કહેવાયું છે કે અરિષ્ટનેમિએ લઘુ લાઘવી કળાથી હજારો બાણોનો વરસાદ કર્યો. એથી રાજાઓના મુગટ, કુંડળ, છત્ર, ચામર, રથનાં પૈડાં છેદાઈ ગયાં, પણ એક પણ મનુષ્ય કે પશુના શરીરને નુકશાન થયું નહીં.

ટૂંકીવાર્તા નામથી જ ટૂંકી ચીજ છે. એમાં વાર્તાકાર કે એનો કથક એક-ની-એક વાત માટે વીગતો પર વીગતો આપ્યે રાખે, મલાવી મલાવીને વર્ણનો કર્યે જાય, તો ટૂંકીવાર્તા બચારી ઠેર ઠેર છેદાઈ જશે, પોતાના કશા જ વાંક વિના લાંબીવાર્તા ક્હૅવાશે. આપણો અનુભવ છે કે પાંથીએ પાંથીએ તેલ ચોળવાથી મસ્તક આખું તેલ તેલ થઈ જાય છે. લાંબું લપસિન્દર કરનારાને વ્યવહારમાં પણ આપણે ડારતા હોઈએ છીએ – ટૂંકમાં પતાવ ! જાણી રાખો કે, દીર્ઘસૂત્રી હોવું તે કામશાસ્ત્રમાં જ ગુણ કહેવાય છે.

વાર્તાકાર પાસે થોડામાં ઘણું કહી શકવાની સૂઝ હોવી જોઈશે. એને લાઘવનો ગુણ ધરાવતા શબ્દ જડી આવવા જોઈશે. એ ગુણે કરીને એ દીર્ધ ટૂંકીવાર્તા રચી શકે છે. મારી વાર્તાઓ દીર્ઘ પણ ટૂંકીવાર્તાઓ છે. લાઘવ માટે એનું શબ્દભંડોળ વૈવિધ્યસભર હોવું જોઈશે. એને સમજ પડવી જોઈશે કે પાણી, જળ, અંબુ, વારિ -માંથી કયો પ્રયોજું તો બંધબેસતું થશે. બાકી, સર્જક વાર્તાકાર લસરકો કરે ને ચિત્ર રચાઇ જાય; નાનો સૂર છેડે ને રાગ સૂચવાઈ જાય. નાયિકા કહે કે – સુખી તો છું, ત્યારે ‘તો’ સુખની વિરુદ્ધ જતું હોય છે. નાયક કહે કે – હું ક્યાં દુખી છું, ત્યારે ‘ક્યાં’ ઘણું બધું કહી દેતું હોય છે.

ટૂંકીવાર્તાને ‘સ્લાઇસ ઑફ લાઇફ’ કહેનારાઓએ આ જ સૂચવ્યું હતું કે વાર્તાની સ્લાઇસ – ચીરી – આખા જીવનફળનો સ્વાદ આપી દેશે. ‘વાર્તાનો ઘોડો આંગણામાં દોડાવી બતાવો’ કે ‘પ્યાલામાં તોફાન જગવો’ કે ‘તરણા ઓથે ડુંગર બતાવો’ કહેનારાઓએ આંગણાને, પ્યાલાને અને તરણાને લાઘવગુણ માટે પ્રયોજ્યાં હતાં.

આ મન્તવ્યને પણ મારે ટૂંકમાં જ પૂરું કરવું જોઈએ – લાઘવ ટૂંકીવાર્તાનું અનિવાર્ય લક્ષણ છે, એક પડકાર છે. પણ આટલુંક ઉમરી દઉં, કેમ કે રસપ્રદ નીવડે એવું છે :

ચીડિયલનું સ્મિત

Pic Courtesy : Pinterest

શબ્દના પરખંદાઓ લાઘવને ચીડિયલ માણસનું સ્મિત કહે છે – દેખીતું છે કે એ સ્મિત ટૂંકજીવી હોય. લાઘવને પાપી માણસની પ્રાર્થના કહે છે – નાની હોય, કેમ કે પાપીને આગળનાં કામોની ઉતાવળ હોય. પણ તેઓ લાઘવને ઝાકળનું બિન્દુ પણ કહે છે. જરા વિચારો કે જળને ઝાકળ થવાને ચોતરફથી ઘટતાં ઘટતાં કેવી ક્ષણે શમી જવું પડ્યું હશે.

ઑથાર

Pic Courtesy : Flickr

જો કે શેક્સપીયર લાઘવને ‘શૉર્ટ ઍઝ ઍનિ ડ્રીમ’ કહે છે. રાત્રે આવેલું ડ્રીમ સ્વીટ હોય કે નાઇટમેર, ટૂંકું જ હોય છે, છતાં પણ એમાં આપણે કેટકેટલું અનુભવીએ છીએ ! સ્વીટડ્રીમમાં તો જે થતું હોય એ, પણ નાઇટમેરમાં, ઑથારમાં, છાતી પર ઘોડા દોડતા હોય છે, થાય કે મર્યા. બેઠા થઇને પાણી પીઇએ ત્યારે થાય કે હાશ, નથી મર્યા …

લાઘવ એવું મધુર અને જલદ હોય છે પણ હમેશાં એટલું જ પ્રભાવક હોય છે.

===

Loading

‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ સમજવા માગનારે આ બન્ને નૉંધો અવશ્ય વાંચવી :

બાબુ સુથાર / સુમન શાહ|Opinion - Literature|8 September 2021

મિત્ર બાબુ સુથારે એમના પેજ પર આધુનિકતાવાદ પર પોસ્ટ મૂકી છે, એ, અને એમાં પૂર્તિ મેં જે કહ્યું છે એ, મૂકું છું :

બાબુ સુથાર :

ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ પર કોઈએ સાંસ્કૃતિક અભ્યાસ કરવો જોઈએ. જો એવું કંઈક થાય તો એ જમાનો કેવો હતો એનો આજની પેઢીને ખ્યાલ આવે.

૧. સૌ પહેલાં તો એ જમાનામાં ઘણા બધા પ્રોફેસરો એમના બગલથેલામાં લેટેસ્ટ આવેલું પુસ્તક લઈને ફરતા અને એકબીજાને બતાવતા. સુરેશ જોષી કોઈ નવું પુસ્તક આવે તો અમારા જેવાને અને કદાચ એમના બીજા મિત્રોને પણ બતાવતા. શિરીષ પંચાલ પણ બાકાત ન હતા. જ્યારે એ પાદરા કોલેજમાં ભણાવતા હતા ત્યારે એમણે ત્યાં Phenomenological Movementનો ઇતિહાસ વર્ણવતાં બે પુસ્તકો ખરીદેલાં. જો મારી ભૂલ ન થતી હોય તો એ જ જમાનામાં એ આવરબાખના Mimesis પુસ્તકની પણ વાત કરતા અને નવ્ય વિવેચનના ભાગ રૂપે Understanding Poetry અને Understanding Fiction મોટે ભાગે ટેબલ પર રાખતા. પ્રમોદ પટેલ ત્યારે વિદ્યાનગરમાં હતા. મેં એમનું અંગત પુસ્તકાલય જોયું છે. એ પણ ત્યારે સુઝાન લેંગર અને કેસિરેર વાંચતા અને એમાંના કેટલાક લેખોનો અનુવાદ કરતા. સુમન શાહ પણ જોનાથન કલર અને બીજાં સંરચનાવાદી પુસ્તકોની હોંશે હોંશે વાત કરતા. ટોપીવાળા દાહોદ કોલેજમાં હતા ત્યારે એમણે North-Holland પ્રકાશન સંસ્થાનાં ભાષાશાસ્ત્ર પરનાં લગભગ બધાં જ પુસ્તકો ખરીદેલાં. એટલું જ નહીં, એમણે ત્યારે, જો મારી ભૂલ ન થતી હોય તો Lingua સામયિકનું લવાજમ પણ ભરેલું. સુ.જો. એક બાજુ રૂપરચનાવાદનો મહિમા કરતા અને બીજી બાજુ વિદેશી અને સ્વદેશી કૃતિઓનો પણ આસ્વાદ કરાવતા. ત્યારે ટોપીવાળા તદ્દન આધુનિકતાવાદી દૃષ્ટિએ ગુજરાતી કવિતાઓનું અને ગુજરાતી કવિઓનું વિશ્લેષણ કરતા. હું માનું છું કે ટોપીવાળાનું એ પ્રદાન ભૂલી શકાય એમ નથી. નીતિન મહેતા જ્યારે પણ મુંબઈથી વડોદરા આવતા ત્યારે થેલામાં બેચાર પુસ્તકો નાખી લાવતા. મને હજી યાદ છે એમાંનું એક પુસ્તક: Semiotics of Poetry.

૨. જેમ આજે છે એમ ત્યારે પણ આધુનિકતાવાદને વત્તે ઓછે વરેલા મોટા ભાગના સાહિત્યકારોનાં પોતાનાં પુસ્તકાલયો હતાં. પણ, એમાં વિશ્વસાહિત્ય પણ ઘણું જોવા મળતું. મેં સુ.જો.નું પુસ્તકાલય જોયું છે. ભૂપેન ખખ્ખરનું પણ થોડુંક ગુલામ શેખનું પણ. રસિક શાહના પુસ્તકાલયમાં ફિનોમીનોલોજી અને ગણિત તથા ફ્રોઈડ જોવા મળતા. જયંત પારેખના પુસ્તકાલયમાં સર્જનાત્મક સાહિત્ય ખૂબ જોવા મળતું. હું કોઈ પુસ્તકને અડકતો તો એ તરત જ એ પુસ્તક કાઢીને પોતાના હાથમાં રાખતા અને પછી એની વાત કરતા. હું એ રીતે રોબ્બ ગ્રિયે સહિતના ઘણા લેખકોને ત્યાં મળેલો. એવું જ અંગત પુસ્તકાલય પ્રબોધ પરીખનું અને અરુણ અડાલજાનું પણ હતું. બન્નેના ત્યાં નીત્શે, સાર્ત, ફિનોમીનોલોજી. આંગળી અડકાડો ત્યાં યુરોપ અને અમેરિકા. એવું કરમશીભાઈનું પણ પુસ્તકાલય હતું. વીરચંદ ધરમશીનું પુસ્તકાલય એક સંસ્થા જેવું છે. એમાં એટલું બધું ભરેલું છે કે જો કોઈએ એ બધાનું કેટલોગ તૈયાર કરવું હોય તો એને કદાચ છ મહિના પણ ઓછા પડે. અમૃત ગંગરનું પુસ્તકાલય પણ ત્યારે થોડુંક જોયેલું.

૩. આધુનિકતાવાદના સમયમાં વિવાદો પણ કેવા થતા હતા! સુ.જો.એ લખેલું કે નવલકથાનો નાભિશ્વાસ ચાલે છે. રઘુવીર ચૌધરીએ લખેલું કે સુ.જો.એ ટૂંકી વાર્તા મારી નાખી છે. ઉમાશંકરે સુ.જો.ના 'ગૃહપ્રવેશ'ની સમીક્ષા પ્રગટ કરેલી. એનું શીર્ષક હતું : આમ ગૃહપ્રવેશ ન થાય. જવાબમાં સુ.જો.એ કહેલું : તો પણ મારો ગૃહપ્રવેશ થયો. ઉમાશંકરે લખેલું કે વસંત પંચમી ક્યારે આવીને ક્યારે ગઈ એની ખબર સરખી ના રહી. સુ.જો.એ, અલબત્ત અંગત વાતચીતમાં કહેલું કે દિલ્હીના ધક્કા ઓછા ખાઓ તો વસંત પંચમીની ખબર પડે. સુમન શાહ અને ભારતી મોદી ચોમ્સ્કીના સર્જનાત્મકતાના વિચારની બાબતમાં ઝગડેલાં. એક જમાનામાં સુમન શાહ અને ટોપીવાળાનું નામ સાથે બોલાતું. બન્ને અનુસંરચનાવાદ સાથે જોડાયેલા. પાછળથી બન્ને વચ્ચે મતભેદો ઊભા થયા અને બન્ને મિત્રો પોતપોતાના માર્ગે ગયા. ટોપીવાળા pluralism તરફ વળ્યા. પછી શું થયું એની ખબર નથી. જો મારી ભૂલ ન થતી હોય તો લા.ઠા. અને રઘુવીરભાઈ પણ ઝગડેલા. વાત મારામારી સુધી આવી ગયેલી. આ બધી નિંદાકુથલી નથી. આ બધું આધુનિકતાવાદના માહોલમાં બનેલું. બધા સાહિત્ય માટે લડતા.

૪. સુ.જો. અને ભાયાણી વચ્ચે પણ ઘણી દલીલો થતી. સુ.જો. કોઈ પશ્ચિમના ચિન્તકની વાત કરતા તો ભાયાણી એ જ ચિન્તકના બે ચાર ખંડ પસંદ કરીને એમનો અનુવાદ કરતા. ભાયાણી ભારતીય પરંપરાની વાત કરતા. દિગીશ મહેતા પણ ભારતીયતાની વાત કરતા. શિરીષ પંચાલ પાછળથી ભાયાણીના પક્ષમાં ગયા. તાજેતરમાં એમણે ભારતીય કથન પરંપરા પર જે પુસ્તકોનું સંપાદન કર્યું છે એના મૂળમાં ભાયાણી પડેલા છે.

૫. ત્યારે સુ.જો.ની સામે રે મઠવાળા પણ હતા. રે મઠનો કોઈ સાહિત્યકાર સુ.જો.ને ત્યાં જાય અને ખાય તો રે મઠમાં ચર્ચાનો વિષય બનતો. રે મઠનો પોતાનો ઇતિહાસ છે. રે મઠને સુ.જો. સામે વાંધો પણ પાછા એ લોકો સુ.જો.ને માન આપતા. મધુ રાયે ત્યારે આકંઠ શરૂ કરેલું., સુ.જો. મધુ રાયને અભણ સાહિત્યકાર કહેતા. પણ મધુ રાયને એમના માટે ખૂબ માન.

(બાકી)

આ તો યાદ આવી ગયું. બધું ટુકડે ટુકડે. હજી સુ.જો.ની સામે પડેલા ઘણા મહારથીઓની વાત બાકી છે ..

ટૂંકામાં, આ વિષય પર એક ગ્રંથ લખી શકાય. ફ્રાન્સમાં તથા અમેરિકામાં પણ આવાં પુસ્તકો લખાય છે. એની તુલનામાં આજે શું થઈ રહ્યું છે એની ખબર નથી. કોઈક એ વિશે વાત કરે ત્યારે ખબર પડે.

+++++

સુમન શાહ :

પ્રિય બાબુ :

આજની તારી આધુનિકતાવાદ પરની પોસ્ટ વાંચીને આનન્દ થયો.

તેં તો મુખ્યત્વે મિત્રોનાં પુસ્તકાલયોની વાત કરી, નવ્યવિવેચન સંરચનાવાદ વગેરે વાદવિચારની વાત કરી. પણ એ કાળે ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાને નામે શું થયું એની ઉતાવળી, જેમ સૂઝે એમ, એક યાદી આપીને તારાં નિરીક્ષણોમાં ઉમેરણ કરું :

૧ : એક વાર આધુનિકતા વિશેની એક સભામાં હું હીરાબેન પાઠકની બાજુમાં બેઠેલો. એમણે મને વ્હાલથી પૂછેલું : સુમન, આ બધું શું છે? : મે કહેલું, તોફાન. પરમ્પરાગતો દિગ્મૂઢ હતા. તે દિવસથી હું એ સમગ્ર સમયગાળાને સાહિત્યક્ષેત્રનું એક આવકાર્ય તોફાન ગણું છું. એમાં, આધુનિકતા સાથે જોડાઈને ગુજરાતી સાહિત્યને વિશ્વ સાહિત્યના દરજ્જે લઈ જવાના અભિલાષ હતા.

૨ : આધુનિક કવિતાનો નૉંધપાત્ર પ્રારમ્ભ ગુલામ મોહમ્મદ શેખથી થયો છે એમ મનાતું હતું. લાભશંકર ઠાકરનું ભાષાની સામે પડેલા પ્રયોગશીલ આધુનિક કવિ તરીકેનું આકર્ષણ વિકસેલું. સિતાંશુ યશશ્ચન્દ્ર લગભગ દરેક કાવ્યને સર્રીયલ કહી ઓળખાવે એનું ય આકર્ષણ થતું, જો કે કેટલાકને એમાં પ્રદર્શન દેખાતું હતું.

૩ : નવલકથા, ટૂંકીવાર્તા અને નાટકમાં શ્રીકાન્ત શાહ પ્રયોગશીલ ગણાતા હતા.

૪a : કલ્પન પ્રતીક વિશેની સૂઝ વિકસી હતી, લગભગ બધાની રચનાઓમાં દેખા દે અને દે ! પણ અસ્તિત્વપરક પ્રશ્નોને સ્પર્શવાનું બનેલું. મુકુંદ પરીખની લઘુનવલ ‘મહાભિનિષ્‌ક્રમણ’ને અભ્યાસક્રમાં સામેલ કરવા અમારે લડત આપવી પડેલી.

૪b : ઍબ્સર્ડ કહેવાયેલાં નાટકોનાં પુસ્તકો થયેલાં. એ બારામાં રે મઠવાળા મિત્રો સુરેશ જોષી સાથે અભદ્ર રીતે ઝઘડેલા. ‘એક ઉંદર અને જદુનાથ’ના રચનાકારો લાભશંકર અને સુભાષ શાહને બૅકેટના દરજ્જાના ગણીને એ બધા ખુશ થતા હતા.

૫ : પ્રયોગશીલતા, ઊહાપોહ અને નવોન્મેષનો જમાનો હતો.

૬ : શેખના ઘરે રેસિડેન્સ્યલ બંગલે ૮ કલાકનો પરિસંવાદ થયેલો.

સુરેશ જોષીની હયાતિમાં એમના સાહિત્ય સંદર્ભે ભાવનગરમાં ૩ દિવસનો પરિસંવાદ થયેલો. સાહિત્યકાર-વ્યક્તિ વિશેના સૌથી વધુ પરિસંવાદ સુરેશ જોષી વિશે થયેલા.

૭ : નીતિન મહેતા બૉમ્બે યુનિવર્સિટીમાં દર વર્ષે પરિસંવાદ કરતા. એમણે સર્જકતા જેવા અઘરા વિષય પર પણ પરિસંવાદ કરેલો.

૮ : દાહોદ-કૉલેજમાં ટોપીવાળાએ રિલ્કે પર અને ‘સુજોસાફો’ના ઉપક્રમે અમદાવાદમાં મેં બૉદ્લેર પર પરિસંવાદ કરેલા. મેં ‘આધુનિકતા-રીથિન્ક’ બાબતે પણ ચર્ચાઓ ગોઠવેલી.

૯ : ગુજરાત યુનિવર્સિટીમાં મેં આધુનિકતા વિષયે ૭ દિવસનો પરિસંવાદ ગોઠવેલો.

૧૦ : અનેક લિટલ મૅગેઝિન્સ પ્રગટેલાં. ઇમેજને જ વિશેનું મધુ કોઠારીનું ‘મૉનો ઇમેજ’.

૧૧ : પત્રચર્‌ચાઓનો જમાનો હતો. એક જણે મારા ૭૦૦ પાનના થીસિસની અઘટિત નૉંધ લીધેલી. એક જ પ્રકરણ વાંચેલું, એને રીવ્યુ કેવી રીતે કહેવાય? એમ ઉધડા લેવાતા હતા.

૧૨ : આધુનિકતાને સમજવાના ભરપૂર પ્રયાસ થયેલા. મેં ગભરાતાં ગભરાતાં ‘સાહિત્યમાં આધુનિકતા’ પુસ્તક કરેલું.

૧૩ : ચન્દ્રકાન્ત બક્ષીની ‘આકાર' અને રઘુવીર ચૌધરીની ‘અમૃતા’ લોકપ્રિય થવાની હદે પ્હૉંચી ગયેલી છતાં આધુનિક નવલો હતી. ‘આકાર’માં લોકોએ અસ્તિત્વવાદ વાંચેલો !

૧૪ : સામયિકો જવાબદારી બાબતે હરીફાઈ કરતાં હતાં. વિશેષાંકો આવકાર્ય ફૅશન હતી – દાખલા તરીકે, ‘ક્ષિતિજ'નો દૃશ્યશ્રાવ્ય વિશેષાંક, ‘વિશ્વમાનવ’નો રવીન્દ્ર વિશેષાંક.

૧૫ : આદિલ મનસૂરી, ચિનુ મોદી અને મનહર મોદી ગઝલમાં નગરચેતના લાવેલા, એ અર્થમાં ગઝલ પણ આધુનિક થઈ હતી.

૧૬ : સુજો -ઉજો એવી છાવણીઓ હતી, જો કે થવું જોઈએ એ કક્ષાનું સાહિત્ય-યુદ્ધ લડાયું ન્હૉતું. પરન્તુ, એ રાહે સાહિત્યપદાર્થને જેટલો કંઈ ખંખોળી શકાય, એટલે અંશે હું એને મૂલ્ય આપું છું.

૧૭ : ઉમાશંકરે સુરેશભાઈને ટૉણો મારેલો કે વિદેશી પુસ્તકો એમને ત્યાં પણ આવે છે. સુરેશભાઈએ અમદાવાદમાં વ્યાખ્યાનો આપેલાં એમાં તેઓ અધ્યક્ષ હતા. સુરેશભાઈ અમને કહે, અધ્યક્ષ પછી આપણાથી તો કંઇ બોલાય નહીં. બહુ વ્યથિત હતા. આ સંદર્ભે મેં લખેલું : ગાયો ને ભેંશો તો બધા ચરાવે છે, દોહીને દૂધ કોણ આપે છે, એનો મહિમા છે. પરન્તુ, એ જ ઉમાશંકર વડોદરા ગયા હોય ને સુરેશભાઈને મળ્યા ન હોય એવું કદી બન્યું ન્હૉતું. સુરેશભાઈના અવસાનનો ખરખરો કરવા ઉમાશંકર અમદાવાદમાં મારા ઘરે આવેલા …

ઘણું યાદ આવે છે, પણ ઇતિ અલમ્.

(September 7, 2021: USA)

Loading

ડેટા વગરની ભારતની લાકડાની તલવાર

રાજ ગોસ્વામી|Opinion - Opinion|8 September 2021

એક વર્ષ પહેલાં, ભારતમાં એક નવો મંત્ર બોલતો થયો હતો, "ડેટા ઈઝ ન્યૂ ઓઈલ.' માણસે પૃથ્વીના પેટાળમાંથી તેલના ભંડારો શોધી કાઢીને જેવી રીતે પૃથ્વી પરનું જીવન ક્રાંતિકારી રીતે બદલી નાખ્યું, તેમ ૨૧મી સદીમાં ડેટાની ઉપયોગીતા જગતની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીને નવાં શિખરો પર લઇ જશે, એવી આપણને સમજ પડી હતી. ૨૦૧૭માં ‘ધ ઇકોનોમિસ્ટ’ નામની આંતરરાષ્ટ્રીય આર્થિક પત્રિકાએ એક સ્ટોરી પ્રગટ કરી હતી : ધ વર્લ્ડ્સ મોસ્ટ વેલ્યુએબલ રિસોર્સ ઈઝ નો લોંગર ઓઈલ, બટ ડેટા (દુનિયાનું સૌથી કીમતી સંશાધન ઓઈલ નહીં, પણ ડેટા છે).

ભારતમાં ઘણા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને સરકાર ખુદ આ મંત્રોજાપ કરતી થઇ ગઈ હતી, પરંતુ ડેટાનો અર્થ માત્ર પૈસા કમાવાનો નથી, ડેટાનો અર્થ જીવનને બહેતર બનાવાનો છે. દાખલા તરીકે, નોકરી લેવી હોય કે રોગની સારવાર કરાવવી હોય, તો તેનો સંલગ્ન ડેટા જરૂરી છે.

ડેટા એટલે શું? સરળ ભાષામાં માહિતી કે જાણકારીને ડેટા કહેવાય. એ માહિતીમાં સંખ્યા હોય, અક્ષરો હોય, શબ્દો હોય, નિરીક્ષણો હોય, પ્રમાણ હોય. આજની તારીખે ડેટા મહત્ત્વનો એટલા માટે છે કારણ કે આપણે માહિતીના વિસ્ફોટમાં જીવીએ છીએ. ટેકનોલોજીના કારણે આપણી પાસે ચારે તરફથી વિપુલ માત્રામાં માહિતીઓ આવે છે. આપણું મગજ અમુક મર્યાદામાં જ માહિતીઓને પ્રોસેસ કરવા સક્ષમ છે, એટલે જ્યારે ખૂબ બધી માહિતીઓ આવતી હોય, ત્યારે કઈ માહિતી કામની છે અને કઈ માહિતી નકામી છે, તેનો ફર્ક કરવો અનિવાર્ય હોય છે.

ડેટા સાયન્સનું કામ માહિતીઓને પ્રોસેસ કરીને આપણને કામની માહિતીઓ જુદી તારવી આપવાનું છે, જેના આધારે આપણે નિર્ણયો લઇ શકીએ. માહિતીના મૂળમાં ડેટા હોય છે. દાખલા તરીકે, 'ભારત સૌથી યુવાન દેશ છે' એ વાક્ય માહિતી છે અથવા જાણકારી છે, પરંતુ એ માહિતીનો વ્યવહારુ ઉપયોગ કરવો હોય (દાખલા તરીકે કોઈ કંપનીને નવી મોટરસાઇકલ બનાવવી હોય), તો દેશના યુવાનોનોની ઉંમર, આવક, શહેરમાં કેટલા છે, ગ્રામીણ કેટલા છે, ભણતર કેટલું છે, રોજગારી કેવી છે વગેરે અગંત ડેટા જોઈએ.

કોઈ પણ વૈજ્ઞાનિક અનુમાન કરવા માટે ડેટા સૌથી અગત્યની બાબત છે. આ વર્ષે કેટલો વરસાદ પડશે તેની સફળ આગાહી કરવાનો આધાર દાયકાઓથી કોમ્પ્યુટરમાં એકઠો થતો વરસાદની પેટર્નનો ડેટા છે. રેમડેસિવિર ઇન્જેક્શનનો કેટલો સ્ટોક રાખવો તેનો નિર્યણ મહામારીના કેસ કેટલા વધે છે તેના ડેટા પરથી નક્કી થાય. ડેટાથી બેઝલાઈન (આધાર), બેન્ચમાર્ક અને લક્ષ્ય નક્કી થાય.

આટલી વાત સમજ્યા પછી, હવે પાયાનો પ્રશ્ન. ભારતમાં ડેટા સાયન્સને ગંભીરતાથી લેવામાં આવે છે? આપણે જે રીતે મહામારી સામે લડી રહ્યા છે, તે જોતાં તો એવું લાગે છે કે આપણે લાકડાની તલવાર લઈને કોરોનાનો ખાત્મો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. કોરોનાની પહેલી લહેર આવી, ત્યારે જ ડેટામાં ઘાલમેલ થઈ હતી, જેથી બીજી લહેરનું અનુમાન થઈ ન શક્યું. અથવા, ડેટા હતો પણ યોગ્ય વિશ્લેષણ ન થયું અથવા વિશ્લેષણ હતું પણ તેને નજર અંદાજ કરવામાં આવ્યું. જે હોય તે ખરું, ડેટા પ્રત્યેની આપણી વૈજ્ઞાનિક ગંભીરતાના અભાવમાં પૂરી મેડિકલ સિસ્ટમ તૂટી પડી અને લોકો કમોતે મરી ગયા.

ટ્રેજેડી એ છે કે બીજી લહેરમાં પણ ટેસ્ટિંગથી લઈને કેસો અને મૃત્યુનાં આંકડાઓમાં ઘાલમેલ થઈ હતી. સરકાર હવે એવું કહે છે કે ઓક્સિજનના અભાવમાં એક પણ મોત થયું નથી, કારણ કે અમારી પાસે એવો કોઈ ડેટા નથી. ડેટા નથી એટલે મોત પણ થયું નથી, સો સિમ્પલ. આપણી પાસે કોવિડ-19ની મહામારીનો સટીક ડેટા નહીં હોય, તો મેડિકલ સમુદાય ભવિષ્ય માટે બેઝલાઈન, બેન્ચમાર્ક અને લક્ષ્યનું મોડેલ કેવી રીતે બનાવશે? અને બનાવશે તો કેવું હશે?

૩૦મી એપ્રિલે દેશના વૈજ્ઞાનિકોના એક સમૂહે સરકારને પત્ર લખીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એકત્ર કરાયેલા કોરોના સંબંધી ડેટા સાર્વજનિક કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સામે લડવા માટે દેશમાં શું મેડિકલ જરૂરિયાતો છે તે નક્કી કરવા માટે ડેટા અગત્યનો છે. વૈજ્ઞાનિકોએ લખ્યું હતું કે મહામારી શરૂ થઇ ત્યારથી એકત્ર કરાયેલા આ ડેટાની સરકાર સિવાય કોઈને ખબર નથી, ત્યાં સુધી કે મહામારીનાં અનુમાનનાં મોડેલ બનાવવાનું જેમનું કામ છે તે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમ જ નીતિ આયોગને પણ અ ડેટા મળતો નથી."

બેંગ્લોર સ્થિત પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં એપીડેમિઓલોજીના પ્રોફેસર ગિરિધર બાબુ એક ઇન્ટરવ્યૂમાં ડેટાની સરળ વ્યાખ્યા કરતાં કહે છે, “આપણે એક્શન માટે ડેટાનો ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે, એક રાજ્ય પાસે દર દસ લાખે કેટલા કોરોના કેસ છે તેનો મજબૂત ડેટા છે અને બીજા રાજ્ય પાસે નથી, તો એના અર્થ એ થયો કે બીજું રાજ્ય તેની પ્રજાને સમયસર સારવાર આપીને મૃત્યુ રોકવા માટે એક્શન નહીં લે. સમુદાયોમાં ઘણી અસમાનતાઓ હોય છે, અને તમે જો ઈમાનદારીથી ડેટા ભેગો ન કરો, વિશ્લેષણ ન કરો અને તારણો ન કાઢો, તો તમે પ્રજાનું વધુ નુકશાન કરો છો.”

લંડનની મિડલેસેક્સ યુનિવર્સિટીમાંથી ગણિતમાં ડોક્ટરેટ કરનાર અને ત્યાં સિનિયર લેકચરર મુરાદ બાનાજી આ વાતનું સમર્થન કરતાં એ જ ઇન્ટરવ્યૂમાં કહે છે, “તમારી પાસે ગુણવત્તાવાળો ડેટા હોય, તો તમે શું થયું છે અને શું થઇ શકે છે તેનું સટીક અનુમાન કરતુ મોડેલ બનાવી શકો છો. દાખલા તરીકે, અલગ-અલગ વિસ્તારોમાં કોરોના કેટલો ફેલાયો છે તેનો જો ડેટા હોય, તો આપણે એ વિસ્તારોમાં બીજી લહેરની અસર કેવી હશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે વાઇરસનો કયો વેરિયન્ટ ફેલાઈ રહ્યો છે, તો આપણે તે કેટલી તેજ ગતિએ તે ફેલાશે તેનું અનુમાન કરી શકીએ. આપણને જો એ ખબર હોય કે કેટલા લોકોનાં મૃત્યુ થયાં છે, તો આપણે તેના આધારે એ જાણી શકીએ કે તેનો ફેલાવો કેટલો વ્યાપક હતો.”

કોરોનાની બીજી લહેરે ભારતના ડેટા સિસ્ટમની પોલ ખોલી નાખી. એમાં હજારો લોકો કમોતે મર્યા, એટલું જ નહીં, જનતા તેના સ્વાસ્થ્યને લઈને નિરુત્સાહ અને નિરાશ થઇ ગઈ. એવું નથી કે દેશને ડેટા કલેક્શનનો અનુભવ નથી. ભારતનો નેશનલ સેમ્પલ સર્વે દુનિયાનો સૌથી મોટો ડેટા કલેક્શન સર્વે હતો, અને તેની તાકાતથી જ ભારત પોલીઓ, લેપ્રસી અને એચ.આઈ.વી. જેવી મહામારીઓ સામે જંગ જીતી શક્યું હતું.

છતાં, કોરોનાની મહામારીમાં આપણી આજે જે હાલત છે, તેનું એક માત્ર દેખીતું કારણ એ છે દેશમાં ઉત્તરોત્તર વૈજ્ઞાનિકો હાંસિયામાં ધકેલતા ગયા છે અને રાજકારણીઓ તેમની જગ્યાએ નિર્ણયો લેતા થઇ ગયા છે. ડેટા ન્યૂ ઓઈલ છે, પરંતુ રાજકારણીઓએ તેને દોહવા માટે તેના કલેક્શન અને વિશ્લેષણમાં રાજકારણ ઘુસાડી દીધું છે. આપણે ભલે ટેસ્ટ ઓછા કરીએ, આપણે ભલે મોતના આંકડા છુપાવીએ, આપણે ભલે રોગને નજરઅંદાજ કરીએ, દેશનાં હજારો સ્મશાનોમાં બળતી લાખો ચિતાઓ એ વાતની હતી કે ભારતે તેના સ્યુડો-સાયન્સ અને એન્ટી-ઇન્ટલેક્ચુઅલ અભિગમની કિંમત ચૂકવી છે, અને ભવિષ્યમાં પણ ચૂકવશે.

પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, :સંદેશ”, 05 સપ્ટેમ્બર 2021

Loading

...102030...1,7601,7611,7621,763...1,7701,7801,790...

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved